Opinion Magazine
Number of visits: 9576440
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવજીવન શતાબ્દી વર્ષ

કિરણ કાપુરે|Gandhiana|6 November 2019

વાચકો પાસે આજે માહિતી મેળવવાના અમર્યાદિત વિકલ્પો છે; તે ઇચ્છે તે સ્વરૂપમાં માહિતી મેળવી શકે છે. પણ વિકલ્પોની ભરમાર વચ્ચે જ્યારે વાચક વિશ્વસનીય, તટસ્થ અને તાર્કિક કન્ટેન્ટની શોધ આદરે છે, ત્યારે માહિતીના દરિયામાં તે અસહાય દેખાય છે.

આમ કેમ? તે પ્રશ્નના જવાબ ઘણા હોઈ શકે, પણ તેમાં સૌથી પ્રાથમિક તારણ નિસબત અને દાનતનો અભાવ છે, જેથી કરીને માધ્યમો તળિયે બેસી જવાના આરે દેખાય છે. સમયે-સમયે માધ્યમોની આ દશા થતી રહી છે. અંગ્રેજ શાસન વખતે ય તેની સામે લડનારાં ઘણાં અખબાર-સામયિક હોવા છતાં તે શાસનને હલાવે-ડોલાવે તેવાં અખબાર-સામયિકની ખોટ વર્તાતી હતી. જો કે આ ખોટ પૂરી કરવાનું અને પોતાના દેશવાસીઓ સારુ પોતાની વાત અભિવ્યક્ત કરવાનું એક મંચ नवजीवन બન્યું. મૂળે આ અખબાર ઇન્દુલાલ યાજ્ઞિકનું અને ત્યારે તેનું નામ नवजीवन अने सत्य હતું. ગાંધીજીના તંત્રીપણા હેઠળ તે પ્રકાશિત થવા માંડ્યું ત્યારે તેનું નામ नवजीवन થયું. नवजीवनનો પ્રથમ અંક ૭મી સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ પ્રકાશિત થયો અને પ્રથમ અંકથી જ તેનો અખબારી જગતમાં ધમાકેદાર પ્રવેશ થયો. તેના પહેલા અંકની નકલોની સંખ્યા પાંચ હજારને આંબી ગઈ હતી! કોઈ ગુજરાતી સામયિકને મળેલી આ અદ્વિતીય સફળતા છે. (સો વર્ષ પછી પણ આજે કોઈ સામયિકના પ્રથમ અંકની આટલી નકલો જાય તે દિવાસ્વપ્ન જેવી ઘટના ભાસે છે.)

नवजीवनની આ સફર આરંભાઈ અને જેમ-જેમ ગાંધીજીના સેવાકાર્યનો યજ્ઞ હિંદુસ્તાનમાં વિસ્તરતો ગયો તેમ नवजीवनનાં પાનાં પર દેશની ઐતિહાસિક ઘટના નોંધાતી રહી. नवजीवनની આ ભૂમિકા ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય લેખાય છે. ગાંધીજી હિંદુસ્તાન આવ્યા ત્યાર બાદ તેમનું માતૃભાષામાં વિપુલ જાહેર લખાણ नवजीवन થકી જ મળ્યું છે. આ કાળમાં ગાંધીજીના ઘડાતા-ઘડાયેલા વિચારોનું પ્રતિબિંબ પણ नवजीवन દ્વારા જ ઝિલાયું છે. यंग इन्डिया, नवजीवनના સમાંતરે અંગ્રેજી ભાષામાં આ જ ભૂમિકા ભજવી રહ્યું હતું.

આ અગાઉ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ નિયમિત રીતે इन्डियन ओपिनियन અખબાર ચલાવ્યું હતું, પણ નવજીવન સંસ્થાના અભ્યાસી મણિભાઈ ભ. દેસાઈ નોંધે છે તેમ, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી નિષ્ઠાવાન રાજભક્ત હતા. જ્યારે नवजीवन અને यंग इन्डियाનું સંપાદન હાથમાં લીધું ત્યાર પછી થોડા જ વખતમાં તેઓ એકનિષ્ઠ રાજદ્રોહી બનનાર હતા. હિંદુસ્તાનની ભૂમિ પર ગાંધીજીએ એકસાથે અનેક મોરચે સેવાકાર્યો હાથ ધર્યાં હતાં, તેને અનુલક્ષીને જ તેમણે નવજીવનના ઉદ્દેશમાં જણાવ્યું છે : “નવજીવનની પ્રવૃત્તિ એવી ચાલશે કે જેથી રાજા-પ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય, અવિશ્વાસ મટી વિશ્વાસ થાય, હિંદુ મુસલમાન વચ્ચે અંતઃકરણની એકતા થાય, હિંદુસ્તાન આર્થિક સ્વતંત્રતા મેળવે અને હિંદુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજું કંઈ જોવામાં ન આવે. જગત પ્રેમમય છે. નાશમાંયે ઉત્પત્તિ ભરી છે.”

નવજીવનનો આ ઉદ્દેશનો સાર ત્યાર બાદ પણ તેની બધી જ પ્રવૃત્તિઓમાં રેડાયો છે. પુસ્તકપ્રકાશન ક્ષેત્રે નવજીવનની પ્રવૃત્તિ અનન્ય ઘટના છે, જે અંતર્ગત ગાંધીજી અને તેમના સમકાલીનોનાં પુસ્તકો પ્રકાશિત થયાં. આરંભ અને પછીના સમયમાં નવજીવનને સતત અંગ્રેજ શાસનનું દમન, કાગળની મોંઘવારી અને છાપખાનાની અગવડો રહી, પણ છતાં તેનું કાર્ય વિસ્તરતું ગયું. અને એક સમય એવો આવ્યો જ્યારે ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારની સઘળી જવાબદારી નવજીવનની થઈ. તે સમયનાં મહદંશે ગાંધીજીનાં બધાં જ પુસ્તકો નવજીવન દ્વારા પ્રકાશિત થતાં રહ્યાં. ૧૯૪૦માં તો ગાંધીજીએ પોતાનાં લખાણોના કૉપીરાઇટના તમામ હકોનો વારસો નવજીવનને સોંપ્યો. આમ, નવજીવન આરંભથી લઈને આજ દિન સુધી ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારનું વહન કરી રહ્યું છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત કુલ સોળ ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા નવજીવન પ્રકાશિત કરી ચૂક્યું છે. આ ઉપરાંત, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, જવાહરલાલ નેહરુ, મહાદેવભાઈ દેસાઈ, મેડલિન સ્લૅડ, મણિબહેન પટેલ, સુશીલા નૈય્યર, પ્યારેલાલ સહિત ગાંધી સમકાલીનોનાં પુસ્તકો નવજીવનની મૂડી છે. આઝાદીની લડત અને તે કાળનો અતિ મૂલ્યવાન ઇતિહાસ આમનાં લખાણો થકી સચવાયો છે, જેનું જતન અને નજીવી કિંમતે પ્રચાર-પ્રસાર નવજીવન કરતું આવ્યું છે અને કરતું રહેશે.

નવજીવનની વાત આટલી માંડીને કરી તેનો મુખ્ય ઉદ્દેશ નવજીવનનું શતાબ્દી વર્ષ છે, જેની પૂર્ણાહુતિ ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ થઈ. સમય સાથે નવજીવનનું સેવાકાર્ય વિસ્તર્યું છે અને કેટલાક નવા પ્રકલ્પો સાથે ગાંધીવિચારને નવી પેઢી સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો છે. આ પ્રકલ્પોમાં ‘કર્મકાફે’ અને ‘સ્વત્વ’ અગ્રહરોળમાં છે. તદ્ઉપરાંત ‘સત્ય આર્ટ ગૅલેરી’ દ્વારા પણ ગાંધીવિચારના પ્રસારનું કાર્ય સમયાંતરે થાય છે. નવજીવન પરિસરમાં આવેલો જિતેન્દ્ર દેસાઈ મેમૉરિયલ હૉલ પણ નવજીવનની નવી ઓળખ છે.

ગત વર્ષ ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીનું હતું, તેવી જ રીતે નવજીવનના શતાબ્દીનું પણ હતું. ગાંધીકાર્યની ઉજવણી તો અંતિમજનની ઉન્નતિથી થતી રહી અને તે દિશામાં નવજીવન દ્વારા શતાબ્દી વર્ષ અગાઉ જ સાબરમતી મધ્યસ્થ જેલ સાથે બંદીવાનોના સુધારા કાર્યક્રમ હાથ ધર્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત બંદીવાનો વચ્ચે પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનો કોર્સ, ગાંધીવિચારની પરીક્ષા, કર્મકાફેના આંગણે બંદીવાનોના ભજન, ઇકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવાં જેવાં વિવિધ કાર્યો નવજીવન કરી રહ્યું છે. છેલ્લાં ચાર વર્ષમાં નવજીવન દ્વારા સાબરમતી જેલમાં થયેલાં કાર્યથી આજે બંદીવાનો માટે નવજીવન ભગિની સંસ્થા જેવું સ્થાન ધરાવે છે, જ્યાં તેઓને હરહંમેશ આવકાર મળ્યો છે.

નવજીવનનો ગૌરવભર્યો ઇતિહાસ અને વર્તમાનની ઝલક આપ્યા છતાં તેનાં સઘળાં કાર્યોનો ખ્યાલ આટલા શબ્દોમાં ન આપી શકાય. તે માહિતીની ગરજ તો પુસ્તક જ સારી શકે, જેનો એક પ્રયાસ મણિભાઈ ભ. દેસાઈ દ્વારા થયો છે. ‘નવજીવન વિકાસવાર્તા’ નામના આ પુસ્તકમાં નવજીવન સંસ્થાના આરંભથી લઈને તેના પચાસ વર્ષનો ઘટનાક્રમ નોંધાયો છે.

હવે નવજીવનના શતાબ્દી વર્ષના અનુસંધાને આપના હાથમાં મુકાયેલા આ વિશેષ અંક વિશે. આ અંકમાં નવજીવનમાં આવેલા વિવિધ ચુનંદા લેખોને સામેલ કરવામાં આવ્યા છે. નવજીવનમાં વિષયોની કેવી ભરમાર રહેતી, વિશેષ તો તેનો આ ઉપક્રમ છે. આ લેખો નવજીવનમાં સર્વકાલીન શ્રેષ્ઠ લેખોમાં સ્થાન પામે એ જરૂરી નથી, પણ નવજીવનમાં વિવિધ વિષયો પર કેવાં લખાણો આવતાં, તેની ઝલકમાત્ર છે. તે કાળની રાજકીય ગતિવિધિના લેખો આમાં સામેલ કરવામાં આવ્યા નથી, કારણ કે તેના ફલકનો વિસ્તાર ખૂબ બહોળો છે એટલે તેમાં સ્વતંત્રપણે કોઈ એક લેખ આપી દેવાનું મુનાસિબ લાગ્યું નહીં. આજથી નવ દાયકા અગાઉ સુધીના લેખ હોવાથી તે સમય-સંદર્ભ હોય તે સ્વાભાવિક છે, પણ તેની પ્રસ્તુતતામાં શાશ્વતમૂલ્યની ઝાંખી થાય છે. બલકે કેટલાક લેખોમાં આજનું તાદૃશ્ય વર્ણન પણ ઝિલાય છે. આ ઉપરાંત અંકના આરંભે નવજીવનના ઉદ્દેશ અંગેના ગાંધીજી અને સરદાર પટેલના ક્રમશઃ લેખ અને વક્તવ્ય મૂક્યાં છે. નવજીવનમાં ગાંધીજીનાં પુસ્તકોના પ્રકાશન કાર્યનો એક અહેવાલ રજૂ કર્યો છે. અંતે નવજીવનના શતાબ્દી નવસંસ્કરણ દ્વારા સંસ્થાની સફરની ઝલક મળી રહે છે. આશા છે અમારો આ પ્રયાસ વાચકોને ગમશે.

સૌજન્ય : “नवजीवन નો અક્ષરદેહ”, ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯; પૃ. 264-5

Loading

Capital Punishment

Sandeep Adhwaryu|Opinion - Cartoon|6 November 2019

courtesy : "The Times Of India", 06 November 2019

Loading

દિવાળી આવી અને ગઈ, પણ અંધશ્રદ્ધાનાં અંધારાં ઠેરના ઠેર !

મનીષી જાની|Opinion - Opinion|6 November 2019

દિવાળીમાં ઘર આંગણે દીવડાં એટલે પ્રગટાવીએ છીએ કે અંધારાં દૂર થાય. દીવડાંનાં અજવાળે આશા, ઉમંગ અને ખુશીનો માહોલ ઊભો થાય.

પરંતુ અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે ખુદ ચાર લાખ દીવડાં દીવાળીની રાત્રે પ્રગટાવ્યા. દરેક કોડિયે તેલ-દીવેટના હિસાબે તેનો કુલ ખર્ચો આવ્યો, એક કરોડ ને તેત્રીસ લાખ રૂપિયા ! એટલે કે એક દીવડાનો ખર્ચ 33.25 રૂપિયા !

વાર તહેવારે ઈલેક્ટ્રીક રોશનીઓ કરવામાં આપણા દેશની તમામ સરકારો કોન્ટ્રાકટરોને ઘી કેળાં કરાવતી જ રહે છે, પણ આટલાં બધાં તેલ અને રૂનો બગાડ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનાં મગજમાં ઉતરે એવો છે ખરો ?

અયોધ્યાની આ દિવાળીની ઝગમગતી રાત પૂરી થઈ. છાપાંઓમાં તેનાં ફોટા છપાયા, ટી.વી. ચેનલો પર તેના વીડિયોએ અજવાળું – અજવાળું કરી નાખ્યું પણ આ દીવા બુઝાતા હતા તેની સાથે સાથે જ તે રાતનાં જે દૃશ્યો સોશ્યલ મીડિયા પર દેખાયાં કર્યાં, તે સૌ કોઈ સંવેદનશીલ દર્શકના મનને ઉચાટમાં મૂકનારા બની ગયાં!

આ દૃશ્યોમાં એક વેધક દૃશ્ય એવું દેખાયું જેમાં એક બાળકી આ બુઝાયેલા કોડિયાંઓમાં વધેલું તેલ એક પછી એક કોડિયા હાથમાં લઈ બોટલમાં ભરી રહી છે.

દૃશ્ય જોઈ દિવાળીની ઉજવણીમાં અજવાળાં માટે પ્રગટેલા દીવડાંનું વધેલું તેલ કેટકેટલાં ભૂખ્યા પેટમાં ખોરાકના ભાગ તરીકે ઉપયોગમાં લેવાશે એવો વિચાર તો આપણને સૌને આવે જ. અસ્વચ્છ કોડિયાંઓમાં વધેલું – બળેલું, ખુલ્લામાં પડી રહેલું અને એ ય મોટે ભાગે ભેળસેળયુક્ત આવું દુષિત તેલ પેટની કેટલી ભૂખ ભાંગશે કે આરોગ્ય સાથે ચેડાં કરશે એવો પૂરક વિચાર પણ સૌને આવે તે ય સ્વાભાવિક છે.

સરકાર પોતે જ ખાદ્યતેલના બગાડમાં સામેલ થાય ત્યારે કોણ કોને ફરિયાદ કરે ? – એ ય સવાલ નોંધવો ઘટે.

આ ખાદ્યતેલનો બગાડ તો અક્ષમ્ય કહેવાય જ પણ તેના કરતાં ય વધુ તો આપણા ગુજરાતમાં રાજધાની ગાંધીનગરથી નજીક જ આવેલા રૂપાલ ગામમાં દર વર્ષે નવરાત્રી બાદની રાત્રે લાખો કિલો ઘી-કાદવની નદીઓ ગામની ગલીઓમાં વહેતી જોવા મળે છે.

રૂપાલની પલ્લી દર વર્ષે નીકળે છે. જેમાં ગામના લોકો વિવિધ જાતિ-જ્ઞાતિના ધોરણે પરંપરાગત રીતે નક્કી કરાયેલાં કામો સાથે પલ્લી તૈયાર કરે છે. અને આખા ગામમાં ફરતી માતાજીની આ પલ્લી ગામના દરેક ચાર રસ્તે ઊભી રહે છે જ્યાં લોકો પોતાની માનતા ને શક્તિ મુજબ ઘી તેનાં પર રેડે છે. કોડિયામાં સમાય એટલું ઘી નહીં, પણ આ વર્ષે જ છાપાંઓમાં છપાયેલા અહેવાલો મુજબ 20 કરોડ રૂપિયાનું ઘી પલ્લી પર ચઢાવાયું. મોટા મોટા ટાંકાઓમાં આ ઘી લવાય છે અને કહેવાય છે કે આ ભેળસેળમુક્ત ચોખ્ખું ઘી હોય છે.

આ વર્ષે તો ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન ખાતા દ્વારા ચોખ્ખા ઘીની તપાસ માટે ત્યાં વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. અને ઘી ના નમૂના ચકાસી જે ભેળસેળ વાળું ઘી હતું તેને પલ્લી ના અભિષેક માં થી નાપાસ જાહેર કરવામાં આવ્યું હતું !

રૂપાલની પલ્લી પર અભિષેક થઈ ઢોળાતું ઘી નીચે રસ્તામાં પડે. રસ્તાઓ પર ઘીની ધૂળ, ગંદવાડ સાથેની નદીઓ વહે તે સ્વાભાવિક છે. આ ઘીભર્યા રસ્તે ચાલવું મુશ્કેલ બની જાય એટલે આ અશુદ્ધ ઘીને ભેગું કરી સફાઈ કરવી એ કામ તો છેવટે ગામના સફાઈ કામદારો, વાલ્મીકિ સમાજના પરિવારોને માથે જ રહે છે.

જેવી માતાજીની પલ્લી રસ્તાઓ પરથી પસાર થાય કે તરત ગામના વાલ્મીકિ સમાજના પરિવારો પોતાના વાસણો, ડબ્બા, ડોલ, પીપ લઈ આ ધૂળ સાથે રગડો બની ગયેલા ઘીને ઉસરડીને ભેગું કરે છે. અને આ ઘીને પોતાના ઘરે લઈ જઈ ચૂલા પર ઉકાળે છે અને ગાળીને ફરીથી તેને ખાવા માટે ઉપયોગ કરે છે યા તો બજારમાં વેચી દઈ, પોતાની ઘીમય મજૂરીનાં નાણાં કમાય છે.

અતિ હાસ્યાસ્પદ વાત એ લાગે છે કે સરકારી ખાતું પલ્લીના અભિષેક માટેનું ઘી શુદ્ધ છે કે નહીં તેની તપાસ કરે છે પણ એ જ ઘી રસ્તે ઢોળાય છે, ગંદું થાય છે ને જે ઘી ખાવા યોગ્ય નથી, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે ઘીના નિકાલ માટેનો કોઈ રસ્તો વિચારતું નથી !

આ વાતને આપણે કેવી રીતે જોઈશું ? સરકાર પણ શ્રદ્ધા – અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું કામ જ કરે છે અને તે શ્રદ્ધા – અંધશ્રદ્ધાના રસ્તે અખાદ્ય બની ગયેલા, લોકોનાં સ્વાસ્થ્ય માટે જોખમી શકે તેવા ઘીના નિકાલ માટે ચૂપ રહેવાનું અને વર્ષોથી જે ચીલે ગામને લોકો ચાલ્યા કરે છે તેવા, વર્ણવ્યવસ્થાને મજબૂત કરતા વિધિ વિધાનોને પ્રોત્સાહન આપવાનું કામ જ કરે છે.

હજારો કિલો ઘી ઢોળી નાખવાને લઈ લોકોમાં ક્યારે ય ક્યારે ય ઊહાપોહ અને કાનૂની લડતો થઈ છે પણ વર્ષોથી કોઈ પણ સરકાર આ ઢોળાઇ જતાં, વેડફાતા મોંઘાદાટ ઘીને લઈ કોઈ પગલાં લેતાં જોવા મળી નથી અને સંવેદનહીન બની ચૂપ રહી છે એ ય વાસ્તવિકતા છે.

રૂપાલ ગામના લોકો ઘીનો અભિષેક કરી ઘી ઢોળે છે એમ દીવાળીની આગલી રાત્રે એટલે કે કાળી ચૌદશે ઘરનો કકળાટ કાઢવાના નામે, ઘરમાંથી ભૂત-પલિત કાઢવાના નામે ચાર રસ્તે પાણીનાં કુંડાળા કરી અડદની દાળનાં વડાં અને અન્ય ખાદ્ય પદાર્થો નાંખે છે. આ કોઈ એકલ દોકલ ઘટના નથી પરંતુ ગુજરાતના મોટાભાગના શહેર, નગર, ગામોમાં આ પ્રકારની વિધિઓ થતી, રસ્તાઓમાં વડાં મૂકતાં જોવામાં આવે છે.

ભોજનની વાનગી,ખાવા માટે બનાવેલી વસ્તુઓ કોઈનાં પેટમાં ના જાય અને રસ્તા પર નાખી દેવાનું કામ કરવું એને તે આપણે કેવી ધાર્મિક વિધિ ગણીશું ?

દિવાળી પહેલાં આપણે ઘરની સાફસૂફી કરીએ, વાસણો ચમકાવીએ અને દીવાલો ધોળાવીએ, આંગણાં ચોખ્ખાં કરી રંગોળીઓ કરીએ અને ખાવાની વસ્તુને શેરીની, સોસાયટીની બહાર, ચાર રસ્તે નાખીને ગંદકી ફેલાવીએ,ઉકરડા ઊભા કરીએ; એ તે આપણા સ્વચ્છતાના કેવા ખ્યાલ ?

છેવટે સફાઈ કામદારોનું, શેરી-સોસાયટી વાળનારાઓનું જ કામ આપણે વધારીએ છીએ ને ?

વળી મહત્ત્વની વાત તો એ જ છે કે કહેનારા કહે કે 'ફ્ક્ત ચાર પાંચ વડાં ધાર્મિક વિધિમાં રસ્તે મૂકવામાં શું મોટા વાંધા પડે છે ?'

આમ જોવા જઈએ તો એ મોટી વાત નથી પરંતુ આખા ગુજરાતના શહેર, નગર, ગામોમાં, ઘણાં ઘરોમાંથી રસ્તે ફેંકાતા વડાંનો હિસાબ કરવા જઈએ તો કેટલા હજાર કિલો દાળનાં આ વડાં થાય ? કેટલા હજાર લીટર ખાદ્યતેલ એ વડાં તળવા માટે વપરાતું હશે ? આવા હિસાબનો આંકડો તો ચોંકાવી જ દે. અડદની દાળ તો પૌષ્ટિક છે. જેમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન તો મળે જ છે અને અડદની દાળની કિંમત આજની તારીખે કેટલી ? સાઈઠ – સિત્તેર રૂપિયાના ભાવે વેચાતી દાળમાંથી બનાવેલી હજારો કિલો ખાદ્ય વાનગી ધૂળમાં, ગંદવાડમાં ફેંકી દેવાની ?

પક્ષીઓને ચણ નાખવું કે ગાય-કૂતરાને ભોજન આપવું એ તો ખોરાક કોઈનાં જવાની વાત થઈ પરંતુ ખાદ્ય વાનગીને ધૂળ ભેગી કરવી એ તે કેવી વાત ?

આવાં ધાર્મિક વિધિ વિધાનોને દીમાગના દરવાજા બંધ કરીને અંધશ્રદ્ધાનાં બારી બારણાં ખૂલ્લાં કરીને કરવામાં આવતાં કામ જ ગણવા પડે !

કોઈ કહેશે કે તહેવારોની ખુશાલી-ઉજવણીની પરંપરા છે તેમાં અંધશ્રદ્ધાના નામે પંકચર ના પાડો ! અંધશ્રદ્ધાનાં નામે તહેવારોની વિધિઓ બંધ કરવાની નકારાત્મક વાતો નહીં કરવી જોઈએ .. આવા નકારાત્મક અભિગમને વિચારો ઉત્સવો-તહેવારોના આનંદ-ઉલ્લાસ, મઝાને ખતમ કરી નાંખે છે.

તહેવારોની ઉજવણી-આનંદ-ખુશીને ખતમ કરવા કે તેના પર પ્રતિબંધ મૂકવા માટેના મુદ્દા તરીકે આ વાત હું નથી કરતો.

તહેવારો – ઉત્સવો તો ઉજવાવા જ જોઈએ. એ પછી ધાર્મિક હોય, સામાજિક હોય કે પારિવારિક. ઉત્સવો-તહેવારોની પરંપરા તો સમાજના શ્વાસ-ઉચ્છવાસ જેવા હોય છે. આ તહેવારો જ માણસને સહિયારો આનંદ લૂંટવાનો, મુક્ત મને નાચવા, કૂદવા અને ગાવાનો-અભિવ્યક્તિનો ઉત્સાહજનક ઉમળકો પૂરો પાડે છે.

પણ આપણા જેવા ગરીબ દેશમાં જ્યાં દસ કરોડ જેટલા લોકોને બે ટંક પૂરતું ખાવાનું જ ના મળતું હોય ત્યાં આવો દાળ, ઘી, ખાદ્યતેલ, રૂ-કપાસનો વેડફાટ કેટલો યોગ્ય ને ન્યાયી કહેવાય ?

અત્યારે પાંચ વર્ષથી નીચેનાં બાળકોનાં કુપોષણનો સવાલ દેશ માટે ગંભીર પડકાર રૂપ છે. આપણે પાકિસ્તાન સાથે, આતંકવાદીઓ સામે રોજેરોજ યુદ્ધની વાતો છેડી, સીમા પર લાખો જવાનોને ખડેપગે રાખી, કરોડો-અબજો રૂપિયા ખર્ચી દેશને સલામત રાખવાની વાતો કરીએ છીએ, નેતાઓ આ અંગે રોજેરોજ શૂરાતન ભર્યા ભાષણો કરતાં રહે છે, પરંતુ દેશમાં ભીષણ કુપોષણથી પીડાતાં કરોડો બાળકો છે, સગર્ભા સ્ત્રીઓ છે; તે કુપોષણ સામે યુદ્ધ છેડવાની વાત ઊંચા અવાજે, મોટાપાયે આપણી સરકારો નથી કરી રહી તે ચિંતા નો વિષય છે. અને તેવા સમયે આ ખાદ્યાન્ન ને ખાદ્યતેલ-ઘીનો વેડફાટ જાણે કે એક ભારે સામાજિક ગુનો બની રહે છે એવું સૌ કોઈ ને લાગવું જોઈએ.

ભૂખથી પીડાતા લોકોમાં આપણા દેશનો નંબર સૌથી આગળના દેશોમાં છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો આપણાથી આ બાબતે પાછળ છે.

અને કુપોષિત બાળકો એટલે કે જેમનું વજન, ઊંચાઈ, શારીરિક બાંધો ઉમ્મરના પ્રમાણમાં નબળાં છે. જેને લઈ પોતાના બાળપણની મજા એટલે કે નાચવું, કૂદવું, હસવું, દોડવું, ભણવું, ગાવું એવી બધી પ્રવૃત્તિઓમાં ઉતરી શકે એમ છે અને પ્રતિકાર શક્તિ નબળી હોવાને લઇ જાતભાતના રોગોનો ઝડપથી શિકાર બની શકે એમ છે અને પાંચમી વર્ષગાંઠ ઉજવે એ પહેલાં જ મૃત્યુ પામવાની સંભાવના ધરાવે છે.

આવાં બાળકો માટે ગામેગામ ચાલતી આંગણવાડીઓમાં બાળકોને પોષક આહાર મળે, સગર્ભા સ્ત્રીઓને પોષક આહાર ને પ્રાથમિક શાળાનાં મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક ખોરાક પૂરતાં પ્રમાણમાં મળી રહે તેની તાતી જરૂર છે.

પણ આપણે તો એમાં ય ધાર્મિક લાગણીઓ દુભવવાની વાત કરી, વિવાદ કરી નફરતનું રાજકારણ ખેલવામાં શૂરા છીએ !

હમણાં મધ્યપ્રદેશમાં ફરીથી નિર્ણય લેવાયો કે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાનાં બાળકોને મધ્યાહન ભોજનમાં ઈંડા અપાશે.

દુનિયાભરમાં એ સર્વસ્વીકૃત બાબત છે કે ઈંડાં એ પ્રોટીનથી ભરપૂર છે અને તે બાળકો માટે પોષક આહાર છે.

આપણા દેશમાં મોટાભાગના લોકોના ખોરાકમાં ઈંડાં ખવાતાં રહ્યાં છે.

મધ્યપ્રદેશમાં પાંચ વર્ષથી નીચેના કુપોષિત બાળકોનું પ્રમાણ 43% જેટલું ઊંચું છે. થોડાં વર્ષો પૂર્વે જ્યારે ત્યાં ભા.જ.પ.ની સરકાર હતી ત્યારે બાળકોને આંગણવાડી અને શાળાનાં મધ્યાહન ભોજનમાં ઈંડા આપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ઈંડાં બિનશાકાહારી છે એવો ધાર્મિક વિવાદ ઊભો કરી તે નિર્ણય પર બંધી મૂકાયેલી.

હમણાં ત્યાં કોંગ્રેસની સરકાર આવતાં આ નિર્ણય ફરી લેવાયો છે. પરંતુ વિપક્ષમાં બેઠેલા બી.જે.પી.ના નેતાઓએ તેની સામે હોહા મચાવી છે. બી.જે.પી.ના એક અગ્રણી નેતા અને ભૂતપૂર્વ પ્રધાને તો હમણાં ચાર દિવસ પહેલાં એવું કહી નાખ્યું કે "આજે સરકાર બાળકોને ઈંડાં ખવડાવશે ,કાલે મરઘાં – માંસ ખવડાવશે! અને છેવટે તેને લઈ બાળકો માનવભક્ષી – માણસખાઉં બની જશે ..!"

દેશમાં જ્યારે સિત્તેર ટકાથી વધુ લોકો ઈંડાં, માંસ ,મચ્છી ખાતાં હોય ત્યાં ધાર્મિક લાગણીના નામે માણસખાઉં બની જવાની અંધશ્રદ્ધા ફેલાવનારા રાજકીય નેતાઓને આપણે શું કહીશું ?

દેશની આમજનતાને રોજીરોટી – રોજગારી પૂરી નહીં પાડવી એને સરકારનો મોટો ગુનો ગણવો જોઈએ. દરેક હાથને કામ આપણી સરકારો આપી શકતી નથી એટલે મોટા ભાગની જનતા ગરીબ રહે છે, કુપોષિત રહે છે.

આવી સરકારી નીતિને આપણે 'માણસખાઉં ' ગણીશું કે પછી ઈંડાં ખાનારા ને ?

આ બધાં વિશે વિગતે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 06 નવેમ્બર 2019

Loading

...102030...2,6312,6322,6332,634...2,6402,6502,660...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved