Opinion Magazine
Number of visits: 9576602
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુકૂળ ઇતિહાસની અસલિયત

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2019

અનમ ઝકરિયાના અભ્યાસ મુજબ, માણસ માફક આવતું ‘સત્ય’ વારંવાર ઘૂંટતો રહે છે તે ત્યાં સુધી કે એક દિવસ તેને તે અપનાવેલું ‘સત્ય’ ખરેખર સત્ય લાગવા માંડે છે, પછી ભલે તે અર્ધસત્ય હોય અથવા સમૂળગું અસત્ય હોય. માણસને આમાં એક પ્રકારનો ખુલાસો મળે છે. જો પરાજીત થયા હોય તો પરાજીત થવા માટેનો ખુલાસો અને જો વિજય થયો હોય તો વિજયી થવા માટેનો ખુલાસો. આને કારણે માફક નહીં આવનારા નગ્ન સત્ય તરફ આંખ આડા કાન કરી શકાય છે અને કેટલાક અપરાધબોધથી બચી શકાય છે.

પણ સવાલ એ છે કે ભારતમાં નગ્ન સત્યને ઢાંકવાની અને અપનાવેલા ‘સત્ય’ની નકલી ચામડી મઢવાની શરૂઆત ક્યાંથી થઈ અને કોણે કરી? દેખીતી રીતે એ પાછળથી શોધવામાં આવેલું ‘સત્ય’ છે, પકડાવવામાં આવેલું ‘સત્ય’ છે અને તેને અપનાવીને ઘૂંટી ઘૂંટીને સત્ય માની લેવામાં આવેલું ‘સત્ય’ છે. આમ એટલા માટે કહેવું પડે છે કે જો મુસ્લિમ આક્રમણકારોએ ખરેખર હિંદુઓને જેમ માનવામાં આવે છે એમ સતાવ્યા હોત તો કોઈને કોઈ જગ્યાએ તો વિદ્રોહ થયો જ હોત. છ સદી લાંબા મુસ્લિમ શાસનમાં અને આવડા મોટા દેશમાં એક પણ જગ્યાએ પ્રજાકીય વિદ્રોહ ન થાય એવું તો બને જ નહીં. એ એક ઇતિહાસ સિદ્ધ હકીકત છે કે મુસ્લિમ શાસન દરમ્યાન દેશમાં કોઈ મોટો પ્રજાકીય વિદ્રોહ નહોતો થયો. પ્લીઝ નોટ, હું પ્રજાએ કરેલા વિદ્રોહની વાત કરું છું.

આનું શું કારણ? વિદ્રોહ કરવા માટે આપણા કરતાં તેમની પાસે મોટું કારણ હતું, કારણ કે તેઓ આજે આપણે ધારીએ છીએ એમ ભોગવતા હતા. આનાં બે કારણો છે અને તે બંને ગાંઠે બાંધી લેવાં જોઈએ.

ભારતમાં બે પ્રકારના મુસ્લિમ આક્રમણકારો આવ્યા હતા. કેટલાક લૂંટવા આવ્યા હતા અને લૂંટીને જતા રહ્યા હતા. કેટલાક ભારત પર હાથ લાગે એટલો પ્રદેશ જીતીને શાસન કરવા આવ્યા હતા અને તેઓ અહીં જ વસી ગયા હતા.

જેઓ શાસન કરવા આવ્યા હતા અને શાસન કરતા હતા તેમનો પોતાનો સ્વાર્થ હતો. એ સ્વાર્થ હતો તેમની સામે પ્રજા વિદ્રોહ ન કરે એનો. રાજાઓને તો જીતી શકાય, પણ પ્રજા વિદ્રોહ કરે તો શાસન કરવું અઘરું પડે. તેમને ઇસ્લામમાં રસ નહોતો, શાસનમાં રસ હતો. બીજું આગલા એક લેખમાં કહ્યું હતું એમ તેઓ પણ પ્રમાણમાં તાજા વટલાયેલા મુસલમાનો હતા, કબીલાઈ વાંશિક સંસ્કાર ધરાવતા હતા, લડાઈખોર હતા, ઇસ્લામની પૂરી જાણકારી તેઓ પણ નહોતા ધરાવતા, પ્રમાણમાં અસંસ્કારી જાહિલ હતા, એટલે તેઓ તેમના શાસનમાં આડા આવે એનું નિર્દયી થઈને માથું વાઢી લેતા હતા; પરંતુ તેમને ઈસ્લામને ગામેગામ પહોંચાડવામાં રસ નહોતો. તેમની ઇસ્લામ માટેની સમજ જ ખાસ વિકસી નહોતી ત્યાં પ્રતિબદ્ધતાનો સવાલ નહોતો. વળી એમાં રાજકીય જોખમ રહેલું છે એ વાત સમજવા જેટલી બુદ્ધિ તેઓ ધરાવતા હતા. હા, તેઓ તેમનો ડારો સ્થાપિત કરવા હિંદુ મંદિરોને તોડતા હતા અને એ પણ જવલ્લે જ, પ્રજાકીય વિદ્રોહ ન થાય એનું ધ્યાન રાખીને. બીજું બુતપરસ્તી(મૂર્તિપૂજા)નો નકાર એ ઈસ્લામ એવી તેમની ઈસ્લામ વિશેની જાડી સમજ હતી.

આપણે આજે માનીએ છીએ એટલા પ્રમાણમાં તેમણે હિંદુઓને સતાવ્યા નહોતા એનું બીજું પણ એક કારણ હતું. ભારત પર ચડાઈ કરનારા મુસલમાનોના એક પછી એક ધાડાઓએ રાજકીય અસ્થિરતા પેદા કરી હતી. એક ગયોને બીજો આવ્યો એવી નાજુક રાજકીય સ્થિતિમાં તેમના રાજ્યમાં પ્રજાકીય વિદ્રોહ ન થાય અથવા તો પ્રજાનો કોઈ વર્ગ દુશ્મનને મદદ ન કરે એ માટે પણ તેઓ હિંદુઓને રંજાડતા નહોતા. તેમની પ્રાથમિકતા તેમના શાસનના પાયા મજબૂત કરવાની હતી, ઇસ્લામનો પ્રચાર નહોતી. એ સમયે મુસ્લિમ શાસકો રાજકીય જરૂરિયાત મુજબ શિયા કે સુન્ની બનતા હતા. સંપ્રદાય પરિવર્તન કરતા હતા. જેમ કે શેરશાહ સૂરી સામે હારીને હુમાયુને ભારત છોડવું પડ્યું એ પછી તે ઈરાનના રાજવીની મદદ મેળવવા શિયા બની ગયો હતો અને જીત્યા પછી પાછો સુન્ની થઈ ગયો હતો. આમ તેઓ સત્તા ખાતર ઇસ્લામનો પણ ઉપયોગ કરતા હતા.

એ સમયે ઈસ્તંબુલમાં ખલીફાનું રાજ હતું અને ઈસ્લામ મુજબ ઈસ્લામનો ખલીફ મુસલમાનો પર રાજ કરવાનો ધાર્મિક-રાજકીય અધિકાર ધરાવતો હતો. આમ મુસલમાન માત્રની વફાદારી ખિલાફત માટેની હતી. ભારતમાં શાસન કરનારા મુસ્લિમ શાસકો રૂઢિચુસ્ત મુસલમાનો નારાજ ન થાય એ માટે ખલીફા પ્રત્યેની વફાદારીના સોગંદ લેતા હતા. આવા સોગંદ કલમાનો ભાગ હતો જે રોજ પઢવામાં આવતો હતો. ટૂંકમાં તેઓ ચુસ્ત મુસલમાનો નારાજ ન થાય એનું પણ ધ્યાન રાખતા હતા અને હિંદુ નારાજ ન થાય એનું પણ ધ્યાન રાખતા હતા. વાસ્તવમાં એક મુસલમાન તરીકે તેમને ઇસ્લામના પ્રચાર-પ્રસારમાં કોઈ રસ નહોતો, પણ શાસક તરીકે તેમને શાસન કરવામાં રસ હતો. તો આનો અર્થ એ થયો કે તલવારના જોરે હિંદુઓને મુસલમાન બનાવવામાં ભારતમાં આવેલા મુસ્લિમ શાસકોને રસ નહોતો. આમાં અપવાદ ખરા, પણ એકંદરે મુસ્લિમ શાસકો જબરદસ્તીએ ધર્માંતરણ કરાવવાને પ્રોત્સાહન નહોતા આપતા.

હવે અહીં આવે છે હિંદુઓનો પક્ષ. ઈ.સ. ૭૧૨માં વિદેશી મુસલમાનોએ સિંધ પર કબજો કર્યો હતો. મહમ્મદ ઘોરીએ દિલ્હીમાં સલ્તનત સ્થાપી ૧૧૯૨માં. આ બે ઘટનાઓની વચ્ચે ૪૮૦ વરસનો ફરક છે. કોઈ ઓછાં વર્ષો નથી. આ ૪૮૦ વરસ દરમ્યાન હિંદુઓએ મુસ્લિમ આક્રમણોને ખાળવા માટે કેવા ઉપાય કર્યા હતા? ત્રણેય પ્રકારનો અનુભવ હિદુઓને થઈ ગયો હતો. હિંદુઓને આ દરમ્યાન લૂંટવા આવનારા મુસલમાનોનો પરિચય થઈ ગયો હતો. કેટલાક શાસન કરવા રહેવાની તજવીજ કરે છે એનો પણ પરિચય થવા લાગ્યો હતો. જે રહી ગયા હતા તેમના એક ખાસ પ્રકારના ધર્મને કારણે ખરલમાં વટાતા નથી એનો પણ અનુભવ થયો હતો. લગભગ ચારસો વરસના આવા ત્રણેય પ્રકારના અનુભવ પછી પણ હિંદુઓએ મળીને મુસલમાનોને ભારતમાં આવતા રોકવા માટે કોઈ પ્રયત્નો કર્યા નહોતા. ચારસો વરસમાં એક પણ નહીં.

બીજું આશ્ચર્ય. કનૌજના રાજા પૃથ્વીરાજ ચોહાણનો પરાજય ૧૧૯૨માં થયો હતો. કાશીનું પતન ૧૧૯૪માં થયું. ૧૧૯૭-૯૭માં બંગાળનો આક્રમક મુસલમાનોના હાથે પરાજય થયો. માત્ર એક દાયકામાં વિદેશથી આવેલા મુસલમાનોએ પેશાવરથી લઈને ઢાકા સુધીના ભારત પર કબજો જમાવ્યો હતો. વિદેશથી આવનારા બે-ચાર હજાર મુસલમાન હિંદુ બહુમતી દેશમાં જોતજોતામાં છવાઈ જાય અને એક દાયકામાં અડધા દેશમાં કબજો જમાવે એવું કેમ બન્યું? એ સમયે યાતાયાતની આધુનિક વ્યવસ્થા પણ નહોતી.

શા માટે આવું બન્યું?

આનું કારણ એ હતું કે હિંદુ રાજવીઓ વચ્ચે સંપ નહોતો. કનૈયાલાલ મુનશીની ‘જય સોમનાથ’ નવલકથા વાંચી જાવ. આનું એ કારણ હતું કે સાતમી સદીમાં થઈ ગયેલા હર્ષવર્ધન પછીના રાજવીઓમાં સામ્રાજ્ય સ્થાપવા જેટલી મહત્ત્વાકાંક્ષા જ નહોતી. હર્ષવર્ધનનું સામ્રાજ્ય હિંદુઓનું છેલ્લું ખરું સામ્રાજ્ય હતું. આનું કારણ એ હતું કે પ્રજા સામાજિક-સાંસ્કૃતિક પ્રવાહોથી અનભિજ્ઞ હતી. હકીકતમાં એવા પ્રવાહો જ થંભી ગયા હતા. પ્રજા ગામડાંઓમાં જ્ઞાતિબદ્ધ કિલ્લાઓમાં જીવતી હતી. ગ્રામીણ જીવન સ્વાયત્ત પણ હતું અને તે સાથે કુંઠિત તેમ જ શોષિત પણ હતું. આમ પ્રજાને રાજા આવે કે જાય એનાથી કોઈ ફરક પડતો નહોતો. પ્રજામાં રાજકીય ચેતનાનો જ અભાવ હતો. સંત તુલસીદાસે એક ચોપાઈમાં કહ્યું છે, ‘કોઉં નૃપ હોય હમહિં કા હાની.’ અર્થાત્ રાજા ગમે તે હોય આપણને શું નુકસાન છે.

આનું કારણ એ હતું કે જ્ઞાતિપ્રથાને કારણે બિન-ક્ષત્રીય પ્રજાને લડવાનો પણ અધિકાર નહોતો. ક્ષત્રીય ખપી જઈને પાળિયો થઈ જાય, પણ બિન-ક્ષત્રીયની મદદ નહીં લે. તેને મન યુદ્ધમાં જીતવા કરતાં જ્ઞાતિની અટ જાળવી રાખવી એમાં વધારે મોટાપણું હતું. આનું કારણ એ હતું કે હિંદુઓ હંમેશાં સંરક્ષણાત્મક લડાઈઓ જ લડતા હતા, આક્રમક લડાઈ નહોતા લડતા. તમને દેશમાં જેટલા પાળિયા જોવા મળશે એટલા વિજય સ્મારકો જોવા નહીં મળે.

આનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ હિમાલય, હિંદુકુશ અને દરિયો ઓળંગવાની મનાઈ કરી હતી. વાત એમ છે કે બૌદ્ધો ધર્મપ્રચાર કરવા વિદેશ જતા હતા અને તેમને વિદેશ જનારા નીચા ગણવા માટે બ્રાહ્મણોએ હિંદુઓએ વિદેશ નહીં જવું એને ધર્મ માનવામાં આવ્યો હતો. બહાર જાય એ હલકા અને ઘરમાં રહે એ શ્રેષ્ઠ ઊંચા. આનું કારણ એ હતું કે બ્રાહ્મણોએ પુરાણોમાં વિષ્ણુના કલ્કી અવતારની કલ્પના ઘૂસાડી હતી જે પ્રજાને ભ્રમણામાં રાખતી હતી. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે : “સિંધુ તટ, દાવિકોર્વી, ચન્દ્રભાગા તથા કાશ્મીર પ્રાંતોનો ઉપભોગ વ્રાત્ય, મ્લેચ્છ અને શુદ્ર કરશે. તેઓ ઓછી કૃપા અને વધારે કોપ કરનારા હશે. તેઓ સદા અનૃત ધર્મમાં રુચિ ધરાવનારા હશે અને સ્ત્રી બાકળ તેમ જ ગાયોનો વધ કરશે. ત્યારે શમ્બલ ગ્રામમાં વિષ્ણુયશ નામના બ્રાહ્મણના ઘરમાં વાસુદેવ કલ્કીનો અવતાર ધારણ કરશે અને તે તમામ મ્લેચ્છોનો નાશ કરીને બ્રાહ્મણ ધર્મની પુન:સ્થાપના કરશે.” આમ તેમનો ભરોસો ભવિષ્યમાં થનારા અવતાર પર હતો, પુરુષાર્થ પર નહોતો. હિંદુઓ કૃપાર્થી હતા, પુરુષાર્થી હતા.

મુસલમાનોએ જોતોજોતામાં પેશાવરથી લઈને ઢાકા સુધીના ભારત પર કબજો જમાવ્યો એના આ કારણો હતાં. એક નહીં અનેક કારણો. હિંદુઓની આ નિર્બળતાનો સ્વીકાર આર.સી. મજુમદાર જેવા રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને પણ કરવો પડ્યો છે. આંતરિક નિર્બળતા સિવાય બીજો ખુલાસો શું હોઈ શકે? હવે કલ્પના કરો કે મુસલમાનોએ જો તલવારની મદદથી ઈસ્લામ ધર્મ હિંદુઓ પર લાદ્યો હોત તો હિંદુઓ તેનો સામનો કરી શક્યા હોત? ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ એવું કોઈ ઉદાહરણ મળશે જેમાં ધર્માંતરણનો પ્રતિકાર કરવા હિંદુઓએ લોહી રેડીને સામનો કર્યો હોય કે પછી ઈરાનના જરથોસ્તીઓની જેમ હિજરત કરી હોય. જે આક્રમણકારો પેશાવરથી ઢાકા સુધીનો પ્રદેશ જોતજોતામાં જીતી શકે એ ભારતના ઓછામાં ઓછા ૮૦ ટકા હિંદુઓને મુસલમાન ન બનાવી શકે? તેમણે ભારત પર ૬૦૦ વરસ શાસન કર્યું હતું જે ધર્માંતરણ કરાવવા માટેનો ઓછો સમયગાળો નથી.

મુસલમાનો ભારત પર છસો વરસ રાજ કરે અને છતાં ય ભારતના ૮૦ ટકા હિંદુઓ વટલાયા વિના હિંદુ બની રહે તો જરૂર કોઈ વાત છે. એ વાત આગળ કહેવાઈ ગઈ છે. વિદેશથી આવેલા મુસ્લિમ શાસકોને રાજ કરવામાં રસ હતો, ઇસ્લામમાં નહીં. તેઓ પોતે અધૂરા મુસલમાન હતા એટલે ઇસ્લામિક અસ્મિતાનો તેમને કોઈ સ્પર્શ નહોતો થયો. આમ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને મુસલમાનો ભારતમાં આવ્યા હતા અને હિંદુઓ પર અત્યાચાર કરીને વટલાવ્યા હતા, એ સાચી વાત નથી. જો એ સાચી હકીકત હોત તો એ યુગમાં કોઈને કોઈ જગ્યાએ હિંદુઓએ બળવો કર્યો હોત. નબળામાં નબળી પ્રજા પણ જ્યારે ગળે આવી જાય ત્યારે બળવો કરે છે. હા, દલિતોએ અને શોષિતોએ શાંત વિદ્રોહ જરૂર કર્યો હતો. તેમને સવર્ણ હિંદુઓ દ્વારા સદીઓથી કરવામાં આવતા અન્યાય અને અત્યાચારથી મુક્તિ મેળવવાનો વિકલ્પ મળ્યો હતો. ભારતમાં જે હિંદુઓ મુસલમાન થયા છે એમાંના ૮૦ ટકા કરતાં વધુ લોકો પદદલિત હતા. તેમણે સામે ચાલીને શોષણથી મુક્ત થવા ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો.

તો પછી આવી માનસિકતા આવી ક્યાંથી? આગળ કહ્યું એમ જે પ્રજા પ્રત્યક્ષ ભોગવતી હતી તે પ્રજાએ ગળે આવીને મુસ્લિમ શાસકો સામે બળવો કર્યો હોય એવી તો કોઈ ઘટના ઇતિહાસમાં નોંધાયેલી જડતી નથી. તો આ પછી આવી ‘માન્યતા’ ઇતિહાસનો હિસ્સો બની કઈ રીતે? આનો જવાબ અનમ ઝકરિયાએ આપ્યો છે. અંગ્રેજોએ તેમને માફક આવે એવો ઇતિહાસ લખીને ભારતના હિંદુઓની અને મુસલમાનોની એમ બંનેની જૂઠી ચામડી મઢી આપી હતી. અંગ્રેજોએ શીખવાડેલો ઇતિહાસ ભારતની બંને કોમને માફક આવે એવો હતો.

જેમ કે હિંદુઓને એમ માનવું ગમે છે કે તેમનું પતન તેમની નબળાઈને કારણે નહોતું થયું, પણ મુસલમાનોની નીચતાને કારણે થયું હતું. એક ઝાટકે અપરાધબોધમાંથી મુક્તિ. બીજી બાજુ મુસલમાનોને એમ માનવું ગમે છે કે તેમના પૂર્વજો ક્રૂરતાભર્યા આક્રમણો દ્વારા વિજયી નહોતા થયા, પણ ઇસ્લામ ધર્મની તેમ જ મુસલમાનોની શ્રેષ્ઠતાને કારણે વિજયી થયા હતા. એક ઝાટકે તેમને પણ અપરાધબોધમાંથી મુક્તિ. ભારતીય મુસલમાનોને એ સ્વીકારવું નથી ગમતું કે ભારત પર આક્રમણ કરનારા મુસલમાનો તેમના પૂર્વજો નહોતા પણ તેઓ વિદેશી મુસલમાનો હતા. મોટા ભાગના ભારતીય મુસલમાનોના પૂર્વજો હિંદુ બહુજન સમાજમાંથી આવતા હતા. ભારત પર વિદેશી મુસલમાનોએ રાજ કર્યું હતું અને તેઓ તો હિંદુમાંથી મુસ્લિમ બનેલા ભારતીય મુસલમાનોને જાહિલ સમજતા હતા. મુસ્લિમ વહીવટીતંત્રમાં ઉચ્ચ પદસ્ત અધિકારીઓ વિદેશી મુસલમાનો હતા અથવા નાગર, ચિત્પાવન બ્રાહ્મણ કે કાયસ્થો હતા. કાયસ્થો મુસલમાનોના ખોળામાં ઘુસવા શું શું નહોતા કરતા એ જાણવું હોય તો હરિવંશરાય બચ્ચનની આત્મકથા વાંચી જાવ. તેઓ પોતે કાયસ્થ હતા. આમ મુસ્લિમ શાસકોની નજરે ભારતીય ધર્મપરિવર્તિત મુસલમાનોની કોઈ ગણના જ નહોતી. તેઓ તો હાંસિયામાં પણ નહોતા. આમ છતાં અંગ્રેજોએ તેમને શાસક કોમના વારસ તરીકેનું ચામડી મઢી આપીને સન્માન આપ્યું છે. 

આને કારણે હિંદુઓ જ્યારે મુસ્લિમ શાસકો દ્વારા શાસિત હતા ત્યારે જેટલા દુઃખી નહોતા એટલા આજે છે. અને મને એ વાતની પણ ખાતરી છે કે અહીં મેં જે મઢેલી ચામડી ખરોચવાનું સાહસ કર્યું છે એ કેટલાક હિંદુઓને અને મુસલમાનોને એમ બેઉને નહીં ગમે. માફક આવે એવી માન્યતાઓ ગુમાવવાની પીડા સંપત્તિ ગુમાવવા જેટલી જ હોય છે. નિર્વસ્ત્ર થવું કોઈને ગમતું નથી. 

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 સપ્ટેમ્બર 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 12

દીપક મહેતા|Opinion - Opinion|28 September 2019

મુંબઈ અને ગાંધીજીના જીવનનો એક યાદગાર દિવસ : 9મી જાન્યુઆરી 1915

૧૯૧૫ના જાન્યુઆરી મહિનાની નવમી તારીખ. શનિવાર. શિયાળો હજી ગયો નહોતો, અને ઉનાળાને આવવાને વાર હતી. જો કે તે દિવસે ભાગ્યે જ કોઈને એવો ખ્યાલ હતો, પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ દિવસ ખૂબ મહત્ત્વનો બની રહેવાનો હતો. તે દિવસે સવારે લગભગ સાડા સાત વાગે એસ.એસ. અરેબિયા નામનું જહાજ મુંબઈના બારામાં નાંગર્યું. બે ભૂંગળાંવાળું અને વરાળથી ચાલતું આ જહાજ ૧૮૯૮માં બંધાયું હતું અને તે પી. એન્ડ ઓ. નામની કંપનીની માલિકીનું હતું. કલાકના ૧૮ દરિયાઈ માઈલની ઝડપે ચાલતું આ જહાજ એ વખતે ખૂબ ઝડપી ગણાતું હતું. એ દિવસે એ જહાજ પર એક ખાસ મુસાફર અને તેમનાં પત્ની પણ હતાં. અગાઉથી સરકારની મંજૂરી લઈને એ બે મુસાફરો બીજા મુસાફરોની જેમ ગોદી પર નહિ, પણ એપોલો બંદર પર ઊતરે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાધારણ રીતે વાઈસરોય અને રાજામહારાજાઓ જ આ રીતે એપોલો બંદર પર ઉતરી શકતા. એવું અસાધારણ માન મેળવનાર એ બે મુસાફરો તે મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમનાં પત્ની કસ્તૂરબા.

જેમાં ગાંધીજી અને કસ્તૂરબા મુંબઈ આવ્યાં એ એસ.એસ. અરેબિયા

આજે જ્યારે આખા દેશમાં એ બંનેની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે બે-ત્રણ અઠવાડિયાં આપણે ગાંધીજી અને મુંબઈ વિષે થોડી વાત કરશું. જો કે આ અંગે જેમને વિગતવાર જાણવું હોય તેમણે તો ૨૦૧૭માં પ્રગટ થયેલું પુસ્તક ‘ગાંધી ઇન મુંબઈ’ જ વાંચવું રહ્યું. પુષ્કળ સંશોધન કરીને મણિભવન ગાંધી સંગ્રહાલયના પ્રમુખ ઉષા ઠક્કરે અને એ જ સંગ્રહાલય સાથે સંકળાયેલાં સંધ્યા મહેતાએ આ પુસ્તક લખ્યું છે. અહીં જે લખ્યું છે તેનો ઘણો આધાર આ બેનમૂન પુસ્તક છે એ હકીકતનો સાભાર ઋણસ્વીકાર.

ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર

એપોલો બંદરને એ વખતે લોકો પાલવા બંદર તરીકે ઓળખતા. પાલ એટલે શઢ. પાલવા એટલે શઢવાળું વહાણ. અગાઉ માછીમારોનાં આવાં વહાણ અહીંની જેટી પર નાંગરતાં એટલે લોકો તેને પાલવા બંદર કહેતા. અંગ્રેજોએ એ દેશી નામનું અંગ્રેજીકરણ કરીને નામ આપ્યું ‘એપોલો બંદર.’ ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે ગ્રેટ બ્રિટનના શહેનશાહ કિંગ-એમ્પરર જ્યોર્જ પાંચમા અને ક્વીન એમ્પ્રેસ મેરી અહીં જ ઉતર્યાં હતાં. હિન્દુસ્તાનની મુલાકાતે આવનાર આ પહેલાં શાહી દંપતી હતાં. એ પ્રસંગે તેમનું સ્વાગત કરવા અહીં એક દરવાજો બાંધવાનો નિર્ણય સરકારે લીધો હતો. ૧૯૧૧ના માર્ચની ૩૧મી તારીખે તેનો પાયો નખાયો હતો, પણ શાહી આગમન સુધી તે દરવાજો તૈયાર થઇ શક્યો નહોતો. એટલે પૂંઠાનો કામચલાઉ દરવાજો લગભગ રાતોરાત ઊભો કરવામાં આવ્યો હતો. ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’નું બાંધકામ તો છેક ૧૯૨૪માં પૂરું થયું હતું. સરકારી બાંધકામની ગોકળગાયની ગતિ એ કાંઈ આઝાદી પછીની સરકારોનો જ ઈજારો નથી. બ્રિટિશ સરકાર પાસેથી એવી ગતિ વારસામાં મળી છે. એટલે ગાંધીજી જ્યારે એપોલો બંદર પર ઊતર્યા ત્યારે ત્યાં ગેટ વે ઓફ ઇન્ડિયા નહોતો. માત્ર જેટી હતી. પણ હા, ૧૯૦૩માં બંધાયેલી તાજ મહાલ હોટેલ ત્યારે ત્યાં ઊભી હતી.

મુંબઈ આવ્યાં ત્યારે ગાંધીજી અને કસ્તૂરબા

ગાંધીજીને આવકારવા માટે એક ખાસ સ્ટીમ લોન્ચમાં મુંબઈના કેટલાક મહાનુભાવો એસ.એસ. અરેબિયા ઉપર ગયા હતા. તેમાં શેઠ નરોત્તમ મોરારજી, જમશેદજી બી. પીતીત, સર ભાલચંદ્ર કૃષ્ણ, બી.જી. હોર્નીમેન, બહાદુરજી વગેરેનો સમાવેશ થતો હતો. તો બીજી એક સ્ટીમ લોન્ચમાં નારણદાસ ગાંધી અને રેવાશંકર જગજીવન ઝવેરી ગાંધીજીને આવકારવા ગયા હતા. ગાંધીજી અને કસ્તૂરબા જ્યારે એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે તેમને આવકારવા ત્યાં સેંકડો લોકો એકઠા થયા હતા. મૂળ યોજના તો એપોલો બંદર પર ગાંધીજીનો જાહેર સત્કાર કરવાની અને પછી સરઘસ આકારે તેમને શહેરમાં લઇ જવાની હતી. પણ સરકારે તે માટે મંજૂરી આપી નહોતી. એટલે એ વાત પડતી મૂકવી પડી હતી.

નરોત્તમ મોરારજીના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ

ગાંધીજી મુંબઈ આવ્યા તે પહેલાં જ તેમને ઉતારો ક્યાં આપવો એ અંગે ચર્ચા ચાલી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના બંગલાનું સૂચન સર ફિરોઝશાહ મહેતાએ કર્યું હતું પણ એ બંગલાને તૈયાર કરવા માટે જે સમય જોઈએ તેટલો સમય હતો નહિ. એટલે પહેલાં તો ગાંધીજીને શેઠ નરોત્તમ મોરારજીના પેડર રોડ ખાતે આવેલા શાંતિભવન નામના બંગલામાં લઇ ગયા હતા. આ નરોત્તમ મોરારજી એટલે હિન્દી વહાણવટાના આદિપુરુષ. વહાણવટાની પહેલવહેલી ‘દેશી’ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીના ત્રણ સ્થાપકોમાંના એક. બીજાં બે સ્થાપકો તે વાલચંદ હીરાચંદ અને લલ્લુભાઈ શામળદાસ. આ બંગલામાં ગાંધીજી અને કસ્તૂરબાએ થોડાક કલાક ગાળ્યા હતા. ગાંધીજી ત્યાં ગોપાળ કૃષ્ણ ગોખલે અને શ્રીનિવાસ શાસ્ત્રીને મળ્યા હતા. પછી રેવાશંકર જગજીવન ઝવેરીના સાંતાક્રુઝ ખાતેના ઘરે ગયા હતા.

સ્વામી આનંદ

મુંબઈમાં આવતાંવેંત સભાઓ, મુલાકાતો, મિજબાનીઓ માટેની માગણીઓનો તો જાણે વરસાદ વરસ્યો હતો. ગાંધીજી મુંબઈ આવ્યા તે જ દિવસે ‘બોમ્બે ક્રોનિકલ’ નામના અખબારને તેમણે મુલાકાત આપી હતી. ૧૦મી તારીખે ગાંધીજી કેટલાક કુટુંબીજનોને મળવા બજારગેટ સ્ટ્રીટ ગયા હતા. ત્યાં તેઓ પહેલી વાર સ્વામી આનંદને મળ્યા હતા. પછીનાં વર્ષોમાં સ્વામી ગાંધીજીના નિકટના સાથી બન્યા હતા. તે જ દિવસે કોટ વિસ્તારમાં બે સત્કાર સમારંભ યોજાયા હતા. કોટ વિસ્તારના રહેવાસીઓ તરફથી પ્રભુદાસ જીવણજી કોઠારીની વાડીમાં, અને મોઢ વણિક જ્ઞાતિ તરફથી જીવણદાસ પીતાંબરદાસના બંગલે. ભણવા માટે ગાંધીજી ઇંગ્લંડ ગયા ત્યારે આ જ જ્ઞાતિએ તેમને ન્યાતબહાર મૂક્યા હતા. ભણતર પૂરું કરીને સ્વદેશ પાછા આવ્યા પછી પ્રાયશ્ચિત કરી ગાંધીજી જ્ઞાતિમાં ફરી દાખલ થયા હતા. પણ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ત્યારે ગાંધીજી એટલી જાણીતી વ્યક્તિ બની ગયા હતા કે એ જ જ્ઞાતિએ તેમનું સન્માન કર્યું હતું. એ વખતે ૧૭ વર્ષની ઉંમરના રઘુનાથ બ્રહ્મભટ્ટનું નાટક ‘બુદ્ધદેવ’ મુંબઈના એમ્પાયર થિયેટરમાં આશારામ મૂળજીની નાટક કંપની ભજવી રહી હતી. તેમણે પણ ગાંધીજી માટે સમારંભ યોજ્યો હતો. આ નાટકનું એક ગીત ‘સાર આ સંસારમાં ન જોયો’ આજ સુધી નાટકપ્રેમીઓની જીભ પર રમતું રહ્યું છે.

જે.બી પીતીતના બંગલે પાર્ટીમાં ગાંધીજી અને કસ્તૂરબા

૧૧મી જાન્યુઆરીએ ઘાટકોપર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. રાવબહાદુર વસનજી ખીમજી પ્રમુખસ્થાને હતા. ચાંદીના કાસ્કેટમાં તેમને માનપત્ર અપાયું ત્યારે ગાંધીજીએ ભાષણમાં કહ્યું કે જેને માથે છાપરું નથી અને જેના ઘરને બારણાં નથી તેવા માણસને તમે સોના-ચાંદી આપો તે શા ખપનું? ૧૨મી જાન્યુઆરીએ ગાંધીજી અને કસ્તૂરબાના માનમાં એક શાનદાર સમારંભ પેડર રોડ પર આવેલા જે.બી. પીતીતના ‘માઉન્ટ પીતીત’ નામના બંગલે યોજાયો હતો. ત્યારે ૬૦૦ જેટલા ‘દેશી’ તેમ જ અંગ્રેજ મહેમાનો હાજર હતા. પ્રમુખસ્થાને હતા સર ફિરોઝશાહ મહેતા. સર રિચાર્ડ લેમ્બ, સર ક્લોડ હિલ, સર દોરાબજી તાતા, મહંમદઅલી ઝીણા, સર દિનશા વાચ્છા જેવા એ જમાના અગ્રણીઓ હાજર હતા. એ સમારંભના ઠાઠ અને રૂઆબથી ગાંધીજી અકળાઈ ગયા હતા. કિંમતી ભેટો માટેનો અણગમો આ સમારંભમાં પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમારંભમાં જતાં પહેલાં ગાંધીજી દાદાભાઈ નવરોજી અને ડો. દાજી બરજોરજીને મળવા ગયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓએ ગાંધીજી પર હુમલો કર્યો ત્યારે આ ડોકટરે ગાંધીજીની સારવાર કરી હતી.

૧૩મી જાન્યારીએ હીરાબાગ ખાતે બોમ્બે નેશનલ યુનિયન તરફથી સભા યોજાઈ હતી. તે માટેનું આમંત્રણ ન હોવા છતાં બાળ ગંગાધર ટીળક તેમાં હાજર રહ્યા હતા એટલું જ નહિ, ભાષણ પણ કર્યું હતું. ૧૪મી તારીખે ગુજરાત સભા તરફથી ગિરગામના મંગળદાસ હાઉસ ખાતે ‘ગાર્ડન પાર્ટી’ યોજાઈ હતી. પ્રમુખસ્થાને હતા મહંમદઅલી ઝીણા. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીનો પરિચય આપ્યો હતો. બંનેએ ગાંધીજીના મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. પોતાના ભાષણમાં સર સૈયદ અહમદને યાદ કરીને ગાંધીજીએ કહ્યું હતું કે હિંદુ અને મુસલમાન તો ભારત માતાની બે આંખો છે. ગાંધીજીએ નિખાલસતાથી કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જ્યારે જ્યારે ‘ગુજરાતીઓ’ વિષે વાત થતી ત્યારે કેવળ હિંદુ ગુજરાતીઓને જ ધ્યાનમાં રાખીને વાત થતી. મુસ્લિમ અને પારસીઓની તો વાત જ નહોતી થતી. જ્યારે આ ગુજરાત સભાના પ્રમુખ સ્થાને એક મુસ્લિમ બિરાદર (ઝીણા) બિરાજે છે એ જોઈ આનંદ થાય છે.

જ્યાં સત્કાર સમારંભ યોજાયો એ હીરાબાગ

આ સમારંભમાં ઘણાંખરાં ભાષણો અંગ્રેજીમાં થયાં હતાં. ગાંધીજીએ જવાબ ગુજરાતીમાં આપ્યો હતો અને ગુજરાતીઓના મેળાવડામાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે ટકોર કરી હતી. આત્મકથામાં ગાંધીજી નોંધે છે કે ગુજરાતીઓના કાર્યક્રમમાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે આ રીતે ગુજરાતીમાં બોલીને મેં નાનકડો સત્યાગ્રહ કર્યો હતો. ૧૪મી તારીખે જ ગાંધીજીએ મુંબઈના ગવર્નર લોર્ડ વિલિન્ગડનની મુલાકાત પણ લીધી હતી. ૧૫મી તારીખે સાંજે મુંબઈની સ્ત્રીઓ તરફથી કસ્તૂરબાને માનપત્ર આપવામાં આવ્યું હતું. માધવ બાગમાં યોજાયેલા સમારંભમાં લેડી ફિરોઝશાહ મહેતા પ્રમુખસ્થાને હતા. તે જ દિવસે ગોપાળ કૃષ્ણ ગોખલે મુંબઈ આવતાં ગાંધીજી તેમને મળવા ગયા હતા. તે જ દિવસે રાત્રે ગાંધીજી અને કસ્તૂરબા પોરબંદર, રાજકોટ, વગેરે કાઠિયાવાડનાં શહેરોમાં જવા માટે ટ્રેનમાં નીકળ્યાં. બંનેએ થર્ડ ક્લાસમાં મુસાફરી કરી હતી. એ વખતે કાઠિયાવાડ જવા માટે વિરમગામ સ્ટેશને ટ્રેન બદલવી પડતી. એ સ્ટેશને બ્રિટિશ રાજ્યની હદ પૂરી થતી અને દેશી રાજ્યોની હદ શરૂ થતી. એટલે વિરમગામ સ્ટેશને બધા મુસાફરોનો સામાન ખોલાવીને તપાસતા અને જકાત વસૂલતા. અને જરૂર લાગે તો મુસાફરની દાક્તરી તપાસ પણ કરતા. એ વખતે પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને મુસાફરીને દિવસે ગાંધીજીને થોડો તાવ હતો. એટલે એમની દાક્તરી તપાસ થઇ હતી પણ તેમને રોકવામાં આવ્યા નહોતા.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાન પાછા આવ્યા તે પછી પચાસ વર્ષે, ૧૯૬૫માં, કનૈયાલાલ મુનશીએ લખ્યું હતું: “૧૯૧૫માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા ત્યારે દેશના રાજકારણમાં ઓટ આવી હતી. દેશભક્તો પાસે માત્ર બે વિકલ્પો હતા. કાં તો ગોખલેની વિચારશ્રેણીને અનુસરીને બંધારણીય આંદોલનના માર્ગે જવું અથવા તો માઈકલ કોલિન્સ અને તેમના સાથીદારોએ આયર્લેન્ડ માટે જે માર્ગે આઝાદી મેળવી તે માર્ગે હિંસા અને ત્રાસવાદને રસ્તે જનારાઓનું સમર્થન કરવું. સૌ પ્રથમ તો ગાંધીજીએ અહિંસક આંદોલન દ્વારા રામરાજ્ય સ્થાપવાની વાત કરી ત્યારે એ કાળના નેતાઓએ એને સ્વપ્નદૃષ્ટાની તરંગલીલા કહી; ઘણાએ એમની વાતને હસી કાઢી; તેઓને લાગ્યું કે અવ્યવહારુ ધર્માત્માનું આ આંધળું સાહસ છે. પરંતુ ગાંધીજીની આ નવી પદ્ધતિ એ પછી તેમની પ્રેરણામાંથી જાગેલા આંદોલનમાં અજમાવાઇ, અને તેનું સામર્થ્ય સૌને સમજાયું. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ નિર્બળતામાંથી નહોતો પ્રગટ્યો. એ શક્તિમાંથી આવ્યો હતો.”

મુનશીના આ શબ્દો વાંચતાં સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીને અંજલિ આપતાં કવિ કરસનદાસ માણેકે લખેલા લાંબા કાવ્ય ‘કલ્યાણયાત્રી’ની બે પંક્તિ યાદ આવે છે:

સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે,
ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે.

[“ગુજરાતી મિડ-ડે”, 28 સપ્ટેમ્બર 2019ના અંકમાં પ્રગટ]

e.mail : deepakbmehta@gmail.com

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Loading

કૉપરહેગન, સિલ્કઅ અને કિર્કેગાર્ડ

સુમન શાહ|Opinion - Opinion|28 September 2019

કેટલાક દિવસથી મૂડ ખરાબ છે. એમાં અચાનક આજે કિર્કેગાર્ડ યાદ આવી ગયા. એમના સંદર્ભે લખાયેલો લેખ અહીં 'પુન:શ્ચ'માં મૂક્યો છે :

કિર્કેગાર્ડ કહેતા કે ધર્મ પ્રભવે છે વ્યક્તિમાં, જેમ પ્રેમ પણ વ્યક્તિમાં જ પ્રભવે છે.

વ્યક્તિ પોતાના અસ્તિત્વને અધિકૃત બનાવે તો સમાજ અધિકૃત બને. વ્યક્તિ પોલી હોય, અસ્તિત્વ ખોખલું હોય, તો સમાજ સંસ્કૃતિ કે સભ્યતા પણ, એમ જ હશે.

બોઇન્ગ 747 ઘણું લાંબું હતું ને મારો સીટ-નમ્બર પણ છેડે 60-H હતો. 2-સીટેડ રૉ-માં મારી વિન્ડો-સીટ હતી. હું વિમાસણમાં હતો કે જોડેની સીટમાં કોણે ય આવશે. ઘણા સમય સુધી કોઈ આવ્યું નહીં. નિરાંત થઈ કે ચાલો, સીટ ખાલી રહેવાની. પણ ત્યાં તો એક વિદેશી યુવતી આવી ને ગોઠવાઈ, બેઠી. સામસામે જોવાઈ જતાં, એકમેકને અમે ફૉર્માલિટી-સ્માઇલ આપ્યું. પ્લેન ટેક-ઑફ્ફ થયું પછી મને પૂછે : આર યુ ગૉઇન્ગ ટુ આમ્સ્ટરડામ? : પ્રશ્ન વિચિત્ર હતો કેમ કે ફ્લાઇટ જ મુમ્બઈ ટુ આમ્સ્ટરડામ હતી. મેં કહ્યું : ઓ યાય્યા ! : એણે કહ્યું : આયૅમ ગોઇન્ગ યુ કૉપનહેગન, આઈ હેવ ટુ ચેન્જ ધ ક્રાફ્ટ : મેં કહ્યું : યાય્ ઓકે … ગુડ ….

કૉપરહેગન સાંભળીને મને સુખ્યાત ફિલસૂફ કિર્કેગાર્ડ (૧૮૧૩-૧૮૫૫) યાદ આવી ગયેલા, કેમ કે એ એમનું વતન. યુવતી કૉપનહેગન જતી'તી. બાજુમાં બેઠી'તી, તે હું એને જાતજાતનું પૂછવાને આતુર થઈ ગયેલો. પૂછવા માંડ્યું : આઈ હોપ, યુ નો કિર્કેગાર્ડ : અફકોર્સ ! ગ્રેટ ફિલૉસૉફર ઑફ માય કન્ટ્રી ડૅન્માર્ક : પણ પછી, બટ, હાઉ, કમ, યુ …? … કરીને એણે મને અનેક સવાલ કરેલા. મેં કહેલું કે ક્લાસમાં ઍક્ઝિસ્ટેન્સ્યાલિઝમ ભણાવતી વખતે હું કિર્કેગાર્ડ વિશે પણ કહેતો. હું ભાષા-સાહિત્યનો પ્રોફેસર હતો; રાઈટર છું. કિર્કેગાર્ડની ફિલસૂફીનો ચાહક છું. બીજા વિદ્વાનોની જેમ હું પણ કિર્કેગાર્ડને `ફર્સ્ટ ઍક્ઝિસ્ટેન્સ્યાલિસ્ટ ફિલૉસૉફર' માનું છું : બાય ધ વે, મે આઈ નો યૉર ગુડ નેમ, પ્લીઝ? : સિલ્કઅ (Silke). વૉટિઝ યૉર નેમ? : સુમન : પછી અમે અમારા નામોના અર્થ કહી બતાવ્યા. મેં કહ્યું, યુ મસ્ટ બી હૅવિન્ગ ક્વૉલિટીઝ ઑફ સિલ્ક : સોનેરી વાળવાળું માથું એણે સ્મિત સાથે હકારમાં નમાવેલું.

એ કશા અંગત કામે બૅન્ગલૂર આવેલી. સોસ્યોલૉજીની સ્ટુડન્ટ, કૉપનહેગનમાં માસ્ટર્સનું ભણે. ઘણી વાતો જાણી : કૉપનહેગનમાં હાઈ-રાઇઝ્ડ બિલ્ડિન્ગો થવા લાગ્યાં છે, પણ શહેર નાનું છે. અમારે ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણાવાય ખરું છતાં બધાં માતૃભાષા ડૅનિશને જ ચાહે : મેં પૂછેલું કે લન્ચમાં રોજ શું જમો : જાણ્યું કે એમનું લન્ચ આપણાં દાળ-ભાત-શાક-રોટલી જેવું સ્ટીરિયોટાઇપ્ડ નથી; બદલાતું રહે : ઓલ્ડ ડ્રેસિઝ છે હજી? : નો; વી હેવ લૉસ્ટ નાઉ : મેં ખાસ તો આ પૂછ્યું : હાઉ કિર્કેગાર્ડ ઇઝ રીસિવ્ડ ટુડે? : એવરિવન ઇન ડૅન્ લવ્ઝ સોરેન ઑબે કિયર્કિગો : એમ એણે મને Soren Aabye Kier-kegaard-નો ડેનિશ ઉચ્ચાર શીખવાડ્યો. મને કહે, ધૅર ઈઝા ગ્રેટ સ્ટૅચ્યુ ઑફ હિમ ઇન ધ રૉયલ લાઇબ્રેરી ગાર્ડન ઇન કૉપનહેગન.

કિર્કેગાર્ડ સ્વયં કવિ હતા. મશ્કરીમાં પણ એમણે સાચું કહેલું કે કવિમાણસ દુખિયો જીવ છે. હૃદયની ભીતરે ઘેરી વ્યથાને સંતાડી રાખે. પણ એના હોઠની રચના એવી કે ત્યાંથી નિસાસા ને દુ:ખાવાઓની આવ-જા થયા કરે; તેથી લાગે કે ત્યાંથી કશુંક સંગીત પ્રગટી રહ્યું છે ! કિર્કેગાર્ડની ફિલસૂફીનો પ્રમુખ સૂર તો મનુષ્ય-વ્યક્તિ અંગે છે. જીવનની આકરી વાસ્તવિકતા આગળ વ્યક્તિને ફિલસૂફોની અમૂર્ત વાતો પરવડતી નથી. આ સંદર્ભે એમણે સંસ્થાપિત ધર્મની કડક સમીક્ષા કરેલી. અમૂર્ત વાતોમાં વ્યસ્ત રહેનારા ફિલસૂફોની સિદ્ધાન્તપરાયણ વિદ્વત્તાના તેઓ ટીકાકાર હતા. કહેતા કે એઓ બધા એકબીજાને ઉતાવળે સમજી લેવાની ભૂલો કરતા હોય છે.

અસ્તિત્વવાદ ભણાવવાનું એક કારણ તો ૧૯-મી ૨૦-મી સદીમાં સાહિત્યકલામાં સંભવેલા આધુનિકતાવાદી ઉન્મેષો – જેમાં વ્યક્તિનું અસ્તિત્વ કેન્દ્રમાં હતું. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં મેં આધુનિકતાનું આખું પેપર દાખલ કરાવેલું. સાહિત્યકલામાં આધુનિકતા શું છે તેના ઓરિઍન્ટેશન માટે ૭-દિવસીય પરિસંવાદ યોજેલો. મારું 'સાહિત્યમાં આધુનિકતા' પુસ્તક પણ એ વર્ષોમાં સમ્પન્ન થયેલું. (૧૯૮૮).

૧૯-મી સદીના યુરપમાં શરૂ થયેલા પરિવર્તનો અંગે કિર્કેગાર્ડે અનેક નિરીક્ષણો આગળ કરેલાં. એક નિરીક્ષણ એ હતું કે મનુષ્યજીવનમાં પ્રગટેલી આધુનિકતા – modernity – ભાવાવેશ વિનાની બેજાન વસ્તુ છે. એમાં બધું મિકેનિકલ અને મૅથેમિટિકલ છે. બીજું એમણે એ જોયું કે ટોળાંશાહી વિકસી રહી છે. વ્યક્તિઓનો ટોળાંમાં વિલય થવા માંડ્યો છે. સંખ્યાબળનો મહિમા વધતો ચાલ્યો છે. સત્યના નિર્ણયમાં સંખ્યા જોવાય છે. જે કંઈ સમાનતા કે પ્રગતિ વરતાય છે, એ તો ગાણિતિક છે.

૨૧-મી સદીની પ્રવર્તમાન સંસ્કૃતિમાં સંખ્યાનો જાદુ કેટલો વકર્યો છે એ આપણે રોજે રોજ અનુભવીએ છીએ. ભારતમાં અને બધા જ લોકશાહી ય દેશોમાં સંખ્યા સંખ્યા ને સંખ્યાનો જ મહિમા છે ! ટોળાંઓ જૂથો મંડળીઓ કે પોલિટિકલ પાર્ટીઓ નક્કી કરે એને જ સત્ય કહેવાય છે. આપણા સાહિત્યમાં પણ એ જ માનસિકતા પ્રવર્તે છે કે કોની સંખ્યા મોટી છે. આધુનિકતાવાદીઓ ઘટી ગયા છે? સરસ ! પરમ્પરાવાદીઓ ખુશ થઈ જાય છે. દરેક મોવડી એમ સમજાવે કે મારી સાહિત્યરસમને સ્વીકારનારા અનુસરણકાર જો વધ્યા, તો વિકાસ છે, નહિતર રકાસ ! સંખ્યા માણસને પક્ષિલ બનાવીને છેલ્લે રાજકારણમાં ધકેલે છે. વિચારવું જરૂરી નથી કે એમાં ધકેલાઈને આપણે સાવ ખૂંપી ગયા છીએ? વાચકોને આ જાણવામાં રસ નથી કે કયો સાહિત્યકાર ખરી વ્યક્તિ છે, ને કયો, મંડળીનો ભાયાત છે. પ્રજાજનોને પણ એટલું જ જાણવું હોય છે કે સલમાન કે અક્ષયકુમારની ફિલ્મોએ કેટલા અબજનો બિઝનેસ કર્યો. સોસ્યલ-નેટની વ્યાખ્યાનું પણ મુખ્ય લક્ષણ એ છે કે ઇન્સ્ટાગ્રામ્સને, ટ્વીટર્સને કે ફેસબુકર્સને કેટલાં likes મળ્યાં ને પરિણામે કેટલા અબજોનાં ટ્રાન્ઝેક્શન્સ થયાં. આ સંખ્યાવાદી દુષ્પરિણામની કિર્કેગાર્ડને કેટલી તો વહેલી ભાળ મળી ગયેલી !

એમણે સ્ટેટ-રીલિજ્યનની પણ ટીકા કરેલી. સમજાય એવું છે કે માથાં ગણીને રાજ્ય હરેક વાતે મુસ્તાક રહી શકે, પણ નાગરિકને ખ્રિસ્તી ન બનાવી શકે. કે હિન્દુ ન બનાવી શકે. ખ્રિસ્તીત્વ, હિન્દુત્વ કે કશું પણ ધર્મત્વ વ્યક્તિનો વિષય છે. રાજ્ય મત-મતલબે ધર્મસંગાથી હોવાનો ડૉળ કરે છે. કિર્કેગાર્ડ કહેતા કે ધર્મ પ્રભવે છે વ્યક્તિમાં, જેમ પ્રેમ પણ વ્યક્તિમાં જ પ્રભવે છે. એમની આ વ્યક્તિલક્ષી ફિલસૂફી અસ્તિત્વવાદનો પાયો છે. એમનું સુખ્યાત વચન છે, `સબ્જેક્ટિવિટી ઇઝ ટ્રુથ'. આત્મલક્ષીતા અથવા આત્મત્વ સત્ય છે. આત્મત્વથી જ વ્યક્તિ, વ્યક્તિ હોય છે. વ્યક્તિ પોતાના અસ્તિત્વને અધિકૃત બનાવે તો સમાજ અધિકૃત બને. વ્યક્તિ પોલી હોય, અસ્તિત્વ ખોખલું હોય, તો સમાજ સંસ્કૃતિ કે સભ્યતા પણ, એમ જ હશે. આજે રાષ્ટ્રો આધુનિકતા બાબતે ઘણી પ્રગતિ કરી રહ્યાં છે. પણ નથી લાગતું કે એ આત્મત્વ વિનાની, દોડાદોડી છે?

મેં સિલ્કઅ-ને પૂછેલું કે કૉપનહેગનના લોકો કયો ધર્મ પાળે છે. એણે `ખ્રિસ્તી' કહેલું પણ એણે એ પણ કહેલું કે અમે કોણ કયો ધર્મ પાળે છે એ નથી પૂછતાં; એમ પુછાય જ નહીં; બીકૉઝ રીલિજ્યન ઇઝ પ્યૉરલિ અ પર્સનલ મૅટર. એના એ મન્તવ્યથી મને સમજાયેલું કે ધર્મને વ્યક્તિની અંગત ચીજ ગણવાની વાતે કિર્કેગાર્ડ ડૅન્માર્કમાં જ નહીં, વિશ્વ સમગ્રમાં સ્વીકારાયા છે. છૂટા પડતી વખતે મેં સિલ્કઅ-ને કહેલું કે – ઑન બીહાફ ઑફ મી, પ્લીઝ, બિડ માય સૅલ્યુટ ટુ સ્ટૅચ્યુ ઓવ કિયર્કિગો … એણે સૂચક સ્માઇલ સાથે `બાયાય' કહેલું …

https://www.facebook.com/suman.shah.94/posts/2750227265008169

Loading

...102030...2,6712,6722,6732,674...2,6802,6902,700...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved