Opinion Magazine
Number of visits: 9683982
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાગલ ફિલસૂફ નિત્શે

સુમન શાહ|Opinion - Opinion|29 November 2019

આ લેખ-શ્રેણીમાં ૨૨ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ નિત્શેની 'વિલ ટુ પાવર' -'સત્તૈષણા'- વિભાવના વિશેનો એક મણકો રજૂ કરેલો. આજે એમની 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' વિભાવના વિશેનો એક ઑર મણકો રજૂ કરું છું :

૨ : 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' – ઍપોલોપરક અને ડાયોનિસસપરક.

સાહિત્યપદાર્થના વિચારવિમર્શ વખતે તેમ જ અન્ચ વિમર્શ-પરામર્શ વખતે ચર્ચામાં આપણે કેટલાંક જોડકાં પ્રયોજીએ છીએ : બુદ્ધિ અને હૃદય. ઊર્મિ અને વિચાર. જ્ઞાનજગત અને ભાવજગત. તાર્કિકતા અને અતાર્કિકતા. વ્યવસ્થા અને અંધાધૂંધી. પશ્ચિમની પરમ્પરામાં આવું એક જોડકું છે – 'ઍપોલિનિયન અને ડાયોનિસિયન' – ઍપોલોપરક અને ડાયોનિસસપરક.

ગ્રીક પુરાણગાથામાં દેવ ઝીયસના બે દીકરાની કથા આવે છે. એક છે, ઍપોલો અને બીજો છે, ડાયોનિસસ. વાત એમ છે કે પાછળથી એ બન્ને પણ દેવ ગણાયા. ઍપોલો તર્ક અને તર્કપુર:સરના ચિન્તનનો દેવ. ડાયોનિસસ અતાર્કિકતા અને અંધાધૂંધીનો એટલે કે હૃદય અને મૂળ વૃત્તિઓનો દેવ.

માણસ તરીકે આપણે જાણીએ છીએ કે ઘડીમાં આપણે મગજથી જીવીએ છીએ તો ઘડીમાં હૃદયથી. અમુક વખતે ચિત્ત ચોખ્ખુંચણાક હોય છે. અમુક સંજોગોમાં હૃદયમાં નર્યો ડખો જામ્યો હોય છે.

કેમ કે કેટલીયે વાર આપણે બુદ્ધિને બાજુએ હડસેલીને હૃદયનો પક્ષ કરીએ છીએ. કેટલીયે વાર આપણને અંધાધૂંધી પરવડતી નથી, આપણે વ્યવસ્થાના પક્ષકાર થઈ જઈએ છીએ.

ગુજરાતી સાહિત્યકારોને જ્ઞાનજગતની સરખામણીએ ભાવજગત વધારે વ્હાલું લાગતું હોય છે. ‘સમૂળી ક્રાન્તિ’-ના લેખક મશરૂવાળાને ઍપોલોપરક કહી શકાય -જો કે એ જ ગાંધીયુગમાં અમુકોને તેઓ અળખામણા થઈ પડેલા. કલાપીને ડાયોનિસસપરક કહી શકાય – જો કે ઘણાઓને એમનામાં વધારે પડતી લાગણી બલકે લાગણીની પોચટતા વરતાયેલી. જ્યારે, બલવંતરાયે તો 'ઊર્મિપ્રધાન કવિતા'-ની સરખામણીએ 'વિચારપ્રધાન કવિતા'-ની તરફદારી કરેલી. વગેરે.

ટૂંકમાં, પ્રયોજીએ છીએ જોડકાં પણ પક્ષ લઈ બેસીએ છીએ કોઈ એકનો. એમાંથી પક્ષાપક્ષી મતમતાન્તરો વાદવિવાદ અને ઝઘડા જન્મે છે બલકે એક દિવસ એમાંથી રાજકારણ પ્રગટી આવે છે અને આપણે જાણ્યે-અજાણ્યે એમાં સંડોવાઈ જઈએ છીએ.

નોંધપાત્ર વાત એ છે ગ્રીક પ્રજાએ આ બન્ને દેવોને એકસમાન ગણેલા.

એકમેકની સામે નહીં મૂકેલા. બન્નેને એકબીજના હરીફ નહીં ગણેલા.

આ જોડકું પશ્ચિમના ચિન્તકોને તેમ જ સાહિત્યવિચારકોને ગમ્યું છે.

નિત્શેએ પોતાના ‘ધ બર્થ ઑફ ટ્રેજેડી’ ગ્રન્થમાં કલાઓની વાત કરતાં, શિલ્પકલાને ઍપોલોપરક કહી છે. સંગીતકલાને એમણે ડાયોનિસસપરક કહી છે. આ બન્ને કલારૂપો, શિલ્પ અને સંગીત, ઘણા સમય સુધી સમાન્તરે વિકસ્યાં હતાં. પણ સમયાન્તરે બન્ને એક થઈ ગયાં અને નવું જ કલારૂપ પ્રગટ્યું જે ‘ટ્રેજેડી’ કહેવાયું. ટ્રેજેડી ઍપોલોપરક પણ છે, ડાયોનિસસપરક પણ છે. એમાં આવતું વૃન્દગાન ડાયોનિસસપરક છે; સંવાદ ઍપોલોપરક છે. ભાવ-ભાવનાનો છાક સંવાદથી સંતુલનમાં આવી જાય છે, માણસો સરખા થઈ જાય છે.

નિત્શે દર્શાવે છે કે માણસને થતો રહેતો સ્વપ્નોનો અનુભવ ઍપોલોપરક છે. જ્યારે, દારૂ પીવાથી થતો અનુભવ ડાયોનિસસપરક છે. એમનું કહેવું એમ છે કે આપણે સર્વથા સીધાસાદા મનુષ્યો નથી. બને કે તમે ઍપોલોપરક હોવ, સમજદાર અને જવાબદાર. બને કે તમે ડાયોનિસસપરક હોવ, કશી ચિન્તા વગરના, બેપરવા, છકેલા. ક્યારેક તમે એકદમના વફાદાર અને રૂઢિચુસ્ત હોવ – ઍપોલોપરક. પરન્તુ સાથોસાથ, તમે પ્રયોગ અને પરાક્રમ ઝંખતા હોવ – ડાયોનિસસપરક.

આ જોડકાનું શું થઈ શકે?

નિત્શેની દૃષ્ટિએ જીવનમાં ખૅંચાખૅંચી છે, સંઘર્ષ. જુઓને, એક તરફ, આપણે સુખાકારી ઇચ્છીએ છીએ, માનમરતબાથી જીવવા ચાહીએ છીએ. ધાર્યું પાર પાડવા તર્કભરપૂર ધમાચકડીને વળગેલા રહીએ છીએ, પ્રચણ્ડ પુરુષાર્થમાં મચેલા રહીએ છીએ. બીજી તરફ, આપણે હૃદયરસભરી નિરાંત શાન્તિ અને સંતોષ ઇચ્છીએ છીએ. પણ નિત્શે એમ કહે છે કે એ ખૅંચાખૅંચીને વળગી રહો, આ જે જીવનસંઘર્ષ છે, એને ભેટો. વાતનો સાર એ કે આ જોડકાને આપણે જોડકું જ રાખવું અને એને પ્રેમપૂર્વક આવકારભાવથી જોવું. કોઈ એક તરફ નહીં, બન્ને તરફ રહેવું ….

= = =

'પાગલ ફિલસૂફ નિત્શે’ – શ્રેણીમાં વિશેષ હવે પછી …

(૨૩ નવેમ્બર ૨૦૧૯ : યુઍસે)

Loading

ઇસ્ટ ઇન્ડિયા કંપની : કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ તાકાત આવી જાય તો શું થાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 November 2019

૧૬૦૦ની સાલમાં, સર થોમસ સ્મિથેની આગેવાની હેઠળ, લંડનના વેપારીઓના એક જૂથે, રાણી એલિઝાબેથ પાસે અરજ કરી કે પૂર્વ ગોળાર્ધના દેશોમાં વેપાર કરવા માટે શાહી સનદ જારી કરવામાં આવે, જેથી સુદૂર પૂર્વના વેપાર પર સ્પેનીશ અને પોર્ટુગીઝ ઈજારાશાહીને ખતમ કરી શકાય. એલિઝાબેથે મંજૂરી આપી, અને ઓનરેબલ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા ઇસ્ટ ઇન્ડિયા ટ્રેડીંગ કંપની અથવા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા જોહ્ન કંપની અથવા કંપની બહાદુર અથવા માત્ર ધ કંપનીનો જોઈન્ટ-સ્ટોક કંપની તરીકે જન્મ થયો. વેપારીઓએ કંપનીમાં ૩૦,૧૧૩ પાઉન્ડનું મૂડીરોકાણ કર્યું હતું, જે આજના ૪૦,૦૦,૦૦૦ પાઉન્ડ થાય. મૂળ એનું નામ ‘ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ લંડન ઇનટુ ધ ઇસ્ટ- ઇન્ડીઝ’ હતું, જેનો મૂળ ઉદેશ્ય દક્ષિણપૂર્વ એશિયાના ઇલાકાઓમાંથી (જેને ઇસ્ટ-ઇન્ડીઝ નામ આપવામાં આવ્યું) કપાસ, સિલ્ક, ઈન્ડીગો ડાઈ, મીઠું, મરી-મસાલા, ચા અને અફીણનો વેપાર કરવાનો હતો.

શરૂઆતમાં આ કંપનીનાં જહાજો હિન્દ મહાસાગરના પાણીમાં ડચ અને પોર્ટુગીઝ વેપારી જહાજો સાથે લડાઈ કરવા સુધી સીમિત હતાં, પણ ૧૬૧૨માં હજીરા-સુરત પાસે સુવાલીના બીચ પર, પોર્ટુગીઝો પર નિર્ણાયક જીત મેળવીને પહેલીવાર ક્ષેત્રીય પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એમાં બ્રિટિશ તાજ અને મોઘલ સામ્રાજ્ય, બંનેના આશીર્વાદ હતા. એ જ વર્ષે, કંપનીની વિનંતીથી, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએ અને મુઘલ સમ્રાટ નુર-ઉદ-દીન સલીમ જહાંગીર વચ્ચે સુરત અને આસપાસના વિસ્તારોમાં કંપનીના માણસોને રહેવા અને વેપાર કરવા દેવાના કરાર થયા. બદલામાં, જહાંગીરને યુરોપનો માલસામાન મળવાનો હતો.

ત્યારે કોઈને, એલિઝાબેથને કે જહાંગીરને ખુદને, અંદાજ ન હતો કે ૨૫૮ વર્ષ પછી કંપની પૂરા ભારતીય ઉપખંડને બ્રિટિશ તાજને હવાલે કરી દેશે. ૧૬૦૦માં એલિઝાબેથ જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આકાર આપી રહી હતી, ત્યારે ભારતમાં ઉત્તરીય અફઘાનિસ્તાનથી લઈને દક્ષિણમાં ડેક્કનનાં મેદાનો સુધીના ૭,૫૦,૦૦૦ ચોરસ માઈલના સામ્રાજ્ય પર મુઘલોનું રાજ ચાલતું હતું. ૧૬૦૦માં યુરોપને ઈર્ષ્યા આવે તેવી સમૃદ્ધિ મુઘલ સામ્રાજ્યની હતી, ત્યારે દુનિયામાં મુઘલોનો લશ્કરી અને સંસ્કૃતિક વિકાસ ચરમસીમાએ હતો.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અગાઉ ૧૭મી સદીમાં ભારતનું પાણી પીધું હતું, પણ તેમને ફૂલહાર કરીને વધાવ્યા જહાંગીરે. સુવાલી બીચ પરની લડાઈ પછી થયેલા કરાર અંતર્ગત જહાંગીરે, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએના નામે એક પત્રમાં લખ્યું હતું, “તમારા શાહી પ્રેમના બદલામાં મેં મારા તાબા હેઠળનાં તમામ રજવાડાં અને બંદરોને આદેશ આપ્યો છે કે તેઓ ઇંગ્લિશ રાષ્ટ્રના વ્યાપારીઓને મારા મિત્ર-દેશના નાગરિકો તરીકે આવકારે. તેઓ જ્યાં ચાહે ત્યાં રહી શકે છે, તેમને કોઈ અવરોધ નહીં નડે અને કોઈપણ બંદરે તે આવે, ત્યારે પોર્ટુગીઝો કે બીજા કોઈ તેમની શાંતિનો ભંગ ના કરે. તેઓ મરજી પડે ત્યાં ખરીદ-વેચાણ કરીને તેમના દેશમાં લઇ જઈ શકે છે. અમારી દોસ્તી અને પ્રેમના બદલામાં તેઓ તેમના જહાજોમાં મારા મહેલને શોભે તેવી ઉત્તમ ચીજો લાવે.”

જહાંગીરની મંજૂરી બાદ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના પશ્ચિમી અને પૂર્વી કિનારાઓ પર થાણા અને ફેકટરીઓ નાખ્યાં. ૧૬૪૭ સુધીમાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં ૨૩ ફેકટરીઓ હતી, જેમાં દરેકમાં ૯૦ કર્મચારીઓ હતા અને તેમનો એક ‘ફેક્ટર’ એટલે કે મુખ્ય વેપારી સાહેબ હતો. એક સદી સુધી કંપનીનું ધ્યાન વેપાર કરવામાં જ હતું, પણ ૧૮મી સદીમાં મુઘલ સામ્રાજ્યની કેન્દ્રિય સત્તા નબળી પડી અને સ્થાનિક રાજ્યો તાકાતવર થયાં, એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની રાજકારણ અને લશ્કરી બાબતોમાં દરમિયાનગીરી કરતી થઇ.

આનું એક મુખ્ય કારણ ફ્રેંચ ઇસ્ટ કંપની હતી, જેને ૧૬૬૪માં ફ્રાંસના નાણામંત્રી જીન-બેપ્ટીસ્ટ કોલ્બર્ટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હરીફાઈમાં બનાવી હતી અને જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સક્રિય હતી. એનો એક ડિરેક્ટર, ફ્રાન્કોઇસ કેરોન, ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ૩૦ વર્ષ કામ કરી ચુક્યો હતો. ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ૧૭મી સદીમાં સ્થાપવામાં આવી હતી, અને તે નફો રળતી કોર્પોરેશન ઓછી અને કંપની-સ્ટેટ વધુ હતી. ડચ ઇસ્ટ કંપની દુનિયાની પહેલી લીસ્ટેડ કંપની હતી અને આજે દુનિયામાં મલ્ટીનેશનલ કોર્પોરેશનો જે રીતે આધુનિક વેપાર કરે છે, તેનું પહેલું મોડેલ આ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવ્યું હતું. ડચ કંપની પોતે જ એક સામ્રાજ્ય હતું.

ટૂંકમાં, ત્રણ વૈશ્વિક કંપનીઓ ભારતના વિશાળ રોટલા માટે છીનાઝપટી કરી રહી હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની આ બે ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની હરીફાઈમાં ઊતરીને સ્થાનિક રજવાડાં સાથે સત્તાની ખેલાડી બની ગઈ. ૧૮૦૩માં, જ્યારે તેનો વેપારી સિતારો મધ્યાહ્ને હતો, ત્યારે તેની પાસે ૨,૬૦,૦૦૦ના સૈનિકોનું ખાનગી લશ્કર હતું, જે બ્રિટિશ સૈન્ય કરતાં બે ઘણું મોટું હતું. જેને કંપની રુલ અથવા કંપની રાજ કહે છે, તેની શરૂઆત થઇ ૧૭૫૭માં, જયારે પ્લાસીના યુદ્ધમાં કંપનીએ બંગાળના નવાબ મીર જાફર અને તેના ફ્રેંચ સમર્થકોને હરાવી દીધા અને કઠપૂતળી બની ગયેલા નવાબે રાજ્યની આવક કંપનીના ચરણે ધરવાનું શરૂ કરી દીધું. આજે પણ રાજનીતિમાં કોઈ દગો કરે, તો તેને ‘મીર જાફર’ કહેવામાં આવે છે. કંપનીએ તેનો પહેલો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સને કલકત્તામાં નીમ્યો, જે સીધો જ બંગાળનો વહીવટ કરતો હતો.

ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આ રાજ ત્યાંથી શરૂ થયું અને ૧૮૫૮માં તે પૂરું થયું, જ્યારે ૧૮૫૭માં મેરઠમાં કંપનીના સૈન્ય સામે સિપાઈઓએ નાકામ વિદ્રોહ કર્યો. ત્યાં સુધીમાં મુઘલ સામ્રાજ્ય કમજોર પડી ગયું હતું અને દિલ્હીમાં તેના ૮૧ વર્ષના વૃદ્ધ મુઘલ શાસક બહાદુર શાહ ઝફરને, મેરઠના વિદ્રોહીઓએ ‘હિન્દુસ્તાન’નો મહારાજા જાહેર કરી દીધો. બ્રિટિશરોએ ઝફરને રંગૂનમાં દેશનિકાલ કર્યો, અને તે ત્યાં જ મરી ગયો. બીજી તરફ બ્રિટિશ હુકુમતે બ્રિટિશ સંસદમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૮૫૮ પાસ કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિખેરી નાખી અને પૂરા ભારતનો સીધો વહીવટ હાથમાં લીધો. આ બ્રિટિશ વહીવટ અથવા રાજ ૮૯ વર્ષ રહ્યું અને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતના વિભાજન સાથે પૂરું થયું.

લંડનના ‘ધ ટાઈમ્સ’ સમાચારપત્રએ ૮ એપ્રિલ, ૧૮૭૩ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ‘મૃત્યુનોંધ’ના આ સમાચારમાં લખ્યું હતું, “માનવ જાતિના ઇતિહાસમાં આ વેપારી કંપનીએ જે કામયાબી મેળવી છે, તેવી બીજી કોઈએ નથી મેળવી અને વર્ષોનાં વર્ષ સુધી કોઈ મેળવી પણ નહીં શકે.” કંપની પછી નામ માત્ર પૂરતી જ રહી. ૧૯૮૦ના દાયકામાં રોકાણકારોના એક જૂથે તેના હક્ક ખરીદી લીધા અને કપડાંની કંપની સ્થાપી, જે ૧૯૯૦ના દાયકા સુધી ચાલી. તે પછી સંજીવ મહેતા નામના બ્રિટિશ-ગુજરાતી રોકાણકારે તેને પાછી ખરીદી અને ૨૦૧૦માં પહેલો લક્ઝરી સ્ટોર ખુલ્લો મુક્યો.

આ લેખનો મૂળ હેતુ એ સમજાવાનો છે કે કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ અને અનિયંત્રિત તાકાત આવી જાય તો શું થાય, તેનું આ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉદાહરણ છે. તાજેતરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ‘અનાર્કી’ નામનું પુસ્તક લખનાર મૂળ સ્કોટીશ ઇતિહાસ લેખક વિલિયમ ડર્લીમ્પલ કહે છે કે, “ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, ત્યારે ભારત વિશ્વનું ત્રીજા ભાગનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પેદા કરતું હતું. કંપનીએ ભારતની અર્થવ્યવસ્થાને લુંટવાનું જ કામ કર્યું હતું. ઇન ફેક્ટ, ભારતીય ભાષાઓમાંથી સૌ પહેલા શબ્દો અંગ્રેજીમાં ગયા, તેમાં ‘લૂંટ’ શબ્દ છે.”

આજે અમેરિકામાં ફેસબુકની તાકાતને લઈને ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે અને તેના સી.ઈ.ઓ.ને યુ.એસ. કોંગ્રેસમાં ઊલટતપાસ થઇ ચૂકી છે. ફેસબુક પર આરોપ છે કે તેણે અમેરિકાની ચૂંટણીમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ થવા દીધો છે. ફેસબુક ‘લિબ્રા’ નામનું ખુદનું ડીજીટલ ચલણ લાવી રહ્યું છે, જેનાથી ડોલર, પાઉન્ડ, યૂરો અને અન્ય કરન્સીઓનું ભાવિ ડામાડોળ છે.

ગૂગલ, વોલમાર્ટ અને એક્કોન મોબાઇલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ખુદ એક સામ્રાજ્યની જેમ ચાલે છે અને નાની-મોટી સરકારોને નચાવે છે.

ઘણી સરકારોના આવી કોર્પોરેટ કંપનીઓમાં સ્વાર્થ હોય છે, અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે ૧૭૭૦ના દાયકામાં થયું હતું તેમ, સરકારો ‘બેઇલ-આઉટ’ પેકેજ જાહેર કરીને, તેમને પાછી પગભર કરે છે. આજે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ભારત-ચીન જેવાં વિશાળ બજારોમાં હિત ધરાવે છે અને તેમનાં હિત જળવાઈ રહે તે માટે સરકારો સાથે સાઠગાંઠ રાખે છે.

૧૮મી સદીની શરૂઆતમાં વૈશ્વિક જી.ડી.પી.માં મુઘલ સામ્રાજ્યનું યોગદાન ૩૭ ટકા હતું અને ચીનને જરાક પાછળ છોડ્યું હતું, જ્યારે બ્રિટનનું યોગદાન ૩ ટકાથી ઓછું હતું.

આજે કોઈ એમ કહે કે ફેસબુક અમેરિકાનો વહીવટ હાથમાં લઇ લેશે, તો અસંભવ જ નહીં, હાસ્યાસ્પદ જ લાગે. મુઘલ સામ્રાજ્ય સાથે વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રચના થઇ, ત્યારે પણ એવું જ લાગ્યું હતું.

સૌજન્ય : ‘ફાયર વૉલ’ નામક લેખકની કટાર, “ ધ ગુજરાત ટુડે” 25 નવેમ્બર 2019

https://www.facebook.com/permalink.php?story_fbid=2435905236737521&id=1379939932334062&__tn__=K-R

Loading

પાગલ ફિલસૂફ નિત્શે

સુમન શાહ|Opinion - Opinion|29 November 2019

આ લેખ-શ્રેણીમાં ૨૨ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ નિત્શેની 'વિલ ટુ પાવર' – ‘સત્તૈષણા' – વિભાવના વિશેનો એક મણકો રજૂ કરેલો. ૨૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ એમની 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' વિભાવના વિશેનો મણકો રજૂ કરેલો. આજે નિત્શેકૃત “જરથુષ્ટ્ર ઍણી પૅરે બોલ્યા” વિશે તેમ જ એમની 'ઓવરમૅન'ની વિભાવના વિશેનો એક ઑર મણકો રજૂ કરું છું :

=== જરથુષ્ટ્ર સૂચવે છે કે ઓવરમૅનને જન્માવી શકાય, એ પ્રગટે, એ હજી શક્ય છે. માનવ-તા ભીરુથી ભીરુ બની રહી છે, પાલતુ. બને કે ઓવરમૅન છેલ્લા માણસનેય ઉછેરી શકે ===

જાણીતું છે કે જગવિખ્યાત ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ ફ્રૅડ્રિક નિત્શેએ એક ફિલોસૉફિકલ નૉવેલ લખેલી – ચિન્તનપ્રવણ નવલકથા, “Thus Spoke Zarathustra”. એને એમણે “A Book for All and None” કહી છે. હું એ સર્વ-જન અને ન-કોઇને માટેની નવલકથાને “ઍણી પૅરે બોલ્યા જરથુષ્ટ્ર” શીર્ષકથી ઓળખાવું છું. આમાં નવલકથા કેટલી, ચિન્તન કેટલું એની ચિન્તા ન કરવી. કેમ કે નિત્શેએ પણ એવી કશી ભાંજગડ નથી કરી.

સમગ્રમાં ત્રણ વાતો વણાઈને ખૂલી છે ને પછી વિસ્તરી છે : eternal recurrence of the same, એ – ને – એનું અન્તહીન પુનરાવર્તન : death of God. ઈશ્વરનું મૃત્યુ – એ રીતે જાણીતી થયેલી નિત્શેકૃત બોધકથા : અને, Overman અથવા Superman – એ નામે જાણીતી થયેલી એમની એક આગવી વિભાવના. આ ત્રણેય વાતો એમના અન્ય ગ્રન્થોમાં પણ ચર્ચાઈ છે.

હું સતત 'ઓવરમૅન' કહીશ કેમ કે 'સુપરમૅન' એટલે પેલો કૉમિક બુકવાળો – એવું ભળતું સમજી લેવાની ભૂલ થાય, થાય જ. લેખન દરમ્યાન કદાચ ક્રમે ક્રમે એનો ગુજરાતી પર્યાય પણ મળી આવશે.

ચાર ભાગમાં લખાયેલી આ કૃતિ 1883-થી 1885-માં સમ્પન્ન થયેલી અને 1883-થી 1891 દરમ્યાન પ્રગટ થયેલી. નિત્શેનો સમય છે, 1844 – 1900. ૫૬ વર્ષનું આયુષ્ય.

નિત્શેનો ઓવરમૅન :

જરથુષ્ટ્રને નવલનું મુખ્ય પાત્ર કહેવાયું છે. જરથુષ્ટ્ર ૩૦ વર્ષની ઉમ્મરે એકાન્તમાં ચાલી ગયા હોય છે. પર્વતની ગુફામાં આત્માને અને એકાન્તને માણતા હોય છે. ૧૦ વર્ષ વીતી જાય છે. એમને થાય છે – હવે મારે લોકોની વચ્ચે જવું જોઈએ. એમને મારે મારા ભર્યાભર્યા ડહાપણના સહભાગી બનાવવા જોઈએ. સાથે એમને મારે એ પણ દર્શાવવું જોઈએ કે ઓવરમૅન કેવો હોય.

લોક કને પ્હૉંચી જવા જરથુષ્ટ્ર અસ્ત પામતા સૂર્યની માફક પર્વત પરથી ‘છેક નીચે’ ઊતરતા જાય છે. રસ્તામાં એમને એક વૃદ્ધ વનવાસી સન્તનો ભેટો થાય છે. સન્ત જરથુષ્ટ્રને કહે છે કે – નીચે તો માણસોને એવા સહાયકની જરૂર છે જે એમનો જીવનબોજ હળવો કરી આપે. મેં એમને ઘણી બક્ષિશો આપી પણ એમને માફક ન આવી. એમને તો ભિક્ષા કે દાનદક્ષિણા ખપે છે. સન્ત કહે – હું માણસોને બહુ ચાહતો’તો પણ એમની મર્યાદાઓ જોઈને થાકી ગયો. હવે માત્ર ગૉડને, ઈશ્વરને, ચાહું છું.

સન્તથી છૂટા પડ્યા બાદ જરથુષ્ટ્રને થાય છે, આ ડોસાજીને સમાચાર મળ્યા નથી કે, ગૉડ ઇઝ ડેડ – ઈશ્વરનું તો મૃત્યુ થયું છે …

અવતરણ : ભાવાનુવાદ:

નિત્શે કહે છે : મૃત્યુ પામ્યા છે સર્વ ઈશ્વરો. જીવવાને હવે ઓવરમૅનની જરૂરત છે આપણને …

મોટ્રિલ કાઉ નામના ગામમાં જઈને જરથુષ્ટ્ર ઘોષણા કરે છે કે પૃથ્વીનો કશો પણ અર્થ હોય, તો તે છે ઓવરમૅન. માણસ તો પશુ અને ઓવરમૅન વચ્ચેનું દોરડું છે. એને હટાવવું જરૂરી છે. માનવસમાજે ઘડેલી નીતિમત્તા અને સર્વ ગ્રહો – પૂર્વગ્રહોથી મુક્ત જણ ઓવરમૅન છે. એ જણ પોતે જ પોતાના હેતુ રચે છે અને મૂલ્ય પણ આગવાં ઘડે છે.

એમણે કહ્યું – આગળનો માર્ગ ભયાનક છે પણ પરલોકની – સ્વર્ગની – લાલસાને કારણે એને છોડી ન દેવાય. લોકને કહ્યું કે – તમે આ જગતને અને આ જીવનને વફાદાર રહો. કહ્યું કે – તમારી જે નરી સાંસારિક સુખાકારી છે તેને ધિક્કારો. તર્કબુદ્ધિ ગુણવત્તાઓ ન્યાય અને દયાળુતાનો પણ તુચ્છકાર કરો. એથી ઓવરમેનનો માર્ગ મૉકળો થઈ જશે અને એ જ આ પૃથ્વીનો મહા અર્થ લેખાશે.

જરથુષ્ટ્ર સૂચવે છે કે ઓવરમૅનને જન્માવી શકાય, એ પ્રગટે, એ હજી શક્ય છે. માનવ-તા ભીરુથી ભીરુ બની રહી છે, પાલતુ. બને કે ઓવરમૅન છેલ્લા માણસને ય ઉછેરી શકે. જો કે છેલ્લા માણસો ય એવા જ હશે, ટોળામાંનાં પ્રાણીઓ. એ લોકો પણ સામાન્ય પ્રકારની મજાઓમાં અને વામણાઈમાં જ રાચતા હશે. દુનિયાની કોઈપણ વસ્તુ એઓને અતિશય કે ભયાનક લાગતી હશે.

જરથુષ્ટ્રને આવું બધું બોલતા ભાળીને લોકો હસવા માંડ્યા. કેમ કે લોક એટલે પ્રાણીઓનું ટોળું.

લોકોને ન તો જરથુષ્ટ્ર સમજાયા, ન તો એમને એમના ઓવરમૅનમાં રસ પડ્યો. એક માણસ અપવાદ હતો. નટદોર પર ચાલતો’તો. ચાલતાં ચાલતાં પડી ગયેલો. પણ પછી મરી ગયેલો. ત્યારે માર્કેટમાં ભેગા થઈ ગયેલા herdને – લોકટોળાને – જરથુષ્ટ્ર ખસેડી શકતા નથી. પોતાની એવી કમજોરીની વાતે દિલગીર થઈ જાય છે.

જરથુષ્ટ્રના પહેલા દિવસની સાંજ એમ જ પસાર થઈ ગઈ. સંકલ્પ કર્યો કે – હું ટોળાંઓને બદલવાની કોશિશ નહીં કરું. પણ એમાંથી જાતે રસપૂર્વક નીકળીને જે-જે વ્યક્તિઓ બહાર આવશે એમની જોડે બોલીશ, વાતો કરીશ.

(‘ઓવરમૅન’ વિશે વધુ હવે પછી)

= = =

(27 Nov 2019 : USA)

Loading

...102030...2,6482,6492,6502,651...2,6602,6702,680...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved