Opinion Magazine
Number of visits: 9576538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હજારો વરસોનું ચોમાસું?

રમણીક અગ્રાવત|Poetry|16 October 2019

અયોધ્યાપતિ જુએ છે રાહ
ચોમાસું વીતવાની.
ચોમાસું છે કે વીતતું નથી
હજાર-હજાર વરસોથી.
ટાટનાં મંડપ હેઠળ છે
કેટકેટલા કાળથી
રઘુવીર, મા જાનકી, ભૈયા લખમણ
અને ઉભડક પગે બેઠેલા હનુમાનજી,
ભીંજાતાં વાછંટમાં.
કરુણાનિધાન કશું બોલતાં નથી
લક્ષ્મણની ઉગ્રતા પણ થોભી ગઈ છે
વિશાલાક્ષી જનકસુતા આંખ ઊંચી કરે તો જુએને
આ ટાટ, આ અયોધ્યા, આ વરસોનો અનરાધાર વરસાદ.
નત નયન જુએ છે જગતજનની શ્રીચરણકમળને.
હનુમાનજી જ્યાં પંડે જ પલળે છે,
ત્યાં ફિકર કરે ક્યાંથી દૂર પડેલી ગદાની.
હજાર-હજાર વરસોથી
થંભી ગયું છે દ્દશ્ય હજાર-હજારો આંખોમાં
અને શ્રીરામ પંચાયત સદાની.

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરુચ, ૩૯૨ ૦૧૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 16

Loading

રાષ્ટ્રવાદી છત્રી

પ્રદ્યોતકુમાર સુધીરભાઇ પ્રિયદર્શી|Opinion - Opinion|16 October 2019

થોડાક દિવસથી માણસા નગરમાં ચહલ-પહલ દેખાઈ રહી હતી. અચાનક સફાઈ થવા લાગી, સ્ટ્રીટ લાઈટના થાંભલાનું સમારકામ શરૂ થઈ ગયું. અરે રસ્તે રખડતી ગાયો પણ એક જગ્યાએ પૂરી દેવાઈ. (આ કામ જોઈને તો અમને થયું કે પેલી ’ગાય હટાવો-આંદોલન, માટેની અપીલની તો અસર નહીં હોય ને! અમને થોડોક આનંદ પણ થયો.) પણ એ લાંબો ટક્યો નહીં. કારણ કે આ બધું થવાનું કારણ કાંઈક અલગ જ હતું.

દર વર્ષે બીજા નોરતે એક ભાઈ નગરમાં એક ઠેકાણે થતી નવરાત્રીમાં પૂજા કરવા આવે છે. કહે છે કે હમણાં એ દેશના પોલીસતંત્રના વડા છે, અને આ બધું ઉપર મેં જે વર્ણવ્યું છે એ એમને દેખાડવા માટે થયું હતું.

અમને થયું હશે … એ બહાને તંત્ર થોડુંક સાબદું તો થયું, પણ અચાનક નગરના જાહેર માર્ગો પર મોટી સંખ્યામાં ખાખી વર્દીવાળા માણસો દેખાવા લાગ્યા. એમની જીપો દોડતી જોવા મળી.

મેં પૂછ્યું આમ કેમ?

તો કોઈકે કહ્યું, સુરક્ષાનો સવાલ છે.

મેં ફરી પૂછ્યું, પણ કોની?

તો જવાબ મળ્યો જેમના સ્વાગતનાં પાટિયાં લાગ્યા છે એમની.

હું બોલ્યો, અલ્યા પણ આજે તો પહેલું નોરતું છે ને?

તો કોઈક જાણકારે કહ્યું, ‘અલ્યા ભાઈ, પૂર્વતૈયારી છે. છેક પાટનગરથી અહીં સુધી પોલીસ ખડકેલી છે.

મારા મનમાં તો હજુ ય અનેક સવાલો થયા. એ ભાઈ પોતાના વતનમાં જ આવી રહ્યા છે તો ય આટલો બધો ડર કોનો હશે? શાને હશે?

અને એક વ્યક્તિની સુરક્ષા માટે આટલી બધી પોલીસ!!!

પોલીસ પ્રજા માટે છે કે ….?

એટલામાં અમારા આશ્ચર્ય વચ્ચે નગરના મુખ્ય માર્ગ પરના વાહન-વ્યવહારને બન્ને બાજુથી સ્થગિત કરી દેવામાં આવ્યો. પાંચ બોલેરો સાયરન વગાડતી વગાડતી ઝડપથી પસાર થઈ. આ દરમિયાન એક ભાઈ રોડ વચ્ચેથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, એમને પોલીસ તરફથી ભૂંડી ગાળો સાંભળવા મળી. કારણ કે એને બિચારાને એ ખબર નહોતી કે ત્યાં આવતીકાલનું રિહર્સલ ચાલે છે.

સાલુ, આમ તો પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જનાં નામે બૂમો પાડવામાં આવે છે અને અહીં  કેટલું ડિઝલ એમ જ બળી ગયું અને બળી રહ્યું છે !

સુરક્ષાના નામે શાહી ઠાઠ.

આને કહેવાય P.P.L. (પ્રજાના પૈસે લહેર)

બીજા નોરતાનો દિવસ ઊગ્યો, ફરી માર્ગો પર જોયું, તો ગઈ કાલ કરતાં ય વધુ ખાખી વર્દીધારી માણસો. Stand to રહેવાનો ઑર્ડર મળ્યો હોય, એટલે ઊભું જ રહેવું પડેને …!

એમાંના એક ભાઈ સાથે સંવાદ થયો, તો જાણવા મળ્યું કે એમને પોલીસ-સ્ટેશનનું કામ પડતું મૂકીને સતત બંદોબસ્તમાં જવું પડે છે.(દેશમાં રોજેરોજ કાર્યક્રમો ચાલુ જ હોય છે ને!)

એમનું મૂળભૂત કામ પ્રજાની સુરક્ષાનું છે, પણ હમણાં તો નેતાઓ જ એમનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.

અને વિશેષ દુઃખ એ વાતનું કે એમાં માનવીય અભિગમનો અભાવ હોય છે.

દિવસ દરમિયાન વરસાદ સતત ચાલુ હતો એટલે ’ચોકીદાર’ની સુરક્ષા માટે ઊભેલા આ સેંકડો ચોકીદારો પલળવાથી બચવા માટે આશરો શોધતા રહ્યા. ભોજન-પાણીનું તો શું કર્યું હશે, ખબર નહીં.

સાંજ પડતા સુધીમાં દરેકના ચહેરા પર થાક દેખાતો હતો. ખરેખર વેઠ. હવે આવા માહોલમાં આપણને પોલીસ-સ્ટેશનમાંથી સંતોષકારક જવાબો ક્યાંથી મળે? (એમની ઊર્જા વેડફાઈ રહી છે.)

આ બધું ચાલતું હતું ત્યાં રાત પડી, હું તો activa લઈને ઘેર પહોંચ્યો પણ મારું મન માણસામાં હતું.

આવનાર માણસ કરતાં ય વધુ રસ મને માહોલ જોવામાં હતો. એટલે હું જમીને ઊપડ્યો. વરસાદ ચાલુ હતો, એટલે હાથમાં છત્રી લઈને ચાલતી પકડી. રસ્તામાં એક રિક્ષા મળી, એટલે ઝડપથી પહોંચાયું.

હું માહોલ જોવા જ આવ્યો હતો એટલે ડાફેરાં મારતો મારતો ચાલતો હતો. વાયરામાં એક હાથે  છત્રી સાચવવાનું મુશ્કેલ બનતું જતું હતું, કારણ કે મેં મારો રાત્રિપોશાક પહેર્યો હતો અને એમાંના લેંઘાનું ઇલાસ્ટિક થોડુંક ઢીલું હતું!

પણ મારે છેક સુધી પહોંચવું હતું. રસ્તામાં ગલ્લાઓનો આશરો લઈને બેઠેલા પોલીસવાળા જોવા મળ્યા. (રાહ જોઈજોઈને કંટાળ્યા અને થાક્યા હશે.)

થોડોક આગળ ચાલ્યો, ત્યાં ઠેર ઠેર લોકો બે હાથ જોડીને મને પ્રણામ કરી રહ્યા હોય એવું લાગ્યું! અલબત્ત એ બધા પોસ્ટરમાં હતા.

(હમણાં આની ય ફૅશન ચાલે છે હોં …)

સ્વાગતપોસ્ટર ઉપર લાઇટો પણ પાડવામાં આવેલી કે જેથી એ ઊડીને આંખે વળગે. આનો ય એક સર્વે કરવા જેવો છે કે વર્ષે દહાડે કેટલાં પોસ્ટર લગાડવામાં આવે છે. પ્રજા અને સરકાર પોસ્ટર સંદર્ભે તો સ્પર્ધામાં હોય એવું લાગે છે. પહેલાં તો વેપારીઓની અવનવી જાહેરાતો જોતા હતા, પણ હવે તો એકના એક ચહેરા જોઈને આપણી આંખો ય થાકી ગઈ છે. લગાડો-ઉખાડો અને પૈસા બગાડો. સંસાધનોના બગાડ વિશે પણ વિચારવું રહ્યું.

ધીમે ધીમે હું મુખ્ય સ્થળ પર આવી રહ્યો હતો. રોડની બન્ને બાજુ કેટલાક લોકો દર્શનનો લાભ લેવા ઊભા રહેલા હતા. વરસાદ ના હોત, તો સંખ્યા ઘણી વધારે હોત. રોડની વચ્ચોવચ લગભગ હું એકલો જ ચાલતો હતો. કેટલાક પરિચિત ચહેરા મને આશ્ચર્ય સાથે જોઇ રહ્યા હતા.

(આવા વરસાદમાં ય … રામપુરાથી અહીં …)

મૂળે મને માહોલ જોવામાં રસ હતો, એટલે હું છેક ત્યાં સુધી પહોંચ્યો કે જ્યાં નાકાબંધી કરેલી હતી. મંદિરે પહોંચવાનો રસ્તો બંધ જોઈને મને વિચાર આવ્યો કે શું પૂજારી અને પૂજા કરનાર બેને જ પ્રવેશ છે કે શું? પણ હમણાં તો સુરક્ષાનો સવાલ હતો.

રાતના નવ વાગવા આવ્યા હતા, પણ હજુ કેટલીક દુકાનો ચાલુ હતી. એક ફરસાણવાળાને ત્યાં ઘણા બધા પોલીસવાળા નાસ્તો કરી રહ્યા હતા. બિચારા આખા દિવસના ભૂખ્યા હશે. મનમાં એવો વિચાર પણ આવ્યો કે પૈસા ચૂકવીને જાય તો સારું.

હવે હું એક જગ્યાએ સ્થિર થયો. બીજા કેટલાક દર્શનાર્થીઓ મારી આજુબાજુ ઊભા હતા. હું એકલો એકલો લોકશાહી સંદર્ભી વાતો બકે જતો હતો. પોલીસ પ્રજા માટે છે કે માત્ર નેતાઓ માટે … સુરક્ષા હોય પણ આટલી બધી? … વગેરે વગેરે.

અલબત્ત સંભળાવવા માટે જ. ક્યાંક કોઈક સાંભળનાર ટેકો પણ આપતું.

એટલામાં બે મહિલા-પોલીસ એક રાહદારી બાળકની છત્રીનો સહારો લઈને એમનાં ટોળાં સુધી પહોંચી. (પ્રજા સહકાર આપે છે, હોં …)

બસ, આવનાર આવુ આવુ થઈ રહ્યા હતા. આ દરમિયાન ખાખી વર્દીવાળા લોકોનું B.P. માપ્યું હોય, તો ૨૦૦ ઉપર જ મળે એની ખાતરી. એટલામાં એક બહેન આવ્યાં કે જેમનું ઘર નાકાબંધી કરી હતી એના અંદરના ભાગમાં હતું. પોતાના ઘર તરફ જતાં ય તેઓ ડરતાં હોય એવું લાગ્યું. ખૌફ …

આગમનની એકદમ તૈયારી હતી, ત્યારે બસડેપો બાજુથી ઘેર જનાર રાહદારીઓ પણ (ભયના માર્યા) ખૂબ ઝડપથી જતા હતા. કોઈ ગુનો કર્યા વગર પણ પ્રજાને પોલીસનો ડર લાગે છે એ જોઈને હસવું કે રડવું એ મને સમજાતું નથી.

(કદાચ પેલી બાળપણની બીક તો ઘર નહીં કરી ગઈ હોય ને … બાવો આવશે … પોલીસ પકડી જશે …)

ત્યાં એક વ્યક્તિને જોઈને તો હસવું જ આવ્યું. ભર વરસાદમાં એમના હાથમાં અગ્નિશામકના લાલ બાટલા હતા.(નિયમ એટલે નિયમ)

અને સાયરન વાગી …

પહેલી ગાડીમાંથી P.I. ઊતર્યા.

પછી Deputy Collector.

પછી S.P. આવ્યા.

અને એમના પછીની ગાડીમાંથી તો કદાચ D.I.G.

બોલો જે અધિકારીઓ દિવસે ય માંડ મળે એ અહીં રાત્રે ય હાજર હતા.

એ ગાડીઓમાંથી ઊતરેલ અન્ય લોકોમાંના એક ભાઈ મારી છત્રીના સહારે ઊભા રહ્યા અને મેં ફરી લોકશાહીવાળી કૅસેટ ચાલુ કરી.

આટલો બધો ડર કોનો લાગતો હશે આમને? …

સાલુ ૫૬ની છાતીવાળા ભાઈની જોડે રહીને ય ડરવાનું!

એક જણની આગળ-પાછળ આટલા બધા …

પેલા ભાઈથી રહેવાયું નહીં અને બોલ્યા, protocol હોય.

અને મેં કહ્યું, પ્રજાની સુરક્ષા માટેનો કોઈprotocol ખરો ?

સાંભળવા છતાં એ કાંઈ બોલ્યા નહીં.

(અણગમતો શિષ્ટાચાર નિભાવ્યો.)

પછી પોલીસ તરફ સહાનુભૂતિ દર્શાવતાં બે-ત્રણ વાક્યો પણ હું બોલ્યો.

એમાં ય એમણે કાંઈ જવાબ ના આપ્યો.

(પણ મનમાં ખુશ થયા હશે એ પાક્કું.)

એ પછી મેં સરદાર પટેલને યાદ કર્યા, કારણ કે એ ય એક સમયના ગૃહમંત્રી હતા.

‘સમય-સમયની વાત છે ભાઈ’ બાજુમાંથી કોઈક બોલ્યું.

(જો કે મૂળ વાત અભયની છે.)

અને ધડાધડ એક પછી એક બહુ બધી ગાડીઓ આવી અને લોકોની રાહનો અંત આવ્યો. આવનારે બંધ કાચમાંથી જ દર્શન આપ્યા. નાકાબંધી ખૂલી અને પહેલાં ’થોડાક કલાકના મહેમાન’ અને પછી નગરજનોએ પ્રવેશ લીધો.

હું ય મંદિર બાજુ ગયો, પણ મજા ના આવી, એટલે બહાર નીકળી ગયો.

બસ હું  પાછો ફરી રહ્યો હતો, ત્યાં કાફલામાંની એક ગાડીના ડ્રાઇવરે મને બોલાવ્યો. મને એમ થયું કે આ ભાઈ મારા મોઢેથી ટીકા સાંભળી ગયા છે કે શું ?

હું નજીક ગયો, કાચ વધુ ખૂલ્યો.

મારા આશ્ચર્ય વચ્ચે એમણે માનવસહજ પૂછ્યું, ‘આટલામાં પેશાબ કરવાની કોઈ જગ્યા ખરી?’

મેં ખુશ થઈને એક ખંડેર મકાન તરફ આંગળી ચીંધી.

વરસાદ ચાલુ હતો.

એમણે કહ્યું, છત્રી આપોને …

અને મેં હરખભેર છત્રી આપી એ ભાઈને દબાણમાંથી મુક્ત કરવામાં મારો ફાળો આપ્યો.

પેલા ભાઈ સંતોષપૂર્વક પાછા આવ્યા, પછી બીજા એક સૈનિકે પણ છત્રીનો લાભ લીધો.

છત્રી પાછી આપતાં એમણે આભાર વ્યક્ત કર્યો.

હું તો આનંદમાં હતો કે મારી છત્રી રાષ્ટ્રના સૈનિકને રાહત પહોંચાડવામાં કામ લાગી.

લોકો આ સ્નેહ-સહયોગ જોઈ રહ્યા હતા.આખરે કોની ગાડી અને કોનો ડ્રાઇવર …!

(પણ મને એમ થયું કે નેતાઓની જોડે રહેવું સહેલું નથી હોં … મૂતરવાનો ય સમય ના મળે.)

છત્રી લઈને થોડોક આગળ ચાલ્યો. ત્યાં અમારાં એક શિક્ષિકાબહેન દેખાયાં, એમને પ્રણામ કર્યા. થોડીક વાતચીતમાં એમણે કહ્યું, આ આવનાર આપણા ગામનું ગૌરવ કહેવાય હોં …

મેં કહ્યું, પણ એમને ગામ પ્રત્યે બહુ ભાવ હોય એવું લાગતું નથી હોં …

(એવું ખાસ કાંઈ કર્યું નથી ગામ માટે)

બહેને ટેકામાં માથું ધુણાવ્યું.

પછી એ સંવાદ અંગત વાતોથી પૂર્ણ થયો.

થોડોક આગળ ચાલ્યો, ત્યાં કાફલામાંની બીજી એક જીપે મારી છત્રીનો સહારો માંગ્યો, એમને ગાડીનો કાચ સાફ કરવો હતો.

ગાડીની બહાર આવી છત્રીના સહારે કાપેલો બટાકો હાથમાં લઈને એમણે કાચ ઉપર ઘસ્યો. મને આ નવી રીત જાણવા મળી, આભારના શબ્દો સાંભળી હું ફરી આનંદિત થતો આગળ વધ્યો.

આગળ જતાં એક પરિચિત મળ્યા. મને કહે, શું જોઈ આવ્યા?

મેં કહ્યું, આ લોકશાહીમાં એક વ્યક્તિ માટે કેટલું તંત્ર રોકાયું છે, એ જોઈ આવ્યો.

‘બિચારા પોલીસવાળા …’, હું આવું બોલ્યો, ત્યાં તો બાજુવાળા ભાઈ અકળાઈને કહે, ‘બિચારા શાના?’

રોજ ખિસ્સા ભરીને કોણ લઈ જાય છે?

બરાબર છે, આજે જ પૈસા વસૂલ થયા.’

(અગાઉનો કડવો અનુભવ બોલ્યો.)

હજુ કાફલાની લાઈન પૂરી થઈ નહોતી. એમાં છેલ્લે ઍમ્બ્યુલન્સ અને લાલ બંબો ય હતાં. બસ જીવબચાવો-અભિયાન …

આવી જોરદાર વ્યવસ્થાઓ જોઈને મોટાભાગના લોકો અંજાઈ જાય છે પણ ખરેખર વિચારવું જોઈએ.

Protocolના નામે ક્યાં સુધી આવી, આવી સરભરાઓ થતી રહેશે?

કેટલાંક નાકાઓ પર આ મેઘલી રાત્રે પલળતી મહિલા-પોલીસને જોઈને દયા આવી.

પણ પછી એમ થયું કે આ બહાને મહિલા-સશક્તિકરણ થશે!

બસ, હવે ઘણું મોડું થયું હતું, એટલે ઘરની વાટ પકડી.

રસ્તામાં વરસાદ અને વાયરો વધ્યાં.

મારી છત્રી પાંચેક વાર કાગડો થતાં થતાં રહી ગઈ.

(હમણાંથી તો છત્રી ’મોર’ પણ થઈ જાય છે હોં …

કાળા રંગની છત્રી હવે ઓછી છે, રંગીન છત્રી વરસાદમાં પોતાનાં પીંછાં ઊંચાં કરી દે, ત્યારે મોર જેવી જ લાગે ને!)

રસ્તામાં ગાયોને જ્યાં પૂરેલી હતી, એ જગ્યાની પણ મુલાકાત લીધી.

બિચારી …

હવે એમના માલિકો જ એમને લઈ જાય એવી આશા.

છેક સુધી ચાલીને આવ્યો. રસ્તામાં બે ઝાડ પડેલાં હતાં. (એમના નસીબમાં મારા માથે પડવાનું નહીં લખ્યું હોય.)

છત્રી હોવા છતાં ઘેર પહોંચ્યો, ત્યાં સુધી તો લગભગ પલળી જ ગયો હતો.

રાષ્ટ્રવાદી હોવાની નવી (સાંકડી) વ્યાખ્યાઓમાં તો મારો સમાવેશ નહીં થાય.

પણ ત્રણ સૈનિકોને સહારો આપીને મારી છત્રી ’રાષ્ટ્રવાદી છત્રી’ બની એનો આનંદ.

રાષ્ટ્રવાદી છત્રીનાં ય દર્શન કરવા મારા ગામ ’રામ’પુરાની મુલાકાત લઈ શકાય હોં …

અને હા આ સમયે ગાંધીજીનાં અગિયાર વ્રતમાંના ’અભય’ની તાતી જરૂરિયાત છે.

રોહિતવાસ, મુકામ રામપુરા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગર – ૩૮૨ ૮૪૫

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 08-10

Loading

સદ્‌ગત આચાર્યશ્રી તખ્તસિંહ પરમાર

અજય પાઠક|Opinion - Opinion|16 October 2019

તાજેતરમાં તા. ૧૧-૦૯-૨૦૧૯, બુધવારની મોડી સાંજે ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ આચાર્ય તથા જાણીતા સાહિત્યકાર તખ્તસિંહ પરમાર સાહેબનું દુઃખદ અવસાન થયું. તા. ૧૨ના રોજ અંતિમ વિધિ તથા તા. ૧૪ તથા તા. ૧૫ના રોજ અનુક્રમે દક્ષિણામૂર્તિ પટાંગણમાં અને શિશુવિહાર સંસ્થામાં પ્રાર્થના સભા અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભાવાંજલિ સભાઓ થઈ જેમાં ભરપૂર પ્રેમ આપનાર પરમારસાહેબને ચાહકોએ એટલો જ પ્રેમ ભાવાંજલિરૂપે વરસાવ્યો.

પરમારસાહેબનો જન્મ તા. ૦૯-૧૧-૧૯૧૯. આ વર્ષ ભાવનગરનું સાહિત્યજગત પરમાર સાહેબના શતાબ્દીવર્ષ તરીકે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવતું હતું. રૂબરૂ વ્યક્તિગત તેમ સમૂહમાં તેમના ઘેર જઈને પ્રેમાલાપ-કાવ્યાલાપ કરવાનું ચાહકો દ્વારા થતું રહ્યું હતું, જેની છબિઓ ફેસબુક મારફત સાહિત્યરસિકો તથા ફેસબુકમિત્રો વચ્ચે મૂકાતી રહેતી હતી અને તે નિમિત્તે વ્યાપક વંદના થતી રહી હતી. ૧૦૦ વર્ષ પૂરાં થવામાં બે મહિના બાકી રહ્યા હતા અને પરમાર સાહેબ ‘રનઆઉટ’ થયા. આ ભાષા પ્રયોજવાનું કારણ એટલું જ કે સાહેબ ક્રિકેટની રમતના પરમ ચાહક, ઉપાસક, આરાધક રહ્યા. યુવાનીમાં ક્રિકેટ રમતા, ગૃહપતિ તરીકે તેમ અધ્યાપક તરીકે તેમ કુટુંબના વડીલ તરીકે બાળકો, કિશોરો, કુમારો, યુવકોને ક્રિકેટ રમવા પ્રતિ પ્રેરતા, પ્રોત્સાહિત કરતા. ઉત્તરાવસ્થામાં કાન અને આંખની મર્યાદાઓ ઊભી થતાં અન્ય પ્રવૃત્તિઓ તેમ સુટેવો અંગે સંયમ કેળવવો પડ્યો ત્યારે ય ટ્રાન્ઝિસ્ટર રેડિયો સતત બાજુમાં રાખીને, સંભળાય તેવી ઉપકરણ સુવિધા ઊભી કરીને, ક્રિકેટ મેચોની કોમેન્ટરી સાંભળવાનું સુખ તેમણે ભોગવ્યું હતું.

ઉમાશંકર જોશી જોડે તખ્તસિંહજી પરમાર

પરમારસાહેબનો કાવ્યપાઠ સાંભળવાનો શોખ, ઉમંગ પણ નોંધપાત્ર. તેમની વિશેષતાઓ એ હતી કે ‘ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ’ પારખીને સર્જક ચેતનાને સંકોરવાનું કામ એમને પ્રિય હતું. જીવનભર એ પ્રવૃત્તિમાં તેઓ મગ્ન રહ્યા. તેનાં સુપરિણામોનો તેમને અત્યંત આનંદ રહેતો. તેનું જાણીતું દૃષ્ટાન્તઃ બહાઉદ્દીન કૉલેજમાં તેઓ દસેક વર્ષ અધ્યાપક રહ્યા તે દરમિયાન જૂનાગઢમાં ‘મંગળવારિયું’ નામે પ્રવૃત્તિ ચલાવી જેમાં કવિઓ પોતાની રચનાઓ સંભળાવે અને પરમાર સાહેબનું પ્રોત્સાહન પામે. પ્રોત્સાહન શબ્દો દ્વારા હોય, પણ વધુ તો કાવ્યપાઠ સાંભળતી વખતે પોતાની આંખોની વિશિષ્ટ ચમકથી પાઠકને પ્રોત્સાહિત કરે. જૂનાગઢ ખાતે તેનાં સુપરિણામો જાણીતાં બન્યાં તે કવિ રાજેન્દ્ર શુક્લ અને કવિ મનોજ ખંડેરિયા.

પછીથી ભાવનગર ખાતે પરમારસાહેબની આ પ્રતિભાનો સમાજના મોટાવર્ગને લાભ મળે તેવા હેતુથી ભાવનગરના જાણીતા સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટે પરમાર સાહેબને તેઓ શામળદાસ કૉલેજમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયા તે સમયે (ઈ.સ. ૧૯૮૦) સૂચન કર્યું કે તેઓ શિશુવિહાર સંસ્થામાં અઠવાડિયે એક વખત સાંજે એક કલાક આવીને/બેસીને કવિઓના કાવ્યપાઠ સાંભળે અને કાવ્યસર્જન પ્રવૃત્તિને પોષણ આપે. માનભાઈએ તેમની સાથે જાણીતી નાટ્યસંસ્થા યંગક્લબના સૂત્રધાર સ્વ. બાબુભાઈ વ્યાસને પણ નિમંત્રણ આપી બોલાવ્યા. સાથે એવા જ નાટ્યપ્રેમી ડૉ. અરવિંદભાઈ મહેતાને પણ નિમંત્રણથી બોલાવ્યા. જાણીતા ગઝલકાર સ્વ. કિસ્મત કુરેશી તો માનભાઈના નિત્ય સંપર્કમાં હતા જ. બુધવારની સાંજ, સમય ૭થી ૮ નિયત થયાં. આરંભમાં ૫/૭ વ્યક્તિઓથી બેઠક શરૂ થઈ. પછીથી કપિલભાઈ પંડ્યા, અરવિંદભાઈ, માનશંકર, કવિ નાથાલાલ દવે, ગઝલકાર મુકબિલ કુરેશી, એમ જૂથ થયું. ગામ તો કવિઓનું / ગઝલકારોનું હતું. સૌ ધીમે ધીમે આવતા થયા. તેમાં પરમાર સાહેબનું ભાવભર્યું, વહાલભર્યું, આગ્રહભર્યું નિમંત્રણ કામ કરતું હતું. કવિઓની અસ્મિતાનું ગૌરવ કરીને તેમને આવતા કર્યા, અને વ્યવસ્થિત બુધસભાની બેઠક જામતી ગઈ. કવિઓ પ્રોત્સાહિત થતા રહ્યા. લખતા રહ્યા. પુસ્તક કરવા સુધી હોંશ ધરાવતા થયા. પુસ્તકમાં પ્રસ્તાવનારૂપે પરમારસાહેબ બે શબ્દો લખી આપે, આખી હસ્તપ્રત વાંચી જાય, સારું હોય તે ચીંધી બતાવે, કવિની હોંશ વધે અને રસભંગ ન થાય તેની ખેવના કરે. તેનાં સારાં પરિણામો આવ્યાં.

પિતા-પુત્ર. મહેન્દ્રસિંહજી પરમાર જોડે આચાર્ય તખ્તસિંહજી પરમાર

કેવળ પરમારસાહેબના શબ્દો, ઉદ્‌ગારોથી પ્રોત્સાહિત થઈને બુધસભામાં આવતા થયેલા અને વિકસેલા બે કવિઓનાં નામોનો નિર્દેશ કરું છું. ૧. પ્રિયવદન નૌતમરાય પાઠક, ૨. ભરત વાળા ‘દાસ ભરતજી’. પ્રથમ દૃષ્ટાન્ત એવું છે જે પરમારસાહેબના બી.એ., એમ.એ. (ગુજરાતી) વર્ગ સહાધ્યાયી, ઉત્તમ વાચક, ભાગ્યે જ લખવા પ્રવૃત્ત થાય તેવા નિવૃત્તિ પછી બુધસભામાં માત્ર પરમારસાહેબના સાંનિધ્યમાં રહેવા માટે ગયેલા. પછીથી ઉત્તમ સોનેટ્‌સ લખતા થયા. ‘સંધ્યારાત્ર’ નામે સોનેટ, મુક્તક રચનાઓનો સંગ્રહ કર્યો. પરમાર સાહેબે ઉત્તર પ્રસ્તાવના લખીને કવિનું ગૌરવ કર્યું. બીજું દૃષ્ટાંત એથી ય ચઢિયાતું છે. ભરત વાળા સ્થાનિક શહેર સુધરાઈ કચેરીમાં ૪થા વર્ગના કર્મચારી તરીકે કામ કરે. પરમાર સાહેબની સ્નેહાર્દ્ર દૃષ્ટિથી પ્લાવિત થયા. બુધસભામાં આવતા થયા. અલ્પશિક્ષિત એવા ભરતજી આજે દસેક સંગ્રહો પ્રકાશિત કરીને આત્મવિશ્વાસપૂર્વક છટાથી ગઝલપાઠ કરે છે. પ્રતિભાબીજની માવજત કેવાં સારાં ને દૂરગામી પરિણામો લાવી શકે છે તે જોવું રસપ્રદ બને છે. કપિલભાઈ કવિ ન હતા. પણ બુધસભામાં કવિઓને માટે સહૃદયી ભાવક હતા. તેમણે ‘નીરક્ષીર’ નામે બુધસભાનું વાર્ષિક પ્રકાશન થાય તેવું સૂચન કરેલું. પ્રથમ અંકની પોતે વ્યવસ્થા કરી આપેલી. પછીથી તે કાયમી સ્વરૂપે પ્રકાશિત થતું રહે તેની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરાવી. આમ કવિઓ અને કાવ્યપ્રેમીઓનું સુભગ મિલન એટલે બુધસભા. પરમારસાહેબ આત્મીય ભાવે બુધસભા સાથે જોડાયેલા રહ્યા. તેમનું નિધન બુધવારની સભા શરૂ હોય એવા સમયે થયું.

ગાંધીસ્મૃતિ (પુસ્તકાલય), સરદાર સ્મૃતિ, રામદાસ આશ્રમ, થિયોસોફિકલ સોસાયટી, દક્ષિણામૂર્તિ શિક્ષણસંસ્થા, ભાવનગર સાહિત્ય સભા કે સાહિત્ય સંગમ કે સાહિત્ય પરિવાર કે કિસ્મત કુરેશી સ્મૃતિફંડ … આવી અનેક પ્રવૃત્તિઓ સાથે પરમારસાહેબ સંકળાયેલા રહ્યા હતા. ક્યાંક પ્રસંગોપાત, ક્યાંક દીર્ઘકાલીન સેવાર્થે.

તેમના વ્યક્તિત્વનું કેન્દ્રબિંદુ નિર્વ્યાજ પ્રેમ. તેમના સંપર્કમાં આવીને પ્રમાદી વ્યક્તિ પણ પ્રેમાધીન થઈને પ્રવૃત્તિશીલ બની રહે. મારે ભાવનગર સાહિત્ય સભામાં ૧૯૭૨થી ૧૯૭૭ તથા બુધસભામાં ૨૦૦૦થી ૨૦૦૯/૧૦ના સમયગાળામાં તેમના સહયોગી કાર્યકર તરીકે કામ કરવાનું બન્યું એનાં પ્રેમભર્યા મધુર સ્મરણો સાથે નિઃશેષ ભાવાંજલિ!

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 11-12

Loading

...102030...2,6482,6492,6502,651...2,6602,6702,680...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved