Opinion Magazine
Number of visits: 9686331
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન જન્મેલી જિઓ :

રામચન્દ્ર ગુહા|Opinion - Opinion|21 August 2018

નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ ચાલતી કેન્દ્ર સરકાર લોકોને કેટલી હદે મૂરખ બનાવવાની નિંભર કોશિશ કરે, તેનો દાખલો તાજેતરમાં જોવા મળ્યો. કેન્દ્ર સરકારના માનવસંસાધન વિકાસ મંત્રાલયે નવમી જુલાઈએ દેશમાં ઉચ્ચશિક્ષણમાં ઉત્તમ નિવડેલી છ સંસ્થાઓની એક યાદી  ‘ઇન્સ્ટિટ્યૂટ્‌સ ઑફ એમિનન્સ’ એવા વર્ગ હેઠળ જાહેર કરી. એમાં સરકારશ્રીએ રિલાયન્સ ગ્રૂપની ‘જિઓ ઇન્સ્ટિટ્યૂટ’ને પણ સ્થાન આપ્યું. હકીકત એ છે કે આવી કોઈ  સંસ્થા હકીકતમાં નક્કર રૂપે અસ્તિત્વમાં જ નથી. તેનાં મકાન, સંકુલ અને વિદ્યાર્થીઓ એવું કશું છે જ નહીં. અક્કલવાળા માણસનું મગજ બહેર મારી જાય તેવી આ વાત છે. આ મોદીનો જાદુ છે. તેમણે એ ઇલમનો એક કામયાબ અખતરો ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા, ત્યારે અમદાવાદ પર કર્યો હતો. રળિયામણું અને વિશાળ કાંકરિયા તળાવ દેખાતું બંધ કરી દીધું! જે દૃશ્ય હતું તેને અદૃશ્ય કરી દીધું. હવે વડાપ્રધાન મોદી જે અદૃશ્ય છે એને દૃશ્ય કરે છે. જિઓ ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ દેશને બતાવે છે કે જુઓ એ છે અને વળી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનન્સ તરીકે છે! દેશમાં  કેટલાકને તો એ દેખાઈ પણ ગઈ છે.

આ છેતરપિંડી  વિશે વર્તમાનપત્રોમાં બહુ ઓછું લખાયું છે અને જે છે તે સ્પષ્ટ શબ્દોમાં નથી. તેને આધુનિક પરિભાષા વાપરીને સ્માર્ટ પૅકેજિંગ કરીને મૂકવામાં આવ્યું છે. તેમ કરવામાં, સારા પત્રકારત્વના નમૂના સમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કે ‘હિન્દુ’ દૈનિકો પણ અપવાદ નથી. પ્રમુખ છાપાંની સરખામણીમાં થોડુંક સ્પષ્ટ કવરેજ કેટલાંક પોર્ટલ્સમાં જોવા મળ્યું, પણ એકંદર પ્રકરણમાં રિલાયન્સની માધ્યમો પરની પકડ જોવા મળી.

સોશિયલ મીડિયામાં ઠીક ટીકા અને મશ્કરી થઈ. જેમ કે, કાનૂનવિદ પ્રશાન્ત ભૂષણે ટિ્‌વટ કર્યું : ‘પૂરેપૂરા ચોંકી જવાય તેવી વાત! માનવસંસાધન વિકાસ મંત્રાલયે અંબાણીની માલિકીની ‘હજુ ખૂલવાની બાકી’ હોય તેવી જિઓ ઇન્સ્ટિટ્યૂટને આઇ.આઇ.ટી. અને આઇ.આઇ.એમ.ની સાથોસાથ ઇન્સ્ટિટ્યૂટ  ઑફ એમિનન્સ  જાહેર કરી દીધી. દેશ માટે આના કરતાં વધુ વિકૃત જોક અને ગુનાઇત સાઠગાંઠનું વધુ ખુલ્લેઆમ કામ હોઈ શકે નહીં.’

એક ટિ્‌વટ એવી છે કે જેમાં મોદી અને અંબાણીને પદવીદાનના પોષાકમાં બતાવીને લખ્યું છે : ‘લૉર્ડ મેકૉલે અને લૉર્ડ અંબાણી ભારતમાં ભક્તોમાં સાક્ષરતા વધારવા માટે જિઓ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાનું આયોજન કરી રહ્યા છે.’

એક પોસ્ટ કહે છે : ‘એવું નથી કે જિઓ ઇન્સ્ટિટ્યૂટ નથી. ખરેખર વાત એમ છે કે આપણી પાસે તેનો પૂરતો ડેટા નથી.’

જાણીતા ઇતિહાસકાર અને જાહેરજીવનના સમાલોચક રામચન્દ્ર ગુહાએ ટિ્‌વટ કરી છેઃ ‘અંબાણી યુનિવર્સિટીને પસંદગીમાં આપવામાં આવેલી અગ્રતા એ આઘાતજનક છે. વિશેષ એટલા માટે કે પ્રથમ કક્ષામાં બેસી શકે તેવી ખાનગી યુનિવર્સિટીઓને બાજુ પર મૂકવામાં આવી છે. શું આ યુનિવર્સિટીઓને તેમની ઉચ્ચ ગુણવત્તા અને તેમાંના વિદ્વાનોની બૌદ્ધિક સ્વતંત્રતાની સજા આપવામાં આવી રહી છે ?’ રામચન્દ્ર ગુહાએ ચૌદમી જુલાઈના હિન્દુસ્તાન ટાઇમ્સમાં લખેલો  એક લેખ અહીં ગુજરાતીમાં મૂક્યો છે. –

[નોંધ અને અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]

ધારો કે એક પૈસાદાર વ્યક્તિને પેટ્રોલિયમ પેદાશો તૈયાર કરનાર કંપનીમાં મૂડીરોકાણ કરવું છે. એની સામે બે વિકલ્પ છેઃ એક, એવી કંપનીમાં પૈસા રોકવા કે જેને રિલાયન્સ પ્રમોટ કરતી હોય; અને બે, એવી કંપનીમાં પૈસા રોકવા કે જેને વિદ્વાનોનું એક જૂથ ચલાવતું હોય અને તેના પ્રમુખ શિકાગો યુનિવર્સિટીના રઘુરામ રાજન હોય. આ વિકલ્પોમાંથી પસંદગી  કરવા માટે બહુ વિચાર કરવાની જરૂર નથી. કોઈ પણ હોશિયાર રોકાણકાર રાજન કરતાં રિલાયન્સની જ પસંદગી કરે.

આ કલ્પના કર્યા પછી હવે વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લો. ભારત સરકાર વૈશ્વિક કક્ષાએ પહોંચવાની ક્ષમતા ધરાવનારી સંસ્થાઓને પસંદ કરીને એમનો દિલ્હીની નોકરશાહીના વહીવટમાંથી છુટકારો કરાવવા ઇચ્છે છે. સરકારની સામે પણ બે વિકલ્પો છે : એક, રિલાયન્સે પ્રમોટ કરેલી યુનિવર્સિટી; અને બે, રઘુરામ રાજનના માર્ગદર્શન હેઠળ ચાલતી યુનિવર્સિટી. અને તમે માનશો, આપણી સરકારે પહેલા વિકલ્પની પસંદગી કરી છે.

સરકારના આ નિર્ણયની વધુ ચકાસણી કરતાં પહેલાં મારે તેની પાછળની એકંદર ભૂમિકા આપવી છે. સરકારે ગયા વર્ષે એક સ્પર્ધાની જાહેરાત કરી. તેમાં સરકાર દસ ‘ઇન્સ્ટિટ્યૂટ્‌સ્‌ ઑફ એમિનન્સ’(સર્વોત્તમ કે પ્રતિષ્ઠિત સંસ્થાઓ)ની પસંદગી કરવા માગતી હતી. આમાં દસ જાહેર યુનિવર્સિટીઓ અને દસ ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવાનો હતો. આ સ્પર્ધા માટે અરજીઓ મંગાવવામાં આવી. જેને બહોળો પ્રતિસાદ મળ્યો. એ અરજીઓમાંથી સરકારે પહેલા ફેરામાં ચાળીસ યુનિવર્સિટીઓની પસંદગી કરી. તે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને આઇ.એ.એસ.ઑફિસરના પ્રમુખપદ હેઠળની સમિતિની સામે પ્રેઝેન્ટેશન્સ કરાવવામાં આવ્યાં.

આ પ્રેઝેન્ટેશન્સ એપ્રિલ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવ્યાં હતાં. પહેલી યાદીમાંથી પડતી મુકાયેલી સંસ્થાઓએ વાંધો લેતાં તેમને પણ પ્રેઝેન્ટેશનની તક આપવામાં આવી. પછી કેટલાક મહિના આ અંગે કશું થયું નહીં. સંસ્થાઓ કે જનતાને કોઈ માહિતી આપવામાં ન આવી. જુલાઈના પહેલા અઠવાડિયામાં સરકારે પસંદગી પામેલી સંસ્થાઓની યાદી અચાનક જ બહાર પાડી. તેમાં છ જ સંસ્થાઓ પસંદ કરી. ખરેખર તો મૂળમાં તો સ્પર્ધા વીસ સંસ્થાઓની પસંદગી માટે હતી. પસંદ થયેલી સંસ્થાઓમાં બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, દિલ્હી અને મુંબઈની આઇ.આઇ.ટી. છે. તે જાહેર સંસ્થાઓ છે. ખાનગી સંસ્થાઓમાંથી પસંદ થયેલી ત્રણમાંથી બે એટલે લાંબા સમયથી કાર્યરત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્‌નોલૉજી (બિટ્‌સ) અને મણિપાલ એકૅડેમી ઑફ હાયર એજ્યુકેશન.

આ પાંચેય સંસ્થાઓને આ લખનાર સારીપેઠે જાણે છે. તેણે એ બધામાં વ્યાખ્યાનો આપવા ઉપરાંત એમાંના અધ્યાપકો સાથે કામ પણ કર્યું છે. તે ખરેખર પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર સંસ્થાઓ છે, તેમની પસંદગીની બાબતમાં ખાસ મતભેદ થઈ શકે તેમ નથી. કોઈ કદાચ એમ કહી શકે કે દિલ્હીની આઇ.આઇ.ટી.ને બદલે મદ્રાસની આઇ.આઇ.ટી.ને પસંદ કરી શકાઈ હોત. અથવા કોઈ કદાચ એમ કહી શકે કે સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન માટે જાણીતી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની પસંદગી કરી શકાઈ હોત. એમ પણ દલીલ થઈ શકે કે  બિટ્‌સ અને મણિપાલ સંસ્થાઓએ વર્ષોથી ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. એ વાત સાચી હોય તો પણ મૂળભૂત રીતે તો એ શૈક્ષણિક સંસ્થાઓ છે, અને તેમાં થયેલ સંશોધન આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી પહોંચી શક્યું નથી અને પહોંચે એવી શક્યતા પણ નથી. પસંદગી-સમિતિએ જે કેટલીક સંસ્થાઓ શૉર્ટ-લિસ્ટ કરી હતી, તેમાં અશોકા, જિન્દાલ, અઝીમ પ્રેમજી અને અમદાવાદ યુનિવર્સિટી છે. આ દરેક સાથે હું કોઈક કામ નિમિત્તે સંપર્કમાં આવ્યો છું. તેમાંથી દરેકનાં ઊજળાં પાસાં છે. જિન્દાલ પાસે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અશોકામાં ઉત્તમ સમાજશાસ્ત્રીય વિભાગો છે, અઝીમ પ્રેમજીમાં નીતિવિષયક સંશોધન સારું થાય છે. અમદાવાદ યુનિવર્સિટીમાં ઉચ્ચશિક્ષણ માટે નવતર ટ્રાન્સ-ડિસિપ્લિનરી અભિગમ છે. પસંદગી સમિતિએ ભૂતકાળના અધ્યાપનકાર્યની સિદ્ધિઓને બદલે ભાવિ સંશોધનક્ષમતાને ધ્યાનમાં લીધી હોત, તો તો બિટ્‌સ અને મણિપાલને બદલે ઉપર્યુક્ત ચારમાંથી બે સંસ્થાઓને પસંદ કરવી પડી હોત.

અલબત્ત, સહુથી વધુ વિવાદાસ્પદ પસંદગી તો છઠ્ઠી સંસ્થાની છે. આ સંસ્થા એટલે જિઓ ઇન્સ્ટિટ્યૂટ કે જેની પસંદગી થઈ છે, પણ સ્થાપના થઈ નથી, એ અત્યારે તો માત્ર એક વિચાર તરીકે જ અસ્તિત્વમાં છે.

પસંદગી-સમિતિની યાદીમાં જીઓ ઇન્સ્ટિટ્યૂટનું નામ જાહેર થતાં જ સોશિયલ મીડિયામાં પુષ્કળ ટીકાઓ થઈ. એના પ્રતિભાવ તરીકે માનવસંસાધન મંત્રાલયે એક સ્પષ્ટતા કરી કે પસંદગી-સમિતિને ‘ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્‌સ’ પણ ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું હતું. (બાંધકામ અને મિલકતને લગતી પરિભાષામાં વપરાતાં ગ્રીનફિલ્ડ શબ્દનો અર્થ એવી જમીન કે જ્યાં હજુ  સુધી બાંધકામ થયું ન હોય અને પહેલી વાર થઈ રહ્યું હોય.) હવે સવાલ એ થાય છે કે પસંદગી સમિતિએ ગ્રીનફિલ્ડ સંસ્થાઓના વર્ગમાંથી ફક્ત જિઓ જ કેમ પસંદ કરી ? આમ તો આ જ વર્ગમાં ચેન્નાઈના પરામાં જેનું સંકુલ ઝડપથી વિકસી રહ્યું છે, તે સૂચિત સંસ્થા ‘ક્રિઆ’ પણ આવી શકી હોત.આ સંસ્થાના સંચાલકમંડળમાં આનંદ મહિન્દ્રા, કિરણ મુજુમદાર-શૉ, અનુ આગા અને એન. વાઘુલનો સમાવેશ છે. એની એકૅડેમિક કાઉન્સિલના પ્રમુખ રઘુરામ રાજન છે અને બીજા સભ્યોમાં પ્રતિભાશાળી ઇતિહાસકાર શ્રીનાથ રાઘવન, તેજસ્વી શાસ્ત્રીય સંગીતકાર ટી.એમ. કૃષ્ણા અને મહાન ગણિતશાસ્ત્રી મંજુલ ભાર્ગવ છે.

ગયા ચારેક દાયકાથી વધુ સમયથી હું ભારતના વિદ્યાક્ષેત્રનો એક સક્રિય વિદ્યાર્થી અને સંશોધક છું. મને લાગે છે કે અશોકા, પ્રેમજી અને અમદાવાદ યુનિવર્સિટીમાંથી બે સંસ્થાઓ છ સંસ્થાઓમાં પસંદ થવી જોઈતી હતી, કારણ કે તેમણે સર્વોત્તમ સંસ્થાઓની આ યોજના પાછળની જે વિભાવના છે, તેના માટેના પુરાવા આપ્યા છે. આ સંસ્થાઓ પૂરી સક્રિય  છે અને દેશ અને દુનિયાના ઉત્તમ અધ્યાપકોને તેણે આકર્ષ્યા છે. તેમનામાં વૈશ્વિક સ્તરે પહોંચવા માટેની ક્ષમતા ચોક્કસ જ છે. વધુ પાત્રતા અને સ્વતંત્ર વૈચારિક ક્ષમતા ધરાવતી પસંદગી-સમિતિ હોત, તો આ સંસ્થાઓની ગુણવત્તા પર તેમણે જરૂર વિશ્વાસ મૂક્યો હોત.

આ લેખ લખાઈ રહ્યો છે, ત્યારે જિઓ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી મીડિયામાં ચર્ચાના ચકડોળે ચઢી છે, એમાં હું ઉમેરો કરવા માગતો નથી. પણ હું એ ફરીથી ભારપૂર્વક કહીશ કે જિઓ ઇન્સ્ટિટ્યૂટની પસંદગી એક કોયડો છે. સવાલ એ પણ છે કે ‘નિષ્ણાત’ વ્યક્તિઓની બનેલી હોવાનું કહેવાતી પસંદગી-સમિતિએ નફો કમાવાના ઇરાદા ધરાવનાર કારખાના અને વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીની વચ્ચે શો ફરક છે, એનો વિચાર કર્યો હતો ખરો?

૩૧ જુલાઈ, ૨૦૧૮

સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 08-09

Loading

આપણે સાંસ્કૃિતક લડવૈયા છીએ :

આનંદ પટવર્ધન|Opinion - Opinion|21 August 2018

કેરળના તિરુવનન્થપુરમમાં વીસમી જુલાઈથી ચાર દિવસ માટે યોજાયેલા અગિયારમા ‘ઇન્ટરનૅશનલ ડૉક્યુમૅન્ટરી ઍન્ડ શૉર્ટ ફિલ્મ – ફૅસ્ટિવલ’માં આનંદ પટવર્ધનને લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. તે વખતે તેમણે આપેલું વ્યાખ્યાન અહીં ઉતાર્યું છે.

કેરળવાસીઓ, તમારો આભાર, માત્ર આ સન્માન માટે નહીં, તમે જે છો તેના માટે પણ. તમે એક એવું રાજ્ય છો કે જેમાં આત્યંતિક જમણેરી પરિબળો, તેમની પૂરેપૂરી તાકાત લગાવવા છતાં ય, સંસદમાં એક કરતાં વધુ બેઠકો મેળવી શક્યાં નથી. તમે સમાજ તરીકેનો તમારો ભાવ જાળવી રાખ્યો છે. એ ભાવનું તમે ધાર્મિક ઓળખમાં પતન થવા દીધું નથી. કેરલાઇટ એટલે કે કેરળવાસી હોવું એ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે યહૂદી હોવા કરતાં વધુ અર્થપૂર્ણ છે. વળી, ભારત જેનું ‘વિકાસ’ તરીકે પ્રદર્શન કરે છે, તે અવિચારી ઔદ્યોગિકીકરણ અને પર્યાવરણવ્યવસ્થા (ઇકોસિસ્ટમ્સ)ના વિનાશને શરણે તમે એક રાજ્ય તરીકે ગયા નથી, એટલા માટે તમારો આભાર માનવાનો. અમને શ્વાસ લેવાની તક આપવા માટે – અને આ શબ્દાર્થે પણ સાચું છે – તમારો આભાર.

આ ‘ઇન્ટરનૅશનલ ડૉક્યુમૅન્ટરિ ઍન્ડ શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ કેરળ’ અને ‘ચલચિત્ર અકાદમી’નો પણ આભાર માનું છું. આ ઉપક્રમો સહુ કાર્યકર્તાઓની ઘણી મહેનતને કારણે  વર્ષોથી ચાલતા રહ્યા છે. તેનો આરંભ કરનાર અને કપરા સંજોગોમાં પણ તેમને ટકાવી રાખનાર રાજકીય પક્ષના દર્શનને પણ હું ધન્યવાદ આપું છું.

મને ખ્યાલ છે કે અત્યારે મારે સિનેમાની વાતને ચાતરી જવાની નથી, એટલે હવે હું એના તરફ આવવા માટે કોશિશ કરીશ. મારી સમસ્યા એ છે કે મારી ફિલ્મો હું જે દુનિયામાં રહું છું તે વિશેની છે અને તે દુનિયા બહુ ઝડપથી બદલાઈને વધુ ખરાબ થઈ રહી છે. આજે મને જે સન્માન અપાઈ રહ્યું છે, તેવું સન્માન મને થોડાંક વર્ષો પૂર્વે પણ મળ્યું હતું. એ ૨૦૧૪ની સાલ હતી અને અત્યારે જે વડાપ્રધાન છે, તે સત્તા પર આવવાની તૈયારીમાં હતા. મારી ફિલ્મો દુનિયામાં કોઈ પરિવર્તન લાવી છે કે કેમ એ અંગે ચિંતન કરું તો હું એવા તારણ પર આવું છું કે એ પરિવર્તન લાવી શકી નથી. એ ફિલ્મોથી કોઈ બદલાવ આવ્યો હોત, તો આપણે જે લોકોને ચૂંટ્યા એમને ન ચૂંટ્યા હોત. મને એ પણ ખબર છે કે મારી ફિલ્મોથી દુનિયા બદલાશે એવી મારી અપેક્ષા એ એક જાતનું અભિમાન છે, એમ અહીંના શ્રોતાઓને અને બીજાઓને પણ લાગશે. પણ ખરેખર, હું એવો કવિ નથી કે જે પોતાના જ માટે લખતો હોય, એવો ગાયક નથી કે જે બાથરૂમમાં જ ગાતો હોય કે એવો ચિત્રકાર નથી કે જે ચિત્રપ્રદર્શનોની ગૅલેરીઓ માટે જ ચિત્રો કરતો હોય. દુનિયા મારી ફિલ્મોની નોંધ લે એ હું ઇચ્છું છું, એ મારી મહત્ત્વાકાંક્ષાનું સ્તર છે. એના વિના હું ફિલ્મો બનાવી જ ન શકું.

હું નિષ્ફળ નીવડ્યો છું એવા તારણ પર હું જ્યારે પહોંચ્યો, ત્યારે ૨૦૧૪માં જે અનિષ્ટ થવાનું છે, તેના સંકેત મળી ચૂક્યા હતા. પણ મારા જેવા લોકો, અમારી ફિલ્મો ખરાબ હતી એટલા માટે નિષ્ફળ નથી, એવું પણ નથી કે અમે અમારી વાત લોકોને કમ્યુિનકેટ નહીં કરી શક્યા. અમારી ફિલ્મો નિષ્ફળ એટલા માટે નીવડી કે અમારી ફિલ્મો દૂર દૂર પહોંચાડવા માટેની વ્યવસ્થા (મિકેનિઝમ) નિષ્ફળ નીવડી હતી. એ બતાવવાનો મુદ્દો દેશના જુદા-જુદા હિસ્સામાં સત્તા ધરાવનારા માટે અગ્રતાક્રમે ન હતો. આજે, ચાર વર્ષે વાત વધુ વણસી છે.

આજના ભારતમાં તમને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી, સિવાય કે તમે જમણેરી વિચારધારા ધરાવતા હત્યારા હો, લિન્ચ મૉબ એટલે કે હત્યા કરનાર ટોળાંનો હિસ્સો હો, દલિત-દુર્બળ-લઘુમતી વર્ગોના માણસોનું ખૂન કરનાર હો કે તેમની મહિલાઓ પર બળાત્કાર કરનાર હો. તમે એવા હો, તો પછી તમને માત્ર અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જ નહીં, સજામાંથી મુક્તિ પણ છે. તમારી ધરપકડ ભાગ્યે જ થશે. એમાં ય તમને જામીન મળશે એટલું જ નહીં પણ એ મળ્યા પછી મંત્રીઓ તમને હાર પહેરાવીને આવકારશે.

આજે આપણે મીડિયાના કૉર્પોરેટાઇઝેશન સામે લડવાનું છે. ફાસીવાદીઓ સત્તા પર આવે, ત્યારે કૉર્પોરેટ્‌સ શું કરતા હોય છે, તે જાણવા માટે તમારે દૂરના ઇતિહાસમાં જવાની જરૂર નથી. આજે મીડિયાને ચાબૂક ફટકારી હાંકવા માટે કોઈ ગૉબેલ્સની જરૂર નથી. એ કામ કૉર્પોરેટ્‌સે કરી નાખ્યું છે. આઝાદીનો રોમાન્સ પૂરો થયા પછી, લોકોને ઉત્તમ શિક્ષણ આપવા માટેના સિદ્ધાન્તને આપણે ભૂલી ગયા. પછીનાં વર્ષોમાં ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (આઇ.એમ.એફ.) અને વિશ્વબૅન્કે આપણા પર ખાનગીકરણ ખરેખર લાદીને નવા રૂપમાં બ્રાહ્મણવાદ ઊભો કર્યો. 

આઇકોનોગ્રાફી એટલે સાંસ્કૃિતક અને જાહેરજીવનની પ્રતીમાઓ તેમ જ પ્રતીકોનાં અર્થઘટન બદલાઈ શકે છે. ભગવા ઝંડા હેઠળ તિરંગો હંગામી ધોરણે ઢંકાઈ શકે. હિન્દુત્વ કૅન બિકમ અ ન્યુ નૅશનલ – હિન્દુત્વ એ નવું રાષ્ટ્રીયત્વ બની શકે. પણ બ્રાહ્મણવાદ હંમેશાં ત્યારે જ શાસન કરી શકતો હોય છે કે જ્યારે તેની સામે તિરસ્કાર માટેનું એક નિશાન હોય. બ્રાહ્મણવાદ એક વર્ગ કે વર્ણમાં બંધાયેલો નથી. એ લોકોને બાકાત કરનારું એવું માનસ (ઍક્સ્કલઝિવિસ્ટ માઇન્ડસેટ) છે. આ માનસ હંમેશાં કોઈને તિરસ્કારવા ઇચ્છે છે, જેના માટે એને દુશ્મનની જરૂર હોય છે. સોશિયલ મીડિયાના સ્વરૂપે આવેલી નવી ટેક્નોલૉજિ તિરસ્કારને ટોળાંની અંદરના દરેક હત્યારાના  ખિસ્સામાંના મોબાઇલ થકી સર્વત્ર લઈ જાય છે. તિરસ્કારનું માનસ ધરાવતા લોકો બીજાને બંદૂક ચલાવતા શીખવે છે અને તેમને કારણે આપણે માનવ-અધિકાર માટેના અનેક લડવૈયા ગુમાવ્યા છે. આવાં દુઃખદ મૃત્યુની યાદ આપણને અત્યારે કવિતા લંકેશની ઉપસ્થિતિને કારણે પણ આવે છે.

આપણે કઈ રીતે લડી શકીએ ? આપણે હિંસાની સામે હિંસા ન કરી શકીએ. આપણે એ માત્ર લાગણી અને વિચાર સાથે કામ પાડીને કરી શકીએ. એક સાંસ્કૃિતક યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આપણે પ્રદેશ, પક્ષ ,સામાજિક વર્ગ અને વર્ણથી ઉપર ઊઠીને એવી સંસ્કૃિતનું સર્જન કરવું પડશે. જે જાતિવિહીન, વર્ગવિહીન, લોકશાહી, ન્યાયપૂર્ણ અને કરુણાપૂર્ણ હોય. આપણે સાંસ્કૃિતક લડવૈયા છીએ. આપણાં શસ્ત્રો એ વિવેક અને સંવેદનાં છે.

આપ સહુનો ફરીથી આભાર માનું છું અને તેને મારા આગામી કામ માટેના સહયોગ તરીકે સ્વીકારું છું.

૦૫ ઑગસ્ટ, ૨૦૧૮

[અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]

સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 10

Loading

ચલણી નોટો પાછી ફરી !

રમેશ બી. શાહ|Opinion - Opinion|20 August 2018

નોટબંધીનાં પગલાંની યાદ આપતી એક માહિતી સમાચાર રૂપે અખબારોમાં જુલાઈના આરંભમાં પ્રગટ થઈ. પ્રજામાં ફરતી ચલણી નોટો જૂનના આરંભે રૂ. ૧૯.૩૨ લાખ કરોડની થઈ. આ આંકડો સમાચારનો વિષય બન્યો, તેનું કારણ સમજીએ. ૨૦૧૬ના નવેમ્બરની આઠમી તારીખે વડાપ્રધાને લોકો માટે સાવ અણધારી રીતે રૂ. ૫૦૦ અને હજારની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, ત્યારે પ્રજામાં ફરતી ચલણી નોટો રૂ. ૧૭.૧૭ લાખ કરોડની હતી. નોટબંધીનાં પરિણામે ૬-૧-૧૭ના રોજ પ્રજામાં ફરતી ચલણી નોટો ઘટીને ૮.૭૮ લાખ કરોડની થઈ હતી. ૨૦૧૭માં પ્રજામાં ફરતી ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ૯.૫ ટકા થઈ ગયું હતું, જે ૨૦૧૫માં ૧૨ ટકા હતું, ત્યારે વડાપ્રધાનશ્રીએ નોટબંધીની સફળતા વર્ણવતાં સગર્વ જાહેરાત કરી હતી કે ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ઘટીને નવ ટકા થઈ ગયું છે. હવે ચલણી નોટો મૂલ્યમાં રૂ. ૨.૧૫ લાખ કરોડ વધીને ૧૯.૩૨ લાખ કરોડ પર પહોંચી છે અને જી.ડી.પી.ના ટકા રૂપે ૧૧.૨૭ ટકા પર પહોંચી છે. આમ, ચલણી નોટો ઘટાડી નાખવાનો નોટબંધીનો ઉદ્દેશ જો હોય, તો  પાર પડ્યો નથી. તેેથી પ્રજામાં ફરતી ચલણી નોટોનો આ આંકડો સમાચારોનો વિષય બન્યો.

પ્રજામાં ફરતી ચલણી નોટોને એક અનિવાર્ય અનિષ્ટ સમજવાના મૂળમાં કાળાં નાણાં અંગેની (ગેર)સમજ રહેલી છે. રોકડ નાણાંમાં થતા વ્યવહારોમાં કરચોરી કરવાનું સરળ થઈ જાય છે, જેથી એક બાજુ સરકારની કરની આવક ઘટે છે અને બીજી બાજુ કાળાંનાણાંનાં ધારી લીધેલાં અનિષ્ટો સર્જાય છે. આ રોકવાનો એક અસરકારક ઉપાય, આ તર્ક પ્રમાણે ચલણનું પ્રમાણ ઘટાડી નાખવાનો છે, જેથી લોકોને ચુકવણીઓ કરવાના અન્ય વિકલ્પો અપનાવવાની ફરજ પડે, પણ આ વિચારધારામાં કોઈ તથ્ય નથી.

રશિયામાં પ્રજામાં ફરતું ચલણ જી.ડી.પી.ના ૮.૮ ટકા છે, જ્યારે સિંગાપુરમાં એ પ્રમાણ ૯.૩ ટકા છે. રશિયામાં ચલણનું પ્રમાણ, સિંગાપુરની તુલનામાં ઓછું છે, પણ રશિયામાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં પ્રવર્તે છે, જ્યારે સિંગાપુર ભ્રષ્ટાચારથી મુક્ત રાષ્ટ્ર ગણાય છે. આ બાબતમાં જાપાન એક આત્યંતિક સ્વરૂપનું રાષ્ટ્ર છે. આ એક અત્યંત વિકસિત દેશેમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના લગભગ ૨૧ ટકા જેટલું મોટું છે. રોકડ નાણાંનું આટલું મોટું પ્રમાણ હોવા છતાં જાપાનમાં કાળાં નાણાં કે અન્ય ભ્રષ્ટાચારોની કોઈ અસામાન્ય સમસ્યા પ્રવર્તતી નથી. મુદ્દો એ છે કે કરચોરી અને લાંચરુશ્વત જેવા ભ્રષ્ટાચારોને અર્થતંત્રમાં ફરતાં નાણાંના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. દુનિયાના દેશોમાં ચલણનું પ્રમાણ જી.ડી.પી.ના છ ટકાથી માંડીને વીસ ટકા જેટલું જોવા મળે છે. ચલણના પ્રમાણનો આધાર લોકોની આદત અને અર્થતંત્રના સ્વરૂપ ઉપર છે. ચલણ ઘટાડી નાખીને લોકોને ડિજિટલ ચુકવણી કરવાની ફરજ પાડી શકાતી નથી, એ ભારતના અનુભવ પરથી સમજાય છે.

ભારતમાં નોટબંધી કરવામાં આવી, ત્યારે જે ચલણ હતું (રૂ.૧૭.૧૭ લાખ કરોડ) તેને દોઢેક વર્ષમાં જ વટાવી જવામાં આવ્યું, તે હકીકત થોડી ચર્ચાનો વિષય બની છે. એના બે ખુલાસા આપવામાં આવ્યા છેઃ એક, લોકો નાણું સંઘરવા માંડ્યા છે. અને બીજું, ચૂંટણીઓ નજીક હોવાથી રાજકીય પક્ષો નાણું સંઘરવા માંડ્યા છે. રોકડ નાણાંના ઉપયોગ અંગે ઉપર લોકોની આદતનો જે ઉલ્લેખ કર્યો છે, તેનાં આ બે ઉદાહરણો છે. ભારતમાં બૅંકોમાં રહેલું નાણું જે હૂંફ આપે છે, સલામતીનો જે અનુભવ કરાવે છે. તેની તુલનામાં હાથ પર રહેલાં નાણાંમાં લોકો વધારે સલામતી અનુભવે છે. એ.ટી.એમ.ની સગવડ થયા પછી પણ અણધાર્યા ખર્ચ માટે લોકો ગજા પ્રમાણે નાણું ઘરમાં રાખવાનું પસંદ કરે છે. નોટબંધી કરવામાં આવી ત્યારે ગૃહિણીઓની એક આદત ઊપસી આવી હતી : ઘણી ગૃહિણીઓ પતિ ન જાણે તેમ કેટલુંક નાણું પોતાની પાસે છુપાવી રાખે છે. એનો હેતુ પણ સાવચેતીનો જ હોય છે. અર્થતંત્રમાં જેને અસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેનો મોટા ભાગનો વ્યવહાર રોકડ નાણાં દ્વારા થાય છે. તેનું મોટું ઉદાહરણ ખેતીનું છે, જેની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે, તેથી તેના રોકડ વ્યવહારોને કારણે કરચોરીનો પ્રશ્ન ઊભો થતો નથી.

કરચોરીને રોકડ નાણાં અને અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્ર સાથે સાંકળવાનું કેટલું યોગ્ય છે, તે જી.એસ.ટી.ના અનુભવના આધારે તપાસવા જેવું છે. નાણાપ્રધાને જોરશોરથી પ્રચાર કર્યા પ્રમાણે જી.એસ.ટી.ના અમલ પછી કરદાતાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે, અર્થાત્‌ કરપાલનમાં વધારો થયો છે. કરપાલનમાં આ સુધારો કરના વહીવટી સુધારાનું પરિણામ છે એ સ્પષ્ટ છે. વધારામાં નવા કાયદાનો સફળ અમલ કરવા સાથે સરકારની પ્રતિષ્ઠા સંકળાયેલી છે. તેથી વહીવટીતંત્રને સતત સાબદું રાખવામાં આવ્યું છે. આ અનુભવનો બોધ સ્પષ્ટ છે : કરચોરી કરના અસરકારક વહીવટની ખામીમાંથી ઉદ્‌ભવતું અનિષ્ટ છે, એ કેવળ કરદાતાઓની અપ્રામાણિકતામાંથી ઉદ્‌ભવતું અનિષ્ટ નથી. તે કરના વહીવટની અણઘડતા અને કરના વહીવટીતંત્રમાં બેઠેલાઓની અપ્રામાણિકતા સાથે સંકળાયેલું અનિષ્ઠ પણ છે. મુદ્દો એ છે કે અર્થતંત્રમાં થતી કરચોરીને અર્થતંત્રમાં ફરતા નાણાંના પ્રમાણ સાથે સંબંધ નથી, કરના વહીવટીતંત્રની કાર્યક્ષમતા સાથે તે સંકળાયેલી છે.

લોકોને એમની આદતો બદલવાની ફરજ પાડી શકાતી નથી તે આ કિસ્સામાં પણ જોઈ શકાયું છે. અર્થતંત્ર એની ગતિએ ડિજિટલ ચુકવણીઓ તરફ આગળ વધી રહ્યું છે. પાંચેક વર્ષમાં ૬૦ ટકા જેટલી ચુકવણીઓ ડિજિટલ પ્રથા દ્વારા થશે, એવો અંદાજ પણ છે. નોટબંધીથી લોકોને રોકડ નાણાંની અછતને કારણે ડિજિટલ પ્રથાનો આશ્રય લેવાની ફરજ પડી, તેથી નોટબંધી પછીનાં દોઢેક વર્ષ દરમિયાન ડિજિટલ ચુકવણીઓમાં મોટો વધારો થયો, પરંતુ ચલણી નાણું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતાં લોકો તેમની આદત પ્રમાણે રોકડેથી વ્યવહાર કરતા થઈ ગયા છે અને ડિજિટલ ચુકવણીઓની પ્રથા પોતાની રીતે વિસ્તરી રહી છે.

નોટબંધી કાળાં નાણાં પકડી પાડવાના જે ઉદ્દેશથી કરવામાં આવી હતી, તેમાં કોઈ સફળતા સાંપડી નહીં, પણ તેની મોટી કિંમત અર્થતંત્રને ચૂકવવી પડી. તથાપિ એ પગલું સદંતર નિષ્ફળ નીવડ્યું નથી, તે દેખાડવા માટે તેની સાથે બીજા ઉદ્દેશો જોડવામાં આવ્યા. એ ઉપજાવી કાઢવામાં આવેલા ઉદ્દેશોની બાબતમાં પણ કોઈ સફળતા સાંપડી નથી, તે પ્રજામાં ફરતાં ચલણમાં થયેલી મોટી વૃદ્ધિના દાખલામાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં ફરતાં કાળાં નાણાંના જંગી જથ્થા અંગે તેમ જ તેનાં અનિષ્ટો અંગે લોકોમાં જે ભ્રામક માન્યતાઓને પોષવામાં આવી હતી, તેનો રાજકીય લાભ નોટબંધી દ્વારા વડાપ્રધાન લઈ શક્યા. લોકોની નજરમાં કાળાં નાણાંના અસુરનો વધ કરવા વડાપ્રધાન સંગ્રામ ખેલી રહ્યા છે, એવી તેમની પ્રતિમા ઊપસી આવી અને લોકોએ નોટબંધીએ સર્જેલી હાડમારી ભોગવી લીધી. મજૂર કાયદાઓમાં સુધારા અને ઍર ઇન્ડિયા જેવા જાહેરક્ષેત્રના ધોળા હાથીઓનું ખાનગીકરણ કરવા જેવા મોટા સુધારા કરવાની રાજકીય હિંમત દાખવવાના વિકલ્પે નોટબંધીનું નાટાકીય પગલું ભરવામાં આવ્યું હતું.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 04-05

Loading

...102030...3,0653,0663,0673,068...3,0803,0903,100...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved