Opinion Magazine
Number of visits: 9577545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેડૂતોનો આક્રોશ સત્તાવિરોધી લહેર પેદા કરી શકશે?

યોગેન્દ્ર યાદવ, યોગેન્દ્ર યાદવ|Opinion - Opinion|2 May 2019

આ સરકાર માત્ર લોકશાહી અને ધર્મનિરપેક્ષતાના મુદ્દે જ બચાવની મુદ્રામાં નથી, બલકે અર્થતંત્ર, ખાસ કરીને ખેડૂતો અને બેરોજગારના મુદ્દે પણ ખોંખારીને કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી. આ બંને મુદ્દે સરકારની સ્થિતિ અત્યંત ખરાબ હોવા છતાં તે જુદી જ વાતો કરી રહી છે. આ બે મુદ્દામાંથી ખેતીની સમસ્યા વધારે વિકરાળ છે અને લોકોમાં આ મુદ્દે અસંતોષ-આક્રોશ જોવા મળી રહ્યો છે. 

સામાન્યપણે ભા.જ.પ. ક્યારે ય ખેડૂતોનો હમદર્દ પક્ષ મનાયો નથી. ખેડૂતો પણ ભા.જ.પ.ને પોતાનો પક્ષ માનતા આવ્યા નથી. હા, ૨૦૧૪ તો અપવાદ સર્જાયેલો. હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટા ભાગના ખેડૂતોએ પહેલી વાર ભા.જ.પ.ને મત આપેલો, કારણ કે તેમને ભા.જ.પ. માટે આશા બંધાઈ હતી અને ભા.જ.પ. થકી તેમનો વિકાસ થશે એવી અપેક્ષાઓ ઊભી થઈ હતી. પણ પછી તો આશા-અપેક્ષાઓ ધીમે ધીમે નિરાશામાં પલટાતી ગઈ. સામાન્ય ખેડૂતોને પણ ખાતરી થતી ગઈ કે આ તેમના માટે કામ કરતો પક્ષ નથી.

બેરોજગારી પણ એક પ્રખર મુદ્દો છે, પરંતુ ખેડૂતોની સમસ્યાને રાજકીય મહત્ત્વ મળે છે, એટલું તેને મળતું નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં તો આ સમસ્યાનું આંશિક પ્રતિબિંબ જ જોવા મળે છે. રાજસ્થાનમાં કૉંગ્રેસને ૧૫૦થી ૧૬૦ બેઠકો મળવી જોઈતી હતી, પરંતુ મળી માંડ ૧૦૦. આમ, લોકોમાં રોષ છે, પરિવર્તન કરવાની ઇચ્છા છે, પરંતુ તેને મતમાં પરિવર્તિત કરી શકે એવા પરિબળનો અભાવ જણાયો. કદાચ ખેડૂતોને વિશ્વાસપાત્ર વિકલ્પ ન મળ્યો. એવો વિકલ્પ પેદા થયો હોત તો નક્કર પરિણામો મળ્યાં હોત. ગ્રામીણ વિસ્તારોમાં તો ભા.જ.પ. વિરોધી લહેર પેદા થઈ શકે એવો માહોલ જોવા મળ્યો. અત્યારે શું સ્થિતિ છે, એ ન કહી શકાય, પરંતુ આવી સંભાવના જરૂર જોવા મળી.

રાજકારણમાં ખેડૂતોના મુદ્દાનો જબરદસ્ત પ્રભાવ પડ્યો હોય, એવી ચૂંટણીની વાત કરવી હોય તો મને વર્ષ ૧૯૮૮ની ચૂંટણી યાદ આવે છે, જ્યારે છેલ્લી વખત ખેડૂતોના મુદ્દા રાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રસ્થાને હતા. એ વખતે મહેન્દ્રસિંહ ટિકૈતની મહારેલી યોજાયેલી, એ જ વખતે એમ.ડી. નંજુંદાસ્વામીએ કર્ણાટકમાં અને શરદ જોશીએ મહારાષ્ટ્રમાં વ્યાપક સ્તરે દેખાવો યોજેલા. બાકી, કઈ સામાન્ય ચૂંટણીમાં ખેડૂતોનો મુદ્દો મુખ્ય મુદ્દો બનેલો?! છેલ્લી પંદર સામાન્ય ચૂંટણીઓમાંથી મને નથી લાગતું કે એકેય ચૂંટણીમાં ગ્રામીણ, ખેતી કે ખેડૂતના મુદ્દાઓ કેન્દ્રીય મુદ્દા બન્યા હોય. હા, અમુક વિધાનસભા ચૂંટણીઓમાં ખેડૂતના મુદ્દાની મોટી ભૂમિકા રહી હશે, જેમ કે, વર્ષ ૧૯૮૭માં ચૌધરી દેવીલાલે ખેડૂતોનાં દેવામાફીનું વચન આપેલું અને સત્તા પર આવેલા … પરંતુ રાષ્ટ્રીય સ્તરે એકેય ચૂંટણીમાં એવો પ્રભાવ દેખાયો નથી. આ અર્થમાં જોઈએ તો આ ચૂંટણીમાં એક રોમાંચક ઘટના બનવા જઈ રહી છે કે ઘણા લાંબા સમય પછી એવી સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ખેડૂતો અને બેરોજગારીની સમસ્યાના મુદ્દા ચર્ચામાં આવ્યા છે. આ સૌથી મોટું પરિવર્તન છે.

આવું પરિવર્તન અત્યારે જ કેમ જોવા મળી રહ્યું છે, એવો સવાલ થઈ શકે. જો કે, રાજકારણમાં પુરવઠા અને માંગ વચ્ચે ભાગ્યે જ તાલમેલ જોઈ શકાય છે. જ્યાં સૌથી વિકરાળ સમસ્યા હોય ત્યાં જ સૌથી વધારે રોષ જોવા મળે, એવું માનવું ભૂલભરેલું છે. દાખલા તરીકે, ખેડૂતોની દુર્દશાને આત્મહત્યાના આંકડા સાથે જોડીને જોવામાં આવે છે. પણ, જ્યાં ખેડૂતો સૌથી વધારે હાડમારી ભોગવે છે, ત્યાં આત્મહત્યા વધારે થાય છે, એવું પણ નથી, એ પણ હકીકત છે. દેશમાં ખેતીની હાલત અત્યંત ખરાબ છે, એવા વિસ્તારોમાં બુંદેલખંડ, રાયલસીમાનો અમુક વિસ્તાર, મરાઠવાડાનો અમુક વિસ્તાર, ગુજરાત અને રાજસ્થાનના અમુક પ્રદેશો, બિહારના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે, પરંતુ અહીં ખેડૂત આત્મહત્યાનો આંકડો અત્યંત નીચો છે. આમ, આત્મહત્યાને અને ખેડૂતોની દુર્દશાને સીધી રીતે જોડી ન શકાય, એ જ રીતે ખેડૂતોની દુર્દશા અને ખેડૂતોનાં આંદોલનોને પણ સીધી રીતે જોડી શકાય નહીં.

મોદી શાસન દરમિયાન બે વર્ષ દુષ્કાળ પડ્યો અને એ પછી વૈશ્વિક અને સ્થાનિક ધોરણે ખેતપેદાશોના ભાવ ગગડ્યા. દુષ્કાળ પડે છે ત્યારે ખેડૂતો પોતાના ભાગ્ય કે ભગવાનને દોષ આપીને શાંત રહેતા હોય છે, પણ જ્યારે ત્રીજા વર્ષે સારો પાક થયો ત્યારે ભાવ ગગડી ગયા ને ખેડૂતોના હાથમાં કશું ન આવ્યું ત્યારે તેમની ધીરજ ખૂટી પડી અને એ પછી ખેડૂતો આંદોલન માટે રસ્તા પર ઉતરી આવ્યા.

ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી અંતર્ગત દેશભરનાં ૨૦૦થી વધારે ખેડૂત સંગઠનો એક મંચ પર આવ્યાં. તામિલનાડુ, હિમાચલ, ગુજરાત, આસામ એમ દેશનાં અનેક રાજ્યોના ખેડૂતો સંગઠિત થયા. અહીં નોંધવા જેવો મુદ્દો એ છે કે ૧૯૮૦ના દાયકામાં ટિકૈત, જોશી કે નંજુંદાસ્વામી ક્યારે ય એક મંચ પર આવ્યા નહોતા.

આ વખત બીજું એ બન્યું કે સરકારને ૪૦ મુદ્દાનો લાંબોલચક એજન્ડા આપવાને બદલે આખું આંદોલન માત્ર બે મુદ્દા પર જ કેન્દ્રિત કરવામાં આવ્યું : વાજબી ભાવ અને દેવામાંથી મુક્તિ. આપણા દેશમાં ખેતીક્ષેત્રમાં ઘણી વિવિધતા જોવા મળે છે, તામિલનાડુ અને કેરળમાં કૉફીની ખેતીથી લઈને પંજાબ અને હરિયાણામાં ચોખાની ખેતી. આ પ્રદેશો જાણે બે જુદા જ ખંડોમાં આવેલા છે … છતાં આ આંદોલનમાં સૌને એક સામાન્ય મુદ્દો પકડાયો અને દેશભરના ખેડૂતો એક તાંતણે બંધાયા.

વડા પ્રધાન મોદી સરકારનો બચાવ કરતા કહે છે કે આપણા દેશમાં સાંસ્થાનિક પ્રયાસો તથા માળખાકીય સુવિધાના અભાવને કારણે આવી સ્થિતિ સર્જાઈ, બાકી આમાં સરકાર દ્વારા કશું ખોટું-ખરાબ થયું જ નથી. જો કે, વાસ્તવિકતા એ છે કે મોદી શાસનનાં પહેલાં ત્રણ વર્ષમાં ખેડૂતો તેમના દિમાગમાં જ નહોતા. આને કારણે જ ખેડૂતોને લાગ્યું કે આ સરકારમાં તેમનું સાંભળનાર કોઈ નથી અને તેમની સમસ્યાનાં કાંકરો કાઢી નખાયો છે. આવો ભાવ દૃઢ થયા પછી જ ખેડૂતોએ આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો.

હવે અણ્ણા હજારેના આંદોલન અને આ વખતના ખેડૂતોના આંદોલન વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓની ચર્ચા કરીએ તો અણ્ણા આંદોલનથી ભા.જ.પ.ને ચોક્કસપણે ફાયદો થયો હતો. જો કે, આખી દુનિયામાં આવું જ થતું હોય છે. સુસંગઠિત વિરોધી પક્ષો સત્તા પક્ષને હરાવીને સત્તા હાંસલ કરવા માટે આવાં આંદોલનોનો ફાયદો ઉઠાવતા આવ્યા છે. વર્ષ ૧૯૭૦ના દાયકાના બિહાર અને ગુજરાતનાં વિદ્યાર્થી આંદોલનોને યાદ કરો.

બંને આંદોલનો વચ્ચેની ભિન્નતાની વાત કરીએ તો અણ્ણાજીનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન એક અર્થમાં મધ્યમ વર્ગનું આંદોલન બની ગયેલું. દેશભરમાં આ આંદોલનને જબરદસ્ત પ્રતિસાદ સાંપડેલો અને માધ્યમોમાં પણ તેની બોલબાલા હતી. આ વખતના ખેડૂત આંદોલને મીડિયાને જે રીતે અને હદે આકર્ષ્યું હતું, એ અભૂતપૂર્વ હતું. અગાઉ ખેડૂત આંદોલનોને આટલો બહોળો પ્રતિસાદ મળતો નહોતો. મીડિયામાં પણ વ્યાપક સ્થાન મળતું નહોતું. આવું કઈ રીતે થઈ શક્યું, એના માટે એક ઉદાહરણ આપું.

ઑક્ટોબર, ૨૦૧૫ના દુષ્કાળના વર્ષમાં અમે કર્ણાટકથી લઈને હરિયાણા સુધી ૪,૭૦૦ કિલોમીટર લાંબી યાત્રા યોજી હતી. મરાઠવાડા અને બુંદેલખંડની હાલત અત્યંત ખરાબ હતી, એટલે અમે ત્યાં પણ પદયાત્રા કરેલી. અમે અનેક લોકોને પત્રો લખ્યા, પત્રકારોને રોજેરોજ બોલાવતા અને તેમની સાથે ચર્ચા કરતા, ખૂબ જ પ્રયાસો કર્યા, પરંતુ અખબારો-ટીવી ચેનલોમાં કવરેજ મળતું નહોતું. કોઈ અમારું કશું છાપતું કે દેખાડતું નહોતું. અને પછી અસાધારણ ઘટના ઘટી. એક ક્રિકેટ મેચ … આઈ.પી.એલ.ની મેચ, જે મુંબઈમાં રમાવાની હતી તે ખેડૂતોના વિરોધને કારણે કૅન્સલ થઈ. એ સાંજે મારા ફોન પર રિંગો અટકવાનું નામ નહોતી લેતી. ફોન કરી કરીને સૌ મને પૂછી રહ્યા હતા કે દુષ્કાળ અંગે આપનું મંતવ્ય શું છે? અને ત્યારે દુષ્કાળનો દસમો મહિનો ચાલતો હતો! અમે યાત્રા પર યાત્રાઓ કાઢેલી, એક એકને સમસ્યાની જાણ કરેલી, પરંતુ જ્યાં સુધી દુષ્કાળને કારણે ભારતની દૈવી રમત, ક્રિકેટ અને આઈ.પી.એલ.ને આંચ ન આવી ત્યાં સુધી આ સમસ્યાનું જાણે કે અસ્તિત્વ જ નહોતું!

આ છેલ્લા વર્ષે જ એવું બન્યું કે પ્રવાહ બદલાયો અને ભારતીય ખેડૂતોની અવદશાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો. બીજું પણ એક ખૂબ મોટું પરિવર્તન આવ્યું. ૧૯૮૦ના દાયકાના ખેડૂતોનાં આંદોલનો શહેર-વિરોધી જ રહ્યાં હતાં. ખેડૂતો જ્યારે દિલ્હી કૂચ કરીને આવતા ત્યારે તેમને કારણે ક્યાં કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે, એની તેઓ પરવા કરતા નહોતા. માહોલ ભારત વિરુદ્ધ ઇન્ડિયાનો બની જતો. પરંતુ તમે જો તાજેતરની ખેડૂતોની મુંબઈમાં નીકળેલી યાત્રા જોઈ હોય તો ખ્યાલ આવ્યો હશે કે ખેડૂત આંદોલનમાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. એ યાત્રામાં મોટા ભાગના આદિવાસી ખેડૂતો હતા, તેમણે નક્કી કરેલું કે આપણે કોઈ પણ રીતે મુંબઈ શહેરના લોકોની રોજિંદી જિંદગીને ખલેલ પહોંચાડવી નથી કે તેમની પ્રવૃત્તિમાં વિક્ષેપ પાડવો નથી. શહેરીજનોને પણ આપણા મિત્રો બનાવવા છે. અને એ રીતે મીડિયાનું વલણ પણ બદલાતું ગયું. ૩૦ નવેમ્બર, ૨૦૧૮ની ખેડૂતોની કૂચ દરમિયાન અમારા દ્વારા એક પત્રિકા વહેંચવામાં આવી, જેમાં લખેલું હતું, ‘અમારે કારણે આપને જે અસુવિધા થઈ છે, એ બદલ અમને માફ કરશો, કારણ કે એવું કરવાનો અમારો ઇરાદો નહોતો.’ એફ.એમ. રેડિયો દ્વારા આ વાતને પકડી લેવામાં આવી અને પ્રસારિત કરવામાં આવી. આમ, ખેડૂતોનાં આંદોલનોએ નવી તકનીકો શીખી છે. જો કે અખબાર-ટીવી ચેનલોનું ધ્યાન ખેંચવા અને પ્રસિદ્ધિ-પ્રસારણ માટે હજુ ઘણો લાંબો પથ કાપવાનો છે. હું માધ્યમ વિશે આટલી વિગતે વાત એટલે કરું છું કે સરકાર અને નીતિનિર્માતાઓ માત્ર તો જ સાંભળે છે, જો માધ્યમોમાં તેના વિશે કશું આવે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભા.જ.પ.ને મળેલી હાર પાછળ ખેડૂતોના રોષને જવાબદાર ગણવામાં આવે છે. આ મામલે હું કહીશ કે શરૂઆતમાં તો એવી જ વાતો થયેલી કે ખેડૂતોના ગુસ્સાને કારણે ભા.જ.પ.ને હાર મળી, પરંતુ સ્થિતિ ઘણી જુદી છે. આ ત્રણેય રાજ્યોમાં અનેક સામ્યતાઓ છે, પરંતુ આ રાજ્યોમાં ખેડૂતોની સ્થિતિની વાત કરીએ તો રાજસ્થાનના ખેડૂતો સૌથી વધારે સમસ્યાગ્રસ્ત છે, ત્યાર પછી મધ્યપ્રદેશના અને સાવ છેલ્લે છત્તીસગઢના. સત્તાવિરોધી લહેરની (એન્ટિ ઇન્કમ્બન્સીની) વાત કરીએ તો પણ સૌથી વધારે સત્તાવિરોધી આક્રોશ રાજસ્થાનમાં હતો, પછી મધ્યપ્રદેશમાં અને ત્યાર પછી છત્તીસગઢમાં.

બીજું એક પરિબળ વિકલ્પની ઉપલબ્ધતા અને યથાર્થતાનું હતું. છત્તીસગઢમાં રમણસિંહ સરકારની પ્રતિષ્ઠા સારી હતી કે તેમણે જાહેર વિતરણવ્યવસ્થાને અન્ય રાજ્યોની સરખામણીમાં સુધારી હતી. ખેતપેદાશોના ભાવ પણ સારા અપાતા હતા. એ ઉપરાંત ચોખાના સારા ભાવ આપવાનું વચન પણ આપવામાં આવ્યું હતું.

આ જ સમયગાળામાં કૉંગ્રેસે પોતાની પ્રકૃતિથી અલગ જમીની સ્તરની કામગીરી શરૂ કરી હતી અને વિરોધ પ્રદર્શનો, દેખાવો વગેરે યોજ્યાં હતાં. આ ઉપરાંત કૉંગ્રેસે ખાતરી આપી હતી કે અમારી સરકાર આવશે તો ચોખા રૂ. ૨,૫૦૦ના ભાવે ખરીદી કરશે. લોકોને તેમના વચનમાં વિશ્વાસ બેઠો. ખેડૂતોએ ચોખાની ખેતી કરી અને તેમને ખરેખર ઊંચા ભાવ પણ મળ્યા. છત્તીસગઢમાં આ ખૂબ મહત્ત્વપૂર્ણ વાત બની. રાજસ્થાનની વાત કરીએ તો ખેડૂતોના રોષના પ્રમાણમાં ભા.જ.પ.નો સફાયો ન થયો, તેનું કારણ એ હતું કે કૉંગ્રેસના નેતાઓએ કોઈ વચનો આપ્યાં નહોતાં. વળી, ત્યાં ભા.જ.પ.ને હરાવવાને બદલે એકબીજાને હરાવવા વધારે મથ્યા હતા.

તેલંગાણામાં પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળતો હતો, પરંતુ ત્યાંની સરકારે રાયુથુ બંધુ જેવી યોજનાઓ થકી ખેડૂતોની સમસ્યા ઉકેલવા પ્રયાસો કરેલા. રમણસિંહની પણ પ્રારંભિક છબી એવી હતી કે તેઓ ખેડૂતોની વાત સાંભળે છે અને તેમના ભલા માટે સક્રીય છે, એ જ રીતે શિવરાજસિંહ ચૌહાણ પણ ખેડૂતમિત્ર ગણાતા હતા, જ્યારે વસુંધરા રાજે ક્યારે ય ખેડૂત તરફી ગણાયાં નથી. ટૂંકમાં હું માનું છું કે વિરોધ પક્ષ કેટલો સારો – સક્ષમ છે અને તે કેવો વિશ્વસનીય વિકલ્પ આપે છે, એ પરિબળો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, બાકી લોક આક્રોશને મતમાં ફેરવી શકાતો નથી.

આ ચૂંટણીમાં ખેતીક્ષેત્રમાં વ્યાપ્ત આક્રોશ કેવી ભૂમિકા ભજવશે એની વાત કરવી હોય તો હું કહીશ કે ખેતીક્ષેત્રના આક્રોશ કરતાં ગ્રામીણ વિસ્તારનો આક્રોશ કહેવું વધારે યોગ્ય ગણાશે. મારા મતે ગ્રામીણ આક્રોશ આ ચૂંટણીમાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ જરૂર બની શકે, પરંતુ એકમાત્ર પરિબળ નહીં, કારણ કે લોકસભા માટે આપણા દેશમાં ચૂંટણીનાં પરિમાણો અને પરિણામો એકસરખાં રહ્યાં નથી.’ ૮૦ના દાયકામાં લોકો વડા પ્રધાનને પણ એ રીતે ચૂંટતા હતા જે રીતે મુખ્યમંત્રીને ચૂંટતા હતા.’ ૯૦ના દાયકામાં તેઓ મુખ્યમંત્રીને ચૂંટતા હોય એ રીતે વડા પ્રધાનને ચૂંટવાનું શરૂ કર્યું. નવી સદીના પહેલા દાયકામાં પણ આવું જ ચાલ્યું. ૨૦૧૪માં જુદું થયું. લોકોએ દેશના વડા પ્રધાનને જ ચૂંટ્યા. આપણે વાજબી રીતે ધારી શકીએ કે આપણે હવે ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ના મોડલ તરફ પાછા ફરી રહ્યા છીએ. આ મોડલમાં રાજ્ય સ્તરે મુખ્ય પસંદગી કરવામાં આવે છે, અને જ્યારે આવું બને છે ત્યારે ખંડિત જનાદેશ મળતો હોય છે.

ગ્રામીણ વિસ્તારોની સમસ્યા જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી રીતે પરિણામ આપી શકે છે. દાખલા તરીકે તામિલનાડુમાં ગ્રામીણ આક્રોશ જેવો કોઈ મુદ્દો નથી. હાલની સરકારને આ વાત રમૂજી લાગે છે અને લોકો સૌથી પહેલા તેમને જ જવાબ આપશે. કેરળની વાત કરીએ તો અહીંનો માહોલ જોતાં ભાગ્યે જ કોઈ રાષ્ટ્રીય મુદ્દો અહીં ભૂમિકા ભજવશે, એવું લાગે છે.

મારા મતે આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આ ચૂંટણીમાં જે ‘હેપનિંગ પ્લેસ’ છે તે હિંદી બેલ્ટ છે. આનું કારણ એ છે કે ભા.જ.પ.ને ૨૦૧૪માં મળેલા વિજયમાં આ પ્રદેશની ચાવીરૂપ ભૂમિકા હતી અને ભા.જ.પે. લગભગ તમામ બેઠકો જીતી હતી. બિહારથી લઈને રાજસ્થાન, હિમાચલ અને હરિયાણા સહિત કુલ ૨૨૬ બેઠકો છે, જેમાંથી ભા.જ.પ. ૧૯૨ બેઠક જીત્યો હતો. સાથીદારો સાથે તેની બેઠકનો આંક ૨૦૩ સુધી પહોંચ્યો હતો. આ તમામ રાજ્યોમાં ગ્રામીણ અસંતોષ વ્યાપેલો છે. આ એકમાત્ર મુદ્દો નથી છતાં મારા મતે એકંદરે ગ્રામીણ અસંતોષ, જેમાં ખેડૂતોના આક્રોશની સાથે સાથે બેરોજગારીનો મુદ્દો પણ ભળેલો છે, એ ભા.જ.પ.ને નુકસાન કરી શકે છે. જો કે આમાં પણ રાજ્યવાર સ્થિતિમાં થોડો ઘણો ફરક હોઈ શકે છે, જેમ કે, ઉત્તર પ્રદેશમાં સ.પા.-બ.સ.પા. ગઠબંધનને કારણે આક્રોશ પરિણામદાયી નીવડી શકે છે. આમ, મારા મતે આ મુદ્દે સમગ્ર હિંદી બેલ્ટમાં ભા.જ.પ.ને નુકસાન વેઠવું પડી શકે છે.

હિંદી બેલ્ટ સિવાયનાં રાજ્યોમાં ભા.જ.પ.ને જે ફાયદો કે નુકસાન થશે તે પરસ્પરની અસર નાબૂદ કરી દેશે. ભા.જ.પ.ને ઓડિશા અને બંગાળમાં ફાયદો થશે, જે તેને ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થનારા નુકસાનની ભરપાઈ કરી દેશે. આમ, નિર્ણાયક મુકાબલો તો હિંદી બેલ્ટની ૨૨૬ બેઠકોમાં જ થશે અને અહીં અર્થશાસ્ત્રના મુદ્દાઓ મુખ્ય ભૂમિકા ભજવશે.

[તા. ૨૧-૩-૨૦૧૯ના ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં યોગેન્દ્ર યાદવની પત્રકાર રવીશ તિવારી અને હરીશ દામોદરન સાથેની મુલાકાત, લેખસ્વરૂપે ભાવાનુવાદ : દિવ્યેશ વ્યાસ]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 06 – 08

Loading

અશિક્ષણના રસ્તે

મીનાક્ષી જોષી|Opinion - Opinion|2 May 2019

સરકારની શક્તિ જનતાની અજ્ઞાનતાઓમાં સમાયેલી છે અને એ વાતને સરકાર ખૂબ સારી રીતે જાણે છે, એટલે જ એ હંમેશાં સાચા જ્ઞાનનો વિરોધ કરતી આવી છેઃ રશિયાના મહાન સાહિત્યકાર ટૉલ્સ્ટૉયે કરેલી આ વાત દેશની ૧૭મી લોકસભાની ચૂંટણી દરમ્યાન યાદ આવી રહી છે. આ ચૂંટણી ટાણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ સમગ્ર ચર્ચાઓમાં સૌથી અસ્પૃશ્ય કોઈ મુદ્દો હોય, તો તે છે શિક્ષણનો પ્રશ્ન!

કોઈ પણ સમાજના વિકાસમાં શિક્ષણ એ પાયાની ભૂમિકા અદા કરે છે. નવજાગરણ સમયે શિક્ષણે પશ્ચિમમાં ધર્મ અને રાજાના જોહુકમીપણા અને બંધિયારપણા, વ્યક્તિના મનુષ્યત્વને ડામતા અત્યાચારો અને ધાર્મિક બંધનો સામે અવાજ ઉઠાવ્યો હતો. લોકશાહી ક્રાંતિ અને લોકશાહી જીવનરીતિ માટે શિક્ષણ જ મશાલ બન્યું હતું. ભારતમાં પણ ભક્તિ-ચળવળે, જ્ઞાન અને ભક્તિના અધિકારને સર્વ મનુષ્યો સુધી પહોંચાડવા એક અનોખી મથામણ કરી હતી. બધી જ ભાષા, ધર્મ અને રાજ્યોમાં પેદા થયેલા એ ભક્તો અને સંતોએ જ્ઞાતિ-જાતિ-લિંગ અને ધર્મના ભેદોને ભાંગીને, ‘સાબાર ઉપર માનુષ’ની ઘોષણા કરી હતી. એ ભક્તિ – ચળવળે સીંચેલ મનુષ્યત્વને નવજાગરણકાળમાં આપણા દેશમાં, રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે, શિક્ષણના પ્રસાર દ્વારા દૃઢીભૂત કર્યું. આપણા રાજ્યમાં, દુર્ગારામ મહેતા, વીર કવિ નર્મદ અને કરસનદાસ મૂળજીએ ધર્મમાં પેઠેલા સડા સામે અવાજ ઉઠાવ્યો હતો.

દેશમાં અંગ્રેજોના શાસન દરમિયાન જ ધર્મનિરપેક્ષ આધુનિક શિક્ષણની શરૂઆત થઈ હતી. આપણી આઝાદીની ચળવળ દરમિયાન પણ એક સાચા ધર્મનિરપેક્ષ, વૈજ્ઞાનિક અને લોકશાહી-શિક્ષણ અને શિક્ષણના ખર્ચની સરકારની જવાબદારી એ બંને માંગણીઓને લઈને લડાઈ થઈ હતી, પરંતુ આ માંગણીઓ પૂરી થવાની તો દૂર, આઝાદી પછી શિક્ષણ ઉપર એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

દેશની આઝાદી પછી આજ સુધી જેટલા પણ પક્ષોએ કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તા પર કબજો જમાવ્યો છે, તેમણે શિક્ષણને સંકુચિત કરવાની નીતિ અપનાવી છે. ૧૯૫૭માં યુનિવર્સિટી ગ્રાન્ટ્‌સ કમિશનના અધ્યક્ષ સી.ડી. દેશમુખે કહ્યું હતું : We want to restrict eudcation in order to minimise the number of educated unemployed.

આપણા દેશમાં શિક્ષણના વેપારનાં દ્વાર ખોલી આપ્યાં ૧૯૮૬ની નવી શિક્ષણનીતિએ. જેનો સાર એટલો જ હતો કે શિક્ષણ આપવું એ સરકારની જવાબદારી નથી! (NPE, ૧૯૮૬, આર્ટિકલ-૧૧.૨) આ ત્યારે જ શક્ય બને કે ફીમાં જંગી વધારા કરવામાં આવે અને રોજગારલક્ષી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે ખાનગી પેઢીઓને સોંપવામાં આવે. (NPE-૧૯૮૬, ૪.૬૮૭૪.૬૯) પરિણામસ્વરૂપે આપણે જોયું કે શિક્ષણના બજેટમાં ક્રમશઃ ઘટાડો કરવામાં આવ્યો અને આજે સ્થિતિ એવી છે કે, ‘પૈસા દો, શિક્ષણ લો’ની નીતિ છે. દેશના અનેક વિદ્વાનો અને કમિશનોએ ભલામણ કરી છે કે કેન્દ્રીય બજેટના ઓછામાં ઓછા ૧૦ ટકા શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે, પરંતુ તેની સામે સ્થિતિ સાવ જ વિપરીત છે.

દેશમાં ૨૦૧૬-૧૭માં માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીઓ ૮૬૪ અને માન્યતાપ્રાપ્ત કૉલેજો ૪૦,૦૨૬ છે. તેની સામે શિક્ષણમાં પ્રવેશનો આંકડો લગભગ ૨૬ ટકા છે. (‘ધ હિંદુ’, તંત્રીલેખ, ૩૦-૬-૧૨)

શિક્ષણ પાછળ ખર્ચ જોઈએ તો :

૨૦૧૩-૧૪ના બજેટમાં ૪.૫૭ ટકા

૨૦૧૬-૪૭ના બજેટમાં ૩.૬૫ ટકા

૨૦૧૭-૧૮ના બજેટમાં ૩.૭૧ ટકા.

શિક્ષણને સંકુચિત કરવામાં દેશના બંને મોટા સંસદીય પક્ષોની ભૂમિકા સમાન જ રહી છે. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી, તમામ સ્તરે સ્થિતિ અતિ ગંભીર છે.

દેશમાં ૨૦૧૪ બાદ અને રાજ્યમાં છેલ્લાં ૨૩ વર્ષથી ભા.જ.પ.નું શાસન છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્યના શાસકપક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણ સંદર્ભે અનેક મોટાં વચનો આપ્યાં હતાં. જેમાં સૌથી પહેલું વચન હતું; શિક્ષકોની ખાલી પડેલી જગ્યા તાત્કાલિક ભરવામાં આવશે, મહિલાઓ માટે વિશેષ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવશે અને યુ.જી.સી.ને દૂર કરીને એક હાયર એજ્યુકેશન કમિશન બનાવવામાં આવશે. અલબત્ત, દેશમાં ચારે બાજુથી પ્રબળ વિરોધ થયો હોવા છતાં શાસકપક્ષે, શિક્ષણમાં વેપાર અને વિદેશી મૂડીરોકાણની સરળતા કરી આપવા ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ના નામે શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ કરી નાંખતો હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા ઍક્ટ પસાર કરી દીધો. પરંતુ એ સિવાયનાં વચનો તો આજે પાંચ વર્ષે ઠાલાં જ સાબિત થયાં છે. કેટલાક આંકડાઓ પર નજર નાંખીએ:

– સત્તામાં આવ્યાનાં અઢી વર્ષ બાદ ડિસેમ્બર, ૨૦૧૬માં કેન્દ્રિય માનવસંસાધન મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે, લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતમાં સરકારી શિક્ષકોની પ્રાથમિક કક્ષાએ ૧૭.૫ ટકા જગ્યાઓ અને માધ્યમિક કક્ષાએ ૧૪.૭૮ ટકા જગ્યાઓ ખાલી છે. ભારતમાં મંજૂર થયેલી માધ્યમિક શિક્ષકોની કુલ એક લાખ જગ્યાઓ ખાલી છે. લોકસભામાં મુકાયેલા આંકડા અનુસાર ૯,૦૭,૫૮૫ પ્રાથમિક શિક્ષકો અને ૧,૦૬,૯૦૬ માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી છે. અલબત્ત, વાસ્તવિક આંકડો, સરકારી આંકડાઓ કરતાં જુદો હોઈ શકે છે.

– સરકારી તેમ જ સરકારી અનુદાનિત, ખાનગી શાળાઓ અને અન્ય તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ લેનારની સંખ્યા ૧૩,૦૫,૦૧,૧૩૫(૨૦૧૪-૧૫)થી ઘટીને ૨૦૧૬-૧૭માં ૧૨,૨૩,૦૭,૮૯૨ જેટલી થઈ. એટલે કે કુલ ૬૬,૯૩,૨૪૩ વિદ્યાર્થીઓની ઘટ થઈ. સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓ ગયા ક્યાં ?

– ૨૦૧૬-૧૭ના આંકડાઓનો એક અંદાજ માત્ર જોઈએ, તો પ્રાથમિક શાળામાં (ધો.૧થી ૫)માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨,૩૮,૦૭,૮૯૨ છે, પરંતુ એ જ વર્ષે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા (ધો.૬થી ૮) ૬,૬૦,૭૯,૧૨૩ છે, તો માધ્યમિક શાળામાં(ધો.૯-૧૦)માં પ્રવેશ લેનારની સંખ્યા ૩,૨૨,૨૩,૮૫૪ છે. જે ઉચ્ચતર માધ્યમિકમાં ૨,૪૩,૯૭,૫૩૬ થઈ જાય છે.

હજુ કેટલાક વધુ આંકડાઓ જોઈએ :

– દેશની માત્ર ૫૫.૩૧ ટકા શાળાઓમાં જ આચાર્ય માટે અલગ રૂમ છે.

– વીજળીનું કનેક્શન માત્ર ૬૦.૮૧ ટકા શાળાઓમાં છે.

– દેશની ૮૨.૯૬ ટકા શાળાઓમાં પુસ્તકાલય છે, પરંતુ ગ્રંથપાલ માત્ર ૫.૦૨ ટકા શાળાઓમાં જ છે.

– દેશની માત્ર ૨૮.૨૪ ટકા શાળાઓમાં જ કમ્પ્યૂટર છે, તેમાંથીયે માત્ર ૧૪.૧૧ ટકા શાળાઓમાં જ કમ્પ્યૂટર કામ કરે છે, જ્યારે ઇન્ટરનેટ કનેક્શન માત્ર ૯.૪૬૨ શાળાઓમાં છે.

એક નજર ગુજરાતની સ્થિતિ પર પણ નાંખીએ :

– ગુજરાતમાં ૧૨.૮૯ ટકા શાળાઓ આચાર્ય વગરની છે.

– માત્ર ૪૮.૫૨ ટકા શાળાઓમાં જ આચાર્ય માટે અલગ રૂમની વ્યવસ્થા છે.

– ગુજરાતની ૩૩.૫૬ ટકા શાળાઓમાં પાણી, શૌચાલય અને હાથ ધોવાની સુવિધાનો અભાવ છે.

– લાઇબ્રેરીની સુવિધા ૯૪.૬૯ ટકા શાળાઓમાં છે, પરંતુ લાઇબ્રેરિયન માત્ર ૮.૫૫ ટકા શાળાઓમાં છે.

– શાળામાં ભણાવતા શિક્ષકોમાંથી ૧.૧૬ ટકા શિક્ષકો માધ્યમિકથી પણ ઓછું ભણેલા, ૧૮.૯૦ ટકા શિક્ષકો, માધ્યમિક પાસ થયેલા, ૧૭.૩૮ ટકા શિક્ષકો ઉચ્ચતર માધ્યમિક સુધી ભણેલા, ૩૬.૫૨ ટકા ગ્રૅજ્યુએટ થયેલા, ૨૫.૨૧ ટકા અનુસ્નાતક થયેલા અને ૦.૫૩ ટકા એમ.ફિલ. થયેલા. જ્યારે માત્ર ૦.૩૦ ટકા શિક્ષકો પીએચ.ડી. થયેલા છે.

– ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪,૦૦૦થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, ૪૧૩ ગ્રંથપાલોની નિમણૂક થતી નથી. રાજ્યની શાળાઓમાં ૩,૦૦૦થી વધુ આચાર્યની જગ્યાઓ ખાલી છે. (ગુજરાત સમાચાર, ૧૯-૬-૨૦૧૮)

– રાજ્યના ૨૧૨ તાલુકાઓમાં ૨૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૮ પછી ભણવાનું છોડી દે છે. રાજ્યના ૨૮ તાલુકાઓમાં ૪૦ ટકાથી વધુ ડ્રોપઆઉટ રેશિયો છે.

– ગુજરાતની ૬૫ ટકા આશ્રમશાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો  નથી. (ગુજરાત સમાચાર, ૧૦-૪-૨૦૧૮)

– સરકારી અંગ્રેજીમાધ્યમ શાળાઓમાં ૮૮૪ના બદલે માત્ર ૪૫ શિક્ષકો છે. (ગુજરાત સમાચાર, ૨૭-૪-૨૦૧૮)

– ગુજરાત ઉચ્ચશિક્ષણ લેનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૪.૭૨ ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૧૮.૮૮ ટકા છે.

– એક આર.ટી.આઈ.માં મળેલી માહિતી મુજબ રાજ્યમાં ૬૮૫૪ જેટલી શાળાઓમાં ૧૬,૪૪૩ વર્ગખંડની અછત છે.

સહુથી વધુ અરાજકતા અને અંધાધૂંધી ઉચ્ચશિક્ષણમાં જોવા મળી રહી છે. સેમેસ્ટરપ્રથા, ઑનલાઇન ઍડ્‌મિશન, યુનિવર્સિટી અને કૉલેજોમાં થતી લાયકાત વગરની અને રાજકીય વગ આધારિત નિમણૂકો, અભ્યાસક્રમની અનિશ્ચિતતા, શિક્ષણના ઘટતા જતા દિવસો, પાઠ્યપુસ્તકોનો અભાવ, પરીક્ષાઓ અને પરિણામોમાં છબરડા, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયોને ખતમ કરવાની નીતિ, ખાલી જગ્યાઓમાં ભરતી અંગે ઉદાસીનતા, ગ્રામકક્ષાએ કૉલેજોનો અભાવ, હૉસ્ટેલ્સનો અભાવ, વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ અને અંતિમ ઘા સમાન, શિક્ષણની સ્વાયત્તતાને ખતમ કરી નાંખનાર હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા ઍક્ટની જોગવાઈઓ, વગેરેએ ઉચ્ચશિક્ષણની દુર્દશા કરી નાંખી છે.

૧૯૯૨માં બુડાપેસ્ટની કેન્દ્રિય યુરોપિયન યુનિવર્સિટીમાં વક્તવ્ય આપતાં ઇતિહાસકાર ઍરિક હોબ્સબૉમે કહ્યું હતું કે ‘હું એવું વિચારતો હતો કે ઇતિહાસનો વ્યવસાય પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર જેવો જોખમી નથી, પરંતુ હવે હું સમજ્યો છું કે તે પણ જોખમી હોઈ શકે છે. અમારો અભ્યાસ બૉમ્બફેક્ટરીમાં પરિવર્તિત થઈ શકે છે. આવી પરિસ્થિતિ અમને બે રીતે અસર કરે છે : એક તો એ કે અમારી સામાન્ય જવાબદારી છે ઐતિહાસિક તથ્યો, હકીકતો વિશેની; અને બીજી જવાબદારી છે રાજકીય વૈચારિક ઇરાદાઓથી ઇતિહાસની ટીકા કરવાના સંદર્ભની.’

ભારતમાં અભ્યાસક્રમોમાં ઇતિહાસ સાથે ભયંકર ચેડાં થઈ રહ્યાં છે. ભારતમાં જ બધું શ્રેષ્ઠ હતું, વિજ્ઞાનની તમામ શોધો પણ ભારતમાં જ થઈ હતી, હિંદુધર્મ જ સૌથી શ્રેષ્ઠ છે વગેરે મુજબની વાતો વિવિધ રીતે અભ્યાસક્રમોમાં દાખલ કરાઈ રહી છે. ગુજરાતમાં શિક્ષણમાં પૂરકવાચન તરીકે દાખલ કરાયેલ દિનાનાથ બત્રાનાં પુસ્તકો તેનું તરતનાં વર્ષોનું ઉદાહરણ છે. આમ, ધર્મનિરપેક્ષ શિક્ષણના બદલે સાંપ્રદાયિક શિક્ષણને સામેલ કરીને ભાવિ પેઢીની વૈચારિક ક્ષમતાને રૂંધવાની સાજીશ ચાલી રહી છે.

આટલાં વર્ષોનો અનુભવ દર્શાવે છે કે શિક્ષણ બાબતે તમામ સરકારોની ભૂમિકા સંપૂર્ણપણે નકારાત્મક જ રહી છે. ઓછામાં ઓછું શિક્ષણ લોકો સુધી પહોંચે છે અને જેટલું પણ શિક્ષણ લોકો સુધી પહોંચે, તે પણ મૂલ્યવિહીન હોય, તે પ્રકારની નીતિઓ ઘડવામાં આવે છે. પરિણામે શિક્ષણમાં ચાલી રહેલી હાલાકીઓ ક્યારે ય ગંભીર મુદ્દો બનતી નથી.

તેમાં ય છેલ્લાં પાંચ વર્ષ તો શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા પર તરાપનાં રહ્યાં છે. જે.એન.યુ.ની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રગતિશીલ વિચારો અને મુક્ત વાતાવરણ, જે શૈક્ષણિક સંસ્થાઓની પાયાની બાબત છે, તેને રૂંધવાનો એક ફાસીવાદી તખ્તો જાણે કે તૈયાર થઈ રહ્યો છે.

આ અંધાધૂંધી અને અરાજકતામાં, શિક્ષણ પ્રત્યે આપણી નિસબત કેળવાય અને સક્રિયતા ઉજાગર થાય, એ સમયની તાતી જરૂરિયાત છે.

E-mail : meenakshijoshi@in.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 09 – 10

Loading

હવે એક પણ રાજકીય પક્ષને બિમાર નર્મદા મૈયાનાં ખબર અંતર પૂછવાની પડી નથી !

મનીષી જાની|Samantar Gujarat - Samantar|1 May 2019

1961માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કેવડિયા ગામમાં સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ ક,ર્યો ત્યારથી, દાયકાઓ લગી ચૂંટણી ટાણે આપણા ગુજરાતમાં નર્મદા ડેમ, નર્મદા યોજનાનો મુદ્દો એક યા બીજી રીતે સતત ગાજતો રહ્યો.

1974માં જનતા દ્વારા જેમને ઘરે બેસાડી દેવાયેલા તે ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે,1992માં નર્મદા ગુજરાતની જીવાદોરી છે, એવા આક્રમક પ્રચાર દ્વારા ચૂંટણી જીતી સત્તાનાં રાજકારણમાં મજબૂત બનેલા.

દેશની સૌથી પ્રાચીન એવી નર્મદા નદી ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે. મધ્યપ્રદેશથી નીકળી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઇ સમુદ્રને મળે છે. એટલે આ મહત્ત્વાકાંક્ષી અને વિશાળ કાયની નર્મદા યોજનામાં પોતાના લાભ-ગેરલાભને લઈ, ત્રણ રાજ્યોની ખેંચાખેંચી વર્ષો લગી ચાલુ રહી અને તે પણ ચૂંટણીઓમાં રમવાનું રમકડું બની રહી. ગુજરાતને અન્યાય થાય છે એવી નારાબાજી કરવામાં નર્મદા યોજનાનું મોટું પ્રદાન રહ્યું એવું કહીએ તો ચાલે !

ખાસ તો 1982થી આ મહાકાય નર્મદા ડેમને લઈ જે એક લાખ જેટલાં લોકો વિસ્થાપિત થવાનાં હતાં તેમને જમીનના બદલામાં જમીન મળે તેવી માગણી સાથેની લડત આપણા ગુજરાતમાંથી જ શરૂ થઈ હતી. આદિવાસીઓના હક્ક માટે સતત સંઘર્ષશીલ રાજપીપળાના ફાધર જોસેફ અને આર્ચવાહિની-ગુજરાતના સાથીદારોએ આ વળતરના મુદ્દે આદિવાસીઓને સંગઠિત કરી વિશાળ રેલી કેવડિયા કોલોની ખાતે યોજી હતી. એ રેલીમાં હું સામેલ થયેલો અને તે વખતે એ આંદોલન વિશેનો લેખ પણ વર્તમાનપત્રમાં લખ્યો હતો તે અત્યારે યાદ આવે છે.

ત્યારબાદ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં તમામ વિસ્થાપિતોની સંગઠિત લડાઈ તેજ બનતી રહી.

મેં હમણાં જ એક પરદેશી ફિલ્મકારે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ, જે 1992માં બની હતી. તે વખતે સમાજસેવક બાબા આમટેએ આ મુદ્દે મહારાષ્ટ્રથી ગુજરાત સુધીની પદયાત્રા યોજી હતી અને તેઓ ગુજરાતમાં પ્રવેશવાના હતા.

આ પદયાત્રાનો વિરોધ કરવા ચીમનભાઈની સરકારે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓને તૈયાર કરી હતી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઊર્મિલાબહેન પટેલની આગેવાનીમાં અમદાવાદ શહેરની મહિલાઓને બાબા આમટે ગુજરાતમાં પ્રવેશે નહીં, તેમને રોકવા રસ્તે બેસી રામધૂન કરવા મોકલેલી.

બાબા આમટેએ ગુજરાતની સીમા પર, ફેરકૂવા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું ત્યાં મોટા માઈકના ભૂંગળા ગોઠવી તેમને કેવી રીતે માનસિક ત્રાસ આપણા આ ગુજરાતના આગેવાનો આપતા હતા તેનું આબાદ દસ્તાવેજીકરણ આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં થયેલું જોવા મળે છે.

રાજકીય રોટલા શેકવા, ચૂંટણી વખતે કેવાં ખેલ પડાય છે, કેવાં આંદોલનો-પ્રતિ આંદોલનોનો રાજકીય પક્ષો લાભ લે છે તેનો વરવો નમૂનો આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોતાં જણાય છે.

અને રસપ્રદ વાત એ છે કે આ સરકાર દ્વારા વિસ્થાપિતોના હક્ક માટેની લડાઈ – આંદોલનનો વિરોધ કરવામાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ સાથ આપ્યો. અને નર્મદા ડેમની તરફેણમાં આંદોલનો ચલાવવા, મહાકાય-બીગ ડેમનો વિરોધ કરનારા આંદોલનની સામે પ્રતિ આંદોલન કરવા માટે મંચ પણ અમદાવાદના વેપારી મહામંડળના કાર્યાલયમાંથી ચાલતો રહ્યો.

સરદાર સરોવર ડેમ બને તો તેમાંથી ઉદ્યોગોને સતત પાણી મળ્યા કરે એ હિતને લઈ ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રધારો સરકારની સાથે ચાલી રહ્યા હતા.

ડેમ બની ગયો અને એના વિજયોત્સવો ઉજવી ચૂંટણી પ્રચારમાં ગુજરાતની જીવાદોરી કહેવાનું નાટક ચાલતું રહ્યું.

ગઈ ચૂંટણીમાં "કેન્દ્ર સરકારની આડોડાઈ હોવાં છતાં અમે ડેમના દરવાજા નાંખી દીધા !" – એમ કહીને પણ ગુજરાતની ભા.જ.પ. સરકારે કેન્દ્ર વિરુદ્ધ ગુજરાતની વાત બનાવી ચૂંટણી પ્રચાર ચલાવે રાખ્યો.

સામાન્યજનનાં મનમાં ડેમના દરવાજા ન બાંધવા દીધા એટલે જાણે કે પડોશી-પડોશી વચ્ચેના ઝગડામાં કોમન જમીનને લઈ, ઈર્ષાને લઈ એકબીજાને ઓટલા કે દિવાલ ન કરવા દે એવી વાત બનાવી દીધી ! ટેકનિકલ અને કાયદાકીય બાબતને મામૂલી વાત બનાવી દઈ કોંગ્રેસ વિરુદ્ધ ભા.જ.પ.નો પ્રચાર ચાલ્યો.

મુખ્ય મુદ્દો તો નર્મદા યોજનાના વિસ્થાપિતોને યોગ્ય જમીનો ને ન્યાયી પુનર્વસન મળ્યું કે નહીં તે હોઈ શકે, ગુજરાતમાં ગામેગામ નાની કેનાલો બની કે નહીં તે હોઈ શકે, નર્મદાનું પાણી ક્યાં ક્યાં પહોંચ્યું એ હોઈ શકે. પણ આવા બધા મુદ્દાઓને લઈ ચર્ચા તો જાહેરમાં ખાસ કોઈએ કરી નહીં.

વર્ષો પહેલાં જીવાદોરીના નામે ઠેઠ કચ્છમાં ઘરે ઘરે પાણી પહોંચશે અને ગુજરાતના ખેડૂતો અને ઉદ્યોગો માલામાલ થઈ જશે એવાં રૂપકડાં ચિત્રો ઊભાં કરાયાં હતાં ..! હવે તો એને યાદ કરીને ય કોઈ વાત કરતું નથી !

એટલી વાત જરૂર કે અત્યારે ડેમનું 30% જેટલું પાણી 481 જેટલાં ઉદ્યોગોને પહોંચતું થઈ ગયું છે.

પણ આ વર્ષે આ 2019ની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે નર્મદા ડેમની વાત છેડી નહીં, દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પૂતળાની વાત અને તેની આજુબાજુ ટુરિઝમ વિકાસની મોટી મોટી વાતો કરી જરૂર પણ એ સિવાય સૌએ મૌન રહેવાનું પસંદ કર્યું ..! પ્રશ્ન થાય કે એવું કેમ બન્યું ?

આ તો એવો ખેલ થયો કે દુઝણી ગાય વસૂકી જાય એટલે એ ગૌમાતા તરીકે પૂજાતી ય મટી જાય !એની પછી કોઈ પરવા ન કરે .

આવડો મોટો ડેમ બનવાને લઈ જેની મોટી ચિંતા હતી અને તેના વિશે જાણકાર લોકોએ વર્ષોથી હોહા અને ચર્ચાઓ માંડી હતી એ મુદ્દો એ જ હતો કે ડેમ બન્યા પછી ત્યાંથી હેઠવાસમાં નર્મદા નદી સમુદ્રને મળે છે ત્યાં સુધીનું અંતર 161 કિલોમીટર જેટલું છે, આ 161 કિલોમીટરની નર્મદાને કાંઠે ભરુચથી લઈને 211 નાનાંમોટાં ગામોમાં લોકોનો વસવાટ છે. માછીમારોથી માંડી કેટકેટલા પશુપાલકો, ખેડૂતો,પશુ પંખીઓ ને વન-વનસ્પતિનાં જીવનનો ધબકાર નર્મદા મૈયાનાં વહેતાં પાણી પર આધારિત છે તે બધાંનું શું થશે ?

અત્યારે નદી સૂકી ભઠ પડી છે. નદીમાં વહેતું પાણી ન હોવાથી માછીમારોને તેમની હોડીઓ બેકાર પડી છે. 28 પ્રકારની અહીંની માછલીની પ્રજાતિઓ ખતમ થઈ ગઈ.

અને વિશેષમાં ઉદ્યોગો-ફેક્ટરીઓનાં કેમિકલ્સ ને કચરા ઠલવાતાં રહેતાં હોય છે ને ખાસ તો સમુદ્રનું પાણી ને ખારાશ ખાલી પડેલી નદીમાં પાછું ધસી આવતું રહેવાથી નર્મદાનું પાણી ભારે દૂષિત બનતું રહ્યું છે.

આ બધી ગંભીર બાબતો અને તેના ઉકેલ વિશે લગીરે ચર્ચા આપણી આ ચૂંટણીમાં કોઈએ ના કરી.

આ ચૂંટણીનાં ઢોલ પીટાતા હતા તેવા સમયે જ ગુજરાતનાં કેટલાક સંગઠનોએ ભેગા થઈ આ ઝેરી બની ગયેલાં પાણીનો અભ્યાસ કર્યો અને અત્યારે આ પાણી માનવજીવન માટે કેટલું બધું જોખમી છે તે વાતને લઈ સરકારને લાગતાં વળગતા તંત્રોને તેમણે કાયદાકીય નોટિસ ફટકારી છે.

આ વાત પણ કોઈ રાજકીય પક્ષે ચૂંટણીના સમયમાં ઉપાડી નહીં.

આ અભ્યાસ કરનારાં સંગઠનોમાં પર્યાવરણ સુરક્ષા સમિતિ, સમસ્ત ભરુચ જિલ્લા માછીમાર સમાજ, નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ, ભરુચ સિટીઝન્સ કાઉન્સિલ, પ્રકૃતિ સુરક્ષા મંડળ, બ્રોકીસ વોટર રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓએ જે અભ્યાસનાં પરિણામો આવ્યાં તે ટાંકીને સામૂહિક કાનૂની નોટિસ સરકારનાં પર્યાવરણ મંત્રાલયથી માંડી વિવિધ તંત્રોને આપી છે.

સંગઠનોએ મૃતઃપ્રાય બની રહેલી નર્મદા નદીનાં પાણીનાં વિવિધ જગ્યાઓએથી લીધેલાં સેમ્પલોનાં અભ્યાસ પરથી તારણો કાઢ્યાં છે તે ચિંતાજનક છે.

ટી.ડી.એસ. એટલે કે પીવાનાં પાણીમાં ટોટલ ડિઝોલ્વ સોલીડની માત્રા વધુમાં વધુ લિટરે 500 મીલીગ્રામ ચાલી શકે. તેનાથી વધુ હોય તો તે પાણી પીવા માટે જોખમી બની ગયેલું કહેવાય. આ અભ્યાસમાં સરાસરી 19000 મીલીલિટર ટી.ડી.એસ.ની માત્રા જોવા મળી જે ખતરનાક કહી શકાય. આ ઉપરાંત પાણીમાં ડિઝોલ્વ ઓક્સિજનની માત્રા લિટરે 5 મીલીગ્રામથી પણ ઓછી જોવા મળી.

જીવંત બની રહેવા હાંફી રહેલી આ નદી પર બનેલા ડેમને લઈ થયેલી રાજકીય ચર્ચાઓનો પચાસ વર્ષનો હિસાબ તપાસીએ તો તેમાં લોકલક્ષી, લોકોને શું નક્કર ફાયદો કે ગેરફાયદો થશે તેની ચર્ચા ઓછી થઈ છે પણ 'જીવાદોરી' કે 'ડેમની ઊંચાઈ' કે 'ડેમનાં દરવાજા' જેવા શબ્દો વાપરી લોકોની લાગણી અને સમજણ સાથે સાથે છેતરપિંડી થઈ છે એવું જરૂર આપણે હવે કહી શકીએ.

હવે તો નર્મદા નદી કેવી રીતે જીવતી રહે એ અંગે તાકીદે વિચારવું ને કંઈક નક્કર કરવું રહ્યું.

નિષ્ણાતો એ ઠેઠ 1990માં અભ્યાસ કરી એમ જણાવ્યું હતું કે બંધ બની ગયા બાદ રોજનું ઓછામાં ઓછું 600 ક્યુસેક પાણી છોડવું પડે તો જ આ બારમાસી નદીમાં સતત પાણી વહ્યાં કરે.

આ હિસાબ તો જૂના અંદાજ પ્રમાણે હતો. અત્યારે વધી ગયેલી વસતિના હિસાબે આ આંકડો ઘણો નાનો છે એવું નિષ્ણાતો માને છે.

પણ વાસ્તવિકતા એવી છે કે આ જૂનાં અંદાજ કરતાં ય ઓછું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જે દુ:ખદ છે.

અત્યારના નિષ્ણાતોના અંદાજ પ્રમાણે રોજ 4000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાય તો જ નર્મદા નદી વહેતી – જીવતી અને લોકોને જીવાડતી બની રહે.

આ માગણી માટે સહિયારો અવાજ બુલંદ નહીં બને તો વિકાસને નામે, મુઠ્ઠીભર સ્વાર્થી લોકો માટેની કુદરતી સંપદાની બેફામ લૂંટ ચાલુ રહેવાની છે એટલી વાત નિશ્ચિત.

સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”; 01 મે 2019

Loading

...102030...2,8052,8062,8072,808...2,8202,8302,840...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved