Opinion Magazine
Number of visits: 9683976
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપૂર્વ આશ્ચર્ય : મુંબઈનું એરપોર્ટ

કનુ સૂચક|Opinion - Opinion|6 November 2019

શાળાજીવનમાં આબુ દેલવાડાના પ્રવાસ સમયે નખી તળાવના ઘાટ પર બેસાડી અમારા સહાયક શિક્ષકે એક વાત કહી; ‘જે કવિતા અભ્યાસક્રમમાં તમે શીખો છો તે કવિતા, “સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.” શ્રી ઉમાશંકર જોશીએ કદાચ આ જ સ્થળે બેસી લખી હશે.’

અભિધામાં પણ આ પંક્તિનું ઉરસૌંદર્ય મનને મધુર આનંદથી તરબોળ કરી દે છે. અભિપ્રેત અર્થવ્યાપને અંશત: પામવાની ઘટના બની આબુ-દેલવાડાના અનુપમ શિલ્પો જોઈને. ત્યાંના એક મંદિરમાં ગુંબજને વારંવાર ઊંચી ડોક કરીને જોતાં પણ સંતોષ થતો ન હતો, ત્યારે મિત્ર ગફૂર પરમારે કહ્યું, ‘સૂચક! ફર્સ પર ચત્તા સૂઈ જઈને જો!’ આનંદની એ પળોએ સમજના દરવાજા પર જાણે દસ્તક પડી. કાવ્ય, શિલ્પ અને ચિત્રોમાં લાઘવનો મહિમા છે. ભાવક સ્વયંસમજના ભાવવિશ્વનો વિસ્તાર ન કરે ત્યાં સુધી તેને દર્શન તો પ્રસન્ન કરશે જ પરંતુ ઉરઝરણમાં આનંદની સતત વહેવાની પ્રક્રિયાનું સાફલ્ય નહીં મેળવે. આ પ્રાસ્તાવિક જે વાત કરવી છે તેના અનુસંધાન માટે છે.

ઘર આંગણે, કાવ્ય સમાન ચિત્રો અને શિલ્પોની વાત કરવી છે. આપણું શહેર મુંબઈ, કયારે ય સૂતું નથી. પૂર્ણ ભારતનો એ ધબકાર છે. મુંબઈની મધ્યમાં જ ‘છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટૃીય એરપોર્ટ’ આવેલું છે. તેમાંથી વર્ષે પચાસ લાખથી વધુ લોકો દિવસરાત પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા નિશ્ચિત કરેલા પ્રવેશદ્વાર તરફ દોટ મૂકે છે. અહીં આંખને વિરામ આપે તેવો કલાબ્ધિ શાંત સ્વરૂપે પ્રસરેલો છે. પરંતુ આંખ ઠેરવી આ અપૂર્વ આનંદની ઉપલબ્ધિ માણવાનો પ્રવાસીઓ પાસે સમય જ નથી. વિખ્યાત ચિત્રકારો, શિલ્પીઓ, હસ્તકારીગરી અને સાંસ્કૃતિક વિરાસતની સાત હજારથી વધુ કૃતિઓને આપણી સાથે સંવાદ કરવો છે. તેની મૌન વાચાને ઉકેલવા એ આમંત્રણ આપે છે. આ કલા સંગ્રહસ્થાનની પરિકલ્પના કરનાર વિશ્વકર્માની દૃષ્ટિમાં આપણી ઉતાવળ અને પળોજણ ધ્યાન બહાર નથી. અને એટલે જ આ કૃતિઓને આપણે જે કંઈ વિધિઓ કરવાના હોઈએ ત્યાં સઘળે અને સાથે રહે તેવું કુશળ આયોજન કર્યું છે. લગભગ સાડા ત્રણ કિલોમીટર ચોકડી આકારના વિસ્તારમાં, એંસી હજાર ચોરસ ફૂટમાં ગોઠવેલી કલાકૃતિઓનો આ કલાપ્રવાસ ‘જય હે’ યોજનાને મૂર્ત સ્વરૂપ આપનાર રાજીવ શેઠી એક ઉત્તમ કલાકાર, કલાઆયોજક અને વિશ્વખ્યાત કલાસંગ્રહ પ્રદર્શનના પ્રાયોજન નિષ્ણાંત પણ છે. ભારત સરકારે તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

રાજીવ શેઠી માને છે કે ભારત સ્વયં કલાનું મહાન સંગ્રહસ્થાન છે. આપણે કલાની કાલ અને આજમાં સતત રહીએ છીએ. આપણે T2 વિમાન સ્થળના કલાપ્રવાસ પહેલાં આ માન્યતા પાછળના આધારને જાણીએ.

આદિ માનવયુગમાં ગુફાઓમાં વસતાં લોકોએ પથ્થરોને કેન્વાસ બનાવી પથ્થરોને જ તીક્ષ્ણ ધારની પીંછીઓ બનાવી કરેલાં રેખાંકનો મધ્યપ્રદેશમાં ભીમબેટકા ગુફાઓમાં મળ્યાં છે. આ અને અન્ય સ્થાપત્ય ઇતિહાસની રસમય દીર્ઘ ગાથા અહીં પ્રસ્તુત નથી. ઉલ્લેખનું કારણ એટલું જ કે ભારતના જનજીવન સાથે કલા સતત અને રોજબરોજમાં ઓતપ્રોત રહી છે. ઘરના આંગણા-ઉંબરથી માંડી શયનખંડ સુધી પરિપેક્ષ્યને અનુરૂપ ચિત્રો અને શિલ્પોની સજાવટ સાથેનો ઘરોબો ભારતની સંસ્કૃતિની ઓળખ છે. એરપોર્ટનું કલા સંગ્રહસ્થાન આદિથી આધુનિક કલાનું પ્રતિનિધિત્વ કરે છે. કલાકૃતિ એ માત્ર સર્જકની જ પરખ નથી, પરંતુ જે તેને પસંદ કરે છે તેની પણ છે. સંગ્રહસ્થાન વિશાળ જનસમૂહના વૈવિધ્યને દર્શાવે છે અને તેથી તેની ગોઠવણી કરનાર કલાવિદ્દ, ઇતિહાસ જાણકાર અને કુશળ યોજક ઉપરાંત કૃતિને યથોચિત સ્થાને મૂકવા કુશળ નિયોજક પણ હોવાનું જરૂરી છે. રાજીવ શેઠીના મન પ્રસન્ન કરી દેતા એ સામર્થ્યનું દર્શન મુંબઈના એરપોર્ટ પર થાય છે. સમાજ અને સંસ્કૃતિના અનુબંધ અને સ્થિત્યાંતરોની નોંધવહી સમાન આ સંગ્રહ છે. ઉતાવળ અને અધિરાઈથી પસાર થતાં કલારસિકો તો પળભર જરૂર રોકાશે, પરંતુ કલાકૃતિનો આ અપાર વૈભવ કોઈ પણ આબાલવૃદ્ધની આંખને પણ આનંદનો અનુભવ કરાવશે.

એકસોથી વધુ કલાકારો અને એક હજારથી વધુ કસબીઓએ રચેલી લગભગ સાત હજાર કૃતિઓનું આ અભૂતપૂર્વ સંગ્રહસ્થાન આપણી વિવિધરંગી સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રદર્શન કઈ રીતે કરે છે તે આ આયોજનને નાની રૂપરેખાથી તપાસીએ. આપણે ભારતીયો પ્રસંગાનુસાર કોઈને કોઈ વિધિ કરતાં હોઈએ છીએ. પ્રવાસે જતાં ઉંબરા પર શુભેચ્છાઓ અને આવકારની વિધિ સામાન્ય છે. એરપોર્ટ પર તો આ બંન્ને રોજબરોજની ઘટના છે. એટલે પ્રવેશમાં “ભારતના ઉંબરે” વિભાગ ‘જય હે’ આપણાં સ્વાગતમાં ધાર્મિક વિધિવિધાનની કલાકૃતિઓથી દીપમંડિત છે. જે અર્ધવર્તુળના વક્ર ગૂંચળામાં ગોઠવાયેલી કૃતિઓ દ્વારા કલાકારો અને કસબી કારીગરોની પારંપરિક અને આધુનિક માન્યતાઓની અભિવ્યક્તિ છે. વિચારપૂર્વક માળામાં મણકાઓની જેમ તેની ગોઠવણી કરી છે જેથી પ્રવાસીઓ એ વર્તુળમાંથી પસાર થાય ને સાંસ્કૃતિક વિરાસતના ગૌરવગાનનો આનંદ લઈ શકે. પ્રાયોજક અપેક્ષા રાખે છે કે ઘરનો ઉંબર ઓળંગી દૂર જતાં પ્રવાસી તેમની મનમંજૂષામાં આપણી ઉત્તમ વિરાસતને સ્મૃતિમાં રાખે અને વર્તનથી પ્રસાર કરે અને ગૌરવપૂર્વક પ્રચાર કરે. વિદેશની

મુસાફરી કરી વતનમાં પ્રવેશ કરવા ઉંબરેથી અંદર આવે ત્યારે પણ તેના સ્વાગતમાં ઊણપ તો ન જ રખાય ને! એટલે દ્વિતીય વિભાગની રચનામાં એ ધ્યાન રખાયું છે. આગમનના રસ્તા પર ખાસ આ સંગ્રહસ્થાન માટેની કલાકૃતિઓ મૂકવામાં આવી છે. મુંબઈના નકશા મુજબ શ્રેણીબંધ પૃષ્ઠ પછી પૃષ્ઠ ખૂલતાં હોય તે રીતે ગોઠવવામાં આવી છે. હવે પ્રવાસી પોતાનો સામાન યાંત્રિક પટ્ટા પર સરકતો આવે ત્યાં જવા આતુરતાપૂર્વક જાય તે રસ્તા પર ભારતના કાપડકલાનાં વિવિધ રૂપો, હસ્તકલાનો કસબ અને ખરીદીને ઘેર લઈ જઈ તેવી વસ્તુઓ અંગે માર્ગદર્શક નોંધ છે.

અહીં પ્રદર્શિત કલાકૃતિઓમાં અનેક ખ્યાતિપ્રાપ્ત કલાકારોની કૃતિઓ છે. દરેક કલાકૃતિની વિગતો દરેક ઈચ્છુકોને મળી શકે તેમ છે એટલે તે અહીં અપ્રસ્તુત છે. આમાં થોડાં નામોમાં ગુલામ મોહમદ શેખ, મીઠુ સેન, ડેસમોન્ડ લઝેરો, અમીતવા દાસ, રિયાસ કોમુ, પારવથી નાયરના નામ લઈ શકાય.  શેઠીએ આ સંગ્રહસ્થાનની પરિકલ્પના કરી તેને GVK વાઈસ ચેરમેન સંજય રેડીનો સક્રીય સાથ મળ્યો. ભારતની હજારો વર્ષ પુરાણી લોકસંસ્કૃતિનું વૈવિધ્ય , કલાવૈભવ, હસ્તઉદ્યોગ અને જનવસ્તી- સમાજને સાંકળતી આ વિધાનું એક સ્થળે પ્રદર્શન અનુપમ છે. જે કલાકૃતિઓની પસંદગી થઈ છે તેની ગોઠવણીમાં શેઠીની કલાપરખ અને દીર્ઘદૃષ્ટિનો પરિચય છે.

ઘણાં સમીક્ષકો અને પ્રસાર માધ્યમો આ સ્થળ પસંદગીની મર્યાદા દર્શાવતા કહે છે કે આંતરરાષ્ટૃીય ટિકિટ ખરીદ્યા પછી જ લોકો તે જોઈ શકે છે. આવા પ્રદર્શનનો હેતુ બહુપ્રમાણીય કલા બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાનો અને જનસમાજના મનમાં સચવાય રહે તે હોય છે. આપણી વિશ્વોત્તમ વેદવાણી શ્રુતિથી જળવાઈ અને પોથી સુધી પહોંચી છે. આ એરપોર્ટની વિશેષતા એ છે કે લાખો લોકોનું અહીં આવાગમન થાય છે. આ સ્થળની જાળવણી જે રીતે થાય છે તે આવાં અમૂલ્ય કલાધનની જાળવણી માટે પણ યોગ્ય છે. આ તદ્દન નવો પ્રયોગ નથી. આમસ્ટરડમ એરપોર્ટ, ફ્રાન્સના Toulouse ટુલુઝ એરપોર્ટ, Paris પેરિસ એરપોર્ટ પર, સાઉથ કોરિયાના એરપોર્ટ પર પ્રખ્યાત કલાકારોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેમ જ ન્યુ દિલ્હી એરપોર્ટ પર પણ એમ.એફ. હુસેન, પરેશ મૈટી, સીમા કોહલી અને સતીશ ગુપ્તા જેવાં વિખ્યાત કલાકારોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આમ છતાં મુંબઈના એરપોર્ટ પરનું સંગ્રહસ્થાન અતિ વિશાળ પરિમાણ, અદ્ભૂત આયોજન અને પ્રયોજનની દૃષ્ટિથી અનુપમ છે. પરિશ્રમ અને પરિકલ્પનાનું સંતર્પક પરિણામ છે. આ પ્રદર્શનમાં મૂકાયેલી એકેએક કૃતિ, તેના સર્જક – ચિત્રકાર, શિલ્પિઓની માહિતિ આપતા વીડિયો અને નોંધો ઉપલબ્ધ છે પરંતુ પ્રચાર અને પ્રસાર પૂરાં નથી. ઉદ્ઘાટન સમયે અખબારોએ લેખ લખ્યા હશે પરંતુ ઘટના બની અને સ્મૃતિશેષ થયા જેવું જ.

પ્રાયોજક શેઠીએ એક પ્રત્યક્ષીકરણ સમયે જણાવ્યું કે ‘આ પ્રકલ્પ આયોજનથી અમલીકરણ સુધી સંપૂર્ણત: ભારતીય છે.’ પૌરાણિકથી આધુનિક ભારતીય સંસ્કૃતિના દરેક પાસાનું આ કલાત્મક પ્રતિનિધિત્વ કરે છે. દૃશ્ય કલાકૃતિ કવિતા નથી, પરંતુ તેમાં સંગોપિત અવ્યક્તનો અપ્રતિમ મહિમા સમાન જ છે. આ કૃતિઓ પાસે ઇતિહાસ છે. કથા છે. સંવાદ અને સંવેદના છે. આ મૌન અભિવ્યક્તિ આપણે ઉકેલવાની છે. ભારતનું પોત સ્વયં એક વિશાળ ચિત્ર છે, જેમાં ભાષા, ધર્મ, જાત – પાતના ભાતીગળ રંગો છે. અમૂર્ત – અવ્યક્ત ભારતીયતાનું ગૌરવ આ સંચિત કલાની જાળવણીમાં અને તેના સંવર્ધનમાં છે. આપણે કરીશું જ એ શ્રદ્ધા.

[પ્રગટ : “નવનીત સમર્પણ”, નવેમ્બર 2019; પૃ.101-106]

Loading

વલ્લભ નાંઢાની વાર્તા : ’આયેશા’

મહેન્દ્રભાઈ દેસાઈ|Opinion - Opinion|5 November 2019

વલ્લભભાઈ નાંઢાની આ વાર્તા, ‘આયેશા’ એમણે રચેલી અન્ય વાર્તાઓ કરતાં કંઈક જુદા જ પ્રકારની છે. વાર્તા ઘડવાની આ નવીન રીતને હું ‘ચોકઠાની રીત’ કહું છું, જેમાં પાત્રો પોતે જ પોતાના રચેલા ચોકઠામાં રહીને વાર્તા આગળ ચલાવે છે. પણ ચોકઠાની દિવાલો ઈંટ-પથ્થરોની બનાવેલી નથી, પણ એવી પાતળી છે કે સંવાદોની અવરજવર થઈ રહી છે અને પાત્રોની અલિપ્તતા પણ જળવાઈ રહી છે.

વાર્તા આમ તો સીધી સાદી છે. A boy meets a girl જેવી. અહીં બૉય એટલે મોરિસ જોન્સ, જે લંડનની એક કૉલેજમાં થિયોસોફીનો અધ્યાપક છે. અને ગર્લ એટલે આયેશા, જે એક મુસ્લિમ, મધ્યમ વર્ગની, થોડા સમય પૂર્વેથી નિરાધાર છે – હૉમલેસ છે. બન્ને જુદા જુદા ચોકઠાનાં પાત્રો છે.

વાર્તામાં એક જ ઘટના છે : વરસતા વરસાદમાં પોતાના કોર્ટયાર્ડ પાસે, ફૂટપાથના ઘાસ પર બેઠેલી, પાણીથી લથબથ ભીંજાયેલી, એક યુવતીને જોઈને મોરિસ જોન્સ, માનવસહજ ભાવથી તેમ જ  અનુકંપાથી પેલી સ્ત્રીને મદદ કરવા ચાહે છે. ‘હૅલો, કાંઈ તકલીફ છે ?’ અને યુવતી આયેશા, હૉમલેસના કઠોર અનુભવોથી ઘડાયેલી, પોતાના સ્વરક્ષણ માટે એક ચોકઠાની દિવાલ રચી દે છે. ‘મોરિસનની સામે જોયું ન જોયું ને નજર નીચે ઢાળી લીધી.’ એ ચોકઠામાં રહીને આયેશા વાર્તાની રજૂઆત કરે છે અને અંત સંવાદની એક પાતળી શી દોરી ચોકઠા પર લટકાવે છે, ‘મને કંઈ તકલીફ નથી.’

મોરિસ સહાનુભૂતિથી પિત્ઝા રેસ્ટૉરાઁમાં એને પિત્ઝા ખવડાવે છે. બહાર નીકળી પરિચયની આપ-લે કરતાં હાથ લંબાવે છે. આયેશાએ સંકોચથી હાથ લંબાવ્યો અને તરત પાછો ખેંચી લીધો. મોરિસ ધર્મ વિષયનો અધ્યાપક હોઈ અન્ય ધર્મોના વિચારો, રીતરિવાજોથી માહિતગાર છે. તેથી પોતાના ચોકઠામાં આવી જાય છે, અને પેલી પાતળી દોરીને અનુસરી પોતાના જ ચોકઠામાં રહીને એના મનોભાવો થકી અને નાનકડા સંવાદ વાટે વાર્તા આગળ ચલાવે છે. આમ બન્ને પાત્રો પોતપોતાના ચોકઠામાં રહી, સંવાદ-દોરીને અનુસરીને સંવાદ રચે, ક્યારેક એકબીજાં પ્રત્યે શંકાકુશંકા કે ભાવ-પ્રતિભાવ સ્વગત સંવાદો રચીને વાર્તા આગળ ચલાવે. વાર્તાકારની આ રીત વાચકને જરૂર પ્રભાવિત કરે છે.

વાચકને આ ચોકઠાની નિરસતા ખૂંચે, કારણ કે એક જ ઍપાર્ટમેન્ટમાં આ યુવાન સ્ત્રી-પુરુષ સાથે રહે છે, પણ ક્યાં ય ફણગો ફૂટતો નથી લાગતો, કશું ય અંકુરિત થતું નથી. એ નિવારવા વાર્તાકારે ક્યાંક રસિકતાની રચના કરી. બાથરૂમમાં ન્હાતી આયેશા મનોમન વિચારે ‘પેલો ટૃાય કરે તો’. અને એને ગલગલિયાં થાય. તો બીજી બાજુ બહાર સોફા પર સુતેલો મોરિસ અડધી રાતે બાથરૂમમાં જવા માટે, આયેશા જ્યાં સૂતી છે એ બેડરૂમમાં જાય અને પોતાની પથારીમાં સુતેલી આયેશાને જોઈ રહે …… પણ ધાર્મિકતાનું ચોકઠું, એટલે સંયમ જાળવીને રૂમ બહાર નીકળી જાય છે.

ડોરોથી − મોરિસની માતા. એનું પાત્ર બહુ નાનું છે પણ વાર્તામાં એ અગત્યની ભૂમિકાએ છે. એને પણ વાર્તાકારે એક ચોકઠામાં બેસાડી દીધી છે. તે દીકરાથી અલગ રહે છે. દીકરાના જીવનમાં કોઈ દખલગીરી કરતી નથી, પણ માતાનું દિલ છે. એટલે આયેશા જેવી મધ્યમ વર્ગની અને સંસ્કારી છોકરી પોતાના દીકરા સાથે રહે છે, તો ક્યાંક ગોઠવાઈ જાય તેવું વિચારતી હોય છે, પણ મોરિસને કે આયેશાને સામેથી પૂછતી નથી.

વાર્તાના અંતે આ ત્રણેય ભેગાં થાય છે, પોતપોતાના ચોકઠાંમાંથી નીકળીને, થોડા સંવાદો અને મનોભાવો થકી વાર્તા અંતિમ ચરણે આવે છે, અને અચાનક જ અણધાર્યા મુકામે વાર્તા પૂરી થાય છે. વાચક દિગ્મૂઢ બની જાય અને વાર્તાકાર બધાને પ્રભાવિત કરીને ખુશી ખુશીથી નીકળી જાય.

વાહ ! વલ્લભભાઈ, વાહ !

પણ સર્વ હક લેખકને સ્વાધીન, એ વાત એમનાં પાત્રો સ્વીકારતાં નથી, કારણ કે પાત્રો પોતે જ પોતાના પાત્રાલેખન થકી પોતપોતાનો રસ્તો બનાવી લે છે. આયેશા એ હોમલેસ છે અને હોમલેસનેસ એટલે જીવનની અનિશ્ચિતતા, અસ્થાયી જીવન અને સ્વ બચાવ માટે શંકાનું કવચ જે એની માતાએ પહેરાવેલું, એટલે આયેશા માટે શંકા નિવારણ કરવું એ દુષ્કર છે, અને ઈચ્છા હોવા છતાં પણ કોઈની સાથે જોડાવવું એ કઠિન બને.

મોરિસ જોન્સ − બાળપણથી જ ખ્રિસ્તી ધર્મના વિચારોથી રંગાયેલો છે. એની ઉંમરના છોકરાઓ જ્યારે છોકરીઓ પાછળ ઘેલા થાય ત્યારે મોરિસ બાઇબલ વાંચવામાં રસ ધરાવે. એટલે એનામાં સંયમી વર્તાવ ઘડાતો જાય અને એક પ્રકારની અલિપ્તતા કેળવાતી જાય. પાંચ દિવસની મહેમાનગતિ માણ્યા બાદ આયેશા હૃદયપૂર્વક કહે કે ‘આઈ એમ રિયલી થેન્કફૂલ’, એ પળે અન્ય પુરુષની જેમ આયેશા પ્રતિ નજીક થઈ શક્યો હોત; કંઈક અંકુરિત થઈ શક્યું હોત. પણ એ તો કેવળ હાથ ઊંચો કરીને રૂમની બહાર નીકળી જાય છે. એ એની અલિપ્તતા કે પછી એના પિતાએ બાળપણમાં કરેલી ટકોર કદાચ સાચી હોય ?

ડોરોથી − ખ્રિસ્તી ધર્મનાં નીતિનિયમોમાં આસ્થા રાખનારી, દીકરાએ એક અનાથ – બેઘર યુવતીને એના ઍપાર્ટમેન્ટમાં ‘પનાહ’ આપી છે તે ‘ગુનાહ’ નથી, એવી સોચ ધરાવનારી, પુત્રના લક્ષણ પારણામાંથી એવું જાણનારી એ નારીને કંઈક શંકા થાય કે આયેશા સાથે લગ્ન કરીને દીકરો એને ઘરમાં સ્થાન તો આપશે પણ સ્ત્રી સહજ ભૂખ સંતોષી ન શકે તો ? આયેશા પછી ફરીવાર બેઘર થઈ જાય એના કરતાં એને દીકરી તરીકે અપનાવું તો !!!

આમ ત્રણેય પાત્રો પોતપોતાના સ્વ-ભાવ કે સ્વ-પ્રકૃતિ અનુસાર વાર્તાના એ જ અંત તરફ બઢતાં હોય તો એ પાત્રો પણ વાર્તાની સફળતાના ભાગીદાર બને છે.

ઘટનાઓ ઘડ્યા વગર, કેવળ પાત્રોના બોલ કે અબોલ સંવાદો થકી વાર્તા રચવી, પાત્રો એકબીજાંની નજીક આવે પણ તેમના સ્વ-ભાવ પ્રમાણે કંઈ જામે નહિ − અલિપ્ત રહે ત્યારે વાચકને આગળ ઉપર કંઈક થશે, એ માટેની ઈન્તેજારી રહે અને એ ઈન્તેજારી છેવટ સુધી જળવાઈ રહે એ રીતની વાર્તા રચવાનો શ્રેય વાર્તાકારને જરૂર ઘટે.

એક બે ક્ષતિઓ તરફ આંગળી ચીંધું ! કોઈ પણ હોમલેસ વ્યક્તિ બીમાર થવાના ડરથી વરસતા વરસાદમાં ભીનાં ઘાસ પર ખુલ્લામાં બેસે નહિ. હા. પાણીથી લથબથ થયેલી યુવતીનું ચિત્ર કામુક ભાવ જગાડે. પણ તે માટે માખણ જેવી પીઠ પર ફેલાયેલા કાળા વાળ એ વર્ણન અત્રે અસ્થાને છે.

આ તો થઈ વાર્તા વિશેની વાત, પણ વાર્તામાંથી ઊઠતા એક બે મુદ્દા મને દેખાયા છે તેની વાત કરું.

આ વાર્તા એક ધાર્મિક વાર્તા નથી, પણ એમાં ક્રિશ્ચિયન વેલ્યૂની જે નોંધ કરાઈ છે, તે છે હ્યુમન વેલ્યૂ ઍન્ડ એમ્પથિ – માનવ મૂલ્ય અને અનુકંપા. કોઈ પણ જાતિ કે ધર્મની પરવા કર્યા વગર ત્રસ્ત વ્યક્તિ પ્રતિ કેવળ અનુકંપાથી દોરાઈને એને મદદરૂપ થવા કે એના દુ:ખમાં ભાગીદાર થવાનો એક આદર્શ અહીં વ્યક્ત થયો છે.

બીજો મુદ્દો − વાર્તામાં થોડીક શૃંગારિકતા લાવવા માટે વરસાદમાં બીંજાતી સ્ત્રીનું વર્ણન કર્યું છે, એમાં થોડી કામુકતા છે. પણ એથીયે આગળ વધીને, એકાન્તમાં એક અનજાન પુરુષ સાથે રહેતી સ્ત્રીના મનમાં કેવા ભાવો પ્રગટે છે તેનું પણ બયાન કર્યું છે. બાથરૂમમાં ન્હાતી આયેશા મનોમન વિચારે છે કે ‘પેલો ટૃાય કરશે તો?’ અને એના દિલમાં ગલગલિયાં થવાં લાગે છે. અને આગળ જતાં એક બીજો ભાવ જાગે છે, ‘એ જેન્ટલમેનનો બચ્ચો થવા જશે અને ટૃાય નહિ કરે તો ?’ યુવાન સ્ત્રીપુરુષ, એકબીજાંથી અનજાન, પણ એકાન્તમાં મળે ત્યારે આવા કંઈક વિચારો ઉભરાય એ સ્વાભાવિક છે. અને ખાસ કરીને પુરુષના ભાવોને પ્રગટ રૂપે બતાવાય છે, જ્યારે સ્ત્રીના ભાવો અ-પ્રગટ રહેતા હોય છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી એ પુરુષ માટે ભોગ માટેનું સાધન મનાય છે. પણ સ્ત્રી એ ભોગ્ય વસ્તુ નથી, એ એક ભોક્તા પણ છે. હવે ‘સ્ત્રી માટેના સમાન હક’ની વિચારધારાથી નવી સમજ કેળવાતી જાય છે, એ પ્રતિ લેખકે અહીં અંગૂલિનિર્દેશ કર્યો છે.

e.mail : mndesai.personal@googlemail.com

(વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની માસિકી બેઠક – ‘વાર્તા વર્તુળ’માં, શનિવાર, 02 નવેમ્બર 2019ના દિવસે આ વાર્તા વિશે રસદર્શન થયું તેની પ્રમુખ રજૂઆત)

આ વાર્તા અહીં જોઈવાંચી શકાય છે : https://opinionmagazine.co.uk/details/4777/ayesha

Loading

વિશ્વ શાંતિ અને મૈત્રી યાત્રાના યાત્રી નીતિન સોનેવાને

આશા બૂચ|Gandhiana|4 November 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 12

ગામ રાશિન, જિલ્લો અહમદનગર – મહારષ્ટ્રના રહીશ નીતિન સોનાવને, ઉમ્મર વર્ષ 28. ગભરાશો નહીં, આ કોઈ બેન્કના નાણાં લઈને વિદેશ પલાયન થયેલા વીરની કથા નથી. એક તરવરિયા યુવાનના દિલમાં શાંતિદૂત બનવાની તમન્ના જાગી અને દુનિયા આખી ખૂંદી વળવા નીકળી પડ્યો, તેની કહાણી છે, આ. 

નીતિને 2013માં ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિક્મ્યુનિકેશન્સમાં એન્જીનિયરની ઉપાધિ સિંહગઢ-પૂનાથી મેળવી. ટેલિકોમના ક્ષેત્રમાં માત્ર છ મહિના કામ કર્યું. મહારાષ્ટ્ર ગાંધી સ્મારક નિધિ દ્વારા સ્થાપિત શાંતિ દળમાં શાંતિ દૂત તરીકે જોડાયા. દોઢેક વર્ષ સુધી જ્ઞાતિઓ વચ્ચેના ભેદભાવ હઠાવવા અને ધર્મો વચ્ચે સુસંવાદિતા લાવવા એ સંગઠન સાથે કામ કર્યું.

આ યુવાનના જીવનની થોડી પૂર્વભૂમિકા જાણીએ. નીતિનભાઈના જ શબ્દો ટાંકુ, “બચપણથી જ હું ચાર ધર્મોને અનુસરતા મારા વડીલો સાથે મોટો થયો. મારુ કુટુંબ હિન્દુ છે. મારી માતાએ ક્રીશ્ચિયાનિટી અપનાવી, હું તેને બાઇબલ વાંચી સંભળાવતો. મારા પિતાજી રમઝાન મહિનામાં એક મહિનો રોજા રાખતા, હું તેમની સાથે મસ્જિદમાં જતો અને ઇફ્તારમાં ભાગ લેતો. મારી દાદીમા ધન નિરંકારજીને (શીખ ધર્મનો એક ફાંટો) અનુસરતાં. મારા ઘરમાં દરેક વ્યક્તિ જુદો જુદો ધર્મ પાળતાં છતાં મેં ક્યારે ય તેમની વચ્ચે કોઈ વિખવાદ નથી જોયો. એક જ દીવાલ પર બધા ભગવાન પૂરેપૂરી શાંતિથી રહેતા હતા.”

બુદ્ધ, ગાંધી, બાબાસાહેબ આંબેડકર અને મહારાષ્ટ્રના અગ્રણી સમાજ સુધારક, કર્મશીલ અને રાજકારણના વિવેચક ડૉ. કુમાર સપ્તર્ષિનાં જીવન અને કાર્યોથી પ્રેરિત એવા નીતિનભાઈ અલગ અલગ કોમ અને ધર્મના લોકોને એકમેકની સાથે સુમેળથી રહેતા કરવાના પ્રયાસમાં છે, જેથી એક શાંતિપ્રિય સમાજની રચના થાય. જ્યાં કોમી રમખાણો વધુ થતાં તેવા વિસ્તારોમાં જ્ઞાતિના ભેદભાવ વિહોણા સમાજની રચના કરવા શિબિરો યોજી. જ્યાં કોમી રમખાણો વધુ થતાં તેવા વિસ્તારોમાં ધર્મો વચ્ચેનાં વૈમનસ્ય મિટાવવા સક્રિય થયા. તે ઉપરાંત મહારષ્ટ્રમાં દુષ્કાળ પીડિત લોકોનાં સ્વાસ્થ્ય માટે કામ કરવા જોડાયા. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પમાં સેવાઓ અને આદિવાસી વિદ્યાર્થી કલ્યાણ સારુ થતી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા.

ટેલિકોમ ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત અલ્પજીવી નીવડી. ભાઈ નીતિનને પોતાની કોમ અને બહોળા સમાજને વધુ ઉપયોગી થવાના વિચારે શાંતિથી બેસવા ન દીધા. ‘વિશ્વ શાંતિ અને મૈત્રી’ યાત્રાનું આયોજન કરીને 18 નવેમ્બર 2016ને દિવસે સેવાગ્રામ – વર્ધાથી સાઇકલ લઈને નીકળી પડયા. તેમની સાથે થાઈલેન્ડના અજય હાપસે પણ જોડાયા. સાબરમતી આશ્રમને ‘કાગડા કૂતરાને મોતે  મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું’ એમ જાહેર કરીને ગાંધીએ ત્યાગી દીધેલો અને વર્ધા પાસેના સે ગાંવમાં સેવાગ્રામ આશ્રમ બનાવીને રહ્યા હતા, એ જ આશ્રમથી આ શાંતિ યાત્રાનો પ્રારંભ થયો. નીતિન સોનેવાનેની યાત્રા આશરે 1,095 દિવસ ચાલવાની યોજના છે. ભારતમાં તેઓએ અનેક સ્થળોએ જઈને વિશ્વશાંતિનો સંદેશ પહોંચાડ્યો અને ત્યાર બાદ થાઈલેન્ડ, કંબોડિયા, વિયેતનામ, ચીન, હોંગકોંગ, મકાઉ, જપાન, દક્ષિણ કોરિયા અને જેસુ ટાપુ પણ ગયા. ત્યાંથી છલાંગ મારી કેનેડા, અમેરિકા, ગ્વાટેમાલા, હોન્ડયુરસ, એલ સાલ્વાડોર, નિકારાગુઆ, કોસ્ટારિકા, પનામા, કોલમ્બિયા, એક્વાડોર અને પેરુ, એ બધા દેશોમાં સાઇકલ પ્રવાસ કર્યો.

હજુ એક બીજો ખંડ ખૂંદવાનો બાકી હતો. જેની શરૂઆત દક્ષિણ આફ્રિકાથી કરી, જ્યાં છ મિત્રો ભારતથી અને જપાનના એક બૌદ્ધ સાધુ યાત્રામાં જોડાયા. ગાંધી અને નેલ્સન મંડેલાનાં પગલે બે મહિના સુધીની મજલમાં આ મિત્રોએ સાથ આપ્યો. કેનિયા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, તાન્ઝાનિયા, રુવાન્ડા અને યુગાંડા સુધી બૌદ્ધ સાધુએ સાથ આપ્યો. ત્યાર બાદ ઇથિયોપિયા, સુદાન અને ઇજિપ્તની સફર એકલ પંડે પૂરી કરી.

નીતિનભાઈને યુનાઇટેડ કિંગ્ડમ સુધીની યાત્રા કરતાં લગભગ ત્રણ વર્ષ થયા. ગ્લાસગોથી લંડનની 600 માઈલની મજલ પદયાત્રાથી પૂરી કરતાં 44 દિવસ થયા. 2 ઓક્ટોબર 2019ને દિવસે ટાવિસ્ટોક સ્કવેરમાં ગાંધી સ્મારક પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને નીતિન તથા અલગ અલગ સંગઠનોના 25-30 જેટલા પ્રતિનિધિઓએ કૂચ કરીને પાર્લામેન્ટ સ્કવેર પર ખડી કરાયેલી ગાંધીની પ્રતિમા પાસે જઈ ગાંધી 150ની ઉજવણી કરી. એ કૂચમાં સ્વાતંત્ર્ય સંગ્રામના નજીકથી સાક્ષી બનેલાં એક નાનીમા, આઝાદી બાદ તરત જન્મીને દેશપ્રેમથી ભરપૂર એવા નવા વાતાવરણમાં જન્મેલ પુત્રી અને યુનાઇટેડ કિંગ્ડમમાં જન્મીને સ્થાયી થયેલ દોહિત્ર એમ ત્રણ પેઢીના સભ્યોને એક સાથે ‘વૈષ્ણવ જન તો…’ અને ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ગાતાં જોવાં-સાંભળવાં એ ય એક લ્હાવો હતો. નીતિન હવે યુરોપના દેશો અને ભૂમધ્ય પ્રદેશના કેટલાક દેશોમાં યાત્રા ગોઠવવાની પેરવીમાં છે. તેઓ ફ્રેન્કફર્ટથી બર્લિન પદયાત્રા કરવા ધારે છે. ત્યાર બાદ ભૂમધ્ય પ્રદેશના દેશોમાં, જેમાં ટર્કી, ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને ઈરાનનો સમાવેશ છે, ત્યાં જવાનું આયોજન છે. આ યાત્રા લાહોર – પાકિસ્તાન ખાતે સંપૂર્ણ થશે.

નીતિનભાઈએ ઘણા રેડિયો સ્ટેશન પર ઉપર મુલાકાતો આપી અને છાપાંઓમાં અહેવાલો છપાયા. તેમને પુછાયેલા સવાલોના જવાબો તારવીને અહીં મુક્યા છે. તેઓ દિવસના ચાર પાઉન્ડ જેટલી મૂડી પર નભે. બ્રેડ, પી-નટ બટર અને શાક ખાઈને ચલાવે. ત્રણ વર્ષ પહેલાં લીધેલ તંબુ ખોડવા માટે સલામત જગ્યા શોધીને પોઢે. સુદાનના લોકોએ ખૂબ જ મિત્રતા બતાવી. એ દેશમાં ખૂબ રાજકીય જ અશાંતિ છે, પણ લોકોએ શાંતિની વાતો અત્યંત રસપૂર્વક સાંભળી. ત્યાં ધનવાનો નથી, પણ આદરસત્કારની ખામી નથી. લોકો પોતાને ઘેર રહેવા બોલાવતા હતા અને ભોજન આપતા હતા. અને એ સુખદ અનુભવ હતો. જો કે ત્રણ વર્ષથી સતત સાઇકલ અને પદયાત્રા કરવા નીકળી પડેલા આ યુવાનને સૌથી મોટો પડકારનો સામનો કરવો પડે છે તે શરીરને સ્વસ્થ રાખવાનો. રુવાન્ડામાં ખોટા પ્રકારના શૂઝ પહેરવાને કારણે પગમાં ઇજા થઇ, ત્રણ અઠવાડિયા સુધી ચાલી ન શક્યા. આરામ કરવા કોઈ એક જગ્યાએ રોકાવું બહુ મુશ્કેલ હતું. હોન્ડયુરસ અને ગ્વાટેમાલામાં ક્યાં ય રહેવાની જગ્યા ન મળી. ત્યાંનું હિંસક વાતાવરણ જાણીતું એટલે જરા ભયજનક સ્થિતિમાં આવી પડેલા. નવાઈની વાત એ છે કે મેક્સિકોમાં ડ્રગની ગેંગના કેટલાક સભ્યોને તેઓ મળ્યા અને પોતાના શાંતિ, પ્રેમ અને અહિંસાના વિચારો વહેંચ્યા!

કોઈ પણ વ્યક્તિ પોતાનું વતન છોડીને દૂર સુદૂરના દેશમાં જાય તો ઘણું અવનવું જોવા-અનુભવવા મળે, જયારે નીતિનભાઈએ તો એક પછી એક એમ એકબીજાથી નિરાળા દેશોમાં થોડા થોડા દિવસો રહેવાનું બીડું ઝડપ્યું એટલે તેમને ઘણી વાર ક્લચર શોક લાગ્યો. ઘણા દેશોમાં ફર્યા, પરંતુ અલ્પ સમયનું રોકાણ હોવાને કારણે ત્યાંની સંસ્કૃતિ સમજતાં વાર લાગે. સુદાનમાં વધુ મૂંઝવણ થઇ કેમ કે ક્યારે ય મુસ્લિમ દેશમાં નહોતા ગયા. આફ્રિકાની સંસ્કૃતિ દક્ષિણ અમેરિકા કરતાં તદ્દન અલગ છે. ભારતમાં હોઈએ ત્યારે આ બધા દેશો વિષે કશી જાણકારી ન હોય તે સ્વાભાવિક છે અને તેથી એ ખંડોના રહેવાસીઓ, તેમનો ખોરાક, આબોહવા અને લોકોની રીતભાત અને સ્વભાવ વિષે શું અપેક્ષા રાખવી તે ખબર જ નહોતી.

અન્ય ભારતીયોની માફક નીતિનભાઈ પણ અમેરિકાને સહુથી વધુ ધનાઢ્ય માનતા હતા. પરંતુ ત્યાંના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ફરતાં તેમને તો એ સહુથી વધુ ગરીબ પણ લાગ્યો. સાનફ્રાન્સિસ્કોમાં મુખ્ય વિસ્તારમાં ફરતાં આંતરરાષ્ટ્રીય બેંકો અને વ્યાપારી મથકો, ઉત્તમ ખાણી પીણીની જગ્યાઓ જોઈ અને થોડે આગળ જતાં ડાબી બાજુ વળ્યા તો ઘરબાર વિનાનાં ભૂખ્યાં લોકો શેરીમાં બેઠાં જોવાં મળ્યાં, જેનાથી તેમને તેનાથી બહુ આઘાત લાગ્યો. ગરીબ-તવંગર વચ્ચે આવો વિરોધાભાસ દુનિયામાં બીજે નથી જોવા મળતો એવું નીતિનભાઈના અનુભવે લાગ્યું.

વિશ્વશાંતિ અને જ્ઞાતિ તથા ધર્મો વચ્ચે સહઅસ્તિત્વની ભાવનાનો સંદેશ ફેલાવવાના ઉત્તમ આશય સાથે ત્રણ વર્ષ પહેલાં પોતાના કુટુંબીજનોને છોડીને આ યુવક નીકળી પડ્યો. પરંતુ તેમને કુટુંબીઓ બહુ યાદ આવે. તેમના શબ્દોમાં બયાન જાણીએ, “હું પૈસાદાર કુટુંબમાંથી નથી આવતો, પિતા ગુજરી ગયા ત્યારે 14 વર્ષનો હતો. મારા કુટુંબીઓને હું આવી યાત્રા પર કેમ નીકળ્યો તે સમજાવવું મુશ્કેલ છે. મારા પરિવારમાં આગળ અભ્યાસ કરનારો હું પ્રથમ. મારા બે મોટા ભાઈઓ સખત કામ કરીને ગુજરાન ચલાવે છે, તેમને વિશ્વના પ્રશ્નો વિષે કોઈ ખ્યાલ નથી, એટલે મારી આ યાત્રાનો હેતુ સમજી નથી શકતા. પરંતુ જ્યારે સમાચારમાં કે ટેલિવિઝન પર મને જુએ ત્યારે ખુશ થાય!” સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર ગણી બેઠેલા ભાઈ નીતિને અંગત લાગણીઓને થોડા સમય માટે સંયત રાખીને આ ઉમદા ધ્યેય પાર પાડવાનું વ્રત લીધું છે.

ગાંધી વિષે દુનિયા શું જાણે એમ તમે ઈચ્છો છો? એ પ્રશ્નના જવાબમાં નીતિનભાઈએ કહ્યું, “ગાંધીએ સહુથી મહત્ત્વની વાત એ કહી કે તમે તમારું સત્ય પોતાના જીવનની સફર દ્વારા, જાતે શોધખોળ કરીને, પ્રકૃતિ પાસેથી અને વાંચીને શોધો અને પછી એ સત્યને અહિંસાના માધ્યમથી અનુસરો. અને હું એ સંદેશ દુનિયાના નાનામાં નાના માણસ સુધી પહોંચાડવા માંગુ છું. મને સમજાયું કે એક માત્ર માનવ જાતિ જ આ સૃષ્ટિ પર નથી જીવતી. મારે પર્યાવરણમાં આવતા નુકસાનકારક બદલાવને રોકવા અને દરેક પ્રકારના ભેદભાવને નાબૂદ કરવા કામ કરવું  છે. હું નીચલી જ્ઞાતિમાં જન્મેલ વ્યક્તિ છું અને મારે જ્ઞાતિ પ્રથાના ભેદભાવ સામે લડવું છે. મને ખાતરી છે કે ગાંધીને સાંપ્રત વૈશ્વિક સમસ્યાઓમાંથી પર્યાવરણમાં થતા ધરખમ ફેરફારો વિષે ઘણી ચિંતા થઇ હોત અને તેને અટકાવવા લડત આપી હોત. તેમણે ગ્રેટા થુનબર્ગને જરૂર ટેકો આપ્યો હોત. આ યાત્રામાંથી હું એ પણ શીખ્યો કે દુનિયા આખીમાં જ્યાં પણ ગયો, લોકો ખૂબ જ પ્રેમાળ છે તેમ અનુભવ્યું. તમે તેમને કઈ રીતે સંપર્ક કરો છો તેના પર તેમની ભલાઈનો આધાર રહે. આખી દુનિયામાં આટલા બધા દેશોમાં ભ્રમણ કર્યા બાદ પ્રતીત થયું કે શાંતિ સ્થાપવી અને ટકાવવી શક્ય છે.” આશા રાખીએ કે નીતિનભાઈના આશાવાદનો ચેપ આપણને પણ લાગે.

પોતાની ત્રીસેક જેટલા દેશોની સફર દરમ્યાન નીતિનભાઈએ નોંધ્યું કે નાનાં મોટાં ગામડાં અને શહેરોમાં લોકો ગાંધીને શાંતિના દૂત અને અહિંસાના પ્રચારક તરીકે ઓળખે છે, તેમનાં બાવલાં જીસસ અને ગૌતમ બુદ્ધની જેમ ઠેર ઠેર જોવા મળે છે. તેઓ હજુ અહિંસક પ્રતિકારમાં જીવિત છે એમ અનુભવાય છે.

આ સાથે ભાઈ નીતિને જે તે દેશોની મુલાકાત લીધેલી ત્યાંની કેટલીક તસ્વીરો શામેલ છે :-

જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી વચ્ચેની પદયાત્રા

હિરોશિમા પીસ મેમોરિયલ (Genbaku Dome) 6 ઓગસ્ટ 1945માં પ્રથમ અણુબોંબ ફેંકાયો ત્યાર બાદ એકમાત્ર બચવા પામેલ ઇમારત

જાપાનમાં શાંતિ યાત્રાનો પહેલો દિવસ. તસ્વીરમાં એક વયસ્ક મહિલા અને તદ્દન નાનું બાળક પણ શામેલ થયા!

ઓકિનાવા જાપાન. અમેરિકન હવાઈ મથક સામેનો પ્રતિકાર

બ્રોન્ઝ સ્કલ્પ્ચર સ્વીડિશ શિલ્પકાર કાર્લ ફ્રેડરીક રૂટરવોર્ડ બનાવેલ, જે ન્યુયોર્કના યુનાઇટેડ નેશન્સની ઇમારત પાસે ખડું છે.

અમેરિકામાં એક હાઈસ્કૂલમાં વાર્તાલાપ

હોન્ડુરાસની એક શાળાની મુલાકાત

કોલંબિયાના મૂળ વતની સાથે

દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાની પ્રતિમા પાસે

પિટરમેરિત્ઝબર્ગ સ્ટેશન-જ્યાં ગાંધીજીને ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા

રોબિન આઇલેન્ડ, જ્યાં નેલ્સન મંડેલાને વીસથી ય વધુ વર્ષ કેદ રખાયેલ

દક્ષિણ આફ્રિકા – શાંતિ યાત્રા 

નીતિન સોનેવાનેને તેમની આગામી સફર માટે અનેક શુભેચ્છાઓ પાઠવીએ. 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...2,6712,6722,6732,674...2,6802,6902,700...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved