Opinion Magazine
Number of visits: 9577298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલમ અને તું

નવ્યાદર્શ|Poetry|15 April 2019

મને ખબર છે
તારા પ્રેમની
એ ક્યારે ય ઓછો નથી થવાનો
તો પણ હવે સમય આવી ગયો છે
તારા અને મારા વચ્ચે દૂરતાનો
મને ખબર છે
તારું સામે હોવું અને દૂર જવું કેટલું વસમું હોય છે
જ્યારે તારી આંખોને જોઉં છું.
વસમું હોય છે
જ્યારે તારા ગાલો પર હાથ રાખી
દૂર જવાનું કહેવું
તારા હાથોનો સ્પર્શ જ એવો છે
કે તેને ન છોડી શકાય.
તો પણ
આજે હું ચાહું છું દૂર જવા
શા માટે? મને ખબર નથી.
બસ એટલી ખબર છે
કે આજે નહીં તો કાલે
હું જઈશ તારી જિંદગીમાંથી
આજે હું છું તારી સાથે
અને સમજી શકું છું તારી વેદનાને
જાઉં એ પહેલાં જ તને બનાવવા માંગુ છું હું
કે તું બને એક પથ્થર
શિલ્પ માફક ઘડી લઉં તને સુંદર રીતે
કોઈ જુએ તને તો પણ અહેસાસ ન હોય એને
કે હું નથી હવે તારી જિંદગીમાં
તો પણ
ચાહી શકું છું હું
આવી શકું છું હું
જઈ પણ શકું છું હું
કારણ મને ખબર છે
તારા હૃદયના દરવાજા ખુલ્લા જ હશે મારા માટે
એટલે તો જઈ શકું છું
અને તોડી શકું છું તારી જિદ્દને
આ વ્યસ્ત જીવનમાં ક્યારેક યાદ કરીશ તને
ક્યારેક તારા માટે લખવાનો ફરી પ્રયાસ કરીશ
કલમ અને તું
જાણે બંને એકરૂપ છો
હું કલમ ઉઠાવીશ, તું શબ્દ બનીને આવીશ ને?

e.mail : navyadarsh67@gmail.com

Loading

ચશ્માં

નવ્યાદર્શ|Poetry|15 April 2019

એક દિવસ મારાથી એના ચશ્માં તૂટી ગયાં
જ્યારે મારી સાળીના પાલવનો હળવો ઝોક લાગ્યો ત્યારે
એના બે દિવસ પછી ફરી એના ચહેરા પર નવાં ચશ્માં હતા
એ દિવસે એને મન ભરીને જોયો
કારણ કે, બે દિવસ તો એમની ચશ્માં વગરની આંખોથી બચતી રહી
રખેને જોવાઈ જાય તો ગુસ્સો જ ફૂટી નીકળે એનો
પણ એના નવાં ચશ્માંએ એનો ગુસ્સો પીગળાવી દીધો હતો
ના ના
નવાં ચશ્માં સાથેના મારા વહાલે
એનો ગુસ્સો ઊતારી દીધો હતો
એ દિવસે એ પણ દર્પણનો દીવાનો બન્યો હતો
જ્યારે ઘરે જતો તો મસ્તીખોર બાળકોના હાથોથી એમનાં ચશ્માં તૂટતાં
ત્યારે બાળકો સામે હસતો તે
ક્યારેક પોતાના જ હાથ અડવાથી જમીન પર પડી જતાં
ત્યારે ચશ્માંના કાચ તૂટી જતા
તેમનું હૃદય પણ તૂટતું
આખરે એમણે
અનબ્રેકેબલ કાચ નંખાવ્યા
તો પણ ક્યારેક પોતાના હાથથી મારોડાય જતાં અને બટકી જતાં
આજે જ્યારે એ ચશ્માં પહેરી સામે આવે છે
હું સંભાળીને મૂકી રાખું છું
આજે જ્યારે હું અરીસામાં મારા ચહેરાને જોઉં છું
અને તેમાં મારી આંખોને
ત્યારે ચશ્માં અંદરની તેની
ભોળી અને ભાવભીની આંખો તરી આવે છે મારી યાદોમાં
વારંવાર તૂટતાં હૃદયની એને આદત પડી ગઈ હતી
કદાચ એ હૃદય પણ એના ચશ્માં માફક
અનબ્રેકેબલ બની ગયું હશેને?
કે પછી કોઈએ એને પણ મારોડી નાખ્યું હશે?
મારું હૃદય એના અનબ્રેકેબલ ચશ્માં માફક હવે તૂટતું નથી
જીવનની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી
એક કદમ, બસ એક કદમ આગળ ચાલી ગઈ હતી
અનબ્રેકેબલ હૃદય સાથે
હવે જયારે ક્યારેક અતીતની વાટે જાઉં છું
ત્યારે તે મને ત્યાં જ મળે છે જ્યાં મેં એને છોડ્યો હતો
હવે તે પોતાના ચશ્માંને નથી સાચવતો
બસ એની બે ભોળી આંખો
શોધ્યે રાખે છે
ખાલી અને સૂનસાન રસ્તાઓમાં, કે પછી ક્યારેક ભીડમાં
કે ક્યારેક કોઈ મળી જાય એને
ઘણીવાર વાસ્તવિકતા આગળ
સપનાઓ હારી જતાં હોય છે
પણ ઉમ્મીદ એની આંખોમાં આજે પણ
એવી જ હતી.

e.mail : navyadarsh67@gmail.com

Loading

વૈવિધ્ય આપણી તાકાત કે નબળાઈ?

દીપક સોલિયા|Opinion - Opinion|14 April 2019

ફિલ્મ જંઝીરના ક્લાઈમેક્સમાં હીરો અમિતાભ અને વિલન અજિત વચ્ચે જબરી ટક્કર થાય છે. અમિતાભ એકદમ ખુન્નસભેર, લાક્ષણિક એંગ્રી-યંગ-મેન મુદ્રામાં અજિતને યાદ અપાવે છે કે આજથી વીસ વર્ષ પહેલાં આવી જ એક દિવાળીની રાતે તેં મારા મા-બાપનાં ખૂન કરેલાં. એ વખતે અજિત ગ્લાસમાં શરાબ રેડી રહ્યો હતો. એ શરાબ રેડતાં-રેડતાં શાંતિથી કહે છે કે મેં તો મારી જિંદગીમાં અનેક ખૂન કર્યાં છે (એમાં તારાં મા-બાપનાં ખૂન, અને એ પણ આજથી વીસ વર્ષ પહેલાંનાં ખૂન, એમ કંઈ તરત થોડાં યાદ આવે).

અજિત છે તો વિલન જ, પરંતુ તેનું આ લોજિક વાજબી છે. જેનો ધંધો જ ખૂનનો હોય એ કેટલાં ખૂન યાદ રાખે?

એ જ લોજિક પ્રમાણે, જેનો ‘ધંધો’ જ સર્જન-વિસર્જનનો હોય એ કેટલાં સર્જન યાદ રાખે? કેટલાં વિસર્જન યાદ રાખે? આ પૃથ્વીનો જરા ઠંડો પડેલો ગોળો સતત નવાં-નવાં પ્રકારનાં જીવોને જન્મ આપતો રહ્યો છે અને અનેક જીવોને લુપ્ત પણ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં પૃથ્વી પર પાંચ અબજથી વધુ પ્રકારનાં જીવો જીવી ચૂક્યાં છે. પાંચ અબજ પ્રકારનાં જીવો … આપણે પ્રકારો યાદ કરવા બેસીએ તો માનવી, વાનર, હંસ, બતક, ગધેડો … એવા બહુ બહુ તો સો-બસો-ત્રણસો પ્રકાર યાદ કરતાં હાંફી જઈએ, જ્યારે પૃથ્વી પર આવીને જતાં રહેલાં વિવિધ પ્રકારનાં જીવોનો (એમની વસતિનો નહીં, એમના પ્રકારોનો) આંકડો પાંચ અબજને વટી ચૂક્યો છે, જેમાંના ૯૯.૯૯ (અનેક નવડા) પ્રકારના જીવો લુપ્ત પણ થઈ ચૂક્યા છે. અત્યારે, આજની તારીખે જેટલાં પ્રકારનાં જીવો બચેલાં છે, તેમાંથી ફ્ક્ત બારેક લાખ જીવોનું જ ડોક્યુમેન્ટેશન થયું છે. બાકીનાં અંદાજિત ૮૬ ટકા જીવો વિશે હજુ આપણને કશી જાણકારી જ નથી. કરો વાત, આપણને લાગે કે આપણે પૃથ્વીને અને જીવોને જાણીએ છીએ, આપણને લાગે કે વિજ્ઞાને ઘણું બધું શોધી લીધું છે, પરંતુ હકીકત એ છે કે આજની તારીખે પૃથ્વી પર જીવતાં મોટાં ભાગનાં જીવો વિશે આપણે કશું જ જાણતા નથી. હા, વિજ્ઞાનીઓ એટલું જાણી-સમજી શક્યા છે કે આજની તારીખે પૃથ્વી પર જેટલાં પ્રકારનાં જીવો છે તેમાંના ૯૦ ટકા પ્રકારો ફ્ક્ત ૧૦ જ ટકા વિસ્તારોમાં એટલે કે ઉષ્ણકટિબંધનાં જંગલોમાં જીવી રહ્યાં છે; એવાં જંગલોમાં, જ્યાં મનુષ્યની ઉપસ્થિતિ પ્રમાણમાં ઘણી પાંખી છે.

તો, મુદ્દો એ છે કે આપણે મનુષ્યો ભલે આપણને પૃથ્વીની શાન ગણીએ, પૃથ્વીને મન તો માનવી હાલના એક કરોડથી વધુ પ્રકારનાં જીવોમાંનો એક છે. એટલું જ નહીં, અન્ય મોટાં ભાગનાં જીવોની સરખામણીમાં મનુષ્ય જુનિયર છે, નવોસવો છે. પોણા ચાર અબજ જૂની જીવસૃષ્ટિમાં માનવી બહુમાં બહુ તો સાડા ત્રણ લાખ વર્ષ જૂનો છે. આવામાં, આપણે મનુષ્યો જો ભૂલેચૂકે પૃથ્વી, સૃષ્ટિ, પ્રકૃતિ સમક્ષ અમિતાભની સ્ટાઈલમાં ડાયલોગ મારીએ કે સાડા ત્રણ લાખ વર્ષથી અમે આ પૃથ્વી પર છવાયેલા છીએ અને અહીં તો અમારું રાજ ચાલે છે … તો સૃષ્ટિ પેલા અજિતની જેમ શાંતિપૂર્વક કહી શકે કે ભઈલા, તારા જેવા તો અહીં કંઈક આવ્યા ને કંઈક ગયા … હું કેટલાનો હિસાબ રાખું?

બરાબર છે. સૃષ્ટિ કેટલું યાદ રાખે? પણ આપણે બે વાત યાદ રાખવી.

૧. પ્રચંડ જૈવિક વૈવિધ્યના અત્યંત બહોળા-પહોળા-ડહોળા ઇતિહાસમાં આપણી, માનવીની ક્ષુલ્લકતા યાદ રાખવી. અહીં તો કંઈક આવ્યા … કંઈક ગયા … એમ આપણે આવ્યા અને આપણે પણ જઈશું … માટે ખાંડનો ઓવરડોઝ કરવો નહીં.

૨. વૈવિધ્ય … આ સૃષ્ટિનું હાર્દ છે, અપાર વૈવિધ્ય … કુદરતે કાળાં અને ધોળાં એવાં ફ્ક્ત બે જ પ્રકારનાં પતંગિયાં બનાવ્યાં હોત તો કોઈ એને પૂછવા નહોતું જવાનું, કોઈ એનું ઓડિટ નહોતું કાઢવાનું, છતાં, સૃષ્ટિએ અસંખ્ય પ્રકારનાં રંગો ધરાવતાં પતંગિયાં બનાવ્યાં અને બીજાં અબજો પ્રકારનાં જીવો રચ્યાં.

શું કામ?  

કારણ કે વૈવિધ્ય એ સૃષ્ટિનું હાર્દ છે. બાયોડાયવર્સિટી(જૈવિક વૈવિધ્ય)ની જે અપાર સમૃદ્ધિ આપણી ચારે તરફ વિખરાયેલી પડી છે તેના પર આપણું ઝાઝું ધ્યાન નથી જતું, પણ તેના પર ધ્યાન આપવા જેવું છે.

ખાસ તો અત્યારે, ચૂંટણી અગાઉ ભારતમાં રચાયેલા ઝંઝાવાતી માહોલમાં શાંતિપૂર્વક સમજવા જેવું એ છે કે આ સૃષ્ટિનાં અબજો પ્રકારનાં જીવોમાંના એક એવા મનુષ્યની અબજોની વસતિમાં પ્રત્યેક મનુષ્ય જુદો છે, તેના અરમાન-અભિપ્રાય-વલણો જુદાં છે. ફ્ક્ત સમસ્યાની જ વાત કરીએ કોઈને હિન્દુ-મુસ્લિમ મુદ્દો સૌથી મહત્ત્વનો લાગે તો કોઈને સ્ત્રીઓના કે દલિતોના કે ગરીબોના હકનો મુદ્દો સૌથી મહત્ત્વનો લાગે. આવામાં, આપણને જેમાં રસ પડે તેમાં ભલે રસ લઈએ, પણ બીજી વ્યક્તિને બીજી વાતોમાં રસ પડે, બીજી વ્યક્તિ જુદું વિચારે, તેને જુદો નેતા ગમે, જુદો પક્ષ ગમે, તેને જુદું શાક ભાવે, તેને પર્વત કરતાં દરિયો વધુ રૂપાળો લાગે … તો ઇટ્સ ઓકે. એમાં બાંયો ન ચડાવાય. “મને જેમાં રસ પડે છે તેમાં તને રસ કેમ નથી પડતો?” “તું મારા જેવો કે જેવી કેમ નથી?” આવું બધું ન પૂછાય.

સૃષ્ટિનું જૈવિક વૈવિધ્ય અને માનવીનું માનસિક-સામાજિક-સાંસ્કૃતિક વૈવિધ્ય … આ બંને બહુ જ મહત્ત્વનાં છે. આ વૈવિધ્ય બળ પૂરું પાડે છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓ નાશ પામી પણ આપણી ભારતીય સંસ્કૃતિ ગમે તેવી તો પણ હજુ સુધી ટકી શકી છે તેનું એક મહત્ત્વનું કારણ સૌ સ્વીકારે છે. તે કારણ છે, વૈવિધ્ય … ભારતીય સંસ્કૃતિ જેટલું વૈવિધ્ય બીજે ક્યાં ય નથી. શક્ય છે કે આ વૈવિધ્યને લીધે આપણી સંસ્કૃતિ આટલું લાંબું ટકી.

તો, ચૂંટણીમાં મત કોને આપવો એ નિર્ણય લેવા ઉપરાંત બીજો એક નિર્ણય પણ ભેગાભેગો લઈ લઈએઃ આપણા દેશના સાંસ્કૃતિક વૈવિધ્યને આપણે તાકાત બનાવવા માગીએ છીએ કે નબળાઈ?

વિચારી જોજો.

facebook .com / dipaksoliyan

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 14 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8212,8222,8232,824...2,8302,8402,850...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved