Opinion Magazine
Number of visits: 9686308
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ભારતની ભૂમિ અને આબોહવા વિદેશથી આયાત કરેલા બહુમતી રાષ્ટૃવાદના છોડને ઉછેરી શકે એવી અનુકૂળ છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 August 2018

લોકમાન્ય ટિળક, મદનમોહન માલવિય, લાલા લાજપત રાય અને બીજા જે કેટલાક હિંદુપક્ષપાત ધરાવતા નેતાઓ હતા તેમને પણ નહોતું લાગતું કે ભારતની ભૂમિ અને આબોહવા હિંદુ બહુમતી રાષ્ટ્રવાદને અનુકૂળ છે. ગાંધીજીના આવ્યા પછી કૉંગ્રેસમાં પણ મોટી સંખ્યામાં હિંદુ પક્ષપાતી નેતાઓ હતા અને તેમને પણ નહોતું લાગ્યું કે ભારતની ભૂમિમાં હિંદુ રાષ્ટ્રવાદનો છોડ ઊછરી શકે.

આપણે અહીં રાજકીય પ્રભાવ/જગ્યા(પોલિટિકલ સ્પેસ)ની ચર્ચા કરી રહ્યા છીએ. ભારતીય સમાજમાં એવું શું છે જેને કારણે કૉંગ્રેસને પાંચ પાંચ દાયકા માટે ખાતરીપૂર્વકની રાજકીય જગ્યા મળે જેમાં ૪૦ ટકા જેટલા મત અને બે તૃતીયાંશ બહુમતી તો આસાનીથી મળી જતી હતી. બીજી બાજુ ભારતીય જન સઘ અને હવે બી.જે.પી.ને સત્તા સુધી પહોંચતા છ દાયકા લાગ્યા, સ્પષ્ટ બહુમતી મેળવતા સાત દાયકા લાગ્યા અને બીજી મુદ્દત મળશે કે કેમ એની ખાતરી નથી. આ એ લોકો છે જે શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દેશપ્રેમની અને રાષ્ટ્રવાદની દલીલ કરે છે. દેશની બહુમતી પ્રજા કરોડરજ્જુ છે, ભરોસાપાત્ર છે, દેશનું હિત જેટલું તેના હૈયે છે એટલું બીજી કોઈ પ્રજાના હૈયે ન હોઈ શકે, વગેરે. આવી દલીલ તેઓ આજકાલ કરતા થયા છે એવું નથી, સો વરસથી કરે છે. અહીં એ પણ નોંધી લેવું જોઈએ કે કૉંગ્રેસ આવી દલીલનો ખોંખારો ખાઈને વિરોધ કરતી હતી, બીજા શબ્દોમાં કહેવું હોય તો દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો વિરોધ કરતી હતી અને છતાં ભારતની બહુમતી હિન્દુ પ્રજા જન સંઘ/બી.જે.પી.ની જગ્યાએ કૉંગ્રેસને મત આપતી હતી. જરૂર ભારતીય સમાજના સ્વરૂપમાં આનો ઉત્તર હોવો જોઈએ.

ઉત્તર એ છે કે ભારતીય સમાજનું, ખાસ કરીને હિંદુ સમાજનું જે સ્વરૂપ છે એ પશ્ચિમમાં વિકસિત થયેલા રાષ્ટ્રવાદને અનુકૂળ નથી. પશ્ચિમના દેશો એક ધર્મ, મોટાભાગે એક ભાષા અને બે-ત્રણ વંશિકતાઓના બનેલા છે; જ્યારે ભારતમાં તો બહુવિધતાઓનો કોઈ પાર નથી. વિવિધતા એટલી બધી કે ભારતમાં દરેક પ્રજા પોતાને લઘુમતી તરીકે ઓળખાવી શકે. હિંદુઓ પણ પોતાને લઘુમતી તરીકે ઓળખાવી શકે તે ત્યાં સુધી કે ભારતમાં હિંદુ જાગરણનો પાયો નાખનાર આર્ય સમાજે અને રામકૃષ્ણ મિશને પણ પોતાને માટે ગેરહિંદુ લઘુમતી કોમનો દરજ્જો માંગ્યો હતો. ભારતમાં દરેક પ્રજા લઘુમતીમાં છે, દરેક પ્રજા પરસ્પરાવલંબી છે અને દરેક પ્રજા એકબીજાનું સંતુલન કરે છે. એટલે તો અંગ્રેજોને પહેલાં એમ લાગ્યું હતું કે ભારતમાં સેંકડો વરસ સુધી રાજ કરી શકાશે. એ પછી જ્યારે પરસ્પરાવલંબન અને સંતુલન જોયું ત્યારે તેમને એમ લાગ્યું હતું કે સેંકડો તો નહીં, પણ ભારતીય પ્રજામાં વેરઝેરના ભાગલા પાડો તો સો-બસો વરસ રાજ કરી શકાશે. આપણે અંગ્રેજોની એ નીતિને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાવીએ છીએ. અહીં નોંધી લેવું જોઈએ કે અંગ્રેજોની એ ધારણા પણ ખોટી પડી હતી અને તેમની ગણતરી કરતાં ઘણું વહેલું ભારત છોડીને જવું પડ્યું હતું.

હવે કલ્પના કરો કે આવી સ્થિતિમાં ૧૯મી સદીમાં ભારતમાં અસ્તિત્વમાં આવેલી પહેલી શિક્ષિત પેઢીએ શું કરવું જોઈતું હતું? તમે હો તો શું કરો? આગળ વધતા પહેલાં અહીં થોભીને તમે તમારા માટેનો જવાબ શોધી લેશો તો અહીં જે પોલિટિકલ સ્પેસની શાશ્વતીનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એનો જવાબ મળી જશે. કેટલાક લોકોને એમ લાગ્યું હતું કે આપણે પશ્ચિમ જેવી રાષ્ટ્રીયતા વિકસાવવી જોઈએ. એ જ એકમાત્ર માર્ગ છે, બીજો કોઈ માર્ગ જ નથી. પરંતુ એમાં બહુમતી પ્રજાની જરૂર પડે અને એને ક્યાંથી લાવવી? હિંદુઓ એક રીતે બહુમતીમાં ખરા, પણ હિંદુ ધર્મ ક્યાં રૂઢ અર્થમાં ધર્મ છે, એ તો શ્રદ્ધાઓનો સમૂહ છે. અંગ્રેજીમાં તેને કોમનવેલ્થ ઓફ ફેઈથ્સ તરીકે ઓળખવામાં આવે છે.

તો ચાલો આપણે હિન્દુ ધર્મનો ચહેરો અને સ્વરૂપ બદલી નાખીએ. દયાનંદ સરસ્વતીને આવું લાગ્યું હતું અને આર્ય સમાજ એનું પરિણામ છે. પશ્ચિમના ધર્મો મૂર્તિપૂજામાં નથી માનતા તો આપણે પણ મૂર્તિને તજીને ઓમકારની આરાધના કરીશું, એ લોકો એક જ ધર્મગ્રન્થમાં માને છે તો આપણે પણ એક વેદ ને ધ બુક તરીકે પ્રસ્થાપિત કરીશું. એ લોકો ટીલાં ટપકાં અને કર્મકાંડના પાખંડ ઓછા કરે છે તો ચાલો આપણે પણ કર્મકાંડને નિશિદ્ધ કરીશું વગેરે. ટૂંકમાં હિંદુ ધર્મનું પાશ્ચાત્યકરણ અથવા આખેઆખી નકલ. દયાનંદ સરસ્વતીના આ પ્રયોગને સફળતા મળી નહીં. શૈવ, વૈષ્ણવ અને બીજા અનેક પેટા સંપ્રદાયોમાં વહેંચાયેલા સનાતની હિંદુઓએ તેનો વિરોધ કર્યો. ઉપરાંત જેઓ કર્મકાંડના પાંખંડ કરીને પેટ ભરતા હતા એ બ્રાહ્મણોએ આર્ય સમાજનો વિરોધ કર્યો અને બ્રાહ્મણો તો સનાતની હિંદુ સમાજમાં વર્ચસ્વ ધરાવતા હતા. કહો કે સંખ્યા નહીં હોવા છતાં બ્રાહ્મણો હિંદુ સમાજના કરોડરજ્જુ જેવા હતા.

હિંદુઓના એકમાત્ર રાજકીય પક્ષ હિંદુ મહાસભા ક્યારે ય બે પગે ઊભો નહોતો રહ્યો કારણ કે આર્ય સમાજીઓ, અન્ય સુધારકો અને સનાતનીઓ હિંદુ હોવા છતાં એકબીજાની સાથે ચાલવા તૈયાર નહોતા. એક જ ઉદાહરણ બસ થશે. જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ હતાશા સાથે ગાંધીજીને પત્ર લખ્યો હતો કે ‘હું માલવીયજી અને લાલાજી વચ્ચે સમજૂતી કરાવવાના પ્રયાસમાં નિષફળ નીવડ્યો છું અને હવે તો થાકી ગયો છું.’ લાલા લાજપત રાય આર્ય સમાજી હતા, મદન મોહન માલવિય સનાતની હતા, બિરલા દરેકને આર્થિક સહાય કરનારા હિન્દુવાદી ઉદ્યોગપતિ હતા અને ગાંધીજી હિંદુ એકતાના પ્રયાસને તટસ્થતાપૂર્વક નિહાળતા હતા.

ખેર, વિરોધ કરનારાઓને જવાબ આપવામાં દયાનંદ સરસ્વતીએ જે ભાષા વાપરી હતી એ આજના આર.એસ.એસ./બી.જે.પી.ના નેતાઓ જેવી જ હતી. બધું જ સમાંતરે ચાલી રહ્યું છે એ નોંધતા જજો. આંતરિક રીતે વિભાજીત પણ પરસ્પરાવલંબી ભારતીય સમાજમાં રાજ કરવું હોય તો સમાજમાં ભાગલા પાડીને, એકબીજા સામે ઝેર રેડીને કરી શકાય છે એ જે માર્ગ અંગ્રેજોએ અપનાવ્યો હતો એ જ માર્ગ અત્યારે બી.જે.પી. અને સંઘપરિવાર અપનાવી રહ્યા છે. આર્ય સમાજને પંજાબની બહાર કોઈ સફળતા મળી નહોતી અને પંજાબમાં જે સફળતા મળી એનું કારણ પંજાબમાં મુસલમાનોની થોડીક બહુમતી હતી. આર્ય સમાજના આંદોલનને પરિણામે હિંદુ એકતા તો સધાઈ નહીં, પરંતુ શીખો જે પોતાને હિંદુ તરીકે ઓળખાવતા હતા એ હવે દૂર ગયા. સતત લકારવાની ભાષા, દાદાગીરી અને સમાજમાં તિરાડો પાડીને જગ્યા શોધવાનું વલણ અત્યારે જે જોવા મળી રહી છે એના મૂળ આર્ય સમાજી આંદોલનમાં અને અંગ્રેજોની નીતિમાં છે.

આમ હિંદુ ધર્મનું સ્વરૂપ બદલવામાં અને એ રીતે હિંદુ સમાજનો ચહેરો બદલવામાં સફળતા મળી નહીં. તો પછી ભરોસાપાત્ર રાષ્ટ્રીયતા વિકસાવવા માટે બહુમતી પ્રજા તરીકે કોનો ઉપયોગ કરવો? રાષ્ટ્રવાદની પાશ્ચાત્ય અવધારણા મુજબ ભરોસાપાત્ર બહુમતી કોમ જરૂરી છે.

તો ચાલો ઇટાલી અને જર્મનીમાં વિકસેલા કોમી બહુમતી રાષ્ટ્રવાદને બેઠો આયાત કરીએ. શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરવા માટેનો આ બીજો પ્રયાસ હતો. વિનાયક દામોદર સાવરકર આના પુરસ્કર્તા હતા. હિંદુઓ પરંપરાગત રીતે સંગઠિત નથી, હિંદુ ધર્મનું સ્વરૂપ બદલીને હિંદુનો એક સરખો ચહેરો કંડારવામાં આર્ય સમાજને સફળતા મળી નહીં તો ચાલો વિધર્મી સમાજને ધકેલીને બહુમતી હિંદુઓની એકતા વિકસાવીએ. તેમને મન આનું નામ રાષ્ટ્રીય એકતા હતું. આવો રાષ્ટ્રવાદ વિકસાવવા માટેના પદાર્થો છે; અન્ય ધર્મની નિંદા, વિધર્મીના દેશપ્રેમ વિશે શંકા, ઇતિહાસનો અનુકૂળ આવે એવો હવાલો આપીને વિધર્મીઓની ગદ્દારીઓ શોધી કાઢવી, જુઠાણાં અને કૂપ્રચાર, ઉદારમતવાદીઓનું ચારિત્ર્ય હનન કે શારીરિક હનન વગેરે. આગળ કહ્યું એમ બધું જ સમાંતરે ચાલી રહ્યું છે. અંગ્રેજોએ ભાગલા પાડીને રાજ કરવા માટે ઇતિહાસનાં પુસ્તકો એ રીતે લખ્યા હતા કે જેથી  હિંદુઓ, મુસલમાનો અને બીજા દરેકને એકબીજા સામે દારૂગોળો તાકવા માટે મસાલો મળી રહે. હિંદુઓની અંદર પેટા-સંપ્રદાયો અને બહુજન સમાજ માટે પણ અનુકૂળ ઇતિહાસ ઉપલબ્ધ કરી આપ્યો હતો.

બધું જ આયાતી. આર્ય સમાજનો પહેલો પ્રયોગ આયાતી. બહુમતી રાષ્ટ્રવાદનો બીજો પ્રયોગ આયાતી. ભાષા અને સાધનો આયાતી. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ આયાતી. કશું કરતાં કશું ભારતીય નહોતું અને આજે પણ નથી. ટૂંકમાં હિન્દુ બહુમતી રાષ્ટ્રવાદ અથવા હિંદુ રાષ્ટ્ર એ ભારતની ભૂમિમાં, ભારતની આબોહવામાં વિકસેલો છોડ નથી.

સવાલ એ છે કે શુ ભારતની ભૂમિ અને આબોહવા વિદેશથી આયાત કરેલા બહુમતી રાષ્ટ્રવાદના છોડને ઉછેરી શકે એવી અનુકૂળ છે? લોકમાન્ય ટિળક, મદન મોહન માલવિય, લાલા લાજપત રાય અને બીજા જે કેટલાક હિંદુપક્ષપાત ધરાવતા નેતાઓ હતા તેમને પણ નહોતું લાગતું કે ભારતની ભૂમિ અને આબોહવા હિંદુ બહુમતી રાષ્ટ્રવાદને અનુકૂળ છે. ગાંધીજીના આવ્યા પછી કૉંગ્રેસમાં પણ મોટી સંખ્યામાં હિંદુ પક્ષપાતી નેતાઓ હતા અને તેમને પણ નહોતું લાગ્યું કે ભારતની ભૂમિમાં હિંદુ રાષ્ટ્રવાદનો છોડ ઊછરી શકે. જો તેમને એવી શકયતા દેખાઈ હોત તો કદાચ તેમણે એ માર્ગ અપનાવી પણ જોયો હોત એટલી હદે તેઓ હિંદુપક્ષપાતી હતા. કૉંગ્રેસના બહુ ઓછા હિંદુ નેતાઓએ ગાંધીજીના અનાગ્રહી રાષ્ટ્રવાદને દિલથી સ્વીકાર્યો હતો, પરંતુ તેઓ લાચાર હતા.

આમ એ સમયે કૉંગ્રેસમાં જે હિંદુ નેતાઓ હતા તેમને સાવરકર જેવાઓનો માર્ગ વ્યવહારુ નહોતો લાગતો. આજે રાષ્ટ્રવાદીઓ અને દેશભક્તોની જે દલીલો તમને શીરાની જેમ ગળે ઊતરી જાય છે એ ત્યારે મોટા ગજાના હિંદુ નેતાઓને ગળે ઊતરી નહોતી. એવું બને એ નેતાઓ આજના ભક્તો જેટલા બુદ્ધિમાન નહીં હોય અથવા તેમનો દેશપ્રેમ ટકોરાબંધ નહીં હોય. આજકાલના ભક્તો તો બત્રીસલક્ષણા છે અને તેમની સામે ગીતા રહસ્ય લખનારા લોકમાન્ય ટિળકનું શુ ગજું?

તો પછી એ સમયના કોંગ્રેસના હિંદુ નેતાઓ પાસે વિકલ્પ શું હતા? એક વિકલ્પ સાવરકરનો દાદાગીરીનો હતો, જે તેમને વ્યવહારુ નહોતો લાગતો. બીજો વિકલ્પ અનુનયનો હતો, પણ કેટલાનો અનુનય કરવો અને ક્યાં સુધી? મુસલમાનોનો કરો, અન્ય વિધર્મીઓનો કરો, દલિતોનો કરો, બહુજન સમાજનો કરો, દક્ષિણ ભારતીયોનો કરો, ઈશાન ભારતના વાંશિક અસ્મિતાઓ ધરાવતા લોકોની કરો, આધુનિકોની કરો, સનાતનીઓનો કરો, શીખોની કરો, હિંદુ પેટા-સંપ્રદાયવાળાઓની કરો એમ કેટલા લોકોને રાજી કરતા રહેવાનું અને ક્યાં સુધી? આનો તો ક્યારે ય અંત જ નહીં આવે.

ત્રીજો વિકલ્પ રાજકીય સમજૂતીનો હતો. એવો કોઈક ઢાંચો વિકસાવીએ કે આપસમાં સમજૂતી કરીને સાથે જીવીએ. સંખ્યા મુજબ ભાગીદારી. વ્યાપકપણે ભાગીદારી હિંદુ અને મુસલમાન વચ્ચે. એ પછી હિંદુ અને મુસલમાનો પોતાને મળેલા હિસ્સામાંથી દલિતો, બહુજન સમાજ, શિયાઓ કે જેને ભાગ આપવો હોય એને આપે. ટૂંકમાં ભારતમાં હિંદુઓનું સામાજિક સ્વરૂપ એવું છે જેને બદલી શકાય એમ નથી અને પશ્ચિમના દેશો જેવી રાષ્ટ્રીયતાના અભાવમાં દાદાગીરી થઈ શકે એમ નથી. જો દાદાગીરી કરવા જાઓ તો લાભ કરતાં નુકસાન વધારે છે જે રીતે પંજાબમાં શીખોએ પોતાને હિંદુ તરીકે ઓળખાવવાનું બંધ કર્યું. જો પંજાબમાં આર્ય સમાજીઓએ દાદાગીરીવાળું આક્રમક રાજકારણ ન કર્યું હોત તો ખાલીસ્તાનનું આંદોલન ન થયું હોત.

તો સતામાં ભાગીદારીની સમજૂતી એ એક માત્ર વ્યવહારુ માર્ગ છે એમ એ સમયના કૉંગ્રેસના હિંદુ નેતાઓને લાગ્યું હતું. ૧૯૧૬માં લખનૌમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ભાગીદારીની સમજૂતી થઈ હતી. એ સમજૂતીના આર્કિટેક્ટ હતા કૉંગ્રેસ અર્થાત્‌ હિંદુઓ તરફે લોકમાન્ય ટિળક અને મુસલમાન તરફે મહમ્મદ અલી જિન્નાહ. 

હવે આવે છે મોહનદાસ ગાંધી જે જુદો જ રસ્તો અપનાવે છે જેની વાત આવતા અઠવાડિયે.

સૌજન્ય : ‘નો-નૉનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૉગસ્ટ 2018

Loading

માણસ અભડાતો ન હોય તો ભગવાન શાના અભડાય?

નગીનદાસ સંઘવી|Opinion - Opinion|12 August 2018

દક્ષિણ ભારતનાં બે વિખ્યાત મંદિરો – કેરળનું સબરીમાલા અને આંધ્રનું તિરુપતિ અંગે અલગ અલગ કારણસર ઉગ્ર ચર્ચાબાજી ચાલી રહી છે. સબરીમાલાના મંદિરમાં આઠથી પંચાવન વરસની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ સ્ત્રીઓ કદાચ માસિક ધર્મમાં હોય તો ભગવાન અભડાઇ જાય, તેવી અદમ્ય અને ઉત્કટ શ્રદ્ધા શ્રદ્ધાળુઓ ધરાવે છે.

પુખ્ત વયે પહોંચવા આવેલી સ્ત્રીઓ પોતાની આધેડ ઉંમરે પહોંચે ત્યાં સુધી દર મહિને રજસ્વલા થાય છે અને આ ચાર-પાંચ દિવસમાં સ્ત્રીઓને અસ્પૃશ્ય ગણવાનો રિવાજ અગણિત હિન્દુ કુટુંબો સદીઓથી પાળતા આવ્યા છે.

પણ જમાનો બદલાયો છે અને જુનવાણી માન્યતાઓ અને રૂઢિઓને તિલાંજલિ આપવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે. માનવજીવનની સ્વાભાવિક જીવન પ્રક્રિયામાં આભડછેટ પાળવા જેવું કશું નથી અને સંખ્યાબંધ યુવાન સ્ત્રીઓ નોકરી-ધંધા માટે બહાર જાય ત્યારે આવી કોઇ મર્યાદા પાળવાનું શક્ય નથી. માણસ અભડાતો ન હોય તો ભગવાન વળી શાના અભડાય? સબરીમાલા મંદિરમાં અપનાવવામાં આવેલી પ્રવેશબંધી સ્ત્રીઓ માટે અપમાનજનક છે અને શ્રદ્ધાળુ સ્ત્રીઓએ આ દિવસોમાં ભગવાનનાં દર્શનથી વંચિત રહેવું પડે તે તેમના માટે અગવડરૂપ પણ છે.

આ પ્રવેશબંધી ગેર બંધારણીય છે અને સ્ત્રીઓ-પુરુષો વચ્ચેની સમાનતાનો અનાદર કરે છે તેવા કારણસર સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી સાર્વજનિક હિતની અરજીના ચુકાદાની રાહ જોવાઇ રહી છે પણ અદાલતનું વલણ સ્પષ્ટ થયું હોવાથી અદાલત પ્રવેશબંધી નામંજૂર કરશે તેવી આશા સેવાઇ રહી છે.

તિરુપતિના મંદિરમાં શ્રદ્ધાનો ઝઘડો નથી પણ પૂજારીઓ અને સંચાલકોનો નાણાલોભ ઉગ્રતાની સરટોચે પહોંચ્યો છે. તિરુપતિના વેંકટેશ્વર ભગવાન એક હજાર કિલો ગ્રામ સોનાનાં વસ્ત્રાભૂષણોથી સજ્જ હોય છે અને દરરોજ લગભગ સાઠ-સિત્તેર હજાર દર્શનાર્થીઓએ ધરેલી ભેટસોગાદમાંથી મંદિરને વાર્ષિક 300 કરોડની આવક થાય છે. તિરુપતિ દેવસ્થાનના સંચાલકો, આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સમેતના અનેક રાજકીય આગેવાનો અને બે મહિના અગાઉ હાંકી કાડવામાં આવેલા મુખ્ય પુરોહિત રામન્નાઆમચામા ભ્રષ્ટાચાર અને ચોરીચપાટીના આક્ષેપો કરી રહ્યા છે. રામન્નાએ ચંદ્રબાબુ નાયડુ પર કરોડોની કિંમતના હીરા ઝવેરાત ઉચાપત કરવાનો આક્ષેપ મૂક્યો છે અને મંદિરમાંથી ગાયબ થયેલા 300 જેટલા સોનાના વજનદાર સિક્કાઓ અંગે પૂજારીઓ સામે આંગળી ચીંધવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટેના આસ્થાસ્થાન મંદિરો પૂજારીઓ અને સંચાલકો માટે નાણાં, પ્રતિષ્ઠા અને સત્તા મેળવવા અને ગજાવવાનાં કેન્દ્રો બન્યાં છે. આ મંદિરોમાં દર વરસે ઠલવાતી અને વરસોથી એકઠી થયેલી સંપત્તિ ભલભલાને લલચાવે છે અને ભગવાનને એક બાજુ હડસેલીને સામસામી રસીખેંચ શરૂ થાય છે. આ મંદિરોમાં પડેલા સોના અને ઝવેરાત જથ્થાનો આમજનતાના કલ્યાણ માટે વિનિયોગ કરવો જોઇએ તે આજના જમાનાની તાતી જરૂરિયાત છે. આ ધનરાશિ કેટલી છે તેનો પાકો અંદાજ મળતો નથી પણ એક અંદાજ એવો મૂકવામાં આવે છે કે મંદિરોની બધી સંપત્તિ વાપરવામાં આવે તો ભારત પરનું દેશી-પરદેશી બધું દેવું ચુકવાઇ જાય અને છતાં આ ધનભંડાર ખાલી થવાનો નથી. પણ ભારતની કોઇ સરકાર આ કામ કરી શકે તેમ નથી.

નવાઇની વાત એ છે કે મંદિરો અને મૂર્તિપૂજા હિન્દુ ધર્મમાં મૂળ ગ્રંથોમાં નથી. વેદના સંહિતા ગ્રંથોમાં અનેક દેવદેવીઓનાં નામ છે પણ તેમની મૂર્તિ કે મંદિરો નથી અને તેમની અર્ચના માટે જાતજાતના યજ્ઞોની વિગતો આપવામાં આવી છે. હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજા અને મંદિરો ક્યાંથી અને ક્યારે આવ્યાં તે ભારતના પ્રાચીન ઇતિહાસનો કોયડો છે. એક મત એવો છે કે આ બંને બૌદ્ધ ધર્મની દેણગી છે. એક વાત નક્કર છે કે ભારતનાં તમામ પ્રાચીન મંદિરો અને મૂર્તિઓ બૌદ્ધ ધર્મનાં છે. હિન્દુ મંદિરો ત્યાર પછી શરૂ થયાં છે. બુદ્ધ દેવ-ભગવાનમાં માનતા નથી અને કોઇ પૂજા-અર્ચનાનો ઉપદેશ તેમણે કદી આપ્યો નથી. આત્મબ્રહ્મ કે આધ્યાત્મની બાબતની ચર્ચા બુદ્ધે કરી નથી. ઇશ્વરમાં ન માનવાવાળા બુદ્ધ અને મહાવીર બંને ભગવાન તરીકે પૂજાય છે તે ઇતિહાસની વિચિત્ર ઘટના છે.

બુદ્ધની સૌથી જૂની ખંડિત મૂર્તિ ગાંધાર પ્રદેશમાંથી મળી છે. આ પ્રદેશ લાંબા સમય સુધી ગ્રીક શાસકોના આધિપત્ય નીચે હતો. બૌદ્ધોએ ગ્રીક લોકોનું અને હિન્દુઓએ બૌદ્ધોનું અનુકરણ કર્યું. હિન્દુ મંદિરોમાં આજે જે રીતે પૂજા થાય છે તે બૌદ્ધોની વિધિઓને ઘણી રીતે મળતી આવે છે. કોણે કોનું અનુકરણ કર્યું હશે તેનો નક્કી તાળો મેળવવો મુશ્કેલ છે.

પણ બાૈદ્ધોમાં મૂર્તિપૂજા શરૂ થઇ અને મૂર્તિ હોય ત્યાં વહેલા મોડે મંદિરો બાંધવા જ પડે અને પછી ભગવાનના શણગાર શરૂ થતા હોય છે. ઇસ્લામમાં મૂર્તિપૂજાનો સખત નિષેધ છે એટલું જ નહીં પણ મૂર્તિઓ અલ્લાહનું અપમાન હોવાથી તેને તોડીફોડી નાખવી જોઇએ તેવું મુસલામાનો દૃઢપણે માને છે. સોમનાથનું મંદિર અને શિવલિંગ તોડી નાખનાર મહમ્મદ ગઝનીએ પોતે બુતપરસ્ત (મૂર્તિપૂજક) નથી પણ બુત-શીકન (મૂર્તિભંજક) છે તેવું ગાૈરવભેર કહ્યાનું નોંધાયું છે.

e.mail : nagingujarat@gmail.com

લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 12 અૉગસ્ટ 2018

Loading


મોબ લિન્ચિંગના જમાનામાં ‘કાબુલીવાલા’ની પ્રસ્તુતતા

વિશાલ શાહ|Opinion - Opinion|11 August 2018

રહેમત કાબુલી માટે પણ તે સાવ નિશ્ચિંત ન હતી. એટલે તે મને કાબુલી તરફ ખાસ નજર રાખવાનો આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢું, તો તે મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી.

કદીયે શું કોઈના છોકરા ચોરાયા નથી?, શું કાબુલમાં ગુલામોનો વેપાર નથી ચાલતો?, આવડા મોટા કાબુલી માટે નાનકડી છોકરીને ઉપાડી જવી એ સાવ અશક્ય છે?

છેવટે મારે પણ કબૂલ કરવું પડ્યું કે, એવું બિલકુલ અશક્ય તો નથી પણ આ વાત મારા માન્યામાં નથી આવતી. જો કે, મારા શબ્દોની તેના પર કોઈ અસર નહોતી થતી. કાબુલીને લઈને તેનો ભય યથાવત્ રહેતો, પરંતુ મારી પત્નીને લઈને હું કાબુલીને વગર વાંકે ઘરે આવવાની મનાઈ ના ફરમાવી શક્યો અને તેઓ વચ્ચેની આત્મીયતાને રોકી ના શકાઈ.

આ લખાણ રવીન્દ્રનાથ ટાગોરની જાણીતી વાર્તા 'કાબુલીવાલા'માંથી લેવામાં આવ્યું છે. 'કાબુલીવાલા' વાર્તા એક નવલકથાકારના મોંઢે કહેવાઈ છે, જેને ટાગોરે નામ નથી આપ્યું. ઉપરોક્ત લખાણમાં એ નવલકથાકાર તેની પત્નીની વાત કરે છે. તેની પત્ની રહેમત કાબુલીને લઈને ખૂબ જ શંકાશીલ હોય છે કારણ કે, અફઘાનિસ્તાનથી આવતા કાબુલીઓ છોકરાઓને ઉપાડી જાય એવી તેને શંકા છે. જો કે, પત્નીની ટકટક પછી પણ નવલકથાકાર તેને ઘરે આવતા રોકી નથી શકતો, અને, છેવટે રહેમત કાબુલી અને નવલકથાકારની પાંચ વર્ષની દીકરી મિની વચ્ચે ગાઢ આત્મીયતા બંધાઈ જાય છે.

સોશિયલ મીડિયાની બદોલત બાળકોને ચોરી જવાની અફવાઓનું બજાર ગરમ છે અને ટોળાં હત્યા કરી રહ્યાં છે ત્યારે ફરી એકવાર 'કાબુલીવાલા' વાંચતી વખતે અત્યારનો માહોલ પડઘાય છે. આ વાર્તાના નામ પરથી જ ખ્યાલ આવે છે કે, તેનું મુખ્ય પાત્ર 'કાબુલીવાલા' છે. કાબુલીવાલા ઉર્ફે રહેમત કાબુલી. કાબુલીવાલા દર વર્ષે કાબુલથી સૂકામેવા લઈને કોલકાતા વેચવા આવતો. એટલે તેના નામ પાછળ કાબુલીવાલાનું લટકણિયું લાગી ગયું હતું. તે મોટો વેપારી ન હતો, પરંતુ છૂટક સૂકોમેવો વેચીને ગુજરાન ચલાવતો. કાબુલી લોકોને ઉધાર માલ પણ આપતો અને વતન જતી વખતે ઉઘરાણી કરી લેતો.

નવલકથાકારના ઉચ્ચ મધ્યમવર્ગીય બંગાળી પરિવાર સાથે કાબુલીનો પરિચય પણ આ જ રીતે થયો હતો. નવલકથાકારનું ઘર પણ રસ્તા પર હતું. તેઓ ત્યાં બેસીને જ લખતા. કાબુલી નવલકથાકારના ઘર નજીકથી જાય ત્યારે મિનીને અચૂક યાદ કરે. મિની ખૂબ જ બોલબોલ કરતી બાળકી હતી, જે એકાગ્રચિત્તે નવલકથા લખતા લેખક પિતાને જાતભાતના સવાલો પૂછીને પરેશાન કરતી, અને, એવું જ વર્તન કાબુલી સાથે પણ કરતી. નવલકથાકાર અને કાબુલીની ઉંમર લગભગ સરખી હતી. આ વાર્તામાં ટાગોરે નવલકથાકાર અને મિની(પિતા-પુત્રી)ના કાબુલી સાથેના સંબંધને આબાદ રીતે ઉપસાવ્યો છે. એવી જ રીતે, ટાગોરે કાબુલીનું વર્ણન પણ વાચક સામે દૃશ્ય ખડું થઈ જાય એ રીતે કર્યું છે. જુઓ, ટાગોરના જ શબ્દોમાં.

મિની ઓચિંતી અગડમ બગડમ રમવાનું છોડીને બારી પાસે દોડી અને જોરથી બૂમો મારવા લાગી. કાબુલીવાલા, એ ઈ કાબુલીવાલા.

મેલાં ઢીલાં કપડાં પહેર્યાં છે, માથે પાઘડી છે, ખભા પર ઝોળી છે અને હાથમાં બે ચાર સૂકામેવાની પેટીઓ છે. એવો એક ઊંચો કાબુલી ધીમે પગલે રસ્તા પરથી જતો હતો. તેને જોઈને મારી દીકરી કેટલી ખુશખુશાલ થઈ ગઈ એ કહેવું અઘરું છે. તેણે શ્વાસભેર બોલવાનું શરૂ કર્યું. મને થયું કે, હમણાં જ મારા પર આફત આવી સમજો અને મારું સત્તરમું પ્રકરણ અધૂરું રહી જશે.

જો કે, મિનીની બૂમો સાંભળીને કાબુલીએ હસીને મારા ઘર તરફ મોં ફેરવ્યું અને એ તરફ આવવા લાગ્યો. ત્યાં તો મિની અદ્ધર શ્વાસે ઘરની અંદર દોડીને ક્યાંક સંતાઈ ગઈ. તેના મનમાં એવું હતું કે, કાબુલીવાલાની ઝોળીની અંદર મિની જેવી બીજી બે-ચાર છોકરીઓ પૂરેલી છે …

આ વર્ણનમાં ટાગોરે કહી દીધું છે કે, કાબુલીનો પહેરવેશ અને દેખાવ બંગાળીઓથી અલગ છે. મિનીની માન્યતા છે કે, તેની ઝોળીમાં બીજી બે-ચાર બાળકી છે. આ વાત હળવાશથી કહેવાઈ છે પણ મિનીના મગજમાં આવો ખ્યાલ આવ્યો ક્યાંથી? એ વિશે ટાગોરે કોઈ ફોડ પાડ્યો નથી. નવલકથાકારની શંકાશીલ પત્નીએ જ કદાચ મિનીને આવું કહ્યું હતું કારણ કે, તે નહોતી ઈચ્છતી કે મિની કાબુલી સાથે વાતો કરે. જો કે, કાબુલીવાલાનો નવલકથાકાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવતો સમજદાર પુરુષ છે. તેને કાબુલી અને મિનીના સંબંધને લઈને કોઈ તકલીફ નથી. આ રીતે ટાગોરે કલમના જોરે માનવતામાં આશા જીવંત રાખી છે.

તપન સિંહાએ બનાવેલી બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’નું દૃશ્ય

ટાગોર લખે છે કે: દર વર્ષે જાન્યુઆરી અડધો પૂરો થાય કે તરત જ રહેમત કાબુલી વતન જતો રહેતો. આ દરમિયાન તે ઉધાર માલનું લેણું વસૂલવામાં ખાસ્સો વ્યસ્ત રહેતો. એ માટે તેને ઘરે ઘરે ફરવું પડતું. આમ છતાં, તે એકાદવાર તો મિનીને મળવા આવી જ પહોંચતો. એ જોઈને એમ લાગે કે, એ બંને વચ્ચે કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે. કોઈ વાર કાબુલી સવારે આવી ન શકે, તો સાંજે આવતો. અંધારિયા ઓરડામાંથી એ ખુલ્લા-પહોળા પાયજામા અને ઝોળીવાળા એ કદાવર માણસને જોઈને મનમાં કંઈક આશંકા પેદા થતી, પરંતુ મિનીને 'કાબુલીવાલા, એ…ઈ કાબુલીવાલા …' કહીને હસતી દોડતી જતી જોઉં ત્યારે એ જુદી જુદી ઉંમરના મિત્રો વચ્ચે હસીમજાક ચાલુ થાય ત્યારે મારું મન પ્રફૂલ્લિત થઇ જતું.

કાબુલી અફઘાનિસ્તાનનો પશ્તુન હતો. ઊંચો અને કદાવર હતો, પરંતુ મિનીને મળે ત્યારે બાળક સાથે બાળક જેવો નિર્દોષ બનીને મજાકમસ્તી કરતો. ત્યાર પછી વાર્તામાં ટાગોર કાબુલી માટે થોડા ક્રૂર થયા છે. થયું એવું કે, કોઈ વ્યક્તિએ કાબુલી પાસેથી રામપુરી શાલ લીધી હતી, પરંતુ તેણે જૂઠ્ઠું બોલીને પૈસા આપવાનો ઈનકાર કર્યો. આ બાબતે ઉગ્ર ઝગડો થતા કાબુલીએ તેને છરો ભોંકી દીધો. કાબુલીના હાથે હત્યા થઈ ગઈ. આ દરમિયાન પોલીસ કાબુલીને લઈને જઈ રહી હતી ત્યારે પણ મિની આવીને બૂમો મારે છે, 'કાબુલીવાલા, એ…ઈ કાબુલીવાલા …'  અને મિનીને જોતા જ કાબુલી ખુશ થઈ જાય છે. જેલ જતો હોય છે તો પણ!

કાબુલી વારંવાર મિનીને કહેતો હોય છે કે, તું સાસરે ના જતી. મિનીને ખબર નહોતી કે, સાસરું એટલે શું, પરંતુ તે કાબુલીને સામો સવાલ કરતી કે, તમે સાસરે જવાના છો? પોલીસ કાબુલીને લઈને જતી હતી ત્યારે પણ મિનીએ આ જ સવાલ કર્યો અને કાબુલીએ જવાબ આપ્યો કે, 'ત્યાં જ જઉં છું …' આ વાત કરીને ટાગોરે કાબુલીની બેફિકરાઈ દર્શાવી છે. રહેમત કાબુલીને ખૂન કેસમાં આઠેક વર્ષની જેલ થઈ. નવલકથાકાર પણ કાબુલીને ભૂલી ગયો અને મિની પણ મોટી થઈ ગઈ. મિનીની બહેનપણીઓની સંખ્યા વધતી ગઈ. નવલકથાકાર અને તેની પુત્રી વચ્ચે અંતર વધી ગયું છે, પરંતુ મિની લગ્ન કરીને સાસરે જશે એ વાતથી જ પિતા દુ:ખી છે.

આ વાત પણ ટાગોરે મજબૂત રીતે રજૂ કરી છે, વાંચો : … ત્યાં તો મારા ઘર આગળ શરણાઈ વાગવી શરૂ થઈ ગઈ હતી. તેનો અવાજ જાણે મારી છાતીના હાડપિંજરમાંથી ધબકીને બહાર નીકળતો, અને, ભૈરવીના કરુણ સૂરમાં નજીક આવી રહેલી વિયોગની વ્યથાને શરદના તડકાની સાથે આખી પૃથ્વી પર ફેલાવી દેતો હતો. આજે મારી મિનીના લગ્ન હતા. સવારથી ઘરમાં ભારે ધમાલ હતી. માણસોનું આવનજાવન ચાલુ હતું. આંગણામાં વાંસ નાંખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના તમામ ઓરડા અને પરસાળમાં તોરણો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ-દોડધામનો પાર ન હતો …

બિમલરોયે બનાવેલી ‘કાબુલીવાલા’નું પોસ્ટર, જેમાં કાબુલીની ભૂમિકા બલરાજ સહાનીએ ભજવી હતી

આમ, નવલકથાકારના ઘરમાં લગ્નપ્રસંગનો માહોલ બરાબર જામ્યો હતો ત્યાં જ રહેમત કાબુલી જેલમાંથી છૂટીને મિનીને મળવા આવી પહોંચ્યો. મિનીના પિતા શુભ દિવસે એક 'ખૂની'ને ઘરમાં જોઈને થોડા હલબલી ગયા અને તેને પાછા જવાનું કહ્યું, પરંતુ કાબુલીએ ડરતા ડરતા પૂછી લીધું કે, 'મિનીને જરા મળી શકાશે ખરું?' કાબુલીને અંદાજ ન હતો કે, મિની હવે બાળકી નથી. એ સાસરે જઈ રહી છે. તેને હતું કે, હમણાં જ મિની 'કાબુલીવાલા, એ…ઈ કાબુલીવાલા …' એવી બૂમો મારતી આવશે. જો કે, નવલકથાકાર કાબુલીને ભારપૂર્વક કહી દે છે કે, ઘરમાં ધમાલ હોવાથી મિનીને મળી નહીં શકાય. એ પછી કાબુલી સ્તબ્ધ થઈને થોડી વાર ઊભો રહી ગયો. સલામ, કહીને ભગ્ન હૃદયે પાછો વળી ગયો અને ફરી પાછા વળીને કહ્યું: આ અંગૂર-કિસમિસ અને બદામ મિની મારી કિકી માટે લાવ્યો છું. એને આપવાની કૃપા કરજો.

નવલકથાકારે એ લઈ લીધું અને પૈસા આપવા હાથ લંબાવ્યો ત્યારે તેણે એ પૈસા ના લીધા અને કહ્યું કે, 'મારે પણ દેશમાં આવી જ એક દીકરી છે. એનું મોં યાદ કરીને હું તમારી કિકી માટે જરાતરા સૂકોમેવો લઈ આવું છું. હું કંઈ વેપાર કરવા નથી આવતો.' આટલું બોલીને તેણે પહોળા અંગરખામાં છાતી પાસે રાખેલો એક ચોળાયેલો કાગળ કાઢીને નવલકથાકારને બતાવ્યો. કાગળ પર ફક્ત એક નાનકડા હાથની છાપ હતી. એ તેણે હાથ પર કાજળ લગાવીને લીધી હતી. દીકરીનું સ્મરણ આ રીતે છાતીસરસું રાખીને તે કોલકાતાના રસ્તાઓ પર સૂકોમેવો વેચવા આવતો. એ કાગળ જોઈને નવલકથાકારની આંખ ઊભરાઈ ગઈ. નવલકથાકાર ભૂલી ગયો કે કાબુલી મેવાવાળો છે અને તે બંગાળના ઉચ્ચ વંશનો સંસ્કારી પુરુષ છે. નવલકથાકારને અહેસાસ થયો કે, કાબુલી પણ તેના જેવો જ એક પિતા છે.

નવલકથાકારે તુરંત જ મિનીને અંદરના ઓરડામાંથી બોલાવી. કુટુંબની બીજી સ્ત્રીઓએ વિરોધ કર્યો પણ નવલકથાકારે તેને ધરાર બોલાવી. લાલ-રેશમી સાડીમાં સજ્જ મિની કપાળમાં ચંદન સાથે બહાર આવી. વધૂના વેશમાં તે શરમાતી સંકોચાતી આવીને ઊભી રહી અને કાબુલી તેને જોઈને ચોંકી ગયો. એ બંને વચ્ચે પહેલાંની જેમ નિર્દોષ વાર્તાલાપ જામ્યો નહીં. તેણે મિનીને પૂછી લીધું કે, તું સાસરે ચાલી? મિની પહેલાંની જેમ જવાબો આપી ના શકી. રહેમત કાબુલીનો સવાલ સાંભળીને શરમાઈને બસ ઊભી રહી.

મિનીના ગયા પછી કાબુલીને પણ ભાન થયું કે, કાબુલમાં તેની પુત્રી પણ સાસરે જવા લાયક થઈ ગઈ હશે. તે જમીન પર બેસી ગયો. આઠ વર્ષમાં તે પણ મોટી થઈ ગઈ હશે અને હવે કાબુલ જઈને તેની સાથે નવેસરથી ઓળખાણ કરવી પડશે. એ કોલકાતાની કોઈ ગલીમાં જઈને બેઠો એ પહેલાં નવલકથાકારે તેને પૈસાની એક મોટી નોટ હાથમાં પકડાવી દીધી અને કહ્યું કે, રહેમત તું પણ દેશમાં તારી છોકરી પાસે પહોંચી જા. તમે બાપ-બેટી સુખેથી મળો તો મિનીનું કલ્યાણ થશે.

લગ્ન માટે બચાવેલા રૂપિયા કાબુલીને આપી દેવાથી નવલકથાકાર લગ્નમાં વીજળીનો ભપકો અને બેન્ડનો ખર્ચ કરી ના શક્યા. કેટલીક સ્ત્રીઓએ બબડાટ પણ કર્યો, પરંતુ છેલ્લી લીટીમાં ટાગોર પેલા નવલકથાકારના મોંઢે કહે છે કે: … પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઉઠ્યો.

***

'કાબુલીવાલા' આશરે સવાસો વર્ષ પહેલાં, ૧૮૯૭માં, પ્રસિદ્ધ થઈ હતી. આ વાર્તા વાંચતી વખતે માલુમ પડે છે કે, એ વખતે કાબુલીઓ ગુલામીના વેપારમાં સંડોવાયેલા હશે! એક સરેરાશ બંગાળી તેમના પહેરવેશ, ખાન-પાન અને દેખાવના કારણે તેમને જુદી રીતે જોતો, પરંતુ ટાગોરે તેમની વાર્તામાં કાબુલીને 'ખૂની' દર્શાવીને ગુનેગાર નથી દર્શાવ્યો. આ ટાગોરના શબ્દોની તાકાત છે. ગુનાખોરી અટકાવવાનું કામ કાયદાનું છે અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસ જીવંત રાખવાનું કામ સાહિત્યનું. ટાગોરે આ કામ બખૂબી કરી બતાવ્યું છે.

'કાબુલીવાલા'નો ગુજરાતી સહિત અનેક ભાષામાં અનુવાદ થયો છે. ગુજરાતીમાં આ વાર્તા રમણલાલ સોની અને મહાદેવ દેસાઈ જેવા બે ધુરંધર સહિત અનેક લોકોએ અનુવાદ કરી છે. 'કાબુલીવાલા' પરથી આ જ નામે ૧૯૫૭માં બંગાળી અને ૧૯૬૧માં હિન્દી ફિલ્મ પણ બની ચૂકી છે, પરંતુ ટાગોરની વાર્તામાંથી પસાર થવાનો અનુભવ કંઈક ઓર જ છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/08/blog-post.html

Loading

...102030...3,0733,0743,0753,076...3,0803,0903,100...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved