Opinion Magazine
Number of visits: 9576929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્થાપત્ય ઉદ્યાન

કનુ સૂચક|Opinion - Opinion|8 July 2019

પોતાના જ પ્રાંગણમાં શ્વેત મયૂરને નૃત્ય કરતાં જોઈને પ્રકૃતિ સ્વયં ઉલ્લસિત થઈ વૃક્ષોનાં પાંદડાંઓને લયબદ્ધ હલાવી મર્મર સૂરે તાલ દેતી હોય, તેવું અનુપમ દૃશ્ય અમેરિકાના હેમિલ્ટન – ન્યુ જર્સીના માનવસર્જિત સ્થાપત્ય ઉદ્યાનમાં જોયું. ૪૨ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલ આ ઉદ્યાનમાં જીવનના સાંપ્રત સાથે અનુબંધિત ૩૦૦થી વધુ વિવિધ સ્થાપત્યો જુદાજુદા અંતરે, વિશાળ અને જુદાજુદા કદના અને જુદાંજુદાં સ્થળે અત્યંત વિચારપૂર્વક ગોઠવેલાં છે. સરોવરના કિનારે છે, સરોવર બાગમાં છે, સરોવરના ઉપર બાંધેલા પુલના કઠેડા પર અને સરોવરની અંદર પણ છે. જાતજાતના છોડો, ફૂલો અને વેલોના સૌરભપ્રફુલ્લિત વાતાવરણમાં અને ઘટાદાર વૃક્ષોની શીળી છાયામાં બેસી કે કમળવનના તળાવ પાસે ભોજનગૃહના ટેબલ પર બેસી પણ આ સ્થાપત્ય ઉદ્યાનની મજા અને સમજ માણી શકાય છે.

સ્થાપત્યોમાં કલાનો આવિષ્કાર અને ઉન્મેષ છે. પરંતુ બધામાં સામાન્ય, રોજબરોજના માનવજીવનમાં બનતી ઘટનાઓ અને સંબધિત પ્રાણીજગતનું નિરૂપણ છે. વિવિધ સ્થાપત્યોનાં કલાકારો પણ અનેક છે. કેટલાંક કલાકારોની અન્યત્ર રચાયેલી અને સ્થપાયેલી, પ્રસિદ્ધ કલાકૃતિઓની આબેહૂબ પ્રતિકૃતિઓ પણ છે. આ સ્થાપત્યના ઉદ્યાનની રચનાનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે દ્વિપાર્શ્વ, ત્રિપાર્શ્વ, ચોપાર્શ્વ સ્થાપત્યની સાંપ્રત કલાની જાણ લેવાય, માણી શકાય અને તેની સર્વ સામાન્ય જનતામાં સમજણ પ્રસરે. આ કલાકૃતિઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા પદાર્થોનું પણ વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. માટી, ઘાસ, ઘાસનો પાલો, વ્યર્થ માની ફેંકી દેવાયેલા અનેક પદાર્થોનું મિશ્રણ, ધાતુઓ અને ધાતુઓના મિશ્રણમાં પણ વૈવિધ્ય રચાયું છે. સમયગાળે નાશ પામી જશે તેવી જાણ સાથે રચાયેલી અનેક કૃતિઓ પ્રકૃતિના બદલાવ સામે અનપેક્ષિત ઝીંક લઈ અણનમ ઊભી છે. અહીં સંગ્રહસ્થાનમાં અને પ્રવેશગૃહમાં કલાકૃતિઓ અને તેની જાણ કરતો ઇતિહાસ પણ આલેખેલ જોવા મળે છે. ૧૯૯૨માં જે. સેવર્ડ જોહ્ન્સન (Seward Johnson) નામના શિલ્પી અને દાનવીરે આ ઉદ્યાન જનતા માટે ખુલ્લો મૂક્યો. આશ્ચર્ય એ વાતનું છે કે આ ઉદ્યાન તરફ લઈ જતા ધોરી રસ્તાઓ પણ ઉદ્યાનના એકભાગ સમાન હોવાથી, તેના ઉપર વિશાળ-રાક્ષસી કદની અને જીવનલક્ષી પ્રતિમાઓ, લોકોનું ધ્યાન આકર્ષિત કરવા, મૂકવામાં આવી છે. 

એક ચિત્રકાર અને સ્થાપત્ય કલાકાર દ્વારા આ ઉત્તમ પરિકલ્પના છે. કલાકારે અન્યત્ર સ્થળોએ પ્રદર્શિત અને સ્થાપિત પોતાની પ્રખ્યાત કૃતિઓની પ્રતિકૃતિઓ અહીં મૂકી છે તેટલું જ નહીં અન્ય કલાકારોનાં પ્રખ્યાત ચિત્રો અને સ્થાપત્યોની કૃતિઓ પણ મૂકી છે. ખાસ બનાવેલાં સંગ્રહસ્થાનમાં તેમનાં નામ સહિત તે કૃતિઓ અંગે માહિતી પણ આપી છે. સાંપ્રત, પ્રભાવલક્ષી કલાકૃતિઓને યોગ્ય અને સુંદર રચનાત્મક ઉદ્યાનમાં અનુકૂળ વાતાવરણ બનાવી મૂકી છે. મુલાકાતીઓને માટે અજબ અનુભવસમ ગ્રામીણ અને પ્રાકૃતિક પરિવેશમાં પ્રવેશ કરાવે છે. આંખ અને મનનો અદ્દભુત ઉત્સવ બની જાય છે. સેવર્ડ જોહન્સને સ્વરચિત બ્રૉંઝ-કલાઈ, તાંબા વગેરેની મિશ્ર ધાતુઓની પૂરા કદની પ્રતિમાઓ મૂકી છે. આ પ્રતિમાઓ અને અન્ય ચિત્રકારોની કલાકૃતિઓની પ્રતિકૃતિઓ આપણી સાથે ભળી જવા અને સંવાદ કરવા ઉત્સુક હોય તેટલી જીવંત લાગે છે.

આ ઉદ્યાનની વિશેષતા એ છે કે તેની લેવાતી કાળજીથી તેનું નાવિન્ય દરેક સમયે પ્રફુલ્લિત લાગે છે. અહીંની પ્રતિમાઓ પ્રતિકૃતિઓ છે એટલે જે જાણીએ છીએ તે જ પ્રદર્શિત થઇ રહ્યું છે. તે જ રીતે બ્રોંઝ ધાતુનો ઉપયોગ પણ નવો નથી. સૈકાઓ જૂનો છે. અન્ય ધાતુઓ કરતાં બ્રોંઝ અધિક મજબૂત અને ટકાઉ છે. ભારતમાં તેનો ઉપયોગ કુષાણ, ગુપ્ત અને ચૌલા સમયકાળથી થતો રહ્યો છે. મોહેંજો દરોમાંથી મળેલ નૃત્યાંગના અને ઘરવપરાશના વાસણો તેનું ઉદાહરણ છે. અહીં એ જ ધાતુકલાનો ઉત્તમ વિનિયોગ કરવામાં આવ્યો છે. એક કૃતિમાં તો આ ધાતુના પ્રયોગથી દર્પણમાં આપણો પ્રવેશ થતો લાગે અને તેની પાસે હરતાંફરતા મયૂરો આપણને અડકીને રમતાં હોય તેવું સામીપ્ય અનુભવાય.

સ્થાપત્ય ઉદ્યાનમાં પ્રવેશ કરીએ તે પહેલાં તેની બહાર પણ અનેક દર્શનીય સ્થાપત્યો એવી રીતે મૂકાયેલાં છે કે તેમની પાસે ઘડીભર ઊભાં રહીએ તો પણ ઘેલું લગાડે. બાંકડા પર અઢેલીને બેસેલો માણસ, બાંકડા પર શરીર લંબાવી છાપું મોઢા પર ઢાંકી સૂઈ ગયેલા, આંખનું ઝેર ઉતારતા માણસ પાસેથી હળવેથી પસાર થઈ જઈએ તેથી તેની મીઠી તંદ્રાને ખલેલ ન પડે. બાંકડા પર બેસી લહેરથી છાપું વાંચતા માણસ પાસે બેસી તે શું વાંચે છે તે જોવા છાપામાં ડોકિયું કરી લેવા મન થાય તે પહેલાં જ ઊંચી નજર કરી તે પૂછે છે ‘આ તમે જાણો છો ?” પગથી પર બાળકને સાઈકલ ચલાવતાં શિખડાવતો પિતા, વાહનોથી વ્યસ્ત માર્ગ પર રખે ઊતરી આવશે તેવો ધ્રાસકો પડે એટલાં જીવંત આ સ્થાપત્યો છે કે તેમની સાથે વાત કરવાનું મન થાય. આ સ્થાપત્યોમાં સાચા કદની પ્રતિમાઓ પણ છે, ઉપરાંત રાક્ષસી કદના સાચા ઘાસમાં ઘાસ કાપતો માણસ અને ભુવનમોહિની સૌંદર્યમૂર્તિ મેરેલિન મનરોથી આકર્ષિત મરુત તેના દેહના છદ્મ ભાગની ઝલક પામવા આક્ળો બની તેના વસ્ત્રને ઉડાડે છે. મનરો તેના આ ઉછ્રંખલ વર્તનથી ક્રોધિત નહીં પણ મુખ પર પ્રસન્નતા સાથે આ તોફાનીની કોશિષ નિષ્ફળ કરવા પોતાના પોષાકને હાથથી પકડી દબાવી લેવાની અર્ધ સફળ પ્રક્રિયાની આબેહૂબ વિશાળ પ્રતિકૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ પ્રતિમાના મુખ અને અંગોપાંગમાં ભાવ પ્રવહણ એટલું વાસ્તવિક છે કે તે પળને કેમેરામાં કેદ કરનાર અને તેને સ્થાપત્યમાં પરિવર્તિત કરનાર કલાકારોને મનોમન નમન થઈ જાય.

આ ઉપરાંત સાચા થડોમાં રચાયેલ પ્રાકૃતિક સ્થાપત્યો તેમ જ અન્ય અમૂર્ત સ્થાપત્યો જોઇને ઉદ્યાનમાં પ્રવેશ કરીએ. વિશાળ સ્વાગત સભાગૃહ અને તેના પ્રવેશદ્વાર પર પ્રવેશતાં પહેલાં બંધ પ્રવેશદ્વાર પર પ્રવેશ કરવા ઓટલા પર બેસેલા ઉત્સુક દાદા દેખાય. સભાગૃહ સાથે જ જોડાયેલા ઉદ્યાનની  માહિતી આપતાં સંગ્રહસ્થાનમાં પણ સ્થાપત્યોની પ્રતિકૃતિઓ જોવા મળે. તેની પાછળના ભાગના દરવાજાના કાચની બહાર જોઈએ તો નાનકડા શિખર પર સ્વયંમાં મગ્ન, આરામ અવસ્થામાં બેઠેલી સ્ત્રીની વિશાળ પ્રતિમા તરફ ધ્યાન જાય જ. તેને દૂરથી તાકતા રાની બિલાડાના પ્રતીકમાં આપણે સર્વ આવી જઈએ. વાતાનુકૂલ આ ગૃહ છોડી નીકળી પડીએ. તડકા, છાંયડા, જંગલ અને જંગલના એકાંતમાં.

અરે ! જુઓ ત્યાં ઘાસની સુંવાળી બિછાત પર પરીક્ષા પહેલાં, બાગના એકાંતમાં, આડો પડી પુસ્તક વાંચતો પેલો યુવાન ! રસ્તા ઉપર દીકરીના બુટની ખુલ્લી ગયેલી દોરી બાંધતી મા. કૃત્રિમ ધુમાડાના આચ્છાદન સાથે ડાકણો. થોડે દૂર કોલેજમાંથી બંક મારી અહીં આવેલા યુવાન અને યુવતી. ભીતના ટેકે ઊભેલી છોકરીના મુખ પર ઢળેલો યુવાન, બન્નેના મુખ પર આનંદ અને ઉત્તેજના છે. માણસોની અવરજવરની તેમને કોઈ પરવા નથી. અમૂર્ત – abstract સ્થાપત્યોનાં અર્થઘટનો કરતાં આગળ વધતા રહીએ. પ્રાણી જગતનાં સ્થાપત્યો એવી રીતે ગોઠવેલાં છે કે તે દરેકને આપણે સ્વતંત્ર રીતે જોઈ શકીએ. કદમાં મોટા હોવા છતાં તેની સપ્રમાણ દેહરચનાને લીધે તેના સ્વભાવનું સુપેરે દર્શન થાય. તેની એક બાજુ તળાવના કિનારે અંકોડામાં માછલી આવી જાય તેની શાંત પ્રતીક્ષા કરતો માણસ હૂબહૂ અને જીવંત લાગે છે કે તેની બાજુમાં જતાં ખચકાટ થાય કે તેની એકાગ્રતાનો ભંગ રખે તેને ક્રોધિત કરી દેશે તો! 

અરે! અરે! ત્યાં સહેજ જ દૂર એક નાવડીમાં કેટલાં બધાં માણસો સૂરા અને સુંદરીઓ સાથે બેસી આનંદ લઈ રહ્યા છે. સંગીતના આછા સૂર અને સરોવરના સરસર અવાજને માણવા આપણે અણનોતર્યા મહેમાન બની ન શકીએ, પરંતુ દૃશ્યને આંખમાં ઉતારવાની ના થોડાં પાડી શકે ? તળાવ પર બાંધેલા પુલના કઠેડા પર એક વૃદ્ધ યુગલ પોતાની વાતોમાં મસ્ત છે, જાણે વિતેલા જીવનની સ્મૃતિઓ વાગોળે છે. તેની સામેના કઠેડા પર ત્રણ છોકરાંઓ તો બધાં દૃશ્યોને મજાકનો વિષય ગણી હસતાં લાગે છે. હવે ગાઢ જંગલ છે, થોડી આડી આવતી ડાળીઓને હટાવી પ્રવેશ કરીએ તો અહીંના લોકો તો ‘અબ્રમણીય’ કહેવાનો ડોળ કરી આંખો ઝીણી કરી જોવાનું ન ચૂકે તેવું દૃશ્ય છે. બે પુરુષો, ફળ નાસ્તો કરવાની સામગ્રી અને નાનકડાં તળાવમાં સ્નાન કરી આવી નગ્ન અવસ્થામાં બેઠેલી સ્ત્રી છે. જુઓને! તેઓને કંઈ જ પડી નથી. ત્યાં તળાવમાં કોઈ આદિવાસી લાગતી સ્ત્રી પાણીમાં બે પગ મૂકી, વાંકી વળી પોતાનું કામ કરે છે.  થોડું વર્તુળાકારે આગળ વધતાં છોડોની છાયાંમાં બાંકડા પર બેસી બે વૃદ્ધાઓ અહીં જોયેલાં સ્થાપત્યો અંગે પોતાના અભિપ્રાયની આપલે કરે છે. વયથી પ્રાપ્ત અનુભવ અને મુખ પર પ્રજ્ઞાતેજ અભિભૂત કરે તેવાં છે. “પૂર્ણ સમર્પણ” સ્થાપત્ય રાજકપૂરના RK બેનરની યાદ અપાવે છે. સેવર્ડ જોહ્ન્સનનું જ પાંચ ભાગમાં બનેલું ૭૦ફૂટનું ‘અમૂર્ત સ્થાપત્ય’ “હવે તો જાગો – The Awakening” અત્યંત ધ્યાનાર્હ છે. એક શેતાની ચહેરો જમીનની બહાર નીકળવા જોરદાર પ્રયાસ કરે છે. તેના હાથના પંજા અને પગના ઘૂંટણનો ભાગ અને પગનો પંજો પણ બહાર આવી ગયાં છે. સહેજ જ ઊંચે હાથમાં હાથ રાખી, આનંદથી નૃત્ય કરતાં સ્ત્રી-પુરુષોનું શિલ્પ છે. આતંકનો આ પ્રવેશ સાંપ્રતમાં હાહાકાર મચાવનાર આતંકની પ્રતીકાત્મક દશા અને સૂચન પણ છે. આ અને એવાં અન્ય ૨૭૦ સ્થાપત્યો જુદાજુદા કદના અને જુદેજુદે સ્થળે યોગ્ય રીતે મૂક્યાં છે. અહીં દરેકનું વિવરણ શક્ય નથી.

સેવર્ડ જોહ્ન્સન અને પ્રખ્યાત ચિત્રકાર ક્લોડ મોનેના સંયુક્ત આકલનના પરિણામ સ્વરૂપ રેટ રેસ્ટોરાં. તેની આજુબાજુ મોનેના ચિત્ર “Water Lilies and Japanese Bridge” પરથી પ્રેરિત કમળસરોવર, તેની ઉપર પુલ, વૃક્ષો, છોડ અને ફૂલોરસિત વાતાવરણનું સુંદર આયોજન કર્યુ છે. સેવર્ડ જોહ્ન્સને સ્થાપત્યોની રચનાનો  પ્રારંભ કર્યો તે પહેલાં સ્વયં એક પ્રભાવી ચિત્રકાર હતા. તે પરથી રચિત તેમણે અહીં પોતાનાં પણ અમૂર્ત સ્થાપત્યો મૂક્યાં છે. ઉદ્યાનમાં ક્લેમેન્ટ મેડ્મોરે (Clement Meadmore), એન્થોની કેરો (Anthony Caro), બેવરલી પીપ્પર (Beverly Pepper), કીકી સ્મિથ (Kiki Smith), માગ્દેલા અબકાનોવીઝ (Magdalena Abakanowicz), બોઅઝ વાદિયા (Boaz Vaadia) અને જ્યોર્જ સેગલ (George Segal) દ્વારા રચિત સ્થાપત્યોને પણ સ્થાન આપ્યું છે.

આશ્ચર્ય એ વાતનું છે કે આ અપ્રતિમ ઉદ્યાનથી અહીંના જ પણ અને બહારના લોકો સદંતર અજાણ હોવાનું અનુભવાયું. આકર્ષણના આ કેન્દ્રની દેશવિદેશના લોકોએ મુલાકાત લેવી જ જોઈએ.

e.mail : Kanubhai.suchk@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, ઍપ્રિલ 2019; પૃ. 55-60

Loading

તપશ્ચર્યા સાધન છે, સાધ્ય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|7 July 2019

આપણે જોયું કે મહાવીર અને બીજા શ્રમણ દાર્શનિકોનો ભરોસો ઈશ્વર પર નહોતો. ઈશ્વરની કે બીજા કોઈની પણ કૃપા પર નહોતો. તેમનો ભરોસો તો પોતાના પર હતો. પોતે જ નહીં, પણ પ્રત્યેક માનવીમાં ઉપર ઊઠવાની સંભાવના પર હતો. એને માટે બે ચીજ સમજી લેવાની જરૂર હતી. એક તો એ કે સત્ય એકાંગી નથી, અનેકાંગી છે. આપણને જે સમજાયું એ જ સત્ય છે એમ કહેવું એ દુરાગ્રહ કહેવાય અને માનવીનો પરાજય આવા વલણ દ્વારા એ જ ઘડીએ થાય છે. બીજી ચીજ એ કે જો માનવીએ દુરાગ્રહીની જગ્યાએ સદાગ્રહી બનવું હોય તો તે અવશ્ય બની શકે છે. એને માટે જરૂર છે; વૃત્તિઓને સાફ કરવાની અને એ પ્રત્યેક માનવી કરી શકે છે.

જૈન ધર્મમાં તપશ્ચર્યા પર ભાર મૂકવામાં આવ્યો છે એનું કારણ આ છે. સુજ્ઞ વાચકને એટલું તો આ ક્ષણે જ સમજાઈ જવું જોઈએ કે તપશ્ચર્યા એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય છે, પૂર્વગ્રહમુક્ત માખણ જેવા ઋજુ બનવાની. સાધના તો એમાં માત્ર સાધનરૂપ છે. દુર્ભાગ્યે આજે જૈનો તપશ્ચર્યાને જ સાધ્ય માની બેઠા છે અને દુરાગ્રહો એમને એમ કાયમ છે. તેઓ અનેકાંતનો અને સ્યાદવાદનો અર્થ જ નથી સમજતા. જૈન ધર્મ તપશ્ચર્યાના કર્મકાંડોનો શિકાર બની ગયો છે. સનાતનધર્મીઓનાં કર્મકાંડ કાંઈક પામવા માટેના છે, તો જૈનોના તપશ્ચર્યારૂપી કર્મકાંડ પણ લગભગ એવા જ છે. આજનો જૈન સમાજ મહાવીરથી ઘણો વિમુખ થઈ ગયો છે.

અહીં ‘સમણસુત્તં’માંથી કેટલાક વચનો ટાંકવા છે જે આગમગ્રંથોમાંથી જ લઈને વિનોબા ભાવેએ એક જગ્યાએ સંગ્રહિત કરાવ્યાં છે. ૧૯૭૪માં ભગવાન મહાવીરનાં ૨૫૦૦માં નિર્વાણ વર્ષમાં વિનોબાની પહેલથી જૈનોના તમામ ફિરકાના વિદ્વાન આચાર્યોને એક સ્થળે એકઠા કરીને તેમ જ એક સંગીતી યોજીને દરેકને સંમત હોય એવા વચનોનો સંગ્રહ કરાવ્યો હતો જેનું પરિણામ ‘સમણસુત્તં’ ગ્રંથ છે. એનો ગુજરાતીમાં સુગમ અનુવાદ મુનિશ્રી ભુવનચન્દ્રજીએ કર્યો છે અને ‘યજ્ઞ પ્રકાશ’ને તેનું પ્રકાશન કર્યું છે. ફિરકાના આગ્રહો છોડીને દરેક જૈને તેનું પારાયણ કરવું જોઈએ. અહીં મારી ભૂલ થાય છે. ‘સમણસુત્તં’નું પારાયણ દરેક ભારતીયે કરવું જોઈએ. ભારતીયોમાં હિંદુઓ ઉપરાંત; મુસલમાનો, ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મીઓનો પણ સમાવેશ થાય છે અને એ દરેક માટે પાથેય છે.

તો શું કહેવામાં આવ્યું છે આગમ ગ્રંથોમાં? ‘સમણસુત્તં’માં કુલ ૭૫૬ વચનો છે અને એ દરેક વચન માણસને ખરા અર્થમાં માનવ બનાવામાં ઉપયોગી થાય એવાં છે. એટલે જ આ ગ્રંથ નિત્ય પારાયણ કરવા માટેનો ગ્રંથ છે. અહીં એમાંથી આચમનરૂપે થોડાં વચનો ટાંકવામાં આવ્યાં છે:

તું તારા પોતા માટે જે ઇચ્છે તેવું બીજા માટે પણ ઇચ્છ, તું તારા પોતા માટે જે નથી ઇચ્છતો તે  બીજા માટે પણ ન ઇચ્છ – જિનનો ઉપદેશ આટલો જ છે. (જિનશાસનસૂત્ર : ૮)

માટે, બધા જ નય જો પોતાના પક્ષના આગ્રહી બને (એકાંગી બને) તો તે મિથ્યા બની જાય છે અને જો પરસ્પર સાપેક્ષ બને (અન્ય નયોનો પણ સ્વીકાર કરે) તો તેઓ સમ્યક્ રહે છે. (નિરૂપણસૂત્ર : ૧૨)

(નય એટલે ભિન્ન ભિન્ન આશય અથવા દૃષ્ટિકોણ)

નિરંકુશ એવા રાગ અને દ્વેષ આપણું જેટલું બુરું કરે છે એટલું ગમે તેટલો છંછેડાયેલો અને બળવાન શત્રુ પણ નથી કરી શકતો. (રાગપરિહારસૂત્ર : ૨)

પરમ ક્ષમા, પરમ મૃદુતા (માર્દવ), પરમ ઋજુતા (આર્જવ), પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ આકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય – દશ ઉત્તમ ગુણો એ જ ધર્મ છે. (ધર્મસૂત્ર : ૩)

જે શ્રમણ કુળ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શ્રુત શીલ વગેરેનો ગર્વ નથી કરતો તે ઉત્તમ માર્દવ (નમ્રતા) ધર્મને પામેલો છે એમ સમજવું. (ધર્મસૂત્ર : ૭)

આ આત્મા અનેકવાર ઉચ્ચગોત્રમાં અનેક અનેકવાર નીચ ગોત્રમાં જન્મ લઈ ચૂક્યો છે; પરંતુ એટલાથી નથી તે હીન બની જતો કે નથી ઉચ્ચ થઈ જતો. માટે કોઈની અભિલાષા ન કરવી. આ સાંભળ્યા પછી કોણ ગોત્રવાદી બને? કોણ માનવાદી બને? (ધર્મસૂત્ર : ૯)

સત્યમાં તપ છે, સત્યમાં સંયમ છે, અને બીજા બધા ગુણો પણ સત્યમાં છે. માછલાંઓને માટે સાગર આધાર છે તેમ સત્ય સર્વ ગુણોનો આધાર છે. (ધર્મસૂત્ર : ૧૫)

કોઈ પણ વ્યક્તિ યુદ્ધમાં મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે. (સંયમસૂત્ર : ૪)

રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી. (સંયમસૂત્ર : ૯)

ક્રોધ પ્રેમનો, અભિમાન વિનયનો, માયા મૈત્રીનો અને લોભ સર્વનો નાશ કરે છે. (સંયમસૂત્ર : ૧૪)

જે મમત્વને તજી શકે છે તે જ પરિગ્રહને તજી શકે છે. તે મુનિએ આ માર્ગ જોયો છે, જેણે પરિગ્રહ તજ્યો છે. (અપરિગ્રહસૂત્ર : ૩)

રાગાદિ ઉત્પન્ન ન થાય એ જ અહિંસા છે. રાગાદિ ઉત્પન્ન થાય એ જ હિંસા છે – એમ જિનેશ્વરોએ કહ્યું છે. (અહિંસાસૂત્ર : ૭)

આળસ હોય ત્યાં સુખ નથી. નિંદ્રા અને વિદ્યા સાથે રહેતાં નથી. જ્યાં મમતા ત્યાં વૈરાગ્ય નહીં અને આરંભ (મોટા પાયે કરાતાં સાંસારિક કાર્યો) ત્યાં અહિંસા નહીં. (અપ્રમાદસૂત્ર : ૮)

જિનદર્શનમાં માર્ગ અને માર્ગફળ એવા બે પદાર્થ કહ્યા છે. માર્ગ એટલે સમયગ્ દર્શન માર્ગફળ એટલે નિર્વાણ (મોક્ષમાર્ગસૂત્ર : ૧)

સમયગ્ દર્શન વિનાની વ્યક્તિમાં જ્ઞાન ન હોય; સમયગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ન હોય; ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના શાંતિ નથી. (રત્નત્રયસૂત્ર : ૪)

હે યોગી, જો તું તારા પરલોકનું કલ્યાણ કરવા ઈચ્છે છે તો ખ્યાતિ, સન્માન, સંપત્તી કે સત્કારની કામના શા માટે રાખે છે? એ વસ્તુથી પરલોકમાં તને શો લાભ થશે? (સમયગ્દર્શનસૂત્ર: ૧૭)

માથું મુંડવાથી શ્રમણ થવાતું નથી, ઓમનો પાઠ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, જંગલમાં વસવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભના વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થઈ જતો નથી. (શ્રમણધર્મસૂત્ર : ૫)

સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય. (શ્રમણધર્મસૂત્ર : ૬)

કોઇપણ કથનમાં એકાંત અથવા એક જ દૃષ્ટિકોણ ન આવી જાય તે માટે ‘સ્યાત્’ શબ્દસહિત કથન કરવું તે સ્યાદ્વાદ છે. (સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્ર : ૨)

(સ્યાત્ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે; હોઈ શકે. આનાથી વસ્તુના અન્ય પાસાંના અસ્તિત્વનો બોધ થાય છે. અન્ય અપેક્ષાએ વસ્તુ અન્ય સ્વરૂપે પણ હોઈ શકે છે એવા આશય સાથે કથન કરવું એ સ્યાદ્વાદ છે.)

૧.અસ્તિ, ૨. નાસ્તિ, ૩. અસ્તિ-નાસ્તિ, ૪. અવક્તવ્ય, ૫. અસ્તિ અવક્તવ્ય, ૬. નાસ્તિ અવક્તવ્ય, ૭. અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય. કોઈ પણ વસ્તુ વિષે આવી સાત સંભાવનાઓ રહેલી છે, એટલે સાત રીતે કથન થઈ શકે છે. દરેકની સાથે સ્યાત્ શબ્દ જોડીએ તો તે પૂર્ણ અને શુદ્ધ પ્રમાણવાક્ય બને. એને સપ્તભંગી કહે છે. (સ્યાદ્વાદ તથા સપ્તભંગીસૂત્ર : ૪)

(અસ્તિ એટલે હોવું. હવે આ વચનનો અર્થ સ્પષ્ટ થઈ જશે.)

આવાં કથનો જો મનમાં અન્ય દૃષ્ટિકોણોની અપેક્ષા રાખીને કરાતાં હોય તો તે સુ-નય છે અને જો અન્ય નયોની ઉપેક્ષા સાથે કરાતાં હોય તો તે દુ-ર્નય છે. જગતનો સમગ્ર વ્યવહાર નિશ્ચિતરૂપે સુનય દ્વારા જ સિદ્ધ થાય છે. (સમન્વયસૂત્ર : ૪)

અન્ય દૃષ્ટિકોણોની ઉપેક્ષા કરનારા નયો કદી પરસ્પર સુમેળ સાધી શકતા નથી. તે બધા ભેગાં મળે તો પણ સમ્યક્ બનતા નથી. તેઓ વસ્તુનો સમ્યક્ બોધ પણ કરાવતા નથી. પરસ્પર વિરોધી એવા એકાંગી નયો, દુશ્મનની જેમ વર્તે છે અને વસ્તુસ્વરૂપના બોધમાં બાધક બને છે. (સમન્વયસૂત્ર : ૮)

પોતપોતાના મતની પ્રશંસા અને અન્યના મતની નિંદા કરનારા જે લોકો વાદ-વિવાદમાં રાચે છે તેમને સંસારમાં ફસાયેલા સમજી લેવા. (સમન્વયસૂત્ર : ૧૩)

અને છેલ્લે :

એ પરમ મુનિએ – સર્વદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે – સામાયિક ધર્મનો ઉપદેશ આપ્યો હતો, પણ આ જીવે કાં તો તેનું સમ્યક્ આચરણ કર્યું નથી. (સમાપનસૂત્ર : ૨)

અહીં સમાપન કરતાં પહેલાં વાચકોને સિદ્ધસેન દિવાકર કૃત ત્રિશિંકાઓ વાંચવાની ભલામણ છે. પંડિત સુખલાલજીએ દિવાકરજીના સંપાદિત કરેલા ગ્રંથ ‘સન્મતિતર્ક’ની ભૂમિકામાં કેટલીકનો અનુવાદ આપ્યો છે. આ ઉપરાંત ‘સમણસુત્તં’નો અનુવાદ કરનારા મુનિશ્રી ભુવનચન્દ્ર્જીએ પણ તેમાંથી પસંદ કરીને સો શ્લોકોનો અનુવાદ કર્યો છે. જો ટકોરાબંધ માણસ બનવા માગતા હો તો આ ગ્રંથ પણ ઉપયોગી થઈ શકે એમ છે. એ ગ્રંથ જૈન સાહિત્ય અકાદમી ગાંધીધામ, કચ્છથી પ્રકાશિત થયો છે.

02 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 જુલાઈ 2019

Loading

ઝોલ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|7 July 2019

બે વર્ષ પછી એકાએક બારણે ઉપરા છાપરી બે ટકોરા સાંભળી હૈયું થડકારો ચૂકી ગયું હતું.  એ જ અવાજ … એમ ગણગણતું મન ઠેકડો મારી બેઠું. જો કે, પોતાને ઊભી થતાં રોકવા એ ખુરશીમાં પાછી બેસવા મથી. સાવચેત થવાનું સૂઝ્યું એ વાતે પોરસાય એ પળે જ  વિચાર આવ્યો : કદાચ એ ના હોય ને કોઇ બીજું  હોય તો? પણ, પગ ઉપડી ચૂક્યા હતા.

એ જ હતો. ખુલ્લા બારણા વચ્ચે ઊભેલા ઇથનને જોતાં એનાથી આપોઆપ એક ડગલું પાછળ ખસી જવાયું. આંખનું પોપચું ફફડી ઊઠ્યું. ઝીણા અક્ષરે લખાયેલી દવાનું નામ ઉકેલતી હોય એમ એ ઈથનને જોઈ રહી.

‘અંદર આવવા દઈશ?’

‘કંઈ કામ હતું?’ શાર્લટે વિસ્મય સાથે પૂછ્યું.

સીધું તાકતાં ઈથનની નજરનો આધાર ખસી ગયો હોય એમ એ નીચું જોઈ ગયો. છોભીલા પડવા જેવું જોતાં એ ડગલું પાછળ ખસ્યો. શાર્લેટને ખ્યાલ આવ્યો કે એ સભ્યતા ચૂકી રહી છે. આંગણે આવેલા કોઈનો ય અનાદર કરવાનું એ શીખી નથી. ત્યારે આ તો …. કોણ છે ? ઈથન. છૂટા–છેડાનાકાગળો પર સહી કર્યા પછી આ જ સવાલ થયો હતો. એવડો મોટો નિર્ણય સાવ સહજ લેવાઇ ગયો હતો. એ વખતે સૌથી વધુ આઘાત કોઈને લાગ્યો હોય તો સામેના ફલેટમાં રહેતી સુનંદાને. એ કહેતી હતી એમ લગ્ન એ બે માણસોનો નહિ કુટુંબનો સંબંધ હોય છે. આ રીતે આમ ચારપાંચ વરસમાં ….. પછી આગળ બોલતા એ અટકી ગયેલી. ખુલાસો કરતી હોય એમ કહે,  ‘મારું અંગ્રેજી બહુ સારું નથી, શાર્લેટ, એટલે હવે શું બોલવું એ સમજાતું નથી.’ એ વખતે એમની માનો ચહેરો સામે આવી ગયો હતો. એમને જો કેન્સરે છીનવી ન લીધાં હોત તો અધિકારપૂર્વક એમણે છૂટાછેડા અટકાવ્યાં હોત. પણ વળતી ક્ષણે  સમજાયું : ના. વયસ્ક પુત્રની અંગત જિંદગીમાં માથું મારે એવું એમનું વ્યક્તિત્વ જ નહોતું.  ઉપરાંત, એમનું ચાલ્યું હોત તો ઈથન આવા ખોટા રસ્તે ચડ્યો હોત ખરો?

છૂટાછેડાના દસ્તાવેજમાં સહી કર્યા પછી નામ નીચે લીટી કરતાં શાર્લેટનો હાથ હલી ગયો હતો.  લીટી લંબાઈને નબળી પડી હોય એવી લાગતી હતી. ત્યારે થયું હતું : હવે કોણ છે ઈથન એનો? વકીલોની નક્કર દલીલો અને ધારદાર રજૂઆતોએ સહજીવનની શક્યતાઓ બહુ સરળતાથી અશક્ય કરી આપી. સંબંધ સ્વતંત્રતાના ખાનામાં મૂકાયો ત્યારે થતું હતું, હવે કોણ છે આ? પતિ રહ્યો નથી. મૈત્રી હોત તો આ ક્ષણ સુધી કેમ પહોંચાત?

શું કરું અને કેમ કરું?-ની વિમાસણમાં એણે બારણે મૂકેલો હાથ હટાવી ઈથનને અંદર આવવા દીધો ત્યારે એ નાનકડી અવઢવ ઉવેખતાં આમ હચમચી જવાશે એવું ક્યાં વિચાર્યું હતું?

શુભેચ્છા મુલાકાતની પળથી શરૂ થયેલો સહવાસ ફરીથી પતિ-પત્નીની જેમ વર્તવા સુધી પહોંચી જશે એવું ક્યાં વિચાર્યું હતું? અકથ્ય આનંદની ઘડી યાદ આવતાં જ વિચલિત થઈ જવાય છે.

‘છૂટાછેડા પછી પણ સારા મિત્રોની જેમ રહી જ શકાય ને?’ સાંભળી રોજરે ખભા ઊંચકી આશ્ચર્ય કે ઉપહાસના ભાવથી શાર્લેટ સામે જોયું હતું કે એને એવું અનુભવાયું હતું? રોજરનું આ ત્રીજું અને એનું બીજું લગ્ન હતું. જો કે એ વાતની એને નવાઈ નહોતી. શાર્લેટની માએ ચાર લગ્ન કરેલાં એટલે રોજર અગાઉ બે વાર પરણેલો એની એને નવાઇ નહોતી. એકથી વધુ લગ્નો એને મન પરંપરાનો એક હિસ્સો હતાં.

‘કેમ આવો પ્રતિભાવ આપે છે?’ શાર્લેટે પૂછ્યું.

‘જરા ય નહિ. હું તો તારી વાતને સ્વાભાવિકતાથી લઉં છું. હા વચ્ચે એકવાર તું બોલી ગયેલી કે ઈથન તને ઇમોશનલી ડિસ્ટર્બ કરે છે, એટલે.’

‘હા, સાવ એમ નહિ પણ ક્યારેક એવું લાગે છે કે એ કશાક સ્વાર્થવશ મને મળવા આવે છે.’

‘તો તું એને ના પાડી દે.’

‘ના પાડી શકતી હોત તો શું જોઇતું’તું.’

‘હું વાત કરું એની સાથે?’ રોજરે એના ખભે હાથ મૂકતાં પૂછ્યું હતું.

સમસ્યા ઊભી નહીં કરવાની કે સ્વાભાવિક સંકોચવૃતિ વશ એણે રોજરને ‘‘પોતે બધું સંભાળી લેશે.’’ એવું સાંત્વન આપતાં,  ‘છતાં જરૂર પડશે તો તું છે જ.’-નો સધિયારો આપ્યો હતો. એ વખતે રોજરના ચહેરા પર છવાયેલા સંતોષને શાર્લેટે ચૂમી લીધેલો. આલિંગનની ક્ષણો લંબાતી ગઈ, એટલી કે વિકસીને ઢળી પડી. પછી સંતોષભર્યું હાંફતાં એણે આંખો મીંચી ત્યારે અંદર થતી બળતરા અનુભવાઈ. રોજર થકવી નાંખે છે. પરાકાષ્ટાની ક્ષણોએ ઈથન કેવા માર્દવથી વર્તતો? ઊઠેલો પ્રશ્ન તરત અનુભૂતિમાં ફેરવાયો. હોય, શરીરનાં ભરતી-ઓટમાંથી થાક અને સંતોષ તારવવાની મથામણ શું કામ?

ઈથનને લાંબા સમય પછી જોયો ત્યારે અનુભવાયેલું સાનંદાશ્ચર્ય એની હાલત જોઈ પહેલાં આઘાત અને પછી દયામાં ફેરવાઈ ગયું હતું. એ કોઈ ઓલિવિયા નામની સ્ત્રી સાથે રહે છે.  ‘એ સારી છે. શાર્લેટ કરતાં પણ વધુ પડતી સ્વમાની ને બોલકી છે. પણ  સારી છે, ચાલે છે.’

‘તો મને મળવા શું કામ આવે છે?’

‘એટલે? તને બળતરા થાય છે ને.’

‘મારી બલારાત, હું શું કામ બળું? તારા કરતાં રોજર દસ ઘણો સારો છે. બીજી વાત એનાથી વધારે મીઠડી તો એની દીકરી છે. પહેલી વાર કેથૅરિને મને મા કહીને બોલાવી ત્યારે જવાબ આપતાં મને એવું લાગ્યું હતું કે રડી પડાશે.’

ઈથન એની નજીક ખસ્યો હતો. 

“આપણું સંતાન ખોવાનું મને ય ….’ બાકીના શબ્દો હથેળીના સ્પર્શમાં બેઠા હોય એમ એનો હાથ હાથમાં લઇ ક્યાં ય સુધી થપથપાવ્યા કર્યો હતો.

શાર્લેટને ખાતરી હતી હવે ઈથન એકાદ શબ્દ પણ બોલશે તો એ ભાંગી પડશે.

હમણાં જ બન્યું હોય એમ બધું યાદ છે … પાંચમાં મહિને એને અચાનક દુખાવો શરૂ થયો હતો. ઈથન એ વખતે ફ્રાન્સ ગયો હતો. સુનંદા એમ્બયુલન્સ બોલાવી એને દવાખાને લઈ ગઈ હતી.  સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈ ડૉક્ટરે કહ્યું હતું કે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે. ત્યારે આખો રૂમ ઠંડોગાર, કશોક માંદગીનો અમળાટ અને શરીર પરસેવે રેબઝેબ! એણે  પેટ અંદર ખેંચી ખેંચી ગર્ભને રોકી રાખવાના લાખ પ્રયત્નો છતાં ઢાળમાં પાણી સરકે એમ એ સરકી આવી હતી.

‘તને ખબર છે આજે ય હું નાના બાળકનાં કપડાંને હાથ લગાડું છું ત્યારે એક સંતોષ અનુભવાય પણ વળતી જ ક્ષણે એ સંતોષ કારમી પીડા માં ફેરવાઈ જાય છે.’

‘હું સમજુ છું શાર્લેટ, આ બહુ જ વસમું છે.’

’હા પારાવાર વસમું. તને નહિ સમજાય. કેથૅરિન પહેલી વાર ‘મા‘ બોલી એ જ ક્ષણે મને બાસ્કેટમાં ઢબૂરાયેલી શ્યામ કિરમજી છોકરી યાદ આવી હતી. મારી દીકરી ….’ શાર્લેટ ઈથનને વળગી પડી.

આંસુ અટકતાં નહોતાં, ડૂસકાંથી એની પીઠ ઊંચીનીચી થતી હતી. ક્યારે એ પીડા આશ્વાસનમાં બદલાઈ ને આશ્વાસન દેહવશ વર્તીને ગરમાટો આણી બેઠું એનો અંદાજ રહ્યો નહોતો. માનીતા અનુભવથી લથપથ આંખો મીંચી એ સુખ માણતી હતી ત્યારે રોજરની નજર ધીમે ધીમે પાણીમાં ડૂબેલા શબ જેવી પીડા સપાટી પર આવી હતી. પછી સંતોષનું સ્વરૂપ ભયાનક સ્પષ્ટ અને ઝગમગાટ ઉપસી આવ્યું. તોડેલા સંબંધનું આ નવું નક્કોર સ્વરૂપ એવું ધારદાર હતું કે એ શાર્લેટને રૂંવેરૂંવે ફરકતું લાગ્યું. ત્યાં રોજર સાથેની બેવફાઈ સમજાતાં શરમ અને ઉદ્વેગ અનેક ગણાં વધી બેઠાં.

હવે સાથે આ સંસાર કેમ ટકાવવો? વાત છાની રાખીને પીડા વેઠવી કે રોજર સાથે ઈથન સાથે માણેલા સહવાસની કબૂલાત કરી ચચરાટ વહેંચી લેવો એ સમજાતું નહોતું. પરસ્પર આધાર અને હૂંફથી  ઘરના વાતાવરણમાં જે પ્રસન્નતા છે એને કેવી રીતે કાપવી?

એ મનોમન વલોવાતી રહી આ વલોપાત વહેંચી ન શકાતાં ઊંડી પીડામાં ફેરવાતો ગયો.  જુઠ્ઠાણું અને બેવફાઈની ગુનાહિત લાગણી ત્રાસદાયક લાગે એ રીતે પજવવા લાગી. ઉદ્વેગ અને અકળામણની શરૂઆત થઇ ગઈ. આજ સુધી જે નહોતું પમાયું એ સઘળું સાવ સ્પષ્ટ નજર સામે તરવર્યું.

આ પ્રેમ નહીં પણ સ્વાર્થ છે. એ અને ઈથન સાથે જીવતા હતાં ત્યારે સંબંધોની આંટીઘૂંટી અનુભવવાની, ઉકેલવાની હતી પણ કદી એ ચકાસ્યુ જ નહોતું. અનુભવ્યું હતું તો માત્ર મનોમન ધૂંધવાતી ગૂંગળામણ અને ચૂપકીદીથી ખોતર્યા કરતી પીડા!

એ કલેશ અને અકળામણ સહન કરવા કરતાં છૂટા પડી જવું સારું એમ વિચારી છૂટાં પડ્યાં હતાં પણ રહી રહીને થયા કરતું હતું કે એકબીજાંને સમજવાનો થોડોક પ્રયત્ન કદાચ મૈત્રી ટકાવવામાં સહાયભૂત બનશે એમ ધારી એને આવકાર્યો.

બસ, લાગણીવશ એક વાર એ ભાન ભૂલી ગઈ એને ઈથન હવે અધિકાર માને છે.

ભલે, ઈથનનો સહવાસ ગમે એટલો મનગમતો હોય તો ય, હવે હદ બહારના શ્રમની શરીર પર અસર થાય ને કાયા કંતાતી લાગે એવું અનુભવાતું હતું. રોજર નજર સામે હોય ત્યારે લાગણીઓ સંતાડવાની પીડા અને એ ન હોય ત્યારે છેતરપિંડીની ગુનાહિતતા. ન બોલાય ન સહી શકાય.

સંબંધોનું મૂલ્ય આમ ચૂકવવું પડશે એની પોતાને ભાળ સુદ્ધાં નહોતી ?

ઈથન હવે ઈચ્છે ત્યારે આવી ચડે છે. એને સ્પર્શતાં કે બાહુપાશમાં જકડી લેતાં સંકોચ પામતો નથી. એને તો ઓલિવિયાને છેતરતો હોવાની કોઈ પીડા ય નથી. સાંજ પડે પબમાં જઈ નિરાંતે સિગરેટ ફૂંકતો ઠંડા બિયરના ઘૂંટ ભરતો હોય આવીને એમ એને સંવેદે છે.

એ ય કદાચ સહી લેવાય પણ શરીર સુખની આહ્લાદક પળે રોજર યાદ આવી જાય ને રોજર સાથે હોય એ વેળાએ ઈથન મનમાં રમે એ બિભિષીકા કેમ નિવારવી?

તો, ઓલિવિયાની  જડતા, એનું આજ્ઞાર્થ બોલવું, રૂક્ષતાથી વર્તવું સહન થતું નથી. હવે એની સાથે જીવવું બહુ જ અઘરું છે. મને આકરું લાગે છે, શાર્લેટ. આ બધું વારંવાર સાંભળતા શાર્લેટને હવે ત્રાસ છૂટે છે.

એનાથી એ નક્કી થઇ શકતું નથી કે ઈથનને  ના કઇ રીતે પાડવી? વચ્ચે એણે એક બે વખત કહ્યું હતું કે: ‘આપણે આ સારું નથી કરતાં. રોજરને છેતરવાની પીડા મને શારે છે, ઈથન. મહેરબાની કરીને તું આવતો નહિ હવે.’

‘તને ખબર છે, શાર્લેટ, તારાથી છૂટા પડ્યા પછી મને તારું મહત્ત્વ સમજાયું. તું ઘર છોડીને જતી રહી ત્યારે ત્રાહિત પેઠે જોઈ રહેવાને બદલે મારે  તને  રોકી લેવી જોઈતી હતી. આપણે ફરીથી પરણી જાત. પણ એ વખતે અધિકારથી તને રોકી લેવાનું ….. હું ના રોકી શક્યો … હું … હું ..’  બોલતો શાર્લેટને વીંટળાવા મથતો. બબડતો, ‘આઈ એમ સૉરી, માફ કરી દે મને.’ શાર્લેટ દીવાલમાં ભરાતી એને અટકાવતાં હળવેથી ફરીને દૂર ખસી જતી.

એ કશું બોલી નહોતી. હોસ્પિટલમાં દાખલ થયેલા સગાંનો હાથ હાથમાં લે એમ એણે ઈથનનો હાથ સાહી રાખ્યો હતો. એને યાદ આવ્યું પ્રેમાગ્રહ જેવું કશું ઈથન સમજતો હશે ખરો? મારી દીકરીનું ગર્ભાવરણે ય તૂટ્યું ન હતું. મારો એ અકબંધ અંશ ખોવાની પળે ઈથન ક્યાં સાથે હતો?  સુનંદાએ કેટલા ફોન કર્યા … ખબર નહી ક્યાં રખડતો હશે.

લગ્ન પછી ત્રણેક વર્ષ બધું સમુંસૂતરું ચાલ્યું. પછી એ અને એની દારૂની લત. ડ્રગ્સ … લથડિયાં ખાઈને બેડરૂમમાં જતા ઈથનને સંભાળતાં થતી તકલીફ યાદ આવી. પણ, શું હતું કે ગમતો હતો? એનામાં શું જોઈને એ આટલી ઓવારી ગઈ હતી એ યાદ નહોતું આવતું. અલૌકિક શરીર-સુખના લોભ સાટે જિંદગી જીવી શકાય ખરી?

એ જતો રહે પછી મગજ ચકરાવે ચડી જતું. રોજર જેવા સાલસ વ્યક્તિત્વને છેતરવાનો અફસોસ એ રીતે પજવતો કે દર્પણમાં પોતાને જોતાં જ થતું, આ દોંગાપણું મારા ઉપર પર ક્યાંથી ખાબકયું?

લગ્નજીવન માટે પતિ-પત્નીમાં જે સમજણ અને સ્વીકૃતિ અનિવાર્ય હોય એની પૂર્તિ રોજરે કરી. નિખાલસતા અને નરી નિસબતથી જીવતા જણના દ્રોહનો ખ્યાલ આવતાં જ તીવ્ર સણકો ઉપડે છે. રોજરની હાજરીથી એક પ્રકારનો ગભરાટ અનુભવાય છે. સંબંધોના તાણાવાણા ગૂંચવાઈ જવાનો  ઓથાર ડરાવતો રહે છે.

રોજરે અગાઉના લગ્ન વિશે વિગતે કબૂલાત કરતાં કહેલું, ‘મેં ક્યારે ય કોઈને દુભવ્યાં નથી. મારી પહેલી પત્ની મારિને મારા કરતાં એની કારકિર્દી વધારે અગત્યની હતી. પછી એમિલીને પરણ્યો. કમભાગ્યે એ કેથૉરિનને જન્મ આપતી વખતે મૃત્યુ પામી. અમે ગર્ભપાત કરાવ્યો હોત તો એમીલી બચી જાત પણ એ એક સમર્પિત કેથલિક હતી. જિંદગી એને મન એટલી કિંમતી હતી કે એને બચાવવા એણે જાણી જોઈને મૃત્યુ પસંદ કર્યું.’

રોજર ની આંખમાં આંસુ હતાં. એ ડુમાયેલા અવાજે બોલતો હતો, ‘એમિલી સોફ્ટવેર એન્જિનિયર હતી. એકદમ દેખાવડી, સ્વમાની અને ઓછાબોલી. એ મને ને સૌને વહાલી હતી. કેથૅરિનનો ખ્યાલ ન હોત તો મેં ક્યારે ય…’  એ આગળ બોલી શક્યો ન હતો. શાર્લેટને સમજાયું  હતું કે રોજર હું લગ્ન ન કરત એમ બોલી એને દુઃખી કરવા નથી માંગતો.

આવા પ્રેમાળ અને ભલા માણસને આમ છેતરવાનો? બહુ થયું હવે. ઈથનનો સંગ સેવશે તો સાવ હીન કક્ષાએ ઊતરી ગયાનું લાગશે. પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓને વશ વર્તવાને બદલે એ જીવનને સાચી દિશાથી જોશે, જીવશે.

એ સાંજે રોજર આવ્યો ત્યારે એ એની નજીક બેઠી. રોજર એ વખતે કેથૅરિને સ્કોટલેન્ડથી મોકલેલો ફોટો જોતો હતો. થોડીવાર જોતાં એણે મલકાયા કર્યું.

પછી, ફોન પછી શાર્લેટને બતાવતા કહે, ‘જો, કેટલી નમણી લાગે છે. હેં ને?

‘હા.’ કહી શાર્લેટ ફોટો જોઈ રહી. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. સૂર્ય આથમવામાં હતો. એના નારંગી-પીળાચટ અજવાળામાં રોજરનો ચહેરો ચમકતો હતો. એ એની તરફ ફર્યો. એની એકદમ સ્વચ્છ આંખોમાં જોતાં  એટલી હૂંફ અનુભવાઈ કે એ કહી બેઠી, 

‘ઈથન મને બહુ પરેશાન કરે છે, રોજર.’

‘મેં તો તને પહેલાં ય કહેલું. શું કરે છે?  એ રોજ આવે છે? અડકે છે તને? ’

‘એવું નહીં પણ ..’ એ થોડીવાર ચૂપ રહી. પછી રોજરનો હાથ હાથમાં લેતાં બોલી, ‘બસ. તું એને ના પાડી દેજે. કહી દેજે,  આપણા ઘરે ના આવે.’

‘ક્યારે આવવાનો છે એ?’

શાર્લેટ એક ક્ષણ જવાબ ન આપી શકી.

‘જ્યારે આવે ત્યારે, તું ચિંતા ન કરીશ, હું છું ને.’

રોજરે ઈથન આવે એટલે મિસ કોલ કરવા સૂચવ્યું હતું એટલે એ થોડી વાર બેઠો ત્યાં રોજર આવ્યો. રોજરે શાલીન ઢબે પણ ભારપૂર્વક કહી દીધું કે એ આ રીતે એની ગેરહાજરીમાં આવે એવું એ ઇચ્છતો નથી. વળી કડક અવાજમાં ઉમેર્યું, ‘આજ પછી જો તું મારી ગેરહાજરીમાં અહીં આવીશ તો ન છૂટકે પોલીસને જાણ કરવી પડશે. એવું ન કરવું પડે એ તું જોજે.’

ઈથન ભોંઠો પડી, શાર્લેટ સામે જોઈ રહ્યો. શાર્લેટ રોજરની નજીક સરકી. એ જોઈ ઈથન નિમાણું તાકી રહ્યો. જાતને સંકોચી ક્યાંક સંતાઇ જવા મથતો હોય એમ પાછાં પગલે ખસતો અવળો ફરી દરવાજો ખોલી ઉંબરો ઓળંગી ગયો.

રોજરે એણે ખુલ્લો મૂકેલો દરવાજો બંધ કર્યો ને શાર્લેટનો ખભો દબાવી આશ્વસ્ત કરતા  બોલ્યો.

‘તું બેફિકર થઈ જા. હવે એ નહિ આવે.’

એ રાત્રે શાર્લેટ પડખાં બદલ્યા કરતી હતી પણ ઊંઘ આવતી ન હતી. કોઈના અનાદર પર ક્યારે ય એનું મન આટલું રોળાયું નહોતું.

એને ખબર હતી, ઈથન હવે જઈને પાર વગરનો દારૂ પીશે, કાં કોણીએ સોય ઘોંચી નશાનું ઇન્જેક્શન લઈ પડ્યો રહેશે.

એ ઈથનને પહેલી વાર મળી ત્યારે એને ખબર નહોતી કે એક મહિના પહેલાં જ એ રિહેબીલિટેશન સેન્ટરમાંથી છૂટયો હતો. બસ એનું આકર્ષક સ્મિત, ઘૂંટાયેલો અવાજ અને પૌરુષી અભિજાતથી એ એના પ્રેમમાં પડી ગઈ હતી. ઈથન મકાનો ભાડે આપવાનો ધંધો કરતો હતો. વળી, એમની પોતાની મિલકતો એટલી હતી કે એને કમાવવાની કોઈ ચિંતા હતી નહીં. કદાચ એ જ એના બગડવાનું મોટું કારણ હતું.

ચાર દિવસ પછી ફરી બારણે ટકોરા સંભળાયાં. એક સરખા બે ટકોરા! એ દોડતાં પગલે બેઠકખંડ વટાવી પરસાળમાં આવી ત્યારે પગ આપોઆપ ધીમા પડી ગયા. ના એ હવે રોજર ને  અન્યાય નહીં કરે.

છતાં બારણું ઉઘાડ્યા વગર ન રહેવાયું.

સામે લાલઘૂમ આંખે તાકતો ઈથન ઊભો હતો. એણે અંદર આવવા પગ ઉપાડ્યો પણ એને અટકાવતાં એ બોલી,“જા, જતો રહે, પ્લીઝ.’ ઈથન ભારપૂર્વક એનો બારસાખે ટેકવાયેલો હાથ હડસેલવા મથ્યો. 

‘પ્લીઝ તને ના પાડી ને.’

‘ના મારે અંદર આવવું છે. તું જ જોઈએ છે મને. આઇ લવ યૂ.’

સાંભળી શાર્લેટને ગુસ્સો આવ્યો. શરીરમાં હતું એટલું બળ ઠાલવતાં ઈથનને અંદર આવતો અટકાવવા મથતાં બોલી. ’જા, અહીંથી.’ ફરી આવીશ નહિ મહેરબાની કરીને.’-ને એને આમ રોકવો હાથ બહારની વાત હોય એમ ધડાકાભેર બારણું બંધ કરી એ અંદર આવી.

સંઘર્ષ, લાચારી પીડા અને અજંપો એક સામટાં હથોડો ઝીંકાય એમ માથે ઝીંકાયાં. એની હથેળીઓમાં એનો ચહેરો ભરી એક ટક જોઈ રહેતો ઈથન યાદ આવી ગયો. ના પાડવાની સફળતાના આનંદ બદલે એનાથી કશું અજુગતું થઈ ગયાનો વસવસો અનુભવાયો.

એની આંખોમાં આંસુ ક્યાં તબક્યાં.

અવસાદની એ પળે નિષ્ઠુર બન્યાની અકળામણથી વહી આવેલાં રૂદનને માંડ માંડ દબાવી બાથરૂમમાં ગઈ. એના ધબકારા બદલાયા.

ઋણાનુબંધનો અંત  વેઠાતો ન હોય એમ શ્વાસ લેવા મોં ખુલ્યું એવી જ મોટા અવાજે ચોધાર આંસુએ રડી પડી. એનો હાથ અડકતાં સીન્કનો નળ સ્હેજ ભૂલી ગયેલો.

પાણી એકધારું વહી જતું હતું.

*       *      *

e.mail : anilvyas34@gmail.com

પ્રગટ : “તથાપિ”, વર્ષ – 14, અંક – 54-55, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી  2019; માર્ચ, એપ્રલ, મે  2019; પૃ. 05-11

Loading

...102030...2,7522,7532,7542,755...2,7602,7702,780...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved