Opinion Magazine
Number of visits: 9581854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોમનવેલ્થ ગેમ્સનો હુલ્લાસ !

નિરંજના દેસાઈ|Opinion - Opinion|20 April 2018

4થી અૅપ્રિલ 2018ના રોજ અમારા બ્રિટનનાં મહારાણીના અતિપ્રિય ને એમનાં હૃદયમાં સદાય વસેલા દેશો − હાજી, “કોમનવેલ્થ કન્ટૃીઝ”, જે એક જમાનામાં બ્રિટનની હકૂમત નીચે આ-રા-મથી કે પ્રમાદથી આનંદતા હતા, એ દેશોનું આ ભવ્ય સંમેલન − “રમત-ગમતનો અદ્વિતીય મેળાવડો” ઓસ્ટૃેલિયામાં, ક્વિન્સલેન્ડના ગોલ્ડકોસ્ટના વિશાળ સ્ટેિડયમમાં, ભારે દબદબાથી યોજાયો હતો. અફસોસ એ જ કે પહેલી વાર, વધતી ઉંમરને કારણે, મહારાણીના પ્રતિનિધિ તરીકે એમના પાટવી કુંવર – પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ અૉફ વેલ્સ, તેમના પત્ની સાથે પધાર્યા હતા.

ઉદ્દઘાટન વિધિ અત્યંત રોમાંચક ને ‘આલાગ્રાન્ડ’ હતી. ખાસ ધ્યાન પ્રેરે તથા અભિનંદનીય બાબત એ હતી કે એક વખતે જેઓને નહિવત્‌ કરવાના અનેક પ્રયાસો થયા હતા તે − ઓસ્ટૃેલિયાના આદિવાસીઓને ઉદ્દઘાટન વિધિમાં, શુકનપ્રેરિત અગ્રસ્થાન આપવામાં આવ્યું હતું. આ આદિવાસીઓએ તેઓના અત્યંત છટાદાર આદિવાસી નૃત્ય ને આદિવાસી રીત-રિવાજ મુજબ, પોતાની ભૂલાઈ જતી આગવી સંસ્કૃિતને, ઉદ્દઘાટન વિધિમાં તાદૃશ્ય રજૂ કરી હતી.

હવે મુખ્ય વાત પર આવીએ. આરંભમાં દરેક દેશના ખેલાડીઓ − ‘એથલીસ્ટ’ પોતાના દેશનો રાષ્ટૃધ્વજ ફરકાવતા ફરકાવતા, સંગીતના સૂરે કદમ મિલાવી ગૌરવભેર આવતા હતા. દૃશ્ય ખૂબ જ સુંદર હતું. વળી, સહુ, એક યા બીજી રીતે પોતાના દેશના રાષ્ટૃધ્વજના રંગોને આવરતા, પોતાના દેશના રાષ્ટૃીય પોષાકમાં સજ્જ થઈ કદમ મિલાવી ગૌરવભેર આગે કૂચ કરતાં હતાં. તે તે દેશનાં લોકો આ દૃશ્ય જોઈ કેટલો આનંદ ને ગૌરવ અનુભવતાં હશે!

અમે પણ અમારા મિત્રમંડળ સહિત, ચહા-નાસ્તાને ન્યાય આપતાં આ ભવ્ય કૂચનો આનંદ ટેલિવિઝન દ્વારા માણી રહ્યાં હતાં. ખાસ કરીને, આફ્રિકાના દેશોના ખેલાડીઓનો પોષાક અત્યંત સમુચિત, નયનરમ્ય તથા પોતાના દેશના રાષ્ટૃધ્વજને આબેહૂબ તાદૃશ કરતાં હતાં. અમે ખૂબ જ ઈન્તેજારીપૂર્વક ભારતની ટીમની કાગડોળે પ્રતિક્ષા કરી બેઠાં હતાં. અંદર અંદર થોડી ઘૂસપૂસ કરીને અમારા ધોળિયા મિત્રોને કહ્યું કે ભારતના રાષ્ટૃધ્વજના સુંદર – કેસરી, સફેદ, લીલા રંગોને આભૂષિત કરતો પોષાક ધરી ભારતીય ખેલાડીઓને જોઈ તમે મુગ્ધ થઈ જશો ! ને આ દૃશ્ય જોવા અમે મોંમાં તલસાંકળીનો કટકો ચગળતાં તલપાપડ થઈ બેઠાં હતાં. આ ત્રણ સુંદર રંગોનાં કૂરતા-કમીઝ, કે ઝભ્ભા, પંજાબી ડૃેસ સહિત દૂપટ્ટો કે કેસરી, સફેદ, લીલા રંગની સાડીોનાં દર્શન કદાચ થાય ! ને સ્મરણે ચડ્યું − અમે ભારતનો સ્વાતંત્રદિન ખૂબ જ ઉત્સાહભેર ઉજવતાં − એકલો સ્વાતંત્રદિન જ નહીં પણ આવા કોઈ મહા ઉત્સવ પ્રસંગે − કેસરી ઓઢણી, સફેદ બ્લાઉઝ ને સુંદર લીલા રંગનો ઘેરદાર ઘાઘરો પહેરી આઝાદીનાં ગીતો લલકારતાં ને નૃત્ય કરતાં. અત્રે, લંડનમાં બહેનોનું એક મંડળ – ભારતના રાષ્ટૃધ્વજના રંગોની સાડી પહેરી આનંદભેર 15મી અૉગસ્ટ ઉજવે છે ! તો આ ખેલાડીઓ તો ભારતના ને ભારતનું પ્રતિનિધિત્વ ધરી આ ઉત્સવમાં આવતાં હતાં. ખેર, મનુષ્યનું અળવીતરું મન આવા પ્રસંગે ક્યાંનું ક્યાં ય ઊપડી જાય છે ! 2012માં, અમારા લંડનમાં, ઓલિમ્પિકની રમગમતની ભવ્ય પરેડ ને તેમાં ઇન્ડિયાની ટીમના ‘ગોસ્મટાળા’ કો’કે યાદ કરાવ્યા ! અમે પ્રાર્થના કરી કે એવું અહીં ન બને ! અસ્તુ.

આખરે અમે કાગડોળે જે પરેડની રાહ જોતાં હતાં તેનું નામ બોલાયું : “નમસ્તે ઇન્ડિયા!” અમે આતુરતાથી કેસરી – સફેદ – લીલા રંગોનો માહોલ જોવા, ભારતનો રાષ્ટૃધ્વજ ઝાલી ઊભાં થયાં !! − ‘ઓહ ! નો !’ અમારાથી ચીસ પડાઈ ગઈ ! ભારતની ટીમ તદ્દન ‘કાળામસ’ સૂટમાં ! પુરુષો તો ઠીક પણ સ્ત્રીઓ સીખ્ખે ! − કૂચકદમ કરતાં દેખાયાં ! હા, રાષ્ટૃધ્વજનો રંગ કેસરી, સફેદ, લીલો જ હતો પરંતુ આખી ‘પલ્ટન’ ઘેરા કાળા રંગના ‘કોટ-પાટલૂન’માં ! અમે સાચ્ચેસાચ્ચ રડમસ થઈ ગયાં ! અમારાં ગોરાં દોસ્તો પણ આશ્ચર્યચકિત થઈ ગયાં ! અમને થયું કે કોના મૃત્યુની ‘કાણ’માં ભારતની ટીમ આવા વેષે નીકળી હતી ! કે પછી આટલાં વર્ષોની આઝાદી બાદ પણ અંગ્રેજોના શાસનને યાદ કરી, તેઓ જે પોષાક ને જે રંગનો પોષાક પહેરતાં હતાં તે આ ભવ્ય સમારોહમાં યાદ કરી, ‘ગોરારાજ્ય’ને બિરદાવતાં હતાં !! વળી કોઈકે કહ્યું કે ત્યાં ભારતમાં આ પરેડ જોઈ ત્યાંના લોકોને શું થયું હશે એ તો ભગવાન જાણે !!

ખેર ! અમારો તો ‘મૂડ’ જ ચાલ્યો ગયો. હાથમાં હજી ભારતનો રાષ્ટૃધ્વજ હતો તેને આદરથી ટેબલ પર મૂકી અમે બેસી પડ્યાં !!

60 Wilson Gardens, WEST HARROW, Middlesex HA1 4DZ

Loading

નીરુભાઈ દેસાઈ સન્માનપુરસ્કૃત ઉર્વીશ કોઠારી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 April 2018

નીરુભાઈ દેસાઈ સન્માનપુરસ્કૃત પત્રકાર, લેખક, હાસ્યલેખક, સંશોધક, બ્લોગર, પ્રકાશક અને હવે અધ્યાપક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા ઉર્વીશ કોઠારી ન માત્ર ગુજરાતી પત્રકારત્વની, ગુજરાતના નાગરિકસમાજની અને એકંદર જાહેરજીવનની એક વિરલ જણસ છે.

૪ ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં જન્મેલા ઉર્વીશ કોઠારીએ પોણા પાંચ દાયકાની જિંદગીમાં જે સવા બે દાયકાનું લેખન-પત્રકારત્વ કર્યું છે; તેણે આપણને, ગુજરાતને મળતાં મળે એવા લેખક-પત્રકારનો અહેસાસ કરાવ્યો છે.

“પત્રકારત્વના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી જોઈએ કે બનાવી શકાય”, એવો વિચાર ઊંડે-ઊંડે પણ જેમને કદી આવ્યો નહોતો, એવા કૅમેસ્ટ્રીમાં સ્નાતક ઉર્વીશભાઈએ પત્રકારત્વની વિધિવત્‌ તાલીમ વિના, ૧૯૯૫માં, ’અભિયાન’ મારફત ગુજરાતી પત્રકારત્વમાં પગરણ માંડ્યાં હતાં. મોટા ભાઈ બીરેન કોઠારીના અને કુટુંબના વાચન-સંસ્કાર તો હતા જ. મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલના બાયોલોજીના શિક્ષક અને જાણીતા ગઝલકાર હનીફ ‘સાહિલ’ પાસેથી બાયોલૉજી નહિવત્‌ અને રદીફ-કાફિયા ઠીકઠીક પ્રમાણમાં એ શીખ્યા. એમના હાસ્યવ્યંગલેખનની અનૌપચારિક શરૂઆત ૧૯૮૭માં બારમા ધોરણના અંતે સ્કૂલમાં યોજાયેલા વિદાય-સમારંભમાં ફિશપૉન્ડની તર્જ પર તેમણે ગુરુજનો અને સહપાઠીઓ વિશે કરેલા લખાણથી થયેલી. જેમ જૂનું ફિલ્મ-સંગીત એમ હાસ્યલેખન પણ ઉર્વીશભાઈની લેખન માટેની પહેલી પસંદગી. વીસેક વરસ (૧૯૯૯થી ૨૦૧૬) તેમણે નિયમિત અઠવાડિક હાસ્યલેખનની કૉલમ લખી. એમાંથી હાસ્યલેખનનાં ત્રણ માતબર પુસ્તકો પણ નીપજ્યાં છે : ‘બત્રીસે કોઠે હાસ્ય’ (૨૦૦૮), ‘જ્યાં જ્યાં હસે એક ગુજરાતી’ (૨૦૧૫) અને હાસ્ય લઘુનવલ ‘ભદ્રંભદ્ર અનામત આંદોલનમાં’ (૨૦૧૬). તેમના બ્લૉગ પર અંગ્રેજીમાં હાસ્ય-વ્યંગનાં લખાણો ‘ઓરિજિનલી ફૅકન્યૂઝ’ પણ થોડા સમય માટે આવ્યાં. ૨૦૦૮માં તેમના પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રાગટ્ય નિમિત્તે મિત્રો સાથે મળીને તેમણે યોજેલો પોતાની મોક કોર્ટ(હાસ્ય-અદાલત)નો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય-લેખનનાં ત્રણ પેઢીનાં તેમનાં પ્રિય એવાં નામોને એકસાથે મંચ પર રજૂ કરીને અભૂતપૂર્વ બની રહ્યો હતો.

રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, અિશ્વની ભટ્ટ, નગેન્દ્ર વિજય જેવાં ગુરુજનોની સાખે દૈનિક અને સામયિક પત્રકારત્વમાં ઉર્વીશ કોઠારીએ ગુણવત્તાને લગીરે આંચ ન પહોંચે એવું ‘ચોંપ અને ચુસ્તીવાળું’ જથ્થાબંધ લેખન કર્યું છે. જ્ઞાન-વિજ્ઞાનના માહિતીપ્રદ લેખો, રાજકીય, સામાજિક, આર્થિક વિશ્લેષણાત્મક લેખો, સિટી-પ્રોફાઇલ, સંશોધનાત્મક લેખો, સાંપ્રત ઘટનાઓ અંગેનું લેખન અને ‘ગુજરાત સમાચાર’ તથા ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીલેખો જેવાં બૃહદ્ ‌સ્તરે તેમનું પત્રકારત્વ-લેખન વિહરી ચૂક્યું છે. ગુજરાતનાં ત્રણેય મુખ્ય અખબારો ’ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘સંદેશ’ ઉપરાંત ‘અભિયાન’, ‘સિટીલાઈફ’, ‘આરપાર’, ‘દલિતશક્તિ’ અને ‘વૈશ્વિક માનવવાદ’માં તેમણે લેખન-સંપાદન કર્યું છે. ‘સમકાલીન’, ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’ અને ‘ગુજરાત ટાઇમ્સ’માં કૉલમલેખન કરનાર આ લેખક-પત્રકારે રીડિફ.કોમ અને ‘ધ પ્રિન્ટ’માં અંગ્રેજીમાં થોડું લેખન કર્યું છે. તો મિત્ર વિસ્તસ્પ હોડીવાલાએ તેમના થોડા લેખોનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે. ૨૦૦૮થી ‘ગુજરાતી વર્લ્ડ’ નામે એમણે બ્લૉગ લખવાનો શરૂ કર્યો, જેમાં આજે જાતભાતની આશરે ૧૪૦૦ પોસ્ટને હજારો વાચકો મળ્યા છે.

૧૯૯૬માં ‘અભિયાન’ છોડ્યા પછી ‘સંદેશ’માં પૂર્તિના સંપાદક તરીકે જોડાયા. ૨૦૦૧માં ‘સંદેશ’ની ફુલટાઈમ નોકરી છોડ્યા પછી કન્ટ્રીબ્યૂટર તરીકે થોડો સમય ઑફિસે જવાનું હોય એ રીતે છાપાં-સામયિકો-પ્રકાશનો સાથે એ જોડાયા … અને હવે તો એટલા પૂરતું પણ મીડિયાની ઑફિસમાં ગયા વિના, માત્ર ફ્રીલાન્સ લેખન-સંશોધન-અધ્યાપન કરવાનું નક્કી કર્યું છે. તેમની સામાજિક નિસબત અને ભીતરી સંવેદનાને માર્ટિન મૅકવાનના પરિચયે વધુ સંકોરી. એટલે ગુજરાતના કર્મશીલ જગતનો અને દલિત – સમસ્યાનો પરિચય થયો. … ૨૦૦૩થી ૨૦૧૪ સુધી તે ‘દલિતશક્તિ’ સામયિકના સંપાદક રહ્યા. ૧૯૩૦થી આરંભાયેલી ગુજરાતી દલિત પત્રકારત્વની યાત્રામાં ‘દલિતશક્તિ’નો દાયકો સીમાચિહ્નરૂપ છે. એંશી વરસના ગુજરાતી દલિત પત્રકારત્વમાં એક સર્વાંગસંપૂર્ણ દલિત સામયિકના જ્ઞાતિનાં ચોકઠાની રીતે, જન્મે બિનદલિત સંપાદક તરીકે ઉર્વીશ કોઠારીનું હોવું બહુ ગૌરવપ્રદ છે. ‘દલિતશક્તિ’ મારફત તેમણે ન માત્ર દલિત પત્રકારત્વને, દલિતસાહિત્યને ઊંચાઈ અને ઊંડાણ બક્ષ્યાં હતાં; ‘દલિતશક્તિ’ના એકાધિક વિશેષાંકોમાં આભડછેટ, અનામત અને આંબેડકર પરના વિશેષાંકો તો હોય જ પણ, હિંદી ફિલ્મો અને દલિતો કે ક્રિકેટમાં આભડછેટ અને જાતિભેદ જેવા દલિત પત્રકારત્વમાં ઓછા જાણીતા વિષયો પર પણ એમણે વિશેષાંકો કર્યા હતા.

ઉર્વીશ કોઠારી એક નોખા-અનોખા એટલા જ અભ્યાસુ લેખક-પત્રકાર-સંશોધક છે. ૨૦૦૨નો ‘આરપાર’નો હોળી હાસ્ય-વિશેષાંક એમણે એક પણ ગુજરાતી હાસ્યલેખકના હાસ્યલેખ વિના કર્યો હતો. ‘દલિતશક્તિ’ની જેમ ‘આરપાર’ના દશેક વિશેષાંકો આપણી સામયિક વિશેષાંકોની દુનિયામાં નવી ભાતના છે. સરદાર, ગાંધી અને જ્યોતીન્દ્ર દવે વિશેષાંકો તો ખરા જ. પણ જાહેરખબર, ફિલ્મ-સંગીત, પત્રલેખન, આત્મકથા અને ૨૦૦ યાદગાર પુસ્તકો વિશેના વિશેષાંકનાં સંપાદનો તેમણે કર્યાં હતાં. જ્યારે પત્રકાર તરીકે તે કારકિર્દીના મધ્યાહ્ને હતા, ત્યારે તેમણે પત્રકારત્વના વિદ્યાર્થી બનવું પસંદ કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ૨૦૧૨થી ૨૦૧૪ સુધી ભણીને તે પત્રકારત્વના અનુસ્નાતક થયા. આજે ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠમાં એ પીએચ.ડી. કરી રહ્યા છે અને તેમનો વિષય છે : ‘ગાંધીજીના નવજીવનનાં લખાણોમાં હિંદુ-મુસલમાન સંબંધોનું નિરૂપણ’. જ્યોતીન્દ્ર દવેના જીવન અને તેમના અગ્રંથસ્થ સાહિત્ય વિશેનું દોઢ દાયકાથી ચાલતું એમનું સંશોધન, એમને વગર માંગે પીએચ.ડી.ની ડિગ્રી આપવી જોઈએ, તે બરનું હોવાનું છે. ઉર્વીશ કોઠારીના અનોખાપણાનો એક વધુ પુરાવો ભારતમાં કદાચ ક્યાં ય ન ચાલતો હોય, તેવો ‘સેપ્ટ’ યુનિવર્સિટીની સમર સ્કૂલનો એમનો ત્રણ વીકનો કોર્સ, જેનો વિષય હતો, ‘રાજકીય કાર્ટૂનો દ્વારા ભારતના રાજકીય ઇતિહાસની સફર’. આ અનોખો કોર્સ, શીખનાર અને શીખવનાર-બેઉ માટે ‘મનમાં શિક્ષણનો જેવો ખ્યાલ હતો એવું શિક્ષણ આપવાનું શક્ય છે અને આપી શકાય છે એ વાતના સંતોષનો’ હતો. આવું જ કંઈક તે બેએક વરસથી હસિત મહેતાની સંગતમાં નડિયાદની જર્નાલિઝમ કૉલેજના અધ્યાપક તરીકે કરી રહ્યા છે.

પૂર્વી ગજ્જરના સહલેખનમાં લખાયેલું, ગુજરાતના દલિતોની અવદશા અને તેની સામે નવસર્જનના સંઘર્ષના સરવૈયાના દસ્તાવેજનું તેમનું  પુસ્તક ‘નોખા ચીલે નવસર્જન’ (૨૦૦૨) એ કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યોના દસ્તાવેજીકરણનો ઉત્તમ નમૂનો છે. ઉર્વીશ કોઠારીનું પ્રથમ પુસ્તક ‘સરદાર : સાચો માણસ, સાચી વાત’ (૨૦૦૫) અનેક અર્થોમાં અરૂઢ કહી શકાય તેવું છે. સરદાર વિશેની અનેક ઓછી જાણીતી સામગ્રીને કારણે વિપુલ સરદારસાહિત્યમાં આ પુસ્તક નોખું તરી આવે છે. સાહિત્ય પરિષદ અને અકાદમી દ્વારા તેમનાં પુસ્તકો પુરસ્કૃત થયાં છે. એપ્રિલ, ૨૦૧૩થી ઉર્વીશભાઈએ મિત્રો દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ સાથે મળીને સાર્થક પ્રકાશન શરૂ કર્યું છે. સાર્થક પ્રકાશનનાં પુસ્તકો ઉપરાંત તેનું અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ પણ ઉર્વીશભાઈના સંપાદનનો અને સામયિક માટેની તેમની દૃષ્ટિનો નમૂનો છે.

પત્રકારત્વમાં પ્રવેશ્યા ત્યારથી ઉર્વીશભાઈનો સ્પષ્ટ અને દૃઢ ખ્યાલ હતો કે “પત્રકાર ઍન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ હોવો જોઈએ”. એ ખ્યાલ કોઈ ઠાલો આદર્શ ન બની રહ્યો પણ તેમના લેખનમાં બરાબર ઊપસ્યો છે. “રાજકારણમાં હજુ પણ રસ તો નથી જ પડતો. લખવાનું મોટે ભાગે નાગરિકી ફરજના ભાગ રૂપે થાય છે.” અને એ નાગરિકી ફરજ એટલે શું? ઉર્વીશભાઈ લખે છે, “૨૦૦૨થી ન-છૂટકે રાજકારણ વિશે લખવાનું થયું. કારણ કે એ વરસોમાં સામાજિક ધિક્કાર મુખ્ય રાજકીય એજન્ડા હતો. એ વખતે ગુજરાતમાં મોદીયુગનું વાતાવરણ એટલું ધિક્કારયુક્ત હતું અને તેની વિરુદ્ધમાં લખવું મને ધર્મરૂપ લાગ્યું અને એ લખી શક્યો, એનો મને બહુ આનંદ છે.”

“અનુચર, ભક્ત કે ફોલ્ડર નહીં એવા સમરસિયા, સજ્જ અને દરેક ઉંમરના વાચકો” જેમને મળ્યા છે, પ્રેમાળ મિત્રો સતત મેળવતા રહેવાની બાબતમાં જે પોતાને અતિસમૃદ્ધ ગણે છે, અને જેમને “વાંચનારની સમજ સંકુચિત નહીં, વ્યાપક બને તેમાં રસ છે તેવા પ્રહરી” પત્રકાર ઉર્વીશ કોઠારીનો આ આનંદધર્મ ક્યારેય સમાપ્ત ન થાવ, તેવી અપેક્ષા સાથે નીરુભાઈ દેસાઈ પત્રકારત્વ ઍવૉર્ડ નિમિત્તે અભિનંદન!

Email : maheriyachandu@gmail.com

[તા. ૨૫ માર્ચ, ૨૦૧૮ના રોજ નીરુભાઈ દેસાઈ સન્માન વખતે વિતરિત બ્રોશરમાંથી સંપાદિત]

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ અૅપ્રિલ 2018; પૃ. 14-15 

Loading

સંઘપરિવારમાં બળવો : BJPને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી ત્યારથી મોહન ભાગવતના તેવર બદલાઈ ગયા છે. હવે તેઓ સંગઠક નહીં, શાસક હોવાનો ગર્વ અનુભવે છે. આની અસર સંઘપરિવાર પર દેખાઈ રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 April 2018

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ગયા અઠવાડિયે મુંબઈનું શૅરબજાર જ્યાં આવેલું છે એ જીજીભોય ટાવરની મુલાકાત લીધી હતી.

આ ઘટના આશ્ચર્યજનક હતી એના કરતાં ખુલાસાજનક હતી. મોહન ભાગવતે શૅરદલાલોને સલાહ આપી હતી કે તેમણે અર્થતંત્રની વિદેશી ફિલસૂફી અપનાવવાની જગ્યાએ ભારતીય ફિલસૂફી અપનાવવી જોઈએ એટલું જ નહીં, ભારતીય પદ્ધતિએ આર્થિક આયોજનો કરવાં જોઈએ. જીજીભોય ટાવરમાં રાખવામાં આવેલા આખલાનાં શિંગડાં પર પણ હાથ ફેરવતાં-ફેરવતાં તેમણે આ મૂલ્યવાન સલાહ આપી હતી. શૅરબજારના સંચાલકો અને ઉપસ્થિત દલાલોએ તાળીઓ પાડીને મોહન ભગવતની સલાહની કદર કરી હતી. મહેમાનને મૂંઝવણમાં મૂકવા નહીં એવો આપણે ત્યાં સૌજન્યપૂર્વકનો રિવાજ છે એટલે કોઈ દલાલે પૂછ્યું નહીં કે સાહેબ આવ્યા છો તો ભેગાભેગ ભારતીય અર્થશાસ્ત્ર અને આર્થિક વહેવારની પદ્ધતિ પણ સમજાવતા જાઓ.

વાત પાછી આટલેથી પતતી નથી. અર્થશાસ્ત્રની ફિલસૂફી માત્ર ભારતીય નહીં, પ્રાચીન પણ હોવી જોઈએ. એટલી પ્રાચીન એટલી પ્રાચીન કે કોઈ વિદેશી માઈના લાલે ભારતમાં પગ નહોતો મૂક્યો એ પહેલાંની. કોઈ પણ પ્રકારની ભેળસેળ વિનાની અસ્સલ હિન્દુ. બાકી આવો જો આગ્રહ રાખવામાં ન આવે તો મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ અર્થશાસ્ત્રનું ભારતીય તત્ત્વજ્ઞાન આપતા ગયા છે. વળી કઠણાઈ, જ્યાં જુઓ ત્યાં ગાંધી અને નેહરુ રસ્તામાં સામા ભટકાય છે. આ બેનું કરવું શું? અર્થશાસ્ત્ર પણ તેમણે છોડ્યું નથી. એક તો તેઓ (ગાંધી-નેહરુ) વેદવિદ્યાશૂન્ય મ્લેચ્છ અને ઉપરથી વિદેશમાં ભણી આવેલા આધુનિક. અસ્સલની એરણે ઓછા પડે. ગાંધી અને નેહરુની આર્થિક ફિલસૂફી જાણવામાં રસ હોય તો બે વાક્યમાં જણાવી દઉં. ગાંધીજી ગામડાંને કેન્દ્રમાં રાખનારી ગ્રામસ્વરાજની ફિલસૂફીમાં માનતા હતા અને નેહરુ મિશ્ર અર્થતંત્રની. તેમની ફિલસૂફી વિશે મતભેદ હોઈ શકે, પરંતુ તેમનામાં દેશની જરૂરિયાતને પારખીને વિકલ્પ શોધવા જેટલી શક્તિ તો હતી જ.

એમ તો દેશ આઝાદ થયો એ પહેલાં, એ દરમ્યાન, એ પછી અને હવે તો કદાવર સ્વરૂપમાં RSS વિદ્યમાન રહ્યો છે. ગાંધી અને નેહરુની માફક તેઓ પણ વેદ, ઉપનિષદ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અન્ય ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને કહી શક્યા હોત કે અસ્સલ હિન્દુ કે ભારતીય અર્થશાસ્ત્ર કેવું હોય. સામ્યવાદીઓ, સમાજવાદીઓ, મૂડીવાદીઓ પોતપોતાની આર્થિક ફિલસૂફી લઈને ત્યારે આગળ આવ્યા હતા; પરંતુ સંઘે અર્થશાસ્ત્રની કોઈ થીસિસ વિકસાવી હોય એવું જાણમાં નથી. એટલે તો સંઘની સ્થાપના પછી ૯૩ વરસે સરસંઘચાલકે કહેવું પડે છે કે અર્થતંત્રની ભારતીય ફિલસૂફી વિકસાવવી જોઈએ. માર્ક ધ વર્ડ. વિકસાવવી જોઈએ. બીજાએ વિકસાવવી જોઈએ, તેમની પાસે આપવા માટે કંઈ જ નથી. આ જે બૌદ્ધિક નાદારી છે એ અકળાવનારી છે.

૨૮ વરસ થયાં ભારતે આર્થિક સુધારા કર્યે. એના વિરોધમાં સંઘે સ્વદેશી જાગરણ મંચની સ્થાપના કરી હતી. ૨૮ વરસ થયાં, પણ મંચે કોઈ વૈકલ્પિક અર્થતંત્રની થીસિસ પ્રોડ્યુસ નથી કરી કે કોઈ રાષ્ટ્રવ્યાપી આંદોલન નથી કર્યું. એક પણ નહીં. એ કામ પણ ગાંધીવાદી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ધરમપાલે કર્યું હતું.

તો પછી પોતાને કંઈ જ કહેવાનું નહોતું તો મોહન ભાગવત શૅરબજારમાં ગયા શા માટે હતા? આત્મગૌરવ માટે. સંઘના ગૌરવનું પ્રદર્શન કરવા માટે. જ્યાં સુધી કેન્દ્રમાં BJPની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર નહોતી આવી ત્યાં સુધી સંઘના સરસંઘચાલકો એમ માનતા હતા કે તેમનું કામ સંઘની બાંધણીનું છે. એવું તાકાતવાન હિન્દુ સંગઠન રચવું કે એક દિવસ BJPને સ્પષ્ટ બહુમતી સાથે રાજ કરવાનો મોકો મળે. આને કારણે તેઓ પાછળ રહીને કામ કરતા હતા. સીધા લોકોમાં જઈને કામ કરતા હતા. લોકો પ્રભાવિત થાય એ માટે સાદગીભર્યું જીવન જીવતા હતા. સંઘ સાંસ્કૃિતક સંગઠન છે અને એને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી એમ કહેવામાં આવતું હતું.

હવે BJPને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે ત્યારે મોહન ભાગવતના તેવર બદલાઈ ગયા છે. હવે તેઓ સંગઠક નહીં, શાસક હોવાનો ગર્વ અનુભવે છે. કેન્દ્ર મેં હમારી સરકાર હૈ. કેન્દ્રના પ્રધાનોની કામગીરીનું રિપોર્ટકાર્ડ માગવામાં આવે છે અને કેન્દ્ર સરકારના પ્રધાનો રિપોર્ટકાર્ડ હાથમાં લઈને ભાગવતના દરબારમાં હાજર પણ થાય છે. મોહન ભાગવત ઝેડ-પ્લસ સિક્યૉરિટીનો આનંદ માણે છે જે વાસ્તવમાં ભયનું પ્રદર્શન છે. તેઓ નાગપુર કરતાં દિલ્હીમાં વધુ રહે છે. સંઘે ક્યારે ય ઇવેન્ટો નહોતી કરી, પરંતુ મોહન ભાગવત સંઘની દરેક બેઠકને દર્શનીય ઇવેન્ટમાં ફેરવે છે. ઇવેન્ટ આજની રાષ્ટ્રીય બીમારી છે. દરેક બાબતે તેમને કાંઈક કહેવાનું છે, પછી શૅરબજાર કેમ ન હોય. મહેનતના દિવસો પૂરા થયા, હવે ભોગવવાના દિવસો આવ્યા છે એટલે જાણે-અજાણે તેમનાં ચાલચલન બદલાઈ ગયાં છે.

આનું પરિણામ હવે નજરે પડી રહ્યું છે. ઉપર શૅરબજારની ઘટના ખુલાસાજનક છે એમ જે કહ્યું એ ખુલાસો હવે મળે છે. એકલા મોહન ભાગવત સત્તા શા માટે ભોગવે? બીજા શા માટે નહીં? ડૉ. તોગડિયા કહે છે કે VHP માટે મેં ભોગ આપ્યો છે એટલે એમાં મારું ચાલવું જોઈએ. ડૉ. તોગડિયાને કાઢવા VHPમાં ચૂંટણી યોજવી પડી અને તોગડિયા અત્યારે સંઘપરિવારના સભ્ય હોવા છતાં સંઘપરિવારની સામે ઉપવાસ પર ઊતર્યા છે. એ પહેલાં RSSના ગોવા યુનિટે સંઘના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. બળવાનું કારણ ગોવાની સરકાર પર સંઘના ગોવાના નેતાઓની હોવી જોઈતી વગનું હતું. અમારા રાજ્યની સરકારનો અને પક્ષના એકમનો દોરીસંચાર અમે કરીશું, દિલ્હી કે નાગપુરવાળા કોણ? કહેવાનું તાત્પર્ય એ હતું કે તમે દોરીસંચાર કરીને સત્તા ભોગવો તો અમે શા માટે નહીં?

RSSમાં ૯૧ વરસમાં જે નહોતું બન્યું એ છેલ્લા ૧૪ મહિનામાં બન્યું છે. ગોળવલકર ગુરુજીએ બાળાસાહેબ દેવરસને બાજુએ હડસેલ્યા ત્યારે દેવરસે ૨૧ વરસનો અરણ્યવાસ ચૂપચાપ ભોગવ્યો હતો અને ઊંહ નહોતું કર્યું. મોટા ભાગના લોકોને તો સંઘમાં આવું બન્યું હતું એની જાણ પણ નહીં હોય. આવી પ્રતિષ્ઠા હતી સંઘની શિસ્ત અને સાદગીની, પણ હવે યુગ બદલાયો છે. મોહન ભાગવત ઝેડ-પ્લસ સિક્યૉરિટી માણતા હોય, પ્રધાનોની ખબર લેતા હોય, વિમાનોમાં ઊડતા હોય, શૅરબજારના દલાલોને પણ સલાહ આપતા હોય, ચિંતન-બેઠકોને પણ ઇવેન્ટોમાં ફેરવતા હોય તો એની અસર તો થાયને? હિન્દુઓની કાળગણતરી મુજબ અત્યારે કળજુગ ચાલે છે અને સંઘનો મંત્ર છે- સંઘૌકલિયુગે એટલે કલિયુગની અસર સંઘ પર વર્તાઈ રહી છે. હવે સંઘમાં બળવા થવા લાગ્યા છે.

કૂવામાં હોય એ હવાડામાં આવે એવી કહેવત છે. સંઘનો કૂવો સાવ ખાલીખમ છે એટલે અત્યારે જ્યારે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા મળી છે ત્યારે હવાડામાં સત્તાનાં પ્રદર્શનો બહાર આવી રહ્યાં છે. એટલે તો જીજીભોય ટાવરમાં આખલાનાં શિંગડાં પર હાથ ફેરવતાં-ફેરવતાં કહ્યું હતું કે તમારે ભારતીય આર્થિક ફિલસૂફી વિકસાવવી જોઈએ. ૯૩ વરસે, તમારે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 અૅપ્રિલ 2018

Loading

...102030...3,1233,1243,1253,126...3,1303,1403,150...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved