Opinion Magazine
Number of visits: 9580275
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશીબાનું રસોડું

આનન્દરાવ લિંગાયત|Opinion - Short Stories|14 April 2018

‘હલો ….’

‘અલ્યા, કાશીબા આવ્યાં છે. તને બહુ યાદ કરે છે.’ પ્રવીણનો અવાજ હતો.

‘કાશીબા? આપણી કૉલેજવાળાં કાશીબા?’ મને આશ્ચર્યનો ધક્કો લાગ્યો.

‘કેવી રીતે આવ્યાં? એમની ઉંમર તો ..’

‘હું ઇન્ડિયા ગયો હતો. મારી સાથે પરાણે ખેંચી લાવ્યો છું. બીજી વાત પછી ..’ એણે ફોન મૂકી દીધો.

કાશીબાના હાથના રોટલા ખાઈને જ તો પ્રવીણ આજે શીકાગોનો મોટો શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયો છે.

મારી સ્મૃિતમાં રહેલી કાશીબાની યાદ સળવળી ઊઠી. એમની સાથે કશું સગપણ તો નહોતું. ‘દર મહિનાની પહેલી તારીખે પૈસા લો અને તમારે રસોડે અમને જમાડો.’ બસ, આ અમારું સગપણ. અમે કુલ ચાર વિદ્યાર્થીઓ હતા. નવા નવા કૉલેજના પહેલા વર્ષમાં દાખલ થયેલા. સાંકળમુકડ ભાડાની એક રૂમમાં રહેતા અને સામે આવતી જિન્દગી વિશેના જાતજાતનાં રંગબેરંગી સપનામાં રાચતા રહેતા.

કાશીબાના રસોડા વિશે પ્રવીણે જ કહેલું એટલે અમે એમને મળવા પહોંચી ગયેલા. અમારા રૂમની નજીક જ હતાં. જગ્યા બહુ નાની હતી. એક જ રૂમ હોય એવું લાગ્યું. એક ખૂણામાં પિત્તળના બે સ્ટવ પડ્યા હતા. સ્ટવની બાજુમાં એક નાના ખોખામાં દીવાસળીની પેટી, સ્ટવની એકબે પીન અને સ્ટવ સળગાવવાનો કાકડો પડ્યાં હતાં. બાજુના પાણિયારા પર બે માટલાં અને પિત્તળનો ડોયો લટકતો હતો. બારણા પાછળના ખૂણામાં ગ્યાસતેલનો ડબ્બો અને પંપ મૂકેલા હતા. લાકડાનો એક પટારો દેખાતો હતો એમાં એમની બીજી બધી ઘરવખરી હશે એવું લાગતું હતું.

‘આવો, ભૈ ….’ કાશીબા એક કથરોટમાં લોટ ચાળતાં હતાં. એ બંધ રાખી એમણે લોટની એ કથરોટ અને ચાળણી બાજુમાં મુક્યાં અને અમને આવકાર્યા. અમે પલાંઠી વાળીને નીચે ગોઠવાઈ ગયા.

‘નમસ્તે કાશીબા ….’ કહી મેં શરૂઆત કરી. ‘કાશીબા, અમારે તમારા રસોડામાં જમવાની ગોઠવણ કરવી છે.’

‘તમારા ચાર જણ માટે ?’

‘હા,’ મેં કહ્યું.

‘ભૈ, ચાર જણાનું રાંધવાનું તો મારાથી નહીં પહોંચી વળાય. અત્યારે મારે ત્યાં બે જણ જમે છે. એમાંથી એક જણ ભણી રહ્યો છે, એટલે એ જવાનો છે. એની જગ્યાએ હું એક જણને જમાડું. બહુ તો બે જણાને. ચારે જણાને તો નહીં. પણ ભૈ, તમને અહીં મારે ત્યાં આવવાનું કોણે કહ્યું?’

‘એણે જ. જે ભણી રહ્યો છે એ પ્રવીણે જ. અમે એમને ઓળખીએ છીએ .. એ હવે અમેરિકા જાય છે.’

‘એ તો મને કહેતો હતો કે પરદેશ જવાનો છે!’

‘એ જ, પરદેશ એટલે જ અમેરિકા. ત્યાં ભણવા જવાનો છે.’

‘એ મૂઓ, ભણવામાં બહુ હોશિયાર. પણ ખાવા–પીવામાં જરાયે ધ્યાન નહીં. ધમકાવીને પરાણે મારે એની થાળીમાં મૂકીને ખવરાવવું પડે. ભૈ, ઊગતું શરીર હોય એટલે શરીરને બરાબર પોષણ તો આપવું જ પડે ને! આ ભાવે ને પેલું ન ભાવે એવું નાના છોકરા જેવું કંઈ ચાલે? ચાર વરસથી હું એને જમાડતી આવી છું; પણ મારે તો રોજનો જ કકળાટ.’

એમ કહીને કાશીબા એકાએક ગળગળાં થઈ ગયાં. એમના ‘મૂઓ’ શબ્દમાં પણ વહાલ હતું. આંખો ને નાક લૂછી આગળ બોલ્યાં, ‘એ જમવા નહીં આવે તે દહાડે મને ….’ અમે ગમગીન બનીને કાશીબા તરફ જોતાં જ રહ્યા.

‘ભૈ, બહુ હારુ…. એ તો જ્યાં જશે ત્યાં ભણીને નામ કાઢશે. મને કહ્યા કરતો હતો કે અહીંની કૉલેજમાં પણ પોતે પહેલા નંબરે પાસ થાય છે. ભૈ, છોકરો ભલો અને સીધો છે. નોકરી કે ધંધો કરીને બહુ કમાશે. ફક્ત એના ખાવા–પીવાનું ધ્યાન રાખે એવી બૈરી એને મળી જાય, એટલે બસ.’

કાશીબાને ત્યાં જમનારા છોકરાઓ માત્ર એમના ‘ઘરાક’ જ નહોતા તે આ વાતચીત દરમિયાન મેં કાશીબાને બરાબર ઓળખી લીધાં. એ માત્ર પૈસા માટે રાંધવાવાળાં ‘રસોયણ બાઈ’ નહોતાં. પૈસા લઈને જમાડવા કરતાં કાળજી વધારે રાખતાં. સાથે ‘વાત્સલ્ય’ અને ‘માતૃત્વ’ પણ પીરસતાં.

કાશીબા હા–ના કરતાં રહ્યાં અને સમજાવી–પટાવીને મેં અમારા ચારેનું જમવાનું એમને ત્યાં ગોઠવી દીધું. પહેલા મહિનાના પૈસા પણ આપી દીધા. કાશીબાએ અઠવાડિયાની વાનગીમાં શું શું જમાડશે તે અમને સમજાવી દીધું. એક કડક સૂચના પણ આપી દીધી. થાળીમાં સહેજ પણ એંઠું રાખીને અનાજ અને પૈસાનો બગાડ પોતે નહીં ચલાવી લે. ભાવે કે ન ભાવે, બધું જ ખાવાનું.

કાશીબાની મારા પર બહુ ઊંડી અને ઉમદા છાપ પડી. વિધવા હતાં. પચાસેકની ઉમ્મર, પ્રેમાળ અને સૌમ્ય ચહેરો. એકલે હાથે જિન્દગી સામે ટક્કર ઝીલી રહ્યાં હોય એવું લાગ્યું.

*  *  *

ચારેક મહિના વિત્યા. અમારું ભણતર બરાબર ગોઠવાઈ ગયું હતું. કાશીબાને ત્યાં જમવાનું તો અમે ધાર્યું હતું તેના કરતાં ક્યાં ય વધારે સારી રીતે જામી ગયું હતું. અમે ચારે જણા એકસાથે જમવા જઈ શકતા નહોતા. મને બે ત્રણ ટ્યુશનો મળી ગયાં હતાં. એટલે હું અનિયમિત થઈ ગયો હતો. પણ કાશીબા મારી થાળી બરાબર ઢાંકીને મારી રાહ જોતાં. હું પહોંચું કે સ્ટવ પર બધું ફરી ગરમ કરીને મને વહાલથી જમાડતાં.

એક સાંજે હું જમતો હતો.

‘અલ્યા, પેલો રમણ ગઈકાલે સાંજે જમવા ન્હોતો આયો. આજે બપોરે પણ નહીં દેખાયો. કમ નો આયો ?’ દાળ પીરસતાં કાશીબાએ પૂછ્યું.

‘કાશીબા, એને શરદી–તાવ છે. એટલે સૂઈ રહ્યો છે.’

‘સાવ ભૂખ્યો? પેલા બે જણા આવીને જમી ગયા; પણ મને કશું કહ્યું નહીં! તુંયે મૂંગો રહ્યો છું.’ કાશીબાએ મને તતડાવ્યો.

એમણે તરત બે ઢેબરાં બનાવી નાખ્યાં. ચોખાની બે પાપડી શેકી નાખી. અભેરાઈ પરથી નાનું થરમસ ઉતાર્યું. આદુનો ઉકાળો બનાવીને તેમાં ભર્યો.

‘આ લઈ જા. ગરમ ગરમ એને પીવરાવજે. મસાલાવાળાં થેપલાં અને આ પાપડીથી એનું મોઢું સારું થશે. પેટમાં રાહત થશે. તમારી રૂમમાં બામ કે એવી કોઈ દવા રાખો છો ? નહીંતર આ ડબ્બી લઈ જા. એના કપાળે ઘસજે. સાજે–માંદે એકબીજાની કાળજી રાખતા રહો. ચાર ભાઈઓની જેમ પ્રેમથી જીવો. બાકી આ દુનિયામાં બીજું કંઈ નથી.’

*  *  *

દર રવિવારે કાશીબા અમને મીઠાઈ જમાડતાં. વાનગીઓ પણ વધારે બનાવતાં; પણ પછી સાંજે રસોડું બન્ધ ! એમને એટલો આરામ મળતો. અમે સાંજે ભૂખ્યા ન રહીએ માટે અમને થોડી મીઠાઈ અને બીજું કોરું સાથે બાંધી આપતાં.

એક રવિવારની સાંજે બસમાંથી ઊતરીને હું મારી રૂમે જતો હતો. સામે કાશીબા મળ્યાં. બહુ જ અસ્વસ્થ લાગતાં હતાં. એક હાથમાં શાકભાજીની મોટી થેલી હતી. બીજા હાથમાં નાની થેલી હતી. તે થેલી છાતી સરસી દાબીને ઉતાવળે પગલાં માંડતાં હતાં.

‘કાશીબા, લાવો, આ શાકની થેલી મને આપી દો. હું આવું છું તમારી સાથે.’ પરાણે મેં થેલી લઈ લીધી. અમે કાશીબાની ઓરડીએ પહોંચ્યાં. કાશીબાએ ચાવી કાઢીને તાળું ખોલ્યું. મેં શાકની થેલી દીવાલ પાસે મૂકી. પેલી નાની થેલી કાશીબા ખીંટી ઉપર લટકાવવા જતાં હતાં; પણ થેલી નીચે પડી ગઈ. એમાંથી ફ્રેમ કરેલો એક ફોટો બહાર પડ્યો.

‘આ કોનો ફોટો છે, કાશીબા?’ ફોટો ઊઠાવતાં મેં પુછ્યું.

કાશીબા ધ્રૂસકે ચડી ગયાં.

‘બેટા આ મારો એકનો એક દીકરો હતો. એ અને એના બાપા બન્ને જણા એક ખટારાની હડફેટમાં આવીને ગુજરી ગયા. આજે હોત તો તારી ઉમ્મરનો હોત. આજે એનો જન્મ દિવસ છે. એટલે મંદિરે પગે લગાડવા લઈ ગઈ’તી.’

કાશીબાને ત્યાં જમતા બધા છોકરાઓમાં એમને એમના આ દીકરાનું પ્રતિબિમ્બ દેખાતું હશે. માટે જ આટલો પ્રેમ આપીને બધાને લાડથી જમાડતાં હશે.

આ સંસારમાં કાશીબા તો એકલાં જ હતાં.

સર્જક–સમ્પર્ક : 23834-Palomino Dr., Diamond Bar, CA 91765-USA

eMail:  gunjan_gujarati@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 398 –April 15, 2018

Loading

‘પંચ’ના પાંચ અવતાર

દીપક મહેતા|Opinion - Opinion|13 April 2018

કાળચક્રની ફેરીએ

આ વાત છે, ૧૯મી સદીની એક મુસાફરીની. કોઈ માણસની મુસાફરીની નહિ, પણ એક મેગેઝીન કહેતાં સામયિકની મુસાફરીની. અથવા ૧૯મી સદીમાં મેગેઝીન માટે વપરાતો શબ્દ વાપરીને કહીએ તો એક ચોપાનિયાની મુસાફરીની આ વાત છે. માત્ર પચીસ પાઉન્ડની મૂડીથી એ મેગેઝીનની શરૂઆત થઇ હતી. પણ પૂરાં ૧૬૧ વર્ષ સુધી એ પ્રગટ થતું રહ્યું. એટલું જ નહિ, એનું નામ બ્રિટન બહાર, યુરોપ બહાર, આખી દુનિયામાં જાણીતું થયું. દુનિયાના કેટલાયે દેશોમાં, કેટલીયે ભાષાઓમાં એના અનુકરણ રૂપે, અથવા તો આજની રીતે કહીએ તો એમાંથી ‘પ્રેરણા લઈને’ મેગેઝીન શરૂ થયાં. વિક્ટોરિયન યુગના બ્રિટનમાં કઠપૂતળીના ખેલો લોકપ્રિય હતા. એ ખેલોમાંના એક જાણીતા પાત્રના નામ ઉપરથી એ મેગેઝીનનું નામ રખાયું ‘પંચ.’ તો પંચ નામના પીણામાં જેમ જુદાં જુદાં પીણાંનું મિશ્રણ હોય છે તેમ અહીં પણ રાજકારણ, હાસ્ય-કટાક્ષ, અને કાર્ટૂનનું અફલાતૂન મિશ્રણ થતું. થેકરે અને પી.જી. વૂડહાઉસ જેવા વિખ્યાત હાસ્યકારોનાં લખાણો પણ તેમાં પ્રગટ થતાં. પણ બહોળો ફેલાવો મળ્યો તે તો તેમાં છપાતાં કાર્ટૂનને પ્રતાપે. વર્ષો સુધી ‘પંચ’ અને ‘કાર્ટૂન’ એ બે શબ્દો એકબીજાના પર્યાય બનીને રહ્યા. પહેલો અંક ૧૮૪૧ના જુલાઈની ૧૭મી તારીખે પ્રગટ થયો. વખત જતાં ‘પંચ’ બ્રિટનની એક રાષ્ટ્રીય સંસ્થા જેવું બની રહ્યું.

ઓગણીસમી સદીના હિન્દુસ્તાનમાં ઘણી વસ્તુઓ બ્રિટનની વસ્તુઓના અનુકરણ રૂપે શરૂ થઇ. પહેલું દેશી ‘પંચ’ ૧૮૫૯ના જૂનની ૧૩મી તારીખે શરૂ થયું. દિલ્હીથી પ્રગટ થતા આ મેગેઝીનનું નામ હતું ‘ધ ઇન્ડિયન પંચ.’ એ પ્રગટ થયું અંગ્રેજીમાં. એનું છાપકામ પણ જરા આગવી રીતે થતું. તેમાંનું લખાણ મૂવેબલ ટાઈપ વાપરીને છપાતું, જ્યારે ચિત્રો, કાર્ટૂન શિલાછાપથી છપાતાં.

ઇન્ડિયન પંચ પછી લખનૌથી ઉર્દૂમાં ‘અવધ પંચ’ શરૂ થયું. ૧૮૫૬માં જન્મેલા મુનશી મહમ્મદ સજ્જાર હુસેને એ શરૂ કરેલું. તેનો પહેલો અંક ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૬મીએ પ્રગટ થયો. ‘શૌક’ અને ‘વઝીરઅલી’ નામના બે ચિત્રકારો તેને માટે કાર્ટૂન તૈયાર કરતા. ‘શૌક’ના ઉપનામથી કાર્ટૂન તૈયાર કરનાર હકીકતમાં ગંગાસહાય નામનો એક હિંદુ ચિત્રકાર હતો. છેક ૧૯૩૬ સુધી તે ચાલુ રહ્યું હતું. ‘અવધપંચ’ના અનુકરણમાં લાહોરથી ‘દિલ્હી પંચ’ અને ‘પંજાબ પંચ’ નામનાં બે મેગેઝીન શરૂ થયાં.

પછી ‘પંચ’ આવ્યું ઉત્તર હિન્દુસ્તાનથી પશ્ચિમ હિન્દુસ્તાન. અંગ્રેજોનાં ભાષા, શિક્ષણ, રીતરિવાજ, રહેણીકરણી, વગેરે અપનાવવામાં પારસીઓ અગ્રેસર હતા. દાદાભાઈ અરદેશર શોહરી નામના એક પારસી સજ્જને ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી ‘પારસી પંચ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. બરજોરજી નવરોજી તેના તંત્રી હતા. પહેલા અંકમાં ‘આ ચોપાનિયું કાઢવાની મતલબ’ નામના તંત્રીલેખમાં જણાવ્યું હતું: “જેઓ પોતાની જાહેર ફરજો બરાબર અદા નાહી કરશે તેઓના શોંગ કાઢી ચીતારેઆમાં આવશે કે તેઓની હશી થાએઆથી બીજાઓ કશુર ભરેલાં તથા નાલાએક કામો કરવાને આચકો ખાએ.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ડેમી ક્વોર્ટો સાઈઝનાં આઠ પાનાંનો અંક આવતો. વાર્ષિક લવાજમ ૬ રૂપિયા. દરેક કાર્ટૂનની નીચે (અને ઘણાં કાર્ટૂનની અંદર પણ) અંગ્રેજી અને ગુજરાતી, એમ બે ભાષામાં લખાણ મૂકાતું. પણ તેની એક ખાસિયત એ હતી કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને તે લખાણ મૂકાતું નહિ, પણ બંને ભાષાનું લખાણ સ્વતંત્ર રીતે તૈયાર થતું. એકંદરે ગુજરાતી લખાણ વધુ સચોટ લાગે તેવું રહેતું. માત્ર દસ મહિના ચાલ્યા પછી આ અઠવાડિક બંધ પડ્યું. પણ પછી ૧૮૫૭ની શરૂઆતથી નાનાભાઈ પેશતનજી રાણાએ અસલ નામ કાયમ રાખી તે ફરી શરૂ કર્યું. તે વખતે દાદાભાઈ એદલજી પોચખાનાવાલા અને નાનાભાઈ તેના જોડિયા અધિપતિ (તંત્રી) બન્યા. પણ તેમણે પણ માંડ એક વર્ષ સુધી તે ચલાવ્યું. ૧૮૫૮થી યુનિયન પ્રેસના સ્થાપક-માલિક નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમના ખાસ મિત્ર અરદેશર ફરામજી મૂસે તે ખરીદી લીધું. પણ એ જ વર્ષના જુલાઈની છઠ્ઠી તારીખે તે બંનેએ એ ચોપાનિયું મનચેરશા બેજનજી મેહરહોમજીના અને ખરશેદજી શોરાબજી ચાનદારૂને વેચી નાખ્યું. અને તેમણે એ જ વર્ષના નવેમ્બરની પહેલી તારીખે પચીસ વર્ષના એક યુવાન, નામે નશરવાનજી દોરાબજી આપઅખત્યારને વેચી દીધું.

પાંચેક વર્ષના ગાળામાં આટલી ઝડપથી માલિકો બદલાયા તે ઉપરથી એવું અનુમાન થઇ શકે કે ખરીદનારાઓમાંથી કોઈ ‘પારસી પંચ’ને સફળતાપૂર્વક ચલાવી શક્યું નહિ હોય. કારણ કમાઉ ચોપાનિયાને કોઈ વેચે નહિ. પણ આ બધા જે ન કરી શક્યા તે નશરવાનજી દોરાબજી આપઅખત્યાર કરી શક્યા. ૧૮૭૮ના જૂનની ૨૦મી તારીખે ૪૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ‘પારસી પંચ’ સફળતાથી ચલાવ્યું, એટલું જ નહિ તેને એક ગણનાપાત્ર સામયિક બનાવ્યું. આ નશરવાનજીની મૂળ અટક તો હતી ‘દાવર.’ પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે ૧૮૫૪ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે ‘આપઅખત્યાર’ નામનું દર બુધવારે પ્રગટ થતું ચોપાનિયું શરૂ કર્યું, અને થોડા વખત પછી તેમણે ‘આપઅખત્યાર’ને પોતાની અટક બનાવી દીધી. તેમણે ૧૮૬૫ સુધી ‘આપઅખત્યાર’ ચલાવ્યું, અને પછી ૧૮૬૬ના પહેલા દિવસથી તેને ‘પારસી પંચ’ સાથે જોડી દીધું. નશરવાનજીના અવસાન પછી ૧૮૮૮માં નામ બદલાઈને ‘હિંદી પંચ’ થયું. નશરવાનજીના અવસાન પછી તેમના દીકરા બરજોરજી આપઅખત્યારે તે હાથમાં લીધુ ત્યારે તેમની ઉંમર પણ ૨૧ વર્ષની હતી. ૧૯૩૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે ૭૪ વર્ષની ઉંમરે બરજોરજીનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ‘હિન્દી પંચ’ના માલિક અને અધિપતિ રહ્યા. બરજોરજી વિષે ‘પારસી પ્રકાશ’ લખે છે: “જાહેર સવાલો ઉપરની એમની રમૂજ, એમનામાં સમાયેલી ઊંચી કુદરતી બક્ષેસ અને ઓરીજીનાલીટીનો ખ્યાલ આપતી હતે.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ઘણાં વરસ રૂખ અંગ્રેજ-તરફી વધુ રહી હતી. પણ વખત જતાં તે ‘દેશી’ઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતું થયું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલી રંગભેદ વિરોધી ચળવળને વ્યંગ ચિત્રો દ્વારા તેણે સબળ ટેકો આપેલો. તેમાં દર અઠવાડિયે કોઈને કોઈ રાજકીય નેતાનું કાર્ટૂન પ્રગટ થતું. દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિન્દ રાનડે, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા, નારાયણ ગણેશ ચંદાવરકર વગેરે નેતાઓનાં કાર્ટૂન તેમાં પ્રગટ થયેલાં. તેમાંનાં કાર્ટૂનો તરફ બ્રિટન અને યુરોપના લોકોનું પણ ધ્યાન ગયેલું. વિલ્યમ ટી. સ્ટીડે તેમના ‘રિવ્યુ ઓફ રિવ્યૂઝ’ માસિકના અંકોમાં ‘હિંદી પંચ’માંનાં ઘણાં કાર્ટૂન પુનર્મુદ્રિત કરેલાં. બીજી એક નોંધપાત્ર વાત એ છે કે ‘હિંદી પંચ’નો મુખ્ય ચિત્રકાર ગુજરાતીભાષી પારસી કે હિંદુ નહોતો, પણ મરાઠીભાષી હતો. બાજીરાવ રાઘોબા ઝાઝું ભણ્યો નહોતો કે નહોતી તેણે ચિત્રકલાની તાલીમ લીધી. પહેલાં તે હસ્તપ્રતોમાં ચિત્રો દોરતો. પછી કાર્ટૂન દોરતો થયો. અસલ લંડનના પંચના કાર્ટૂનિસ્ટ ટેનિયલે તેનાં કાર્ટૂન જોયા પછી કહ્યું હતું કે ‘આ માણસ તો મુંબઈનો ટેનિયલ છે.’ બાજીરાવ પછી તેના જ એક કુટુંબીજન કૃષ્ણાજી બળવંત યાદવ ‘હિન્દી પંચ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા, અને ૧૯૩૧માં તે બંધ પડ્યું ત્યાં સુધી તેમાં કામ કરતા રહ્યા.

પારસી પંચ(પાછળથી હિન્દી પંચ)માંથી પ્રેરણા લઈને મરાઠીમાં ‘હિંદુ પંચ’ મુંબઈ નજીકના ઠાણેથી શરૂ થયું. ઠાણેથી નીકળતા ‘અરુણોદય’ની હરીફાઈમાં ગોપાલ ગોવિન્દ દાબક નામના પત્રકારે પહેલાં ‘સૂર્યોદય’ નામનું ચોપાનિયું કાઢ્યું. ત્યાર બાદ ૧૮૭૨ના માર્ચની ૨૧મી તારીખે તેમણે ‘હિંદુ પંચ’ શરૂ કર્યું. એ પણ તેમના સૂર્યોદય છાપખાનામાં છપાતું. તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા દસ આના હતું. લોકહિતવાદી ગોપાળ હરિ દેશમુખ તેમાં નિયમિતપણે લખતા. વામન બાળકૃષ્ણ રાનડે દાબકેના સહાયક હતા. ઘડપણને કારણે દાબકેએ ૧૮૨૯મા ‘હિંદુ પંચ’ ગણેશ કૃષ્ણ શહાણે અને આપાજી ગોપાળ ગુપ્તેને વેચી દીધું અને પોતાના વતન પેણમાં રહેવા ચાલ્યા ગયા. ૧૯૦૪ સુધી શહાણે અને ગુપ્તેએ એ ચલાવ્યા પછી પોતાના હરીફ ‘અરુણોદય’ના માલિક ફડકેને વેચી દીધું. પણ ૧૯૦૯માં ‘હિંદુ પંચ’ અને ફડકે બેવડી મુશ્કેલીમાં સપડાયા. ૧૯૦૮માં લોકમાન્ય ટીળકને છ વર્ષની જેલની સજા થઇ ત્યારે ફડકેએ એ ચુકાદાની અને સરકારની આકરી ટીકા કરી. સાથોસાથ આ સજા માટે ગોપાલ કૃષ્ણ ગોખલે જવાબદાર છે એવો આક્ષેપ પણ છાપ્યો. ગોખલેએ તે અંગે બદનક્ષીનો દાવો માંડ્યો. કોર્ટે ફડકેને પાંચ રૂપિયાનો દંડ કર્યો અને ગોખલેને દાવા અંગે થયેલો ખર્ચ પણ ભરપાઈ કરવા જણાવ્યું. બીજી બાજુ સરકારે હિંદુ પંચનું છાપખાનું જપ્ત કર્યું. ‘અરુણોદય’ સામયિક સામેના બીજા એક ખટલામાં પણ ફડકેને સજા થઇ, અને અરુણોદય તથા હિંદુ પંચ બંધ થયાં. ફડકેની આવી માઠી દશા જોઈ ગોખલેને પારાવાર દુઃખ થયું અને ફડકેને બોલાવી તેમને આર્થિક મદદ કરી! એટલું જ નહિ, ૧૯૨૦માં ફડકેનું મૃત્યુ થયું ત્યાં સુધી ગોખલે અવારનવાર તેમને મદદ કરતા રહ્યા.

લંડનનું ‘પંચ’ ૧૫૦ વર્ષ સુધી પ્રગટ થયા પછી સતત ઘટતા જતા વેચાણને કારણે ૧૯૯૨માં બંધ કરવું પડ્યું. ૧૯૯૬માં તેને ફરી બેઠું કરવાનો પ્રયત્ન થયો પણ તેને ઝાઝી સફળતા મળી નહિ. ૨૦૦૨માં તે કાયમ માટે સમેટાઈ ગયું, કારણ તેનું અવતાર કાર્ય પૂરું થયું હતું. પણ હજી આજે ય અંગ્રેજીભાષીઓ અસલ ‘પંચ’ને ભૂલ્યા નથી. આપણે ‘પારસી પંચ’ અને ‘હિન્દી પંચ’ જેવા તેના અવતારોને સદંતર ભૂલી ગયા છીએ.

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

(“શબ્દસૃષ્ટિ”, અૅપ્રિલ 2018)

Loading

શિક્ષણમાં સીધું અંગ કયું?

રોહિત શુક્લ|Samantar Gujarat - Samantar|12 April 2018

પેલા શિયાળ અને ઊંટનો વાર્તાલાપ કવિ દલપતરામે ઠીક વર્ણવ્યો છે. ઊંટ ફરિયાદ કરતાં કૂતરાની વાંકી પૂંછડી, ભેંસના વાંકાં શિંગડાં અને વાઘના વાંકા નખની ટીકા કરે છે. ઊંટને દુનિયામાં બધું જ વાંકું દેખાય છે. પણ શિયાળ ધીમે રહીને કહે છે, ‘અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.’ જેના બધાં જ અંગ વાંકાં છે તેવું ઊંટ બીજાની ટીકા કરે છે. શિક્ષણની બાબતમાં આપણા આ ‘વાઈબ્રન્ટ’, ‘ગતિશીલ’ અને ‘પ્રગતિશીલ’ ગુજરાતમાં દેશનાં અન્ય રાજ્યો અને અન્ય પક્ષોની સરકારના મુકાબલે જે ‘વાંકાપણું’ વર્તે છે તે જોતાં દલપતરામની આ કવિતા યાદ આવે તે સ્વાભાવિક છે.

પ્રાથમિક શિક્ષણમાં પૂરતી સંખ્યામાં સલામત ઓરડા નથી. ઘણી શાળાઓને કંપાઉન્ડ વોલ નથી અને ઘણામાં છોકરીઓ માટેનાં અલગ શૌચાલયો પણ નથી. વોટરએઈડ નામની સંસ્થાએ ૨૦૧૭નો અહેવાલ સમગ્ર દેશ માટે પ્રકાશિત કર્યો છે. તે કહે છે કે ભારતમાં સંડાસની સગવડ વગરના કુલ ૭૩.૨ કરોડ લોકો છે. લગભગ ૩૫.૫ કરોડ સ્ત્રીઓ અને બાળાઓએ ખુલ્લામાં જ કુદરતી હાજતે જવું પડે છે. આ રિપોર્ટ લખે છે કે જો આ બધા કતારબંધ ઊભા રહે તો પૃથ્વીના ચાર આંટા થાય! જુલાઈ ૨૦૧૭નો ‘ઇન્ડિયા સ્પેન્ડ’નો અહેવાલ જણાવે છે, છોકરીઓ શાળામાં પ્રવેશ લેતી નથી અથવા વહેલી છોડી દે છે તેનું કારણ સંડાસની સગવડનો અભાવ છે. ગ્રામીણ ભારતની ૨૩ ટકા કન્યાઓએ શાળા છોડવાનું કારણ આ સગવડનો અભાવ ગણાવ્યું છે. ભારતની આ એકંદર પરિસ્થિતિ કરતાં ગુજરાત વધારે ખુશી ઉપજે તેવી હાલતમાં નથી.

જરૂરી અને પૂરતા શિક્ષકોની ભરતી ન કરવી, જેમની ભરતી કરાય તે કચડાઈ જાય તેવો ઓછો અને બાંધ્યો પગાર આપવો. જાત-જાતનાં કારણો ઊભાં કરી સભાઓમાં સંખ્યા-ટોળાં સર્જી પોતાની લોકપ્રિયતા બતાવવી, મેલેરિયા, વસતિ ગણતરી, ચૂંટણી, રોગ નાબૂદી, ટીકાકરણ, મતદાર યાદી સુધારણા વગેરે જેવાં કામોમાં આ કચડાયેલા શિક્ષકોને જોતરવા તે બધું હવે સામાન્ય ગણાય છે. પણ પછી ‘ગુણોત્સવ’ થાય ત્યારે સ્વાભાવિક જ સાંપડતાં ચિંતાજનક પરિણામોને ચર્ચા માટે મૂકવાને બદલે સંતાડવામાં આવે છે.

૨૮મી માર્ચ, ૨૦૧૮ના સમાચાર છે કે આરટીઈનાં સાત વર્ષ પૂરા થવા નિમિત્તે યોજાયેલ એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી લોકરે કહ્યું છે કે ભારતમાં માત્ર ૪ ટકા શાળાઓ આરટીઈનાં ધોરણોનો અમલી કરી શકી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુણવત્તા અને જરૂરી સગવડો સિવાયનો ફી અને સંચાલકોની જોહુકમીનો પણ ગંભીર મુદ્દો છે. છેલ્લા લગભગ એક વરસથી ફીના મુદ્દે સરકાર શાળા સંચાલકો સામે કડક થઈ શકતી નથી. ધરણા કે શાંત દેખાવો કરવા વાસ્તે એકઠા થવા માંગનાર ઉપર કડક પગલાં ભરતી સરકારને, વધારે તો સામેની સેનામાં શાળા સંચાલકો દેખાય ત્યારે હાથમાંથી ગાંડીવ ધનુષ સરી જતું લાગે છે, સરકારને ‘અર્જુન વિષાદ યોગ’ થઈ આવે છે. શાળા સંચાલકોમાં ‘મામકા’ જોઈને સરકારનું શૂરાતનપણું કોકડું વળી જાય છે. આખા રાજ્યની અનેક શાળાઓનાં વાલી મંડળોએ ફીના નામે ચાલતી લૂંટનો વિરોધ કર્યો છે. પણ તેમાં ઉકેલની દિશામાં કોઈ પગલાં ભરવાને બદલે સરકાર બને તેટલો સમય વેડફે રાખે છે. કેન્દ્ર કક્ષાએ રાતોરાત નોટબંધી કે જી.એસ.ટી. દાખલ કરવામાં પાવરધી સરકારને શિક્ષણના આ તમામ પ્રશ્નોની બાબતમાં ‘કાન પે જૂ નહીં રેંગતી’ જેવો ઘાટ થાય છે.

આ સાથે છેલ્લાં ઘણાં વર્ષોથી, અનુદાનિત સંસ્થાઓ પ્રત્યેના વલણને પણ જોડવું રહ્યું. ખાનગી સંસ્થાઓ માત્ર નફાખોરી વાસ્તેના પોતાના મામકાઓની બની રહે અને તેની સામે મજબૂત વિકલ્પ આપી શકે તેવી અનુદાનિત સંસ્થાઓને તોડી પડાય, તે આ સરકારનો, હવે છૂપો નહીં રહેલો એજન્ડા છે.

કૉલેજ અને યુનિવર્સિટીના શિક્ષણમાં તો આ વલણ માત્ર પ્રત્યાઘાતી જ નથી રહ્યું, આત્મઘાતી બની ચૂક્યું છે. હમણાં જ રાજ્યમાં શિક્ષણની ત્રણ કૉલેજોને તાળાં મારવાની નોબત આવી ત્યારે આ સરકારને લાગ્યું હશે કે ‘હા, હોં થોડાક અધ્યાપકોની ભરતી તો કરવી પડશે.’ પ્રિન્સિપાલો વગરની કૉલેજો હવે કોઈ નવાઈની વાત નથી. ગ્રંથપાલો વગરનાં ગ્રંથાલયો, વ્યાયામ શિક્ષક વગરનાં મેદાનો અને ખેલ-મહાકુંભો, અધ્યાપકો વગરના સેમેસ્ટર અભ્યાસો, પટાવાળા કે કારકુન વગરની વ્યવસ્થા એ કોઈ નવાઈની બાબત નથી. પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના આખા ક્ષેત્રમાં નહીં પુરાયેલાં સ્થાનોની સંખ્યા ૫૦,૦૦૦ને આંબી જાય છે.

આ પ્રકારના નીંભર મૌન સાથેના અને સંવેદનહીન વલણને કારણે ગુજરાતના યુવાધનની એક આખી પેઢી ખતમ થઈ ગઈ છે. યુવાઓમાં ઘેરી હતાશા ફરી વળી છે. મોટાં શહેરોમાં મનોચિકિત્સક ડૉક્ટરોનાં દવાખાનાં આવા રોગીઓથી ઊભરાઈ રહ્યાં છે. પણ સરકાર જેનું નામ …! આમ છતાં, સરકાર તરફથી આટઆટલા અવરોધો છતાં કેટલીક સંસ્થાઓ હજુ પણ શિક્ષણને પૂર્ણપણે સમર્પિત રહીને સમાજનું કાર્ય કરી રહી છે.

સવાલ ઉઠાવવો હોય તો એવો પણ ઉઠાવી શકાય કે આ નીંભરતા સરકારના કયા પાસાંની દેન છે. સત્તાધારી પક્ષની ચૂંટાયેલી પાંખના મહાનુભાવો સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા બાબતે વિચારતા જણાયા છે, પરંતુ તેનો અમલ થઈ શકતો નથી. પ્રધાન ઇચ્છે છતાં અમલ ન થાય તે માટે કોણ કારણભૂત હોઈ શકે તે સમજવું અઘરું નથી. આ મહાનુભાવો ગુજરાતની ભાવિ પેઢીના હિતનો જ વિચાર કરતી હશે ને! ગુજરાતના યુવાધનને સારું શિક્ષણ ન મળે, શિક્ષણ ખૂબ ખર્ચાળ અને મોંઘું બને અને શિક્ષક કે અધ્યાપકો વગર જ શિક્ષણ થાય તેને જ ઉત્તમ શિક્ષણ ગણવામાં આવી ગયું છે. આવા તંત્ર અને આવા મહાનુભાવો શિક્ષણની કોફિન ઉપર ખીલા ઠોકતા જ જાય છે.

પ્રાથમિક, ઉચ્ચ અને ટેક્‌નિકલ એવી વિવિધ શાખા-પ્રશાખામાં ફેલાયેલા આ શિક્ષણ નામના પ્રાણીનું એક પણ અંગ સીધું કે સુરેખ નથી. જો ગુજરાતના વિકાસના મોડલની અંતર્ગત એવી આ પદ્ધતિનો રાષ્ટ્ર કક્ષાએ વિનિયોગ થશે તો માત્ર નિરાશા જ વધશે. તાજેતરમાં એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ભારતના એન્જિનિયરો રશિયા અને ચીનના એન્જિનિયરોની તુલનાએ નવા વિચારો અને નવોન્મેષોની બાબતમાં સાવ પછાત છે.

સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાતમાં શિક્ષણને આધુનિકતા અને તેની સાથેના સામાજિક નિસ્બતના વિચારથી ખાસ્સું વિખૂટું પાડી દેવાયું છે. ભારતના સ્તરે જે.એન.યુ., ટિસ ઇન્સ્ટિટ્યૂટ, જાધવપુર યુનિવર્સિટી, હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટી અને હવે ટિસ બાબતમાં સરકારના જે ઈરાદાઓ બહાર આવી રહ્યા છે તે શિક્ષણ માટે ઉત્સાહવર્ધક નથી. અને આ બધું અપૂરતું હોય તેમ ભારતીય રાષ્ટ્ર ભાવનાના પર્યાયરૂપે વિજ્ઞાન વિશેની અવૈજ્ઞાનિક બાબતોના, સરકારના ઉચ્ચ કક્ષાના મહાનુભવોનાં ઉચ્ચારણોનો છે. ભારતની પ્રાચીન ભવ્યતામાં આધુનિક વિજ્ઞાન કરતાં, પણ ભારતનું વિજ્ઞાન આગળ હતું એમ કહેવાનો કે તેવો પ્રચાર કરવાનો પ્રયાસ હવે હાંસીને પાત્ર ઠરતો જાય છે. પણ શિક્ષણ અને નવી પેઢીને જે નુકસાન થયું તે તો થયું જ ને!

અને આ બાબતે તાજતરમાં જ રાજ્ય સરકારને સાવધ કરવાનો એક પ્રયાસ ખુદ કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કર્યો પણ અન્યના જ ‘વાંકા’ દેખનારી સરકાર એમ શેની સ્વીકારે? હવે ‘કેગ’ – કમ્પ્ટ્રોલર ઍન્ડ ઍડિટર જનરલનો અહેવાલ (૨૫મી માર્ચ, ૨૦૧૮) રાજ્યની વિધાનસભામાં પેશ થયો છે. આ તટસ્થ સંસ્થા જણાવે છે કે ૨૦૧૨-૧૩માં દેશનાં રાજ્યોનો સરાસરી શિક્ષણ ખર્ચ રાજ્યોની જી.ડી.પી.ના ૧૭.૭૦ ટકા હતો. પરંતુ આ ‘વિકાસશીલ’, ‘ગતિશીલ’ ઇત્યાદિ ઇત્યાદિ રાજ્યનો ખર્ચ ૧૫.૨૮ ટકા હતો. ૨૦૧૬-૧૭માં સ્થિતિ સહેજ ‘સુધરી’ છે. અન્ય રાજ્યોનો સરાસરી ખર્ચ ઘટીને ૧૫.૨૦ ટકા થયો અને ગુજરાતનો ખર્ચ ૧૫.૬૦ ટકા થયો. આખા દેશની લીટી નાની કરી ત્યારે આપણી લીટી મોટી બની.

બીજી તરફ, ખેદજનક બાબત છે કે સરકારની અનુદાનિત અનેે અન્ય સરકારી શાળાઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનું શિક્ષણ આટલી દયાપાત્ર સ્થિતિમાં ક્યારે ય ન હતું!

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અૅપ્રિલ 2018; પૃ. 02 – 04 

Loading

...102030...3,1293,1303,1313,132...3,1403,1503,160...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved