Opinion Magazine
Number of visits: 9686590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારો જીવડો ધીમે-ધીમે બળે છે!

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|1 May 2018

 

ક્યારેક ઘોર અંધકારઘેરી  અધરાત-મધરાતે
હું દરરોજ ધીરે-ધીરે અચેત થઈ રહેલા
મારા આતમરામની શોધ કરું છું
અને
જોઉં છું કે હવે કેટલા શ્વાસ બચ્યા છે!
દબદબાભેર ઝાકળની જેમ
જ્યારે પંચતારક જમણગૃહના દરવાજેથી હું સરકી જાઉં છું
અને
શાહી મહાભોજ લઈ તેનું ઋણમૂલ્ય ચૂકવું છું,
જે દરવાજે સલામ ભરતા દરવાનના માસિક દરમાયા જેટલું હોય છે!
ત્યારે
મારો જીવડો થોડો થોડો બળે છે!
જ્યારે હું ફેરિયા પાસે શાકબકાલું ખરીદું છું
અને એનો ‘નાનકો- છોટુ’ ત્રાજવે બટાકા તોલે છે,
ત્યારે હું આડું જોઈ જોઉં છું
કારણ કે હું જાણું જ છું કે
નિશાળે જવાની ઉંમરનો આ નાનકો બાળમજૂર જ છે!
અને
તે ક્ષણે,
મારો જીવડો થોડો-થોડો બળે છે!
એનું મૂલ્ય પૂછશો જ મા!
એવા ધૂમધડાક
શોભાયમાન વેશપરિધાન સાથે સજધજ થઈ
બનીઠનીને બહાર જોઉં છું,
ત્યારે ગલીને નાકે ઊભેલી
જીર્ણશીર્ણ વસ્ત્રપરિધાનમાં જાતને સાચવવાની મથામણ કરતી અસહાય
સ્ત્રીને જોઉં છું
અને ફટાક કરતી બારી બંધ કરું છું,
ત્યારે
મારો જીવડો થોડો થોડો બળે છે!
જ્યારે મારી માંદલી કામવાળી એની દીકરીને પોતાના વારામાં
નિશાળે છટકબારી શોધી મારે ત્યાં કામ પર મોકલે છે,
ત્યારે મને મનમાં તો હોય છે કે એને હું નિશાળે જવા કહું
પણ જ્યારે હું વાસણપાણી, ધોબીઘાટનાં કપડાંલતાં ને કચરાપોતાના
કામના કોટ તરફ નજર નાખું છું ને
જાતે જ ટાઢી પડી મનોમન કહું છું
કે ચાલ જીવડા,
આ તો બેચાર દિવસની વાત છે!
ત્યારે મારો જીવડો થોડો-થોડો બળે છે!
જ્યારે
મારો દીકરો પાર્ટીશાર્ટી કરી
અધરાત મધરાતે ઘરે આવે, ત્યારે તો
ચૂં  કે ચાં નથી કરતી
પરંતુ
એ જ વાત જ્યારે
દીકરી કરે ને
હું
એને ઊંચા અવાજે દમદાટી આપી ચૂપ કરું છું,
ત્યારે
મારો જીવડો થોડો-થોડો બળે છે!          
જ્યારે હું બાળુડાંની હત્યા અને બળાત્કાર વિશે સાંભળું છું,
ત્યારે તો ભભડી ઊઠું છું ને પછી
ટાઢી પડી આશ્વસ્ત થઈ જાઉં છું કે એ ક્યાં મારા બાળુડાં છે?
ત્યાર પછી
હું મારો ચહેરો અરીસામાં જોઈ શકતી નથી!
અને ત્યારે
મારો જીવડો થોડો-થોડો બળે છે! 
જ્યારે લોકોને ‘વર્ગ-વર્ણ-જાતિ-ધરમ’ માટે બાખડતાં જોઉં છું
ને મને લાગે છે કે હું તરડાઈને નિઃસહાય બની ગઈ છું!
પછી મનોમન કહું છું કે મારો દેશ તો હવે બેહાલ!
પછી મારો તમામ ભાર ભ્રષ્ટ નેતાઓને માથે થોપી
નિરાશા ખંખેરી નાખું છું
ત્યારે મારો જીવડો થોડો-થોડો બળે છે!      
ધુમ્મસઘેરી સવારે પ્રદૂષિત વાયુથી
ગૂંગળાઈ રહે છે !
ત્યારે
હું મારી ગાડી પર સવાર થઈ નીકળું છું ને
ક્યારે ય વિચારું નહીં કે
મેટ્રો પકડું અથવા સહિયારો પ્રવાસ ગોઠવી કાઢું!
એમ જ વિચારીને કે
મારા એકના વિચારવાથી
શું શુક્કરવાર વળવાનો છે?
ત્યારે
મારો જીવડો થોડો-થોડો બળે છે!         
મારા સૂતેલા આતમરામને જગાડવા નીકળું
અને સાશ્ચર્ય
એને હજી સાંસિયાં લેતો ભાળું
ને ચૂંટિયો ખણીને જોઉં કે
એ ધીમે-ધીમે બળી રહ્યો છે!

[અંગ્રેજી : અજ્ઞાત સર્જક, આ કાવ્ય મને સરૂપબહેને forward કરેલું, જેનો ભાવાનુવાદ]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 12

Loading

દેશમાં ચૂંટણી સિવાયના પણ મુદ્દાઓ છે

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|30 April 2018

હું અગાઉ પણ કહેતો આવ્યો છું, અને અત્યારે પણ કહી રહ્યો છું કે ભારતને આજકાલ એવો ડર સતાવી રહ્યો છે કે ભારત માત્ર ચૂંટણી આધારિત જ લોકતંત્ર બનીને ના રહી જાય, અને આ મુદ્દે મીડિયાની બહુ મોટી ભૂમિકા રહેલી છે.

મીડિયાનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણીમાં ઉમેદવારોના વ્યવહારથી લઈને જાતીય સમીકરણો, અભિયાનની રણનીતિ, નેતાઓની ભાવભક્તિથી લઈને તેમની દિનચર્યા પર એક પ્રકારના જૂનુનની હદ સુધી રહે છે, અને જેવી ચૂંટણી સમાપ્ત થાય કે તરત જ મીડિયા આ બધું જ ભૂલી જાય છે. સરકારની રચના થઇ જતાંની સાથે જ જાણે કે મીડિયાની ભૂમિકા સમાપ્ત થઇ જાય છે અને તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેક જ તે મુદ્દા તરફ ધ્યાન જાય છે કે ખરેખરમાં સરકારે જનકલ્યાણના મુદ્દે કશુંક કાર્ય કર્યું છે કે નહિ?

કર્ણાટકમાં પણ કંઇક આ પ્રમાણે જ હાલ ચાલી રહ્યું છે. આગામી મહિને યોજાવા જઈ રહેલ ચૂંટણી માટે તૈયાર કર્ણાટક એ દક્ષિણ ભારતનું એક માત્ર જ એવું મોટું રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે અને ત્યાં ભાજપા ઠીકઠીક સ્થિતિમાં છે. તેવામાં, વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે કર્ણાટકને ‘ટ્રેન્ડ સેટર’ રાજ્ય પણ માનવામાં આવી રહ્યું છે. આવાં જ કેટલાંક કારણોસર નેશનલ મીડિયા હવે કર્ણાટકની હવા સૂંઘવા માટે ત્યાં એકઠું થવા લાગ્યું છે. નેશનલ મીડિયાનો આ કર્ણાટક પ્રેમ એ ચૂંટણીના દબાવનાં કારણે ઊભો થયેલો પ્રેમ છે, કે જે ચૂંટણી સમાપ્ત થતાંની સાથે જ થંભી જશે.

પરંતુ, કર્ણાટકનાં લોકો આવા નથી અને તેઓને એ વાત સાથે બહુ મતલબ પણ નથી કે કોણ જીતશે, કર્ણાટકની જનતાનો માત્ર એ વાત સાથે જ મતલબ રહેલો છે કે જીતનાર પાર્ટી કેવી સરકાર આપશે? કર્ણાટક કેવા સામાજિક અને આર્થિક પડકાર સામે લડત આપી રહ્યું છે? તેનાં સંસાધનનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે થશે? નવી સરકાર કેવી નીતિઓને પ્રોત્સાહન આપે છે? પણ આ અને આવા તમામ સવાલ કર્ણાટકની ચૂંટણીના સંદર્ભમાં રાષ્ટ્રીય વિમર્શમાં ગૂમ થઇ ગયા છે. જ્યારે મતદાતાઓ માટે આ પ્રશ્ન સૌથી મહત્ત્વપૂર્ણ છે, એ તો સારું છે કે રાજ્યનાં બુદ્ધિજીવી અને વિવેકશીલ લોકોની આંખો ખુલ્લી છે અને તેઓ સતત આ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે.

હાલમાં જ ચાર વિદ્વાનો વેલેરિયન રોડ્રીગ્ઝ, નટરાજ હુલિયાર, રાજેન્દ્ર ચેન્ની અને એસ જાફેટે સ્પીકિંગ ફોર કર્ણાટક નામનાં શીર્ષક હેઠળ એક દસ્તાવેજ (મોનોગ્રાફ) તૈયાર કર્યો છે, જે રાજ્યની સામાજિક સંરચના અને સાંસ્કૃિતક વિરાસતનું બારીક અધ્યયન પ્રસ્તુત કરે છે. જેમાં કર્ણાટકના ધાર્મિક, સાહિત્યિક-સાંસ્કૃિતક, રાજનૈતિક પરિદ્રશ્યની સાથે જ તેનાં સૌંદર્યની વૈવિધ્યપૂર્ણ ઝાંખી જોવા મળે છે. આ દલિતો, મહિલાઓ અને ખેડૂતોનાં તે આંદોલનો અને સંઘર્ષોનું પણ આખ્યાન છે, અને જેનાં મિશ્ર પ્રતિસાદે રાજ્યમાં જાતિ-લિંગ અને વર્ગ ભેદનાં ખાડાને એક હદ સુધી પૂરી દીધો છે.

આ દસ્તાવેજમાં લેખકોએ પોતાની 15 ચિંતાઓ વ્યક્ત કરી છે. આ શાસન અને સરકારને ભવિષ્ય તરફ યોગ્ય પથ દેખાડનાર કોઈ એક ઘોષણાપત્ર સમાન છે, જેને રાજ્યના નવા મુખ્યમંત્રીએ અચૂક જોવું જોઈએ. લેખકો માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ ક્ષેત્રિય અસમાનતાનો છે, જે કર્ણાટકની આસપાસ જ જોવા મળી રહ્યો છે અને આ ચિંતાને મજબૂત-એકીકૃત પ્રયાસ થકી જ દૂર કરી શકાય તેમ છે. તેઓ એ વાતને લઈને પણ ચિંતિત છે કે બેંગલુરુમાં વધી રહેલી વસતિને કેવી રીતે સંતુલિત કરવી. ઉપરોક્ત બંને ચિંતાઓના વિષય એકબીજા સાથે જોડાયેલા છે. એક તરફ મોટાં ઔદ્યોગિક કેન્દ્રવાળું મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્ય છે અને જ્યારે આપણે જોઈએ છીએ કે કર્ણાટકની ઉદ્યમિતાનો મહત્તમ ભાગ બેંગલુરુ અથવા તેની આસપાસના વિસ્તાર સુધી જ સીમિત થઈને રહી ગયો છે. તેવામાં જો રાજ્યના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ નોકરી અને રોજગારીની સંભાવનાઓની સાથે વૈકલ્પિક કેન્દ્ર વિકસિત કરવામાં આવે, તો કર્ણાટકમાં વધુ સંતુલિત વિકાસ સાધી શકાય તેમ છે. કૃષિ ક્ષેત્રમાં પણ વધારે ધ્યાન આપીને સંશોધન કરવામાં આવે તો વધુ સારાં પરિણામો મેળવી શકાય તેમ છે.

આ લેખકોએ કર્ણાટકનાં સાર્વજનિક જીવનમાં મહિલાઓની અલ્પ ભાગીદારી બાબત પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજનૈતિક દળોમાં મહિલા પ્રતિનિધિત્વ વધે તેવી અપેક્ષા રાખી છે. પણ, દુઃખદ વાત એ છે કે આ પાર્ટીઓ કશું જ સાંભળી રહી નથી. આ દસ્તાવેજ પ્રગટ થયા તેના એક મહિના બાદ, કર્ણાટકની ચૂંટણીની ઉમેદવારોની સૂચિ બહાર આવી તેમાં આ દસ્તાવેજની કોઈ અસર જોવા મળી નથી. 225 સીટોવાળી વિધાનસભા માટે જાહેર થયેલી સૂચિમાં કોંગ્રેસે 2 ડઝનથી ઓછી અને ભાજપા અને જેડીએસે તો એક ડઝનથી પણ ઓછી મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે દેશનાં અન્ય તમામ ભાગની અપેક્ષાએ કર્ણાટકની મહિલાઓ વધુ સચેત અને ઓછી પ્રતાડિત જોવા મળી છે. તે કદાચ પડદામાં જ રહી હોય.

મધ્યયુગીન કર્ણાટકે તો અનેક પ્રમુખ મહિલા સંત અને વિચારક આપ્યાં, તો વીસમી સદીનાં મહાન વિચારક કમલા દેવી ચટ્ટોપાધ્યાય આધુનિક કર્ણાટકની ભેટ છે. આજે પણ અહીં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી રહી છે, પણ અન્ય ભારતીય મહિલાઓની માફક આ મહિલાઓને પણ સમાન નાગરિક અધિકાર મળ્યા નથી. આ બુદ્ધિજીવીઓના મત મુજબ કર્ણાટક વિશ્વનાં જૂજ એવાં સુંદર પર્યટક સ્થળોમાં સ્થાન પામી શકે તેમ છે, પણ આ મુદ્દે ક્યારે ય પણ ધ્યાન આપવામાં આવ્યું નથી.

અંતમાં હું પર્યાવરણનો પક્ષ રજૂ કરવા ઈચ્છું છું. સ્પીકિંગ ફોર કર્ણાટકના લેખકોની નજરે ‘રાજ્યએ પોતાની પરિસ્થિતિઓના પડકાર પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત છે, જેનું એક સમાધાન શુષ્ક બેલ્ટનું વનીકરણ છે. અત્યારે જળ સંસાધનોની તાર્કિક રચના વધુ યોગ્ય સાબિત થઇ શકે તેમ છે. બેંગલુરુની જળ આત્મનિર્ભરતા માઈલો દૂરથી પંપ કરીને પાણી લાવવામાં તો સંભવ નથી. રાજ્યની નદીઓ પ્રદૂષિત છે, જ્યારે વાણિજ્યિક કૃષિવાળા વિસ્તારોમાં ભૂજળનાં જબરદસ્ત દોહાનનાં કારણે આ સપાટી ભયાનક રીતે નીચે જઈ રહી છે. બેંગલુરુ પાસે દેશનાં બે શ્રેષ્ઠ પારિસ્થિતિકી શોધ કેન્દ્ર છે, પણ રાજ્યની વન અને જળનીતિ નક્કી કરનાર રાજનેતા અથવા અમલદાર આ પારંગત વૈજ્ઞાનિકોની કદાચ જ આ બાબતોમાં સલાહ લેતા હશે. સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓની ખરાબ હાલત અને સાર્વજનિક સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર જેવી ચિંતાઓ પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. કેટલીક એવી પણ મહત્ત્વપૂર્ણ બાબતો છે કે જેના પર આ લેખકોએ કદાચ ધ્યાન નહિ આપ્યું હોય. એ સારી વાત છે કે આ દસ્તાવેજ પર મોટા સ્તરે વિમર્શ ચાલુ છે. રાષ્ટ્રીય મીડિયા માટે ભલે કર્ણાટક માત્ર ચૂંટણી દરમિયાન જ મહત્ત્વપૂર્ણ હોય પણ મારા જેવા આ રાજ્યમાં રહેતા લાખો લોકો માટે આ વાત વધારે મહત્ત્વની છે કે આખરે બે ચૂંટણીઓની વચ્ચે શું-શું થાય છે?

અનુવાદ – નિલય ભાવસાર

Loading

કૂણાં પાન

દીપક બારડોલીકર|Poetry|29 April 2018

મહિલાઓ
અગર સુખી, સન્માનિત છે,
તો સમજવું
સુખી છે દેશ !

*

સૂર્ય −
અહીં ડૂબે છે ત્યારે,
ક્યાંક બીજે ઊગે પણ છે !
તમેય પડ્યા છો તો
ખસી જાઓ ને અહીંથી !

*

નિર્ધારને આપો
ગરુડની પાંખો
વામણા થઈ જશે
વિરાટ પહાડો !

*

કાટ,
એવો કાટ
ને એવો ખાંટ
કે
લૂલું કરી નાખે છે,
લોખંડને !

*

તલવાર શોભતી હતી –
તૈમૂરના હાથમાં !
સિકંદરના હાથમાં !
બાકી –
અન્ય રાજાઓ તો,
શોભતા હતા તલવારોથી !
મહેલાતોથી !

*

દીવાલ
જુદાઈનું પ્રતીક છે.
તોડી નાખો દીવાલોને,
તમો એક થઈ જશો !

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD

Loading

...102030...3,1533,1543,1553,156...3,1603,1703,180...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved