Opinion Magazine
Number of visits: 9684423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહમ્મદ ઝહુર ‘ખય્યામ’ હાશ્મી : હજાર રાહેં મૂડ કે દેખી …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 August 2019

નિર્માતા-નિર્દેશક રમેશ સહેગલે ૧૯૫૮માં રાજ કપૂર-માલા સિન્હાને લઈને 'ફિર સુબહ હોગી' ફિલ્મ બનાવી હતી, તે રશિયન લેખક ફ્યોદોર દોસ્તોયેવસ્કીની નવલકથા 'ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ' પરથી પ્રેરિત હતી. એમાં એક ગરીબ વિધાર્થી રામ (રાજ કપૂર), પૈસા ધીરધારનો ધંધો કરનારા એક માણસનું ખૂન કરી નાખે છે, પણ પોલીસ એ સાબિત કરી શકતી નથી, અને કોઈ બીજો જ માણસ આ ખૂનનો એકરાર કરે છે. પાછળથી રામનો અંતર આત્મા ડંખે છે, અને બીજાને સજા થાય, તે પહેલાં તે કોર્ટમાં ઊભો થઈને અપરાધનો એકરાર કરે છે.

'ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ' ૧૮૬૬માં પ્રકાશિત થઇ હતી અને તે દોસ્તોયેવસ્કીની સૌથી મહાન કૃતિ ગણાય છે. ૧૯મી સદીની સાંસ્કૃતિક અને સાઈકોલોજીકલ ક્રાંતિઓ એનું મહત્ત્વનું સ્થાન છે, કારણ કે એમાં માનવતાની શાશ્વત્‌ દુવિધા ચિતરવામાં આવી હતી. રમેશ સહેગલે રાજ કપૂરને લઈને એના પરથી 'ફિર સુબહ હોગી' બનાવવાનું નક્કી કર્યું, ત્યારે ગીતો માટે એમના મનમાં સાહિર લુધિયાનવી હતા. સાહિર ત્યારે એક મોટું નામ તો હતા, પણ એમનાં ગીત-ગઝલોમાં સામાજિક સમાનતાનું જે તીવ્ર દર્દ હતું, તે પણ ત્યારે ચર્ચાનો વિષય હતું.

થયું પણ એવું. 'ફિર સુબહ હોગી' એનાં લાજવાબ અને સામાજિક ચિંતાવાળાં ગીતોને લઈને આજે પણ યાદગાર છે. એમાં મુકેશનું 'યે સુબહ તો આયેગી …' જાણે વંચિતોનું રાષ્ટ્ર-ગીત છે. લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી જ્યારે સંગાથે સ્કુટર પર ફરતા હતા, ત્યારે દિલ્હી કોર્પોરેશનમાં પક્ષના પરાજય પછી 'ફિર સુબહ હોગી' જોવા બેસી ગયેલા. વાજપેયીની આ ગમતી ફિલ્મ હતી. એ જ્યારે વડાપ્રધાન બન્યા, ત્યારે અડવાણીએ કાર્યકરોને કહેલું કે નવી સવાર આવી ગઈ!

બહરહાલ, આ ફિલ્મ માટે સહેગલ સાહિરના ઘેર ગયા, ત્યારે સાહિર ગીતો લખવા તૈયાર તો થયા પણ પૂછ્યું કે ગીતોનું કમ્પોઝિશન કોણ કરશે. સહેગલે કહ્યું કે હિરો રાજ કપૂર છે, એટલે સ્વાભાવિકપણે શંકર-જયકિશન જ સંગીત આપશે, એ ત્રણે ટીમમાં કામ કરે છે (વધારામાં મુકેશ પણ). સાહિરે કહ્યું, એ લોકો સફળ અને સમર્થ ટીમ છે એમાં શંકા નથી, પણ આનું સંગીત એની પાસે કરાવવું જોઈએ, જેણે ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વાંચી હોય. આ એક ક્લાસિક ફિલ્મ છે, થ્રિલર નથી અને જેણે આ નવલકથા વાંચી હશે, તેને જ કેવું સંગીત આપવું જોઈએ, તેની ખબર પડશે. સહેગલે પૂછ્યું, "તમારા મનમાં કોઈ છે?" સાહિર બોલ્યા, "ખય્યામ."

સઆદત હસન મંટોની સાગરિત અને એટલી જ દમદાર કહાનીકાર ઈસ્મત ચુઘતાઈ અને તેનો ખાવિંદ શહીદ લતીફ 'લાલા રુખ' (૧૯૫૮) ફિલ્મ બનાવી રહ્યાં હતાં, ત્યારે તેમના ઘરે સાહિર સાથે ખય્યામની પહેલી મુલાકત થઇ હતી. કૈફી આઝમીએ એનાં ગીતો લખ્યાં હતાં. સાહિરને ત્યારે ખય્યામનો પરિચય થયો, અને સાહિત્યની એમની જાણકારીથી પ્રભાવિત થયા હતા. એમાં જ તેમણે 'ફિર સુબહ હોગી' માટે ખય્યામનું નામ સૂચવ્યું હતું.

ખય્યામ અને સાહિરને લઈને, સહેગલ રાજ કપૂર પાસે ગયા. સ્વાભાવિક રીતે જ રાજ કપૂરને સંગીતકાર તરીકે ખય્યામનું નામ ગમ્યું ન હતું. તેમણે એક શરતે હા પાડી કે ધૂન તે ઓ.કે. કરશે. આ પ્રસંગને યાદ કરીને ખય્યામ કહે છે, "રાજ કપૂર હોંશિયાર હતા. તેમને સંગીતની સમજ હતી. તેમની પાસે એક તાનપુરો હતો, જે લતાજીએ ભેટમાં આપ્યો હતો. મને કહે વગાડો. મેં પહેલી ધૂન બનાવી અને પછી એ જ ગીત માટે બીજી પાંચ ધૂન બનાવી. રાજ કપૂર સાંભળીને એટલા ખુશ થઇ ગયા કે મને વળગી પડ્યા અને બોલ્યા કે કઈ ધૂન પસંદ કરું અને કઈ કાઢી નાખું, તે સમજ નથી પડતી."

તેમણે કહ્યું કે ખય્યામને જે ઠીક લાગે તે કમ્પોઝ કરે. 'ફિર સુબહ હોગી'માં સાહિરની માર્ક્સવાદી હમદર્દી ખય્યામના સંગીતની લહેર પર સવાર થઈને બીજાં બે ગીતો 'ચીન-ઓ-અરબ હમારા હૈ, હિંદુસ્તા હમારા હૈ, રહને કો ઘર નહીં, હિંદુસ્તાઁ હમારા હૈ' અને 'આસમાં પર હૈ ખુદા ઔર જમીં પે હમ, આજકલ વો ઇસ તરફ દેખતા હૈ કમ' પૂર જોશમાં રંગ લાવી હતી. એમાં 'ચીનો અરબ હમારા હૈ …' ગીત તો સીધું જ અલામા મુહમ્મદ ઇકબાલનાં પ્રસિદ્ધ બે ગીત 'ચીન-ઓ-અરબ હમારા, હિન્દોસ્તા હમારા, મુસ્લિમ હૈ હમ, વતન હૈ સારા જહાં હમારા' અને 'સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાઁ હમારા ..’ પર હુમલો કરવા બરાબર હતું. સાહિરનું આઝાદીના ગીત દસ વર્ષ પછી આવ્યું હતું. નહેરુનું હનીમૂન પૂરું થવા આવ્યું હતું અને દેશ યુદ્ધ, ભૂખમરો અને ગરીબીમાં કણસી રહ્યો હતો. સાહિરે એમાં દેશની સચ્ચાઈ મૂકીને ઇકબાલના કલ્પનિક આદર્શની મજાક ઉડાવી હતી.

ફિલ્મ સંગીતના ચાહકો મોહમ્મદ ઝહુર હાશ્મી ઉર્ફે ખય્યામને (ખય્યામ એટલે ખેમો, ડેરા-તંબુ, બનાવનાર) ઉમરાવ જાન, રઝિયા સુલતાન, કભી કભી, નૂરી, બજાર, થોડી સી બેવફાઈ અને આહિસ્તા આહિસ્તાનાં કર્ણપ્રિય સંગીત માટે કાયમ યાદ રાખશે. ખય્યામ સાહિત્યિક સંગીતકાર હતા, એવું કહેવામાં અતિશયોક્તિ નથી. એ ખાલી ધૂન બનાવતા ન હતા, તેમને કવિતાની સૂઝ પણ હતી.

ખય્યામ પંજાબના રાહોનમાં ૧૮ ફેબ્રુઆરી ૧૯૨૭ના રોજ જન્મ્યા હતા. ભણવામાં એ કમજોર અથવા ઉદાસીન હતા. તેમના પિતા લખવા-વાંચવાના શોખીન હતા, એટલે દીકરાને રખડતો જોઇને ધમકાવતા રહેતા. ૧૧ વર્ષની ઉંમરે એ દિલ્હીમાં એમના કાકાના ઘેર નાસી ગયા હતા. ત્યાંથી લાહોર અને મુંબઈ ગયા. ૧૭ વર્ષની ઉંમરે ગાવા-વગાડવાનું શીખ્યા હતા. ત્યારના એમના ગુરુ હતા પંડિત હંસલાલ, પંડિત ભગતરામ અને બાબા ચિસ્તી.

નસીબ કહો કે બદ્દનસીબ, ૧૯૪૩માં એ ભારતીય સૈન્યમાં ભરતી થયા ગયા, કારણ કે (એમના શબ્દોમાં), "હિટલર સામેના યુદ્ધમાં જો મદદ કરશે, તો બ્રિટિશ સરકારે ભારતને સ્વતંત્રતા આપવાની ખાતરી આપી હતી." ખય્યામ મશહુર શાયર ફૈઝ અહેમદ ફૈઝની સંગીત મંડળીના સભ્ય હતા. આ મંડળીનું કામ લોકો વચ્ચે જઈને મનોરંજન કરવાનું અને તેમને સૈન્યમાં જોડાવા પ્રેરણા આપવાનું હતું. આ ફૈઝ ખય્યામને પાછળથી એક આગવો ખિતાબ આપવાના હતા, પણ તેની વાત પછી.

ખય્યામનું લાહોર, રાવલપીંડી અને પુણેમાં પોસ્ટીંગ હતું. ત્યાં પણ એ ગીતો ગાવા માટે મશહુર હતા, અને ઓફિસરો એમની પાસે મહેફિલ કરાવતા. એમનો જીવ સંગીતમાં હતો અને કે.એલ. સાયગલની જેમ ફિલ્મોમાં ગાવું હતું, એટલે સૈન્ય છોડીને મુંબઈ આવી ગયા.

ત્યાં એ સંગીતકાર રહેમાન સાથે જોડાયા. વિભાજન થઇ ગયું હતું, અને દેશનું વાતાવરણ કોમવાદી હતું. પંડિત હંસલાલના સૂચનથી ખય્યામ અને રહેમાને 'શર્માજી-વર્માજી' એવું વિચિત્ર નામ ધારણ કર્યું. તેમની ડેબ્યુ ફિલ્મ ૧૯૪૮ની હીર-રાંઝા હતી, જેમાં મુમતાઝ શાંતિ હિરોઈન' અને ગુલામ મોહમ્મદ હિરો હતો. ખય્યામ તરફ લોકોનું ધ્યાન ખેંચાયું ફિલ્મ 'બીવી'(૧૯૫૦)માં મોહમ્મદ રફીના ગીત 'અકેલે મે વો ધબરાતે તો હોંગે, મિટા કે મુજકો પછતાતે તો હોંગે’થી.

મીના કુમારીની માતા જદ્દનબાઈએ ખય્યામનો ભેટો પેશાવરના લેખક-નિર્માતા ઝિયા સરહદીને કરાવ્યો, અને એમની ફિલ્મ 'ફૂટપાથ'(૧૯૫૨)માં, સરહદીના સૂચનથી જ, ખય્યામ નામથી પદાર્પણ કર્યું. તલત મેહમૂદે ગયેલું એનું ગીત 'શામ-એ-ગમ કી કસમ' ઘણું જાણીતું થયું, અને અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી.

ઉપર જેની વાત કરી, તે ફૈઝ અહેમદ ફૈઝ વર્ષો પછી એક વાર રાજ કપૂરને ડીનર પર મળવા આવ્યા, તો રસ્તામાં ખય્યામને ત્યાં ચા-પાણી પીવા રોકાયા. બીજા પણ મહેમાનો ત્યાં હાજર હતા. ડ્રીંક ઉપર તડાકા વાગતા હતા, એવામાં ખય્યામની વાત નીકળી, તો ફૈઝ બોલ્યા, ખય્યામ સંગીતકાર નથી. એકદમ સન્નાટો. લોકોને સમજ ના પડી. બધાને થયું, ફૈઝ સા'બ કેમ આવું અવળું બોલ્યા. ફૈઝે ધીમેથી ઉમેર્યું, ખય્યામ ધૂનના કવિ છે!

ભારતીય ફિલ્મ સંગીતમાં ધૂનની કવિતા રચવાની વાત નીકળશે, તો લોકો હજાર રાહેં મૂડ કે ખય્યામને જોશે.

અલવિદા, ખય્યામ સા’બ.

https://www.facebook.com/permalink.php?story_fbid=2351792285148817&id=1379939932334062&__tn__=K-R 

Loading

ચલ મન મુંબઈ નગરી — 7

દીપક મહેતા|Opinion - Opinion|26 August 2019

વાડિયા મૂવીટોન, હન્ટરવાલીથી શ્રી કૃષ્ણલીલા

ભૂસ્તરશાસ્ત્રી અને ઉદ્યોગપતિ વાડિયાઓ 

જમશેદ અને હોમી વાડિયા

વાડિયા કુટુંબ વિશેની વાત ગયે અઠવાડિયે અધૂરી રહી હતી, એ આજે આગળ વધારીએ. હન્ટરવાલી, હિન્દ કેસરી, મિસ ફ્રન્ટિયર મેલ, પંજાબ મેલ, ડાયમંડ ક્વીન, બમ્બઈવાલી, બચપન, શ્રી રામ ભક્ત હનુમાન, ધૂમકેતુ, શ્રી ગણેશ મહિમા, જંગલ કે જવાહર, ચાર દરવેશ, ખિલાડી, શ્રી કૃષ્ણ લીલા, એડવેન્ચર્સ ઓફ અલ્લાદીન. જેમને આપણી જૂની ફિલ્મોમાં રસ હશે તેમને તો તરત ખ્યાલ આવશે કે આ બધાં નામો એક જમાનામાં બહુ ગાજેલી ફિલ્મોનાં નામ છે. અને સાથોસાથ કેટલાકને કદાચ સવાલ પણ થશે કે વહાણ બાંધકામના ક્ષેત્રે આખી દુનિયામાં નામ કાઢનાર ખાનદાનની વાત કરતી વખતે આ બધી ફિલ્મોનાં નામ લેવાની શી જરૂર? પણ જે લવજી વાડિયાએ અને તેમના બેટાઓએ વહાણો બાંધીને તરાવ્યાં તે જ કુટુંબના બે નબીરાઓએ આ અને આવી બીજી ફિલ્મો બનાવીને ફરતી મૂકી હતી.

જમશેદ બોમન હોમી (જે.બી.એચ.) વાડિયાનો જન્મ ૧૯૦૧ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે, અને તેઓ બેહસ્તનશીન થયા ૧૯૮૬ના જાન્યુઆરીની ૪થી તારીખે. એમના ભાઈનું નામ હોમી વાડિયા. એમનો જન્મ ૧૯૧૧ના મે મહિનાની ૨૨મી તારીખે અને ૨૦૦૪ના ડિસેમ્બરની ૧૦મી તારીખે તેઓ ખોદાઈજીને પ્યારા થઈ ગયા. આ બંને ભાઈઓએ મળીને વાડિયા મૂવિટોન નામની કંપની શરૂ કરેલી, અને તેના નેજા નીચે તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મો બનાવી. બે ભાઈઓમાંથી જમશેદ વાડિયા ફિલ્મોનું દિગ્દર્શન કરતા, પટકથા લખતા, ફિલ્મોનું નિર્માણ કરતા. આ બંને ભાઈઓ જ્યારે ફિલ્મ ઉદ્યોગમાં દાખલ થયા ત્યારે હજી આપણે ત્યાં મૂંગી ફિલ્મનો જમાનો ચાલતો હતો. જમશેદ વાડિયાએ પહેલી ફિલ્મ ‘વસંતલીલા’ ૧૯૨૮માં બનાવી અને પછી બીજી 11 મૂંગી ફિલ્મો દાદરના કોહિનૂર સ્ટુડિયોમાં બનાવીને લોકો સમક્ષ રજૂ કરી. આ ફિલ્મોને પ્રમાણમાં સારો આવકાર મળ્યો હતો.

મૂંગી ફિલ્મો પછી આપણે ત્યાં બોલપટ — ટોકીઝનો યુગ શરૂ થયો. એટલે પોતાના નાના ભાઈની સાથે જમશેદભાઈએ ૧૯૩૩માં વાડિયા મૂવિટોન નામની કંપની શરૂ કરી અને પહેલી બોલતી ફિલ્મ તેમણે બનાવી તેનું નામ લાલ-એ-યમન. તેની કથા અરેબિયન નાઇટ્સ પર આધારિત હતી. આ ફિલ્મને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળી. ત્યારથી હિન્દી ફિલ્મોના ક્ષેત્રે વાડિયા મૂવિટોનનું નામ ગાજતું થયું. અને જમશેદભાઈએ પોતાના આ કામમાં ભાઈ હોમીને, ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર મનચેરશાહ બિલીમોરિયાને, અને તાતા કુટુંબના બે ભાઈઓ બરજોર અને નાદિરશાહને પણ વાડિયા મૂવિટોનમાં ભાગીદાર બનાવ્યા.

વાડિયા મૂવીટોને હિન્દી ફિલ્મ ક્ષેત્રે કેટલીક નવી બાબતો દાખલ કરી. તેમણે ઇન્ડિયન ગેઝેટ નામની એક ફિલ્મ બનાવી જેમાં પહેલી વાર એક સ્ટન્ટ એક્ટ્રેસ મુખ્ય પાત્ર ભજવતી હતી. આ ઉપરાંત તેમણે હરિપુરા કોંગ્રેસ વિશે પણ એક લાંબુ દસ્તાવેજી ચિત્ર તૈયાર કર્યું હતું. એ જમાનાના કેટલાક શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયકોને લોકો સામે રજૂ કરવા માટે તેમણે વાડિયા મૂવિટોનનો વેરાઈટી પ્રોગ્રામ તૈયાર કર્યો. તેમાં પંડિત ફિરોઝ દસ્તુર, બાલ ગાંધર્વ, મલ્લિકા પુખરાજ, અને પંડિત તીર્થંકર જેવા સંગીતકારોને તેમણે લોકો સમક્ષ રજૂ કર્યા. વાડિયા મૂવિટોને એક બીજી નવાઈની વાત કરી. તેમણે બનાવેલી ‘નવજવાન’ નામની ફિલ્મમાં એક પણ ગીત નહોતું. તે અગાઉ ફિલ્મો માટે ગીતો અનિવાર્ય મનાતાં હતાં. આ ઉપરાંત તેમણે ‘કોર્ટ ડેન્સર’ નામની ફિલ્મ અંગ્રેજીમાં બનાવી હતી પણ સાથોસાથ તેનું હિન્દી અને બંગાળી રૂપાંતર પણ રજૂ કરવામાં આવ્યું હતું. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા અને આપણો દેશ સ્વતંત્ર થયો તે પછી સિંધી ભાષામાં સૌથી પહેલી ફિલ્મ ‘એકતા’ પણ વાડિયા મૂવિટોને બનાવી એટલું જ નહીં, આપણા દેશમાં જ્યારે ટેલિવિઝન દાખલ થયું ત્યારે તેને માટે સૌથી પહેલી સિરિયલ પણ વાડિયા મૂવિટોને બનાવેલી જેનું નામ હતું હોટેલ તાજમહાલ.

૧૯૩૦ના દાયકામાં જમશેદ વાડિયા દેશની આઝાદી માટેની લડત સાથે નિકટતાથી સંકળાયેલા રહ્યા. પહેલાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના તેઓ એક અનુયાયી હતા. પછીથી તેઓ એમ.એન. રોયની અને તેમના રેડિકલ હ્યુમનીઝમની અસર નીચે આવ્યા. એમ.એન. રોય સાથેની મૈત્રીને કારણે વાડિયા દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પરિવર્તન કરવાના આગ્રહી બન્યા. નારીમુક્તિ, અંધશ્રદ્ધા નિર્મૂલન, જ્ઞાતિવાદનો વિરોધ અને દેશના એકેએક નાગરિકને માટે શિક્ષણની અનિવાર્યતા જેવી બાબતોને તેમણે પોતાની ફિલ્મોમાં વણી લેવાનું શરૂ કર્યું. તેમની આવી કેટલીક ફિલ્મો એટલે રાજનર્તકી, વિશ્વાસ, બાલમ, મદહોશ, મેલા, આંખ કી શરમ, મંથન અને અમર રાજ. પણ તેમની ફિલ્મ કારકિર્દીમાં મોટો પલટો આવ્યો તે તો ડાયમંડ ક્વીન નામની ફિલ્મથી. તેમાં મુખ્ય પાત્ર રૂપે ફિયરલેસ નાદિયાએ કામ કર્યું હતું અને એ ફિલ્મ દ્વારા દેશમાં સમૂળી ક્રાંતિ લાવવાની અને ભ્રષ્ટાચારને દૂર કરવાની હિમાયત વાડિયાએ કરી હતી. અને સાથોસાથ ફિયરલેસ નાદિયાના પ્રેક્ષકોના શ્વાસ થંભાવી દે તેવા સ્ટંટ પણ એ ફિલ્મમાં તેમણે બતાવ્યા હતા.

જમશેદ વાડિયાએ એમ.એ. અને એલ.એલ.બીની ડિગ્રી મેળવી હતી અને ફારસી, ગુજરાતી, અને ઉર્દૂ જેવી ભાષાઓ પર તેઓ સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત કાયદાના ક્ષેત્રે કરી, પણ થોડા વખતમાં જ તેમને સમજાયું કે તેમના રસનું ક્ષેત્ર આ નથી, પણ સિનેમા છે. કુટુંબનો આવો ભણેલો-ગણેલો છોકરો વકીલાત કરવાને બદલે ફિલ્મ લાઈનમાં પડે એ તેમનાં કુટુંબીજનોને જરા ય ગમ્યું નહોતું અને એટલે તેમણે જમશેદ અને તેમના ભાઈ હોમી બંનેનો શરૂઆતમાં વિરોધ કર્યો હતો. પણ જેમ જેમ તેમની ફિલ્મોને સફળતા મળતી ગઈ તેમ તેમ કુટુંબનો વિરોધ ઓછો થતો ગયો.

ફિયરલેસ નાદિયા

પણ થોડા જ વખતમાં જમશેદ અને હોમીનો વિરોધ કરવા માટે તેમનાં કુટુંબીજનોને એક બીજું કારણ મળી ગયું. પોતાની ફિલ્મોમાં સ્ટન્ટ એક્ટ્રેસ તરીકે કામ કરવા માટે જમશેદજીએ મેરી એન નામની અભિનેત્રીને શોધી કાઢી અને તેની પાસે પોતાની ફિલ્મોમાં દિલધડક સ્ટન્ટ કરાવ્યા. પણ તેને જોઈને નાના ભાઈ હોમીનું દિલ કોઈ જુદી જ રીતે ધડકવા લાગ્યું. તેઓ મેરી એન ઇવાન્સના પ્રેમમાં પડ્યા અને છેવટે તેને પરણ્યા. જમશેજીએ આ પ્રેમ પ્રકરણમાં સતત તેમનો સાથ આપ્યો અને ધીમે ધીમે કુટુંબીજનોને સમજાવ્યાં. પણ આ બંને ભાઈઓનાં મા ધનમાઈ છેવટ સુધી આ વાત માનવા તૈયાર થયા નહોતાં. એટલે તેમની હયાતીમાં હોમીએ લગ્ન કર્યાં નહીં. માતાના અવસાન પછી છેક ૧૯૬૧માં પ્રમાણમાં મોટી ઉંમરે હોમી અને મેરીએ લગ્ન કર્યાં. હોમી વાડિયાનાં પત્ની ફિયરલેસ નાદિયા મૂળ ઓસ્ટ્રેલિયાનાં હતાં અને તેમનું નામ હતું મેરી એન ઇવાન્સ. તેમનો જન્મ ૧૯૦૮ના જાન્યુઆરીની ૮મી તારીખે અને અવસાન ૧૯૯૬ના જાન્યુઆરીની ૯મી તારીખે. લશ્કરમાં કામ કરતા પિતા સાથે ૧૯૧૩માં પાંચ વર્ષની ઉંમરે તેઓ હિન્દુસ્તાન આવ્યાં. પણ પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૫માં તેમના પિતા જર્મન સૈનિકોને હાથે મરાયા. આથી કુટુંબ પેશાવર ગયું. ત્યાં તેઓ ઘોડેસવારી, શિકાર, મચ્છીમારી, અને નિશાનબાજી જેવાં જાતજાતનાં હિંમતભર્યાં કરતૂત શીખ્યાં. ૧૯૨૮માં માતાની સાથે તેઓ ફરી મુંબઈ આવ્યાં અને માદામ આસ્ત્રોવા પાસે બેલે નૃત્ય શીખવા લાગ્યાં. એમ કહેવાય છે કે એક અમેરિકન જોશીએ કહ્યું હતું કે આગળ જતાં તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ થવાની છે પણ એક શરતે: તમે જે ક્ષેત્રમાં કામ કરો તે ક્ષેત્રમાં તમારા પોતાના નામથી નહીં, પણ અંગ્રેજીના N અક્ષરથી શરૂ થતા નામથી કામ કરો તો જ સફળતા મળશે. આથી તેમણે પોતાનું અસલ નામ પાછળ મૂકીને નાદિયા નામ અંગીકાર કર્યું. તેમણે થોડો વખત નાટકોમાં અને સર્કસમાં પણ કામ કર્યું, પણ પછી જમશેદ વાડિયાની નજરે તેઓ ચડ્યાં અને ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી. નાદિયાએ સર્કસમાં કામ કરેલું એટલે જાતજાતના સ્ટંટ કરવામાં તેઓ ખૂબ જ કુશળ હતાં. તેથી જમશેદ વાડિયાએ તેમને કેન્દ્રમાં રાખીને એક પછી એક ફિલ્મો બનાવી જેને એ જમાનામાં ખૂબ લોકપ્રિયતા મળી. તેમની પહેલી ફિલ્મ હન્ટરવાલી ૧૯૩૫માં રિલીઝ થઈ અને ૧૯૬૮માં રિલીઝ થઈ તેમની છેલ્લી ફિલ્મ ખિલાડી. જમશેદજી પોતે હિલ્લા પટેલ નામની પારસી યુવતીને પરણ્યા હતા. તેમને બે બાળકો થયાં, દીકરો વિન્સી અને દીકરી હૈદી. તેમાંથી વિન્સી વાડિયાએ નરગીસ ખંભાતા સાથે લગ્ન કર્યાં. આ નરગીસ ખંભાતાએ ઈન્ટરપબ્લીસિટી અથવા ઇન્ટરપબ નામની એડવર્ટાઇઝિંગ એજન્સી શરૂ કરી. માત્ર ભારતમાં જ નહિ, આખા એશિયા ખંડમાં આવી એજન્સી શરૂ કરનાર તેઓ પહેલાં મહિલા હતાં.

જમશેદજીના નાનાભાઈ હોમી વાડિયા સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી કોલેજમાં દાખલ થયા, પણ ફક્ત એક દિવસ માટે જ. કારણ તેમણે નક્કી કરી લીધું કે આ ભણવા-બણવાનું કામ આપણું નહીં. આપણે તો ફિલમ બનાવવાનું કામ જ કરવાનું. અને એટલે તેઓ મોટાભાઈની સાથે તેમના કામમાં જોડાઈ ગયા. હોમીભાઈએ બનાવેલી છેલ્લી ફિલ્મ રાજનર્તકી ૧૯૪૧માં રજૂ થઈ હતી. ત્યારબાદ ૧૯૪૨માં એમનો વાડિયા મૂવિટોનનો સ્ટુડિયો વી. શાન્તારામે ખરીદી લીધો અને એ જગ્યાએ રાજકમલ કલામંદિરની સ્થાપના કરી. એ પછી હોમી વાડિયાએ પોતાની નવી કંપની શરૂ કરી, એનું નામ બસંત પિક્ચર્સ રાખ્યું. ૧૯૪૭માં તેમણે બસંત સ્ટુડિયોની સ્થાપના કરી. ૧૯૮૧ સુધી આ સ્ટુડિયો કામ કરતો હતો. હોમીભાઈએ ફિલ્મો ઉપરાંત નાટકોમાં પણ કામ કર્યું. તેમની નાદિયા સાથેની ફિલ્મો હંટરવાલી, મિસ ફ્રન્ટિયર મેલ, હાતિમ તાઈ, વગેરેને કારણે હોમીભાઈનું નામ ગાજતું થયું. થયું પણ ૧૯૮૧માં યુનિયન લીડર દત્તા સામંત સાથે તેમને ઝઘડો થયો અને તેમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો ન જણાતાં તેમણે સ્ટુડિયો વેચી દીધો અને ફિલ્મ ક્ષેત્રમાંથી સંન્યાસ લઇ લીધો.

વાડિયા કુટુંબનું એક મોટું ઔદ્યોગિક સાહસ તે બોમ્બે ડાયિંગ. તેની સ્થાપના ૧૮૭૯માં થઈ હતી. તેનું વડું મથક મુંબઇમાં આવેલું છે અને દેશના કાપડ ઉદ્યોગમાં આ ગ્રુપ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં નસ્લી વાડિયા તેના ચેરમેન છે. વાડિયા ઉદ્યોગ સમૂહમાં બોમ્બે ડાઈંગ ઉપરાંત ગો એર, બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.

ડી.એન. વાડિયાનાં માનમાં ૧૯૮૪માં બહાર પડેલી ટિકિટ

આ ઉપરાંત વાડિયા ખાનદાનના ઘણા નબીરાઓએ જુદાં જુદાં ક્ષેત્રોમાં આગળ પડતું કામ કર્યું છે. તેમાંથી કેટલાંકનાં નામ અને કામ જોઈએ. દારાશાહ નોશેરવાન વાડિયાનો જન્મ ૧૮૮૩ના ઓકટોબરની ૨૫મી તારીખે અને એમનું અવસાન ૧૯૬૯ના જૂનની ૧૫મી તારીખે. આપણા દેશના શરૂઆતના જિયોલોજિસ્ટ(ભૂસ્તરશાસ્ત્રી)ઓમાંના તેઓ એક હતા, અને તેમણે સર્વે ઓફ ઇન્ડિયામાં હિમાલયના અભ્યાસ અંગે મહત્ત્વની કામગીરી બજાવી હતી.  ૧૯૫૮માં ભારત સરકાર તરફથી તેમને પદ્મભૂષણનું સન્માન મળ્યું હતું. આપણા ટપાલ ખાતાએ ૧૯૮૪માં તેમના માનમાં ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. નેવિલ વાડિયાએ વેપાર ઉદ્યોગના ક્ષેત્રે નામના મેળવી હતી અને ઘણાં વર્ષો સુધી તેઓ બોમ્બે ડાઇનિંગના ચેરમેન રહ્યા હતા. પણ તેમનું નામ લોકોની જીભે ચડ્યું તે તેમનાં લગ્નને કારણે. પછીથી પાકિસ્તાનના સ્થાપક બનેલા મહંમદઅલી ઝીણાની દીકરી દીના સાથે ૧૯૩૮માં તેમણે લગ્ન કર્યાં. નેવિલ હતા પારસી અને પત્ની હતાં મુસ્લિમ. એથી એ જમાનામાં સારો એવો ઊહાપોહ થયો હતો. જો કે તેમનું આ લગ્ન બહુ લાંબું ટકયું નહીં. ૧૯૪૩માં તેમણે છૂટા છેડા લીધા. તેમને બે સંતાનો, નસલી વાડિયા અને ડાયના વાડિયા. તેમાંથી પિતાના અવસાન પછી નસલી વાડિયા બોમ્બે ડાઇનિંગના ચેરમેન બન્યા.

વાડિયા મૂવીટોનનો લોગો

હવે વાડિયા ખાનદાનની વિદાય લેતાં પહેલાં એક ખાસ વાત: વાડિયા ભાઈઓએ વાડિયા મૂવીટોન નામની કંપની અને સ્ટુડિયો શરૃ કર્યાં અને તેને માટે લોગો પણ બનાવ્યો. પણ આ લોગોમાંનું ચિત્ર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલું નહોતું, પણ એ લોગોમાં એક વહાણ મૂકવામાં આવ્યું હતું, અને એ રીતે વાડિયા ખાનદાનના આદિ પુરુષ લવજી નસરવાનજી વાડિયા પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું.

વાડિયા મૂવીટોનની ફિલ્મનું પોસ્ટર

પારસી વાડિયા ભાઈઓએ કેટલીક હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો પણ બનાવી હતી. તેમાંની એક શ્રી કૃષ્ણ લીલા (૧૯૭૧). આજે દહીં કાલાના તહેવારના દિવસે એ ફિલ્મના એક ગીતની થોડી પંક્તિઓ:

સત્યમ્ શિવમ્ સુન્દરમ્,
અનુપમ, અમર કૃષ્ણલીલા,
મનોહર મધુર કૃષ્ણલીલા,
કે જય જય સીરી કૃષ્ણલીલા. 

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 ઑગસ્ટ 2019

Loading

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે

દીપક મહેતા|Opinion - Literature|25 August 2019

ગાંધીજીની માતૃભાષા વધુ સરળ બનશે, વધુ લોકો તેને વાપરતા થશે તો ગાંધીજીને આનંદ જ થશે

આજે [24 ઑગસ્ટ 2019] વિશ્વ ગુજરાતી ભાષા દિવસ.

એટલે કે દુનિયાના કુલ ૧૯૦ દેશોમાંથી ૧૨૯ દેશોમાં વસતા લોકોની ભાષાનો દિવસ. આપણા દેશની બીજી કોઈ ભાષા બોલનાર લોકો આટલી મોટી સંખ્યામાં, આટલા બધા દેશોમાં વસતા નથી. અને છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં વારંવાર બૂમો સંભાળવા મળે છે કે ‘ગુજરાતી ભાષા મરવા પડી છે.’ પણ ૧૨૯ દેશોમાં બોલાતી ગુજરાતી ભાષા મરવા કઈ રીતે પડી હોય? લગભગ છ કરોડ લોકોની માતૃભાષા હોય તે ભાષા મરવા કઈ રીતે પડી હોય? ખાનપાન, પહેરવેશ, રીતરિવાજ, ધર્મભાવના વગેરેમાં પરદેશમાં પણ પોતાપણું જાળવી રાખવા માટે આગ્રહી હોય એવી પ્રજાની ભાષા મરવા કઈ રીતે પડી હોય? ના. ગુજરાતી ભાષા મરવા પડી નથી. મરવા પડી શકે તેમ નથી.

પણ એનો અર્થ એવો નથી કે ગુજરાતી ભાષાની સ્થિતિ રાતી રાયણ જેવી છે. હા, જેનો ઈલાજ કરવો પડે એવી માંદગી તો છે. રોજેરોજના વ્યવહારમાંથી બોલાતી ગુજરાતી ભાષાની બાદબાકી થઇ નથી, થવાની નથી. પણ જે માંદગી છે તે લખાતી, છપાતી અને વંચાતી ગુજરાતી ભાષાની છે. આજે આપણી પ્રજાનો એક ઘણો મોટો વર્ગ એવો છે જે ગુજરાતી બોલે અને સમજે છે ખરો, પણ લખવા-વાંચવામાં તેનો ઉપયોગ ઓછોમાં ઓછો કરે છે. અને આ પરિસ્થિતિ માટે માત્ર અંગ્રેજી માધ્યમના શિક્ષણને માથે દોષનો ટોપલો ઓઢાડી દેવાથી કામ નહિ સરે. હા. અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે, પણ તે મુંબઈમાં અને ગુજરાતનાં થોડાં મોટાં શહેરોમાં. તે સિવાયનાં સંખ્યાબંધ ગામોમાં, ગામડાંઓમાં તો હજી ગુજરાતી માધ્યમ જ મુખ્ય અને મહત્ત્વનું છે. અને શહેરોમાં કે બીજે જે વાલીઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મોકલતાં હોય તેમને પણ ગાળો દેવાથી કશો અર્થ સરવાનો નથી. કારણ ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે, વ્યવહારુ પ્રજા છે. એટલે જેમાં લાભ થશે એમ લાગતું હોય તે કામ પહેલું કરશે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી નોકરી-ધંધામાં ખરેખર લાભ થાય છે કે નહિ એ ચર્ચાનો વિષય હોઈ શકે. પણ અંગ્રેજીમાં જેને ‘પરસેપ્શન’ કહે છે તે તો એવું છે કે લાભ થાય છે. અને જ્યાં લાભ દેખાય ત્યાં ગુજરાતી ન જાય એવું બને નહિ. સિગરેટ કે દારુ હાનીકારક હોવા છતાં તેને વિશેના એક યા બીજા પરસેપ્શનને કારણે લોકો તેનું સેવન કરે છે. તેવી જ રીતે અંગ્રેજી માધ્યમનું પણ સેવન કરે છે. એટલે ઘણી મોટી સંખ્યાના લોકો આજે લખાતી-વંચાતી ગુજરાતી ભાષાથી દૂર થતા જાય છે.

જે લોકો દૂર ગયા છે તેમને પાછા નજીક લાવવા માટે શું કશું જ થઇ શકે તેમ નથી? આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. પણ આ માટે પહેલ કરવી પડે ગુજરાતી ભાષા લખનાર અને છાપનાર લોકોએ. સંસ્કૃતની એક ઉક્તિ કહે છે કે જેવો ભાષક તેવી ભાષા, જેવો બોલનાર તેવી બોલી. એટલે પહેલી વાત તો એ કે લખાતી-છપાતી ગુજરાતી ભાષા તેના બોલનારને પોતીકી લાગે એવી હોવી જોઈએ. એટલે કે બોલાતી ભાષા અને લખાતી ભાષા વચ્ચે બહુ મોટું અંતર હોવું ન જોઈએ. એક દાખલો: રોજિંદી બોલચાલમાં આપણે છાપું શબ્દ જ વાપરીએ છીએ, વર્તમાનપત્ર કે અખબાર શબ્દ નહિ. કોઈ પણ ગુજરાતી ઘરમાં ‘આજે છાપાં મોડાં આવ્યા’ એમ જ બોલશે. વર્તમાનપત્ર કે અખબાર મોડું આવ્યું એમ નહિ બોલે. પણ આપણા ઘણા ભણેશરીઓ લખતી વખતે સંસ્કૃત શબ્દો વાપરવાનો આગ્રહ હજી રાખે છે. રોજિંદા વ્યવહારમાં પણ વપરાતા અંગ્રેજી શબ્દોની આભડછેટ પાળે છે. આજની તારીખે પણ આપણા એક પ્રતિષ્ઠિત લેખક ‘સીડી રોમ’ને બદલે બોલવા-લખવામાં ‘ઘનાંકિતા’ જેવો કૃત્રિમ, ઉપજાવી કાઢેલો સંસ્કૃત શબ્દ વાપરવાનો આગ્રહ રાખે છે. પણ અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાના જે શબ્દો આપણા લોકોએ તેમના રોજિંદા વ્યવહારમાં અપનાવ્યા છે તેનાથી લખાતી ભાષા કેટલો વખત દૂર રહી શકશે? અંગ્રેજી ભાષા દિવસે દિવસે વધુ સમૃદ્ધ, વધુ પ્રચલિત થતી જાય છે એનું એક કારણ એ છે કે દર વર્ષે જુદી જુદી અનેક ભાષાના શબ્દોને તે અપનાવતી રહે છે. ઓક્સફર્ડ અને વેબસ્ટર જેવી પ્રતિષ્ઠિત ડિક્ષનરીઓ આવા શબ્દોની યાદીઓ બહાર પાડે છે. અને તેમાં ગુજરાતી સહિતની ભારતની ભાષાઓના શબ્દો પણ હોય છે જ. આજે હવે કિન્ગ્ઝ કે ક્વીન્સ ઇંગ્લિશનો આગ્રહ ભાગ્યે જ કોઈ રાખે છે. ઓક્સફર્ડ ડિક્ષનરી ઉથલાવતાં આજે તેમાં દાદાગીરી, બાપુ, સૂર્ય નમસ્કાર, ગુલાબ જાંબુ, ચમચા, નાટક, ચૂપ, જેવા ભારતીય ભાષાઓના અનેક શબ્દો જોવા મળશે. પણ આપણા કેટલાક કહેવાતા ભાષાભક્તો અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. (અલબત્ત, તેમનાં પોતાનાં સંતાનો ઇંગ્લન્ડ-અમેરિકામાં ભણતાં હોય છે.) પણ જો લખાતી-છપાતી ગુજરાતી ભાષાને લોકો સુધી લઇ જવી હોય તો આવું બાપના કૂવામાં ડૂબી મરવાનું વલણ બદલવું પડશે.

ગુજરાતી ભાષામાં લેખન કરવાથી આજે ઘણા ડોકટર, વકીલ, વૈજ્ઞાનિક, અને અન્ય વ્યવસાયના લોકો દૂર રહે છે તેનું એક કારણ છે તેની ખૂબ જ ગૂંચવણભરી જોડણીની વ્યવસ્થા. ગુજરાતી ભાષાનો પ્રમાણભૂત જોડણીકોશ મનાય છે એ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં જોડણીને લગતા કુલ ૩૩ નિયમ આપ્યા છે! અને લગભગ દરેક નિયમમાં પાછા અપવાદ નોંધ્યા છે! હવે તમે જ કહો, આ ૩૩ નિયમ અને તેના અપવાદ કેટલાને યાદ રહે? એ યાદ રાખીને કેટલા લોકો લખી શકે? એટલે આ અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. જેમ કે ૩૩ નિયમમાંનો પહેલો જ નિયમ કહે છે: ‘સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.’ આનો સીધો સાદો અર્થ એ થયો કે તમે ગુજરાતીમાં લખો તે પહેલાં તમને સંસ્કૃત ભાષા અને તેનું વ્યાકરણ આવડતાં હોવાં જોઈએ! પણ આજે કેટલા ગુજરાતીઓ એ જાણે છે? આપણે જેને ‘જોડણી’ કહીએ છીએ તેને મરાઠીમાં ‘શુદ્ધ લેખન’ કહે છે. મરાઠી શુદ્ધ લેખનના નિયમોમાં આ અંગે ઘણી સરળતા જોવા મળે છે. ઘણાખરા સંસ્કૃત શબ્દોને પણ મરાઠી ‘શુદ્ધ લેખન’ના નિયમો લાગુ પડે છે. જેમ કે મરાઠીમાં ‘કવી’, ‘રવી’ એમ જ લખાય છે, ‘કવિ’, ‘રવિ’ નહિ. કારણ મરાઠી શુદ્ધ લેખનનો એક નિયમ છે કે શબ્દને અંતે આવતો ઈકાર હ્રસ્વ નહિ પણ દીર્ઘ જ લખવો. અને કવિ કે રવિમાં દીર્ઘ ઈ લખાય છે તેથી મરાઠી કવિઓ નથી મરવા પડ્યા કે નથી રવિ (સૂરજ) મરાઠીભાષીઓ પર રોષે ભરાતો. ગુજરાતીમાં પણ આપણે અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દો લખતી વખતે આપણી રીતે જ તે શબ્દો લખીએ છીએ. જેમ કે કોઈ અંગ્રેજ બચ્ચો ‘ટિકિટ’ કે ‘પ્લમ્બર’ બોલતો નથી. તેનો અંગ્રેજી ઉચ્ચાર ‘ટિકેટ’ અને ‘પ્લમર’ થાય છે. પણ આપણે આ શબ્દો એ રીતે લખતા નથી. ગુજરાતીમાં જે રીતે બોલાય છે તે રીતે જ લખીએ છીએ. તો પછી સંસ્કૃત શબ્દોની જોડણી સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરવી એવો દુરાગ્રહ શા માટે? દરેક ગુજરાતીને સંસ્કૃત તો આવડવું જ જોઈએ એમ આપણે માનીએ છીએ? દાદી પાસેથી વારસામાં મળેલાં સોનાનાં ઘરેણાં આપણે વેચી ન નાખીએ, પણ આપણી જરૂરિયાત પ્રમાણે, જમાનાની માગ પ્રમાણે, એનાં ઘાટઘૂટ તો બદલી જ શકીએ ને?

પણ ના. કારણ? ૧૯૨૯માં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારથી આજ સુધી તેને પહેલે પાને ગાંધીજીનું એક વાક્ય છપાતું આવ્યું છે: “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” કમનસીબે આ વાક્યનો અર્થ આપણે એવો કર્યો છે કે આ કોશમાં જે નિયમો છાપ્યા છે, જે જોડણી આપી છે તે જ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી જેમનાં તેમ રાખવાનાં છે. તેમાં કશો ફેરફાર, સુધારો, વધારો, ઘટાડો કરાય નહિ. પણ હકીકતમાં અહીં ગાંધીજી અરાજકતાનો વિરોધ કરે છે, સ્વેચ્છાચારનો વિરોધ કરે છે, દરેક જણ મનમાની રીતે લખે તેનો વિરોધ કરે છે. ભાષામાં સહજ અને સ્વાભાવિક રીતે આવતા પરિવર્તનનો વિરોધ કરતા નથી. ગાંધીજી જેવો ડાયનેમિક માણસ કદી પરિવર્તનનો વિરોધ કરે ખરો? બીજો કોઈ ઉપાય નથી એવી ખાતરી થતાં જેણે દેશના ભાગલા પણ સ્વીકાર્યા, એ માણસ ભાષા અને જોડણીમાં ક્યારે ય કશું બદલી શકાય જ નહિ એવું કહે? ના. ગાંધીજીની માતૃભાષા ગુજરાતી વધુ સરળ બનશે, વધુ લોકો તેને લખતાં, વાંચતાં, બોલતાં, સમજતાં થશે તો ગાંધીજીને તો આનંદ જ થશે. ગાંધીજીને આનંદ થાય એવું આપણે કરીશું? ક્યારે? એવું કરવાનો નિર્ધાર કરવા માટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કરતાં વધુ રૂડો દિવસ બીજો કયો હોઈ શકે?

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...2,7412,7422,7432,744...2,7502,7602,770...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved