Opinion Magazine
Number of visits: 9763255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૃત્યુ મારા માટે કોઈ નવી વસ્તુ નથી

દીપક બારડોલીકર|Opinion - Literature|15 January 2020

ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના જાણીતા શાયર દીપક બારડોલીકર ગત ૧૨ ડિસેમ્બરે અલવિદા કરી ગયા. તેના બે મહિના પહેલાં જ તેમનું પુસ્તક ‘સૌગાત’ [(પાંચ ભાષાનાં કાવ્યો); અનુવાદક -દીપક બારડોલીકર; મુખ્ય વિક્રેતા : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ – ઑક્ટોબર 2019; કિંમત રૂ. 130] પ્રકાશિત થયું. મુખ્યત્વે ક્રાંતિકારી, બાગી અને સૂફી કવિઓ – શાયરોની પસંદગીની કૃતિઓના અનુવાદના આ પુસ્તકમાં એક શાયર તે ફૈઝ અહેમદ ફૈઝ પણ. તેનો પરિચય આપતાં બારડોલીકરે લખ્યું છે, “તેઓ જીવન તથા કવનમાં સત્યના આગ્રહી હતા. કહો તે કરો અને કરો તે કહો એ તેમનો ઉસૂલ હતો”. અત્યાર સુધી આ હકીકતથી અજાણ રાષ્ટ્રપ્રેમીઓને ‘હમ દેખેંગે’ ઘટના પછી તેની પ્રતીતિ થઈ હશે. બારડોલીકરને શબ્દાંજલિ આપતા અહીં તેમણે આપેલો ફૈઝ અહેમદ ફૈઝનો પરિચય અને બારડોલીકરના સર્જનનો પરિચય વિપુલ કલ્યાણીની કલમે પુસ્તકમાંથી સાભાર

…. સંપાદક, “નિરીક્ષક”

ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં મુઠ્ઠી ઊંચેરું નામ એવા ‘દીપક બારડોલીકર’નો જન્મ (૧૯૨૫) ભારતમાં, યુવાની પાકિસ્તાનમાં અને હાલ માન્ચેસ્ટર-બ્રિટનમાં સ્થિત છે. તેમની કવિતામાં આ ત્રણેય ભૂમિની લહેજત પ્રગટ થતી રહી છે. શિક્ષક, પત્રકાર, સંશોધક, સંપાદક … એમ અનેકવિધ પ્રતિભાનો પરિચય કરાવનાર દીપક બારડોલીકરની આત્મકથા ‘સાંકળોનો સિતમ’ (૧૯૯૯) અને ‘ઊછાળા ખાય છે પાણી’ (૨૦૦૪) રૂપે આપણને મળી છે. તેમની બધી જ રચનાઓ ‘કુલ્લિયાતે દીપક’ સંગ્રહમાં મુકાઈ છે – મૂળે તો ગઝલકારને.

તેમનો ગઝલસર્જનનો આરંભ ૧૯૫૦માં થયો. પાકિસ્તાનમાં ગુજરાતી શાયરોના સહયોગથી દીપક બારડોલીકરની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી. ૧૯૯૦માં બ્રિટન વસવાટ કર્યો. ત્યાં તો ગઝલની સાથે નઝમ, અછાંદસ, મુક્તક, હાઇકુ જેવા કાવ્યપ્રકારોમાં પણ સર્જન કર્યું. સાથે સાથે પંજાબી કાવ્યપ્રકાર ‘માહિયા’ અને સિંધી કાવ્યસ્વરૂપ ‘હો-જમાલો’ને પણ અજમાવ્યા છે. પ્રણય, વતનઝુરાપો, અસ્મિતા, ખુમારી, સંઘર્ષ, માનવપ્રેમ અને સમસામયિક ઘટનાઓનું આલેખન એમની ગઝલનો મુખ્ય વિષય રહ્યો છે. અંગ્રેજી, તૂર્કી, પંજાબી, સિંધી અને ઉર્દૂના વિશ્વભરના જાણીતા કવિઓ-શાયરોમાંથી પસંદગીના સર્જકોની ગુજરાતીમાં ‘સૌગાત’ લઈને આવનાર બારડોલીકરની કાવ્ય-પસંદગીમાં પણ કાવ્ય સંવેદના અને સ્વરૂપ બંને રીતે આ તત્ત્વ અનુભવાય છે.

ફૈઝ અહેમદ ફૈઝ (૧૯૧૧ • ૧૯૮૪), ઉર્દૂ ભાષાના,વીસમી સદીના એક શ્રેષ્ઠ શાયર છે. એમને જે ખ્યાતિ, જે લોકચાહના મળી છે એવી અન્ય કોઈ શાયરને મળી શકી નથી. તેઓ જીવન તથા કવનમાં સત્યના આગ્રહી હતા. કહો તે કરો ને કરો તે કહો એ તેમનો ઉસૂલ હતો. તેમણે એક શેરમાં કહ્યું છેઃ

હમ શેખ ન લીડર
ન મુસાહિબ, ન સહાફી
જો ખુદ નહીં કરતે
યહ હિદાયત નહીં કરતે

કરીએ તે કહીએ ને કહીએ તે કરીએ એનાથી મોટી સચ્ચાઈ બીજી કઈ હોઈ શકે! આ કવિનાં જીવન તથા કવનમાં કોઈ ફરક જોવા મળતો નથી. જેવી જિંદગી ગુજરી એવી જ એમની શાયરી છે. સચ્ચાઈભરી, ખૂબસૂરત, કલાત્મક. જાણે તાજા ગુલાબની પાંખડી!

મુકામ ‘ફૈઝ’ કોઈ
રાહ મેં જઁચા હી નહીં
જો કૂ-એ-યાર સે નિકલે
તો સૂ-એ-દાર ચલે

તેમણે જે કંઈ લખ્યું તે જવાબદારીના ભાન સાથે લખ્યું, સમજી વિચારીને લખ્યું. કાવ્યસંગ્રહ ‘દસ્તે સબા’ના ઉપોદ્‌ઘાતમાં તેમણે નોંધ્યું છે : ‘કવિનું કાર્ય માત્ર દર્શનનું નથી, સંઘર્ષ પણ તેની ફરજ છે.’ – તેમણે એમ પણ કહ્યું છે કે આસપાસનાં વ્યાકુળ બિંદુઓમાં જિંદગીની મહાનદનાં દર્શનનો આધાર કવિની દૃષ્ટિ પર હોય છે અને અન્ય લોકોને તે દર્શન કરાવવાનો આધાર કવિની કલાકીય ક્ષમતા પર અને એ મહાનદના વહેણમાં પ્રવેશવાનો આધાર તેની આરત, લાયકાત તથા લોહીની ઉષ્મા પર હોય છે.

કવિ આટલો સુસજ્જ હોવો જોઈએ. એ વગર તે સાચી કવિતા કરી શકતો નથી.

ફૈઝ સાહેબનો જન્મ સિયાલકોટના એક સુશિક્ષિત, સંસ્કારી કુટુંબમાં થયો હતો. પિતા ખાન બહાદુર સુલતાન મુહમ્મદ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. એમણે વિદ્યાભ્યાસ લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં કર્યો હતો અને શાયરીની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. અંગ્રેજી તથા અરબીમાં એમ.એ. કર્યા પછી અધ્યાપક બન્યા, અને પછી ‘ધી પાકિસ્તાન ટાઇમ્સ’ જેવા એક મોટા પત્રના તંત્રીપદે નિમાયા. એમના તંત્રીપદે અખબાર ખાસું ચમક્યું, પણ એ દરમિયાન ઘણું કરીને ૧૯પ૧માં રાવલપિંડી કાવતરા કેસમાં અન્ય ફોજી અફસરો ભેગા ગિરફતાર કરી લેવામાં આવ્યા. આ કાવતરું વડા પ્રધાન લિયાકત અલી ખાનની સરકાર ઉથલાવવા વિશેનું હતું. ૧૯પપમાં તેઓ જેલમુક્ત થયા. તેમની કવિતા તથા સમાજવાદી વિચારસરણીના કારણે પણ અનેકવાર જેલવાસ ભોગવવો પડ્યો હતો. દેશનિકાલ પણ કરાયા હતા.

તેમનાં કાવ્યો કોઈ એક દેશના ખૂણામાં સીમિત રહેનારાં કાવ્યો નથી. તેમની અંદર વિશ્વવ્યાપકતા(Universality)નાં તત્ત્વો ભર્યાં પડ્યાં છે. તેઓ ઇન્સાનને ચાહે છે, રંગ, નસલ કે દેશ-વિદેશના કશા ભેદ વિના.

એમના આઠ કાવ્યસંગ્રહો, નકશે ફરિયાદ, દસ્તે સબા, ઝિંદા નામા, દસ્તે તહે સંગ, સરે વાદીએ સીના, શામે શહરે યારાં, મેરે દિલ મેરે મુસાફિર અને ગુબારે ઐયામ પ્રગટ થયા છે. અને એ સૌનો એક કુલ્લિયાત [કુલ્લિયાત : શાયરની રચનાઓનો સંગ્રહ] – નુસ્ખ હાયે વફા.

તેમણે એક ફોજી અફસર તરીકે પણ સેવા બજાવી હતી. કર્નલની હેસિયતે નિવૃત્ત થયા હતા. લેનિન પીસ પ્રાઇઝ(૧૯૬૨)થી વિભૂષિત થનારા આ કવિનાં લગ્ન એલિસ નામે એક આયરિશ મહિલા સાથે થયાં હતાં.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ. 07 તેમ જ 05

Loading

ઝારખંડનો જનાદેશ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 January 2020

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હાર ભારતીય જનતાપક્ષને લાંબા સમય સુધી ચચરે એવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બી.જે.પી.ની સત્તાવાપસી થઈ શકી નહોતી. હરિયાણામાં મળ્યા એવા કોઈ સાથી મહારાષ્ટ્રમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં મળ્યા નહીં, એટલે દેશના સૌથી વધુ ઔદ્યોગિક રાજ્યમાં સત્તા ગુમાવવી પડી. આ સૌ કરતાં ભા.જ.પા.ની વધુ ભૂંડી હાર ઝારખંડમાં થઈ છે. કેમ કે અહીં ભા.જ.પા. મુખ્યમંત્રી, પ્રદેશ-અધ્યક્ષ, વિધાનસભા સ્પીકર અને છ મંત્રીઓ ચૂંટણી હારી ગયા છે. હજુ સાત જ મહિના પહેલાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પક્ષને લોકસભાની ૧૪માંથી ૧૨ બેઠકો મળવા સાથે, ૫૧ % મત અને ૫૪ ધારાસભા બેઠકો પર બહુમતી મળી હતી. તેમાં ૩૫ બેઠકો પર તો ૫૦,૦૦૦ કરતાં વધુ મતોની લીડ હતી. પણ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ૮૧માંથી ૨૫ જ બેઠકો અને ૩૩.૩૭ %  જ મત મળ્યા છે. બી.જે.પી.ને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મળેલા મતોમાં ૧૮ %નો વિક્રમી ઘટાડો થયો છે.

૮૧ બેઠકોની ઝારખંડ વિધાનસભામાં ૪૪ સામાન્ય, ૨૮ અનુસૂચિત જનજાતિ અને નવ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો છે. ૨૦૧૯ની ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોને મળેલી બેઠકો અને મતની ટકાવારી આ પ્રમાણે છે : ઝારખંડ મુક્તિમોરચો – ૩૦ (૧૮.૭૨ %), ભારતીય જનતાપક્ષ – ૨૫ (૩૩.૩૭ %), કૉંગ્રેસ – ૧૬ (૧૩.૮૮ %), ઝારખંડ વિકાસ મોરચો – ૩ (૫.૪૫ %), ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પાર્ટી – ૨ (૮.૧૦ %), અપક્ષ – ૨ (૧૦.૬૩ %), રાષ્ટ્રીય જનતા દળ (આર.જે.ડી.) – ૧ (૨.૭૨ %), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એન.સી.પી.) – ૧ (૦.૪૨ %), સી.પી.આ.ઈ. (એમ.એલ.) (એલ.) – ૧ (૦.૩૨ %)

અખંડ બિહારના દક્ષિણ ભાગને ચીરીને ૧૫મી નવેમ્બર, ૨૦૦૦ના રોજ ઝારખંડનું અલગ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. ૨૦૧૧ની વસતીગણતરી મુજબ ૩.૨૯ કરોડની વસ્તી ધરાવતા ઝારખંડના અલગ રાજ્ય માટે ત્યાંના આદિવાસીઓ, ખાસ કરીને ઝારખંડ મુક્તિમોરચા અને તેના પ્રમુખ શિબુ સોરેનનો સિંહફાળો હતો. ૨૦૧૪માં બી.જે.પી.એ પ્રથમ વાર બિન આદિવાસી રઘુવર દાસને મુખ્યમંત્રી બનાવ્યા તે પૂર્વે અને તે પછીના સઘળા મુખ્યમંત્રી આદિવાસી છે. વીસેક વરસ જૂના આ રાજ્યમાં આ ચોથી ચૂંટણી હતી અને તેમાં ઝારખંડ મુક્તિમોરચો, કૉંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળના ચૂંટણીપૂર્વેના ગઠબંધનને ૪૭ બેઠકો મળતાં હેમંત સોરેન રાજ્યના ૧૧મા મુખ્યમંત્રી બન્યા છે. સતત રાજકીય અસ્થિરતા (૧૯ વરસમાં ૧૦ મુખ્યમંત્રી અને ૩ વખત રાષ્ટ્રપતિ શાસન) અને ભ્રષ્ટાચાર (મધુ કોડાથી સોરેન પરિવાર) પછી ૨૦૧૪થી ૨૦૧૯માં પ્રથમ વાર બી.જે.પી. સરકાર પાંચ વરસ ટકી પણ તે ફરી સત્તા મેળવી શકી નથી.

રાજ્યમાં આશરે ૩૨% અન્ય પછાતવર્ગો, ૨૬% આદિવાસી, ૧૫% મુસ્લીમ, ૧૨% દલિત, ૧૧% ઉચ્ચવર્ણો, અને ૪% ખ્રિસ્તી વસ્તી હોવાનો અંદાજ છે. રાજ્યના રાજકારણ પર ૨૬% વસ્તી ધરાવતા આદિવાસીઓનું પ્રભુત્વ છે. સત્તા કાયમ તેમના હાથમાં જ રહી છે, પરંતુ ૨૦૧૪માં બી.જે.પી.એ અન્ય પછાતવર્ગની તેલી જ્ઞાતિના રઘુવર દાસની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને આદિવાસીઓની નારાજગી વહોરી લીધી હતી. વીત્યાં પાંચ વરસોમાં મુખ્યમંત્રી સામે આદિવાસીઓનો અસંતોષ અને બી.જે.પી.ની તે પ્રત્યેની ઉપેક્ષા હાલની હારનું પ્રમુખ કારણ છે. ભા.જ.પે. આદિવાસીઓના જળ, જમીન, જંગલના પ્રશ્નો ઉવેખ્યા, જમીનસુધાર અને જમીન-અધિગ્રહણ કાયદામાં સુધારા કરીને આદિવાસીઓની જમીનો માલેતુજાર ઉદ્યોગપતિઓને પધરાવી તેમ જ ધર્મપરિવર્તન કાયદામાં પણ સુધારા મારફતે ખ્રિસ્તી આદિવાસીઓને રંજાડ્યા. આ સૌનું પરિણામ ઝારખંડનો વર્તમાન જનાદેશ છે. ૨૮ આદિવાસી અનામત બેઠકોમાંથી ગઈ ચૂંટણીમાં ભા.જ.પ.ને ૧૧ મળી હતી, પરંતુ આ વખતે ઘટીને ત્રણ જ થઈ ગઈ છે. જે.એમ.એમ.ને ૧૯, કૉંગ્રેસને પાંચ અને જે.વી.એમ.ને એક બેઠક મળી છે. ઝારખંડની ચાર પ્રમુખ જનજાતિઓ(મુંડા, સંથાલ, ઉરાંવ અને હો)માં મુંડા બી.જે.પી. સમર્થક, સંથાલ જે.એમ.એમ. સમર્થક અને બાકીના કૉંગ્રેસ સમર્થક મનાય છે. ૨૦૧૪માં બી.જે.પી.ના અર્જુન મુંડા વિધાનસભાની ચૂંટણી હારી ગયા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માંડમાંડ જીત્યા, ત્યારથી મુંડા આદિવાસીઓ બી.જે.પી.થી નારાજ છે. એટલે બી.જે.પી.ને તેમના પણ મત મળ્યા નહીં. માત્ર ઝારખંડમાં જ નહીં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભા.જ.પ.ને આદિવાસી બેઠકો મોટા પ્રમાણમાં ગુમાવવી પડી છે. આ ચાર રાજ્યોની વિધાનસભાની કુલ આદિવાસી બેઠકો ૧૨૯ છે, તે પૈકી ૨૦૧૩-૧૪માં ભા.જ.પ. પાસે ૭૧ હતી, જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૩૧ જ થઈ ગઈ છે. અર્થાત્‌ બી.જે.પી. પાસે પાંચ વરસ પહેલાં આ રાજ્યની ૫૫% આદિવાસી બેઠકો હતી, જે હવે ઘટીને ૨૪ % થઈ ગઈ છે.

ઝારખંડના આદિવાસી મતદારો ભા.જ.પ.થી નારાજ છે, તો દલિત મતદારો ઓળઘોળ છે. તેનાં કારણો સમજવાં અઘરાં છે. ઝારખંડની નવ દલિત અનામત બેઠકોમાંથી ૨૦૧૪માં ભા.જ.પ.ને પાંચ જેવી એમને ત્રણ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનને એક બેઠકો મળી હતી. ૨૦૧૯માં ભા.જ.પ.ને મળેલી દલિત અનામત બેઠકમાં એકનો વધારો થતાં તેને છ બેઠકો (કુલ બેઠકોના ૬૦ %) મળી છે. જે.એમ.એમ.ને બે અને આર.જે.ડી.ને એક બેઠક મળી છે. દલિત મતદારોએ ઝારખંડ વિકાસમોરચા અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયનથી મોં ફેરવી લીધું છે અને તેમને એક પણ બેઠક મળી નથી.  જે ત્રણ બેઠકો પર ભા.જ.પ.ની હાર થઈ છે ત્યાં પણ તે બીજા ક્રમે છે. હાલના સત્તાધારી ગઠબંધનના મુખ્ય ભાગિયા કૉંગ્રેસને એક પણ દલિત અનામત બેઠક મળી નથી, જો કે બી.જે.પી.એ જીતેલી ૬ પૈકીની ૨ બેઠકો પર તેણે સીધી ટક્કર આપી હતી. આર.જે.ડી.એ એક બેઠક મેળવી છે અને બે પર સીધી ટક્કર આપી છે. આ ચૂંટણીમાં દલિતોની મનાતી બહુજન સમાજપાર્ટીને એક પણ બેઠક મળી નથી. હા, તે ૧.૫૩ %ના વોટશેર સાથે રાજ્યની આઠમા ક્રમાંકની પાર્ટી બની છે. રિપબ્લિકન પાર્ટી (આઠવલે), ભારતીય દલિતપાર્ટી, મૂળ નિવાસી સમાજપાર્ટી અને આંબેડકરાઇટ પાર્ટી ઓફ ઇન્ડિયા જેવી દલિત પોલિટિકલ પાર્ટીઓ પણ ચૂંટણીમેદાનમાં હતી.

રાજ્યમાં ત્રીજા ક્રમની વસ્તી મુસ્લિમોની છે. રાજ્યની ૧૪ વિધાનસભા બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક ગણાય છે પરંતુ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ એટલું નથી. સ્થાપનાકાળથી જ રાજ્યમાં બી.જે.પી. સત્તામાં હોવા છતાં બે દાયકામાં થયેલી ચાર ચૂંટણીમાં બી.જે.પી.ને હજુ એક પણ મુસ્લિમ ઉમેદવાર મળ્યો નથી. ૨૦૦૫માં બે, ૨૦૦૯માં પાંચ, ૨૦૧૪માં બે અને ૨૦૧૯માં ચાર મુસ્લિમો ધારાસભામાં ચૂંટાયા છે. રાજ્યમાં પ્રથમ વખત અસુદુદ્દીન ઓવેસીની પાર્ટીએ ૧૪ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાંથી એક પણ જીતી શક્યો નથી. એ રીતે મુસ્લિમ મત વિભાજિત થયા નથી. અત્યાર સુધીમાં ત્રણ (અને હવે ચાર) મુસ્લિમો મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ૬૫,૧૦૮ મતોની લીડથી પકુર બેઠક પરથી કૉંગ્રેસના આલમગીર આલમ ચૂંટાયા છે અને કૉંગ્રેસ ક્વૉટામાંથી મંત્રી બન્યા છે, પરંતુ ૧૫% વસ્તી ધરાવતા મુસ્લિમોને તેમના ઉચિત રાજકીય પ્રતિનિધિત્વની હજુ પણ તલાશ છે.

ભૂંડી રીતે પરાજિત થવા છતાં બી.જે.પી. ૨૦૧૪ની તુલનાએ તેમને મળેલા મતોની ટકાવારી વધ્યાનો ઢોલ પીટે છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં બી.જે.પી.ને સૌથી વધુ વોટશેર (૩૩.૩૭ %) મળ્યા છે અને તે બીજા તમામ પક્ષો કરતાં વધુ છે તે ખરું પરંતુ તે બીજા તમામ રાજકીય પક્ષો કરતાં વધુ એટલે કે ૭૯ બેઠકો પર ચૂંટણી લડ્યાનું પરિણામ છે, ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન અને ઝારખંડ વિકાસ મોરચાને અનુક્રમે ૮.૧૦ % અને ૫.૪૫ % મત મળ્યા હતા, પરંતુ બેઠકો અનુક્રમે બે અને ત્રણ મળી છે, તેનું કારણ પણ તેણે વધુ એટલે કે અનુક્રમે ૮૧ અને ૫૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા તે છે. એન.સી.પી.ના સાત ઉમેદવારોને મત ૦.૪૨ % મળ્યા પણ બેઠક એક જીત્યા, સામે પક્ષે આર.જે.ડી.ના સાત ઉમેદવારોને મત ૨.૭૫ % ને બેઠક એક મળી. સી.પી.આઈ.એમ.એલ.ના ૧૪ ઉમેદવારોને મત ૦.૪૨ % અને બેઠક એક મળી છે. અપક્ષોએ મત ૧૦.૬૩ % અને બેઠકો ૨ જ મેળવી છે. માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીને ૧.૫૩ % અને ઓવૈસીની પાર્ટીને ૧.૧૬% મત મળ્યા. એન.ડી.એ.ના ઘટકદળ પણ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડનારા રામવિલાસ પાસવાનના પક્ષ એલ.જે.પી.ને ૦.૨૭ % (૫૦ ઉમેદવારો), નીતિશકુમારના જનતાદળ(યુ)ને ૦.૮૦ % (૪૭ ઉમેદવારો) મત મળ્યા છે. પરંતુ કોઈ બેઠક મળી નથી. એટલે મતોની ટકાવારી બેઠકોમાં પરિવર્તિત કરી શકાતી નથી. તે પણ હકીકત છે.

ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજપાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણીપૂર્વે ગઠબંધન થયું હતું પરંતુ બ.સ.પા.ની ફરિયાદ રહી હતી કે સ.પા. તેના વોટ ટ્રાન્સફર કરાવી શકી નહીં. ઝારખંડમાં તેવું થયું નથી. સેન્ટર  ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીના લોકનીતિ-કાર્યક્રમ અંતર્ગત થયેલા મતદાન પછીના સર્વેનું તારણ છે કે જે.એમ.એમ., કૉંગ્રેસ અને આર.જે.ડી. ગઠબંધન એકબીજા પક્ષોને પોતાના પરંપરાગત વોટ તબદિલ કરાવવામાં સફળ રહ્યા છે. તેનો ફાયદો આર.જે.ડી.ને ઓછો મળ્યો છે તે પણ હકીકત છે. જો.કે બી.જે.પી.ની ધારણા હતી કે તેના ઓ.બી.સી. મુખ્યમંત્રી બિનઆદિવાસી, બિનયાદવ, બિનમુસ્લિમ મતો લાવી શકશે, તે શક્ય બન્યું નથી. એટલું જ નહીં ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન સાથે ગઠબંધન ન થવાથી તેના કૂર્મી-કોઇરી મત પણ બી.જે.પી.ને મળ્યા નથી. સામે પક્ષે વિપક્ષી ગઠબંધનને ન માત્ર ગ્રામ વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં પણ સારી સફળતા મળી છે.

આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદો કૉંગ્રેસને થયો છે. કૉંગ્રેસે ૩૧ બેઠકો લડીને ૧૬ બેઠકો મેળવી છે. એ રીતે તેનો સ્ટ્રાઇકરેટ ૫૧.૬ % છે. ૨૦૧૪માં ૬૩ બેઠકો પર તે લડીને અને છ જીતી હતી. એટલે સ્ટ્રાઇકરેટ ૧૦ % જ હતો. તેમાં અઢી ગણો વધારો થયો છે અને તેના વોટ ૪૨ % વધ્યા છે. વળી, અત્યાર સુધીમાં કૉંગ્રેસને મળેલી આ સૌથી વધુ બેઠકો છે. ૨૦૦૫માં ઝારખંડ વિધાનસભામાં કૉંગ્રેસના નવ, ૨૦૦૯માં ૧૪, ૨૦૧૪માં છ ધારાસભ્યો હતા, એ વધીને ૧૬ થયા છે.

ઝારખંડમાં વિપક્ષી ગઠબંધનની જીત કરતાં બી.જે.પી.ની હારનાં કારણોની માધ્યમોમાં વધુ ચર્ચા થઈ છે. ચૂંટણીપૂર્વેના સઘળા અહેવાલો આ ચૂંટણીને એકતરફી ગણાવતા હતા. ભા.જ.પે. પણ એવી હવા ઊભી કરી હતી. તેનું લક્ષ્ય ૮૧ બેઠકોની વિધાનસભામાં ૬૫+નું હતું. મુખ્યમંત્રી રઘુવર દાસને ન માત્ર મુખ્યમંત્રીપદે રિપીટ કરવાની ઘોષણા કરી પણ તેમને ટિકિટોની વહેંચણીમાં છૂટો દોર આપ્યો. ૨૦૧૪માં ભા.જ.પ.ને ૩૭ બેઠકો મળતાં તેણે પાંચ બેઠકો ધરાવતી ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પાર્ટી સાથે મળીને સરકાર બનાવી હતી. તે પછી મોટા પાયે વિપક્ષી ધારાસભ્યો અને નેતાઓને પક્ષપલટા કરાવી વધુ બહુમતી ઊભી કરી હતી. આ પક્ષપલટુ ધારાસભ્યોને ટિકિટો આપીને મૂળ બી.જે.પી.ના ૧૩ ધારાસભ્યોની ટિકિટો કાપી, પ્રધાનમંડળના વરિષ્ઠ સાથી અને ઇમાનદાર નેતાની છબી ધરાવતા સરયૂ રાયને ટિકિટ ન આપતાં તેમણે અને ભા.જ.પ.ના અન્ય ધારાસભ્યોએ બળવો કર્યો હતો. સરકારમાં સાથીપક્ષને પણ ન ગણકારી એકલા હાથે ચૂંટણી લડ્યા અને હાર પામ્યા. આરંભે બી.જે.પી.નો ચૂંટણીનારો ‘ઘરઘર રઘુવર અને ઝારખંડ પુકારા રઘુવર દોબારા’ હતો, પરંતુ મુખ્યમંત્રી સામેના વિરોધના અણસારા મળી જતાં તે નારો પડતો મુકાયો. વડાપ્રધાન અને પક્ષપ્રમુખની પ્રચારસભાઓમાં મુખ્યમંત્રીને ગેરહાજર રખાયા. રઘુવર દાસના મત – વિસ્તારમાં વડાપ્રધાને સભા કરી છતાં તેમને જિતાડી ન શકાયા. ભા.જ.પ.ના કેન્દ્રીય નેતૃત્વએ કલમ ૩૭૦, તીન તલાક, રામમંદિર અને નાગરિકતા- સંશોધન કાયદાના નામે ધૂમ પ્રચાર કર્યો, પણ લોકોએ ગઠબંધનના સ્થાનિક મુદ્દાઓને જ મહત્ત્વ આપી મતદાન કર્યું. હેમંત સોરેનનું નેતૃત્વ અને તેમના ચૂંટણીમુદ્દા સ્વીકાર્યા. નરેન્દ્ર મોદી અને અમિત શાહે દોઢ ડઝન ચૂંટણીસભાઓ કરી, ચૂંટણીપ્રચારમાં હિંદુત્વવાદી મુદ્દાઓ ઉજાગર કર્યા હતા. તેને ઝારખંડના મતદારોએ જાકારો આપ્યો છે, એટલે આ હાર મોદી અને અમિત શાહની પણ છે. ૮૧ બેઠકોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૧૪ની જેમ ૨૦૧૯માં પણ પાંચ તબક્કામાં કરવી પડી છે. એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઝારખંડને નક્સલવાદથી મુક્ત કર્યાના દાવા પણ જૂઠાણું સાબિત થયા છે.

કૉંગ્રેસે ગઠબંધનધર્મનું દિલથી પાલન કર્યું. લોકસભામાં કૉંગ્રેસને મોટાભાઈની ભૂમિકા સોંપનાર જે.એમ.એમ.ના હેમંત સોરેનના નેતૃત્વને વિધાનસભાની ચૂંટણીમાં સ્વીકાર્યું. પ્રિયંકા ગાંધીએ યુ.પી. બહાર પહેલી વાર ઝારખંડમાં પ્રચાર કર્યો. કૉંગ્રેસપ્રભારી આર.પી.એન. સિંહ અને રાજ્યના કૉંગ્રેસી નેતાઓનું કૉંગ્રેસ હાઈકમાન્ડે સમર્થન કર્યું. એના પરિમાણે મત  અને બેઠકો બંને વધ્યાં છે.

દેશની કુલ વસ્તીમાં ઝારખંડનું વસ્તી પ્રમાણ ૨.૭૨ % છે. દેશની કુલ આબાદીમાં માંડ ત્રણ ટકા વસ્તી અને તેથી અડધા ભાગના મતદારો ધરાવતા રાજ્યની વિધાનસભામાં મળેલો ચૂંટણીપરાજય લોકસભામાં જંગી બહુમતી ધરાવતા ભા.જ.પ. માટે નગણ્ય ગણાવો જોઈએ, પરંતુ ખરેખર એવું છે ખરું ? આ હારની ભા.જ.પ. અને સરકાર પર કોઈ અસર પડશે ખરી ? રાજ્યસભામાં બી.જે.પી.ની બહુમતી નથી. મહત્ત્વના ખરડા માટે તે આંધ્રના જગન રેડ્ડી અને ઉડિસાના નવીન પટનાયક પર આધારિત રહે છે. ઝારખંડમાં પરાજય પછી રાજ્યની ૬ રાજ્યસભા-બેઠકોમાંથી બી.જે.પી.ને એકાદ જ મળવાની છે તે સરકારને થનારું સીધું નુકસાન છે.  ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા, ત્યારે બી.જે.પી. શાસિત રાજ્યો સાત હતાં. તે ૨૦૧૮માં વધીને ૨૧ થયાં હતાં દેશની ૭૨% વસ્તી પર બી.જે.પી.ના નેતૃત્વવાળા એન.ડી.એ. ગઠબંધનની સરકારો હતી. હવે તે ઘટીને  ૧૬ રાજ્યો અને ૪૨ % વસ્તી થઈ છે. છેલ્લાં બે વરસમાં ઝારખંડ સાતમું રાજ્ય છે. જ્યાં ભા.જ.પે. સત્તા ગુમાવી છે. હવે કૉંગ્રેસ અને યુ.પી.એ. શાસિત રાજ્યોની સંખ્યા ૧૩ સુધી પહોંચી છે. આ મોદી અને ભા.જ.પ.ની ઘટતી લોકપ્રિયતા દર્શાવે છે.

ઝારખંડનાં ચૂંટણી-પરિણામો રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોના વધતા દબદબાની રીતે પણ જોવા જેવાં છે. વડાપ્રધાન રાજ્યોના ચૂંટણીપ્રચારમાં ડબલ એંજિનની વાત કરે છે. તેઓ રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષ ભા.જ.પ.ની સરકારની તરફેણ કરે છે અને તેવો પ્રચાર કરે છે, પરંતુ તેમ બનતું નથી અને બી.જે.પી.  રાજ્યોની રાજવટ  ગુમાવી રહી છે. જો રાજ્યોમાં કેન્દ્રના સત્તાપક્ષની કે તેના માનીતા પક્ષની સત્તા ન હોય, તો કેન્દ્રની યોજનાઓનો રાજ્યમાં અમલ થઈ શકતો નથી. વળી, કેન્દ્ર પણ વિપક્ષી સરકારો પ્રત્યે ભેદભાવ રાખે છે. એટલે ન.મો. જેને “ટીમ ઇન્ડિયા કહે છે, તે શક્ય બનતું નથી. આપણા બંધારણના સમવાય માળખામાં કેન્દ્ર અને રાજ્યોની સત્તા,, જવાબદારી અને આવકની વહેંચણી થઈ છે, પરંતુ મજબૂત કેન્દ્રસરકાર તેનો અમલ કરતી નથી અને રાજ્યોને અન્યાય કરે છે.

બી.જે.પી.એ ખાસ કરીને મોદી-શાહે રાજ્યોમાં જનાધાર વિનાના નેતાઓને મુખ્યમંત્રીઓ બનાવ્યા છે. ગુજરાતમાં વિજય રૂપાણી, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર અને ઝારખંડમાં રઘુવર દાસ તેનાં ઉદાહરણ છે. પોતાના ખંડિયા અને વફાદાર મુખ્યમંત્રીઓને પોતાની લોકપ્રિયતા અને ચૂંટણી મૅનેજમેન્ટના જોરે જિતાડી શકાશે, એવી પોતાને અજેય માનતા મોદી-શાહની ગણતરી એક પછી એક રાજ્યોમાં ખોટી પડી રહી છે, તો કૉંગ્રેસે એકલા ચલોની નીતિ ત્યાગી રાજ્યોમાં ગઠબંધન સ્વીકાર્યાં છે, પ્રાદેશિક નેતાઓને આગળ કર્યા છે. રાજ્યના નેતૃત્વ પર વિશ્વાસ અને તેનું દિલી સમર્થન સારાં પરિણામો નિપજાવી શકે છે તે ઝારખંડના જનાદેશથી જણાઈ આવ્યું છે. ૨૦૨૦ના આરંભે દિલ્હી અને અંતે બિહારની ચૂંટણીઓ છે. બી.જે.પી.ની ઝારખંડમાં થયેલી હાર તે રાજ્યોની ચૂંટણીઓ પર પણ અસર પાડશે.

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ.03-05 

Loading

Citizenship Amendment Act and Religious Minorities in South Asia

Ram Puniyani|English Bazaar Patrika - OPED|13 January 2020

In the beginning of January 2020 two very disturbing events were reported from Pakistan. One was the attack on Nankana Sahib, the holy shrine where Sant Guru Nanak was born. While one report said that the place has been desecrated, the other stated that it was a fight between two Muslim groups. Prime Minister of Pakistan Imran Khan condemned the incident and the main accused Imran Chisti was arrested. The matter related to abduction and conversion of a Sikh girl Jagjit Kaur, daughter of Pathi (One who reads Holy Guru Granth Sahib in Gurudwara) of the Gurudwara. In another incident one Sikh youth Ravinder Singh, who was out on shopping for his marriage, was shot dead in Peshawar.

While these condemnable attacks took place on the Sikh minority in Pakistan, BJP was quick enough to jump to state that it is events like this which justify the Citizenship Amendment Act (CAA). Incidentally CAA is the Act which is discriminatory and relates to citizenship with Religion, which is not as per the norms of Indian constitution. There are constant debates and propaganda that population of Hindus has come down drastically in Pakistan and Bangla Desh. Amit Shah, the Home minister stated that in Pakistan the population of Hindus has come down from 23% at the time of partition to 3.7% at present. And in Bangla Desh it has come down from 22% to present 8%.

While not denying the fact that the religious minorities are getting a rough deal in both these countries, the figures which are presented are totally off the mark. These figures don’t take into consideration the painful migrations, which took place at the time of partition and formation of Bangla Desh later. Pakistan census figures tell a different tale. Their first census was held in 1951. As per this census the overall percentage of Non Muslim in Pakistan (East and West together) was 14.2%, of this in West Pakistan (Now Pakistan) it was 3.44 and in Eat Pakistan it was 23.2. In the census held in Pakistan 1998 it became 3.72%. As far as Bangla Desh is concerned the share of Non Muslims has gone down from 23.2 (1951) to 9.6% in 2011.

The largest minority of Pakistan is Ahmadis, (https://minorityrights.org/country/pakistan/) who are close to 4 Million and are not recognised as Muslims in Pakistan. In Bangla Desh the major migrations of Hindus from Bangla Desh took place in the backdrop of Pakistan army’s atrocities in the then East Pakistan.

As far as UN data on refugees in India it went up by 17% between 2016-2019 and largest numbers were from Tibet and Sri Lanka.  (https://www.un.org/en/development/desa/population/migration/publications/

migrationreport/docs/MigrationReport2017_Highlights.pdf)

The state of minorities is in a way the index of strength of democracy. Most South Asian Countries have not been able to sustain democratic values properly. In Pakistan, the Republic began with Jinnah’s classic speech where secularism was to be central credo of Pakistan. This 11th August speech was in a way what the state policy should be, as per which people of all faiths are free to practice their religion. Soon enough the logic of ‘Two Nation theory” and formation of Pakistan, a separate state for Muslim took over. Army stepped in and dictatorship was to reign there intermittently. Democratic elements were suppressed and the worst came when Zia Ul Haq Islamized the state in collusion with Maulanas. The army was already a strong presence in Pakistan. The popular formulation for Pakistan was that it is ruled by three A’s, Army, America and Allah (Mullah).

Bangla Desh had a different trajectory. Its very formation was a nail in the coffin of ‘two nation theory’; that religion can be the basis of a state. Bangla Desh did begin as a secular republic but communal forces and secular forces kept struggling for their dominance and in 1988 it also became Islamic republic. At another level Myanmar, in the grip of military dictatorship, with democratic elements trying to retain their presence is also seeing a hard battle. Democracy or not, the army and Sanghas (Buddhist Sang has) are strong, in Myanmar as well. The most visible result is persecution of Rohingya Muslims.

Similar phenomenon is dominating in Sri Lanka also where Budhhist Sanghas and army have strong say in the political affairs, irrespective of which Government is ruling. Muslim and Christian minorities are a big victim there, while Tamils (Hindus, Christians etc.) suffered the biggest damage as ethnic and religious minorities. India had the best prospect of democracy, pluralism and secularism flourishing here. The secular constitution, the outcome of India’s freedom struggle, the leadership of Gandhi and Nehru did ensure the rooting of democracy and secularism in a strong way.

India so far had best democratic credentials amongst all the south Asian countries. Despite that though the population of minorities rose mainly due to poverty and illiteracy, their overall marginalisation was order of the day, it went on worsening with the rise of communal forces, with communal forces resorting to identity issues, and indulging in propaganda against minorities.

While other South Asian countries should had followed India to focus more on infrastructure and political culture of liberalism, today India is following the footsteps of Pakistan. The retrograde march of India is most visible in the issues which have dominated the political space during last few years. Issues like Ram Temple, Ghar Wapasi, Love Jihad, Beef-Cow are now finding their peak in CAA.

India’s reversal towards a polity with religion’s identity dominating the political scene was nicely presented by the late Pakistani poetess Fahmida Riaz in her poem, Tum bhi Hum Jaise Nikle (You also turned out to be like us). While trying to resist communal forces has been an arduous task, it is becoming more difficult by the day. This phenomenon has been variously called, Fundamentalism, Communalism or religious nationalism among others. Surely it has nothing to do with the religion as practiced by the great Saint and Sufi traditions of India; it resorts mainly to political mobilization by using religion as a tool.

Loading

...102030...2,6382,6392,6402,641...2,6502,6602,670...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved