Opinion Magazine
Number of visits: 9582021
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ મતોમાં વિભાજનથી ભાજપને ખતરો

શેખર ગુપ્તા|Opinion - Opinion|11 April 2018

જાતિગત વિભાજનના સ્થાને ધર્મના મુદ્દે ભાજપે સત્તા મેળવી પણ આજે જાતિવાદી સમીકરણો ફરી બદલાઇ રહ્યાં છે.


ભારતીય મતદારોમાં મુસ્લિમો માત્ર 15 ટકા છે. તેઓ ભા.જ.પ.ને મત નથી આપતા. 1989 પછીના રાજકારણમાં જ્યારે કૉંગ્રેસે હિંદી પ્રદેશોમાંથી પોતાની મત બેન્ક ગુમાવી, તો મુસ્લિમો યાદવોની સાથે થઈ ગયા અને અમુક તબક્કે માયાવતીના દલિતોની સાથે. આનાથી કુંઠિત વિચારધારાવાળા ભારતીય નેતાઓ કહેતા હતો કે દેશ પર કોણ સત્તા સંભાળશે, તેનો વીટો મુસ્લિમોની પાસે છે. નરેન્દ્ર મોદીએ 2014માં આ વિચારધારાને બદલી નાખી. તેમની દલીલ હતી કે જો મુસ્લિમો આપણને મત નથી આપતા તો ઠીક છે, બીજી અનેક જગ્યાએ પૂરતા મતો છે જ.


મુસ્લિમોએ તેમને મત ન આપ્યા, છતાં તેમણે વિરોધ પક્ષને સાફ કરી નાખ્યો. એક પણ મુસ્લિમ સાંસદ વગર તેમણે 282 બેઠક જીતી લીધી. ત્યાર પછી ભા.જ.પે. 19 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ઊભો રાખ્યા વિના 77 ટકા બેઠકો જીતી લીધી. તેમણે અને ભા.જ.પે. મુસ્લિમ વ્યક્તિઓને બીજી કોઈ રીતે પણ જગ્યા આપવાનો પ્રયત્ન નથી કર્યો. તમે અમને મત નથી આપતા, તો અમારી પાસેથી સત્તામાં ભાગીદારી કરવાની આશા પણ ન રાખશો. આવું એટલા માટે શક્ય બન્યું કારણ કે તેમનું આકર્ષણ તમામ હિંદુ સામાજિક સમૂહો પર છવાયું જેઓ ત્યાં સુધી ભા.જ.પ.થી દૂર ભાગતા હતા અને પોતાના જાતિગત નેતાઓ પ્રત્યે વફાદાર હતા.

2014માં મોટા પાયે બિનયાદવ ઓ.બી.સી. ભા.જ.પ.ની સાથે જોડાઈ ગયા. અામ છતાં, જો માયાવતી 2014ની લોકસભા ચૂંટણીમાં 80માંથી એક પણ બેઠક ન જીતી શક્યાં અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં 19 બેઠકો જ જીતી શક્યાં, તો તેનો સીધો તર્કસંગત અર્થ એ થાય કે ખાસ્સી સંખ્યામાં દલિત મતદારો ભા.જ.પ.ની સાથે જોડાઈ ગયા છે. લોકસભામાં ભા.જ.પ.ના 282 સાંસદોમાંથી 40 દલિતો પણ છે, જેઓ અનામત બેઠકો પરથી જીત્યા છે. છ બીજા એલ.જે.પી. અને ટી.ડી.પી. જેવા સહયોગી પક્ષોના હતા.


છેલ્લા કેટલાક મહિનાઓમાં નવા સવાલો ઊભા થયા છે, કારણ કે દેશભરમાં દલિતોનો ગુસ્સો અને ઊભાર વધી રહ્યો છે. આ બધું જમીની રાજકારણમાંથી ઊભરી આવેલા યુવાનો અને પોતાની વાત મૂકવામાં કુશળ દલિત નેતાઓના ઊભારની સાથે સ્થિતિ બદલાઈ ચૂકી છે. ભામા-કોરેગાંવ પછી અનુસૂચિત જાતિ-જનજાતિ અધિનિયમ પર સુપ્રીમ કોર્ટના તાજા નિર્ણયના વિરોધ પછી 85 ટકા મતોમાં જ ચૂંટણી લડવાની રીતી જોખમી છે. દલિત ગુસ્સાના કારણે મતોની આ ટકાવારી ઘટીને 70 ટકા થવાનો ખતરો ઊભો થયો છે. ડેક્કન ક્રોનિકલમાં એક લેખમાં એવું લખ્યું છે કે સી.એસ.ડી.એસ.ના અગ્રણી સેફોલૉજિસ્ટ સંજય કુમારે એ ખરાઈ કરી છે કે પહેલાંની સરખામણીએ ભા.જ.પે. 2014માં સૌથી વધારે દલિત મતો મળ્યા.

તેમણે લખ્યું છે કે, ‘છેલ્લી અનેક લોકસભા ચૂંટણીઓમાં મોટા પાયે 12થી 14 ટકા દલિતોએ ભા.જ.પ.ની તરફેણમાં મતદાન કર્યું’ પણ 2014માં આ આંકડો બમણો થઈને 24 ટકા થઈ ગયો અને ભા.જ.પ.ના દલિત મતો કૉંગ્રેસ (19) અને બસપા (14) કરતાં વધારે થઈ ગયા. દલિતોમાં તાજેતરમાં વધેલી ચિંતાથી આ ફાયદાઓ સામે ખતરો ઊભો થયો છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષની વચ્ચે જોડાણથી આ સમીકરણો વધારે જટિલ થયાં છે. આ બાબત ગોરખપુર અને ફૂલપુરની પેટાચૂંટણીઓ પરથી સ્પષ્ટ થઈ ગયું છે.


ઉત્તર પ્રદેશના જે ત્રણ સાંસદોએ ફરિયાદ કરી છે, તે આ નવી અસુરક્ષાને રજૂ કરે છે. હકીકતમાં અનુસૂચિત જાતિ-જનજાતિને લગતા કાયદા પર સુપ્રીમ કોર્ટના આદેશના મુદ્દે સરકાર કદાચ જ કોઈ ભૂમિકા નિભાવી શકે છે. ચુકાદાને ધ્યાનથી વાંચતા એવું નથી લાગતું કે સારા કાયદાને નબળો પાડી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવે છે કે અંદર દબાયેલો ગુસ્સો બહાર આવી રહ્યો છે. વડાપ્રધાન અને અમિત શાહ તેની સામે આંખ આડા કાન કરી શકે તેમ નથી કે 2019 આવવા દો ‘મોદી મેજિક’ બધું સાફ કરી નાખશે. તેઓ 2014ના 24 ટકા મતોમાંથી થોડા મતો પણ ગુમાવવાની સ્થિતિમાં નથી. તેમના પક્ષને મળેલા કુલ મતોની ટકાવારી 31 ટકા હતી અને ચોથા ભાગના દલિત મતો વિના આ ટકાવારી જાળવી રાખવી અશક્ય હશે.

દલિતોનો આ ઊભાર પહેલાંની સરખામણીએ અલગ છે. હવે અનેક ગણા વધારે દલિત યુવાનો સ્કૂલ-કૉલેજમાં જઈ રહ્યા છે અને ઇન્ટરનેટની ઉપલબ્ધતા સરળ હોવાના કારણે આ વધારે જાગરૂક પેઢી બની છે. યુવાન નેતાઓ પહેલી વખત ધારાસભ્ય બનેલા જિજ્ઞેશ મેવાણી જેવા નેતાઓ ઉત્તર, મધ્યમ અને પશ્ચિમ ભારતમાં લગભગ કોઈ પણ જગ્યાએ સારી એવી ભીડ એકઠી કરી શકે છે. ઉપરાંત તે પૂર્વની સરખામણીએ વધારે વૈચારિક પણ છે. તેની હાલચાલ ખાસ કરીને ડાબેરી છે અને એટલા માટે ભા.જ.પ.વિરોધી છે.

1989 સુધી ભા.જ.પ. અેવું માનતો હતો કે હિંદુ સમાજમાં જાતિગત વિભાજનના કારણે તે જીતી નથી શકતો. અડવાણીએ પહેલી વખત તેને ઓળખીને ધર્મ સાથે (અયોધ્યાના માધ્યમથી) જોડવાનું શરૂ કર્યું, જેને જાતિઓએ વહેંચી રાખ્યા હતા. જો કે, જાતિ પ્રત્યેની વફાદારી વધારે સમય સુધી દબાયેલી રહી શકે તેમ નથી. ઉત્તર પ્રદેશમાં જ્યાં એક સમયે આની બહુમતી હતી માયાવતી અને મુલાયમ-અખિલેશ આઠ વખત વારાફરતી મુખ્યમંત્રી બન્યાં. મોદી-શાહે 2014માં જે બાબતનું મિશ્ર સ્વરૂપ સામે મૂક્યું, તે પા સદી પહેલા અડવાણી કરતાં વધારે શક્તિશાળી હતું. તેઓ ખુલ્લા હિંદુ રાષ્ટ્રવાદની સાથે આગળ આવ્યા, જેની સાથે હતું મોદીનું આકર્ષણ અને ‘અચ્છે દિન’નું વચન, જે ગુજરાતના રેકૉર્ડના કારણે વિશ્વસનીય લાગતું હતું. આ તમામ જાતિ આધારિત પક્ષો પર હાવી થઈ ગયું અને ભા.જ.પે. હિંદી પ્રદેશોમાં સારી એવી જીત હાંસલ કરી.


હવે દલિત સમર્થન ખતરામાં છે, કારણ કે જાતિવાદી સમીકરણો ફરીથી બદલાઈ રહ્યાં છે. સત્તાવિરોધી વલણના કારણે ઉપજેલો અસંતોષ, બેકારી, ઉત્તર પ્રદેશમાં ઊંચી જાતિના શક્તિશાળી મુખ્યમંત્રીનો ઉદય (15 વર્ષમાં ઊંચી જાતિના પ્રથમ) એ બધી બાબતોએ સાથે મળીને જાતિગત સમીકરણોને મહત્ત્વનાં બનાવી દીધાં છે. ભા.જ.પે. ઝડપથી આને ઓળખ બનાવી લીધી છે અને મોદી-શાહ આ મુદ્દે બોલી પણ રહ્યા છે.

આમ છતાં, તેમની સામે ત્રણ સમસ્યાઓ છે – એક, તેમની પાસે કોઈ મુખ્ય અને ભરોસો અપાવી શકે તેવો દલિત અવાજ નથી. બીજું એ કે, ભૂતકાળમાં ભા.જ.પે. મોદી અને શિવરાજસિંહ ચૌહાણ જેવા સ્ટાર ઓ.બી.સી. નેતા આપ્યા હતા, 2014 પછી ઉચ્ચ જાતિનો ઉપદય દેખાઈ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં. ત્રીજી, બનવા જોગ છે કે આ પરિસ્થિતિને ઓળખવામાં મોડું થઈ ગયું છે. પક્ષ અને ખાનગી મશીનરી દલિતોમાં વધતા અસંતોષને યોગ્ય સમયે પકડી શકવામાં નિષ્ફળ ગઈ છે. જો કે, હવે પક્ષે આ મુદ્દાને હાથમાં લીધો છે અને તે નુકસાનની કેટલા અંશે ભરપાઈ કરી શકે છે, 2019ના આંકડાઓ પર તેની મહત્ત્વની અસર પડશે.

સૌજન્ય : ‘સમાજકારણ’, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2018  

Loading

છ કાવ્યો –

© ધનિક ગોહેલ જૂનાગઢ, © ધનિક ગોહેલ જૂનાગઢ|Poetry|10 April 2018

– 1 –

• તો કેવું! •

થર થર કંપતા આ હાથને,
કોઈ ટેકો મળે તો કેવું!
મને સાથ આપવાનું કહી ને,
તે જ છોડી જાય તો કેવું!

વિચારોની ઊર્મિ પ્રગટે ને,
એને મુકામ મળે તો કેવું!
આપણા દૂષણો ડામવાને,
કોઈ મહામંત્ર મળે તો કેવું!

બારી વગરનાં મારા ઘરને,
માત્ર બારણાં હોય તો કેવું!
જેને આવવું હોય તે આવે ને,
મને વ્હાલ કરે તો કેવું!

મધદરિયે કોઈ પ્રેમિકા મળે ને,
મને પ્રેમી બનાવે તો કેવું!
અંતરની મારી આ વ્યથાને,
કોઇ ચોરી જાય તો કેવું!

યાદોની સરવાણી ફૂટે ને,
કોઈ મિત્ર મળે તો કેવું!
ને જીવનના પંથે પેલે પાર,
મને ઈશ્વર મળે તો કેવું!

•

– 2 –

• વેદના •

ખુદાના બનાવેલા આ સંસારમાં,
એ પોતે જ ભટકી ગયો છે આજ.

કોને હાકલ કરે? કોને સત્ય પૂછે ?
એ પોતે જ મુકબધિર બન્યો છે આજ.

પોતાના ઈશારે નચાવતો સંસારને,
એ પોતે જ પ્રેક્ષક બની ગયો છે આજ.

ન હતી ખબર એને કે આવું પણ થશે!
એ પોતે જ અવાક બન્યો છે આજ.

કેમ કરીને કહે પોતાની વેદના, ધનિક
એ પોતે જ દુઃખી બની ગયો છે આજ.

•

– 3 –

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું નિત્ય છું, હું સૌમ્ય છું.

હું આજનો નવીન ઉર્ષ છું

 

હું કવિ છું, હું જ કવિતા છું.

હું પ્રેમનો નવીન શબ્દ છું.

 

હું રાત છું, હું દિવસ છું.

હું ઊગતો નવીન સૂર્ય છું.

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું સંવેદના છું, હું લાગણી છું.

હું ભાવોની નવીન ઊર્મિ છું.

 

હું જન્મ છું, હું મૃત્યુ છું.

હું પ્રાણનો નવીન શ્વાસ છું.

 

હું પ્રેમી છું, હું વિરહ છું.

હું પ્રણયનો નવીન હકાર છું.

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

 

હું નદી છું, હું પર્વત છું.

હું જળનો નવીન ધોધ છું

 

હું સર્વ છું, હું સમાસ છું.

હું ઊંચાઈની નવીન ટૂંક છું

 

હા હું જ છું, હું ધનિક છું.

હું મારો નવીન આભાસ છું

 

હું નિબંધ છું, હું ગઝલ છું.

હું છંદનું નવીન કથન છું.

•

– 4 –

• દિલ •

હીંચકે ઝુલતા ઝુલતા યાદ આવી ગયું કોઈ,
પછી કોણ જાણે ક્યાં ખોવાઈ ગયું આ દિલ.

ધીરે ધીરે પ્રસરતી ગઈ ચારેકોર સુવાસ એની,
ન હતી ખબર કે સાલું લુભાય જશે આ દિલ.

મહેનત તો ખૂબ કરી પાછું લાવવા મૂળ સ્થાને,
પણ મજબૂતીથી જકડી રાખ્યું એણે આ દિલ.

કેમ કરીને પાછી લાવું મારી આ અમાનતને,
પ્રેમના ઘટ્ટ આવરણથી ઢંકાઇ ગયું આ દિલ.

હજી સમજતી નથી તું મારી આ લાગણીઓને,
હકીકતે તો તારામાં જ સમાઈ ગયું છે આ દિલ.

•

– 5 –

• ખોજ •

“મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

હરતા ફરતા દૈવીય શક્તિ રૂપ,
એ જ્ઞાની મહાપુરુષોને ખોજ.

તારા અજ્ઞાનને દૂર કરવા,
પ્રકાશ રૂપ દીવાને ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

અધ્યાત્મના પૂર્ણ દર્શનને કાજ,
ગીતાના એ અર્જુનને ખોજ.

પૂર્ણ રૂપના શરણે જવા,
એ પૂર્ણપુરુષોત્તમને ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

શબરીના બોર ચાખવા
એ ભક્તિ ભાવને ખોજ.

તારા અને મારા જીવનમાં,
પ્રેમ રૂપી ઔષધિ ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

રાક્ષસ રૂપી દુર્ગુણો ડામવા,
રામના એ ધનુષને ખોજ.

જીવનનું સત્ય સમજવા,
શમર્થ ગુરુનું શરણ ખોજ.

મળશે મંદિરમાં મોહન,
પણ કોઈના હૃદયમાં ખોજ.

•

– 6 –

• કા'ન •

આ વાંસળીને મોરપંખ મને આપી દે ને કા'ન.
મને પણ ગોપીઓ વચ્ચે રાસ રમવા દે ને કા'ન.

દ્વારિકાનાથને મથુરાનો બાળ થવા દે ને કા'ન.
મને પણ વૃંદાવનનો નટખટ બનવા દે ને કા'ન.

માખણ ને મિશરીનો ભોગ આરોગવા દે ને કા'ન.
મને પણ એ વિશ્વરૂપના દર્શન કરાવી દે ને કા'ન.

પીળું પીતાંબર ને કેસરી ખેસ પહેરવા દે ને કા'ન.
મને પણ સુદામાના એ તાંદુલ ચાખવા દે ને કા'ન.

રાધાનો પ્રેમ ને અર્જુનનું બળ આપી દે ને કા'ન.
મને પણ ગીતાનો ઉપદેશ સંભળાવી દે ને કા'ન.

આમ ક્યાં સુધી માંગતો રહીશ તારી પાસે કા'ન.
મને પણ હવે તું તારા જેવો જ બનાવી દે ને કા'ન.

e.mail : dhanikgohel96@yahoo.com

Loading

‘ રેવા’ – ગુજરાતી સિનેમાનો નવો નયનરમ્ય વળાંક

વિવેક કાણે ‘સહજ’, વિવેક કાણે ‘સહજ’|Opinion - Opinion|9 April 2018

ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખકોમાંના એક છે. એમની લેખનશૈલીની એક લાક્ષણિકતા એ છે કે એ બૂમ-બરાડા પાડીને, ભારપૂર્વક કે તાર સ્વરે ગાઈવગાડીને ક્યારે ય, કશું ય કહેતા નથી. એ હંમેશાં સામેની વ્યક્તિને સહમત કે અસહમત થવાની મોકળાશ રહે એ રીતે, હળવા, સંયમિત સ્વરે પોતાની વાત મૂકે છે.

એમની નવલકથા ‘તત્ત્વમસિ’ના પ્રાણ સમો આ સ્વર ‘રેવા’ની લેખક-દિગ્દર્શક જોડી રાહુલ ભોળે અને વિનીત કનોજિયાએ બરાબર પકડ્યો છે, એ એમની પ્રથમ અને સૌથી મોટી ઉપલબ્ધિ. ગંભીરમાં ગંભીર વાત હળવી શૈલીમાં, રમૂજી પ્રસંગો અને અસરકારક સંવાદો દ્વારા પ્રેક્ષકો સુધી પહોચાડવામાં દિગ્દર્શકો સફળ થયા છે. ફિલ્મને મનોરંજક બનાવવા માટે જરૂર પૂરતી નાટ્યાત્મકતા ઉમેરી છે, પણ ધ્રુવ ભટ્ટના મૂળ સ્વરને હાનિ પહોંચાડ્યા વિના.

જાગતિકીકરણ (Globalization) અને વ્યવસાય નિમિત્તે કે રોજીરોટી માટે માનવના સામૂહિક સ્થળાંતરને (Mass Migration) કારણે મનુષ્ય મૂળ સોતો ઉખડીને બીજા પ્રદેશ કે વિદેશની માટીમાં રોપાય છે અને પોતાની ઓળખ ગુમાવી બેસે છે. આપણે સૌ આજે ઓળખ-સંકટના (Identity Crisis) યુગમાં જીવી રહ્યા છીએ. ‘રેવા’ આવા ઓળખ-સંકટ સાથે ઝઝુમતા એક યુવાનની, શરૂઆતથી અંત સુધી આપણને જકડી રાખતી કથા છે.

અમેરિકામાં બાળપણથી જ દાદા સાથે ઉછરેલા યુવાનને દાદાના મૃત્યુ પછી જ્યારે ખબર પડે છે કે દાદાએ એમની millions of Dollarsની મિલકત ભારતમાં નર્મદા કિનારાના કોઈ આશ્રમને દાનમાં આપી દીધી છે, ત્યારે એના પર વીજળી તૂટી પડે છે. છતાં, દાદાના મૃત્યુપત્રમાં કરણ (ચેતન ધનાની) માટે એક આશાનું કિરણ છે. એ જો ત્રણ મહિનાની અંદર, નર્મદા કિનારાના પેલા આશ્રમમાં જઈ, ‘મિલકત કરણને મળે એમાં અમને કોઈ વાંધો નથી’ એવા પત્ર પર તમામ ટ્રસ્ટીઓની સહી મેળવી લાવે તો દાદાની સંપત્તિ એને મળી શકે. એશો-આરામ અને અય્યાશીમાં જીવવા ટેવાયેલો કરણ (ચેતન ધનાની) અમેરિકામાં ૩ million dollarsનું દેવું કરી બેઠો છે, એટલે એની પાસે નર્મદા કિનારાના આશ્રમમાં જઈને ટ્રસ્ટીઓની સહી લાવવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. આવી અટપટી અને વિચિત્ર વ્યવસ્થા ગોઠવવા પાછળ દાદાજીનો શું હેતુ છે, એ ફિલ્મમાં આગળ જતાં ધીરેધીરે ખૂલે છે.

અમેરિકામાં વેસ્ટર્ન વિચારધારામાં ઉછરેલા કરણના મનમાં ભારત વિશેની એક કાલ્પનિક છબી છે. એ નર્મદા કિનારાના અંતરિયાળ ભારતમાં આવીને જે જુએ છે એ તંતોતંત એના મનમાંની છબીને અનુરૂપ છે – વિચિત્ર માન્યતાઓ, અંધશ્રદ્ધા, મૂળભૂત સુવિધાઓનો અભાવ, હાડમારીભર્યું જીવન વગેરે. પણ મઝાની વાત એ છે કે આ જ બધી વાતો પાછળનાં ખરાં કારણો, આપણી સનાતન સંસ્કૃિતનાં પોત ઉપર અંકિત નર્મદા કિનારાના ભોળા નિષ્પાપ આદિવાસીઓની માન્યતાઓ, શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને આ બધા સાથે સહિષ્ણુતાથી, કળપૂર્વક કામ લેતાં લેતાં એમના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી રહેલા આશ્રમના હોદ્દેદારો, આ બધું કરણ સામે પરત-દર-પરત ખૂલતું જાય છે અને એમાંથી એને એની પોતાની ઓળખ જે રીતે ક્રમે ક્રમે સાંપડતી જાય છે એનો એક જકડી રાખતો આલેખ એટલે ‘રેવા’. પોતે અહીં એક બે દિવસથી વધુ રહી નહીં શકે એટલે બધા ટ્રસ્ટીઓની સહી મેળવીને ત્વરિત અમેરિકા પાછા ફરવાની કરણની યોજના કેવી રીતે વેરવિખેર થતી જાય છે અને એ આશ્રમમાં જ કેમ રહી પડે છે એ રસપ્રદ ઘટનાક્રમ માણવા માટે ‘રેવા’ ફિલ્મ જોવી જ રહી.

પ્રેમ એ મનુષ્યનો સ્થાયી ભાવ છે. ‘રેવા’માં પણ એક પ્રેમકથા છે, પણ એ પ્રેમકથા ખેંચીતાણીને લવાયેલી નથી. ફિલ્મના મૂળ આશય અને કથાનાં મૂળ પોત પર કલાત્મકતાથી ભરાયેલા બુટ્ટા જેવી આ પૂરક પ્રેમકથા છે અને માટે જ એ વધુ ચિત્તાકર્ષક લાગે છે. ધ્રુવ ભટ્ટના લેખનની આ વિશેષતાને પણ ફિલ્મ-સર્જકોએ યોગ્ય ન્યાય આપ્યો છે, એ માટે પણ એ અભિનંદનના અધિકારી છે.

રાહુલ ભોળે (દિગ્દર્શક), ચેતન ધનાની (નાયક), અપર્ણા તથા આ લેખના લેખક વિવેક કાણે ‘સહજ’

કરણના પાત્રમાં અભિનય મુખર (loud) થઇ જાય એવી પૂરે પૂરી શક્યતા હતી, પણ એમ ન થાય એનું બરાબર ધ્યાન રાખીને ચેતન ધનાનીએ પોતાના સંયમિત અભિનય દ્વારા એની અભિનય ક્ષમતા પુરવાર કરી છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. મોનલ ગજ્જરે અભિવ્યક્તિ માટે સંવાદો કરતાં પોતાની આંખો પાસેથી ધાર્યું કામ લઈને સુંદર અભિનય કર્યો છે. આ બધું સિનેમેટોગ્રાફર સૂરજ કુરાડે અને દિગ્દર્શકો સુપેરે સમજ્યા હોય અને આ એમની યોજનાનો ભાગ હોય એમ જણાઈ આવે છે, કારણકે મોનલની આંખોના ક્લોસપ વિપુલ માત્રામાં છે. ફિલ્મના અન્ય પાત્રોનો અભિનય પણ એકંદરે સારો થયો છે.

મધ્યપ્રદેશમાં વ્યાપક પ્રવાસ કરીને ડ્રોનથી કરાયેલી ફોટોગ્રાફી પણ નયનરમ્ય છે. એ દ્રશ્યોનો ઉપયોગ અને એકંદરે આખી ફિલ્મનું એડિટીંગ દિગ્દર્શકોની સૂઝનું પ્રમાણ આપે છે.

ફિલ્મનાં ગીતો અને સંગીત એકંદરે સરસ છે. પરંતુ ફિલ્મમાં સંગીતજલસાનો એક પ્રસંગ છે, જે ઉતાવળે, ટૂંકમાં આટોપી લેવાયો હોવાની છાપ પડે છે. ફિલ્મના સાંગીતિક પાસા માટે આ એક સોનેરી તક હતી, જેનો વધુ અસરકારક ઉપયોગ જો દિગ્દર્શકો કરી શક્યા હોત તો ફિલ્મને વધુ ઊંચાઈ મળી હોત.

આવી જુદા વિષયની આશય-સંપન્ન ફિલ્મની નીર્મિતીમાં પૈસા રોકવા માટે જીગર જોઈએ. પરેશ વોરાએ આ હિંમત કરીને દડો ગુજરાતી પ્રેક્ષકોના કોર્ટમાં ફંગોળ્યો છે. આવી ફિલ્મો માટે પોતે સજ્જ છે એ પુરવાર કરવાની જવાબદારી હવે ગુજરાતી પ્રેક્ષકની છે. ગુજરાતી પ્રેક્ષક એમાં ઊણો નહીં ઊતરે એવો પરેશની જેમ જ મને પણ વિશ્વાસ છે.

‘રેવા’ ગુજરાતી સિનેમાનો એક નવો, નયનરમ્ય વળાંક છે જે આગળના પ્રવાસની અનેક શક્યતાઓ ખોલી આપે છે.

ગુજરાતી સિનેમાને આગળના પ્રવાસ માટે અનેક શુભેચ્છાઓ.

સૌજન્ય :http://https://www.facebook.com/visahaj/posts/10213589588067650

Loading

...102030...3,1323,1333,1343,135...3,1403,1503,160...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved