Opinion Magazine
Number of visits: 9578226
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|25 October 2018

હૈયાને દરબાર

પૂનમની રાત એ દિવ્ય રાત્રિ. કુદરતની કવિતાનું નિતાંત સૌંદર્ય. શરદ પૂનમ હજુ બે દિવસ પહેલાં જ ઉજવાઈ, એટલે ચંદ્ર-તારા મંડિત રાતનું વર્ણન કરતાં ગીતોની જ વાત કરાય ને!

ચંદ્રનું મને જબરજસ્ત આકર્ષણ છે. પૂનમની રાતે ચાંદને ટગર ટગર જોયા કરવાનું ખૂબ ગમે. એમાં ય કોઈ અદ્ભુત કુદરતી સ્થળે પૂનમનો ચાંદ સત્સંગ કરવા આવી જાય, એ તો સોને પે સુહાગા! એવું કેટલી ય વાર બન્યું છે કે ભારતનું લેહ-લદાખ હોય કે સ્વિટ્ઝર્લેન્ડનો આલ્પ્સ પર્વત, યોગાનુયોગે જે બેસ્ટ જગ્યાએ હું હોઉં ત્યાં ચાંદો ગુફ્તગૂ કરવા આવી જ ગયો હોય. યાદ આવે છે ભેડાઘાટની. મધ્ય પ્રદેશનું એ અપ્રતિમ સ્થળ છે. આરસની ચટ્ટાનો વચ્ચેથી વહેતી નર્મદા અને માથે પૂર્ણ ચંદ્રનું અજવાળું હોય એનાથી સર્વોત્તમ રાત્રિ કોઈ હોઈ શકે?

એવી જ એક સુંદર મજાની ચાંદની રાતે અમે નર્મદામાં નૌકા વિહાર કરી રહ્યાં હતાં અને એક સુંદર ગીત યાદ આવી ગયું. એ ગીત હતું રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત. સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત રે …! પછી તો ચાંદ પરનાં ગીતોની મહેફિલ જામી. આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાયે તેરી મેરી બાત આધી, તૂ ચંદા મૈં ચાંદની, દેખો વો ચાંદ છૂપ કે કરતા હૈ ક્યા ઈશારે જેવાં કેટલાં ય ચંદ્ર ગીતો ચાંદની રાતને ઓર રંગીન બનાવી ગયાં. ચાંદની રાત ખાસ કરીને સ્ત્રી હૃદયમાં અનોખા ભાવ સ્પંદનો જગાવે છે. પ્રિયજનનો સાથ હોય, તો પૂનમની રાત જાણે મધુરજની જ બની જાય!

પૂર્ણ ચંદ્રનું અજવાળું નર્મદાનાં નીરમાં પ્રકાશ પાથરી રહ્યું હતું અને એ રોમાંચક ઘડીઓમાં આ અત્યંત રોમેન્ટિક ગીતો મન પર સવાર હતાં, પરંતુ આપણે અહીં મુખ્ય વાત કરવાની છે એવાં જ પ્રણયભીનાં ગુજરાતી ગીતોની. ગુજરાતી સુગમ સંગીતનાં સર્વોત્તમ રોમેન્ટિક ગીતોમાં અગ્રક્રમે આવી શકે એવા રાગ મિશ્ર પહાડી પર આધારિત આ ગીત, રૂપલે મઢી છે સારી રાત…માં નારી સંવેદનાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.

લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.

કાકાસાહેબ કાલેલકરે એક સ્થાને લખ્યું છે કે, "ચાંદની રાતે ગરીબ-તવંગરનો ભેદ કર્યા વિના કુદરત વૃક્ષોની નીચે એના ગાલીચા પાથરી દે છે. ઝાડનાં પાંદડાં હાલવા માંડે ત્યારે જમીન પર પથરાયેલા ગાલીચા જીવતાં થઈને વધારે જ શોભી ઊઠે છે. એક રસિક સંસ્કૃત કવિએ તો ચાંદરણાનું વર્ણન કરતા કમાલ કરી હતી. બિલાડીના ગાલ-મૂછ પર ચાંદની રાતનો પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરી ફરી ચાટવાનો સપાટો ચલાવ્યો હતો. પૂનમને દિવસે આકાશ ધોવાઈ-લૂછાઈને સાફ થયેલું હોય છે. ચંદ્ર વિશેષ પ્રસન્ન હોય છે અને પાગલ મનને વધુ ઘેલું બનાવે છે. ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો ઉત્સવ. ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ અને પાગલોર્મિનો મુશળધાર વરસાદ!”

ચાંદની વાત આવે ત્યારે ગુલઝાર સાહેબ યાદ આવ્યા વિના રહે નહીં. વાત ભલે અહીં ગુજરાતી ગીતોની જ કરીએ છીએ, પરંતુ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં ગુલઝારનાં ચાંદ ગીતો અપવાદરૂપે આજે યાદ કરવાં જ પડે. ગુલઝારની કવિતામાં ચાંદ વગર કામ ના ચાલે. ચાંદ અને ચાંદની વિના એમની કવિતા અધૂરી. ગુલઝારે ચાંદને અનેક વાર યાદ કર્યો છે. જાણે એમની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનું એ પ્રતિબિંબ છે. ગુલઝારનો ચાંદ બહુરૂપી છે. ચાંદ દ્વારા એમણે અગણિત સંભાવનાઓ અને બહુઆયામી વ્યક્તિત્વ ઉજાગર કર્યા છે. બેસબબ મુસ્કુરા રહા હે ચાંદ કોઈ સાઝિશ છૂપા રહા હૈ ચાંદ, જાને કિસ કી ગલી સે નિકલા હૈ, ઝેપા ઝેપા સા રહા હૈ ચાંદ ….! ઉપરાંત, કોસા કોસા લગતા હૈ, તેરા ભરોસા લગતા હૈ, રાતને અપની થાલી મેં, ચાંદ પરોસા લગતા હૈ … તો સર્વોત્તમ છે. ગુલઝારનાં ગીતો યાદ કરો, મુખડા-અંતરામાં ક્યાંક તો ચાંદ છુપાયો જ હોય છે. જેમ કે, એમનું સૌપ્રથમ ફિલ્મી ગીત મોરા ગોરા અંગ લઈ લે..ની પંક્તિ છે, બદરી હટા કે ચંદા, ચૂપકે સે ઝાંકે ચંદા …, તેરે બિના જિંદગી સે શિકવા તો નહીં ગીતમાં એક પંક્તિ આવે છે : તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં, રાત કો રોક દો …! બીતી ના બિતાઈ રૈના..ની એક પંક્તિ છે ચાંદ કી બિંદી વાલી, બિંદી વાલી રતિયા … તથા મેરા કુછ સામાન … ગીતની અકલ્પનીય તુલના તો જુઓ! એકસો સોલહ ચાંદ કી રાતેં ઓર તુમ્હારે કાંધે તિલ..! વાહ, કયા બાત હૈ! ગુલઝારે તેમના બે કાવ્યસંગ્રહનાં શીર્ષકોને પણ એક સુંદર પંક્તિમાં ખૂબસૂરત રીતે સમાવ્યા છે : એક સબબ મરને કા એક તલબ જીને કી, ચાંદ પુખરાજ કા, રાત પશ્મીને કી..!

ચાંદનાં ચાંદરણામાં વહી જવાય એવાં સુંદર કાવ્યો અને ગીતો આપણા સાહિત્યનું અભિન્ન અંગ છે. ચાંદની રાતે સ્ત્રી-પુરુષનું મન એકબીજાંને મળવા આતુર થઈ જાય છે. સ્ત્રી માટે પ્રેમસંબંધ ડાયરીના અંગત પાનાં જેવો છે. એને એ સાચવી, સંગોપી રાખે છે અને મન થાય ત્યારે પ્રેમનું પાનું ઉઘાડીને ચૂમી લઈ, વહાલ વરસાવી અને ક્યારેક આંસુનો છંટકાવ કરીને પાછું મનના કબાટમાં મૂકી દે છે. વિરહિણી માટે પૂનમનો ચાંદ હૃદયમાં વિરહ વેદના જગાવે છે. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી નથી. પ્રેમી જે જુએ એટલું જ જોઈ શકાય.

રૂપલે મઢી છે ગીતમાં નાયિકા એટલે જ કહે છે કે રૂપાળી, ટપકિયાળી ભાત સમી રાત છે એટલે સવાર, તું જરા આઘી જ રહેજે. પ્રિયતમ સાથેના પ્રલંબ પ્રેમાલાપને મારે અધવચ્ચે નથી અટકાવી દેવો. શરદપૂનમની જ વાત નીકળી છે તો અન્ય એક સુંદર ગીતનો ઉલ્લેખ જરૂરી છે. લોકગીત અને ગરબાની કક્ષાએ પહોંચી ગયેલું અવિનાશ વ્યાસનું ગીત, આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો .. લાજવાબ ગીત છે. લતા મંગેશકરના મીઠા અવાજમાં આ ગીતનું માધુર્ય વધુ નિખરી ઊઠે છે. તારા રે નામનો છેડ્યો એકતારો, હું તારી મીરાં તું ગિરધર મારો .. પંક્તિઓ દ્વારા નારી હૃદયની સમર્પિતતા પૂર્ણપણે અહીં પ્રગટ થઈ છે. અન્ય સુંદર ગીત છે રૂપા મઢેલ રાતડી ને ટમ ટમ ટમ તારા ..! રાત અને ચાંદની જુગલબંદી રાતભર ચાલી શકે એમ છે.

સાહિર લુધિયાનવીનું એક એવું જ રોમેન્ટિક ગીત અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં ..ને પણ આ પ્રકારનાં ગીતોની સમકક્ષ મૂકી શકાય. સિતારે ઝિલમિલા ઊઠે, ચરાગ જગમગા ઊઠે, બસ અબ ના મુઝ કો ટોકના, ન બઢ કે રાહ રોકના, અગર મૈં રૂક ગઈ અભી, તો જા ન પાઉંગી કભી, જો ખત્મ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહીં …! અહીં પણ અધૂરી આસ અને અધૂરી પ્યાસ છોડીને ન જવાની પ્રિયજનની વિનંતી જ છે.

આવાં સુંદર ગીતોનો ફાયદો એ છે કે જે લાગણી પ્રિયજન સમક્ષ વ્યક્ત ન કરી શકાતી હોય એ આ ગીતોની અદ્ભુત પંક્તિઓ દ્વારા વ્યક્ત થઈ જાય છે. અને છેલ્લે, સુપ્રસિદ્ધ ગીતકાર-સંગીતકાર નિનુ મઝુમદારની શરદ ઋતુની રાતની અદ્ભુત કાવ્યમય અભિવ્યક્તિના ઉલ્લેખ વિના લેખ અધૂરો જ ગણાય. ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં શાશ્વત સ્થાન પામેલી આ રચના એમનાં દીકરી મીનળ પટેલના અવાજમાં સાંભળવી એ અદ્ભુત લ્હાવો. એ કાવ્યના અંશ સાથે લેખ પૂરો કરી શારદીય ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ:

ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ :

એક સુસ્ત શરદની રાતે

આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.

એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહેરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો.

https://www.youtube.com/watch?v=JCFLgPuipKU

—————————

રૂપલે મઢી છે સારી રાત રે સજન

એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો
હજી આદરી અધૂરી વાત
રૂપલે મઢી છે સારી રાત રે સજન

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર .. દૂર દૂર ..

એની મોરલીના સૂરે કરું વાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં
મારા કિનારા રહો દૂર નિત દૂર દૂર .. દૂર દૂર ..

રહો મજધારે મારી મુલાકાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

• ગીત : હરીન્દ્ર દવે • સંગીત : દિલીપ ધોળકિયા  • સ્વર : લતા મંગેશકર

https://www.youtube.com/watch?v=MPAO8mgfFr4

—————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 અૉક્ટોબર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=441555

Loading

શેરલોક હોમ્સ : થોડી હકીકત, થોડી કલ્પના

વિશાલ શાહ|Opinion - Opinion|25 October 2018

શેરલોક હોમ્સ. આશરે ૧૩૧ વર્ષ પહેલાં, અંગ્રેજી સાહિત્યકાર આર્થર કોનાન ડોયલે સર્જેલા આ પાત્ર પરથી ડિસેમ્બરમાં વધુ એક ફિલ્મ આવી રહી છે, 'હોમ્સ એન્ડ વૉટ્સન'. રજેરજની વિગતોની નોંધ રાખતા પશ્ચિમી દેશો પાસે પણ ચોક્કસ જવાબ નથી કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ડિટેક્ટિવ કથાઓનું કેટલીવાર એડપ્શન થયું? આવી ગણતરી શક્ય પણ નથી કારણ કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ૨૫૦થી પણ વધારે ફિલ્મ આવી ગઈ, અને ૧૦૦થી પણ વધુ અભિનેતા આ મહાન પાત્રને રૂપેરી પડદે જીવંત કરી ચૂક્યા છે. ફિલ્મોની જેમ વિશ્વના અનેક દેશોમાંટેલિવિઝન સિરીઝ, ઓપેરા, નાટકો, રેડિયો, પેરોડી, મ્યુિઝકલ્સ, કાર્ટૂન,  કોમિક્સ,  ક્વિઝ, ગેમ્સથી માંડીને પુસ્તકોમાં આજે ય શેરલોક હોમ્સ છવાયેલા છે. આ રીતે જુદા જુદા સ્વરૂપે થયેલા એડપ્શનનો આંકડો ૨૫ હજારથી પણ વધુ થવા જાય છે.

શેરલોક હોમ્સ આર્થર કોનાન ડોયલના ક્રિએટિવ દિમાગમાં જન્મેલું કોઈ કાલ્પનિક પાત્ર હતું કે પછી હકીકતમાં એવો કોઈ માણસ હતો? ડોયલે કેવા સંજોગોમાં આ મહાન પાત્રનું સર્જન કર્યું હતું? સવા સદીથી પણ વધુ સમય પહેલાં ડોયલને આ પાત્ર રચવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે?

આજે આવા અનેક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.

***

વર્ષ ૧૮૭૭. સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ. અનેક વિદ્યાર્થીઓ મેડિકલના બોરિંગ લેક્ચરથી કંટાળે, પરંતુ એક પ્રોફેસર તેમાં અપવાદ. નામ એમનું જોસેફ બેલ. મેડિસિનનું જ્ઞાન આપતી વખતે પણ તેઓ જાતભાતના વિષયો પર ઊર્જાસભર, મનોરંજક અને રસપ્રદ લેક્ચર આપીને વિદ્યાર્થીઓને ઉત્સાહથી છલકાવી દેતા. કોઈ દરદી મળવા આવે ત્યારે પ્રો. બેલ ફક્ત અવલોકન કરીને તેના ચરિત્રથી માંડીને વ્યવસાય સુધીની બાબતોનું સચોટ અનુમાન કરી લેતા. જેમ કે, એકવાર એક દરદી તેમને મળવા આવ્યો. પ્રો. બેલે તેના પર ડૉક્ટર નહીં પણ જાસૂસની અદાથી નજર નાંખી અને કહ્યું: ''વેલ, માય મેન. આર્મીમાં સર્વિસ કરતા હતા? આર્મીમાંથી છૂટા થયાને તમને બહુ લાંબો સમય નહીં થયો હોય, બરાબરને? હાઈલેન્ડ રેજિમેન્ટમાં હતા? નોન-કમિશન્ડ ઓફિસર? તમારી ડયૂટી બાર્બાડોસમાં હતી ને?'

આર્થર કોનાન ડોયલ અને ડૉ. જોસેફ બેલ

આશ્ચર્યની વાત એ હતી કે, પેલા દરદીએ પ્રો. બેલના આ બધા જ સવાલોનો 'હા'માં જવાબ આપ્યો. ફક્ત ૧૮ વર્ષની ઉંમરે જોયેલા આ દૃશ્યની આર્થર કોનાન ડોયલ પર ઘેરી અસર થઈ હતી. એ વખતે તેઓ પણ એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલના વિદ્યાર્થી હતા. તેમણે પ્રો. બેલને જબરદસ્ત કુતૂહલથી પૂછ્યું પણ ખરું. તમે આ દરદીની બધી જ બાબતોનું આવું સચોટ અનુમાન કેવી રીતે કર્યું? આ વાતનો પ્રો. બેલે યુવાન ડોયલને આપેલો જવાબ ખરેખર રસપ્રદ હતો.

તેમણે કહ્યું કે, ''યૂ સી, જેન્ટલમેન, એ દરદી એક આદરણીય અને અદબવાળો માણસ હતો, પરંતુ મને મળવા આવ્યો ત્યારે તેણે પોતાની હેટ નહોતી કાઢી. તેને આર્મીમાંથી છૂટા થયાને લાંબો સમય થયો હોત તો તેને સિવિલિયન સામે પેશ થતાં આવડી ગયું હોત અને તેણે મને મળતી વખતે હેટ ઉતારી હોત! એટલે મેં અનુમાન કર્યું કે, તેને આર્મીમાંથી છૂટા થયાને હજુ બહુ સમય નથી થયો. તે થોડો અકડુ હતો એટલે મેં ધાર્યું કે, તે સ્કોટિશ હશે. તે મારી જોડે હાથીપગાની ફરિયાદ લઈને આવ્યો હતો. અત્યારે વેસ્ટ ઈન્ડિઝમાં એ રોગનો વાયરસ ફેલાયો છે. વેસ્ટ ઈન્ડિઝ બહુ મોટો પ્રદેશ છે, પરંતુ અત્યારે સ્કોટલેન્ડની હાઈલેન્ડ રેજિમેન્ટ બાર્બાડોસમાં છે. એટલે મેં ધાર્યું કે, તે છેલ્લે બાર્બાડોસમાં ફરજ બજાવતો હશે! અને આ રોગના કારણે મેં પહેલી નજરે ધારી લીધું હતું કે, તે અત્યારે આર્મીમાં નથી.

આર્થર કોનાન ડોયલે આત્મકથા 'મેમરીઝ એન્ડ એડવેન્ચર્સ'માં પણ આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. પ્રો. બેલ સ્કોટલેન્ડની જાણીતી હસ્તી હતા. લંડનના કુખ્યાત અને આજ દિન સુધી નહીં ઓળખાયેલા સિરિયલ કિલર 'જેક ધ રિપર'(મીડિયાએ આપેલું નામ)ને પકડવા સ્કોટલેન્ડ યાર્ડ ડૉ. બેલની મદદ લીધી હતી. આવા ડૉ. બેલ સાથે ડોયલની દોસ્તી જામી ગઈ. મેડિકલ કોલેજમાં એડમિશન લીધાના બીજાં જ વર્ષે, ૧૮૭૮માં, નવું નવું શીખવાનો ઉત્સાહ ધરાવતા ડોયલ પ્રો. બેલના આસિસ્ટન્ટ બની ગયા. ડોયલનું કામ પણ રસપ્રદ હતું, જે બાદમાં શેરલોક હોમ્સની વાર્તાઓ લખવામાં પણ મદદરૂપ થવાનું હતું. કોઈ પણ દરદીને પ્રો. બેલ પાસે મોકલતા પહેલાં ડોયલે તેમની પૂછપરછ કરીને એક બેઝિક નોટ લખવાની રહેતી, જેથી પ્રો. બેલનો સમય ના બગડે. આ કામ કરતાં કરતાં ડોયલ પ્રો. બેલના 'ડૉ. જ્હોન વૉટ્સન' બની ગયા. શેરલોકની વાર્તાઓમાં ડૉ. વૉટ્સન એક મહત્ત્વનું પાત્ર છે, જે શેરલોકને ગુનાનાં મૂળ સુધી પહોંચવામાં ફોરેન્સિક મદદ કરે છે.

વર્ષ ૧૮૯૩માં ‘શેરલોક હોમ્સ’ નાટકમાં શેરલોકનું પાત્ર ભજવનારા (ડાબે) ચાર્લ્સ બ્રુકફિલ્ડ અને વિવિધ નાટકોમાં શેરલોકને એક હજારથી પણ વધુ વાર તેમ જ શેરલોક આધારિત મૂંગી ફિલ્મમાં શેરલોકનું પાત્ર ભજવીને મહાન થઈ ગયેલા વિલિયમ જિલેટ

ડોયલે ડૉ. બેલના ક્લાર્ક તરીકે દસેક વર્ષ સુધી કામ કર્યું અને ૧૮૮૭માં પહેલી નવલકથા લખી, 'એ સ્ટડી ઈન સ્કારલેટ'. એ નવલકથામાં તેમણે ડૉ. બેલના વ્યક્તિત્વમાં કલ્પનાના રંગ ઊમેરીને એક મહાન પાત્રનું સર્જન કર્યું, ડિટેક્ટિવ શેરલોક હોમ્સ. આ નામ પણ ડોયલે રસપ્રદ રીતે શોધ્યું હતું. ડોયલે પ્રિય સંગીતકાર આલફ્રેડ શેરલોક અને એ વખતના જાણીતા ડોક્ટર ઓલિવર વેન્ડલ હોમ્સનું નામ ભેગું કરીને પોતાના ડિટેક્ટિવને 'શેરલોક હોમ્સ' નામ આપ્યું હતું. એક ભેજાબાજ લેખક તરીકે ડોયલ સારી રીતે જાણતા હતા કે, ગુનેગાર સુધી પહોંચવા શેરલોક સાથે બીજું એક રસપ્રદ પાત્ર હશે તો જ વાચકોનો રસ જળવાઈ રહેશે. આ વિચારમાંથી જન્મ થયો, ડૉ. જ્હોન વૉટ્સનનો. ડૉ. વૉટ્સન સજ્જન છે. તરંગી છે. શેરલોકના ખાસ મિત્ર છે. ક્યારેક તેમને શેરલોકના આસિસ્ટન્ટ  તરીકે પણ દર્શાવાય છે, પરંતુ એક ખાસ વાત. કોઈ પણ ગુનાનું એનાલિસિસ કરીને તેના મૂળ સુધી પહોંચવાની ડૉ. વૉટ્સનની આવડત શેરલોક હોમ્સથી ઓછી છે કારણ કે, ડોયલનો હીરો શેરલોક હોમ્સ છે.

ડોયલે પોતાની પહેલી નવલકથાને થ્રીલર બનાવવા જાતભાતના અખતરા કર્યા હતા. જેમ કે, ગુનાની તપાસ કરવા માટે શેરલોક એક મહત્ત્વનું સાધન વાપરતો, મેગ્નિફાઇંગ ગ્લાસ. એ પહેલાં વાચકોએ મેગ્નિફાઇંગ ગ્લાસનો આવો ઉપયોગ જોયો ન હતો. જો કે, 'એ સ્ટડી ઈન સ્કારલેટ' નિષ્ફળ રહી. પહેલી જ નવલકથા 'ડિટેક્ટિવ થ્રીલર' લખીને નિષ્ફળ જનારા ડોયલે ૧૮૮૯માં હિસ્ટોરિકલ ફિક્શન જોનર પર હાથ અજમાવ્યો અને 'મિકાહ ક્લાર્ક' નામની નવલકથા લખી. એ જ વર્ષે તેમણે હોરર એડવેન્ચર જોનરમાં પણ ઘૂસ મારી અને 'ધ મિસ્ટરી ઓફ ક્લુમ્બર' લખી. આ ત્રણેય જોનરમાં સફળતા ના મળતા ડોયલે શેરલોક હોમ્સ અને ડૉ. જ્હોન વૉટ્સનને ચમકાવતી પહેલી નવલકથાની સિક્વલ લખી, 'ધ સાઈન ઓફ ફોર'. એ પણ નિષ્ફળ.

ત્યાર પછી ડોયલે ઘણાં બધા મેગેઝિનોમાં ટૂંકી વાર્તાઓ લખી, જે થોડે ઘણે અંશે સફળ રહી. આ દરમિયાન માર્ચ ૧૮૯૧માં ડોયલે એ વખતના જાણીતા 'સ્ટ્રેન્ડ' મેગેઝિનમાં શેરલોક હોમ્સને ચમકાવતી 'ધ વોઈઝ ઓફ સાયન્સ' નામની ટૂંકી વાર્તા લખી, જેમાં લોકોને રસ પડ્યો. એટલે 'સ્ટ્રેન્ડ'ના તંત્રીએ ડોયલને બીજી એક વાર્તા લખવાની ઓફર કરી અને જુલાઈ ૧૮૯૧માં તેમણે 'એ સ્કેન્ડલ ઈન બોહેમિયા' નામની ટૂંકી વાર્તા લખી. આ વાર્તા સુપરહીટ રહી. એ પછી ડોયલે જીવનમાં ક્યારે ય પાછું વળી જોયું નહીં અને શેરલોક હોમ્સે તો આજ દિન સુધી. ડોયલે અનેકવાર જાહેરમાં કબૂલાત કરી હતી કે, 'એડિનબર્ગ યુનિવર્સિટીમાં ડૉ. જોસેફ બેલ સાથેની યાદોમાં સાહિત્યિક કલ્પનાનું મિશ્રણ કરીને મેં શેરલોક હોમ્સનું પાત્ર ગૂંથ્યું હતું …' એવી જ રીતે, એક ડૉ. બેલને લખેલા એક પત્રમાં ડોયલ વિના સંકોચે લખે છે કે, 'શેરલોક હોમ્સ ખુદ તમે છો અને એ માટે હું તમારો ઋણી છું … '

પ્રો. હેનરી લિટલજ્હોન

ડોયલના 'શેરલોક હોમ્સ'માં ડૉ. જોસેફ બેલનું વ્યક્તિત્વ સૌથી વધારે ઝીલાયું એ વાત ખરી, પરંતુ આ પાત્રમાં બીજી પણ એક વ્યક્તિની છાંટ હતી. નામ એમનું, પ્રો. હેનરી લિટલજ્હોન. એ પણ ડૉ. બેલની જેમ સ્કોટિશ હતા અને એડિનબર્ગ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના પ્રોફેસર હતા. એ દિવસોમાં ભયાવહ અકસ્માતો, હત્યાઓ અને શંકાસ્પદ મૃત્યુના કેસોમાં પોલીસ પ્રો. લિટલજ્હોનની મદદ લેતી. તેમણે ફિંગરપ્રિન્ટ અને તસવીરી પુરાવાના આધારે જટિલ કેસ ક્રેક કરવાની પદ્ધતિઓ વિકસાવી હતી. પ્રો. લિટલજ્હોને સ્કોટલેન્ડના બહુચર્ચિત આર્ડલમોન્ટ મર્ડર કેસમાં પોલીસને ખૂબ મદદ કરી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, આલ્ફ્રેડ જ્હોન મોન્સોન નામના એક પ્રોફેસર અને તેમનો વીસ વર્ષીય વિદ્યાર્થી સેસિલ હેમબરો દસમી ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ એક હન્ટિંગ ટ્રીપ પર ગયા. આ દરમિયાન સ્કોટલેન્ડના આર્ડલમોન્ટ હાઉસ નજીક સેસિલને માથામાં ગોળી વાગી અને તેનું મૃત્યુ થઈ ગયું. મામલો અદાલતમાં ગયો. આરોપી હતા, પ્રોફેસર મોન્સોન. તેમના વકીલોએ કહ્યું કે, ગોળી તો અકસ્માતે વાગી હતી. જો કે, મૃતકના પરિવારજનોએ તેને હત્યા ગણાવી. પોલીસ પર સત્ય બહાર લાવવાનું દબાણ હતું. છેવટે પોલીસે પ્રો. લિટલજ્હોનની મદદ લીધી. તેમણે સેસિલની માથામાં ગોળી ઘૂસવાની દિશા, ઘસરકા, ખોપડીને થયેલું નુકસાન, બળેલી ચામડી અને તેમાંથી આવતી ગંધ વગેરે ચકાસીને કહ્યું કે, આ હત્યા છે. અદાલતે સંતોષ ખાતર બીજા પણ એક નિષ્ણાતને બોલાવ્યા. એ હતા, ખુદ ડૉ. જોસેફ બેલ. તેમણે પણ પ્રો. લિટલજ્હોન સાથે સંમતિ દર્શાવી. જો કે, પોલીસ પુરાવા ભેગા ના કરી શકી અને પ્રો. મોન્સોન નિર્દોશ છૂટી ગયા, પરંતુ આ ઘટનાનો આધાર લઈને ડોયલે ડિસેમ્બર ૧૮૯૩માં 'ધ ફાઈનલ પ્રોબ્લેમ' વાર્તા લખી, જે ખૂબ લોકપ્રિય થઈ.

એ વાર્તામાં આર્થર કોનાન ડોયલે પ્રો. લિટલજ્હોનમાંથી પ્રેરણા લઈને શેરલોક હોમ્સને ચમકાવ્યો હતો. ડોયલે પોતાના સમયના અનેક સનસનીખેજ ગુનાઇત કૃત્યો, અદાલતી કાર્યવાહી, ફોરેન્સિક નિષ્ણાતો અને કાબેલ પોલીસ અધિકારીઓમાં કલ્પનાના રંગ ઉમેરીને શેરલોક હોમ્સ કેન્દ્રિત ૫૬ ટૂંકી વાર્તા અને ચાર નવલકથા લખી. ડોયલે ૧૯૨૭ સુધી ડિટેક્ટિવ-થ્રીલર સાહિત્યનું સર્જન કર્યું અને ૧૯૩૦માં હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું, પરંતુ શેરલોક હોમ્સ જીવશે ત્યાં સુધી ડોયલ પણ જીવતા રહેશે એ વાતમાં કોઈ શંકા નથી.

———-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/10/blog-post_23.html

Loading

કૂલિંગ પીરિયડ અને વોર્મઅપ પીરિયડ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 October 2018

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં નિવૃત્ત અધ્યક્ષા અરુંધતી ભટ્ટાચાર્ય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે જોડાયાં છે. અરુંધતી ભટ્ટાચાર્ય હોનહાર અને કર્તબગાર મહિલા છે, એટલે તેમની માંગ હોય એ સ્વાભાવિક છે. વળી, તબિયત પણ સાથ આપી રહી છે, એટલે અરુંધતી ભટ્ટાચાર્ય પણ હજુ કેટલાંક વરસ કામ કરી શકે એમ છે.

આધુનિક આયુર્વિજ્ઞાને માણસની જિંદગીની આયુષરેખા વધારી આપીને કેટલીક સમસ્યાઓ પેદા કરી છે. પહેલાં માણસ ૬૦ વરસ માંડ જીવતો, એટલે કામ કરનારી વ્યક્તિ ૬૦ની આસપાસ કાં પ્રભુને પ્યારી થઈ જતી, અને કાં નિવૃત્ત થઈને બાકીની નાનકડી જિંદગી ગુજારતી. આજે માણસ ૮૦-૮૫ વરસ તો સહેજે જીવે છે, એટલે સરકારી નિવૃત્તિ વય પછી ૨૦થી ૨૫ વરસ ગાળવાનાં હોય છે અને તે તે વ્યક્તિ માટે અને પરિવાર માટે એમ બન્નેને માટે વસમાં નીવડે છે.

નિવૃત્તિવય વધારી ન શકાય, કારણ કે નવી પેઢી માટે જગ્યા કરવાની હોય છે. આને કારણે પેલા નિવૃત્ત માણસને બે દાયકા વિતાવવા આકરા પડે છે. ઘરમાં ખટરાગ થાય છે અને જો વ્યવસાયિક હોય, તો વ્યવસાયમાં પિતા-પુત્ર વચ્ચે ધંધાના અભિગમની બાબતે મતભેદ થાય છે. આજે જનરેશન ગેપ એક જનરેશન જેટલો પહોળો થઈ ગયો છે. સરકાર નિવૃત્ત કર્મચારીઓને પેન્શન ચૂકવતાં લાંબી થઈ જાય છે. જેટલાં વરસ કામ કર્યું હોય લગભગ એટલી જ લાંબી અવધિ માટે પેન્શન આપવું પડે છે. જ્યારે પેન્શન સ્કિમ દાખલ થઈ ત્યારે આયુષ્યરેખા આટલી લાંબી નહોતી. આમાં લશ્કરી જવાનોની સમસ્યા વધારે પેચીદી છે. જવાનો માટેની નિવૃત્તિ વય વહેલી હોય છે, એટલે વીસ વરસની નોકરી સામે ૪૦ વરસ પેન્શન આપવું પડે છે. એટલે તો ઇન્દિરા ગાંધીએ સમજાવી બુજાવીને ૧૯૭૨માં વન રૅન્ક વન પેન્શન બંધ કર્યું હતું. પેન્શન ચૂકવીને સરકારની કમર તૂટી જતી હતી. જેનાથી ડાહ્યાઓ દૂર રહે ત્યાં સાહેબો કૂદી પડતા હોય છે, પણ જવા દો એ વાત. 

અરુંધતી ભટ્ટાચાર્યને મુકેશ અંબાણીએ કર્તબગારીની કદર તરીકે લીધાં છે કે કોઈ બીજાં કારણે એવો સવાલ થવો સ્વાભાવિક છે. સવાલ ઉપસ્થિત થવા માટે કારણો છે. દરેક વખતે પુરાવાઓ નથી હોતાં, પણ સાદી સમજ કેટલાક સવાલો તો ઉપસ્થિત કરે જ છે. થોડા મહિના પહેલાં ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની તટસ્થતા વિશે સવાલો થતા હતા અને શંકાઓ પેદા કરવામાં આવતી હતી, ત્યારે જાણીતા ધારાશાસ્ત્રી ફલી નરીમાને દીપક મિશ્રાને સલાહ આપી હતી કે તેમણે નિવૃત્તિ પછી કોઈ સરકારી કે અર્ધ-સરકારી પદ નહીં લે એવી જાહેરાત કરી દેવી જોઈએ. જાહેરાતની સાથે એક ચપટી વગાડતા વિવાદ શમી જશે. તમારી પ્રામાણિકતા વિશે કોઈ શંકા નહીં કરે. કહેવાની જરૂર નથી કે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ આવી જાહેરાત કરી નહોતી.

પાંચ વરસ પહેલાં અરુણ જેટલી જ્યારે વિરોધ પક્ષો માટેની બેંચ પર બેસતા હતા, ત્યારે તેઓ ખૂબ ડાહ્યા હતા. એવા એવા અમૃત વચનો તેમના મોઢેથી ત્યારે ઝરતાં હતાં કે ન પૂછો વાત. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારની ગંગોત્રીના જે મુખ્ય મુખ્ય સ્રોત છે, એમાં એક નિવૃત્તિ પછીની સક્રિયતાની છે. અર્થાત્‌ આવકના સાધનોની અને પદ તેમ જ પ્રતિષ્ઠાની છે. આને કારણે ભારત સરકારના ચીફ સેક્રેટરી, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને લશ્કરી વડાથી લઈને પંચાયતના પટ્ટાવાળા સુધી નિવૃત્તિ પછીની તજવીજ કરવા લાગે છે. એ ક્યાં થઈ શકે? ત્યાં જ્યાં નિવૃત્તિ ફરજિયાત ન હોય અર્થાત્ ખાનગી કંપનીઓમાં. એ કેવી રીતે બની શકે? અમીદૃષ્ટિ રળીને અને સરકારી નોકરીના દિવસોમાં ખાનગી શેઠની અમીદૃષ્ટિ કેવી રીતે મળી શકે એ કહેવાની જરૂર નથી. અરુણ જેટલીએ તેમના દેશપ્રેમના દિવસોમાં આવું નિદાન કર્યું હતું અને આગ્રહ કર્યો હતો કે એક સ્તરથી ઉપરના સરકારી કર્મચારીઓ (એમાં લશ્કરી વડા કે મુખ્ય ન્યાયમૂર્તિ સહિત બધા જ આવી ગયા) માટે ઓછામાં ઓછા પાંચ વરસનો કૂલિંગ પીરિયડ ફરજિયાત કરવામાં આવે. નિવૃત્તિ પછીનાં પાંચ વરસ સરકારી કર્મચારી કોઈ જગ્યાએ નોકરી નહીં કરે, સરકારી નિમણૂકો નહીં મેળવે, રાજ્યપાલ કે જે તે પંચોના વડા જેવાં પદો નહીં ભોગવે, વગેરે. રસ્તા બંધ કરી દો તો આપોઆપ તજવીજ કરતા બંધ થઈ જશે. આ એ દિવસોના ઈલાજ છે જ્યારે અરુણ જેટલી વિરોધ પક્ષમાં હતા અને શાસકોએ શું કરવું જોઈએ એનું બ્રહ્મજ્ઞાન ધરાવતા હતા.

ખબર નહીં કેમ, ભારતમાં સત્તામાં આવતાની સાથે જ નેતાઓ બ્રહ્મજ્ઞાન ભૂલી જાય છે. પોતાનું આપેલું જ્ઞાન પોતે જ ભૂલી જાય છે. અરુણ જેટલીએ અને કેન્દ્ર સરકારે પાંચ વરસનો કૂલિંગ પીરિયડ લાગુ કરવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી અને કરવાના પણ નથી. આવતા વરસે જો કોઈ બીજા પક્ષોની સરકાર આવશે તો એ પણ નથી કરવાના એ લખી રાખજો. બહુ મોટી ગેમ છે સરકારી તિજોરી ખાલી કરવાની. આજની જાગતિક મંદીના યુગમાં કમાવાનું સૌથી સદ્ધર અને નુકસાન નહીં થવાની ખાતરીવાળું સાધન સરકારી અર્થાત્ દેશના સંસાધનોની કરવામાં આવતી લૂંટ છે. એ ખાણ હોઈ શકે છે, સ્પેક્ટ્રમ હોઈ શકે છે, રાફેલ જેવો લશ્કરી કોન્ટ્રાક્ટ હોઈ શકે છે, વિકાસલક્ષી પ્રોજેક્ટના નામે જમીન હોઈ શકે છે કે પછી બેંકોની હજારો કરોડની લોન હોઈ શકે છે.

એક રૂપિયાનું નુકસાન નહીં અને અબજો રૂપિયાની બેઠી કમાણી. શાસકોને કહી દેવાનું કે પાંચ વરસનો કૂલિંગ પીરિયડ લાગુ કરવાનો નથી. ચૂંટણી જીતવી છે ને? સરકારી સાહેબોને કહી દેવાનું કે પાંચ વરસ પહેલાંથી વોર્મઅપ પીરિયડ લાગુ કરીને લાયકાત સાબિત કરો. પાંચ વરસનો વોર્મઅપ પીરિયડ કમ્પલસરી. જો એ પહેલાથી ક્યાં જવું છે એ નક્કી કરીને જ્યાં જવું હોય એને માટે હુંફ આપવાનું શરૂ કરી દો તો તમારી લાયકાતમાં વધારો થશે. વળતર લાયકાત મુજબ એ તો જગતનો સિદ્ધાંત છે.

પ્રારંભમાં શંકા જાય એવા સવાલોની વાત કરી હતી. પહેલો અને સૌથી મોટો સવાલ સરકારી કર્મચારીને નિવૃત્તિ પછી નોકરીએ રાખનાર અને લેનારને એ પૂછવો જોઈએ કે હોનહાર કર્તબગાર સરકારી સેવક પૂરો સમય (નિવૃત્તિ સુધી) સરકારી નોકરી શા માટે કરે છે? વધારાની મુદત (એક્સ્ટેન્શન) પણ છોડતા નથી? જ્યારે સરકારની અંદર એક દિવસ પણ વધુ રહેવું શક્ય ન હોય, ત્યારે અને માત્ર ત્યારે જ કર્તુત્વવાનોના કદરદારો કદર કરવા દોડી જાય છે. એક દિવસ માટે પણ વહેલી કદર કરવા તેઓ આગળ નથી આવતા. કર્તુત્વવાનોને ખબર છે કે તેઓ કેવા હોનહાર છે. તેમને એ પણ ખબર છે કે સરકારી પગાર કરતાં મોટી કોર્પોરેટ કંપનીઓમાં દસ ગણો વધારે પગાર મળે છે. શા માટે તેઓ પોતાનું કૌવત લઈને દસ ગણો પગાર કમાવા નથી જતા? દેશપ્રેમ એ જો તમારો જવાબ હોય તો તમે દેશઘેલા મૂર્ખ છો. હોનહાર સરકારી સેવકોની હોનહારી જોઇને શેઠિયાઓના મોંમાં પાણી આવતું હોવા છતાં તેઓ સંયમ જાળવે છે, અને હોનહારને છેક છેલ્લી ઘડી સુધી સરકારની સેવા કરવા દે છે. કર્તબગાર અને કદરદાન બન્ને સંયમ જાળવે છે. ઊલટું કદરદાનો કર્તબગારને સરકારી સેવામાં એક્સ્ટેન્શન મળે એ માટે પણ પ્રયાસ કરે છે.

તો પછી, તેઓ સરકારની અંદર છેલ્લી ઘડી સુધી રહીને કોની સેવા કરતા હતા? તેમનો બોસ સાથેનો વોર્મઅપ પીરિયડ કેટલો લાંબો હતો? દરેક અનૈતિક વ્યવહાર કૌભાંડના સ્વરૂપનો નથી હોતો, પરંતુ એનો અર્થ એવો પણ નથી હોતો કે શંકા કરવા માટે કોઈ જગ્યા નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 અૉક્ટોબર 2018

Loading

...102030...2,9592,9602,9612,962...2,9702,9802,990...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved