Opinion Magazine
Number of visits: 9664422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—291

દીપક મહેતા|Opinion - Opinion|31 May 2025

બાવલા ખૂન કેસમાં ત્રણ નહિ, બે ગુનેગારોને જ ફાંસી અપાઈ, કેમ?    

ગુરુવાર, નવેમ્બર ૧૯, ૧૯૨૫ના એ દિવસે જેવી જજસાહેબની પીઠ દેખાઈ કે તરત છાપાંના ખબરપત્રીઓએ (ના, જી, એ વખતે હજી જડબાતોડ ‘વૃત્તાંતનિવેદક’ શબ્દ ચલણી બન્યો નહોતો) દોટ મૂકી. બહારગામનાં છાપાંના ખબરપત્રીઓએ થોડે દૂર આવેલ સેન્ટ્રલ ટેલગ્રાફ ઓફિસ તરફ, મુંબઈનાં છાપાંના ખબરપત્રીઓએ પોતપોતાની ઓફિસ તરફ. બે-ત્રણ ચકોર હતા તે ગયા નજીકની ઈરાની રેસ્ટોરાં તરફ. તેમણે પહેલેથી હોટેલનો ફોન વાપરવા માટે ‘સેટિંગ’ કરી રાખેલું. કોઈ બહુ મોટો બનાવ બને ત્યારે છાપાં ખાસ ‘વધારો’ બહાર પાડે એવો એ વખતે ચાલ. બાકીનાં પાનાં તો સવારના અંકનાં જ હોય, પણ પહેલે પાને સાત કોલમનું (એ વખતે એક પાના પર સાત કોલમ આવતા. પછીથી આઠ કોલમ થયા) મોટું મથાળું : ‘બાવલા ખૂન કેસમાં ત્રણને ફાંસી, ત્રણને જનમટીપ, બે નિર્દોષ.’

કેદમાં કેદી

કેસ ચાલતો હતો ત્યારથી જ છાપાંઓમાં ભાગલા પડી ગયા હતા. ‘બોમ્બે ક્રોનિકલ’ અને બીજાં એક-બે સિવાય ઘણાંખરાં અંગ્રેજી છાપાં સરકાર તરફી. બ્રાહ્મણ માલિકીનાં મરાઠી છાપાં ઇન્દોરનરેશની વિરુદ્ધ, કારણ નરેશ બિન-બ્રાહ્મણ હતા. અદાલતના ચુકાદા સામે તો ખાસ કોઈને વાંધો નહોતો. પણ ચુકાદો આપ્યા પછી જસ્ટીસ ક્રંપ જે થોડાંક વાક્યો બોલ્યા તેણે છાપાં તો ઠીક, ઇન્દોરનરેશ અને બ્રિટિશ સરકાર સામે મોટી મુસીબત ખડી કરી દીધી. એ વાક્યો ફરી યાદ કરીએ : ચુકાદો સંભળાવ્યા પછી જસ્ટિસ ક્રમ્પે ઉમેર્યું : “જે સ્ત્રી દસ વરસ સુધી ઇન્દોરના મહારાજાની રખાત બનીને રહી હતી, પછી તેમને છોડીને મુંબઈ આવી હતી અને મિસ્ટર બાવલા સાથે રહી હતી તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ આખા કાવતરાનાં મૂળ ઇન્દોર સુધી પહોંચતાં હોય તેમ માનવાને પૂરતાં કારણો છે. દેખીતું છે કે આજે આ અદાલતે જે ગુનેગારોને સજા ફરમાવી છે તેમનો દોરીસંચાર કરનારા હાથ તો બીજા કોઈના હતા. પણ એ હાથ કોના હતા એ અંગે ખાતરીપૂર્વક અમે કશું કહી શકીએ એવી સ્થિતિમાં નથી.” 

ઇન્દોરના રાજવીએ બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવાની તૈયારી શરૂ કરી દીધી.

બાવલા ખૂન કેસ ૧૯૨૫નો. આપણા દેશમાં ૧ ઓક્ટોબર ૧૯૩૭ સુધી સુપ્રીમ કોર્ટનું અસ્તિત્ત્વ નહોતું. તે દિવસે સ્થપાઈ તે કોર્ટને પણ ‘ફેડરલ કોર્ટ’ નામ આપવામાં આવેલું. એટલે ૧૯૩૭ સુધી બોમ્બે, મદ્રાસ, અને કલકત્તા હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવી હોય તો તે લંડનમાં બેઠેલી ‘પ્રિવી કાઉન્સિલ’ને કરવી પડતી. ૧૯૫૦માં (૨૮ જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ત્યાં સુધી હિન્દુસ્તાનમાં ચાલેલા ખટલાઓ સામે છેવટની અપીલ આ પ્રિવી કાઉન્સિલને કરવી પડતી. એ અરજી પહેલાં લાગતાવળગતા રાજ્યના ગવર્નરને મોકલવાની, પછી પોતાની ભલામણ સાથે ગવર્નર એ અરજી દિલ્હીમાં વાઈસરોયને મોકલે. વાઈસરોય પોતાની ભલામણ સાથે અરજી મોકલે લંડન. આ પ્રિવી કાઉન્સિલની સ્થાપના થયેલી ૧૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે. જે વખતે એમ કહેવાતું કે બ્રિટિશ સામ્રાજ્ય પર સૂર્ય ક્યારે ય આથમતો નથી એ વખતે દરેક બ્રિટિશ સંસ્થાન માટે પ્રિવી કાઉન્સિલ એ છેવટની અદાલત હતી. હકીકતમાં આ કાઉન્સીલની એક કમિટી – જ્યુડિશીયલ કમિટી – પાસે બધી અપીલો જતી. એ વખતે આ કાઉન્સિલનો ચુકાદો એ છેવટનો ચુકાદો. તેની સામે અપીલ થઈ શકતી નહિ. 

ગ્રેટ બ્રિટનની પ્રિવી કાઉન્સિલનું મકાન

પબ્લિક પ્રોસીક્યૂટર ટી. રામ સિંહને મદદ કરવા ઇન્દોરના રાજવીએ સારામાં સારા વકીલો રોક્યા. તેમણે રાત-દિવસ મહેનત કરીને બોમ્બે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ તૈયાર કરી. બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર સર લેસ્લી વિલ્સનને હાથોહાથ પહોંચાડી. તેમણે મતું મારીને મોકલી દીધી દિલ્હી, ગવર્નર જનરલ અને વાઈસરોય સર રફસ આઈઝેકને. અને ત્યાંથી અરજી પહોંચી ગ્રેટ બ્રિટનની પ્રિવી કાઉન્સીલની જ્યુડીશીઅરી કમિટિ પાસે. ત્યાં આખા કેસ પર, બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા પર, વિગતવાર ચર્ચા-વિચારણા થઈ. અને કાઉન્સીલે જવાબ મોકલ્યો ગવર્નર જનરલ અને વાઈસરોયને, તેમણે એ મોકલ્યો મુંબઈના ગવર્નરને, તેમણે મોકલ્યો બોમ્બે હાઈકોર્ટને અને ઇન્દોરના પબ્લિક પ્રોસીક્યૂટરને.

સર લેસ્લી વિલ્સન

કાનૂની જવાબ હતો, એટલે લાંબો તો હોય જ. થોડો અટપટો પણ હોય. આપણે એ જવાબની વિગતોમાં નહિ જઈએ. પણ લંડનવાળાઓએ કહ્યું કે અમે તમારી અરજી ઉપર પૂરતું ધ્યાન આપ્યું છે, વિગતવાર ચર્ચા કરી છે. અને તેને પરિણામે અમે સર્વાનુમતે ઠરાવીએ છીએ કે બોમ્બે હાઈ કોર્ટના માનવંતા જસ્ટીસ ક્રમ્પે જે ચુકાદો આપ્યો છે તે બધી રીતે યોગ્ય, કાયદા અને ન્યાય પ્રમાણે પૂરેપૂરો સ્વીકાર્ય છે, અને તેથી તેમાં કોઈ ફેરબદલ કરવાની ભલામણ અમે કરી શકતા નથી. લાગતાવળગતા સરકારી અધિકારીઓએ આ ચુકાદાની અમલબજાવણી માટે જરૂરી પગલાં વહેલી તકે લેવાં. ઇન્દોરના રાજવીની તો ગઈ ભેંસ પાણીમાં!

બોમ્બે હાઈ કોર્ટના જસ્ટીસ ક્રમ્પે પોતાના ચુકાદામાં કહ્યું હતું : “શફી અહમદ પોંડે, શફી અહમદ નબી અહમદ, અને શ્યામરાવ રાવજી દિઘેની મરનાર અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુનામાં સીધી સંડોવણી અને ભાગીદારી હોવાનું શંકા વગર પુરવાર થયું હોવાથી આ ત્રણ ગુનેગારોને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે છે.” These three shall be hanged till death. 

પણ આ કેસ ચાલતો હતો તે દરમ્યાન જેલમાં તેમાંના એક ગુનેગાર શફી અહમદ પોંડેમાં ગાંડપણની અસર દેખાવા લાગી. એ વખતે આજના જેવી વૈદકીય સગવડો તો નહોતી. પણ જેલના અને બહારના ડોક્ટરોએ તેને તપાસીને કહ્યું કે પોંડે પાગલપણાનાં ઘણાં લક્ષણો બતાવી રહ્યો છે. યરવડાની મેન્ટલ હોસ્પિટલના વડા ડોકટરે પણ અભિપ્રાય આપ્યો કે આ કેદીમાં માનસિક બીમારીનાં લક્ષણ જોવા મળે છે. કાયદા પ્રમાણે ગાંડા માણસને ફાંસી આપી શકાય નહિ. એટલે પોંડેની સજા એ મૌત મુલતવી રાખવામાં આવી.

૧૯૨૬માં આર્થર રોડ જેલ બંધાઈ રહી તે પહેલાં ડોંગરીની જેલ મુંબઈની મુખ્ય જેલ હતી. છેક ૧૮૦૪માં એ બંધાઈ હતી. દેશની આઝાદીની લડત દરમ્યાન લોકમાન્ય ટિળક, ગોપાલ ગણેશ આગરકર અને વીર સાવરકર જેવા નેતાઓને આ જેલમાં રાખવામાં આવ્યા હતા. ૧૯ નવેમ્બર ૧૯૨૫. સવાર પડે તે પહેલાં મુંબઈની ડોંગરીની જેલની બહાર લોકોના ટોળાં એકઠા થવા લાગ્યાં. પ્રેસના રિપોર્ટરો જેલમાંથી આવતા-જતા પર બરાબર નજર રાખીને ઊભા હતા. સરકારે તો પૂરેપૂરી ગુપ્તતા રાખી હતી, પણ આગલી સાંજે જ મુંબઈમાં વાત વહેતી થઈ ગઈ હતી કે કાલે વહેલી સવારે બાવલા મર્ડર કેસના બે ગુનેગારોને ફાંસી અપાવાની છે. ખુદ બંને ગુનેગારોને પણ તે દિવસે સવારે ૬.૫૦ વાગ્યે ખબર અપાઈ હતી કે આજે તમને અપાયેલી ફાંસીની સજાનો અમલ કરવામાં આવશે. બંનેએ શાંતિપૂર્વક એ સમાચાર સાંભળ્યા હતા. યરવડા જેલથી આવેલા જલ્લાદે બંને ગુનેગારોને ફાંસી આપી હતી. પછીથી બંનેના મૃતદેહ તેમનાં સગાંઓને સોપી દેવામાં આવ્યા હતા.

ઇન્દોર રાજવાડા – ૨૦મી સદીની શરૂઆતમાં

પ્રિય વાચક! આપને થતું હશે કે ચાલો, આ બાવલા ખૂન કેસનું પ્રકરણ છેવટે પૂરું થયું. ના, ભઈ ના. એ વખતનાં છાપાંની ભાષામાં કહીએ તો બાવલા ખૂન કેસનો ચરુ હજી ઊકળતો હતો! એક તો ચુકાદો આપ્યા પછી નામદાર જજસાહેબે જે કહ્યું હતું એના પડઘા શમતા નહોતા. બીજી બાજુ કેટલાંક છાપાં, ફરી એ જમાનાનો પ્રયોગ કરીને કહીએ તો ‘આદુ ખાઈને’ ઇન્દોરના રાજવીની પાછળ પડ્યાં હતાં. તેની પાછળનું એક કારણ એ કે ઇન્દોરના રાજવીઓ બ્રાહ્મણ કે ક્ષત્રિય વંશના નહિ, પણ ધનગર જાતિના હતા. આ ધનગર એટલે આપણે જેને ‘ભરવાડ’ કહીએ છીએ તેવી એક જાતિ, જેની સારી એવી વસતી આજના મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં છે. ઇન્દોરના પહેલા રાજવી મલ્હાર રાવ હોળકર ધનગર જાતિના હતા. એટલે બીજી બાજુ બિન-હિંદુ છાપાં ઇન્દોર રાજવીનું ઉપરાણું તાણી રહ્યાં હતાં. છાપાંઓની આ લડાઈ તો જાહેરમાં ચાલતી હતી. પણ વધુ અસરકારક બનાવો તો પડદા પાછળ બની રહ્યા હતા. બોમ્બે હાઈ કોર્ટના ચુકાદા પછી મુંબઈના પોલીસ કમિશનર પેટ્રિક કેલીએ મુંબઈના નામદાર ગવર્નરની અંગત મુલાકાત લીધી અને કહ્યું કે હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું, પણ બોમ્બે હાઈ કોર્ટના નામદાર જજ સાહેબે પણ ચુકાદો આપતી વખતે ઇન્દોરના મહારાજા તુકોજી રાવ હોલકર, ત્રીજા તરફ દેખીતી રીતે જ આંગળી ચિંધી છે. માટે સરકારે હવે તેમની સામે કાનૂની પગલાં લેવાં જોઈએ. અને આવાં પગલાં લેવાય તે માત્ર કાયદા અને ન્યાયની દૃષ્ટિએ જ જરૂરી નથી. બ્રિટિશ સલ્તનતની પ્રતિષ્ઠા ટકાવી રાખવા માટે પણ જરૂરી છે. અને પછી છેલ્લે ‘રાણાનો ઘા’ કરતાં કહ્યું : ‘ઇન્દોર નરેશ સામે પગલાં લેવામાં નહિ આવે તો મુંબઈના પોલીસ કમિશનરના હોદ્દા પરથી મારે રાજીનામું આપી દેવું પડશે.’

પ્રિય વાચક! જરા વિચાર કરજો : કઈ માટીનો ઘડાયેલો હશે આ પોલીસ કમિશનર? તેની પાસે એક કેસ આવ્યો તેની સામે પૂરે તરીને પણ સારામાં સારી રીતે તપાસ કરી. જે આરોપીઓને મુંબઈ પોલીસે પકડ્યા હતા તેમને બોમ્બે હાઈ કોર્ટે વધતી-ઓછી સજા પણ કરી. પોલીસ કમિશનરના હોદ્દાની રૂએ તો તેમનું કામ પૂરું થયું. પણ ના! આ કાવતરું ઘડનાર ખરા આરોપીને સજા ન થાય તો નોકરીમાંથી રાજીનામું આપવાની તૈયારી બતાવવી? આજનો કોઈ પોલીસ કમિશનર આવું કરી તો શું, વિચારી પણ શકે?

અને નામદાર ગવર્નરે વાત પહોંચાડી દિલ્હી દરબાર સુધી. દિલ્હીમાં નામદાર ગવર્નર જનરલ અને વાઈસરોયે શું કર્યું તેની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 31 મે 2025

Loading

મૂલ્ય સમયનું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|31 May 2025

રચના અને નેહા સમવયસ્ક હતી અને સાથે અભ્યાસ કરતી હતી. નેહાનો સ્વભાવ સરળ અને જતુ કરવાની ભાવના વાળો હતો. જ્યારે રચનાનો સ્વભાવ અકડું અને અભિમાન વાળો હતો. રચનાના પપ્પા શહેરના નામાંકિત વકીલોમાંના એક હતા. ધિકતી પ્રેક્ટિસ અને અઢળક આવક હતી. સંતાનમાં રચના એક જ હતી આથી વધુ પડતા લાડપ્યારથી ગર્વિષ્ઠ અને અમીરીમાં રાચતી થઈ ગઈ હતી. તે માનતી કે પૈસા જ સર્વસ્વ છે. ઘણી વખત તેના પપ્પા તેને કહેતા, “બેટા, પૈસા નહીં પણ સમય બળવાન છે. સમયને માન આપતા શીખ. કોઈનો સમય ક્યારે ય એક સરખો હોતો નથી. આજે આપણો સમય બળવાન છે તો કાલે તે નબળો પણ પડી શકે છે.” પણ, રચના કહેતી, “ના પપ્પા, મારો સમય હંમેશાં એવો જ રહેવાનો છે. મારે કોઈની જરૂર નહીં પડે, બીજાને મારી જરૂર પડશે.”

નેહાના પપ્પા એક પેઢીમાં કામ કરતા હતા. સામાન્ય આવક હતી. કુટુંબમાં ત્રણ બાળકો અને પત્ની સાથે પાંચ જણાનો નિર્વાહ કરવાનો હતો એટલે આર્થિક સંકડામણ રહેતી હતી. નેહા સમજુ હતી અને અભ્યાસમાં સારી હોવાથી, સરળ સ્વભાવની હોવાથી જરૂરી મદદ મળી રહેતી. રચનાને નેહા સાથે મિત્રતા હતી, પણ તે પોતાની મોટાઈ બતાવવા માટે હતી. નેહાની આગળ પોતે પૈસાદાર હોવાનું પ્રદર્શન કર્યા કરતી. નેહાને તે ગરીબ છે એવો અહેસાસ કરાવતી રહેતી. રચના, બીજી સખીઓ વચ્ચે પણ નેહાને ઉતારી પાડતી, અપમાનિત કરતી. નેહા બધું જ સમજતી હતી, પણ તેને પોતાની આર્થિક પરિસ્થિતિ અને સમય અને સંજોગોનો ખ્યાલ હતો. ઘણી વખત બીજી સખીઓ પણ નેહા સાથેના આવા વ્યવહાર માટે રચનાને ટોકતી, તો રચના કહેતી તેને આજે પણ મારી જરૂર પડે છે અને પછી પણ પડશે. મને એ શું ખપ લાગવાની છે? મારે તેની જરૂર ક્યારે ય નહીં પડે. નેહાને પણ રચનાની આવી વાતોની ખબર હતી, પણ એ પોતાના સ્વભાવને લઈને ગમ ખાઈ જતી, કોઈ પ્રતિભાવ આપતી નહોતી.

સમયનું ચક્ર ફરતું રહ્યું. નેહાનો દીકરો અતુલ એક ખ્યાતનામ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર થઈ ગયો હતો. તેની મુલાકાત માટે પંદર પંદર દિવસ રાહ જોવી પડતી. અદ્યતન હોસ્પિટલ હતી. તેનો એક નિયમ હતો, ગરીબ હોય કે પૈસાદાર દરેકને મુલાકાત નિયમ પ્રમાણે જ આપવામાં આવતી અને તે જ પ્રમાણે ટ્રીટમેન્ટ થતી હતી. લાગવગને કોઈ સ્થાન નહોતું. તે માનતો કે ગરીબ હોય કે પૈસાદાર રોગ માટે બધા સરખા હોય છે અને તેની કુશળતા જોતા બધાં જ તેના આ વિચારને/નિયમને માન આપતા.

વિધિને કરવું ને રચનાના દીકરાને એક્સસિડેન્ટ થયો. માથાના ભાગે સખત ઇજાઓ થઈ અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ હતું, ડૉક્ટરોનો મત હતો કે આ ઓપરેશન ડૉક્ટર અતુલ સિવાય કોઈ નહીં કરી શકે. ડૉક્ટર અતુલની આવા કોમ્પ્લિકેટેડ ઓપરેશનમાં માસ્ટરી હતી અને ઘણા અસંભવ હોય તેવા કેસમાં સફળતા મેળવી હતી. પણ, તેની મુલાકાત તો પંદર દિવસ પછી મળે અને એટલો સમય દર્દી પાસે નહોતો, તો શું કરવું?

રચનાએ કહ્યું, ડોકટર અતુલને ફોન કરીને તપાસ તો કરીએ, એ, શું કહે છે. ફોન કરતા જવાબ મળ્યો “સાહેબની મુલાકાત પંદર દિવસ પહેલાં શક્ય નથી, બહુ લાબું વેઇટિંગ લિસ્ટ છે.” 

“સાહેબને કહો કે મારા દર્દી પાસે એટલો સમય નથી. તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ છે જે ફક્ત ડોકટર અતુલ સાહેબ જ કરી શકો એમ છે. સાહેબને કહીને કંઇક રસ્તો કાઢો.”

 “ના, એ શક્ય નથી, સાહેબનો નિયમ છે એટલે અમે કંઈ મદદ નહીં કરી શકીએ.” 

“તો અમે સાહેબને રૂબરૂ મળી શકીએ?” 

“જેવી તમારી ઈચ્છા પણ સાહેબે આજ સુધી પોતાના નિયમમાં બાંધછોડ કરી નથી.”

રચનાને તપાસ કરતાં ખબર પડી કે સ્કૂલ, કોલેજના દિવસોમાં સદા ય જેને ઉતારી પાડતી, બે-ઈજ્જત કરતી અને ગરીબાઈની ઠેકડી ઉડાડતી એ નેહાનો પુત્ર જ ડૉક્ટર અતુલ છે. તેને બીક લાગી. હું નેહાને મળવા જાઉં અને તે તેના દીકરાને ઓપરેશન કરવાની ના પાડી, મેં કરેલી બે-ઈજ્જતીનો બદલો લે તો. પણ, તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂરિયાત છે, જો ઓપરેશન સમયસર નહીં કરવામાં આવે તો દીકરાને બચાવો મુશ્કેલ છે. જે થાય તે હું નેહાને મળવા જઈશ, પગમાં પડી મારા કૃત્યોની માફી માગી લઈશ. નેહા મોટા દિલની છે મને જરૂર મદદ કરશે.

આલીશાન બંગલાની ડોરબેલ વાગી, માણસે બારણું ખોલ્યું, “કોનું કામ છે? ડૉક્ટર સાહેબ ઘરે કોઈને મળતા નથી.”

 “મારે નેહા મેડમનું કામ છે.”

“બેસો, હું મેડમને વાત કરું છું.” રચના મોંઘા ઇટાલિયન સોફા ઉપર બેઠી. માણસે મોંઘી ટ્રેમાં પાણી આપ્યું.

“અરે! રચના તું? આપણી ઘણા લાંબા સમય પછી મુલાકાત થઈ.”

“તું મને ઓળખી ગઈ?” 

“તને તો હું કેમ ભૂલું. એ દિવસોને કેમ ભૂલું કે એક પણ મોકો મને બે-ઇજ્જત કરવાનો તું છોડતી નહોતી.” 

“એમ બોલમાં મને આજે મારા એ ભૂતકાળનાં કૃત્યનો અફસોસ અને પસ્તાવો થાય છે.”

“રચના એ દિવસોમાં તારાં વર્તનને કારણે મેં ખૂબ માનસિક ત્રાસ ભોગવ્યો છે. છતાં આજે હું જે કંઈ છું, એ તારાં વર્તનના પરિણામે છું. તારી એ અવહેલનાએ જીવનમાં કંઈક કરી બતાડવાનું જોશ અને જોમ આપ્યું. હું તો કંઈ ન કરી શકી, પણ મારા દીકરાને એક ઉચ્ચ અને ખ્યાતનામ વ્યક્તિ બનાવી શકી. આજે મારા અતુલનું ડૉક્ટર જગતમાં નામ અને સ્થાન છે.”

“હા, પણ તું શું કામ આવી છો? આપણે ખોટી વાતે ચડી ગયાં.” રચના ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

“તું રડમાં. શું વાત છે એ કહે.” રચનાએ બધી વાત કરી. “મારા કૃત્યની સજા મારા દીકરાએ ન ભોગવવી પડે. મને માફ કરી દે.”

“અરે! રચના એ સ્કૂલ, કોલેજના દિવસો હતા. ભૂલી જા એ બધું. મેં તને ત્યારે પણ જવાબદાર નહોતી ગણી. કારણ કે એમાં તારો કોઈ વાંક નહોતો મારી પરિસ્થિતિ જ એવી હતી.” 

“નેહા તું કેટલી ઉદાર દિલની છો. કાશ! હું, પણ તે સમયે પૈસાના અભિમાનમાં ન આવી હોત તો. મારા પપ્પાએ પણ સમજાવી હતી. બેટા, સમયને માન આપતા શીખ. સૌનો સમય એક સરખો નથી રહેતો. આજે મને સમજાય છે. મારા પપ્પા કેટલા સાચા હતા.”

નેહાએ અતુલને ફોન કર્યો, બેટા, તારું કામ છે, તું જરા ઘરે આવી જા. નેહાએ અતુલને રચનાની વાત કરી. “મમ્મી, તું તો મારા નિયમને જાણે છે.”

“હા, બેટા, તારા એ નિયમ ઉપર મને ગર્વ છે. પણ, બેટા, તારી આ માતાનું રચના માસી ઉપરનું ઋણ ચૂકવવા, મારી ખાતર નિયમમાં તારે બાંધછોડ કરવી પડશે.”

“ભલે મમ્મી, જેવી તમારી આજ્ઞા.”

રચનાએ કહ્યું, “બેટા, અતુલ, તારી મમ્મી, નેહા બહુ જ ઉમદા વ્યક્તિ છે. અને તેનો દીકરો પણ ઉમદા જ હોય. આજે મને સમયનું મૂલ્ય સમજાયું, સમયને માન આપશો તો સમય તમને માન આપશે.”

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

લગ્ન કે લિવ-ઇન રિલેશનશીપ, શું સારું? 

સોનલ પરીખ|Opinion - Opinion|31 May 2025

‘આપણી વચ્ચે નથી બીજું કઈં, એક નાતો છે અને નિર્ભેળ છે’ – આધુનિક મૂલ્યો અને જીવનશૈલીએ જટિલ બનાવેલા સંબંધો, લગ્નસંસ્થા પર ઊઠતાં પ્રશ્નો અને લિવ–ઇન રિલેશનશીપની વ્યાવહારિક મુશ્કેલીઓ વચ્ચે હાલકડોલક સ્ત્રીપુરુષ સંબંધો નિર્ભેળ નાતાની પાદર્શકતા ક્યાં શોધશે?  

સોનલ પરીખ

મુસ્લિમ મા શીરીન મોહમ્મદઅલી, ફિલ્મસર્જક મહેશ ભટ્ટના હૃદયનો એક આળો ખૂણો છે. મહેશ ભટ્ટના પિતા અને વીતેલા યુગના નિર્માતા-નિર્દેશક નાનાભાઇ ભટ્ટ નાગર બ્રાહ્મણ હતા, મુસ્લિમ પ્રેમિકા સાથે પરણી ન શક્યા અને હિન્દુ યુવતી હેમલતા સાથે પરણવું પડ્યું. શીરીન સાથેનો પ્રેમ અતૂટ હતો, પણ 1930-40ના એ જમાનામાં સંબંધ ટકાવવામાં બંનેને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી હશે? લગ્નનું સન્માન ન પામેલી, સામાજિક ઉપેક્ષા અને અપમાનોનો ભોગ બનેલી મા પ્રત્યે મહેશ ભટ્ટને એક અજબ લગાવ હતો. આ આખી વાત એમણે 1998ની ફિલ્મ ‘ઝખ્મ’માં મૂકી છે. મધર્સ ડે નિમિત્તે એ મા-દીકરાના સંઘર્ષ પ્રત્યે આદર વ્યક્ત કરું છું.

આજે આપણે આવા સંબંધોને લિવ-ઈન રિલેશનશીપ તરીકે ઓળખીએ છીએ. સમાજમાં આવા સંબંધોનું પ્રમાણ વધ્યું છે અને કાયદો પણ તેને કૂણી નજરે જોવા લાગ્યો છે ત્યારે વિચાર આવે કે લગ્ન સારાં કે લિવ-ઈન રિલેશનશીપ? ઓશો વર્ણવે છે તેમ ભયથી ફફડતાં બે બાળક એકબીજાને વળગીને બેઠાં હોય એમ જીવતાં પતિપત્નીની સંખ્યા ધારીએ છીએ તેના કરતાં ઘણી વધારે છે. સાથે રહેવાનું ફાવતું ન હોય ને પ્રેમ જેવું કશું બચ્યું ન હોય તેમ છતાં આવાં લગ્નો ટકી જાય છે, કારણ એકલતા, ટીકા, નિષ્ફળતાઓ ભય અને બાળકોની ચિંતા. લિવ-ઈન રિલેશનશીપ પર આવા બોજ કે બંધન હોતાં નથી. વ્યક્તિગત અધિકાર રક્ષાય છે. સ્વપ્નો જોવાની, પૂરાં કરવાની મોકળાશ હોય છે. સાથે રહેવું ગમે છે એ જ સાથે રહેવાનું કારણ હોય છે. પણ એ ચિત્ર પણ દૂરથી લાગે છે તેટલું સુંદર હોતું નથી. વળી ભારતમાં લગ્નને જન્મજન્માંતરનો સંબંધ માનવામાં આવે છે અને લિવ-ઇનને અપરાધ ન ગણવા છતાં કાનૂની સમર્થન ઓછું છે. સામાજિક સમર્થન તો બિલકુલ નથી. 

કેરળની એક કન્યાના પિતાએ દીકરી ગુમ થઈ છે એવી એફ.આઇ.આર. લખવી. છોકરી મળી, ખબર પડી કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં છે. છોકરી પુખ્ત હતી, પણ છોકરો પુખ્ત ન હતો એટલે લગ્ન કાયદેસર અમાન્ય ઠર્યાં. છોકરો સુપ્રીમ કોર્ટમાં ગયો. ત્યાં બે જજની બેન્ચે ચુકાદો આપ્યો કે ‘છોકરી પુખ્ત છે, બંને લગ્નમાં ભલે બંધાઈ ન શકે, પણ લગ્નબહાર પોતાની મરજીથી સાથે રહી શકે છે. 2005ના પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના અન્વયે આ કન્યા, પિતાની લાગણી કે અહમથી દોરવાયા વિના પોતાને પુખ્ત નાગરિક તરીકે કાયદાએ આપેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરી નિર્ણય લઇ શકે છે.’ 

2015ના જુલાઈમાં સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશીપને ‘એન એક્સેપ્ટેબલ કસ્ટમ ઇન ઇંડિયન સોસાયટી’ જાહેર કરી. ભારતની સંસ્કૃતિ અને પરંપરાને આ માફક આવે તેવી વસ્તુ નથી એટલે કાયદાએ ગમે તે કહ્યું, સમાજે પરવા કરી નહીં. 29 વર્ષની એક સુંદર બુદ્ધિમાન ને સારું કમાતી યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવાનું શરૂ તો કર્યું. લિવ-ઇન ‘સ્ટેટ્સ’ છુપાવ્યું નહીં, પરિણામે ત્રણ વર્ષમાં વીસ જેટલાં ઘર બદલવા પડ્યાં. ગ્લેમર ઇન્ડસ્ટ્રીને છોડીને વ્યક્તિગત રીતે પણ લિવ-ઇન રિલેશનશીપ ખાસ કોઈના ગળે ઊતરતી નથી. લગ્નમાં હજાર સમસ્યાઓ હશે, પણ તેમાં જે રીતે વ્યક્તિઓ, સંતાનો, પરિવાર અને સમાજ સચવાય છે તે રીતે લિવ-ઇનમાં સચવાતાં નથી.

બીજી તરફ લિવ-ઇનમાં જે સ્વતંત્રતા, સમાનતા અને સ્પેસ મળે તે લગ્નમાં સ્વપ્ને પણ કલ્પી ન શકાય. લિવ-ઇનની બાબતમાં પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટનો હવાલો અપાતો હોય છે. આ કાયદો લગ્ન અને ‘લગ્ન જેવા’ બંને સંબંધમાં લાગુ પડે છે. એ મુજબ સ્ત્રીને લગ્નમાં કે લિવ-ઇનમાં મેઈન્ટેનન્સનો હક અને લિવ-ઇનથી જન્મેલાં બાળકોને વારસાહક મળે છે.  

અજંપા અને અપેક્ષાઓના આ યુગમાં લગ્નજીવનનાં બંધનો ને જવાબદારીથી અને એકબીજાના સતત સહવાસથી ત્રાસી-કંટાળી ગયેલાં હોય એવાં યુગલોની સંખ્યા વધતી જાય છે. બેવફાઇ કે નવીનતાની શોધ કે શારીરિક આકર્ષણ કે હલકી રુચિ વગેરે કારણો હોય જ એવું પણ જરૂરી નથી. એવાં અનેક યુગલો આપણી આસપપસ મળે જે નક્કર ફરિયાદ ન હોવાથી છૂટાં ન પડ્યાં હોય, પણ એમને સાથે રહેવામાં બિલકુલ મજા ન આવતી હોય. ભારતીય માનસ ઊંડું ઊતરતું નથી, ગંભીરતાથી વિચારતું નથી. મજા ન આવવાની જવાબદારી અન્ય પર ઢોળવાનું એને વધારે ફાવે છે, કેમ કે એમ કરવાથી જવાબદારી પોતાની ન રહે – સામા પક્ષની થઈ જાય અને જવાબદારી પોતાની ન હોય એટલે પોતે કઈં મહેનત કરવાની ન રહે. 

વળી આપણે ભારતીયો પ્રારબ્ધવાદી. કર્મનો સિદ્ધાંત હાથવગો. સલાહો આપનારા પુષ્કળ. સમાજનો ડર ઘણો મોટો. લોકો શું કહેશે એ વિચાર પર જિંદગીઓ ખર્ચવાની ટેવ. કાઉન્સેલરને મળી શકાય એવો વિચાર કદી આવે નહીં. એટલે સંબંધો સુધરવાની શક્યતા નહીંવત. બીજી બાજુ પરસ્પર હિતો સંકળાયેલાં હોય, સંતાનો થયાં હોય, છૂટા થવાની ન સગવડ હોય, ન હિંમત. લગ્ન તોડવાં એ પણ એક મોટી જવાબદારી છે. એટલે સહજીવનનું ગાડું ખેંચાયા કરે. સંબંધો સુધરે નહીં ને અલગ પણ ન થવાય.

એટલે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે બે પુખ્ત વ્યક્તિઓને લગ્ન વગર સાથે રહેવાનો અધિકાર છે ત્યારે અનેકને થયું કે સારું જ છે, સાથે રહો પણ બંધાઓ નહીં ને ફાવે ત્યારે સામાન સાથે ચાલતી પકડો. નિષ્ણાતો માને છે કે લિવ-ઇન રિલેશનશિપને લઈને સમાજ બે જૂથોમાં વહેંચાયેલો છે જ્યાં બંને પક્ષોના પોત-પોતાના મંતવ્યો અને દલીલો છે. પરંતુ સમાજનું જ એક સત્ય એ પણ છે કે આવા સંબંધોમાં રહેતા યુવાનો હજુ પણ તેમના વિશે ખુલીને વાત કરતા નથી. તેઓ હજુ પણ ખચકાટ અનુભવે છે. ભારત પરંપરાઓનો દેશ છે છતાં. યુવાનોમાં લિવ-ઇનનું પ્રમાણ ઝડપથી વધતું જાય છે એ સ્વીકારવું પડે. એકબે વર્ષમાં તૂટી ગયેલા અને દાયકાઓ સુધી ટકી ગયેલા સંબંધો એમાં જોવા મળે. 

દરેક સંબંધની જેમ લગ્ન અને લિવ-ઇન બંનેના ફાયદા અને ગેરફાયદા, પ્રોઝ અને કોન્સ છે. લિવ-ઇનમાં સ્ત્રીપુરુષ એકબીજાને વધારે સારી રીતે જાણી શકે છે કેમ કે એમને ખલેલ પાડવા પરિવાર, વડીલો, સામાજિક અપેક્ષાઓ વગેરે હોતાં નથી. સંબંધ ટકવા પાછળ પ્રેમ અને પ્રતિબદ્ધતા હોય છે. ઉપરાંત આજના સ્પર્ધા, મહત્ત્વાકાંક્ષા અને કારકિર્દીના જમાનામાં અધિકાર નહીં, જવાબદારી પણ નહીં અને ન ફાવે ત્યારે છૂટા પડી જવાનું સરળ એવી લિવ-ઇનની વ્યવસ્થા વધારે અનુકૂળ છે. પણ લિવ-ઇનમાં સ્થિરતા નથી. લગ્ન જેવી સુખદુ:ખમાં સાથ આપવાની પ્રતિજ્ઞા નથી. પતિપત્ની લગ્ન બચાવવા બનતું બધું કરી છૂટે છે જ્યારે લિવ-ઇનમાં નાના મતભેદો પણ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. ત્યાર પછી સ્ત્રીને વ્યવસ્થિત સાથી મળવાની તક બહુ ઓછી થઈ જાય છે. લગ્નમાં એક ગહનતા છે, જે લિવ-ઇનમાં ભાગ્યે જ જોવા મળે છે. 

લિવ-ઇન કદાચ આધુનિક યુવાનોનો ‘શોર્ટ-કટ’ હોય એમ માનીને 24-25 વર્ષના બેચાર યુવકયુવતીઓ જઈ રહ્યા હતા એમને ઊભા રાખીને પૂછ્યું, ‘યંગ ફ્રેન્ડ્ઝ, તમે લગ્નમાં માનો છો કે લિવ-ઇનમાં?’ ખડખડ હાસ્ય પછી તેઓ કહે, ‘તમે લોકો આટલા ગંભીર થઈને લગ્ન કે લિવ-ઇન એવું વિચારવા બેસી જાઓ છો તે કરતા બંનેના પ્લસ પોઈન્ટ જેમાં હોય એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાનું વિચારતા હો તો? અમે તો એમાં માનીએ.’ અને ઝરણાંની જેમ કલકલ કરતા પોતાને રસ્તે ચાલ્યાં ગયાં. 

વિચાર ખોતો નથી – શું કહો છો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 મે  2025

Loading

...102030...265266267268...280290300...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved