Opinion Magazine
Number of visits: 9664036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુલઝાર – અ મેન ઑફ મેની સિઝન્સ 

સોનલ પરીખ|Opinion - Opinion|2 June 2025

પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગીનું વિશાળ ફલક, સંબંધોના જુદાજુદા ચહેરા, ઝાકળ જેવો નાજુકસુંદર રોમાન્સ, વિરહી હૃદયમાંથી ટપકતું લોહી, ખામોશી, સમજદારી – આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે  

ગુલઝાર

દસેક વર્ષ પહેલાની વાત. ‘જય હો’ માટે ઑસ્કાર એનાયત થયો એ પછીની સવારે ગુલઝારને ત્યાં ફૂલના ગુચ્છાઓનો ઢગલો થયો હતો. 16 મેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને હાથે ગુલઝારને અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ ઍવોર્ડ એનાયત થયો. ફરી ગુલઝારને ત્યાં ફૂલના ગુચ્છાઓનો ઢગલો થયો હશે અને એમણે શાંતિથી, ફરીથી કોઈને એ જ કહ્યું હશે જે એ વખતે મિત્ર અરુણ શેવાટેને કહ્યું હતું, ‘પ્લાસ્ટિક હટા દેના ભાઈ, યે ફૂલ સાંસ નહીં લે સકેંગે …’ ગુલઝારની વાત કરીએ ત્યારે એક પ્રકારની ‘સીલન’નો અનુભવ થયા કરે. સીલન ગુલઝારનો પ્રિય શબ્દ છે જેનો અર્થ થાય છે ભીનાશ. તરબોળ કરતી નહીં, જરા જરા ઝમતી રહેતી ઠંડી ભીનાશને સીલન કહે છે. 

ફિલ્મસૃષ્ટિનું ગ્લૅમર ગુલઝારને હંમેશાં વીંટળાયેલું રહ્યું છે. સંવાદ, પટકથા, ગીતો કે દિગ્દર્શનના રૂપમાં તેમનામાં રહેલી સર્જકતાને ઓળખ મળી છે. ફિલ્મસૃષ્ટિએ તેમને બિરદાવવામાં બાકી નથી રાખ્યું અને તેમના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી, છતાં માધ્યમ તરીકે ફિલ્મોની જે એક મર્યાદા છે તે તેમની સર્જકતાને ક્યાંક નડી તો હશે. તેમણે કહ્યું પણ છે, ‘ફિલ્મ તો એક ઉપશાખા છે. એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે અને ખરું જોતાં તેમાં હું વધારે મુક્ત હોઉં છું, વધારે વ્યક્ત થઈ શકું છું.’ 

ગૈરફિલ્મી ગુલઝારની હસ્તી ફિલ્મી ગુલઝાર કરતાં ઘણી મોટી છે. પાંચ કાવ્યસંગ્રહ, બે વાર્તાસંગ્રહ અને સોળ બાળપુસ્તકો તેમના નામે બોલે છે. ઉપરાંત પણ તેમની અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે. માત્ર વિગત નોંધીએ તો પણ લેખનું ફલક નાનું પડી જાય. એમની ‘મૌત તુ એક કવિતા હૈ’ રચના સાંભળીને કવિતા અને મૃત્યુ બંનેના પ્રેમમાં પડી જનારની સંખ્યા નાની નહીં હોય. ‘લખવામાં શું મળે?’ એ પિતાના યક્ષપ્રશ્નનો જવાબ આપી ન શકનાર સંપૂર્ણસિંહ કાલરા પ્રોગ્રેસીવ રાઇટર બનવાનાં છાનાં સપનાં જોતા ને ગુલઝાર બનતા પહેલા તેઓ આખેઆખા ટાગોર ગટગટાવી ગયા હતા. ‘ટાગોર’ કાવ્યમાં તેઓ લખે છે, ‘એક દેહાતી માથા પર ગોળનું ભીલું લઈને ચાલ્યો જાય છે. સૂરજ તપે છે, ગોળ પીગળે છે, ટપકે છે અને એ ચાટતો જાય છે. સુગંધથી ખેંચાઇ આવેલી એક છત્રી ભિનભિન કરતી સાથે ચાલે છે. છેલ્લી પંક્તિમાં ગુલઝાર સિક્સર મારે છે, ‘મૈં દેહાતી, મેરે સર પે યે ટૈગોર કી ભેલી કિસને રખ દી?’ 

ખેતરમાં બનતા ગોળનો સુંદર સંદર્ભ આ કાવ્યમાં પણ છે, ‘સુબહ સુબહ એક ખ્વાબ કી દસ્તક પર દરવાજે ખોલેં. સરહદ કે ઉસ પાર સે કુછ લોગ આયે થે. આંખો કે માનુસ થે, ચહેરે સુને-સુનાયે થે. હમને તંદૂર પે મક્કી કે કુછ મોટે મોટે રોટ પકાયે, પોટલી મેં મહેમાન મેરે પિછલે સાલોં કા ગુડ લાયે થે ..’ મધુર ચિત્ર પછી વેદનાભર્યો વળાંક આવે છે, ‘સરહદ પર કલ રાત સુના હૈ ચલી હૈ ગોલી, સરહદ પર કલ રાત સુના હૈ કુછ ખ્વાબોં કા ખૂન હુઆ હૈ’ વતન પરના પ્રેમે ગુલઝાર પાસે ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બીછડે ચમન તુઝપે દિલ કુરબાન’ અને ‘યે ફાંસલે તેરી ગલિયોં કે હમસે તય ન હુએ, હઝાર બાર રુકે હમ હઝાર બાર ચલે, ન જાને કૌન સી મિટ્ટી વતન કી મિટ્ટી હૈ, નજર મેં ધૂલ જિગર મેં લિયે ગુબાર ચલે’ જેવી પંક્તિઓ લખાવી છે. 

1963માં બિમલ રૉયની ‘બંદિની’ના ‘મોરા ગોરા રંગ લઇ લે’થી શરૂઆત કરનાર ગુલઝાર 50 વર્ષની કારકિર્દીમાં કવિ, લેખક, પટકથાકાર, સંવાદલેખક અને દિગ્દર્શક તરીકે અસંખ્ય ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા અને તમામને નિજી સ્પર્શ આપ્યો. 2004થી 2014ના દાયકામાં જ એમણે ‘જય હો’, ‘કજરારે’ ને ‘બીડી જલાઈ લે’ જેવા ઍવોર્ડવિનિંગ ટ્રેન્ડી આઇટેમ સોંગ્સ સહિત 30 જેટલી ફિલ્મોનાં ગીતો લખ્યાં હતાં. ગીતકાર તરીકે 11 અને સંવાદો માટે 4 ફિલ્મફેર ઍવોર્ડ મેળવનાર ગુલઝારે અનેક નેશનલ ઍવોર્ડ, એક અકાદમી, એક ગ્રામી, પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે ને હવે જ્ઞાનપીઠ ઍવોર્ડ મેળવ્યા છે. 1999ની ‘હુતુતુ’ નિષ્ફળ ગઈ એ પછી ફિલ્મસર્જનમાંથી નિવૃત્તિ લઇ તેઓ પોતાનું બધું ધ્યાન સર્જનાત્મક લેખન અને દીકરી મેઘનાના પુત્ર સમય પર આપે છે. 

એક કવિ ગુજારા માટે કે પછી જીવનની જુદી જુદી ક્ષિતિજોને સ્પર્શવા માટે કવિતા સિવાયનું બીજું ઘણું બધું કરતો હોય છે, છતાં તેને પોતાની કવિ તરીકેની ઓળખ સૌથી વધારે પસંદ હોય છે. આવું કેમ હશે? કદાચ એટલા માટે કે કવિતા માણસને જીવનના પ્રવાહમાં વહેવાની, તેને સહેવાની, વ્યક્ત થવાની અને બધું ખંખેરી મુક્ત થઈ જવાની તક આપે છે. ગુલઝારને કઈ રીતે ઓળખાવું ગમતું હશે? જવાબ એમની જ એક પંક્તિ આપે છે, ‘હાં, વહી વો અજીબ સા શાયર, રાત મેં ઊઠ કે કોહનિયોં કે બલ, ચાંદ કી ઠોડી કો ચૂમા કરતા હૈ …’ 

શું છુપાયું છે ગુલઝારના શબ્દોમાં? પ્રગાઢ માનવીય સંવેદના, જિંદગીનું વિશાળ ફલક, સંબંધોના જુદાજુદા ચહેરા, ઝાકળ જેવો નાજુકસુંદર રોમાન્સ, વિરહી હૃદયમાંથી ટપકતું લોહી, ખામોશી, સમજદારી. આમ તો આ દરેક સંવેદનશીલ આત્માની સંપત્તિ છે, પણ ગુલઝાર જેને સ્પર્શે તે બધું ખાસ થઈ જાય છે.  

એમની વાર્તાઓ પણ ખાસ છે. એમાંની અમુક આપણે 1993થી 1995 સુધી પ્રગટ થતી ગુલઝાર દિગ્દર્શિત સિરિયલ ‘કિરદાર’માં જોઈ છે. તેનું શીર્ષકગીત જગજિતસિંહે ગાયું હતું. શબ્દો અલબત્ત, ગુલઝારના હતા: કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં, ગયે વક્તોં કી ડ્યોઢી મેં ખડે કુછ યાર મિલતે હૈં; જિસે હમ દિલ કા વીરાના સમઝકર છોડ આયે થે, વહાં ઉજડે હુએ શહરોં કે કુછ આસાર મિલતે હૈં’ – ગુલઝારની વાર્તાઓમાં આ છે: ઉજ્જડ શહેરમાં જ નહીં, વેરાન લાગતા હૃદયમાં છુપાયેલી એક સૃષ્ટિ અને એ સૃષ્ટિના અવશેષોમાં પોતાને શોધતાં પાત્રો ઉર્ફે આપણે સહુ. 

કેવાં કેવાં પાત્રોની બનેલી છે આ સૃષ્ટિ? ‘રાવી પાર’ વાર્તામાં ભાગલાસમયની ઊથલપાથલના આઘાતોથી બાવરો બનેલો દર્શનસિંહ રાવી નદી પાર કરી રહેલી ટ્રેનના છાપરા પરથી મરી ગએલા નવજાત બાળકને બદલે જીવતા બાળકને નદીમાં ફેંકી દે છે. ‘સનસેટ બુલિવાર્ડ’માં અત્યારે જેનો કોઈ ભાવ નથી પૂછતું એ જૂના જમાનાની જાજરમાન હીરોઈન ભવ્ય ભૂતકાળ સાથે નાતો તોડવા તૈયાર નથી. ‘હિસાબકિતાબ’માં માણસ અંગત સંબંધોમાં પણ કેવો ગણતરીબાજ હોઈ શકે તેનું ચિત્રણ છે. ‘હાથ પીલે કર દો’માં મુગ્ધ પ્રેમ અને કૌટુંબિક-સામાજિક મર્યાદાઓના પેઢી દર પેઢી ચાલ્યા આવતા સંઘર્ષનું માર્મિક આલેખન છે. ‘સીમા’માં અતિવ્યસ્ત પતિથી કંટાળી તેના એક મિત્ર સાથે રહેવા ચાલી ગયેલી પત્નીના હાથમાં આવે છે તોડવાથી ન તૂટતા સંબંધો અને પાછું ન ફરી શકવાની મજબૂરી. ‘અદ્ધા’માં એક અડધિયો એટલે કે ઠિંગુજી એક બજારુ જેવી સ્ત્રીના બાળકને અપનાવી નોર્મલ પુરુષ કરતાં ઊંચેરો પુરવાર થાય છે. ‘લેકિન’માં છે એક ભટકતા આત્માની કરુણ સ્થિતિ અને તેને ઉગારતો એક મ્યુઝિયમ ક્યૂરેટર. વાર્તાની શરૂઆત જે વાક્યથી થાય તે જ વાક્યથી તેનો અંત લાવી ગુલઝાર સંવેદનાનું વર્તુળ પૂરું કરતા હોય છે. 

‘નઝ્મ ઉલઝી હુઈ હૈ સીને મેં, મિસરે અટકે હુએ હૈ હોઠો પર, ઊડતે ફિરતે હૈં તિતલિયોં કી તરહ, લબ્ઝ કાગઝ પે બૈઠતે હી નહીં’ કહેતા ગુલઝાર આમ પણ કહે, ‘ન સમંદર નિગલ સકા હૈ ઈસે, ન તવારીખ તોડ પાઇ હૈ, વક્ત કી મૌજ પે બહતા હૈ સદા, આદમી બુલબુલા હૈ પાની કા’ અસ્તુ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 મે  2025

Loading

જયંત નારળીકર : ત્રણ મિનિટમાં ચા પણ બનતી નથી, બ્રહ્માંડ કેવી રીતે બને?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 June 2025

રાજ ગોસ્વામી

તાજેતરમાં, 87 વર્ષની વયે અવસાન પામેલા ખગોળશાસ્ત્રી જયંત વિષ્ણુ નારળીકર જો પશ્ચિમના દેશમાં જન્મ્યા હોત, તો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકના હકદાર જરૂર હોત. ખગોળશાસ્ત્રની આખી દુનિયા એક તરફ બ્રિટિશ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની બિગ બેંગ થિયરીમાં વિશ્વાસ રાખે છે (કે પદાર્થમાં ‘ત્રણ મિનિટ’ના એક મહાવિસ્ફોટ સાથે બ્રહ્માંડનો પ્રારંભ થયો હતો), ત્યારે નારળીકરે તેને નકારીને એક એવી અવસ્થા વાળા બ્રહ્માંડનો પ્રસ્તાવ મુક્યો હતો, જ્યાં પદાર્થની લગાતાર ઉત્પત્તિ થતી રહે છે.

મનુ જોસેફ નામના અંગ્રેજી પત્રકાર અને લેખકને નારળીકરે એકવાર એવું કહ્યું હતું કે ત્રણ મિનિટમાં ચા પણ બનતી નથી, બ્રહ્માંડ કેવી રીતે બને? તેમના મતે, બિગ બેંગ થિયરી લોકપ્રિય થઇ તેનું એક કારણ ઈસાઈ માનસિકતા છે. પોપે આ થિયરીને એટલા માટે સમર્થન આપ્યું હતું કારણ કે તેમાં ઈશ્વરની ભૂમિકા માટે જગ્યા રહેતી હતી; બિગ બેંગ કોણે સર્જ્યું? ભગવાને. 

તેમના પીએચ.ડી. ગાઈડ અને 20મી સદીના પ્રમુખ ખગોળશાસ્ત્રી ફ્રેડ હોઈલ સાથે મળીને નારળીકરે ‘સ્ટેડી-સ્ટેટ થિયરી’નું વૈકલ્પિક મોડેલ રજૂ કર્યું હતું. એક તરફ બિગ બેંગ થિયરી બ્રહ્માંડના એક નિશ્ચિત સમયે પ્રારંભ અને તેના સંભવિત અંતનું અનુમાન કરે છે, હોઈલ અને નારળીકરે એવા પુરાવા ભેગા કર્યા હતા કે બ્રહ્માંડ પહેલેથી જ અસ્તિત્વમાં છે અને એવું જ રહેશે- તે અસીમ છે, ન તો અંત છે, ન તો પ્રારંભ. 

તેમની આત્મકથા ‘માય ટેલ ઓફ ફોર સિટીઝ’માં નારળીકર લખે છે કે, “કલ્પના કરો કે એક બેંક તમને મૂડીરોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજનો એક સ્થિર રેટ ઓફર કરે છે. એ વ્યાજના ઉમેરાથી મૂળ મૂડી નિયમિત વધતી જાય છે. ભ્રહ્માંડ પણ ચક્રવૃદ્ધિ વ્યાજની માફક સતત વધતું રહે છે. કોઇ પણ માણસ તેનું ગમે ત્યારે નિરીક્ષણ કરે, ભ્રહ્માંડ તેને એક સરખું જ નજર આવશે. પણ જે વિસ્તરતું હોય તે ઘટે પણ છે ને! તો આ કેવી રીતે શક્ય છે? કારણ કે ભ્રહ્માંડમાં જે પદાર્થ નષ્ટ થાય તેની જગ્યાએ નવો પદાર્થ પેદા થતો રહે છે.”

યુ.જી. કૃષ્ણમૂર્તિ નામના એક ધુઆંધાર ચિંતકે કંઇક આવું જ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અણુ મરતા નથી. તે નષ્ટ થઈને બીજા કોઈ સ્વરૂપે જીવતા રહે છે. તેનું રીશફલિંગ થાય છે. પૃથ્વી દરેક ચીજ તેનું ખોળિયું બદલતી રહે છે. જ્યારે અણુની જરૂર પડે ત્યારે કોઈક ચીજનું મોત થાય છે.

જયંત નારળીકર

નારળીકરનો જન્મ19 જુલાઈ 1938ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તથા પુણે યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા અને ભારતમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગાણિતિક સંશોધનની પરંપરા શરૂ કરનાર અગ્રણી તરીકે જાણીતા હતા. તેમનાં માતા સુમતિ નારળીકર સંસ્કૃતનાં વિદુષી હતાં. 

નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી 1957માં બી.એસસી. થયા. ત્યારબાદ પિતાને પગલે ગણિત ભણવા માટે કેમ્બ્રિજ ગયા હતા. ત્યાં તેઓ 1959માં રૅંગ્લર થયા અને ખગોળ તેમ જ ભૌતિકશાસ્ત્રમાં સંશોધનનું કામ શરૂ કર્યું હતું. ત્યાં તેમણે 1964માં હોઈલ સાથે મળીને હોઈલ-નારળીકર ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત ઘડ્યો હતો. તેમાંથી જ સ્થાયી બ્રહ્માંડની થિયરી આવી હતી. તે વખતે હોકિંગ તેમના સહપાઠી હતા. 

હોઈલ સાથે સફળ કારકિર્દી પછી નારળીકર ભારતમાં સ્થિર થયા હતા. શરૂઆતમાં તેમણે મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તે પછી, 1989થી તેમણે ખગોળ અને ભૌતિકતાના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે સ્થપાયેલી પુણેની ઇન્ટર-યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે કામ કર્યુ. ત્યાંથી નિવૃત્ત થઈને તેમણે આ ક્ષેત્રમાં જ સંશોધન કરવાનું ચાલુ રાખ્યું હતું.

નારળીકર બીજા વૈજ્ઞાનિકો જેવા ‘બોરિંગ’ નહોતા. ભારતમાં વિજ્ઞાનની વાર્તાને રોચક રીતે કહેવી આસાન નથી. એક તો આપણે ત્યાં બહુમતી લોકો વિજ્ઞાનની જિજ્ઞાસાવાળા નથી અને બીજું આપણી ભાષાની મર્યાદા પણ છે. નારળીકર પોતે બહુ સારા વાચક અને લેખક પણ હતા. એટલે તેમણે વિજ્ઞાનને ભાષા અને સાહિત્યની ભૂમિ પર લાવીને તેનું ‘અનુષ્ઠાન’ કર્યું હતું. તેમણે આમ ભાષામાં સુંદર મરાઠી વિજ્ઞાન કથાઓ લખી છે.

અંગ્રેજીમાં ‘ધ રીટર્ન ઓફ વામન’ તરીકે ઓળખાતી ‘વામન પરત ના આલા’ની વાર્તા માત્ર અનોખી જ નથી, પરંતુ તેની સંરચનાત્મક સુંદરતા પણ અનોખી છે. આ કોઈ વાર્તા નથી, આ એક પ્રતીક છે. અહીં વિજ્ઞાન માત્ર પૃષ્ઠભૂમિ જ નહીં, પણ નાયક બની જાય છે. ‘ટાઇમ મશીન ચી કિમયા’, ‘પ્રેષિત’, ‘યક્ષાંચી દેણગી’, ‘અભ્યારણ’ અને તેમના ચર્ચિત પુસ્તકો ‘વાયરસ’ અને ‘અ ટેલ ઓફ ફોર સિટીઝ’માં તેમની દૃષ્ટિના જુદા જુદા કોણ જોવા મળે છે.

2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત, એ ટેલ ઓફ ફોર સિટીઝ તેમના લેખનનું શિખર હતું. રાજકમલ પ્રકાશન આ પુસ્તકને હિન્દી વાચકો સુધી લઈ ગયું હતું અને એક નવી પેઢીને નારળીકરની અદ્દભુત કલ્પનાથી પરિચિત કરાવી હતી.

ડૉ. નારળીકરનું જીવન વૈજ્ઞાનિક વિચારો, સાહિત્યિક અભિવ્યક્તિ અને માનવીય સંવેદનશીલતાનો સુંદર સંગમ હતું. તેમના લખાણોએ વિજ્ઞાનને સામાન્ય લોકો માટે સુલભ અને રસપ્રદ બનાવ્યું હતું. તેમની વાર્તાઓ માત્ર વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નહોતી પરંતુ તેમાં માનવીય સંવેદનાઓ અને સામાજિક સંદેશાઓ પણ સમાવિષ્ટ હતા. તેનું કારણ તેમની પરવરિશ હતી.

કળા-સંસ્કૃતિ-સાહિત્ય પ્રત્યે તેમનો પ્રેમ નાનપણથી જ વિકસેલો હતો. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર કાશી હિન્દુ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા ત્યારે જયંતની ઉંમર દસેક વર્ષની હતી. તેમના ઘરમાં અલગ અલગ ક્ષેત્રોની વ્યક્તિઓની આવનજાવન રહેતી હતી. એવા એક મહેમાન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ હતા, જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા અને જે તે સમયે યુનિવર્સિટીના કુલપતિ હતા. એકવાર તેઓ ભોજન માટે આવ્યા ત્યારે જયંતે તેમને આદિ શંકરાચાર્યના દસ-શ્લોક વાળો સ્તોત્ર ગાઈને તેમને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”;  01 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રજા અંધારામાં ન રહેવી જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 June 2025

રવીન્દ્ર પારેખ

પ્રજા અત્યારે તો ઓપરેશન સિંદૂરના કેફમાં છે ને સરકાર વિજયી ઉન્માદમાં બિહારની ચૂંટણી જીતવાની પેરવીમાં છે. વિજયી ઉન્માદે એટલું તો સિદ્ધ કરી દીધું છે કે દેશમાં વિપક્ષ તરીકે કાઁગ્રેસ જ સક્રિય છે, બાકીનાને, પોતાની જ ન પડી હોય, ત્યાં દેશની કેટલી પડી હોય તે સમજી શકાય એવું છે. કાઁગ્રેસના વિરોધમાં તથ્ય હોય તો પણ, કેવળ વિરોધ જ તેનું લક્ષ્ય હોય, એ પણ બરાબર નથી. એ સારી વાત છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન વિપક્ષો સહિત સૌ સરકારની સાથે છે, પણ સરકાર પણ પ્રજાની સાથે હોય એય જરૂરી છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરની પાકિસ્તાનને આગોતરી જાણ કરી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કર્યો, તો એનો એમ કહીને બચાવ થયો કે એર સ્ટ્રાઈક પછી હુમલાની જાણ પાકિસ્તાનને કરવામાં આવી હતી, નહીં કે તે પહેલાં ! સવાલ તો એ પણ છે કે પહેલાં કે પછી, દુ:શ્મનને એર સ્ટ્રાઇકની જાણકારી આપવાની જરૂર જ શી હતી? એવો કોઈ કરાર હતો કે દુ:શ્મનને ઓપરેશન સિંદૂરની જાણ કરવી જ પડે? પહેલગામમાં આતંકી હુમલો વરદી આપીને કરવામાં ન આવ્યો હોય તો ભારતે ઓપરેશન સિંદૂરની પહેલાં કે પછી જાણકારી આપવાની જરૂર ન હતી.

એ ખરું કે રાહુલ ગાંધીને સરકારના કોઈ ખુલાસા ગળે ઊતર્યા નથી. તેમણે તો એ રટણ ચાલુ જ રાખ્યું છે કે આગોતરી જાણકારી આપવાને લીધે દુ:શ્મનને સાવધ કરવા જેવું થયું છે ને ભારતે વધુ નુકસાન વેઠવાનું આવ્યું છે. રાહુલ ગાંધીએ એ પણ પૂછ્યું છે કે જાણકારી મળી જવાને કારણે પાકિસ્તાને ભારતના કેટલાં જેટ તોડી પાડ્યાં? જો કે, ચર્ચામાં તો 6 જેટ તોડી પાડ્યાની વાત છે. આટલી ચર્ચા કાઁગ્રેસ કરે છે, પણ તેનાં સમર્થનમાં કે વિરોધમાં અન્ય વિપક્ષોએ કૈં કહેવાનું નથી તેનું આશ્ચર્ય જ છે. એ ખરું કે કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વાત કરે છે, પણ એ તો થાય ત્યારે ખરું.

વારુ, જેટ સંદર્ભે જે વિવાદ ઊભો થયો, તેનો ખુલાસો પણ આવ્યો છે. સિંગાપોરમાં બ્લૂમ બર્ગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ-CDS-અનિલ ચૌહાણને સોંસરું પૂછ્યું છે કે પાકિસ્તાને ભારતીય જેટ તોડી પાડ્યાં છે, એ સાચું છે? એનો જવાબ આપતા CDS ચૌહાણે કહ્યું કે સવાલ એ નથી કે કેટલાં જેટ તૂટ્યાં, સવાલ એ છે કે એ શા માટે તૂટ્યાં ને એમાંથી આપણે શું શીખ્યા? જેટ શા માટે તૂટ્યાં એ મહત્ત્વનું હોય, તો કેટલાં તૂટ્યાં એ પણ મહત્ત્વનું છે જ ! બને કે CDSના હાથ-મોં બંધાયેલાં હોય, પણ સાહેબે એટલું તો સ્વીકાર્યું જ કે ભારતે પોતાની ભૂલો પ્રમાણી છે અને બે જ દિવસમાં તેને સુધારીને લાંબા અંતરથી શત્રુઓનાં મથકો પર નિશાન સાધ્યાં છે. એની પણ કમાલ જ છે કે ચાલુ હુમલાએ આપણે શીખી શકીએ છીએ અને સુધરી પણ શકીએ છીએ, બાકી, યુદ્ધની સ્થિતિ હોય ત્યારે શીખવા-સુધરવાનો અવકાશ કેટલો હોય એ પ્રશ્ન જ છે. CDS ચૌહાણે એટલું તો સ્પષ્ટ કર્યું કે 6 જેટ તોડવાનો પાકિસ્તાનનો દાવો સદંતર ખોટો છે, પણ ખરેખર કેટલાં જેટ તૂટ્યાં તે અંગે સાહેબે ખુલાસો નથી કર્યો, એ પરથી પણ સાહેબ મોકળાશ અનુભવતા નહીં હોય એમ માનવું પડે.

CDS જનરલ અનિલ ચૌહાણે સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી ને ત્યાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે પાકિસ્તાન સાથેના સંબંધો પૂરા થયા છે. પહેલગામમાં થયેલ આતંકી હુમલાએ કેટલીક વાતો વધુ સ્પષ્ટ કરી આપી છે. જેમ કે, 1. કાશ્મીર પર્યટન સ્થળ તરીકે નિર્ભય છે, એ ભ્રમ ભાંગી ગયો. 2. પાકિસ્તાન આતંકીઓને હજી પોષે છે. 3. આતંકવાદી માર્યો જાય છે તો તેની વિધિમાં પાકિસ્તાની નેતાઓ હાજરી આપે છે. 4. પાકિસ્તાનને શસ્ત્રો ચીન પૂરાં પાડે છે. 5. એ જાણવા છતાં કે પાકિસ્તાન એનો ઉપયોગ આતંકીઓને પોષવામાં કરશે, IMF પાકિસ્તાનને મોટી આર્થિક મદદ કરે છે અને 6. ભારતની અનેક મદદ ચાટીને નિર્લજ્જ તુર્કી પાકિસ્તાનને ખોળે જઈ બેઠું છે.

જગત આખું જાણે છે કે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો છે ને તેનો દુનિયામાં ફેલાવો કર્યો છે, છતાં ચીન  જેવા કેટલાક દેશો પાકિસ્તાનને પડખે ઊભા છે અને એ રીતે તેઓ આતંકવાદનું પણ સમર્થન કરે છે. પાકિસ્તાન પોતે પણ જાણે છે કે આજના ભારત સાથે ટકરાવું અનેક રીતે જોખમી છે, એટલે એક યા બીજા દેશને ટેકે તે ભારતને શિંગડા ભરાવે છે. તેની પાસે ભારતને ડરાવવા અણુ ધમકી અને આતંકી પ્રવૃત્તિ છે. એ પણ લાચારી છે કે ભારત તેનો સફાયો કરી શકતું નથી. થોડા આતંકી મથકો તે જરૂર ઉડાવે છે, પણ બીજો હુમલો થાય ત્યાં સુધીમાં બીજા મથકો ને આતંકીઓ તૈયાર થઈ જાય છે. આ યુદ્ધ નથી, પણ યુદ્ધની સ્થિતિ ઊભી કરી આતંકીઓ બાજુ પર ખસી જાય છે અને ભારત-પાક સામસામે આવી જાય છે. વળી યુદ્ધ વિરામ થાય છે ને વળી થોડા વખતમાં આતંકી હુમલાઓ થાય છે ને એમ ચાલ્યા કરે છે. નથી એમાં આતંકી પ્રવૃત્તિઓ અટકતી કે નથી POK (પાકિસ્તાન ઓકયૂપાઈડ કાશ્મીર) હાથમાં આવતું. એમાં પાકિસ્તાન થોડી તોડફોડ સિવાય બહુ ખોટમાં નથી, પણ ભારતનો POK પરત લેવાનો વાયદો વર્ષો પછી પણ પૂરો થતો નથી તે હકીકત છે. આતંકી પ્રવૃત્તિ રોકવાની જાણે પોતાની ફરજ હોય તેમ ભારત તેમાંથી જ ઊંચે નથી આવતું. પાકિસ્તાનને પણ એ મામલે નિરાંત છે કે યુદ્ધ થવાનું નથી ને એર સ્ટ્રાઈકથી આગળ ભારત જવાનું નથી ને જાય તો યુદ્ધ વિરામ કરી-કરાવીને મામલો થાળે પાડી દેવાશે તેની તેને ખાતરી છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે પાકિસ્તાન જેવા નાપાક રાષ્ટ્રને ખતમ કરવા સિવાય ભારત પાસે કોઈ વિકલ્પ ન હોવો જોઈએ. એ ખરું કે યુદ્ધ કદી ઇચ્છનીય નથી, પણ યુદ્ધ જેટલી ખુવારી ભારતે યુદ્ધ વગર ભોગવી હોય ત્યારે યુદ્ધવિરામ કર્યા કરવાનો અર્થ શો છે? સરહદી સૈનિકો યુદ્ધ વગર શહીદ થવા માટે જ છે? આપણી કાયરગતિ સૈનિકોની વીરગતિનું કારણ શું કામ બનવી જોઈએ?

એ રણનીતિનો ભાગ ન હોય તો, આપણા સેનાધિકારીઓ કે CDS સાચું ન કહી શકે એવાં દબાણ હેઠળ ન હોવા જોઈએ. એ હકીકત છે કે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની માહિતી વહેલી કે મોડી મળ્યા પછી, જમ્મુ-કાશ્મીરમાં 8,000 ઘરોને અને શાળાઓને નિશાન બનાવાયાં છે, જેટ 6 નહીં તૂટ્યાં હોય, પણ તૂટ્યાં જ નથી, એવું ખોંખારીને CDS અનિલ ચૌહાણ કહી શક્યા નથી. 12 મેના રોજ એર માર્શલ અવધેશ કુમાર ભારતીને ઓપરેશન સિંદૂર સંદર્ભે પૂછવામાં આવેલું કે રાફેલ પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું કે તોડી પાડવામાં આવ્યું હતું, તો ભારતીએ જવાબ ટાળતાં કહ્યું કે હજી યુદ્ધની સ્થિતિ ચાલુ જ છે, ત્યારે હું આ અંગે કોઈ ટિપ્પણી નહીં કરું. હું કૈં કહીશ તો એની વિપરીત અસર થશે. હું એટલું જ કહી શકું કે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે ને અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત પાછા ફર્યા છે. એનો આનંદ જ હોય કે લક્ષ્ય પ્રાપ્ત થયું ને બધા પાઈલટ્સ પાછા ફર્યા, પણ યુદ્ધની સ્થિતિ સંદર્ભે થતા સવાલો તો ત્યારે જ પુછાય ને ! યુદ્ધની સ્થિતિ ન હોય ત્યારે તો કોણ પૂછવાનું હતું? જો કે, સાહેબની વિપરીત અસરવાળી વાતોમાંથી જવાબ મેળવવાનું બહુ અઘરું નથી.

એ વાતે ભારત જરૂર ગૌરવ લઈ શકે કે સાઇબર અને અવકાશી યુદ્ધમાં સ્વદેશી ટેકનોલોજીએ, વિદેશી કંપનીઓ પર આધાર રાખ્યા વિના ઉત્તમ પરિણામો આપ્યાં છે. ભારતે જરૂરી નેટવર્ક અને રડાર સિસ્ટમ્સ પોતાની ક્ષમતા પર બનાવી ને એ સફળ રહી. CDS ચૌહાણે એ પણ સ્પષ્ટ કર્યું કે ખોટી માહિતી ને અફવાઓ પણ પડકાર બની રહે છે. એ ખરું કે બંને દેશોએ એકબીજા પર સાઇબર હુમલાઓ કર્યા, પરંતુ ભારતની લશ્કરી પદ્ધતિ ઈન્ટરનેટ સાથે જોડાયેલી નથી, તેથી તેઓ સુરક્ષિત રહ્યા. પણ, પરિસ્થિતિ એ છે કે એક તરફ ભારતના લશ્કરી અધિકારીઓ ખૂલીને વાત નથી કરી શકતા અને બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 દિવસમાં આઠ વખત યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કરે છે, તો તેને રોકી શકાતા નથી. તેમના આ દાવાથી છાપ એ ઊભી થાય છે કે ભારત અને પાકિસ્તાનને અમેરિકાના દબાણ હેઠળ યુદ્ધવિરામની ફરજ પડી છે. જો કે, ભારતે સોય ઝાટકીને કહ્યું છે કે યુદ્ધવિરામ બંને દેશોના DGMOની સંમતિથી થયું છે ને તેમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી, તો ટ્રમ્પ શું કામ છાશવારે યુદ્ધવિરામનું શ્રેય લીધે રાખે છે? અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યું હોય તો કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપસે એમ બને. એ અમેરિકાની ચાલ હોઈ શકે છે કે કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન પૂરતો સીમિત ન રાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવો ને જે નિર્ણય આવે તે સ્વીકારવાની ભારતને ફરજ પાડવી. ભારતે, કાશ્મીર મુદ્દે ત્રીજા કોઈ હસ્તક્ષેપને નકારવાની વાત કરી હતી, તેની આ પ્રતિક્રિયા હોઈ શકે છે. ઈચ્છીએ કે ભારતને અમેરિકી મૈત્રી મોંઘી ન પડે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જૂન 2025

Loading

...102030...262263264265...270280290...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved