Opinion Magazine
Number of visits: 9577318
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડના છાંયડામાં પણ ઊગ્યા વડ!

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2019

પ્રો. ગણેશ દેવીએ પખવાડિયા પહેલાં મુંબઈમાં એશિયાટિક સોસાયટીમાં મનનીય વ્યાખ્યાન આપ્યું હતું જેના વિષયને અને ડૉ. દેવીના વિચારોને આપણી આ શ્રેણી સાથે સંબંધ છે. વાચકોને જાણ હશે કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા અને પછી વહેલી નિવૃત્તિ લઈને તેમણે આદિવાસી સંસ્કૃતિ, ભારતની સાંસ્કૃતિક બહુલતા અને ભાષાઓ પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં લોકજીભે બોલાતી તમામ ભાષાઓનું તેઓ સર્વેક્ષણ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં ‘પીપલ્સ લિંગ્વીસ્ટિક સર્વે ઑફ ઇન્ડિયા’ના ૩૮ ખંડ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને ૧૨ ખંડ તૈયાર થઈ રહ્યા છે.

ડૉ. દેવીએ મુંબઈમાં ભાષાકીય બહુલતા (ડાયવરસિટી ઓફ લેન્ગવેજિઝ) વિષે બોલતા પ્રશ્ન  ઉપસ્થિત કર્યો હતો કે વટવૃક્ષની નીચે નાનાં ઝાડ પાંગરતાં નથી એ કુદરતનો નિયમ છે અને આપણા બધાનો અનુભવ છે. વડલાતળેનાં વૃક્ષોને સૂર્યની ઉર્જા મળતી નથી અને વિકસવા માટે ઉર્જાની જરૂર પડે છે. જે નિયમ વૃક્ષોને લાગુ પડે છે એ ભાષાઓને પણ લાગુ પડે છે. જે તે ભાષા બોલનારના ચિત્તોવ્યાપારની એ ભાષાને જરૂર પડે છે અને તે તેની ઉર્જા હોય છે. ચોક્કસ ભાષાના બોલનારાઓ જ્યારે તે ભાષામાં ચિત્તોવ્યાપાર કરતા અટકી જાય છે અને તેનાથી કોઈ વધારે બળુકી ભાષામાં કરવા લાગે છે ત્યારે પોતાની માતૃભાષા પાછળ ધકેલાવા લાગે છે અને છેવટે મરી જાય છે.

યુનેસ્કોએ મરી ચૂકેલી, મરવાને કાંઠે અને હવે પછી મરનારી ભાષાઓ વિષે એક સ્ટડી પેપર રજૂ કર્યો એ પછી જગતભરમાં ભાષાઓને કેમ ઉગારવી એ વિષે ઊહાપોહ થઈ રહ્યો છે. મુખ્ય સવાલ છે ચિત્તોવ્યાપારની ઉર્જાનો. સર્જકતાનો. એ જો ટકશે તો ભાષા ટકશે.

એ પછી તેમણે સવાલ ઉપસ્થિત કર્યો હતો કે પ્રાચીન ભારતમાં સંસ્કૃત ભાષાનું આધિપત્ય હતું. એક તો શાસ્ત્રશુદ્ધ સંપૂર્ણ ભાષા અને તેમાં વિચારોનું ખેડાણ દરેક દિશામાં થયું હતું. સંસ્કૃતમાંથી પાલી, પ્રાકૃત જેવી અપભ્રંશ ભાષાઓ વિકસી હતી; પરંતુ સંસ્કૃતનો દબદબો કાયમ હતો. જે ભાષામાં વેદો અને ઉપનિષદો લખાયાં એ ભાષા સામે પાલી-પ્રાકૃત જેવી અપભ્રંશ ભાષાઓને ટકવાનું હતું.

આપણે જોઈએ છીએ કે એ ભાષાઓ ટકી. એ ભાષાઓમાં ઉપનિષદની ઊંચાઈનું કામ થયું. મહાવીર, બુદ્ધ, આજિવકો અને બીજા અનેક વિચારકોએ એ ભાષાઓમાં કામ કર્યું. એ ભાષાઓમાં વિકસેલા શ્રમણ દર્શને સંસ્કૃતમાં વિકસેલા વૈદિક દર્શન કે બ્રાહ્મણ દર્શન સામે પડકાર ઉપસ્થિત કર્યો. આમ કેમ બન્યું? સંસ્કૃતનો દબદબો હોવા છતાં અને એ દબદબો જરા ય ઝાંખો નહીં પડ્યો હોવા છતાં આપણે ત્યાં બીજી ભાષાઓ કોળાઈ અને એમાં વિચારક્ષેત્રે ઉપનિષદોની ઊંચાઈનું કામ થયું. સંસ્કૃતના હોવા છતાં બીજી ભાષાઓને ટકાવી રાખનારું કયું તત્ત્વ હતું?

એ પછી તેમણે કહ્યું હતું કે જેમ પ્રાચીન ભારતમાં સંસ્કૃતનો દબદબો હતો એમ મધ્યકાલીન ભારતમાં પર્શિયન ભાષાનો દબદબો હતો. સાવ એવું નહોતું કે ભારતમાં મુસલમાનો આવ્યા એની સાથે એ ભાષા આવી, એ ભાષાની એક પોતીકી તાકાત હતી. મુસ્લિમ દેશોમાં બોલાતી તમામ ભાષાઓમાં પર્શિયન ભાષા વધારે સક્ષમ છે. જગતમાં એકધારી વપરાશમાં રહેલી જે જીવંત ભાષાઓ છે એમાં તમિળ અને પર્શિયનનો સમાવેશ થાય છે. એના સ્વરૂપમાં ઘણો ફરક પડ્યો છે, પરંતુ એ અખંડ વપરાશમાં રહેલી જીવંત ભાષા છે. પર્શિયન ભાષામાં રૂમી જેવા વૈશ્વિક ગજાના સર્જકો થયા છે અને અમર કૃતિઓ આપતા ગયા છે.

ભારતમાં પર્શિયન રાજભાષા હતી અને એ પણ ટૂંકા સમય માટે નહીં, લગભગ સાતસો વર્ષ સુધી. આ કોઈ ટૂંકો સમયખંડ નથી. આટલા સમયમાં તો સમાજનાં સાંસ્કૃતિક કલેવરો બદલાઈ જતાં હોય છે. અનેક હિંદુઓ મુસ્લિમ શાસકોની નોકરી મેળવવા માટે પર્શિયન અપનાવતા થયા હતા. હિંદુઓએ પર્શિયનમાં ગ્રંથો લખ્યા છે. જૂનાગઢના દીવાન રણછોડજીનું ‘તારીખ એ સોરઠ’ નામનું  પર્શિયનમાં લખાયેલું પુસ્તક જાણીતું છે. એક રીતે જુઓ તો પર્શિયન દેખીતી રાજ્યભાષા હોવાને કારણે, ભારતના ભદ્ર વર્ગે તેને અપનાવી લીધી હોવાને કારણે, તેનો ભૌતિક સુખાકારી સાથે સીધો સંબંધ હોવાને કારણે અને તેમાં ભારતીયો દ્વારા સર્જન-વ્યાપાર થવા લાગ્યો હોવાને કારણે પર્શિયનનો દબદબો સંસ્કૃત કરતાં પણ વધુ હતો.

આમ છતાં, પર્શિયન ભાષાની બળુકી હાજરી હોવા છતાં ભારતીય ભાષાઓમાં કેટલું અદ્ભુત સર્જન થયું છે! કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને બલુચિસ્તાનથી લઈને મણિપુર સુધીના પ્રદેશોમાં બોલાતી દરેક ભારતીય ભાષામાં સંસ્કૃત અને પર્શિયન ભાષામાં થયેલાં સર્જનોને ટક્કર મારે એવાં સર્જનો થયાં છે. લ્લ્લેશ્વરી, નાનક, કબીર, દાદુ, રૈદાસ, મીરાં, નરસિંહ, જ્ઞાનેશ્વર, બસ્સેશ્વર, ચૈતન્ય એમ દક્ષિણ અને પૂર્વ સુધીની ભાષાવાર યાત્રા કરો; કોઈ ભાષા વાંઝણી જોવા નહીં મળે. એ ભાષાઓમાં રચાયેલી રચનાઓની પણછે સંગીત પણ વિકસ્યું અને એમાં પણ દીર્ઘાયુ સાથેનું વૈવિધ્ય નજરે પડી રહ્યું છે. ભારતીય ભાષાઓમાં અને ભારતીય સંગીતમાં મુસલમાનોનું કેટલું બધું યોગદાન છે! પર્શિયન ભાષાનો દબદબો હોવા છતાં આમીર ખુસરોથી લઈને તમામ સૂફી સર્જકોએ ભારતીય ભાષાઓમાં જ કામ કર્યું છે; પર્શિયનનો બહુ ઓછો ઉપયોગ કર્યો છે.

આધુનિક યુગમાં પર્શિયનની જગ્યા અંગ્રેજીએ લીધી છે. આ ભાષા પણ કોઈ સામાન્ય ભાષા નથી. ભલે એ શાસ્ત્રશુદ્ધ સંપૂર્ણ ભાષા નથી, પરંતુ એમાં સર્જકતાનું અને વિચારોનું ખૂબ ખેડાણ થયું છે. અંગ્રેજી ભારતની રાજભાષા હતી અને હજુ આજે પણ છે. એ ભાષાને મુસ્લિમ શાસનના યુગની જેમ ભદ્ર વર્ગે અપનાવી લીધી હતી. સંસ્થાનવાદને કારણે અંગ્રેજી વિશ્વભાષા બની ગઈ અને સફળતા તેમ જ જીવનનિર્વાહ સાથે અંગ્રેજી ભાષાનો જેવો સંબંધ છે એવો સંબંધ આજ સુધી કોઈ પણ ભાષાનો જોવા નથી મળ્યો. ડૉ. ગણેશ દેવીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે આમ છતાં ભારતની અત્યારની દરેક ભાષા ટકી રહી છે એટલું જ નહીં એમાં માતબર સર્જન થયું છે. આપણે આપણું રાષ્ટ્રચિંતન અને સમાજચિંતન આપણી પોતીકી ભાષાઓમાં કર્યું છે. જગતના વિચારપ્રવાહોને આપણે આપણી ભાષામાં ઝીલ્યા છે. આપણે જ્યારે વૈચારિક રીતે અને સાંકૃતિક રીતે આંદોલિત હતા ત્યારે આપણને આપણી ભાષા ટૂંકી નહોતી લાગતી.

કુદરતના નિયમ મુજબ વટવૃક્ષની નીચે વૃક્ષો નથી પાંગરી શકતાં. જગત આખાનો ભાષાઓ વિશેનો અનુભવ પણ આવો જ છે. વર્ચસ્‌ ધરાવતી ભાષાને કારણે નાની ભાષાઓ કરમાઈને મરી જાય છે. જગતના દરેક ખૂણામાં આ રીતે અત્યાર સુધીમાં સેંકડો ભાષા મરી ગઈ છે અથવા કરમાયેલી અવસ્થામાં છે, પણ ભારત આમાં અપવાદ છે એનું શું કારણ?

ડૉ. ગણેશ દેવીના આ પ્રશ્નનો ઉત્તર માર્મિક હતો અને એ જ તેમના ભાષણમાં કલગીરૂપ હતો. તેમણે કહ્યું હતું કે આપણી સંચિત ધરોહર ઉત્તરોત્તર અને અનુવર્તીત ચિત્તમાં ઊતરતી આવી છે. આ જે સમગ્રતા છે, અખંડતા છે, સર્વસમાવેશકતા છે, સાતત્ય છે, પ્રવાહિતા છે એ માળામાં રહેલા દોરાનું કામ કરે છે. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ કે ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ કહેનાર નરસિંહ મહેતા ક્યાં સંસ્કૃતનો મહાપંડિત હતો? ઉપનિષદોનાં મહાવાક્યો નરસિંહમાં કેવી રીતે ઊતરી આવ્યાં? એ ઊતરી આવ્યાં સર્વસમાવેશક અખંડ ધારાના કારણે. પોત એટલું ઘટ્ટ હતું કે એમાં બીજી સંસ્કૃતિના તાણાવાણા આવતા ગયા એ પણ પોતમાં વણાઈ ગયાં અને એ પણ એટલી હદે કે એને જુદાં તારવવા મુશ્કેલ બને.

ડૉ. ગણેશ દેવીનું વ્યાખ્યાન સાંભળ્યા પછી મને ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ના શાયર ડૉ. અલ્લામા ઇકબાલની યાદ આવી. ઇકબાલ સૂફી ઘરાનાના કાશ્મીરી મુસલમાન હતા. પૂર્વાશ્રમમાં તેઓ સૂફી સિલસિલાના હોવા માટે ગર્વ અનુભવતા હતા, પણ પછી તેઓ રૂઢ અર્થમાં ગ્રંથપસ્ત ધાર્મિક મુસલમાન બની ગયા. તેઓ જ્યારે ગ્રંથપરસ્ત ધાર્મિક બની ગયા ત્યારે તેમને લાગ્યું કે સૂફીઓની ખુદાપરસ્તી હિંદુ કોન્શ્યસનેસનો હિસ્સો છે અને તેને કારણે ભારતીય ઇસ્લામ તેનાથી અભડાયેલ છે. ખુદા અને બંદા વચ્ચે જો ઐક્યનો સ્વીકાર કરવામાં આવે તો ખુદાનું સામ્રાજ્ય, ખુદાના આદેશો, કુરાન અને હદીસનું શબ્દપ્રમાણ, આદેશોનું પાલન, કયામતનો દિવસ, ખુદા સમક્ષ બંદાનું દાસત્વ વગેરે ઈસ્લામને અલગ ઓળખ આપનારાં વિશિષ્ટ ઇસ્લામિક તત્ત્વો ક્ષીણ થાય છે. ભારતીય મુસલમાનો ઇન્ડિયન કોન્શ્યસનેસ(તેમની ભાષામાં હિંદુ કોન્શ્યસનેસ)નો હિસ્સો ન થઈ શકે. 

આનો અર્થ એ થયો કે ભારતમાં જો અલાયદી ઓળખ વિકસાવવી હોય તો નકારથી શરૂઆત કરવી પડે એટલી હદે હકારનું વણાટ મજબૂત છે. સૂફીસંતાન ઇકબાલને નકારનો આશ્રય લેવો પડ્યો હતો, અને આજે કેટલાક હિંદુઓ આનો જ આશ્રય લઈ રહ્યા છે. જોઈએ તો અમે ચાર પાંચ હજાર વરસ જૂનું ઘટ્ટ વણાટનું પોત વીંખી નાખીશું, પણ પોતાની અલાયદી ઓળખ તો જૂદી પાડશું જ પાડશું એવી જિદ્દ લાભકારક નીવડવાની છે કે નુકસાનકારક એ વિષે વિચારવું જોઈએ.

18 ઍપ્રિલ 2019

સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ઍપ્રિલ 2019 

Loading

માણસ કેટલી હદે સુરક્ષિત રહી શકે?

દીપક સોલિયા|Opinion - Opinion|21 April 2019

ફિલ્મ ગોડફાધરમાં ઘરડો થઈ ચૂકેલો ગોડફાધર વિટો કોર્લિયોની એના દીકરા માઈકલને મરતાં પહેલાં એક અત્યંત મહત્ત્વની સલાહ આપતો જાય છે કે આપણો જે માણસ આપણા સૌથી મોટા દુશ્મન (બાર્ઝિની) તરફ્થી સમાધાનનો સંદેશો લાવે તેને ગદ્દાર જાણજે.

કરો વાત. વિટોની મુખ્ય ટીમમાં બધા સભ્યો વર્ષો જૂના વફાદારો જ હતા. એમાંના કોઈ એક વફાદારને સંદેશવાહક બનાવીને દુશ્મન સુલેહ-સંદેશ પાઠવે તો પેલો વફાદાર ગદ્દાર થઈ જાય?

હા, કારણ કે જમાનાનો ખાધેલ અને અત્યંત વિચક્ષણ એવો વિટો કોર્લિયોની જે દેખાય તેનાથી સાવ ઊંધું વિચારી જોવાની કળાનો માસ્ટર હતો. એ દેખાવ પાછળની સચ્ચાઈ અને રૂપની પાછળનું સ્વરૂપ જોઈ શકતો હતો. આ માસ્ટરી સૌએ કેળવવા જેવી છે. એ કામ અઘરું નથી. કરવાનું આટલું જ છેઃ સાવ જ ઊંધું વિચારી જોવાનું.

જેમ કે, ચારે તરફ જો એવી બૂમરાણ સંભળાય કે ઉજાલા હૈ … ઉજાલા હૈ … તો એક વાર આંખ ખોલીને ચેક કરી લેવાનું કે ક્યાંક અંધારું તો નથી ને … કોઈ ધર્મગુરુ એવી વાત કરે કે હું આપણા ધરમ પરનો ખતરો ઘટાડીશ, ત્યારે વિચારી જોવું કે એ મુલ્લાજી-બાવાજી-પાદરીજી ક્યાંક ધરમ પર ખતરો વધારી તો નથી રહ્યા ને … કોઈ પણ પક્ષના નેતાજી જો એવું કહે કે હું દેશનું ભલું કરીશ ત્યારે બે ઘડી વિચારી જોવું કે નેતાજી દેશને ખાડે નાખે એવા તો નથી ને … કોઈ ગરીબી દૂર કરવાની વાત કરે ત્યારે એ જોઈ લેવું કે એને ગરીબી ટકાવી રાખવામાં તો રસ નથી ને … કોઈ માણસ તમારો ઉદ્ધાર કરવાની વાત કરે ત્યારે એવું વિચારી જોવું કે એ માણસ કોના ઉદ્ધાર માટે વધુ મથી રહ્યો છે, તમારા કે એના પોતાના?

ટૂંકમાં, એક વાર ઊંધેથી વિચારી જોવું.

અત્યારની ચૂંટણીની વાત કરીએ તો એમાં સૌથી વધુ ગાજેલો મુદ્દો સુરક્ષાનો છે. આવામાં, સુરક્ષાના મુદ્દે પણ એક વાર ઊંધું વિચારી જોવા જેવું ખરું કે શું અસલમાં સુરક્ષા જેવું ક્યાં ય કશું હોય છે ખરું?

મોત ગમે ત્યારે, ગમે તેને ઝપટમાં લઈ શકે છે. ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી … કોઈ ને કોઈ અસુરક્ષા લગભગ બધા જ લોકોને સતાવતી હોય છે. જેમ કે, આતંકીઓ મન ફવે ત્યારે બોમ્બ ફેડશે તો? બાપાની સંપત્તિ ભાઈ હડપ કરી જશે તો? ઓફ્સિમાં મારી વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું હશે તો? મારો પતિ સૌતનના પડખામાં ભરાઈ જશે તો? મને બગલમાં થયેલી ગાંઠ કેન્સરની હશે તો? હું વાર કરું તે પહેલાં દુશ્મન મારા પર વાર કરી લેશે તો?

ટૂંકમાં, અસુરક્ષા એટલી અપરંપાર છે કે શાયર ફિરાક ગોરખપુરીએ હાથ ઊંચા કરી દેતાં કહેલું,

મૌત કા ભી ઇલાજ હો શાયદ,
ઝિંદગી કા કોઈ ઇલાજ નહીં.

માધવ ક્યાં ય નથી મધુવનમાં, એમ સુરક્ષા ક્યાં ય નથી જીવનમાં. જે છે તે છે ફ્ક્ત અસુરક્ષા. એ પણ પાછી બે પ્રકારનીઃ વાસ્તવિક અને માનસિક. વાસ્તવિક અસુરક્ષા પૃથ્વી પરની હવા જેવી છે. એ બધે જ હોય. જંગલમાં હરણાં કઈ ઘડીએ વાઘનો કોળિયો બની જાય એ નક્કી ન હોય અને એ હરણને ખાનારો વાઘ પોતે પણ અસુરક્ષિત હોય, કેમ કે વાઘ ફ્લ્ટિર્ડ પાણી પીતો નથી અને જેના પર માખીઓ બણબણતી હોય એવું ઉઘાડું માંસ ખાય છે તથા કોઈ દિવસ બ્રશ કરતો નથી. એટલે એને ગમે ત્યારે કોઈ રોગનો ચેપ લાગી શકે અને એન્ટિબાયોટિક્સની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ ન હોવાને કારણે રિબાઈ રિબાઈને મરી શકે છે. છતાં, રોગોની સંભાવના તથા પ્રકૃતિનાં ઠંડી-ગરમી-વરસાદનાં આક્રમણો વચ્ચે એ વાઘ જંગલમાં ચોતરફ ગુંજતા મોતની અસુરક્ષા વચ્ચે પોતાની મસ્તીમાં જીવે છે. તો શું આપણે માણસો અસુરક્ષા વચાળે હરણ-વાઘની જેમ ભાર વિના જીવી ન શકીએ? ના, યે ન થી હમારી કિસ્મત … આપણને વાસ્તવિક ઉપરાંત પેલી બીજા પ્રકારની, માનસિક પ્રકારની અસુરક્ષા કનડતી હોય છે.

આ માનસિક અસુરક્ષા કમાલની હોય છે. એ અસુરક્ષાનો તો જન્મ જ સુરક્ષા માટેની ઇચ્છામાંથી થતો હોય છે. મારો દેશ એકદમ સુરક્ષિત હોવો જોઈએ … મારો પતિ ફ્ક્ત મારામાં જ ડૂબેલો રહેવો જોઈએ … આવી બધી ઇચ્છાઓ પહેલી નજરે એકદમ સ્વાભાવિક અને વાજબી લાગે તો પણ સમજવા જેવું એ છે સુરક્ષાની સ્વાભાવિક ઇચ્છા જ્યારે રઘવાટનું રૂપ ધરે છે ત્યારે તેમાંથી અસુરક્ષા જન્મે છે અને પછી એ જ અસુરક્ષાની લાગણીના પેટમાંથી ભય, ઇર્ષ્યા, હિંસા વગેરે જન્મે છે. એ ભય-ઇર્ષ્યા-હિંસા વકરે ત્યારે સુરક્ષા માટેનો રઘવાટ બળવત્તર બને છે અને સુરક્ષા માટેના રઘવાટમાંથી પા છી અસુરક્ષા જન્મે છે.

આ ચક્ર તૂટે કઈ રીતે? પોતાની પૂંછડી મોઢામાં નાખતા સાપ જેવું આ વર્તુળ છે. જો સાપ પૂંછડી છોડી દે તો વર્તુળ વિખરાઈ જાય, પણ સાપ પૂંછડી છોડે કઈ રીતે?

આ સવાલનો જવાબ ન જડે તો, લેખના આરંભે કહ્યું છે તેમ, ફરી ઊંધું વિચારી જોવું.

જેમ કે, આપણે સાવ જ અસુરક્ષિત છીએ એના સામેના છેડાનો વિચાર કયો હોઈ શકે?

એ જ કે આપણે એકદમ સુરક્ષિત છીએ.

હા, ખરેખર આપણે સુરક્ષિત છીએ. ચારે બાજુએથી સુરક્ષિત છીએ. ઉપર જુઓ તો ઉપરવાળો આપણી રક્ષા કરે છે. સરહદે નજર કરો ત્યાં દેશની મજબૂત સેના બેઠી છે. શરીરની અંદર નજર કરો તો આપણી સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ આપણી સુરક્ષા માટે હંમેશાં તૈયાર હોય છે. જે કુદરત માણસને ગમે ત્યારે ખતમ કરી નાખે છે એ જ કુદરત માણસને ખતમ કરતાં પહેલાં પ્રત્યેક પળે તેની સુરક્ષાની ગજબની કાળજી પણ લે છે. આપણા શરીરમાં ઉપસ્થિત અબજો બેક્ટેરિયા શરીરને ખતમ ન કરી નાખે એટલા માટે કુદરતે ભલભલા શાકાહારીના શરીરમાં પણ બેક્ટેરિયાની મોટા પાયે હત્યા કરવાની જવાબદારી નિભાવતા શ્વેતકણો તથા એન્ટિજન-એન્ટિબોડીનું મિકેનિઝમ ગોઠવ્યું છે. આ ઉપરાંત હવામાંના ઓક્સિજનથી માંડીને બીજી એવી અસંખ્ય બાબતો છે જે આપણને જીવતા રાખે છે, સુરક્ષિત રાખે છે…

એક તરફ, કુદરત પળેપળ આપણને સુરક્ષિત રાખવામાં કોઈ કચાશ નથી છોડતી અને બીજી તરફ, એ જ કુદરત કોઈ પ્રાકૃતિક આફત કે રોગ કે અકસ્માત કે યુદ્ધ વડે માણસને ગમે તે ઘડીએ ઉઠાવી પણ લે છે. યમરાજ ગમે ત્યારે સુરક્ષાનું કવચ ભેદીને આપણને ઉઠાવી શકે છે એ વાત સાચી, પણ યમરાજ આપણને ઉઠાવી જાય તે પહેલાં દાયકાઓ સુધી આપણે સુરક્ષિત કવચમાં જીવતાં રહીએ છીએ તેનું શું?

તો, બે સચ્ચાઈ થઈ …

૧) આપણે સાવ અસુરક્ષિત છીએ.

૨) આપણે એકદમ સુરક્ષિત છીએ.

આવી સામસામેના છેડાની સચ્ચાઈઓ વચ્ચે માનવજાત જીવતી હતી, જીવે છે, જીવતી રહેશે.

માટે, ઝાઝી ચિંતા કરવી નહીં. સુરક્ષાના મામલે બહુ ઊંચાનીચા થવું નહીં.

ડોન્ટ વરી, બી હેપી.

facebook .com / dipaksoliyal

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ઍપ્રિલ 2019

Loading

પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બની જજો !

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2019

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૪૬૪ પક્ષોએ ભાગ લીધો હતો. આમાંથી ચૂંટણી પંચે જેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા છ પક્ષો છે, ચૂંટણી પંચે જેને પ્રાદેશિક પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા ૩૯ પક્ષો છે અને બાકીના નોંધયેલા પક્ષો છે, પણ માન્યતાપ્રાપ્ત પક્ષો નથી. આનો અર્થ એ થયો કે એવા પક્ષો ચૂંટણીની બાબતમાં ગંભીર નથી અને ચૂંટણી પંચની માન્યતા મેળવવા જેટલા મત મેળવી શકતા નથી. આમ છતાં એવા પક્ષો દરેક ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. જે પક્ષો નોંધાયેલા નથી એને ઉમેરો તો ભારતમાં ૨,૨૯૩ પક્ષો છે. આમાંથી ૧૪૯ પક્ષો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નોંધાયા છે.

જે દેશમાં ૨,૨૯૩ પક્ષો હોય, ૪૧૯ પક્ષો કોઈ પણ પ્રકારની ગંભીરતા વિના, એટલે કે જીતવાના કોઈ ઈરાદા વિના ચૂંટણી લડતા હોય અને ૧૪૯ પક્ષો ચૂંટણીની પૂર્વસંધ્યાએ માત્ર દોઢ મહિનામાં નવા રચાતા હોય અને રજીસ્ટર્ડ થતા હોય તો અબૂધ માણસ પણ સમજી શકશે કે આમાં કોઈક ગોલમાલ ચાલે છે. ચૂંટણી પંચે છેલ્લા દાયકાઓમાં અનેક વાર કહ્યું છે કે આપણી ચૂંટણી પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ છે જેને દૂર કરવાની જરૂર છે. પ્લીઝ, કાંઇક કરો, પણ આપણા શાસકો ટાઢા ડીલે બેઠા છે અને કોઈ કહેતા કોઈ કાંઈ કરતું નથી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતમાં રામરાજ્ય લઈ આવવાનાં વચનો આપતા હતા ત્યારે તેમને એટલી તો જાણ હશે જ કે રામરાજ્યનો રસ્તો ક્યાંથી પસાર થાય છે.

જગતમાં ગર્વ લઈ શકાય એવા દેશનું નિર્માણ કરવું હોય તો શું શું કરવું જોઈએ અને કેટલી ખામીઓ દૂર કરવી જોઈએ એની જાણ નવનિર્માણના દાવા કરનારા શાસકને હોવી જોઈએ. પાછી આમાં કોઈ વિશેષ મહેનત પણ કરવી પડે એમ નથી. કાયદાપંચે કાયદામાં શું સુધારા કરવાની જરૂર છે અને કયા કાયદા નાબૂદ કરવાની જરૂર છે એ કહ્યું છે. ચૂંટણીપંચે અને બીજા અભ્યાસકોએ ચૂંટણીકીય સુધારાઓની ભલામણો કરી છે. નાણાપંચે નાણાકીય બાબતો વિષે, વહીવટી સુધાર પંચે વહીવટી બાબતો વિષે, સરકારિયા પંચે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો વિષે એમ જુદા જુદા અભ્યાસપંચોએ બીમારીઓનું નિદાન અને ઈલાજો આ પહેલાં જ બતાવી દીધા છે. ભારતમાં એવી એક પણ બીમારી નથી જે અજાણી હોય, જેની પંચો અને સમિતિઓ દ્વારા તપાસ ન થઈ હોય, ઈલાજો બતાવવામાં આવ્યા ન હોય અને રાષ્ટ્રીય સ્તરે તેના વિષે આમુલાગ્ર ચર્ચા ન થઈ હોય. આય રિપીટ એક પણ બીમારી અજાણી નથી.

દાયકાઓથી બીમારીની જાણ છે, તેનાં સ્વરૂપની જાણ છે, તેનાં કારણોની જાણ છે, ઈલાજની જાણ છે; તો કાંઈ કરવામાં કેમ નથી આવતું? મેં ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ભારતને અંદરથી કોરી રહેલી અને ચીન અને બીજા પ્રતિસ્પર્ધીઓ સામે ભારતને પાછળ રાખનારી બીમારીઓનો ઈલાજ હાથ ધરે તો સમજવું કે તે પ્રામાણિક માણસ છે, ૫૬ ઈંચની છાતી ધરાવે છે અને સાચો દેશભક્ત છે અને જો એમ ન કરે તો માનવું કે તેમનો ઈરાદો સત્તા ભોગવવાનો અને હિન્દુત્વનો છે.

માત્ર નરેન્દ્ર મોદી શા માટે? તેમના પહેલાના અને તેમની પછીના શાસકોને પણ આ એક માત્ર એરણે ચકાસવા જોઈએ. આવતા મહિને નરેન્દ્ર મોદીની જગ્યાએ જો કોઈ બીજી વ્યક્તિ વડા પ્રધાન બને (અને એવી શક્યતા નજરે પડે છે) તો એ વ્યક્તિને પણ આ જ એરણે ચકાસજો. ‘ભાઈ, વાતો તો મોટી મોટી કરી, હવે વ્યવસ્થામાં ક્યારે સુધારા કરો છો? બીમારીનો ઈલાજ ક્યારથી શરૂ કરો છો? તમને માર્ગદર્શન જોઈતું હોય તો તમારા મંત્રાલયમાંના બાબુને પૂછી જુઓ, તે દરેક બીમારી વિશેના રિપોર્ટ અને ઈલાજના પ્રિસ્ક્રીપ્શનો તમારી સામે ધરી દેશે. તેના વિષે જાણકારોએ કરેલી ચર્ચાના તારણો પણ ઉપલબ્ધ છે. દરેકે દરેક સમસ્યા સમજાઈ ચૂકી છે, એટલે બતાવો સાહેબ, કામે ક્યારે વળગો છો?’ જો એ કાંઈ ન કરે તો અને તેની જગ્યાએ ન કરવાના કામ કરે અથવા ગલ્લાતલ્લા કરે તો એ માણસને દરવાજો બતાવી દેજો.

વૈદકશાસ્ત્રની પરિભાષામાં બીમારીઓ ક્રોનિક છે. આટલા બધા રાજકીય પક્ષો એટલા માટે છે કે તેના સ્થાપકોને ખબર છે કે ચૂંટણીપ્રક્રિયામાં ખામી છે એટલે તેનો દુરુપયોગ કરી શકાય છે અને વળી કોઈ જો અદાલતમાં લઈ જાય તો ક્યાં બે દાયકા સુધી ચુકાદો આવવાનો છે. ત્યાં સુધીમાં તો આપણે બધું ભોગવીને ઉપર જતા રહીશું. આ જે નિર્લજ્જતાજન્ય હિંમત છે એ વ્યવસ્થામાં રહેલી ખામીમાંથી આવે છે. કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ ન હોય ત્યારે નીચ માણસોની હિંમત વધી જતી હોય છે અને નિર્લજ્જ બની જતા હોય છે.

આપણને એવા શાસકની જરૂર છે જેનામાં કોઈનો વાળ વાંકો કરવાની ત્રેવડ હોય. નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે જો તેમના કાર્યકાળમાં કોઈનો વાળ વાંકો કર્યો હોય, વ્યવસ્થામાં સુધારા કર્યા હોય, બીમારીઓનો ઈલાજ કર્યો હોય તો તેમને બીજી વાર મત આપીને વડા પ્રધાન બનાવવા જોઈએ. મત ન આપીએ તો આપણે નગુણા કહેવાઈએ. પરંતુ જો એવું કાંઈ ન કર્યું હોય અને ગરીબ-સામાન્ય માણસની હાલાકીમાં વધારો થયો હોય તો તેમને દરવાજો બતાવી દેવો જોઈએ. એક બીજો માપદંડ પણ ઉપયોગમાં લેવો જોઈએ. સત્તાને અને ભયને સંબંધ છે એટલે તો સત્તા સામે શાણપણ ન ચાલે એવી આપણે ત્યાં કહેવત છે. નાગરિકની અંદર ભયમાં વધારો કરનારા શાસકોને પણ જાકારો આપવો જોઈએ.

આ બે માપદંડોના આધારે ભારતના નાગરિકોએ નરેન્દ્ર મોદીના શાસનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને આ બે માપદંડોના આધારે જ આવનારા શાસકોનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ, પછી એ કોઈ પણ હોય. આપણને કૉન્ગ્રેસ ગમે છે માટે રાહુલ ગાંધીની નિષ્ફળતા માફ, આપણે મરાઠી છીએ એટલે નીતિન ગડકરી કે શરદ પવારની નિષ્ફળતા માફ, આપણે બંગાળી છીએ એટલે મમતા બેનર્જીની નિષ્ફળતા માફ એમ ઓળખના ધોરણે શાસકોનો બચાવ કરશો તો તેઓ તો સત્તા ભોગવીને જતા રહેશે, તમે હતા ત્યાંને ત્યાં જ રહેશો.

આપણે ત્યાં રાજકીય પક્ષો અને નેતાઓ ઓળખનું રાજકારણ કરીને સત્તા સુધી પહોંચે છે અને પછી એ ઓળખના નામે સત્તામાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે. હું તો ઝોળી લઈને જતો રહીશ પણ … હિંદુઓનું/મરાઠાઓનું/દ્રવિડોનું/બ્રાહ્મણોનું કે દલિતોનું રાજ જશે એવું જે તે સમાજવિશેષના નેતાએ કહ્યું કે તરત એ સમાજવિશેષના લોકો નિષ્ફળ શાસકને બચાવવા નીકળી પડે છે. આવી માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. તમારે જે ઓળખ સાથે જીવવું હોય એ ઓળખ સાથે જીવો, પણ કમસે કમ શાસકને મૂલવવાનું અને મત આપવાનું કામ ભારતના નાગરિક બનીને કરો.

પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બહુ અઘરું કામ નથી અને જો કાયમ માટે નાગરિક બની શકતા હો તો એના જેવું ઉત્તમ બીજું શું હોય! તમે જે દિવસે નાગરિક બનશો એ દિવસે બીમારીઓનો ઈલાજ થવા લાગશે. કારણ કે તમે તેમને પાંચ પાંચ વરસે તગેડી મૂકશો એટલું જ નહીં, રસ્તા પર ઊતરશો, અદાલતના દરવાજા ખખડાવશો, તેમની સાથે ચર્ચામાં ઊતરશો વગેરે. એક દિવસે તેમને સમજાઈ જશે કે ઝોળો લઈને જતા રહેવાનો ડર હું શું બતાવવાનો હતો, નાગરિકો પોતે જ ઝોળો પકડાવતા થઈ ગયા છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8132,8142,8152,816...2,8202,8302,840...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved