Opinion Magazine
Number of visits: 9684083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં રાષ્ટૃવાદ એટલે વિનાશ !

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2019

૧૯૧૭માં અમેરિકામાં ભારતીય રાષ્ટ્રવાદ વિષે પ્રવચન આપતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ એક ભૂંડી કલ્પના છે અને ખાસ કરીને ભારત માટે તો એ વધારે ભૂંડી છે; કારણ કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે. રવીન્દ્રનાથ ટાગોર માત્ર એક પ્રવચન આપીને અને તેને છપાવીને થોભ્યા નહોતા, પણ ગાંધીજીએ ૧૯૨૦-૧૯૨૧ની સાલમાં જ્યારે અસહકારનું આંદોલન શરૂ કર્યું ત્યારે તેઓ ગાંધીજી સાથે પણ વિવાદમાં ઉતર્યા હતા. અસહકારના આંદોલનનો વિરોધ કરતા તેમણે ગાંધીજીને કહ્યું હતું કે રાષ્ટ્રીય જાગૃતિના નામે તેઓ (ગાંધી) આગ સાથે રમત રમી રહ્યા છે. ગાંધીજીએ ‘કવિની ચોકી’ (ચોકીદારી) નામનો લેખ લખીને ગુરુદેવને નિશ્ચિંત રહેવાનું આશ્વાસન આપ્યું હતું.

આવું કવિવરે શા માટે કહ્યું? રવીન્દ્રનાથ ટાગોર વીસમી સદીના મેધાવી અને મૌલિક વિચારક હતા. આ બાજુ સદીઓથી સુષુપ્ત અને અધમરેલા ભારતીય સમાજને ગાંધીજી જાગૃત કરી રહ્યા હતા. પહેલીવાર અંગ્રેજોને એમ લાગવા માંડ્યું હતું કે હવે ભારતમાંથી ઉચાળા ભરવા પડશે. બ્રિટિશ વડા પ્રધાને ૧૮મી માર્ચ ૧૯૨૨ના રોજ (જે દિવસે ગાંધીજીને છ વરસની સજા કરવામાં આવી હતી એ જ દિવસે) લંડનમાં આમની સભામાં પ્રજાને સધિયારો આપતા કહ્યું હતું કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સુરક્ષિત છે અને આપણે લાંબો સમય રાજ કરી શકીશું. ૧૯૨૩ના નવેમ્બરમાં મુંબઈના ગવર્નર સર જૉર્જ લૉઈડે અમેરિકન પત્રકાર ડ્રુ પિયર્સનને કહ્યું હતું કે, “એ તો ચૌરાચૌરીની ઘટના બની અને આંદોલન પાછું ખેંચાયું, પણ જો એમ ન બન્યું હોત અને અસહકારની લડતમાં ના-કરની લડત ઉમેરાઈ હોત તો અમારું શું થાત?” આમ રાષ્ટ્રીય જાગૃતિ અને અભૂતપૂર્વ રાષ્ટ્રીય એકતાને કારણે બ્રિટિશ સામ્રાજ્ય ધ્રુજી ગયું હતું.

આમ છતાં એ જ અરસામાં રવીન્દ્રનાથ ટાગોર કહે છે રાષ્ટ્રવાદ સ્વયં એક ભૂંડી કલ્પના છે અને ભારત માટે તો એ વધારે ભૂંડી નીવડી શકે એમ છે. જ્યારે ગાંધીના વિરોધીઓ સમય વર્તીને શુભ શુભ બોલતા હતા ત્યારે ગાંધીના અત્યંત સ્નેહી અને આદરણીય ગુરુદેવને ખરે ટાણે અશુભ બોલીને અપશુકન કરવાની શી જરૂર પડી? આખરે રવીન્દ્રનાથ દૂરનું ભાળી શકનારા કવિ હતા. તેમણે ગાંધીજી હજુ ભારતનું નેતૃત્વ સંભાળે એ પહેલાં જ ભારતીય રાષ્ટ્રવાદ વિષે ખતરાની ઘંટી વગાડી હતી અને અસહકારની લડત વખતે તો ગાંધીજી સાથે વિવાદમાં ઉતર્યા હતા. શા માટે?

રવીન્દ્રનાથે તેમના ભાષણની શરૂઆતમાં જ કહ્યું હતું કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે એટલે રાષ્ટ્રવાદ ભારત માટે ખતરનાક છે.

આમ કહીને રવીન્દ્રનાથ શું કહેવા માગે છે? રાજકીય અને સામાજિકમાં શો ફરક? રાષ્ટ્રવાદી દેશભક્તોએ આ વાત સમજી લેવાની જરૂર છે. રવીન્દ્રનાથ કહે છે કે જગતના કોઈ પણ દેશ કરતાં ભારતમાં બહુવિધતા વધુ છે. જ્યાં રાષ્ટ્રવાદનો પ્રાદુર્ભાવ થયો છે એ યુરોપના દેશોની અને ભારતની સામાજિક-સાંસ્કૃતિક-ભૌગોલિક સ્થિતિ અલગ છે. સતત ઊભા પગે રહેવું, સતત અસલામતિ વચ્ચે જીવવું, સતત બાજનજર રાખવી અને મોકો શોધીને તક ઝડપી લેવી, જરૂર પડે તો લડવું- ઝઘડવું- આંચકવું એ પશ્ચિમની સભ્યતાનો સ્વભાવ છે. ઓછી વસ્તી, ઓછી બહુવિધતા, ઓછાં કુદરતી સંસાધનો અને સંઘર્ષમય જીવનને પરિણામે પશ્ચિમની પ્રજાનો આવો સ્વભાવ ઘડાયો છે. તેમને પોતા પાસે હોય તે પકડી રાખવા માટે અને બીજા પાસેથી આંચકી લેવામાં રાજ્ય (એટલે કે જે તે યુગના શાસકો) મદદ કરતું આવ્યું છે.

આમાંથી “આપણે” અને “બીજા”ની માનસિકતા વિકસી છે. આમાંથી રાજ્ય(એટલે કે એક શાસકીય એકમ અથવા તો વહીવટી વ્યવસ્થા)ને ઓળખના વાઘા પહેરાવીને રાષ્ટ્રમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. “આપણે છોડવાનું નથી”, “આપણે સાબદા રહેવાનું છે”, “આપણે મેળવીને જ રહીશું”, “આપણે લડી લઈશું”, એમ “આપણે”, “આપણે”, “ આપણે”! આ આપણે એટલે કોણ? સાવ આપણે કહેવાથી તો પહેલો પુરુષ બહુવચન થયું અને એટલાથી કામ ન ચાલે. જો છિનાઝપટી કરવી હોય અને પોતાનું પકડી રાખવું હોય તો છિનનારમાં અને પકડી રાખનારમાં મહાનતાનું અને શૌર્યનું આરોપણ કરવું પડે. લૂંટારાઓની ટોળકીઓમાં પણ આગલી પેઢી પછીની પેઢીને “આપણે કેટલા મહાન છીએ અને આપણે કેટલા શૂરવીર છીએ” એના પાઠ આપતી જતી હોય છે. ઝનૂન ટકાવી રાખવા માટે આ જરૂરી છે, પછી ઉદ્દેશ ગમે તે હોય. ઝવેરચંદ મેઘાણીની બારવટિયાઓની શૌર્યગાથાઓમાં આ તત્ત્વ જોવા મળશે. ઝનૂન ટકાવી રાખવા માટે સદ્ગુણ અને શૌર્યનું લીંપણ જરૂરી છે.

આમ પશ્ચિમમાં જરૂરિયાતના ભાગરૂપે “આપણે”ની ઓળખ વિકસાવવામાં આવી અને તેના સ્વાભાવિક પરિણામ સ્વરૂપે ‘બીજા’ની ઓળખ પણ વિકસાવવામાં આવી હતી. “આપણે” મહાન અને શુરવીર અને “બીજા” નીચ અને નિર્વીર્ય. પણ ભારતને આની જરૂરિયાત છે? ભારતમાં આ શક્ય છે? જો શક્ય બનાવાવમાં આવે તો ભારત માટે હિતાવહ છે? રાષ્ટ્રવાદના રાવણામાં ચાલી નીકળતા પહેલાં આ પ્રશ્નોના ઉત્તર શોધવા જોઈશે. જો એવી તસ્દી નહીં લો તો તમારું સંતાન રાષ્ટ્રવાદના ખપ્પરમાં હોમાઈ શકે છે, જેમ જર્મની અને ઇટાલીમાં બન્યું હતું અને અત્યારે જ્યાં ઇસ્લામિક રાષ્ટ્રવાદ પ્રબળ છે એ મુસ્લિમ દેશોમાં બની રહ્યું છે.

આગળ વધતાં પહેલાં ભારતીય સભ્યતા કઈ રીતે આકાર પામી છે એ સમજી લો. માનવ સભ્યતાનો ઇતિહાસ એમ કહે છે કે જ્યાં આકરી આબોહવા ન હોય એટલે કે ઋતુ સમશીતોષ્ણ હોય, જ્યાં વિપુલ પાણી હોય અને જ્યાં જમીન ફળદ્રુપ હોય ત્યાં લોકો જઈને વસવાનું પસંદ કરે છે. દેખીતી રીતે જ્યાં જીવન ઓછું કષ્ટપ્રદ હોય અને જીવન જીવવા માટે બધું જ મળી રહેતું હોય ત્યાં માણસ રહેવાનું પસંદ કરશે. આ માનવસ્વભાવ છે અને ભારત આવી ભૂમિ છે. આખા જગતને ઈર્ષા થાય એવી હરીભરી આ ભૂમિ છે. હવે આપણે ગોળનો ગાડવો રાખીને બેઠા હોય અને મકોડા ન આવે એવું તો બને નહીં.

ભારતમાં ચારે બાજુથી લોકો આવવા લાગ્યા. કોઈ ફરતા ફરતા સુખની શોધમાં આવ્યા, કોઈ આક્રમક તરીકે આવ્યા, કોઈ વેપાર કરવા આવ્યા; પણ જે આવ્યા એ બધા જ અહીં આવીને વસી ગયા. માત્ર યુરોપિયનો ભારતમાં કાયમ માટે વસ્યા નહોતા કારણ કે તેઓ ઘણા મોડેથી આવ્યા હતા અને ત્યાં સુધીમાં તેમણે “બીજાનું” ધન લૂંટીને “આપણે” ત્યાં લઈ જવાની આવડત વિકસાવી લીધી હતી અને તે પણ રાષ્ટ્રવાદનું જ પરિણામ હતું. પશ્ચિમના એ શોષણ આધારિત રાષ્ટ્રવાદને જે તે દેશોના રાજ્યની મદદ હતી.

યુરોપિયનો ભારતમાં આવ્યા એ પહેલાનાં પાંચેક હજાર વરસના સમયખંડમાં સેંકડો લોકો ભારતમાં આવ્યા હતા અને વસી ગયા હતા. આદિવાસીઓને છોડીને કોણ મૂળ ભારતીય છે એ પણ આપણે જાણતા નથી. ગર્વીલા હિંદુઓ પોતાને આર્ય અને ભારતને આર્યાવર્ત તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે, પણ ઇતિહાસકારો એમ કહે છે કે આર્યો જ મધ્ય એશિયામાંથી ભારત આવ્યા હતા. આમ કોણ અસ્સલ ભારતીય અને કોણ આગંતુક ભારતીય એ કોઈ જાણતું નથી. ટૂંકમાં ભારતમાં જીવન ઓછું મુશ્કેલ હોવાને કારણે લોકો આવતા ગયા અને વસતા ગયા. આનો અર્થ એવો નથી કે ભારત ધર્મશાળા હતું. ધર્મશાળામાં લોકો આવે છે અને થોડા દિવસ રહીને જતા રહે છે. અહીં તો લોકોએ કાયમ માટે આશ્રય લીધો હતો એટલે આપણે એમ કહી શકીએ કે ભારતીય સભ્યતા ધર્મશાળામાં વિકસેલી સભ્યતા છે અને આખા જગતમાં આવી એક માત્ર સભ્યતા છે.

આવી સ્થિતિમાં લોકોની ઓળખ થોડી ટકી, થોડી ઝાંખી પડી, થોડી ભેળસેળ થઈ અને થોડી લુપ્ત થઈ ગઈ. ભારત આ રીતે ઘડાયેલો દેશ છે. બીજું, જીવન ઓછું કષ્ટપ્રદ હોવાને કારણે પશ્ચિમમાં જેમ સતત ઊભા પગે રહેવાની, સતત અસલામતિ વચ્ચે જીવવાની, સતત બાજનજર રાખીને અને મોકો શોધીને તક ઝડપી લેવાની અને જરૂર પડે તો લડવા – ઝઘડવા – આંચકવાની મનોવૃત્તિ જન્મી છે એ સ્વાભાવિકપણે ભારતમાં જન્મી નહોતી. ભારતમાં વસતા દરેકને જીવનનિર્વાહ માટે જે જોઈએ એ બધું જ આસાનીથી મળી રહેતું હતું. અસ્તિત્વ ટકાવી રાખવાનો જીવસટોસટનો સંઘર્ષ નહોતો એટલે ભારતમાં માનવીય ઉર્જા સર્જકતામાં પરિણત થઈ હતી. આપણું પ્રાચીન સાહિત્ય (દાર્શનિક અને લલિત બંને) આની સાક્ષી પૂરે છે.

એક બાજુ કુદરતની ઓછી મહેરને કારણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સાબદો રહેતો સંઘર્ષરત સમાજ અને બીજી બાજુ કુદરતની મહેરને કારણે સંતોષી અને ફૂલેલી-ફાલેલી સર્જકતા ધરાવતો સમાજ. એક બાજુએ સતત સુખ શોધનારો સતત જાગૃત સમાજ અને બીજી બાજુએ આવતીકાલની ચિંતાથી મુક્ત સંયુક્ત પરિવાર જેવો સમાજ. અભાવને કારણે જેમ પશ્ચિમના સમાજનાં કેટલાંક સ્વભાવ લક્ષણો વિકસ્યાં એમ ભારતમાં પણ ઈચ્છો એના કરતાં વધુ હોવાને કારણે વિકસ્યાં. થોડો આળસુ, થોડો ઉદાસીન, થોડો સંતોષી, આળસ અને સંતોષ વચ્ચે તેમ જ  ત્યાગ અને પુરુષાર્થ વચ્ચે વિવેક નહીં કરી શકનારો ઢોંગી, એક બાજુએ મહાન દર્શન આપનારો અને બીજી બાજુએ આળસ તેમ જ ક્ષુદ્રતાને મહાન દર્શનના પડીકામાં લપેટનારો વગેરે ભારતીય સમાજનાં સ્વભાવલક્ષણો છે.

પૂર્વ અને પશ્ચિમનો આ સ્થાયીભાવ છે. પશ્ચિમી સમાજના સ્થાયીભાવે રાષ્ટ્રવાદને જન્મ આપ્યો છે જે ભારતીય સમાજના સ્થાયીભાવ સાથે સુસંગત નથી. પશ્ચિમના સામાજિક સ્વરૂપને જોતાં  તો રાષ્ટ્રવાદ હજુયે પરવડી શકે, પણ ભારતનું સામાજિક સ્વરૂપ જોતાં તે જરા ય પરવડે એમ નથી. પશ્ચિમમાં રાષ્ટ્રવાદે કોઈ ઓછું નુકસાન નથી કર્યું, પણ ભારતમાં રાષ્ટ્રવાદ એટલે વિનાશ! માટે રવીન્દ્રનાથે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ પોતે જ એક ભૂંડી કલ્પના છે અને ભારત માટે તો એ વધારે ભૂંડી છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 19

દીપક મહેતા|Opinion - Opinion|24 November 2019

અહીંની કમાણી ભલે અહિયાં સમાણી

તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ

મુંબઈમાંનું કનૈયાલાલ મુનશીનું જીવન ભલે એક ચાલમાં શરૂ થયું, પણ પછી તો સાહિત્ય, સંસ્કૃતિ, રાજકારણ, જાહેર જીવન વગેરે ક્ષેત્રોના રાજાધિરાજ પદે તેઓ પહોંચ્યા. પણ લાખો લોકો એવા છે જેમનું જીવન કોઈ ચાલમાં શરૂ થાય છે, અને પૂરું પણ કોઈ ચાલમાં જ થાય છે. આ ચાલ અથવા ચાળી, અથવા વાડી, અથવા માળો એ મુંબઈના જીવનની, તેની ઈમારતોની, તેની સંસ્કૃતિની એક આગાવી નિશાની છે. ૧૯મી સદીમાં મુંબઈમાં ધીમે ધીમી જુદા જુદા પ્રકારના ઉદ્યોગ, ધંધા, વ્યવસાય, વિકસતા ગયા તેની સાથે આ ‘ચાલ’ને સીધો સંબંધ છે. જેમાં મોટી સંખ્યામાં કામગારોની જરૂર પડે તેવો મુંબઈમાં શરૂ થયેલો પહેલો ઉદ્યોગ તે કોટન મિલ ઉદ્યોગ. ૧૮૫૪માં કાવસજી નાનાભાઈ દાવરે આખા દેશની પહેલવહેલી કોટન મિલ મુંબઈમાં તારદેવ ખાતે શરૂ કરી – બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની. કાવસજીનો જન્મ ૧૮૧૫માં, બેહસ્તનશીન થયા ૧૮૭૩ના ડિસેમ્બરની ૨૨મી તારીખે. ૧૮૫૩ના ઓક્ટોબરમાં બીજા કેટલાક વેપારીઓને ભાગીદાર તરીકે સાથે લઈને તેમણે બોમ્બે મર્કન્ટાઇલ બેંક શરૂ કરી. ત્યાર બાદ પાંચ લાખ રૂપિયાની થાપણ સાથે ૧૮૫૪માં બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની શરૂ કરી. ત્યાર બાદ મુંબઈમાં બહુ ઝડપથી નવી નવી મિલો શરૂ થઈ. ૧૮૬૫ સુધીમાં કોટન મિલની સંખ્યા વધીને ૧૦ની થઇ હતી. ઈ.સ. ૧૯૦૦ સુધીમાં તો મુંબઈ ૧૩૬ મિલોથી ધમધમવા લાગ્યું હતું.

પહેલી મિલના સ્થાપક કાવસજી નાનાભાઈ દાવર

આ બધી મિલોમાં કામ કરવા માટે બહુ મોટી સંખ્યામાં કામદારોની જરૂર પડી જે મુંબઈમાં રહેતા લોકોથી પૂરી કરી શકાય તેમ નહોતું. એટલે આજના મહારાષ્ટ્રના જુદા જુદા ખૂણેથી કામદારોને મુંબઈ લાવવા પડ્યા. બહારથી આવેલા આ કામદારોના રહેઠાણની વ્યવસ્થા કરવી જરૂરી બની. ‘મિલ’ને મરાઠીમાં ‘ગિરણી’ કહે છે. ઘણીખરી મિલો મુંબઈના અમુક ચોક્કસ વિસ્તારમાં શરૂ થઈ હતી એટલે એ વિસ્તાર ‘ગિરણગાંવ’ તરીકે ઓળખાવા લાગ્યો. (આ ગિરણગાંવ વિસ્તાર તે આજનો ‘ગિરગાંવ’ વિસ્તાર નહિ જ. પણ એલ્ફિન્સ્ટન, લોઅર પરેલનો વિસ્તાર. એ વખતે મુંબઈમાં વાહન વ્યવહારનાં સાધનો ન જેવાં હતાં. એટલે મુંબઈ બહારથી આવેલા કામદારોને તેમના કામના સ્થળથી બની શકે તેટલા નજીક રહેવાની વ્યવસ્થા કરવી પડે. કંઈ નહિ તો છેવટે શરૂઆતમાં કુટુંબની સ્ત્રીઓને ‘દેશ’માં રાખીને માત્ર પુરુષો મુંબઈમાં કામ કરવા માટે આવતા. એટલે તેમને મોટા ઘરની, બહુ સાધન સગવડની, જરૂર નહોતી. વળી દિવસના ૮-૧૦ કલાક તો કામના સ્થળે તેઓ રહેતા. એટલે એક-દોઢ રૂમનું ઘર તેમને માટે બસ થાય. આવાં જે ઘરો ગિરણગાંવ વિસ્તારમાં બંધાયાં તે ‘ચાલ’ તરીકે ઓળખાયાં.

મુંબઈની પહેલી કોટન મિલ

(સાર્થ ગુજરાતી જોડણી કોશમાં ‘ચાલ’ શબ્દનો આ અર્થ આપ્યો જ નથી! હા, ભગવદ્ ગોમંડળ કોશે આપ્યો છે. કહે છે: પાઘડીપને બાંધેલું અને ઘણી ઓરડીઓવાળું મકાન; ચાલી.) મોટે ભાગે બે માળનાં મકાનો. એક ઓરડી કે ‘ખોલી’નું એક ઘર એવાં હારબંધ ઘર. એ બધાંને જોડતી લાંબી ગેલેરી. એક કે બંને છેડે કોમન ટોઇલેટ અને નાહવાની ઓરડી. મોટે ભાગે ચોરસ કે લંબચોરસ આકારનાં મકાનો. વચ્ચે ચોક કે ખુલ્લી જગ્યા. મકાનોને ભોંયતળિયે મોટે ભાગે દુકાનો, મુખ્યત્વે રોજિંદી જરૂરની વસ્તુઓ વેચતી દુકાનો. એકલા રહેતા કામદાર પુરુષો મોટે ભાગે ‘ખાણાવળ’માં જમે એટલે શરૂઆતમાં ચાલીનાં ઘરોમાં રસોડાની જરૂર નહોતી. સ્ત્રીઓ સાથે ન હોય એટલે ‘બેડ રૂમ’ની જરૂર નહિ. એક ખોલીમાં પણ ત્રણ-ચાર પુરુષો સાથે રહે એટલે દરેકને ભાગે ભાડું પણ બહુ ન આવે. મોટે ભાગે પગે ચાલીને મિલ સુધી પહોંચી શકાય એટલે વાહન પર આધાર રાખવો ન પડે. વળી આ ચાલોમાં મોટે ભાગે એક ‘જાત’ કે એક ગામના પુરુષો રહે. એટલે રીતરિવાજ, ખાણીપીણીની સમાનતા. તહેવારો સાથે મળીને ઉજવે, ચાલના ચોકમાં. અને એ રીતે પાછળ છૂટી ગયેલા ગામડાના જીવનને ભલે થોડી વાર માટે, પણ ફરીથી જીવી લે.

આજે નામશેષ બની ગયેલું ગિરણગાંવ

પણ પછી ધીમે ધીમે બૈરી-છોકરાં પણ મુંબઈ આવી રહેવા લાગ્યાં. એટલે એક ખોલીનાં ઘરો દોઢ ખોલીનાં બન્યાં. જગ્યા તો લગભગ પહેલાં જેટલી જ – ૧૨ X ૧૨ કે ૧૪ X ૧૪ ફૂટની. તેમાંથી આગલી પોણી જગ્યામાં મુખ્ય ખોલી, પાછળની જગ્યામાં રસોડું. સ્ત્રીઓ આવી એટલે રસોડાના એક ખૂણામાં નહાવા માટેની મોરી કે ચોકડી આવી. પણ કોમન ટોઇલેટ તો જેમનાં તેમ રહ્યાં. જગ્યા ઓછી પડવા લાગી એટલે કેટલીક ઘરવખરી બહારની કોમન ગેલેરીમાં આવી, અલબત્ત હાલતાં-ચાલતાં તકલીફ ન પડે એ રીતે. પુરુષો કામે જાય પછી સ્ત્રીઓ કોમન ગેલેરી કે ચોકમાં મળે. વીણવા-ખાંડવાનાં, ભરવા-ગૂંથવાનાં કે બીજાં ઘરઘથ્થું કામ સાથે મળીને કરે. એકબીજાને મદદ પણ કરે ને ઝગડે પણ. ગીતો પણ ગાય ને એકબીજીને ગાળો પણ ભાંડે. પણ અણીને વખતે મદદ કરવા બધાં જ તત્પર. ચાલના જીવનમાં ‘પ્રાઈવસી’નો કન્સેપ્ટ લગભગ નહિ. સહિયારાં ઘર, સહિયારાં સુખ-દુઃખ, સહિયારાં જીવન. જો કોઈ બારણું વાસીને ખોલીમાં ભરાઈ રહે તો હાંસીને પાત્ર બને. જગ્યા નાની એટલે તસુએ તસુ જગ્યાનો ઉપયોગ કરવાનો. મલ્ટી પર્પઝ રાચરચીલાને પહેલી પસંદગી. ફ્લેટમાં હોય તેવું હેવી ફર્નિચર – સોફા સેટ, ડબલ બેડ વગેરે તો આ ખોલીમાં સમાય કે પોસાય જ નહિ. બે-ચાર ફોલ્ડિંગ ખુરસી, એક આરામ ખુરસી, એક-બે ફોલ્ડિંગ ટેબલ. એક સ્ટીલનો કબાટ. બે-ત્રણ શેતરંજી કે સાદડી. મુખ્ય બારણે પડદો હોય કે નયે હોય. હા, બીજું કશું હોય કે ન હોય, હવે બે વસ્તુ તો આ ચાલની ખોલીમાં પણ લગભગ ‘મસ્ટ’ બની ગઈ છે – ટીવી અને ગેસનો ચૂલો. નાનકડું ફ્રિજ પણ કોઈક ખૂણામાં ગોઠવાઈ જાય. ફ્લેટમાં રહેલાંને થાય કે આવી સાંકડી જગ્યામાં, આટલી અગવડો સાથે તે કેમ કરી રહેવાય? પણ ચાલનાં રહેવાસીઓને આ જીવન કોઠે પડી ગયું છે, ગમે છે પણ ખરું. ચાલ ‘રિડેવલપમેન્ટ’માં જાય અને રહેવા ફ્લેટ મળે તો તેમને અડવું અડવું લાગે છે, એકાકીપણું અનુભવે છે – જાણે મૂળ સોતાં ઉખડી ગયાં ન હોય!

બી.ડી.ડી. ચાલ, વરળી

મુંબઈની ચાલ વિષે ઘણાબધા અભ્યાસ થયા છે, પી.એચ.ડી.ની ડિગ્રીઓ મેળવાઈ છે, લેખો લખાયા છે. પણ તેમાંના ઘણાખરા ગિરણગાંવની ચાલ વિષે – મિલ મજૂરો માટેની ચાલ વિશેના છે. પણ મિલ મજૂરો માટે ન હોય તેવી પણ ઘણી ચાલ મુંબઈમાં છે. ૧૯મી સદીમાં જેમ મિલ અને બીજાં કારખાનાં મુંબઈમાં શરૂ થયાં તેમ નવા નવા વેપાર-ધંધા પણ શરૂ થયા. સરકારી અને બિન-સરકારી નોકરીઓની ઘણી નવી તકો ઊભી થઈ. આ નવા વાતાવરણમાં પોતાનું ભાગ્ય અજમાવી જોવા ગુજરાતનાં ઘણાં શહેરોમાંથી પણ ગુજરાતી લોકો મુંબઈ આવ્યા. તેમાં પણ શરૂઆતમાં પુરુષો એકલા જ આવતા. સ્ત્રી વર્ગ નહિ. એટલે આવા આગંતુકો માટે પણ કાલબાદેવી, ગિરગામના કેટલાક ભાગો (જેમ કે કાંદા વાડી), ગ્રાન્ટ રોડ વગેરે વિસ્તારોમાં ચાલો ઊભી થઈ. જેમ જેમ પરાં વિકસતાં ગયાં તેમ તેમ ત્યાં પણ ચાલીઓ બંધાઈ. જો કે ઘણી વાર તેના નામમાં ‘ચાલ’ને બદલે ‘માળો’ કે ‘વાડી’ જેવા શબ્દો વપરાતા. જેમ કે ચંદારામજીનો માળો કે લાડની વાડી. તો કેટલીક ચાલોનાં નામ પરથી ખ્યાલ જ ન આવે કે તે ચાલ હશે. જેમ કે ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક આવેલ પાર્વતી મેન્શન અને પન્નાલાલ ટેરેસ. પણ આ બન્ને ખૂબ મોટાં મકાનો હકીકતમાં મોટી ચાલ જ છે. ગિરણગાંવની ચાલોમાં મોટે ભાગે એક ગામથી આવેલા લોકો એક ચાલમાં સાથે રહેતા. જ્યારે ગુજરાતી ચાલોમાં એક જ્ઞાતિનાં લોકો અમુક ચાલમાં સાથે રહેતા હોય તેવું જોવા મળતું. એ બધા પણ એકંદરે હળીમળીને સાથે રહેતા, સારે-માઠે પ્રસંગે એકબીજાને મદદ કરતાં, તો ક્યારેક ઝગડતા પણ ખરા. બીજા બધા ઉત્સવો તો ચાલના ચોકમાં ઉજવાતા જ, પણ ચાલના ચોકમાં થતા નવરાત્રીના ગરબા એ ગુજરાતી ચાલોની આગવી વિશિષ્ટતા હતી. ગામડાંની ધરતી પરનો ગરબો પહેલાં મુંબઈની ચાલોના ચોકમાં આવ્યો અને પછી ત્યાંથી સ્ટેજ પર જઈ પહોંચ્યો. આઝાદીની લડત વખતે પણ ચાલના લોકો પ્રભાતફેરી કે પિકેટિંગ જેવા કાર્યક્રમોમાં હોંશભેર જોડાતા, સ્ત્રીઓ પણ. ચાલમાં રહેતા ગુજરાતીઓ મોટે ભાગે વચલા મધ્યમ વર્ગના. ખિસ્સામાં ફદિયાં હોય તેનો થોડો ચળકાટ ચાલની ‘ડબલ રૂમ’માં પણ દેખાય. બે પાંદડે થયા પછી ડાબી કે જમણી બાજુની રૂમ પણ ભાડે લઈને ‘ખોલી’ને ‘ફ્લેટ’માં ફેરવી નાખ્યાનો સંતોષ મેળવે.

આજના મુંબઈની એક ચાલ

આ બધી ચાલો બાંધતું કોણ? ખાનગી માલિકો બાંધતા, જ્ઞાતિ કે ગામની સેવાભાવી સંસ્થાઓ બાંધતી, ચેરિટેબલ ટ્રસ્ટો બાંધતાં, અને સરકાર પણ બાંધતી. ૧૯૨૦ના અરસામાં સરકારી બોમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (બી.ડી.ડી.) દ્વારા વરળી ખાતે ૧૨૧ મકાનોની બી.ડી.ડી. ચાલ બાંધવામાં આવી. કેટલાકને મતે આ મકાનો મૂળ તો જેલ તરીકે વાપરવા બંધાયાં હતાં, પણ પછી તેનો ઉપયોગ રહેઠાણ માટે થયો. આ વાત સાચી હોય કે નહિ, પણ એ તો એક હકીકત છે કે આ મકાનોની દિવાલો એટલી તો જાડી અને મજબૂત છે કે તેમાં ખીલી ખોડવાનું લગભગ અશક્ય છે. મુંબઈની બીજી ચાલોમાં ઘણુંખરું ઉજળિયાત વર્ગના અથવા સવર્ણ લોકો જ રહેતા હોય છે. પણ બી.ડી.ડી. ચાલમાં દલિતો, નવ્ય બૌદ્ધો, અગાઉ અસ્પૃશ્ય ગણાતી જાતિના લોકો પણ વસે છે. બીજી ચાલોની જેમ બી.ડી.ડી. ચાલના રહેવાસીઓને પણ ચાલની માયા બંધાઈ ગઈ છે. પણ હવે સરકારે આ ચાલોનું ‘રિડેવલપમેન્ટ’ કરવાનું નક્કી કર્યું છે. તો બીજી બાજુ ખાનાગી માલિકીની ચાલોની દશા વધુ ને વધુ બગડતી જાય છે. જ્યારથી મુંબઈમાં ‘રેન્ટ કંટ્રોલ એકટ’ લાગુ કરવામાં આવ્યો ત્યારથી ભાડાનાં મકાનોના ખાનગી માલિકોને પોતાનાં મકાનોની જાળવણીમાં રસ રહ્યો નથી. મુંબઈની કોઈ પણ ચાલમાં એક ખોલીનું ભાડું મહિને ૨૫૦ રૂપિયા કરતાં વધુ ન હોય. આવક ઓછી, અને બાંધકામના ભાવ સતત વધતા રહે. એટલે ચાલના સમારકામ કે જાળવણી કરવાનું મકાન માલિકને પોસાય નહિ. ભાડૂતો પોતાની ખોલીની જાળવાની કરે, જરૂરી સમારકામ પણ પોતે કરાવી લે, પણ ‘કોમન એરિયા’નું તો કોઈ ધણીધોરી નહીં. ગિરણગાંવ વિસ્તારની મિલો ૧૯૮૨ પછી ટપોટપ બંધ થઈ, લાખો મિલ કામદારો બેકાર બન્યા. તેની અસર ત્યાંની ચાલો પર પણ પડી. વખત જતાં મિલની જગ્યાએ મોટા મોલ કે બહુમાળી કમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભા થયા. સાથોસાથ ઘણીખરી ચાલો પણ રિડેવલપમેન્ટમાં ગઈ. પણ શહેરના અન્ય વિસ્તારોમાં હજી ચાલો ઊભી છે, જીવે છે, અલબત્ત, મરવાને વાંકે જીવે છે. વહેલી કે મોડી એ પણ વીરગતિને પામશે.

પાર્વતી મેન્શન, ગ્રાન્ટ રોડ

કોઈ પણ મુંબઈગરો, પછી એ ચાલમાં રહેતો હોય કે બંગલામાં, મુંબઈથી પૂરેપૂરો ખુશ નથી, તો પૂરેપૂરો નાખુશ પણ નથી. ‘સમય સાથે’ નામના નાટકનું પ્રભુલાલ દ્વિવેદીનું એક ગીત છે જેમાં મુંબઈગરો અંતે કહે છે કે ‘તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ.’ શ્રી દેશી નાટક સમાજે ૧૯૪૫માં આ નાટક ભજવેલું. સંગીત હતું માસ્ટર કાસમભાઈનું, અને ગાનાર કલાકાર હતાં વત્સલા. નાટકના પ્રહસન વિભાગમાં પ્રખ્યાત નટો છગન રોમિયો અને અનંત વીણ છગલો અને જગલોની ભૂમિકા ભજવતા, અને આ નાટક સફળ થયું હતું મુખ્યત્વે તેના પ્રહસન વિભાગને કારણે. સાંભળીએ પ્રહસન વિભાગનું એ ગીત:

મનને ગમે મુંબઈ,
આંખોમાં રમે છે મુંબઈ, જાવું ગમે ના.

અલક આ જુગની સાગરના પારણે,
નગરી નવયુગની પશ્ચિમના બારણે,
તોયે જૂના ગૌરવને નમે મુંબઈ.

નવી નવી લ્હાણ, અહીં નવી નવી ભાવના,
જુદાં જુદાં માનવીઓ જુદા સ્વભાવના,
સાથે બેસીને જમે મુંબઈ.

જાગ્યું નસીબ અમે કીધી કમાણી,
અહીંની કમાણી ભલે અહિયાં સમાણી,
તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 નવેમ્બર 2019

Loading

અયોધ્યાના રામ લલ્લા : હિંદુ દેવતાઓ ન્યાયિક વ્યક્તિ કેવી રીતે બની ગયા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 November 2019

ભારતની અદાલતો અસાધારણ, અને ક્યારેક અજીબોગરીબ, દલીલોની સાક્ષી બને છે. પ્રોપર્ટીથી લઈને પ્રાઇવસી સુધીના તમામ નાના-મોટા અને ખાનગી-સાર્વજનિક વિવાદો પર અદાલતો નિર્ણયો આપતી હોય, તો એવા એવા મુદાઓ અને તર્કો પેશ કરવામાં આવે, કે અદાલતોએ સાચે જ આંખે પાટા બાંધીને, માત્ર કાયદાની ચોપડીનો સહારો લઈને ત્રાજવાં તોળવાં પડે. ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બેન્ચે અયોધ્યા વિવાદમાં ન્યાય તોળતી વખતે ૨.૭૭ એકરની વિવાદિત જગ્યા નિર્મોહી અખાડાને ના આપી (કારણ કે જન્મસ્થાન કાનૂની વ્યક્તિ નથી), પણ એક ટ્રસ્ટ મારફતે રામ લલ્લાને આપી (કારણ કે દેવતા કાનૂની વ્યક્તિ છે).

ભારતીય કાનૂનમાં હિંદુ દેવતાને 'ન્યાયિક વ્યક્તિ' ગણવામાં આવે છે, જે અદાલતમાં દાવો માંડી શકે અથવા જેની સામે દાવો માંડી શકાય. સુપ્રીમ કોર્ટે ૬ ઓગસ્ટથી અયોધ્યાનો કેસ સાંભળવાનું ચાલુ કર્યું, ત્યારે ફરિયાદી તરીકે રામ લલ્લા હતા. અન્ય હિંદુ દેવતાઓની માફક, અયોધ્યાના દેવતા – ભગવાન રામનું બાળ સ્વરૂપ – કાનૂનની નજરમાં ચિરસ્થાઈ રીતે સગીર ગણાય છે.

હિંદુ દેવતાને ન્યાયિક વ્યક્તિ ગણવાનો વિચાર વિશિષ્ઠ છે. અયોધ્યાની જમીનની માલિકીનો કેસ અલ્હાબાદ સિવિલ કોર્ટમાંથી હાઈ કોર્ટમાં ગયો, તેના બે વર્ષ પછી, ૧૯૮૯માં રામ લલ્લા પક્ષકાર બન્યા હતા. તે વખતે, અલ્હાબાદ હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ દેવકી નંદન અગ્રવાલે રામ લલ્લાના અને તેમના ૨.૭૭ એકરના જન્મસ્થાનના 'સખા' (મિત્ર) બનવાની અરજી કરી હતી. અગ્રવાલે ત્યારે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી પ્રમુખ હતા. ત્યારથી લઈને સગીર રામ લલ્લાના અલગ-અલગ 'સખા' આ કેસ લડતા હતા.

દેવી-દેવતાઓ સામાન્ય મનુષ્યોની જેમ વિચાર-વ્યવહાર નથી કરતા, તો પછી તેઓ સંપત્તિની ફેરબદલ કેવી રીતે કરે? તેનો જવાબ એ છે કે જેમ એક કંપની ન્યાયિક વ્યક્તિ ગણાય છે અને તેના ડાયરેક્ટર કે ટ્રસ્ટી મારફતે સંપત્તિ અર્જિત કરી શકે છે (અને જે કોર્ટમાં ધા નાખી શકે, જેના નામે બેંકમાં ખાતું હોય, જેના નામે જમીનો અને ઇમારતો હોય અને જે કર્મચારીઓને વળતર ચૂકવતી હોય), તેવી રીતે હિંદુ દેવી-દેવતાઓ તેમના પ્રતિનિધિ મારફતે તેના કાનૂની અધિકારોનો ઉપયોગ કરે છે.

હિંદુ દેવી-દેવતા ન્યાયિક વ્યક્તિ કહેવાય કે નહીં, તેના નિર્દેશો બ્રિટિશ શાસનના સમયથી અદાલતો આપતી રહી છે. ૫ જુલાઈ ૧૯૨૧ના રોજ વિદ્યા વરુથી તિર્થ સ્વામીગલ વિરુદ્ધ બાલુસ્વામી અય્યરના કેસમાં બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ અમીર અલીએ લખ્યું હતું, "હિંદુ કાનૂન હેઠળ, હિંદુ પૅન્થિઅનમાં આવતા દેવતાની છબીને ઉચિત રીતે જ, 'ન્યાયિક અસ્તિત્વ' માનવામાં આવી છે, જે ભેટસોગાદ સ્વીકારવા અને સંપત્તિ ધારણ કરવા સક્ષમ છે. (આમાં જે હિંદુ પૅન્થિઅનનો ઉલ્લેખ છે, તે યુરોપિયન વિશેષજ્ઞ એડવર્ડ મૂરના પુસ્તકનું નામ છે. ૧૮૧૦માં પ્રગટ થયેલા આ પુસ્તકમાં હિંદુ દેવી-દેવતાઓની સમજ આપીને એવું સાબિત કરવાનો પ્રયાસ થયો હતો કે હિંદુ ધર્મ કોઈ આદિમ કાફર ધર્મ નથી, પણ અધ્યાત્મ અને ચિંતનની પરંપરા છે.)

આવો જ એક કેસ ૧૯૨૦માં પ્રિવી કાઉન્સિલમાં લોર્ડ મોઉલ્ટન પાસે અંબાલાવાના પંડારા સંનિધિ વિરુદ્ધ મીનાક્ષીસુંદરેશવારલ દેવસ્થાનમનો આવ્યો હતો, જેમાં લોર્ડે કહ્યું હતું કે ટ્રસ્ટી એ મૂર્તિનો પ્રતિનિધિ છે અને મૂર્તિ ન્યાયિક વ્યક્તિત્વ છે અને અસલી માલિક છે. ૧૯૮૧માં રાધા કાન્તા દેવ વિરુદ્ધ કમિશ્નર ઓફ હિંદુ રિલિજીયસ એન્ડોવમેન્ટમાં સુપ્રીમ કોર્ટે હિંદુ મૂર્તિને ન્યાયિક વ્યક્તિ હોવાનો સ્વીકાર કર્યો હતો. ૨૯ માર્ચ ૨૦૦૦ના રોજ, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અમૃતસર વિરુદ્ધ સોમ નાથ દાસ અને બીજાઓના કેસમાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ગુરુદ્વારામાં સ્થાપિત શ્રી ગુરુ ગ્રંથ સાહિબ ન્યાયિક વ્યક્તિ ગણાય.

સબરીમાલામાં રજસ્વાલા સ્ત્રીઓને પ્રવેશ નહીં આપવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં ન્યાયિક વ્યક્તિની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરી હતી. મંદિર ટ્રસ્ટ વતી એડવોકેટ જે. સાઈ દીપકે એવી દલીલ કરી હતી કે મંદિરના દેવતા, ભગવાન અય્યપા, ન્યાયિક વ્યક્તિ છે, એટલે કોઈ પણ ભારતીય નાગરિકની જેમ, તેમને પણ બંધારણીય અધિકારો છે, જેમાં સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશવા નહીં દેવાનો અને પૂજા નહીં કરવા દેવાનો હક્ક આવી જાય છે.

દીપકે બંધારણની કલમ ૨૧ (જીવનની રક્ષા અને અંગત સ્વતંત્રતા), કલમ ૨૫ (આત્માના અવાજની સ્વતંત્રતા અને વ્યવસાય અને ધર્મની સ્વતંત્રતા) અને કલમ ૨૬ ( ધાર્મિક બાબતોની સ્વતંત્રતા) હેઠળ દલીલ કરતાં કહ્યું હતું કે, ભગવાન અય્યપાને તેમની ચિરસ્થાઈ બ્રહ્મચારી અવસ્થા જાળવી રાખવાનો અધિકાર છે.

આ દલીલને ખારીજ કરતાં ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે મૂળભૂત અધિકારો માનવ વ્યક્તિ માટે છે, દેવી-દેવતાઓ અને મૂર્તિઓ માટે નહીં. તેમણે કહ્યું હતું, "કાનૂન મૂર્તિ અથવા દેવતાને ન્યાયિક વ્યક્તિ માને છે, જે સંપત્તિ ધારણ કરી શકે અને કાનૂનની અદાલતમાં દાવો કરી શકે, પણ દેવતાને બંધારણીય અધિકારો છે કે નહીં, તે ભિન્ન મુદ્દો છે. દેવતાને કાનૂન હેઠળ ન્યાયિક વ્યક્તિના મર્યાદિત અધિકારો આપવામાં આવ્યા છે, તેનો મતલબ એ નથી કે તેમને બંધારણીય અધિકારો પણ છે."

દેવી-દેવતાઓને ન્યાયિક વ્યક્તિ માનવાનો વિચાર પૌરાણિક હોવો જોઈએ. દેવતાઓની કલ્પના હંમેશાં તેમની આરાધના કરનારા લોકો જેવી કરવામાં આવી છે. મતલબ કે ભક્તો ખુદનાં જેવાં જ લક્ષણો દેવતામાં જુએ છે. મંદિરોમાં ભગવાનને ઉઠાડવા, નવડાવવા, શણગાર પહેરાવવા, જમાડવા અને સુવડાવી દેવા, એ મનુષ્યોનાં જ લક્ષણો છે.

અંગ્રેજીમાં ‘પર્સન’ શબ્દ લેટિન ‘પર્સોના’ પરથી આવે છે, જેનો અર્થ થાય છે નાટકમાં એકટરો દ્વારા પહેરવામાં આવતું મહોરું. સાઈંઠમી સદી સુધી આ શબ્દ, મનુષ્ય તેના જીવનમાં જે ભૂમિકા નિભાવે, તેના માટે વપરાતો હતો. તે પછીની સદીઓમાં તે જીવિત વ્યક્તિ માટે વપરાતો થયો. જ્યુરિસ્ટીક પર્સનાલિટી અથવા ન્યાયિક વ્યક્તિત્વ અહીંથી આવી હતી. જો કે ગુલામો રાખવાની પ્રથા હતી, ત્યારે ગુલામોને જ્યુરિસ્ટીક પર્સનાલિટી માનવાનો ઇન્‌કાર કરીને તેમને અધિકારો અને ફરજો આપવામાં આવતી ન હતી. તેવી જ રીતે, હિંદુ કાનૂનમાં સંસારનો ત્યાગ કરનાર સન્યાસીને સંપત્તિનો હકદાર ગણવામાં આવતો નથી અને તેની ન્યાયિક વ્યક્તિની અવસ્થા જતી રહે છે.

આ જ રીતે ન્યાયિક વ્યક્તિની વ્યાખ્યાને મૂર્તિઓ સુધી લંબાવવામાં પણ આવે છે. ઓડીશાના સાક્ષીગોપાલ મંદિરની દંતકથા એવી છે કે ભગવાન ગોપાલ તેના ભકત માટે સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા તૈયાર થયા હતા, પણ શરત એવી હતી કે ભક્તે પાછું વળીને જોયા વગર ભગવાનને કોર્ટના રસ્તે દોરવાના. તેણે પાછું જોયું અને ભગવાન પૂતળું બની ગયા. જો કે તેમ છતાં તે કોર્ટ કેસ જીતી ગયો અને ભગવાન માટે મંદિર બનાવ્યું, જે સાક્ષીગોપાલ તરીકે ઓળખાયું.

ભારતમાં લોકો કરવેરો ભરવાને બદલે મંદિરોમાં લાખો રૂપિયાનું દાન આપે છે. ભારતમાં આજે પણ સિદ્ધિ વિનાયક અને સાંઈ બાબાનાં મંદિરો કરોડો રૂપિયાનો વહીવટ કરે છે. આ બધી સંપત્તિ દેવતાના નામે હોય છે અને ટ્રસ્ટીઓ તેની વ્યવસ્થા કરતા હોય છે. દૈવી કૃપાના બદલામાં દેવતાને દાન ચડાવવાની પરંપરા બહુ જૂની છે. બ્રિટિશરોના સમયમાં મંદિરો ચોક્કસ સમુદાયો માટે તિજોરી અથવા બેંકનું કામ કરતાં હતાં, જેમાં પૈસા મૂકી શકાય અને પૈસા કાઢી શકાય. તેનો વહીવટ કોણ કરે, તે પણ સામાજિક રીવાજો-અવસ્થાઓ પ્રમાણે નક્કી થતું.

બ્રિટિશરોના કાયદાઓ કરતાં, આ બહુ જટિલ હિંદુ વ્યવસ્થા હતી અને એમાં ઊભા થતા વિવાદો જેમ જેમ બ્રિટિશ સંચાલિત કોર્ટોમાં આવતા ગયા, તેમ તેમ બ્રિટિશ ન્યાયાધીશો દેવતાને ન્યાયિક વ્યક્તિ ઠેરવવાનો અનોખો રસ્તો શોધી લાવ્યા. એમાં મંદિરની સંપત્તિની માલિકીનો ઝઘડો એક ઝટકામાં પતી ગયો.

અયોધ્યા વિવાદમાં પણ ત્રણ પક્ષકાર હતા : નિર્મોહી અખાડો, સુન્ની વકફ બોર્ડ અને રામ લલ્લા બિરાજમાન. અલ્હાબાદ હાઈ કોર્ટની ત્રણ જજની બેન્ચે ૨૦૧૦માં ૨.૭૭ એકરની વિવાદી જમીનને આ ત્રણ પક્ષકારો વચ્ચે વહેંચી આપી હતી, પણ એમાં એકેય પક્ષકારને સંતોષ ના થયો અને મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટે પૂરી જમીન રામ લલ્લાને સોંપી દીધી, વકફ બોર્ડને અયોધ્યામાં જ ઉચિત જગ્યાએ ૫ એકર જમીન આપી અને નિર્મોહી અખડાનો માલિકીનો દાવો ખારીજ કરી દીધો.

દેવી-દેવતાઓને ન્યાયિક વ્યક્તિ ગણવાનો કાનૂન સંપત્તિ પૂરતો માર્યાદિત નથી. તેઓ કરદાતા તો બની જ ગયા છે. સબરીમાલાના કિસ્સામાં તો એ દેવના બ્રહ્મચર્યને સ્પર્શી ગયો હતો. શક્ય છે કે ભવિષ્યમાં કોઈ ટ્રસ્ટી કોર્ટમાં જઈને દેવતા માટે મતાધિકાર પણ માગે!

https://www.facebook.com/permalink.php?story_fbid=2429859530675425&id=1379939932334062&__tn__=K-R 

Loading

...102030...2,6532,6542,6552,656...2,6602,6702,680...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved