Opinion Magazine
Number of visits: 9684254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવાની હાલતઃ ન દેખાતું પ્રદૂષણ ધાર્યા કરતાં મોટું જોખમ બની ચૂક્યું છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 December 2019

૨૦૫૦ સુધીમાં ભારતમાં હવાનાં પ્રદૂષણને કારણે થતાં મૃત્યુનો આંકડો વર્ષે ૩.૬ મિલિયન સુધી પહોંચશે

તાજેતરમાં લંડનની યુનિવર્સિટી કૉલેજમાં થયેલા એક અભ્યાસ અનુસાર જે વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર બહુ વધારે હોય ત્યાં રહેનારાઓને ગ્લુકોમાની તકલીફ થવાની શક્યતાઓ વધી જાય છે. આ સમાચાર વાંચીને મોટે ભાગે તો આપણા પેટનું પાણી પણ નથી હાલવાનું કારણ કે આપણે આપણા સલામત ઘરમાં છાપું પકડીને બેઠા છીએ અને રવિવારની સવાર માણી રહ્યાં છીએ. દિલ્હીમાં હવાનાં પ્રદૂષણનાં હાલ વિષે જેને ખબર હોય એને આમ નહિવત્ કહી શકાય તેવો વિચાર ફરકી જાય કદાચ કે, ‘માળું દિલ્હીવાળાને હવે આ ય નડવાનું’ પણ બસ ત્યાં આ વિચાર અને વાત અટકી જવાના. અહીં જ આપણે થાપ ખાઇએ છીએ.

આ કિસ્સામાં આપણે ‘દિલ્હી અભી દૂર હૈ’માંથી આપણે ‘અભી’ શબ્દ કાઢીને નિરાંતનો ‘ચોખ્ખો’ શ્વાસ લઇએ છીએ કે આપણને આમાંનું કશું ય લાગતું વળગતું નથી. આ અભિગમ એ બહુ મોટી ભૂલની હરણફાળ છીએ. આપણાં દેશની ઉત્તર દિશા ધૂંધળી, મેલી અને પ્રદૂષણથી ખદબદી રહી છે પણ એ રાજકારણને કારણે નહીં, હવાની સતત બગડી રહેલી ગુણવત્તાને કારણે. દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં આપણે ત્રીજા નંબરે છીએ અને આપણી રાજધાની દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીઓની યાદીમાં મોખરે છે.  દિલ્હીમાં હવાનાં પ્રદૂષણને પગલે ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરાઇ છે તો શાળા બંધ રાખવાની ફરજ પણ પડી ચૂકી છે. સરકારી અધિકારીઓ અને વડાપ્રધાનની કચેરીમાં ૨૦૧૭ સુધીમાં જાહેર જનતાનાં નાણાંથી એર પ્યુરિફાયર્સની ખરીદી પણ થઇ ચૂકી હતી, પણ આમ જનતાને આ જોખમમાંથી કોઇ રાહત નથી મળી રહી. આ પરિસ્થિતિ હવા પ્રદૂષણનાં ઉકેલ માટે જરૂરી ગંભીરતા પૂરી પાડે છે પણ છતાં ય આ સમસ્યાનાં ઉકેલની દિશામાં બહુ મોટા પાયે કંઇ થતું હોવાનું હજી નજરે નથી ચઢ્યું.

આજકાલ અખબારોમાં અને અન્ય પ્રસાર માધ્યમોમાં એર પ્યુરિફાયરની જાહેરાતો અને તે અંગે લખાણો આવવાં માંડ્યાં છે અને તે પૂરતી સાબિતી છે કે આપણે પ્રદૂષણનાં સંકજામમાં કઇ હદે સપડાઇ ચૂક્યાં છીએ. તમારા અને મારા ઘરમાં પ્રદૂષણની હેરાનગતિ નથી એટલે આપણે તેનાંથી બચ્યાં છીએ કે બચેલાં રહેશું એવું માની લેવાની ગુસ્તાખી ન કરીએ તો વધારે સારું. શહેરી વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ મોટે ભાગે ટ્રાફિક, અશ્મિગત ઇંધણ, પાવર પ્લાન્ટ્સ, ખેતી અને વેસ્ટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઉદ્યોગોને કારણે ફેલાતું હોય છે. દિલ્હીની આસપાસ કોલસાથી ચાલતાં પ્લાન્ટ્સ ઘણાં છે તો પંજાબમાં ખેડૂતો નકામી કુશકી અને ધાનનો કચરો બાળે છે તે પણ હવાનાં પ્રદૂષણમાં મોટો વધારે કરે છે.

હવાનાં પ્રદૂષણનું સ્તર મોટે ભાગે તેમાં રહેલા હાનિકારક કણોનાં પ્રમાણને આધારે માપવામાં આવે છે. આપણો ગ્રહ અત્યારે હૉલીવૂડની ફિલ્મોમાં જે વિનાશ નોતરાતો દેખાડાય છે સ્થિતિ તરફ ધસતો હોવાની શરૂઆત થવા માંડી છે અને આ માટે એક માત્ર જવાબદાર માણસજાત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનનાં મતે દુનિયા આખીમાં હવાનું સ્તર કથળી રહ્યું છે અને તેને કારણે થતાં અપમૃત્યુનો આંકડો સાત મિલિયને પહોંચ્યો છે. હવાનાં પ્રદૂષણને પગલે વિશ્વ આખાનાં અર્થતંત્ર, ખાદ્ય સલામતી અને ક્લાઇમેટ પર જોખમ તોળાઇ રહ્યું છે.  પાણીમાં પ્રદૂષણ થાય ત્યારે એ આંખોમાં કણાની જેમ ખૂંચે છે કારણ કે એ નરી આંખે જોઇ શકાય છે. હવાનાં મામલે આમ નથી થતું એટલે હવા પ્રદૂષણની ગંભીરતા સમજવામાં આપણે પાછા પડીએ છીએ. એમેઝોનનાં જંગલોની આગ હોય કે પછી કેલિફોર્નિયા કે પછી ઇન્ડોનેશિયામાં આ ઉનાળે લેન્ડ ક્લિયરન્સની આગ હોય આ બધાંને પગલે આકાશનો દેખાવ કેવો થયો હતો તેનાં દ્રશ્યો ભુલાય એમ નથી. તમને ફરી એમ થશે કે બૉસ, આપણાં જંગલોમાં ક્યાં આવું થયું છે તે આપણે ચિંતા કરીએ. ચિંતાની વાત તો જરૂર છે કારણ કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ૨૦૫૦ સુધીમાં ભારતમાં હવાનાં પ્રદૂષણને કારણે થતાં મૃત્યુનો આંકડો વર્ષે ૩.૬ મિલિયન સુધી પહોંચશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દસમાંથી નવ જણ હવાનાં પ્રદૂષણનાં જોખમી સ્તરનાં પ્રભાવમાં આવે છે, પછી ભલેને તમે દુનિયાનાં કોઇ પણ ખૂણે કેમ ન રહેતા હો.

નેશલન ક્લિન એયર પ્રોગ્રામ અનુસાર ભારતમાં ૧૨૯ શહેરો છે જેની હવામાં હાઇ પાર્ટીક્યુલેટ કોન્સટ્રેશન એટલે કે હાનિ પહોંચાડે તેવા કણોની હાજરી છે. પ્રદૂષણ માત્ર ઉત્તર ભારત પૂરતું નથી પણ ચેન્નઇમાં પણ હવા પ્રદૂષણને કારણે લોકોને શ્વાચ્છોશ્વાસમાં તકલીફ થઇ હોવાનાં સમાચાર આવ્યા છે. આ પ્રદૂષણ સામે પગલાં લેવા માટે આપણી વર્તમાન નીતિ પાછી પડે એમ છે. સરકારે હવા પ્રદૂષણ સામે લડવા માટે કેન્દ્રિય નીતિ બનાવીને તેનું અમલીકરણ પ્રદૂષણથી હેરાન થઇ રહેલાં બધાં જ રાજ્યોમાં થાય તેની તકેદારી રાખવી પડશે. કેન્દ્ર સરકાર આ મામલે દોષનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળી દેશે તો સમસ્યાનો ઉકેલ તો નથી જ આવવાનો. ફેફસાં કે હ્રદયની બિમારીથી થતાં એક તૃતિયાંશ મૃત્યુ હવાનાં પ્રદૂષણને કારણે થયાં હોય છે. પાકિસ્તાનની હવાની હાલત પણ કથળેલી છે.  તાજેતરમાં સુપ્રિમ કોર્ટે હવાનાં પ્રદૂષણ સામે કડક પગલાં ન લેવાતા હોવાની વાતે રાજ્ય અને સ્થાનિક સત્તાધીશો તથા સરકારને આકરી ભાષામાં ઝાટક્યાં છે. એ જજે તો ત્યાં સુધી કહ્યું કે કોથળામાં દારૂગોળો ભરીને બધાંને એક સાથે જ મારી નાખો, શા માટે આવી રીતે લોકોએ વેઠવું જોઇએ.

વિકાસશીલ દેશ હોવાને નાતે આપણે ગામડાંઓમાં બાળવામાં આવતા કચરા, રાંધવામાં બાયોમાસ અને અશ્મિગત ઇંધણનાં ઉપયોગ, કેરોસિનનો ઉપયોગ વગેરે ટાળી શકાય તે દિશામાં કામ કરવું રહ્યું. સૌર ઉર્જાનો વધુમાં વધુ વપરાશ તો શહેરોમાં ઇલેક્ટ્રીક વાહનોનાં ઉપયોગ પર ભાર મૂકવા જેવાં પરિવર્તનો પરિસ્થિતિને બદલશે. આ પરિવર્તન ધીમું ચોક્કસ હોઇ શકે છે પણ સરકાર આ મુદ્દાને વધારે ગંભીરતાથી લે તો તેનું પરિણામ ચોક્કસ મળશે. હાઇબ્રિડ કાર્સની કિંમતો અને કરવેરામાં હળવાશ લોકોને એ દિશામાં વિચારતાં કરશે.

જે રીતે ૨૦૧૩માં ચીને પ્રદૂષણની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે તત્કાલ પગલાં ભર્યા હતાં તેવું જ ભારત સરકારે પણ કરવું પડશે. ૨૦૧૩ની શરૂઆતમાં ચીનની સરકારને પ્રદૂષણનાં જોખમની ગંભીરતા સમજાતાં તરત જ સરકારે ૨૭૭ બિલિયન ડૉલર્સ(ભારતનાં વર્તમાન અર્થતંત્રનો દસમો હિસ્સો)ની યોજના જાહેર કરી જે ૨૦૧૭ સુધીમાં આખા દેશ પર લાગુ કરવાની હતી. કોલસાથી ચાલતાં નવાં શરૂ થયેલાં બોઇલર પ્લાન્ટ્સ પર પ્રતિબંધ મુકાયો તો જૂનાં પર કાર્બન એમિશન ઘટાડવાની હુકમ ફરમાવાયો. આયર્ન અને સ્ટીલનાં પ્લાન્ટ્સને ઉત્પાદન ઘટાડવાનું કહેવાયું તથા મોટાં શહેરોમાં હાઇ-એમિશન વાહનો પર પ્રતિબંધ મુકાયો. ૨૦૧૭માં ચીનનાં વિવિધ વિસ્તારોમાં હવાનાં પ્રદૂષણમાં ૩૬ ટકાથી મમાંડીને ૪૧ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. યુ.એસ.એ.ને સિત્તેરનાં દાયકામાં લાગુ કરાયેલા ક્લિન એયર એક્ટ પછી સંજોગોને કાબૂમાં લાવતા લગભગ એક દાયકા જેટલો સમય લાગ્યો હતો. યુનાઇટેડ કિંગ્ડમમાં આ ધારો ૧૯૫૬માં લાગુ કરાયો કારણ કે ૧૯૫૨માં તેમણે લંડનમાં ગ્રેટ સ્મોગની સ્થિતિ વેઠવી પડી હતી. આપણે ત્યાં આ ધારો ૧૯૮૧થી છે પણ તેનાથી આપણે અત્યારની પરિસ્થિતિથી બચી નથી શક્યાં. હવાનું પ્રદૂષણ સિઝનલ સમસ્યા ભલે વર્તાતી હોય પણ તેની અસર લાંબો સમય રહે અને લોકોનાં સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. હવા પ્રદૂષણનાં ઘણાં કારણો ગ્લોબલ વૉર્મિંગનાં કારણ પણ છે એટલે જો આ પ્રશ્ન ઉકેલાય તો ક્લાઇમેટની કટોકટીમાં પરિવર્તન લાવવામાં પણ આપણું યોગદાન હોઇ શકે છે.

બાય ધી વેઃ 

દિલ્હીની સરખામણી ગેસ ચેમ્બર્સ સાથે થઇ ચૂકી છે અને દુનિયા આખી માટે ભારતનું ‘સ્મોગ’ ઠેકડી ઉડાડવાનો મુદ્દો બની ચૂક્યું છે તેમ પણ સુપ્રિમ કોર્ટે કહ્યું છે. આમ તો ભારતે આ વર્ષે ધી ક્લાઇમેટ એન્ડ ક્લિન એયર કોએલિશનનો હિસ્સો બનીને આ સમસ્યાનાં ઉકેલ તરફ પ્રયાણ ચોક્કસ ભર્યું છે પણ છતાં ય કેન્દ્ર સરકારે લાંબા ગાળાનો અને સસ્ટેનેબલ ઉકેલ શોધવો રહ્યો. માત્ર કોઇ યોજનાનો હિસ્સો બનવાથી સમસ્યાઓ નથી ઉકેલાઇ જતી. ભારત રાતોરાત ચીનની માફક બધું બદલી નહીં શકે પણ હવા પ્રદૂષણ નામનાં આ ન વર્તાતા હત્યારા સામેની લડતનો નિર્ણય વધુ મક્કમ કરવાની જરૂર છે. ચેતવણીમાંથી જોખમનાં સ્તરે તો આપણે આવી પહોંચ્યા છે હજી કેટલાં ફેફસાં અને હ્રદય નબળા પડવા દઇશું?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2019 

Loading

ટૉલ્સ્ટૉય શતાબ્દી

મો.ક. ગાંધી|Gandhiana|1 December 2019

વડીલોનું શ્રાદ્ધ

મારી પોતાની માનસિક સ્થિતિ અત્યારે મુદ્દલ એવી નથી કે હું એક્કે તિથિ અથવા એકે ઉત્સવ ઉજવવાને લાયક રહ્યો હોઉં. થોડા વખત પર नवजीवन કે यंग इन्डियाના એક વાચકે મને પ્રશ્ન પૂછેલો : "તમે શ્રાદ્ધ વિશે લખતાં લખી ચૂક્યા છો કે વડીલોનું ખરું શ્રાદ્ધ તેમની પુણ્યતિથિને દિવસે તેમના ગુણોનું સ્મરણ કરવાથી ને તે પોતાનામાં વણી કાઢવાથી થઈ શકે છે. તેથી હું પૂછું છું કે તમે તમારા વડીલની શ્રાદ્ધતિથિ કઈ રીતે ઊજવો છો?'' વડીલની શ્રાદ્ધતિથિ હું જુવાન હતો ત્યારે ઊજવતો. પણ અત્યારે તમને કહેતાં શરમાતો નથી કે મને વડીલની શ્રાદ્ધતિથિનુ સ્મરણ સરખું ય નથી. કેટલાંયે વર્ષો થયાં એક પણ શ્રાદ્ધતિથિ ઊજવ્યાનુ મને સ્મરણ નથી. એટલી મારી કઠિન સ્થિતિ છે, અથવા કહો કે સુંદર સ્થિતિ છે, અથવા કેટલાક મિત્રો માને છે તેમ ગાઢ મોહની સ્થિતિ છે. જે કાર્ય હાથમાં લીધું હોય તેનું ચોવીસે કલાક રટણ કરવું, મનન કરવું, જેટલે અંશે બને તેટલે અંશે તેને સુવ્યવસ્થિત કરવું તેમાં બધું આવી જાય છે એવું મારું માનવું છે.

એમાં વડીલોની શ્રાદ્ધતિથિ ઊજવવાનુ આવી જાય છે, ટૉલ્સ્ટૉય જેવાના ઉત્સવો પણ આવી જાય છે. દાક્તર હરિપ્રસાદે મને જાળમાં ન ફસાવ્યો હોત તો તદ્દન સંભવિત છે કે આ દસમી તારીખ મેં કોઈ પણ રીતે આશ્રમમાં ઊજવી ન હોત; એવો પણ સંભવ છે કે હું તે વીસરી ગયો હોત. ત્રણ માસ પૂર્વે મારી પાસે એલ્મર મૉડ તેમ જ ટૉલ્સ્ટૉયનુ સાહિત્ય એકઠું કરનારા બીજાઓ તરફથી કાગળો આવેલા કે આ શતાબ્દી નિમિત્ત મારે કંઈક લખી મોકલવું, અને આ તારીખનું હિંદુસ્તાનમાં સ્મરણ દેવડાવવું. એલ્મર મૉડના કાગળનું તારણ કે આખો કાગળ यंग इन्डियाમાં છાપેલો તમે જોયો હશે. તે પછી પાછો હું આ વાત તદ્દન ભૂલી ગયેલો. આ પ્રસંગ મારે સારુ એક શુભ અવસર છે. છતાં ય એ હું ભૂલી ગયો હોત તો પશ્વાત્તાપ ન કરત પણ યુવકસંઘના સભ્યોએ આ તિથિ અહીં ઊજવવાનો પ્રસંગ આપ્યો એ મારે માટે આવકારલાયક છે.

ધર્મગુરુને શોધું છું

દત્તાત્રેયની માફક મેં જગતમાં ઘણા ગુરુ કર્યા છે એમ હું મારે વિશે કહી શકું તો મને ગમે, પણ મારી એ સ્થિતિ નથી. મેં તો એથી ઊલટું કહ્યું છે કે હું હજી સુધી ધર્મગુરુને શોધવા મથી રહ્યો છું. ગુરુ મેળવવાને મોટી લાયકાત જોઈએ છે એવી મારી માન્યતા છે, અને તે દિવસે દિવસે દઢ થતી જાય છે. જેને એ લાયકાત મળી રહે છે તેની પાસે ગુરુ ચાલીને આવે છે. મારામાં એ લાયકાત નથી. ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા. એ મારી સ્થિતિ કોઈ ધર્મગુરુને વિશે નથી.

ટૉલ્સ્ટૉયની અસર

છતાં એટલું તો કહું કે ત્રણ પુરુષોએ મારા જીવન પર મોટામાં મોટી અસર કરી છે. એમાં પહેલું સ્થાન હું રાજચંદ્ર કવિને આપું છું. બીજું ટૉલ્સ્ટૉયને, અને ત્રીજું રસ્કિનને. ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિશે હું વધારે જાણું તો બેમાં કોને પહેલાં પૂરું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજું સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છું. ટૉલ્સ્ટૉયના જીવન વિશે ઘણાએ વાંચ્યું હશે તેટલું મેં નથી વાંચેલું. તેમણે લખેલાં પુસ્તકનું મારું વાચન પણ બહુ ઓછું છે એમ કહીએ તો ચાલે. એમનાં જે પુસ્તકની અસર મારા પર બહુ જ પડી તેનું નામ Kingdom of God Within You એનો અર્થ એ કે ઈશ્વરનું રાજ્ય તમારા હૃદયમાં છે, એને બહાર શોધવા જશો તો ક્યાં ય નહીં મળે. એ મેં ચાળીસ વરસ પર વાંચેલું. તે વેળા મારા વિચારો કેટલીયે બાબતમાં શંકાશીલ હતા; કેટલીયે વખત મને નાસ્તિકતાના વિચારો આવી જતા. વિલાયત ગયો ત્યારે તો હું હિંસક હતો; હિંસા પર મને શ્રદ્ધા હતી, અને અહિંસા વિશે અશ્રદ્ધા હતી. આ પુસ્તક વાંચ્યા પછી મારી એ અશ્રદ્ધા ચાલી ગઈ. ત્યાર પછી એમનાં કેટલાંક બીજાં પુસ્તકો મેં વાંચ્યાં તેની દરેકની શી અસર થઈ તે ન કહી શકું; પણ તેમના સમગ્ર જીવનની શી અસર થઈ તે જ કહી શકું છું.

સત્ય અને અહિંસાની મૂર્તિ

એમના જીવનમાંથી બે વસ્તુ મને પોતાને ભારે લાગે છે. એ કહે તેવું કરનાર પુરુષ હતા. એમની સાદાઈ અદ્ભુત હતી; બાહ્ય સાદાઈ તો હતી, એ અમીર વર્ગના માણસ; આ જગતના છપ્પને ભોગ તેમણે ભોગવેલા. ધનદોલતને વિશે મનુષ્ય જેટલું ઇચ્છે તે બધું તેમને સાંપડેલું. છતાં એમણે ભર જુવાનીમાં પોતાના સુકાનને ફેરવ્યું. દુનિયાના અનેક પ્રકારના રંગો જોયા છતાં, અનેક પ્રકારના સ્વાદ ચાખ્યા છતાં, જ્યારે એમને લાગ્યું કે આમાં કંઈ જ નથી ત્યારે તેમણે પૂંઠ ફેરવી; અને છેવટ સુધી પોતાના વિચારોમાં કાયમ રહ્યા. તેથી એક ઠેકાણે તો મેં લખી મોકલ્યું છે કે ટૉલ્સ્ટૉય આ યુગની સત્યની મૂર્તિ હતા. એમણે સત્યને જેવું માન્યું તેવી રીતે ચાલવાને ઉગ્ર પ્રયત્ન કર્યો; સત્યને છુપાવવાનો કે મોળું કરવાનો પ્રયત્ન ન કર્યો. લોકોને દુ:ખ થશે કે સારું લાગશે, મોટા શહેનશાહને ઠીક લાગશે કે નહીં, એનો વિચાર કર્યા વિના તેમને જે પ્રકારે જે વસ્તુ ભાસી તે જ પ્રકારે તેમણે કહી. ટૉલ્સ્ટૉય એ પોતાના યુગને માટે અહિંસાના એક ભારે પ્રવર્તક હતા. અહિંસાને વિશે જેટલું સાહિત્ય પશ્ચિમને સારુ ટૉલ્સ્ટૉયે લખ્યું તેટલું સોંસરવું ચાલી જાય એવું બીજા કોઈએ લખેલું મારી જાણમાં નથી. એથી આગળ જઈને કહું તો અહિંસાનું સૂક્ષ્મ દર્શન ટૉલ્સ્ટૉયે જેટલું કર્યું, અને એના પાલનનો જેટલો પ્રયત્ન ટૉલ્સ્ટૉયે કર્યો, એટલો અમલ કે એટલો પ્રયત્ન કરનાર અત્યારે હિંદુસ્તાનમાં કોઈ છે એવો મને ખ્યાલ નથી, એવા કોઈ મનુષ્યને હું જાણતો નથી.

અહિંસા એટલે પ્રેમસાગર

મારે સારુ આ સ્થિતિ દુ:ખદાયક છે, મને એ ગમતી નથી. હિંદુસ્તાન કર્મભૂમિ છે. હિદુસ્તાનમાં ઋષિમુનિઓએ અહિંસાના ક્ષેત્રમાં મોટામાં મોટી શોધો કરેલી છે. પણ આપણે વડીલોપાર્જિત મિલકત પર નભી નથી શકતા. એમાં જો વૃદ્ધિ ન કરતા રહીએ તો એને ખાઈ જઈએ છીએ. એ વિશે ન્યાયમૂર્તિ રાનડેએ આપણને ચેતવી મૂકેલા છે. વેદાદિ સાહિત્યમાંથી કે જૈન સાહિત્યમાંથી મોટી મોટી વાતો ગમે એટલી કરીએ, કે સિદ્ધાંતોને વિશે પ્રમાણો ગમે એટલાં ટાંકીએ અને દુનિયાને આશ્ચર્યચકિત કરીએ, તો પણ દુનિયા આપણને ખરા નહીં ગણે. તેથી રાનડેએ આપણો ધર્મ એ બતાવેલો કે આપણે એ મૂડીમાં વધારો કરવો; બીજા ધર્મવિચારકોએ લખેલું હોય તેની સાથે એની સરખામણી કરવી; તેમ કરતાં કાંઈ નવું મળી આવે કે નવું અજવાળું પડે તો તેનો તિરસ્કાર ન કરવો. પણ આપણે તે પ્રમાણે કર્યું નથી. આપણા ધર્માધ્યક્ષોએ એકપક્ષી જ વિચાર કર્યો છે, તેમનાં વાચન, કથન અને વર્તનમાં એકમેળ પણ નથી. પ્રજાને સારું લાગે કે નહીં, જે સમાજમાં પોતે કામ કરે છે તે સમાજને સારું લાગે કે નહીં તો પણ ટૉલ્સ્ટૉયની માફક ચોખ્ખેચોખ્ખું સંભળાવનારા માણસો આપણે ત્યાં નથી મળી આવતા. એવી આપણા આ અહિંસાપ્રધાન મુલકની દયામણી દશા છે.

આપણી અહિંસા નિંદવાલાયક છે. માંકડ, મચ્છર, ચાંચડ, પક્ષી અને પશુઓને જેમ તેમ કરીને નભાવવામાં જાણે આપણે અહિંસાની સમાપ્તિ જોઈ રહ્યા છીએ. તે પ્રાણીઓ રિબાય તો ફિકર નથી કરતા; રિબાવવામાં પોતે ભાગ લેતા હોઈએ તોયે ફિકર નથી કરતા. પણ રિબાતા પ્રાણીને કોઈ પ્રાણમુક્ત કરે, અથવા આપણે તેમાં ભાગ લઈએ, તો તેમાં આપણને ઘોર પાપ લાગે છે. એ અહિંસા નથી એવું હું લખી ગયો છું. અને ટૉલ્સ્ટૉયનુ સ્મરણ કરાવતી વખતે ફરી કહું છું કે અહિંસાનો અર્થ એ નથી. અહિંસા એટલે પ્રેમનો સમુદ્ર; અહિંસા એટલે વેરભાવનો સર્વથા ત્યાગ. અહિંસામાં દીનતા, ભીરુતા ન હોય, ડરી ડરીને ભાગવાનું ન હોય. અહિંસામાં તો દૃઢતા, વીરતા, નિશ્વલપણુદ્ધ હોવું જોઈએ.

મહાપુરુષોને કેમ મપાય?

ટૉલ્સ્ટૉયે પોતે જ કહેલું કે જે પોતાને આદર્શ પહોંચ્યો માને તે ખલાસ થયો સમજવો, ત્યારથી એની અધોગતિ શરૂ થઈ. જેમ જેમ આદર્શની નજીક જઈએ તેમ તેમ આદર્શ દૂર ભાગતો જાય છે. જેમ તેની શોધમાં આગળ વધતા જઈએ તેમ જણાય છે કે હજી એક ટૂક ચડવી બાકી છે. કોઈ ઝપાટાબંધ ટૂકો ન જ ચડી શકે. એમ માનવામાં હીણપત નથી, નિરાશા નથી, પણ નમ્રતા અવશ્ય છે. તેથી આપણા ઋષિઓએ કહ્યું કે મોક્ષ એ શૂન્યતા છે. મોક્ષ મેળવનારે શૂન્યતા મેળવવાની છે. એ ઈશ્વરપ્રસાદ વિના ન આવે. એ શૂન્યતા જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આદર્શરૂપે જ રહે છે. એ વસ્તુને ટૉલ્સ્ટૉયે ચોખ્ખી જોઈ, તેને બુદ્ધિમાં અંકિત કરી, તેની તરફ બે પગલાં ભર્યા, તે જ વખતે એમને લીલી સોટી જડી. એ સોટીનુ એ વર્ણન ન કરી શકે, મળી શકે એટલું જ કહી શકે. છતાં મળી એમ કહ્યું હોત તો ટૉલ્સ્ટૉયનુ જીવન સમાપ્ત થાત.

ટૉલ્સ્ટૉયના જીવનમાં જે વિરોધાભાસ દેખાય છે તે ટૉલ્સ્ટૉયની નામોશી કે ઊણપ નથી, પણ જોનારાની છે. એમર્સને કહ્યું છે કે અવિરોધ એ નાનકડા માણસોનું ભૂત છે. આપણા જીવનમાં કદી વિરોધ નથી આવવાનો એમ બતાવવા જઈએ તો આપણે મૂઆ પડ્યા છીએ. તેમ કરવા જતાં ગઈકાલનું કાર્ય યાદ રાખીને તેની સાથે આજનો મેળ કરવો પડે, અને એવો કૃત્રિમ મેળ સાધતાં અસત્ય આચરવું પડે. સીધો રસ્તો જ એ છે કે જે ઘડીએ જે સત્ય લાગે તે આચરવું. આપણી જો ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હોય તો આપણાં બધાં કાર્યોમાં બીજાને વિરોધ ભાસે તેથી શું? ખરું જોતાં એ વિરોધ નથી પણ ઉન્નતિ છે. તેમ ટૉલ્સ્ટૉયના જીવનમાં જે વિરોધ જણાય છે તે વિરોધ નથી, પણ આપણા મનમાં લાગતો વિરોધનો ભાસ છે. મનુષ્ય પોતાના હૃદયમાં કેટલા પ્રયત્નો કરતો હશે, રામ રાવણના યુદ્ધમાં કેટલી જીતો મેળવતો હશે એનું ભાન એને પોતાને નથી હોતું. જોનારાને તો ન જ હોઈ શકે. તે જરાક લપસ્યો તો તે કંઈ જ નથી એમ જગતને લાગે છે; અને લાગે છે તે સારું જ છે. તેને સારુ જગત નિંદાને યોગ્ય નથી. તેથી સંતોએ કહ્યું છે કે જગત જ્યારે આપણને નિંદે ત્યારે આપણે આનંદ માનવો, અને સ્તુતિ કરે ત્યારે થથરવું. જગત બીજું ન કરી શકે; તેણે તો મેલ જુએ ત્યાં તે નિંદવો જ રહ્યો. પણ મહાપુરુષનું જીવન જોવા બેસીએ ત્યારે મેં કહેલી વાત યાદ રાખવી. પોતે હૃદયમાં કેટલાં યુદ્ધો કર્યા હશે અને કેટલી જીતો મેળવી હશે એનો પ્રભુ સાક્ષી છે; એ જ નિષ્ફળતાઓ એ સફળતાનાં નિશાન છે.

‘બ્રેડ લેબર’ અથવા યજ્ઞધર્મ

બીજી એક અદ્ભુત વસ્તુનું ભાન ટૉલ્સ્ટૉયે લખીને અને પોતાના જીવનમાં ઉતારીને કરાવ્યું. અને તે ‘બ્રેડ લેબર’. એ એમની પોતાની શોધ ન હતી. એક લેખકે એ વસ્તુ રશિયાના સર્વસંગ્રહમાં લખેલી. એ લેખકને ટૉલ્સ્ટૉયે જગત આગળ ઓળખાવ્યો, અને એમની વાત પણ મૂકી. જગતમાં જે અસરખાપણું જણાય છે, દોલત અને કંગાલિયત દેખાય છે, તેનું કારણ એ છે કે આપણે જીવનનો કાયદો ભૂલી ગયા છીએ. એ કાયદો તે ‘બ્રેડ લેબર’. ગીતાના ત્રીજા અધ્યાયને આધારે હું એને યજ્ઞ કહું છું. ગીતાએ કહ્યું છે કે યજ્ઞ કર્યા વિના ખાય તે ચોર છે, પાપી છે. તે જ વસ્તુ ટૉલ્સ્ટૉયે કહી બતાવી છે. ‘બ્રેડ લેબર’નો આડોઅવળો ભાવાર્થ કરી આપણે તેને ન ઉડાવી દઈએ. એનો સીધો અર્થ એ છે કે શરીર વાંકું વાળીને જે મજૂરી ન કરે તેને ખાવાનો અધિકાર નથી. આપણે દરેક જણ ખાવાપૂરતી મહેનત કરી નાખીએ તો જે ગરીબાઈ જગતમાં દેખાય છે તે ન જોઈએ. એક આળસુ બેને ભૂખે મારે છે, કારણ તેથી તેનું કામ બીજાને કરવું પડે છે. ટૉલ્સ્ટૉયે કહ્યું કે લોકો પરોપકાર કરવા મથી રહ્યા છે, તેને નિમિત્તે પૈસા ખરચે છે ને ઇલકાબ મેળવે છે પણ તેમ કરવાને બદલે જરાક જેટલું કામ કરે — એટલે કે બીજાના ખભા પરથી ઊતરી જાય તો બસ છે. અને એ ખરી વાત છે. એ નમ્રતાનું વચન છે. પરોપકાર કરીએ પણ અમારા એશઆરામાંથી લવલેશ ન છોડીએ એમ કહેવું એ તો અખા ભગતે કહ્યું એના જેવું થયું : “એરણની ચોરી, સોયનું દાન.” એમ કંઈ વૈમાન આવી શકે?

ટૉલ્સ્ટૉયે કહ્યું તે બીજાઓએ નથી કહ્યું એમ નહીં. પણ એમની ભાષામાં ચમત્કાર હતો; કેમ કે જે કહ્યું તેનો એમણે અમલ કર્યો. ગાદીતકિયે બેસનાર તે મજૂરી કરવા લાગ્યા. આઠ કલાક ખેતીનું કે બીજી મજૂરીનું તેમણે કામ કર્યું. એટલે એમણે સાહિત્યનું કામ ન કર્યું એમ નહીં.

જ્યારે તે શરીરમહેનત કરતા થયા ત્યાર પછી તો એમનું સાહિત્ય વધારે શોભ્યું. એમણે જેને પોતાનું મોટામાં મોટું પુસ્તક કહેલું છે તે कळा एटले शुं? (वोट इझ आर्ट?) એ તેમણે આ યજ્ઞકાળમાં મજૂરી ઉપરાંતના વખતમાં લખેલું. મજૂરીથી તેમનું શરીર ન ઘસાયું. તેમની બુદ્ધિ વધારે તેજસ્વી થઈ એમ તેમણે પોતે માનેલું. અને એમના ગ્રંથોના અભ્યાસીઓ કહી શકશે કે એ સાચી વાત છે.

રત્નત્રયી

આપણે નિશ્વય કરીએ કે સત્યની આરાધના છોડવાના નથી. સત્ય માટે દુનિયામાં સાચી અહિંસા એ જ ધર્મ છે. અહિંસા તે પ્રેમનો સાગર છે. તેનું માપ જગતમાં કોઈ કાઢી જ શક્યું નથી. એ પ્રેમસાગરથી આપણે ઊભરાઈ જઈએ તો આપણામાં એવી ઉદારતા આવે કે તેમાં આખા જગતને આપણે સંકેલી શકીએ છીએ. એ કઠિન વસ્તુ છે ખરી, છતાં સાધ્ય છે. તેથી આપણે શરૂઆતની પ્રાર્થનામાં સાંભળ્યું કે શંકર હો કે વિષ્ણુ, બ્રહ્મા હો કે ઇન્દ્ર, બુદ્ધ હો કે સિદ્ધ, મારુ માથું તેને જ નમે જે રાગદ્વેષરહિત છે, જેણે કામો જીતેલા છે, જે અહિંસાની — પ્રેમની મૂર્તિ છે. એ અહિંસા લૂલાંલંગડાં પ્રાણીને ન મારવામાં જ નથી આવી જતી. એમાં ધર્મ હોય ખરો, પણ પ્રેમ તો એથી અનંત ગણો આગળ જાય છે. એની ઝાંખી જેને નથી તે લૂલોલંગડાં પ્રાણીઓને બચાવે તો ય શું? ઈશ્વરના દરબારમાં એની કિંમત ઓછી જ અંકાશે. ત્રીજી વસ્તુ તે ‘બ્રેડ લેબર’ — યજ્ઞ. શરીરને કષ્ટ આપીને, મહેનત કરીને જ ખાવાનો આપણને અધિકાર છે. પારમાર્થિક દૃષ્ટિએ કરેલું કામ તે યજ્ઞ. મજૂરી કરીને પણ સેવાને અર્થ જીવવાનું છે, લંપટ થવાને કે દુનિયાના ભોગો ભોગવવા માટે જીવવાનું નથી. કોઈ કસરતી જુવાન આઠ કલાક કસરત કરે તો એ ‘બ્રેડ લેબર’ નથી. તમે કસરત કરો, શરીરને મજબૂત બનાવો, એને હું અવગણી નાખતો નથી. પણ જે યજ્ઞ ટૉલ્સ્ટૉયે કહ્યો છે, ગીતાના ત્રીજા અધ્યાયમાં બતાવ્યો છે તે એ નથી. જીવન એ યજ્ઞને ખાતર છે, સેવાને ખાતર છે એમ જે માનશે તે ભોગોને સંકેલતો જશે. એ આદર્શ સાધવાના પ્રયત્નમાં જ પુરુષાર્થ છે. એ વસ્તુ ભલે સંપૂર્ણતાએ કોઈએ મેળવી નથી. એ દૂર જ ભલે રહે. ફરહાદે શિરીનને સારુ પથ્થરો ફોડ્યા તેમ આપણે પણ ફોડીએ. આપણી એ શિરીન તે અહિંસા. એમાં આપણું નાનકડું સ્વરાજ તો સમાયેલું જ છે. પણ એમાં તો બધું  છે.

[નવજીવન, તા. ૧૬-૯-૧૯૨૮માંથી સંપાદિત]

o

સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 284-288

Loading

જાંબુનું ઝાડ

કૃષ્ણ ચંદ્ર|Opinion - Short Stories|30 November 2019

ઉર્દૂ સાહિત્યના પ્રખ્યાત લેખક કૃષ્ણ ચંદ્ર ટૂંકી વાર્તાઓ ઉપરાંત વ્યંગકથાઓ માટે પણ પ્રતિષ્ઠિત હતા. તેમની આ કથા આઝાદી પછી સરકારી કચેરીઓમાં જોવા મળતા — અને એ વખતે હજુ લોકોને સંપૂર્ણપણે કોઠે ન પડી ગયેલા – રંગઢંગનું લાલ ફીતાશાહીનું ચોટદાર આલેખન કરે છે. આ દિવસોમાં, સાઠીનાં વરસોની આ વાર્તા યાદ કરવાનું નિમિત્ત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સે પૂરું પાડ્યું છે. દસમા ધોરણના વિદ્યાર્થીઓના પાઠ્યક્રમમાંથી એમણે એ સહસા પડતી મૂકી છે અને તે માટે કોઈ વિધિસર કારણ આપ્યું નથી. બને કે વાર્તા વાંચ્યાથી કારણ સમજાઈ રહે …

°°°°°

રાત્રે જોરદાર વાવાઝોડું આવ્યું. તેમાં સચિવાલયની લૉનમાં ઊભેલું જાંબુનું ઝાડ જમીનદોસ્ત થઈ ગયું. સવારે માળીએ જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઝાડની નીચે એક માણસ પણ દબાયેલો હતો.

માળી દોડતો ચપરાસી પાસે ગયો, પ્યુન દોડતો ક્લાર્ક પાસે ગયો, ક્લાર્ક દોડતો સુપ્રિન્ટેન્ડન્ટ પાસે ગયો. સુપ્રિન્ટેન્ડન્ટ દોડતા બહાર આવ્યા. જોતજોતામાં ઝાડ તળે દબાયેલા માણસની આજુબાજુ ટોળું જમા થઈ ગયું.

એક ક્લાર્કે કહ્યું, ‘બિચારું જાંબુનું ઝાડ … કેટલું ઘટાદાર ને ફળાઉ હતું.’

‘અને તેનાં જાંબુ પણ કેટલાં મીઠાં હતાં,’ બીજા ક્લાર્કે સંભાર્યું.

‘જાંબુની સીઝનમાં હું થેલી ભરીને આ ઝાડનાં જાંબુ ઘરે લઈ જતો હતો. મારાં બાળકોને એનાં જાંબુ બહુ ભાવતાં.’ ત્રીજા ક્લાર્કે રડમસ અવાજમાં કહ્યું.

‘પણ પેલો માણસ?’ માળીએ દબાયેલા માણસ તરફ ઇશારો કરીને કહ્યું.

‘અરે હા … માણસ …’ સુપ્રિન્ટેન્ડન્ટ વિચારમાં પડી ગયા.

એક ચપરાસીએ પૂછ્યું, ‘એ જીવે છે કે મરી ગયો? ખબર નથી પડતી.’

‘આટલું વજનદાર ઝાડ પડ્યા પછી કોઈ બચતું હશે? મરી જ ગયો હશે.’ બીજા ચપરાસીએ કહ્યું.

અચાનક ઝાડની દિશામાંથી અવાજ આવ્યો, ‘ના, ના, હું જીવું છું.’

જોયું તો ઝાડ નીચે દબાયેલો માણસ કણસતાં-કણસતાં માંડ બોલી શકતો હતો.

એ સાંભળીને ચપરાસીએ આશ્ચર્યથી કહ્યું, ‘આ તો જીવે છે.’

માળીએ કહ્યું, ‘ઝાડ હટાવીને આપણે જલદી એને બહાર કાઢીએ.’

આળસુના પીર જેવા એક ચપરાસીએ કહ્યું, ‘અઘરું લાગે છે. ઝાડનું થડ બહુ ભારે ને વજનદાર છે.’

‘કશું અઘરું નથી.’ માળીએ કહ્યું, ‘સુપ્રિન્ટેન્ડન્ટસાહેબ હુકમ કરે તો હમણાં પંદર-વીસ માળી-ચપરાસી-કારકુન ભેગા થઈને માણસને બહાર કાઢી દઈએ.’

‘ખરી વાત છે.’ કારકુનો એકસાથે બોલી ઊઠ્યા. ‘ચાલો, જોર લગાવો. અમે તૈયાર છીએ.’

બધા ઝાડ ખસેડવા તૈયાર થઈ ગયા. પણ સુપ્રિન્ટેન્ડન્ટે તેમને રોક્યા. કહે, ‘ઘડીક ખમો. હું અન્ડર-સેક્રેટરીને પૂછી લઉં.’

સુપ્રિન્ટેન્ડન્ટ અન્ડર-સેક્રેટરી પાસે ગયા. અંડર-સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરીને મળ્યા. ડેપ્યુટી સેક્રેટરી જૉઇન્ટ સેક્રેટરી પાસે પહોંચ્યા. જૉઇન્ટ સેક્રેટરી ઊપડ્યા ચીફ સેક્રેટરી પાસે અને ચીફ સેક્રેટરી પહોંચ્યા મંત્રીમહોદયની કૅબિનમાં. મંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને કંઈક કહ્યું. ચીફ સેક્રેટરીએ જૉઇન્ટ સેક્રેટરીને કંઈક કહ્યું. જૉઇન્ટ સેક્રેટરીએ ડૅપ્યુટી સેક્રેટરીને કંઈક કહ્યું. ડેપ્યુટી સેક્રેટરીએ અંડર સેક્રેટરીને કહ્યું. એમ ફાઇલ ચાલતી રહી અને આખો દિવસ નીકળી ગયો.

બપોરે જમવાના ટાઇમે દટાયેલા માણસની આસપાસ ઠઠ જામી હતી. લોકો જાતજાતની વાતો કરતા હતા. કેટલાક આઝાદમિજાજ કારકુનો પોતાની મેળે સમસ્યા ઉકેલવા ઇચ્છતા હતા. તે સરકારશ્રીની પરવાનગી વિના જ ઝાડ ખસેડી નાખવું, એવી તૈયારી કરી રહ્યા હતા. એવામાં સુપ્રિન્ટેન્ડન્ટ ફાઇલ સાથે દોડતા આવ્યા. કહે, ‘આપણે જાતે ઝાડ હટાવી નહીં શકીએ. આપણે કૉમર્સ ડિપાર્ટમેન્ટના છીએ અને આ ઝાડનો મામલો છે. એ ઍગ્રિકલ્ચરમાં લાગશે. હું આ ફાઇલ પર “અરજન્ટ”નો શેરો લગાડીને તેને કૃષિ વિભાગમાં મોકલી આપં છું. ત્યાંથી જવાબ આવે કે તરત ઝાડ હટાવી દઈશું.’

બીજા દિવસે કૃષિવિભાગમાંથી જવાબ આવ્યો કે ઝાડ કૉમર્સ ડિપાર્ટમૅન્ટના બગીચામાં પડ્યું છે. એટલે તેને હટાવવું કે નહીં, તેનો નિર્ણય લેવાની જવાબદારી કૉમર્સ વિભાગની છે.

આ જવાબ વાંચીને કૉમર્સ વિભાગના સાહેબને ચડ્યો ગુસ્સો. તેમણે તત્કાળ લખ્યું કે ઝાડ ગમે ત્યાં હોય, પણ તેની જવાબદારી કૃષિવિભાગની જ કહેવાય. કૉમર્સ વિભાગને તેની સાથે કશો સંબંધ નથી.

બીજા દિવસે ફાઇલ ચાલતી રહી. સાંજે કૃષિવિભાગમાંથી જવાબ આવ્યો – અમે આ મામલો હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટને સોંપી રહ્યા છીએ. કારણ કે અમારાથી ફક્ત અનાજ અને ખેતીવાડીની જવાબદારી લેવાય, જ્યારે અહીં તો વાત ફળાઉ ઝાડની છે. જાંબુનું ઝાડ ફળાઉ હોવાથી તેમાં હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ લાગશે.

રાત્રે માળીએ તેના ઘરેથી દાળ-ભાત લાવીને ઝાડ નીચે દબાયેલા માણસને ખવડાવ્યાં. ત્યાં સુધીમાં એ માણસની ચારે તરફ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો, જેથી લોકો કાયદો-વ્યવસ્થા હાથમાં ન લઈ લે અને પોતાની મેળે ઝાડ હટાવી ન દે. પણ એક પોલીસ કૉન્સ્ટેબલને દયા આવી. એટલે તેણે દબાયેલા માણસને જમાડવાની માળીને છૂટ આપી.

માળીએ દબાયેલા માણસને ધીમા સાદે કહ્યું, ‘તમારી ફાઇલ ચાલુ છે. મોટે ભાગે કાલે નિર્ણય લેવાઈ જશે. ’

દટાયેલો માણસ કશું બોલ્યો નહીં.

માળીએ તેની પર પડેલા ઝાડના થડ ભણી જોઈને કહ્યું, ‘સારું છે, થડિયું તારા પગ પર પડ્યું છે. બાકી કમર પર પડ્યું હોય, તો કરોડરજ્જુ ભાંગી ગઈ હોત.’

દટાયેલો માણસ ચૂપ જ રહ્યો.

માળીએ ફરી કહ્યું, ‘તમારા પરિવારમાં કોઈ છે? મને અતોપતો આપો, તો હું તેમને સમાચાર આપવાની કોશિશ કરું.’

દટાયેલા માણસે માંડ-માંડ કહ્યું, ‘હું અનાથ છું. મારે આગળપાછળ કોઈ નથી.’

અફસોસ પ્રગટ કરીને માળીએ વિદાય લીધી.

ત્રીજા દિવસે હૉર્ટિકલ્ચર વિભાગમાંથી જવાબ આવી ગયો. જવાબ બહુ કડક હતો, અને કટાક્ષથી ભરપૂર.

હૉર્ટિકલ્ચર વિભાગના સચિવ સાહિત્યપ્રેમી જણાતા હતા. તેમણે લખ્યું હતું, ‘નવાઈની વાત છે. અત્યારે આપણે સૌ જ્યારે વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છીએ, ત્યારે આપણા દેશમાં એવા પણ સરકારી અફસર મોજુદ છે, જે વૃક્ષ કાપવાનું સૂચન કરે છે, એ પણ એક ફળાઉ ઝાડ, અને એ પણ જાંબુનું, જેનાં જાંબુ લોકો હોંશે-હોંશે ખાતા રહ્યા છે. આવી સ્થિતિમાં અમારો વિભાગ જાંબુનું ઝાડ કાપવાની પરવાનગી આપી શકે નહીં.’

એક જણે કહ્યું, ‘હવે શું કરીશું? ઝાડ ન કપાય તો પછી, એક કામ કરીએ. આ માણસને કાપીને બહાર કાઢી લઈએ.’

બીજાએ કહ્યું, ‘બરાબર છે. આ માણસને બરાબર વચ્ચેથી-ધડમાંથી કાપીએ, તો તેનો અડધો ભાગ આગળથી બહાર નીકળી જશે ને બાકીનો અડધો પાછળથી. અને ઝાડને કશું નુકસાન નહીં થાય.’

‘પણ એમાં હું માર્યો જઈશ.’ દટાયેલા માણસે કહ્યું.

‘એની વાત પણ ખરી છે.’ એક કારકુને કહ્યું, પણ માણસને કાપીને બહાર કાઢવાનો આઇડિયા આપનાર એમ હાર માન્યા નહીં. કહે, ‘આજકાલ પ્લાસ્ટિક સર્જરી કેટલી આગળ વધી ગઈ છે, એની તમને ખબર નથી લાગતી. મને ખાતરી છે કે આ માણસને વચ્ચેથી કાપ્યા પછી ફરી પ્લાસ્ટિક સર્જરીની મદદથી જોડી શકાશે.’

આ ચર્ચાના અનુસંધાનમાં ફાઇલ મેડિકલ વિભાગમાં મોકલવામાં આવી. ત્યાં ત્વરિત પગલું લઈને ફાઇલને બીજા જ દિવસે યોગ્ય પ્લાસ્ટિક – સર્જનને તપાસ માટે મોકલી આપવામાં આવી. સર્જને દટાયેલા માણસની તબીબી તપાસ કરી, તેનું બ્લડપ્રેશર માપ્યું, નાડીની ગતિ તપાસી અને રિપોર્ટ લખ્યો કે આ માણસની પ્લાસ્ટિક સર્જરી તો થઈ શકે અને તે સફળ પણ થાય, પરંતુ માણસ મરી જશે.

એટલે આ નિર્ણય માંડવાળ કરવામાં આવ્યો.

રાત્રે દટાયેલા માણસને ખીચડીના કોળિયા ભરાવતી વખતે માળીએ તેને કહ્યું કે હવે મામલો ઉપર ગયો છે. સાંભળ્યું છે કે કાલે સચિવાલયમાં બધા સચિવોની મિટિંગ થવાની છે. તેમાં તમારો કેસ મુકાશે અને આશા છે કે બધું ઠીકઠાક થઈ જશે.

દટાયેલા માણસે નિઃસાસો નાખીને કહ્યું,

‘યે તો માના કિ તગાફુલ ન કરોગે લેકિન
ખાક હો જાએંગે હમ તુમકો ખબર હોને તક’.

દટાયેલા માણસના મોઢેથી શેર સાંભળીને આશ્ચર્યચકિત થયેલા માળીએ પૂછ્યું, ‘તમે કવિ છો?’

માણસે હળવેકથી હકારમાં ડોકું હલાવ્યું.

બીજા દિવસે માળીએ ચપરાસીને કહ્યું, ચપરાસીએ ક્લાર્કને અને ક્લાર્કે હેડક્લાર્કને. થોડી વારમાં આખા સચિવાલયમાં અફવા ફેલાઈ ગઈ કે દટાયેલો માણસ કવિ છે. પછી તો પૂછવું જ શું. લોકોનાં ઝુંડનાં ઝુંડ કવિને જોવા ઊમટી પડ્યાં. તેની ચર્ચા શહેરમાં પણ ફેલાઈ અને સાંજ સુધીમાં શહેરની શેરીશેરીમાંથી કવિઓ આવવા લાગ્યા. સચિવાલયની લૉન કવિઓથી છલકાઈ ગઈ અને દટાયેલા માણસની આસપાસ કવિસંમેલન જેવું વાતાવરણ બની ગયું.

દટાયેલો જણ કવિ છે, એની જાણ થતાં સચિવાલયની એક સબ-કમિટીએ નિર્ણય લીધો કે આ માણસની ફાઇલ સાથે નથી કૃષિવિભાગને સંબંધ કે નથી હૉર્ટિકલ્ચર વિભાગને. આ તો સાંસ્કૃતિક વિભાગનો મામલો છે. તેને અનુરોધ કરવામાં આવ્યો કે તે ઝડપથી નિર્ણય લે, જેથી કવિનો છુટકારો થાય.

ફાઇલ સાંસ્કૃતિક વિભાગના ટેબલે ટેબલે ફરતી સાહિત્ય અકાદમીના સચિવ પાસે પહોંચી. સચિવ એ જ વખતે કારમાં ઊપડ્યો અને પહોંચ્યો દટાયેલા કવિ પાસે. તેણે કવિ સાથે વાતચીત શરૂ કરી.

‘તમે કવિ છો?’ સચિવે પૂછ્યું.

‘હા.’

‘કયા ઉપનામથી અલંકૃત છો?’

‘ઝાકળ.’

‘ઝાકળ?’ સચિવ ચિત્કારી ઊઠ્યા, ‘તમે એ જ ઝાકળ છો, જેમનો ગદ્યસંગ્રહ “ઝાકળનાં ફૂલ”હમણાં જ પ્રગટ થયો છે?’

દટાયેલા માણસે હકારમાં ડોકું ધુણાવ્યું.

‘તમે અમારી અકાદમીના સભ્ય છો?’ સચિવે પૂછ્યું.

‘ના.’

‘નવાઈની વાત છે.’ સચિવે ઓર જોરથી ચિત્કારીને કહ્યું, ‘આટલો મોટો કવિ, “ઝાકળનાં ફૂલ”નો લેખક અને અમારી અકાદમીનો સભ્ય જ નહીં? અરર, અમારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ? આટલો મોટો કવિ ને આવો ગુમનામીમાં દટાયેલો પડ્યો છે?’

‘ગુમનામીમાં નહીં, અત્યારે તો ઝાડની નીચે દટાયેલો પડ્યો છું. મહેરબાની કરીને મને અહીંથી બહાર કાઢો.’

‘હમણાં જ વ્યવસ્થા કરું છું.’ સચિવ બોલ્યા અને તરત તેમના વિભાગમાં રિપોર્ટ કર્યો.

બીજા જ દિવસે સચિવ દોડીને કવિ પાસે આવ્યા અને કહે, ‘અભિનંદન … લો, મોં મીઠું કરો, અમારી સરકારી સાહિત્ય અકાદમીએ તમને કેન્દ્રીય શાખાના સભ્ય તરીકે ચૂંટી કાઢ્યા છે. લો, આ તમારો નિમણૂકપત્ર.’

‘પણ મને ઝાડની નીચેથી તો કાઢો.’ કવિએ દર્દની ચીસ સાથે કહ્યું. હવે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. તેમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી અને લાગતું હતું કે તેમને અસહ્ય પીડા થઈ રહી છે.

અકાદમીના સચિવે કહ્યું, ‘બહાર કાઢવાનું તો અમારા હાથમાં નથી. પણ અમારાજોગું હતું એ અમે કરી દીધું. બલકે, અમે તો તમારા મૃત્યુ પછી તમારી પત્નીને પેન્શન પણ અપાવી શકીએ છીએ. તમે એક અરજી આપી દો, એટલી વાર.’

‘પણ હું હજી જીવું છું.’ કવિએ ત્રુટક ત્રુટક શબ્દોમાં કહ્યું, ‘મને જીવતો રાખો.’

‘એમાં લોચો છે.’ અકાદમીના સચિવે કહ્યું, ‘અમારો વિભાગ ફક્ત સાંસ્કૃતિક બાબતો સાથે સંબંધિત છે અને ઝાડ કાપવામાં કલમ-શાહીને બદલે કરવત-કુહાડી જોઈએ. તેના માટે અમે જંગલખાતાને લખ્યું છે ને ઉપર ’અરજન્ટ’એવી ખાસ નોંધ પણ કરી છે.’

સાંજે માળીએ આવીને કવિને કહ્યું, ‘કાલે જંગલખાતાવાળા આવશે, ઝાડ કાપશે અને તમને બચાવી લેશે.’

બીજા દિવસે જંગલખાતાનો માણસ કરવત-કુહાડી લઈને આવ્યો, ત્યારે તેને ઝાડ કાપતાં અટકાવવામાં આવ્યો. ખબર પડી કે વિદેશવિભાગનો ખાસ હુકમ હતો કે આ ઝાડ ન કાપવું. કારણ કે તે દસ વર્ષ પહેલાં ટિમ્બકટુના પ્રધાનમંત્રીએ વાવેલું હતું. હવે તેને કાપી નાખવામાં આવે, તો બે દેશો વચ્ચેના સંબંધમાં તિરાડ પડે એવી સંભાવના હતી.

‘પણ એક માણસની જિંદગીનો સવાલ છે.’ એક કારકુન બરાડ્યો.

‘પણ આ બાજુ બે દેશો વચ્ચેના સંબંધનો – આંતરરાષ્ટ્રીય સ્તરનો સવાલ છે તેનું શું? અને એ તો સમજો કે એ દેશ આપણને કેટલી મદદ કરે છે. શું તેની સાથેની દોસ્તી માટે આપણે એક માણસનો જાન કુરબાન કરી ન શકીએ?’

‘કવિએ મરવું પડશે.’

‘બેશક. એમાં કોઈ શંકા નથી.’

અન્ડર-સેક્રેટરીએ સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું, ‘આજે સવારે વડાપ્રધાન વિદેશપ્રવાસેથી પાછા આવી ગયા છે. આજે ચાર વાગ્યે વિદેશ વિભાગ તેમની સમક્ષ આ ઝાડની ફાઇલ મૂકશે. એ જે નિર્ણય કરશે, તે સૌએ સ્વીકારવો પડશે.’

સાંજે પાંચ વાગ્યે સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ફાઇલ લઈને આવી પહોંચ્યો, ‘સાંભળો છો, કવિરાજ?’ ઉત્સાહથી છલકાતા અવાજે તેમણે કહ્યું, ‘વડાપ્રધાને ઝાડ કાપી નાખવાનો હુકમ આપી દીધો છે અને તેનાં જે કંઈ આંતરરાષ્ટ્રીય પરિણામ આવે, તે પોતે ભોગવવાની તૈયારી બતાવી છે. હવે કાલે ઑફિસ ખૂલશે એટલે આ ઝાડ કપાઈ જશે ને તમારો ઉદ્ધાર થઈ જશે. આખરે તમારી ફાઇલનો નિકાલ આવી ગયો.’

પણ કવિ કશું બોલ્યા નહીં. તેમનો હાથ ઠંડો હતો. કીકીઓ સ્થિર થઈ ગઈ હતી અને કીડીઓની એક લાંબી હાર તેમના શરીર પરથી ચાલી નીકળી હતી.

ઝાડની ફાઇલથી પહેલાં જિંદગીની ફાઇલનો નિકાલ થઈ ગયો હતો.

[ગુજરાતી રજૂઆત : ઉર્વીશ કોઠારી, સૌજન્ય : ‘કાર્ટૂન સેલ્ફી’]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 08-09 તેમ જ 12

Loading

...102030...2,6462,6472,6482,649...2,6602,6702,680...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved