Opinion Magazine
Number of visits: 9576712
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવનમૂલ્ય શ્રેણી – ૩ = પ્રાર્થના

સુમન શાહ|Opinion - Opinion|18 October 2019

વિચરતા વિચારો 

હા, એક સર્જક તરીકે આ માયાવી જગત મને બહુ જ ગમે છે. મને મારે વિશે હમણાં જ સૂઝ્યું કે હું પ્રેમભિક્ષુ છું, ભીખારી નથી. પ્રેમ માટે અંજલિ જરૂર ધરું પણ ભીખ માગવા નહીં.

મને શ્રદ્ધા છે કે એક દિવસ એ પૌત્રી અને એક દિવસ એ દીકરી કોઈને ને કોઈને જરૂર પ્રાર્થતી હશે. પ્રારમ્ભે પ્રાર્થના એક આછીપાછી વસ્તુ હોય છે, ક્રમે ક્રમે સંસ્કાર રૂપે વિલસે છે.

: પ્રાર્થના :

પ્રાર્થના એક જીવનમૂલ્ય છે.

મોટા ભાગની માનવજાત માને છે કે પ્રાર્થના કરવી જરૂરી છે. માણસ પોતાના ઇષ્ટદેવને વહેલી સવારે કે રાતે સૂતી વખતે યાદ કરે છે. મન્દિરે કે મસ્જિદે જાય છે, ચર્ચમાં જાય છે. ભારતીય પરમ્પરામાં, ઘંટ વગાડીને પ્રભુને જણાવાય છે કે – હું આવી ગયો છું; બે હાથ જોડીને પ્રણામ કરાય છે. એક જમાનામાં સાષ્ટાન્ગ દણ્ડવત પ્રણામ કરાતા હતા પણ હવે ઓછા થઇ ગયા છે. કેમ કે લોકને કપડાં બગડી જવાની બીક હોય છે. અને ન બગડે એટલી સ્વચ્છતા મન્દિરોમાં પણ હવે લગભગ નથી હોતી. આરસપહાણની ફ્લોર ને એવાં છત-શિખરમઢ્યાં વિશાળ ભવ્ય મન્દિરોની વાત જુદી છે, ત્યાં તો પ્રસાદમાં પિઝ્ઝા પણ મળે છે, આઈ મીન, ખરીદી શકાય છે…

જે લોકો પ્રાર્થના નથી કરતા તેઓ પોતાને આધુનિક સમજે છે – મૉડર્ન. તેમ છતાં, રીપીટ તેમછતાં, ૨૪ કલાક દરમ્યાન એકાદ વખત તો તેઓ – ઓ માય ગૉડ; ઓહ્ જિસસ; યા અલ્લાહ; ઓ ખુદા; યા પરવરદિગાર; હે ભગવાન, તું કરે તે ખરું; ઓ ભગવાન; હે રામ; હે કૃષ્ણ; ઓ મારા રામ, આ શું થઈ ગયું; બજરંગ બલી, કર સબ કી ભલી; વગેરે બોલે જ છે.

'ગૉડ ઇઝ ડેડ' કહેનારા નિત્શેએ પણ એ પહેલાં 'ગૉડ વૉઝ ઍલાઇવ' એમ મનોમન તો સ્વીકાર્યું જ હશે. પણ નિત્શેએ પૂરું જે કહ્યું છે તેને ધ્યાનમાં લીધા વિના જ અબુધો નિત્શેને વગોવે છે. નિત્શેએ એમના 'ગે સાયન્સ' પુસ્તકમાં પૂરું જે કહ્યું છે તે આ છે : ઈશ્વરનું મૃત્યુ થયું છે. ઈશ્વર મૃત રહેવાનો છે. એને આપણે મારી નાખ્યો છે, આપણે હત્યારા છીએ. આપણને કેમની સાતા વળવાની – આપણને – હત્યારાઓને – હત્યારાના હત્યારાઓને …? : આ વિધાનનો એક ધ્વનિ સ્પષ્ટ છે કે આપણે ઈશ્વરને વીસરી ગયા છીએ, પ્રાર્થના ભૂલી ગયા છીએ; ઉપરાન્ત ઈશ્વરને મંજૂર ન હોય એવાં અનેક કામોમાં મચી પડ્યા છીએ. એટલે તો પછી ઈશ્વર મરી ગયો કે બીજું કંઈ …?

મૉડર્નિટીનો અને 'મૉડર્ન એરા'-નો પ્રારમ્ભ 'રૅનેસાંસ' દરમ્યાન થયો છે. માનવજાતના પુનર્જાગરણનો સમય. માનવજાત ૧૭-મી સદીમાં 'એજ ઑફ રીઝન' અને 'સાયન્ટિફિક રીવૉલ્યુએશન'-માંથી તેમ જ ૧૮મી સદીમાં 'ઍન્લાઈટન્મૅન્ટ'-ના સમયોમાંથી ગુજરી છે. એ વારાફેરામાં, હૃદયને સ્થાને ચિત્તનો તેમ જ ભાવને બદલે તર્કનો મહિમા વધ્યો છે. આજે, ખાસ તો, પોતાને મૉડર્નિસ્ટમાં ખપાવતા લોકો પોતાની દલીલ જીતવા માટે થાય એટલી જકાજકી કે જીભાજોડી કરીને રહે છે. એમની વિજિગીષા અને એમની જિજીવિષા વચ્ચે કશો ફર્ક નથી બચ્યો હોતો. પણ તર્ક એમ કહે છે કે દરેક દલીલને તોડી શકાય છે બલકે દરેક બૌધ્ધિક જીતને બીજી જ ઘડીએ પછાડી શકાય છે. કેમ કે તર્કશક્તિ જન્મજાત વિજયી ચીજ છે.

આમ્સ્ટર્ડામમાં મારી છ વર્ષની પૌત્રીએ મને હનુમાનજીની મૂર્તિ પાસે હાથ જોડીને બેસેલો ઘણી વાર જોયેલો. એક દિવસ મારી જેમ એણે હથેળીઓ જોડી અને મારી આંખો જેવી બંધ હતી એવી જ એણે પણ કરી. મેં એને કહ્યું ધિસ ઇસ અ પ્રેઅર ટુ ગૉડ. એણે કહ્યું ઓકે, આઈ વિલ્લ, ને ચાલી ગઈ. હમણાં દેશમાં એક વયસ્ક પણ બેફિકર દીકરીને મેં કહેલું કે હું તને 'મનોજવમ્ મારુતતુલ્ય વેગમ્ … શીખવાડીશ. પછી એ વાત મારાથી ભુલાઈ ગયેલી. એણે પણ મને યાદ નહીં કરાવેલું. મને આ બન્ને ઘટનાઓનો આનન્દ છે એટલો અફસોસ નથી. કેમ કે મને શ્રદ્ધા છે કે એક દિવસ એ પૌત્રી અને એક દિવસ એ દીકરી કોઈને ને કોઈને જરૂર પ્રાર્થતી હશે. પ્રારમ્ભે પ્રાર્થના એક આછીપાછી વસ્તુ હોય છે, ક્રમે ક્રમે સંસ્કાર રૂપે વિલસે છે.

નાનપણમાં ગાતા – ઓ ઈશ્વર ભજીએ તને / મોટું છે તુજ નામ / ગુણ તારા નિત ગાઈએ / થાય અમારાં કામ / હેત લાવી હસાવ તું / સદા રાખ દિલ સાફ / ભૂલ કદી કરીએ અમે / તો પ્રભુ કરજે માફ. એક બીજી પ્રાર્થનામાં કહેતા – હે પ્રભુ આનન્દદાતા / જ્ઞાન હમ કો દીજિયે / લિજીયે હમ કો શરણ મેં / હમ સદાચારી બને. બન્ને પ્રાર્થનાઓ મતલબી હતી. કામ થઈ ગયાં, ભૂલો માફ થઈ ગઈ, સદાચારી પણ બની ગયા. આનન્દ પણ મળી ગયો. પણ પછી શું? જીવનમાં પ્રશ્નો તો આવે છે ને જાય છે; કાયમ માટે ચાલી નથી જતા. મતલબ, એક વારની પ્રાર્થના પૂરતી નથી થતી. પ્રાર્થના નિત્ય કરવાની વસ્તુ છે.

નિત્શેએ ઈશ્વરના મૃત્યુની સાંકેતિક વાત કરી એ પછી સાર્ત્ર કામૂ કે સિમૉં દ બુવા જેવાં અનેક મહાન ચિન્તકો આપણને નિરીશ્વરવાદી જોવા મળ્યાં છે. સામાન્ય બૌધ્ધિકો પણ પોતાને નિરીશ્વરવાદી ગણતા-ગણાવતા હોય છે. અસ્તિત્વવાદીઓએ મુખ્યત્વે, મુક્ત ઈચ્છા, ચિન્તા કે આતુરતા કે વ્યાકુળતા, નૈરાશ્ય તેમ જ ઍબ્સર્ડિટી અને તેની સામે જીવનના અર્થની શોધ અને અધિકૃત વ્યક્તિતા જેવા ગહન પ્રશ્નો વિશે ઘણું ગહન ચિન્તન પીરસ્યું છે. પરન્તુ વાત એમ છે કે આ બધા પ્રશ્નો બીજાં અનેકાનેક મનુષ્યો પણ અનુભવે છે. વળી મોટા ભાગની માનવજાત અસ્તિત્વવાદી નથી બલકે ઈશ્વરમાં માને છે. અથવા એમ કહો કે ઈશ્વરનું મૃત્યુ થયું છે એ વાત એમના ગળે નથી ઊતરતી. તો તેનું શું?

તેનો એક ઉત્તર છે, ડૅનિશ ફિલસૂફ કિર્કેગાર્ડ. કિર્કેગાર્ડ આદિ (પહેલા) અસ્તિત્વવાદી છે. પણ તેઓ ઈશ્વરવાદી હતા, આસ્તિક હતા. એમના પછી થઈ ગયેલા નિત્શે વગેરેએ ચર્ચ્યા એ બધા જ પ્રશ્નો એમણે પણ હાથ ધરેલા. પરન્તુ એમના ચિન્તનમાં એમણે શ્રદ્ધાને – ફેઈથને – કેન્દ્રવર્તી મૂલ્ય આપ્યું છે. 'ઈશ્વર નથી' એ જો ચાવીરૂપ સંજ્ઞા છે તો કિર્કેગાર્ડમાં 'ઈશ્વર છે' એ ચાવી રૂપ સંજ્ઞા છે. એમનો 'નાઈટ ઑફ ફેઈથ' શ્રદ્ધાપુરુષ છે. એમણે કરેલી 'પૅશનેટ પૅગન'-ની વાત આ પ્રાર્થનાવિષયક જીવનમૂલ્ય પરત્વે ખૂબ સ્મરણીય છે.

પૅગન એટલે બૂતપરસ્ત અને બહુ-ઈશ્વરવાદી ભગત. જો કે આજકાલ, જે વ્યક્તિ મન્દિર મસ્જિદ નથી જતી તેને પૅગન કહેવાય છે. કિર્કેગાર્ડ પૅશનેટ પૅગન એને કહે છે જે ભલે અમસ્તી મૂર્તિને -ફૉલ્સ આઈડોલને- ભજતો હોય, પણ, એક ટેવને કારણે ચર્ચમાં પ્હૉંચી જતા પેલા કર્મકાણ્ડી ખ્રિસ્તી કરતાં તો એ બંદો જીવન વધારે સારું જીવે છે. એમણે સાગ્રહ કહ્યું હતું કે ઈશ્વરને અભિમુખ રહો અને એ માટે 'લીપ ઑફ ફેઈથ' લો – એટલે કે ખરા-ખોટાની ભાંજગડ છોડો, સફળ થવાય, ન થવાય, ચિન્તા છોડો, ઝંપલાવો.

હું એ ભૂમિકાએ પ્રાર્થનાને સાભિપ્રાય – બરાબર, સમુચિત, યોગ્ય – ગણું છું. પ્રાર્થના ઈશ્વર પાસે કશું માગવા માટે કે કશી ફરિયાદ કરવા માટે નથી. એ તો જાત સાથે બે-ઘડી વાત કરવા માટે છે. એથી ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થવાનો પણ આત્મસાક્ષાત્કાર જરૂર થવાનો છે. પ્રાર્થનાથી માણસને પોતાના ઇષ્ટમાં શ્રદ્ધા બેસે છે એ સાચું છે પણ એથી આત્મશ્રદ્ધા ખાસ વિકસે છે. પ્રાર્થનાકારો એટલું જ કહે છે કે એથી ઊંઘ સારી આવે છે. એથી બીજો દિવસ સારો ઊગે છે. ને સારી ઊંઘ અને સારા દિવસથી વધારે આપણને કશુંક અદકેરું મળી જાય એવું અહીં કશું છે નહીં.

હા, એક સર્જક તરીકે આ માયાવી જગત મને બહુ જ ગમે છે. મને મારે વિશે હમણાં જ સૂઝ્યું કે હું પ્રેમભિક્ષુ છું, ભીખારી નથી. પ્રેમ માટે અંજલિ જરૂર ધરું પણ ભીખ માગવા નહીં. એટલે કોઈ મને દિલોદિમાગથી ચાહે એ જ ગમે ને હું પણ એને એમ ચાહું તો જ ગમે. એવા નગદ પ્રેમભાવની પાર્શ્વભૂ વિના મારાથી કશી કલા સરજાય નહીં. બીજા બધા સ્થાયી ભાવો પ્રેમની આસપાસ આપોઆપ ગોઠવાઈ જવાના. ને એટલે એમાં ઈશ્વરને કે ન-ઈશ્વરને જગ્યા નથી. હું એવા કોઈ ટ્રાન્સન્ડેન્ટલ ગૉડને ભજતો રહું તો મારી આગવી સૃષ્ટિ સરજી શકું નહીં. મને સર્જકજીવને ઈશ્વર જેવું પારગામી કશું પણ પરવડે નહીં. અને મારી કલાને મારા પોતાના મૂળાધાર સિવાયનું કશું ખપે નહીં. ઈશ્વર કે કોઈપણ ગ્રાન્ડ નૅરેટિવ શુદ્ધ સર્જન માટે અનિવાર્ય નથી; ઘણી વાર તો એ જ મોટી અડચણ હોય છે.

પણ, એ સમજો કે મારી ચોપાસનું જગત મને ભીડીને બેઠું હોય છે. પેલું ટ્રાન્સેન્ડેન્ટ છે, તો આ મન્ડેન છે. નર્યું વ્યવહારગ્રસ્ત, સાંસારિક. એ એટલું જ ક્રૂર પણ છે. વળી મારી પાસે મારા હું સિવાયનું કશું છે નથી. ઉપરાન્ત મારા હું-ને હું કદી પૂરેપૂરું પુરવાર કરી શકતો નથી. મારું સત્ય મારી પાસે જ રહી જાય છે. મારી કલા મારી તિજોરીમાં કે મારા આર્કાઇવમાં કે મારા રેઝર્વૉરમાં જ પડી રહે છે. એ મહામૂલા સંચય સાથે જીવી જવાનો આનન્દ હોઈ શકે છે. એના સત પર ખડા રહીને, સ્વશરણે રહીને, જીવી જવાય છે, એની ના નથી.

તેમ છતાં, મને ચૅન ન પણ પડે, બધું અક્કારું થઈ પડે; ઍબ્સર્ડિટી મારો પીછો ન છોડે, નૈરાશ્ય મને ચૉંટેલું રહે; નાસીપાસી વળગેલી રહે, કશી સાતા ન પણ વળે. કશો કરાર ન પણ વળે. તો હું કશા અમૂર્તને પ્રાર્થું તો એથી મારો કશો મહા ક્ષય નથી થઈ જતો. ને ત્યારે મને રવીન્દ્રનાથ-સરજિત પ્રાર્થના ગાવાનું મન થઈ જાય છે :

અંતર મમ વિકસિત કરો અંતરતર હે
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુન્દર કરો હે
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે
મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બન્ધ
સંચાર કરો સકલ કર્મે શાન્ત તોમાર છન્દ
ચરણપદ્મે મમ ચિત્ત નિસ્પન્દિત કરો હે
નન્દિત કરો, નન્દિત કરો, નન્દિત કરો હે

= = =

(૧૫ ઑક્ટોબર ૨૦૧૯)

Loading

સાવધાન! લોકશાહીનો અંત આવી રહ્યો છે, પૂરી દુનિયામાંથી …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 October 2019

આ શીર્ષક ચોંકાવનારું જરૂર છે, પણ આઘાત આપવા માટે નથી. દરેક સફળ સામ્રાજ્ય, સમાજ અને શાસન વ્યવસ્થાનું પતન થાય છે. લોકશાહી તેમાંથી બાકાત નથી. જુલાઈ મહિનામાં લીસ્બનમાં મળેલી ઇન્ટરનેશનલ સોસાઇટી ઓફ પોલિટિકલ સાઈકોલોજિસ્ટની ચાર દિવસની વાર્ષિક મિટિંગમાં એક રીસર્ચ પેપર રજૂ થયું હતું, જે રાજકીય પંડિતોમાં ચર્ચાનો (આઘાતનો) વિષય બન્યું છે. હાર્વડ અને ઓક્સફર્ડમાં ભણેલા તેમ જ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર, ૬૮ વર્ષના શોન રોઝેન્બર્ગે આ મિટિંગમાં એક અસાધારણ પેપર રજૂ કર્યું છે, જેમાં તેમણે લોકશાહીના પતન માટે આપખુદશાઈ અને જમણેરી શાસકોને નહીં, પણ ફોર અ ચેન્જ, નાગરિકોને જવાબદાર ઠેરવ્યા છે.

રોઝેન્બર્ગના પેપરનું શીર્ષક જ સૂચક છે : લોકશાહી ખુદને જ ગળી રહી છે – અણઘડ નાગરિકનો ઉદય અને જમણેરી લોકપ્રિયતાવાદની લાલચ (ડેમોક્રસી ડેવોરિંગ ઈટસેલ્ફ: ધ રાઈઝ ઓફ ઇન્કૉમ્પિટન્ટ્ સિટીઝન એન્ડ ધ અપીલ ઓફ રાઈટ-વિંગ પોપ્યુલિઝમ).

રોઝેન્બર્ગનો તર્ક આ પ્રમાણે છે : લોકશાહીને જાળવવા માટે નાગરિકો પાસે જરૂરી બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષમતા નથી. આ ઉણપને મોટાભાગના આધુનિક ઇતિહાસ દરમ્યાન રાજકીય ભદ્ર વર્ગે પૂરી કરી હતી, પણ આ વર્ગ ઉત્તરોતર હાંસિયામાં ધકેલાતો ગયો છે. પરિણામે અજ્ઞાની નાગરિકો નોંધારા થઇ ગયા છે, જેના કારણે અમેરિકા અને વિશ્વમાં બીજે જમણેરી લોકવાદી સરકારો આવી છે. લોકવાદ રાજકારણ અને સમાજનો વૈકલ્પિક દૃષ્ટિકોણ છે, જે આસાનીથી સમજમાં આવે છે અને ભાવનાત્મક રીતે વધુ સંતોષજનક હોય છે." લોકવાદ એટલે લોકોને ગમે તેવી રીતે કામ કરવું અથવા બોલવું અને તેના પરિણામોની ચિંતા ના કરવી તે.

આ સમજવા જેવું છે. મોટા ભાગના સાધારણ નાગરિકો શાસન-વ્યવસ્થા(એટલે કે લોકશાહી)ની નૈતિકતામાં પડતા નથી. દાખલા તરીકે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, માનવધિકાર જેવાં લોકતાંત્રિક મૂલ્યો સામાન્ય માણસને ન તો સમજમાં આવે છે કે ન તો એના જીવનમાં એની પ્રાથમિકતા હોય છે. એને તો એના જીવનની બુનિયાદી જરૂરિયાતોની જ ચિંતા હોય છે. લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવાની જવાબદારી હંમેશાં સમાજના મુઠ્ઠીભર રાજકીય બૌદ્ધિકોના હાથમાં રહી હતી અને તેઓ જ લોકશાહીનું શાસન ચલાવતા હતા.

આ મૂલ્યો એટલાં મહત્ત્વનાં બની ગયાં કે બહુમતી નાગરિકોમાં એવી લાગણી ઘર કરી ગઈ કે લોકશાહી વધારે પડતી ઉદાર છે અને ઉદારતાવાદી શાસકો સાધારણ માણસો અને તેમની ભાવનાથી તદ્દન કપાઈ ગયેલા છે. બીજા અર્થમાં કહીએ તો લોકોમાં એવી માન્યતા મજબૂત બની કે 'લોકો માટેની' લોકશાહી અમુક લોકો માટે જ છે.

લોકવાદનો પ્રવેશ અહીંથી થાય છે. લોકવાદ આમ તો લોકશાહીનું જ શીર્ષાસન છે. લોકશાહીમાં જે લોકો-લાગણીઓ મૂલ્યો અને સિદ્ધાંતો પર ખરી ઉતરે, તેને જ અમલ કરવા માટે ઉચિત માનવામાં આવે છે. લોકવાદમાં મૂલ્યો અને સિદ્ધાંતો લોક-લાગણીઓ પર ખરા ઉતરે છે, તેને જ અમલ કરવા ઉચિત માનવામાં આવે છે. લોકશાહી અને લોકવાદમાં એટલો જ ફરક છે, જેટલો ફરક ‘શાહી’ અને ‘વાદ’માં છે.

લોકવાદી સરકાર કેવી હોય? તેની બે મુખ્ય માન્યતાઓ હોય છે : એક, રાજકીય ભદ્ર વર્ગ ‘બહાર’નો છે અને તે ‘સાચા લોકો’ની વિરુદ્ધ કામ કરે છે અને બે, અમે ‘સાચા લોકો’નો અવાજ છીએ અને એમાં અમને કોઈ નહીં રોકે. લોકશાહીમાં સત્તા પક્ષ ચૂંટણી પછી વિરોધ પક્ષમાં બેસવા તૈયાર હોય છે. લોકવાદી સરકાર કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહે છે. લોકવાદી સરકારને લોકશાહીનાં બંધનો ગમતાં નથી, કારણ કે લોક લાગણી પર અમલ કરવામાં તે અવરોધક બને છે.

વીસમી સદીનો ઉત્તરાર્ધ લોકશાહીનો સુવર્ણ યુગ હતો. એક સર્વે પ્રમાણે ૧૯૪૫માં પૂરા વિશ્વમાં માત્ર ૧૨ લોકશાહીઓ હતી. સદીના અંતે ૮૭ થઇ ગઈ હતી. તે પછી ઊલટો ઊથલો વાગ્યો. એકવીસમી સદીના પહેલા દાયકામાં લોકશાહીની આગેકૂચ અચાનક થંભી ગઈ અને પીછેહઠ શરૂ થઇ. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, હંગેરી, બ્રાઝિલ અને પોલેન્ડમાં જમણેરી નેતાઓ સત્તામાં આવી ગયા કે આવી રહ્યા છે.

રોઝેન્બર્ગ કહે છે કે ૧૯૯૮માં યુરોપમાં જમણેરી લોકવાદી નેતાઓનો વોટ-શેર ૪ ટકા હતો, તે ૧૯૧૮માં ૧૩ ટકા થઇ ગયો. જર્મનીમાં તો મંદી પૂરી થઇ અને બહારથી આવતા લોકોનો પ્રવાહ ઓછો થયો, પછી પણ જમણેરી લોકવાદી નેતાઓના વોટમાં વધારો થયો હતો.

રોઝેન્બર્ગ યેલ, ઓક્સફર્ડ અને હાર્વડના ડિગ્રીધારક છે અને તે હાલના સૌથી પ્રતિભાશાળી સમાજ વિજ્ઞાની છે. તેમની ભવિષ્યવાણી છે કે અગામી અમુક દાયકાઓમાં પૂરા વિશ્વમાં લોકશાહીનો પથારો ઘટતો જશે અને જે બચી જશે તે પણ ખોખલી પડતી જશે. રોઝેન્બર્ગ કહે છે કે લોકશાહીની જગ્યાએ એવી લોકપ્રિય જમણેરી સરકારો આવશે, જે લોકોને જટિલ સમસ્યાઓનાં સરળ ઉપાયો બતાવશે.

મુદ્દાની વાત અહીં જ છે. લોકશાહી પરિશ્રમથી ઊભી થયેલી વ્યવસ્થા છે. એના માટે નાગરિકોથી લઈને નેતાઓ સુધીના લોકોએ ઘણા બધા વિરોધાભાસો અને વિવિધતાઓ સાથે જીવવાનું શીખવું પડે છે. લોકશાહીમાં લોકોએ ભિન્ન મતને જગ્યા આપવી પડે છે, સચ્ચાઈ અને જૂઠમાં ફર્ક કરવો પડે છે, શિસ્ત અને તર્કનું સન્માન કરવું પડે છે અને આપણા જેવા ના હોય, તેવા લોકોને પણ સમાવવા પડે છે. આવા અભિગમો આધુનિક શિક્ષણ અને લોકતાન્ત્રિક વ્યવસ્થાઓમાંથી આવ્યા છે. માણસ જ્યારે કબીલામાં રહેતો હતો, ત્યારે તેને ભિન્નતાની દરકાર કરવાની જરૂર ન હતી.

રોઝેન્બર્ગ મનોવિજ્ઞાનનો સહારો લઈને કહે છે કે બુનિયાદી રૂપે માણસ પૂર્વગ્રહવાળો છે. સદીઓથી માણસે તેનાથી (રંગમાં, ભાષામાં, સંસ્કૃતિમાં, માન્યતાઓમાં) ભિન્ન હોય, તેવા માણસો માટે આભડછેટ રાખી છે. ‘અમે અને તમે’ એ માણસનો મૂળભૂત સ્વભાવ રહ્યો છે અને તે વિવિધ રીતે તેની સામાજિક વ્યવસ્થામાં પડઘાતો રહ્યો છે. લોકશાહી આવા પૂર્વગ્રહો પરનો વિજય હતો, પરંતુ તે પૂર્વગ્રહો નાબૂદ થયા ન હતા, સુષુપ્ત અવસ્થામાં હતા. આધુનિક લોકશાહી માટે આ પૂર્વગ્રહો જોખમી બની રહ્યા છે.

હંગેરીના જમણેરી પ્રધાનમંત્રી વિક્ટોર ઓર્બાને કહ્યું હતું કે, “ઉદારવાદી લોકશાહીનો યુગ પૂરો થયો છે.” આપણે ઓર્બાનને (કે ડોનાલ્ડ ટ્રમ્પને) દોષ દેવાની જરૂર નથી. લોકશાહીના પતન માટે લોકો જવાબદાર છે. આર્થિક અને સામાજિક અસમાનતાએ વિશ્વભરમાં ઊથલપાથલ મચાવી છે અને લોકો લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. લોકોને એમની સમસ્યાના સહેલા ઉપાયો જોઈએ છીએ, કારણ કે તેમને વોટ આપવા સિવાયની બીજી કોઈ બૌદ્ધિક બાબતોની સમજ નથી. ગ્રીક ચિંતક સોક્રેટિસે કહ્યું હતું કે લોકશાહીમાં લોકોને વિચાર કરીને વોટ આપવા માટે ટ્રેઈન કરવા પડે, પણ લોકોમાં એટલી વિચારશક્તિ છે નહીં, એટલે લોકશાહી નહીં ચાલે.

સોક્રેટિસ અત્યારે જીવતો હોત, તો હસ્યો હોત.

Loading

દેશની તિજોરીમાં જમા કરાવનારાઓ સવા અબજ ને તેને લૂંટનારા માંડ સાડા આઠ હજાર?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 October 2019

રીઝર્વ બૅન્કે કહ્યું છે કે ૨૦૧૯ના માર્ચ મહિના સુધીની ભારતની બૅન્કોની નોન પરફોર્મિંગ એસેટ (એન.પી.એ. – એટલે બૅન્કોની ડૂબી ગયેલી રકમ ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયા છે. (જુઓ રીઝર્વ બૅન્કનો ૨૪મી જુલાઈનો પરિપત્ર) આ સરકારી આંકડો છે. આ તો માત્ર સરકારી અને શિડયુલ કમર્શિયલ (મુખ્યત્વે સહકારી) બૅન્કોની જાહેર કરવામાં આવેલી એનપીએની વાત થઈ. આ ઉપરાંત એક સ્ટ્રેસ્ડ ઍસેટ્સ નામનો પણ એક પ્રકાર છે જે એન.પી.એ.નો નાનો ભાઈ છે અને મોટો થઈને એન.પી.એ. થવાનો છે. સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એટલે આપવામાં આવેલું એવું ધિરાણ જે પાછું ન ફરે એમ પણ બને. એન.પી.એ. એટલે ઉઠાંતરી અને સ્ટ્રેસ્ડ ઍસેટસ એટલે ઉઠાંતરીની દિશાનો વટેમાર્ગુ જે પાછળ પાછળ જ ચાલે છે.

હવે સ્ટ્રેસડ ઍસેટ્સ નામની કેટેગરીમાં આવતું જોખમી ધિરાણ કેટલું છે? કોઈ કહી શકે એમ નથી. આનું કારણ એ છે કે તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નથી. બીજું, બૅન્કો સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એન.પી.એ. ન બને ત્યાં સુધી છૂપાવે છે. નોટિસો આપતા રહે, નવું ધિરાણ આપીને રીસ્ટ્રકચરીંગ કરતા રહે અને ધિરાણને વૅન્ટીલેટર પર જીવતું રાખે. હકીકત તો એ છે કે સ્ટ્રેસ્ડ ઍસેટ્સ એન.પી.એ. જ હોય છે, પણ તેને છૂપાવવા માટે સ્ટ્રેસડ ઍસેટ્સનું લેબલ લગાડવામાં આવે છે. છેલ્લા આઠ વરસથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉપરેટિવ બૅન્ક વાધવાઓને આપેલાં ધિરાણને સ્ટ્રેસડ ઍસેટ્સ તરીકે બતાવતી હતી, જ્યારે કે તે ચોખ્ખી એન.પી.એ. હતી. બૅન્ક પોતે જ નવું ધિરાણ આપીને જૂનાના એક હપ્તાની અને વ્યાજની ભરપાઈ કરાવતી હતી કે જેથી ધિરાણને એન.પી.એ. જાહેર કરવું ન પડે.

એક ત્રીજો ભાઈ પણ છે, જે જન્મ સાથે જ શેતાની કરે છે અથવા શેતાની માટે જ જન્મ્યો છે. એ ભાઈ એવો છે જેના પર રીઝર્વ બૅન્કનો ખાસ કોઈ અંકુશ જ નથી. આમ તો પહેલા બે ભાઈઓને પણ લોકોના પૈસા ડુબાડી દેતા રોકવાનો મોટાં મોટાં છીંડાંઓને કારણે રીઝર્વ બૅન્કને અધિકાર નથી, પરંતુ ત્રીજા પર તો જરા ય નથી. એ ત્રીજો ભાઈ છે નોન બૅન્કિંગ ફાયનાન્સ કંપની. આઈ.એલ. એન્ડ એફ.એસ. તેમ જ શ્રદ્ધા ચીટ ફંડ વગેરે આવી કંપનીઓ છે અને તેનાં કૌભાંડ તાજી ઘટનાઓ છે. આવી કેટલીક કંપનીઓ માત્ર અને માત્ર છેતરપિંડી કરવાના ઈરાદાથી જ સ્થાપવામાં આવી છે. ભારતમાં નોંધાયેલી એન.બી.એફ.સી. ૯,૬૫૯ છે. કેટલીક એન.બી.એફ.સી. એવી છે જે સરકારી બેંકો પાસેથી જ ધિરાણ લઈને આગળ ધીરવાનો ધંધો કરે છે.

આપણે ખાનગી બેન્કોમાં ચંદા કોચરોએ કરેલાં કૌભાંડોને ગણ્યાં નથી કારણ કે રકમ નાની છે, પણ તેની યાદ એટલા માટે અપાવવી જોઈએ કે તે પણ કૌભાંડમુક્ત નથી.

હવે ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયાની એન.પી.એ.. એમાં જેનો આંકડો મળવાનો નથી એવી સ્ટ્રેસડ ઍસેટ્સની રકમનો ઉમેરો કરો. કેટલો કરશો? સામાન્ય બુદ્ધિ વાપરીને તમને જે ઠીક લાગે એ આંકડો ઉમેરો. એમાં એન.બી.એફ.સી.ના કૌભાંડોની રકમનો ઉમેરો કરો અને જે કૌભાંડ હજુ બહાર આવ્યાં નથી, પણ ચાલી રહ્યા છે તેની કલ્પના કરો. મને ખાતરી છે કે તમે દેશભક્ત હશો તો પણ અને પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે એ જોઇને પોરસાતા હશો તો પણ; એટલું તો કબૂલ કરવું જ પડશે કે એ ત્રીસ લાખ કરોડ રૂપિયા કરતાં ઓછો ન જ હોઈ શકે. જો આટલી મોટી રકમ જોઇને ટેન્શન આવતું હોય કે પછી આ લખનારને ભૂંડી ગાળ આપવા જેટલો ગુસ્સો આવતો હોય તો દેશની પીળે પાને નોંધાયેલી રકમમાં પાંચ લાખ કરોડ ઓછા કરી નાખો. એનાથી નીચે જઈ શકાય એમ નથી, કારણ કે રીઝર્વ બૅન્કના આંકડા મુજબ એન.પી.એ. જ ૧૭,૫૫,૬૯૧ કરોડ રૂપિયાની છે.

૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં વિકાસના મોરચે ક્રાંતિ કરવાનું વચન આપીને આવી ત્યારે દેશમાં એન.પી.એ. ૧૧ લાખ કરોડ રૂપિયાની હતી. એમાં એન.પી.એ. બની રહેલાં નાના ભાઈઓની રકમ અને એન.બી.એફ.સી.ના કૌભાંડો ઉમેરો તો સહેજે વીસ લાખ કરોડ રૂપિયા જેવી માતબર રકમ જોખમમાં હતી. એ સમયે આ કોઈ નાની રકમ નહોતી. એની સામે ૨૦૧૪માં દેશની કુલ મહેસૂલી આવક ૧૩,૬૪,૫૨૪ કરોડ રૂપિયા હતી અને અત્યારે ૨૭,૩૨,૯૦૩ કરોડ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે દેશની કુલ જેટલી આવક એના કરતાં ઘણી મોટી રકમની ચોરી.

બીજું સરકારી તિજોરીમાં દેશની સવા અબજ પ્રજા પૈસા જમા કરાવે છે અને સામે પક્ષે એટલી જ મોટી રકમ ૮,૫૮૨ જણા લૂટી ગયા છે. જમા કરાવનારા સવા અબજ લોકો અને લૂંટનારા દસ હજાર પણ નહીં. ૨૪મી જૂન ૨૦૧૯ના રોજ કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સિતારામને કહ્યું હતું કે જાણીબૂજીને બૅન્કોને નવડાવનારાઓ(અંગ્રેજીમાં વિલફૂલ ડીફોલ્ટર)ની સંખ્યા ૨૦૧૪માં ૫,૩૪૯ હતી જે અત્યારે વધીને ૮,૫૮૨ થઈ છે. મહેસૂલી આવક અને લૂંટની તુલના કરતી વખતે એક ફરક ધ્યાનમાં રાખજો. મહેસૂલી આવક વરસોવરસની છે, જ્યારે એન.પી.એ. કેટલાંક વર્ષોની ભેગી થયેલી છે.

હવે ઘડીભર આપણે દેશની વાત બાજુએ રાખીએ અને આપણા પોતાના ઘરની વાત કરીએ. ધારી લો કે પાંચ ભાઈઓનો પરિવાર છે અને બધા સાથે રહે છે. પિતાજી ઘરધણી છે અને તેના પાંચે ય દીકરા પોતપોતાની રીતે ધોધો કરે છે. પિતાજીના ધ્યાનમાં એક વાત આવે છે કે જેને ખરા અર્થમાં આવક કહેવાય એવી આવક તો કુટુંબની માત્ર એક લાખ રૂપિયાની જ છે, પણ છોકરા કરોડોમાં રમે છે અને આઉડી અને બી.એમ.ડબલ્યુ. જેવી મોંઘી ગાડીઓ વાપરે છે. આવી સ્થિતિમાં સમજદાર બાપ હોય અને કુટુંબની આબરૂની ચિંતા હોય એ શું કરે? એ તરત સાવધાન થઈ જાય. ચાલી રહેલી રમતને સમજવાની કોશિશ કરે. સમજ ન પડતી હોય તો કોઈ સમજદારની મદદ લે. ઘરના ખર્ચા ઘટાડે અને અમીરાઈના દેખાડા પર કાપ મૂકે. પણ જો બાપમાં સમજદારી ન હોય તો એ પણ જલસા કરે.

આપણા દેશની સ્થિતિ પણ આવી રંગીલા પરિવાર જેવી જ છે. નક્કર મહેસૂલી આવક-જાવક કરતાં નાણાકીય અર્થતંત્ર (ફાયનાસિયલાઈઝેશન ઑફ ઈકોનોમી) અનેક અનેક ગણું મોટું. એમાંથી પચીસ લાખ કરોડ રૂપિયા તો સ્વર્ગે સિધાવેલા હોય, પણ તેની અંતિમક્રિયા કરવાનું ટાળવામાં આવતું હોય. બીજા દસેક લાખ કરોડ રૂપિયા વેન્ટીલેટર પર હોય. આવી સ્થિતિમાં દેશનો વડો પ્રધાન શું કરે? તમે કુટુંબના વડીલ હો કે પછી દેશના વડા પ્રધાન હો તો તમે શું કરો?

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર કોઈ જદ્દોજહદ કરતી હોય એવું તમને લાગે છે? સરકાર માટેનો રાગદ્વેષ ભૂલીને પ્રામાણિક ઉત્તર આપજો. બીજાને આપવાની જરૂર નથી, પોતાની જાતને આપજો. જો નથી કરતા તો શા માટે નથી કરતા? કોણ અટકાવે છે?

આની વધુ ચર્ચા હવે પછી.

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ઑક્ટોબર 2019

Loading

...102030...2,6462,6472,6482,649...2,6602,6702,680...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved