Opinion Magazine
Number of visits: 9456462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી એટલે શું ?

આશિષ નંદી|Gandhiana|6 February 2025

આશિષ નંદી

સામે બેઠેલી વિદ્યાર્થિનીઓને અને સૌને શરૂમાં જ કહી દઉં કે કોઈ ડાહી ડાહી સલાહો ને સદુપદેશના ખયાલથી નથી આવ્યો. મારે તો તમારી સાથે સંવાદ સાધવો છે. એટલે એ માટે ઉપયોગી થઈ પડે એ રીતે આપણા સમયમાં મને ગાંધી એટલે શું એનો જે અર્થ સમજાય છે તેની થોડી વાત કરીશ. વળી એ પણ શરૂમાં જ કહી દઉં કે સંવાદની આ કોશિશમાં હું ‘મહાત્મા’ કે ‘ગાંધીજી’ નહીં કહેતા ‘ગાંધી’ કહીને જ વાત કરીશ. કોઈને મહાત્માં બનાવી ઊંચે પધરાવતા (ખરું જોતા અભરાઈએ ચડાવી દેવા) અને આ તો ભૈ આપણું કામ નહીં એમ છડા ને છૂટા રહેવું એ આપણી ભારતીય પરંપરા છે. એમાં નહીં ખેંચાતાં હું તો ‘ગાંધી’ની વાત કરીશ જેથી સલામત અંતરનો સવાલ ન રહે.

આજે 30મી જાન્યુઆરી છે. દેશમાં જો કે બીજી ઑક્ટોબરે જાહેર રજાનો અને ઉત્સવનો માહોલ હોય છે. પણ હું 30મી જાન્યુઆરીને બીજી ઑક્ટોબર કરતાં વધુ મહત્ત્વ આપું છું. મારે મતે એ ઉજવણીનો દિવસ છે તે એટલા માટે નહીં કે ગાંધી મરીને અમર થઈ ગયા. એમ તો આપણાં પુરાણોમાં સાત અમર લોકોની વાત આવે જ છે ને − જેમ કે અશ્વત્થામા વગેરે. પણ 30મી જાન્યુઆરીએ ગાંધીએ મૃત્યુ પર વિજય મેળવ્યો. એ મૃત્યંજય થઈ ગયા. જીવતા રહીને ન કરી શક્યા તે મૃત્યુ દ્વારા કર્યું.

તમે જાણો છો કે ગાંધી ગોડસે થકી ગોળીએ દેવાયા હતા. એક રીતે એમની મૃત્યંજય અપીલમાં ગોડસેનો હિસ્સો પણ છે. 30મી જાન્યુઆરીની ઘટના સાથે ગોડસે જાણે કે મૃત્યુંજય ગાંધીનો સાથી (અકૉમ્પ્લિસ) બને છે. કારણ, બંને બે જુદા ભારતની શક્યતાઓ ને સંભાવનાઓ લઈને આપણી સામે અને આપણામાં આવે છે. બે જુદી જ વિશ્વદૃષ્ટિઓ છે. તમે કેવું ભારત ઈચ્છો છો અને કેવું ભારત નથી ઇચ્છતા, એને લગતા આ બે સંવાદો છે એમ પણ કહી શકાય.

અહીં મને કન્નડ લેખક પ્રસન્નની ગાંધી આસપાસની એક રચનાનું સ્મરણ થાય છે. એમાંનું બીજું દરેકે દરેક પાત્ર થોડી થોડી વાર માટે ગોડસે બની જાય છે. એટલે ગાંધી અને ગોડસે બેઉ આપણી અંદર પડેલી સંભાવનાઓ (પોટેન્શયલ વિધિન) છે. તો, ગાંધીએ એક રીતે જે મૃત્યુ વહોરેલું હતું, પોતે ગોળીએ દેવાતા હોય ત્યારે ય રામનામ લેતા હોય એવો મૃત્યુંજયી અભિગમ એમનો હતો. એમના એ પ્રકારના મૃત્યુએ, કહો કે ઈચ્છામૃત્યુએ, જે સમજસંજોગ અને પડકાર સર્જ્યો તે એ કે બેમાંથી કોને બહાર આવવા દેવું તે આપણા હાથમાં છે.

વારુ, તમે જાણો છો કે ગાંધીએ પહેલો સત્યાગ્રહ અહીં નહીં પણ દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર કર્યો હતો − 1906ના સપ્ટેમ્બરની 11મીએ. આ જ તારીખ, નાઈન ઇલેવન, 2001માં અમેરિકાનાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયાં તેની પણ તારીખ છે. આ ઘટના જોડે સાંકળવામાં આવતા લોકો પઠાણ છે, જેમણે લાદેનને રક્ષણ આપ્યું છે. હવે તમે જુઓ કે ગાંધીએ કહ્યું છે કે પઠાણો સ્વાતંત્ર્યસંગ્રામમાં મળેલા શ્રેષ્ઠ સત્યાગ્રહીઓ હતા. બ્રિટિશ શાસને આ પઠાણો ઉપર જુલમ કરવામાં પાછું વળીને તો જોયું જ નહોતું, કેમ કે એમને તો હજુ અફઘાન યુદ્ધનાં સંભારણાં તાજાં હતાં. પણ પઠાણોએ સત્યાગ્રહીની મર્યાદા છોડી નહોતી. આ પઠાણોના નેતા, ગાંધીના મિત્ર, બાદશાહ ખાન હતા, ખાન અબ્દુલગફાર ખાન. ગમે તેમ પણ, પઠાણ અને પઠાણની આ સહોપસ્થિતિ વાટે હું દર્શાવવા એ માગું છું કે મૃત્યંજય ગાંધીએ આપણને કહ્યું કે આપણે પસંદગી કરવાની છે કે શું જોઈએ છે − કોઈ વ્યક્તિ, કોઈ સમુદાય એ ‘ક્લોઝ સિસ્ટમ’ નથી.

ગાંધી ઘટનાને આ રીતે જોઈએ ત્યારે ગાંધી એક ઐતિહાસિક વ્યક્તિ ન રહેતાં આપણામાંની સંભાવના રૂપે સમજાય છે અને એક વ્યક્તિને બદલે વધુ તો સામાજિક અને રાજકીય બળ રૂપે સામે આવે છે. મને સાંભરે છે, એક ચર્ચામાં મારા મિત્ર રામુ ગાંધી (મો.ક. ગાંધીના પૌત્ર ફિલસૂફ રામચંદ્ર ગાંધી) એમના દાદાને આ દેશની સંત પરંપરામાં મૂકીને વાત કરતા ત્યારે કવિ ઉમાશંકર તીવ્રતાથી દરમ્યાન થયા હતા અને એમણે કહ્યું હતું કે સંતો તો આપણે ત્યાં જોઈએ એટલા હતા. આ માણસ તો સમાજ અને જગત સાથે સીધું કામ પાડતો સત્યાગ્રહી અને રાજકારણી હતો. આ ચર્ચાના સંદર્ભમાં મારે તમને કહેવું જોઈએ કે બધા આઈન્સ્ટાઈનની એ અંજલિ પર ભલે વારી જતા હોય કે ભવિષ્યમાં  કોઈ માનશે નહીં કે આવો કોઈ હાડચામનો માણસ આપણી વચ્ચે હતો; પણ મને તો ઇતિહાસાચાર્ય ટોયન્બીની એ મતલબની અંજલિ ગમે છે કે હવે ગાંધીપગલે લોકો પીરપયંગંબરોને પૂછશે કે રાજકારણની ગંદી ચાલોમાં તમે જવા-રહેવા તત્પર છો કે કેમ ?

વ્યાપક રાજકીય નિસબતવાળા આ ગાંધીને બથમાં લેવાની, બાથ ભીડવાની, આત્મસાત્‌ કરવાની આપણી અશક્તિને કારણેસ્તો ગુજરાત સહિત ભારત સમસ્તમાં આજે ગાંધીવિચારનો પ્રભાવ વરતાતો નથી. તમે જુઓ, આજની દુનિયાના ત્રણ જે જીવતાજ્યોત ગાંધીજનો છે (તેઓ એ નામથી ઓળખાતા હોય કે નહીં અને ઓળખાવું પસંદ કરતા હોય કે નહીં) એ તો નેલ્સન મંડેલા, દલાઈ લામા અને ઓંગ સાન સૂ ચી છે, ન કોઈ ભારતીય ન કોઈ હિંદુ ન કોઈ ગુજરાતી.

આ માણસને કોઈ માળખામાં કે પાલખામાં બેસાડવામાં માલ નથી. મારે નવું કશું કહેવાનું નથી, સત્ય અને અહિંસા તો પહાડ જેવાં પુરાણાં (as old as the hills) છે એમ કહેતે એ તમને સીધા સવાલો કરતો આવે છે. રોજ બ રોજ જાતને અને સમાજને પ્રશ્નો કરતી આ મૃત્યુંજયી પ્રતિભા તમને આજના કરતાં જુદું જીવન શક્ય છે કે કેમ તે વિચારવા વિવશ કરે છે.

આ તબક્કે મને પાટનગરી નવી દિલ્હીમાં ચાલતો એક વિવાદ સાંભરે છે કે ઇન્ડિયા ગેટના પેડેસ્ટલ (ઊંચી છત્રી) ઉપરથી પંચમ જ્યોર્જની પ્રતિમા હટાવી છે ત્યાં ગાંધીની મૂકવી જોઈએ. રાજાને સ્થાને આ માણસને બેસાડીને એની અવમાનના કરવાનું તો આપણને જ સૂઝે ! જરા તો વિચારો, આ તે ‘ફાધર ઑફ ધ નેશન’ છે કે ‘સ્ટેપ ફાધર’ ? આવો પ્રશ્ન પૂછું છું. કેમ કે આપણા દિલમાં ક્યાંક ગાંધીના ખૂનીના વિશ્વદર્શન માટે, રાજ્ય ને રાજકારણની એની સમજ માટે, સહાનુભૂતિ પડેલી છે. 

આ સહાનુભૂતિએસ્તો આપણને રાષ્ટૃ-રાજ્યવાદની દોટમાં ઉતાર્યા છે. કથિત સલામતીની શોધે આપણને વધુ ને વધુ બિનસલામતીની ભાવનાથી પીડાતા બનાવી દીધા છે. મોટા મોટા લશ્કરદાર દેશો આજે પોતાને અસુરક્ષિત અનુભવે છે, અને જે 14 દેશોએ લશ્કર સમૂળાં વિખેરી નાખ્યાં છે તે આપણા કરતાં ઓછી બિનસલામતી અનુભવતા હોય એવો ઘાટ છે. આ તો જો કે લાંબી ચર્ચાની બાબત છે, પણ સંવાદ સમેટતાં (અને જગવતાં) એટલું જ કહું કે વિશ્વ, સમાજ અને રાજ્ય પરત્વે જોવાની આપણી રીતિ જુદી હોવી જોઈએ એ મુદ્દો પકડાય તો સમજજો કે આપણે ગાંધીનો પડકાર ઝીલ્યો છે.

[ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે 30મી જાન્યુઆરીએ સવારે પ્રાર્થનામાં જે બોલાયું તેની નોંધમાંથી ટુંકાવીને. નોંધ : પ્રકાશ શાહ, “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2002]
સૌજન્ય : “અકાલ પુરુષ”; વર્ષ-3; અંક-5; જાન્યુઆરી 2025; પૃ. 06-07

Loading

આકાશદર્શન 

નવીન ગાંધી|Gandhiana|5 February 2025

નીચેના ૫ત્ર પરથી બાપુજી આકાશદર્શનમાં કેટલો ઊંડો રસ લઈ રહ્યા છે અને બીજાંઓને પણ એ રસમાં ભાગ લેવા કેવા આકર્ષી રહ્યા છે એનો ખ્યાલ આવશે :

ચિ. રમા,

તારાનો નકશો ઘણે ભાગે આ સાથે હશે. તે ઉપરથી ખબર પડશે.

આઠ વાગે સૂતાં સૂતાં માથા ઉપર પણ જરા પશ્ચિમે ને દક્ષિણે ચાર સુંદર તારા ને તેની વચ્ચે ત્રણ એવું નક્ષત્ર દેખાશે. તેનું નામ મૃગ. એની પૂર્વે ને દક્ષિણે બહુ ચળકતો તારો દેખાશે તે વ્યાધ છે. એને મોટો કૂતરો પણ કહે છે. એની જ લીટીમાં પણ ઉત્તરે નાનો કૂતરો છે, તે ઓછો ચળકે છે. મૃગની ઉત્તરે (આકૃતિ) આવું નક્ષત્ર છે તે મિથુન. તેની ઉપર (આકૃતિ) આવું છે. એને વેલનો અગ્ર ભાગ કહે છે. એમાં એક સુંદર લાલ તારો છે. તેની જ પડખે કૃતિકા નક્ષત્ર છે તે લોલક જેવું ઝગમગે છે. લંકા જેવો તેનો ઘાટ છે. વેલના અગ્ર ભાગની પૂર્વે બ્રહ્મહૃદય છે. આટલું ઓળખો પછી બીજું લખીશ આ તો સહેલું છે. તેમાં જેટલો રસ પૂરીએ તેટલો રસ પૂરાય. પણ આજે તો આટલો જ પૂરાય એમ છે.

26-3-33

બાપુના આશીર્વાદ.

અન્યત્ર બાપુ લખે છે :

આકાશનું સામાન્ય જ્ઞાન મેળવવાની ઊંડે ઊંડે ઈચ્છા તો ઘણી વાર થયેલી, પણ પાસે પડેલી પ્રવૃત્તિ મને એમાં ન ખૂંચવા દે એમ માન લીધું. એ માન્યતા વસ્તુત: ભલે ને ખોટી હોય, પણ મારું મન ભૂલ ન જુએ ત્યાં લગી મને તો તે માન્યતા પ્રતિબંધ કરે જ. 

’31ની સાલના જેલના છેલ્લા માસમાં એકાએક ધગશ થઈ. બાહ્યદૃષ્ટિએ જ્યાં સહેજે ઈશ્વર છે તેનું નિરીક્ષણ હું કેમ ન કરું? પશુની જેમ આંખ માત્ર જુએ, પણ જે જુએ તે વિશાળ દૃશ્ય જ્ઞાનતંતુ લગી ન પહોંચે એ કેવું દયાજનક? ઈશ્વરની મહાન લીલા નીરખવાની આ તક કેમ જવા દેવાય ? આમ આકાશની ઓળખ કરવાની જે તરસ લાગી તે હવે છિપાવી રહ્યો છું, અને એટલે લગી આવ્યો છું કે આશ્રમવાસીઓને મારા મનમાં ઊડતાં તરંગોના ભાગીદાર બનાવ્યા વિના ન જ ચાલે.

આપણને બચપણથી શીખવવામાં આવે છે કે આપણાં શરીર પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ નામનાં પંચમહાભૂતનાં બનેલાં છે. આ બધાં વિશે આપણને કંઈક જ્ઞાન તો હોવું જ જોઈએ. છતાં આ તત્ત્વો વિશે આપણને બહુ ઓછું જ્ઞાન હોય છે. અત્યારે તો આપણે આકાશ વિશે વિચારવાનું છે.

03 ફેબ્રુઆરી 2025

°°°

બાપુ આગળ લખે છે :

આકાશ એટલે અવકાશ. આપણા શરીરમાં અવકાશ ન હોય તો આપણે એક ક્ષણ પણ ન જીવી શકીએ. જેમ શરીરને વિષે તેમ જ જગતને વિષે સમજવું. પૃથ્વી અનંત આકાશથી વીંટળાયેલી છે. પૃથ્વીને છેડા છે. તે નક્કર ગોળો છે. તેની ધરી 7,900 માઈલ લાંબી છે. પણ આકાશ પોલું છે. તેની ધરી માનીએ તો તેને અંત નથી. આ અનંત અવકાશમાં પૃથ્વી એક રજકણસમ છે, ને તે રજકણ ઉપર આપણે તો તે રજકણનું પણ એવું એક તુચ્છ રજકણ છીએ કે તેની ગણતરી જ ન થઈ શકે. આમ શરીરરૂપે આપણે શૂન્ય છીએ એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ કે અલ્પોક્તિ નથી. આપણા શરીરની સાથે સરખાવતાં કીડી-શરીર જેટલું તુચ્છ લાગે છે તેથી હજારોગણું પૃથ્વીની સાથે સરખાવતાં આપણું શરીર તુચ્છ છે. તેનો મોહ શો? તે પડે તો શોક શો?

આ શરીર આમ તુચ્છ હોવા છતાં તેની મોટી કિંમત છે; કેમ કે તે આત્માનું, અને સમજીએ તો પરમાત્માનું – સત્યનારાયણનું – નિવાસસ્થાન છે.

આ વિચાર જો આપણા હૃદયમાં ઘર કરે તો આપણે શરીરને વિકારનું ભાજન બનાવવાનુ ભૂલી જઈએ. પણ જો આકાશની સાથે આપણે ઓતપ્રોત થઈએ અને તેનો મહિમા સમજી આપણી અધિકાધિક તુચ્છતા સમજી લઈએ તો આપણો બધો મદ ઊતરી જાય. આકાશમાં જોવામાં આવતા અસંખ્ય દિવ્ય ગણો ન હોય તો આપણે ન હોઈએ.

ખગોળવેત્તાઓએ ઘણી શોધો કરી છે. છતાં આકાશ વિષેનું આપણું જ્ઞાન નહીંવત્ છે. જેટલું છે તે આ૫ણને સ્પષ્ટ રીતે બતાવે છે કે આકાશમાં સૂર્યનારાયણ એક દિવસને સારુ પણ પોતાની અતંદ્રિત તપશ્ચર્યા બંધ કરે તો આપણો નાશ થાય. તેમ જ ચંદ્ર પોતાનાં શીત કિરણો ખેંચી લે તો પણ આપણા એ જ હાલ થાય. અને અનુમાનથી આપણે કહી શકીએ છીએ કે રાત્રિના આકાશમાં જે અસંખ્ય તારાગણ આપણે જોઈએ છીએ તે બધાને આ જગતને નિભાવવામાં સ્થાન છે. એમ આપણો આ વિશ્વમાં બધા જીવોની સાથે, બધા દેખાવો(દૃશ્યો)ની સાથે બહુ ગાઢ સંબંધ છે, ને એકબીજાના આશ્રયે આપણે ટકીએ છીએ. એટલે આપણે આપણું આશ્રયદાતા-આકાશમાં વિચરતા આ દિવ્યગણો-નો થોડોઘણો પરિચય કરવો જ જોઈએ.

04 ફેબ્રુઆરી 2025

°°°

બાપુ આગળ લખે છે :

“આ પરિચયનું એક વિશેષ કારણ પણ છે. આપણામાં કહેવત છેઃ ‘ડુંગરા દૂરથી રળિયામણા.’ આમાં બહુ તથ્ય છે. જે સૂર્ય આપણે દૂર હોઈએ ને આપણું રક્ષણ કરે છે તે જ સૂર્યની પાસે જઈને આપણે બેસીએ તો તે જ ક્ષણે ભસ્મ થઈ જઈએ. તેમ જ આકાશમા વસતા બીજા ગણોનું છે. આપણી પાસે રહેલી અનેક વસ્તુના ગુણદોષ આપણે જાણતા હોવાથી આપણને કોઈ વેળા કંટાળો આવે, દોષોના સ્પર્શથી આપણે દોષિત પણ થઈએ. આકાશસ્થ દેવગણોના આપણે ગુણો જ જાણીએ છીએ. તેમને નિહાળતાં આપણે થાકતા જ નથી; તેમનો પરિચય આપણને હાનિકર થઈ જ ન શકે; અને આ દેવોનું ધ્યાન ધરતાં આપણી કલ્પનાશક્તિને નીતિ-પોષક વિચારો દ્વારા જેટલે દૂર લઈ જવી હોય તેટલે દૂર લઈ જઈ શકીએ છીએ.

એમાં તો શંકા જ નથી કે આકાશ અને આપણી વચ્ચે જેટલા અંતરાય આપણે મૂકીએ છીએ તેટલે અંશે આપણે શરીરને, મનને અને આત્માને હાનિ પહોંચાડીએ છીએ. આપણે સ્વાભાવિક રીતે રહેતા હોઈએ તો ચોવીસે કલાક આકાશ નીચે જ રહીએ. તેમ ન થઈ શકે તો જેટલો સમય તેમ કરી શકાય તેટલો સમય રહીએ. આકાશદર્શન એટલે કે તારાદર્શન તો રાત્રિના જ થાય. અને વધારે સારામાં સારું તે સૂતાં થઈ શકે છે. એટલે આ દર્શનનો જે પૂરો લાભ ઉઠાવવા માગે તેણે તો સીધા આકાશ નીચે જ સૂવું જોઈએ. આસપાસ ઊંચાં મકાનો કે ઝાડ હોય તો તે વિઘ્ન કરે છે.

બાળકોને અને મોટાને પણ નાટકો અને તેમા થતા દેખાવો બહુ ગમે છે. પણ જે નાટક કુદરતે આપણે સારુ આકાશમાં ગોઠવ્યું છે તેને એકે મનુષ્યકૃત નાટક પહોંચે તેમ નથી. વળી નાટકશાળામાં આંખ બગડે, ફેફસાંમાં મલિન હવા જાય, ને નીતિ બગડવાનો પણ ઘણો સંભવ. આ કુદરતી નાટકમાં તો લાભ જ છે આકાશ નિહાળતાં આંખને શાંતિ થાય છે. આકાશ નિહાળવા બહાર રહેવું જ જોઈએ, તેથી ફેફસાંને શુદ્ધ હવા મળે; ને આકાશ નિહાળતાં નીતિ બગડ્યાનું આજ લગી સાંભળ્યુ નથી. જેમ જેમ આ ઈશ્વરી ચમત્કારનું ધ્યાન ધરીએ તેમ તેમ આત્માનો વિકાસ જ થાય. જેને રોજ મેલા વિચારો, સ્વપ્નાં રાત્રિનાં આવતાં હોય તે બહાર સૂઈ આકાશદર્શનમાં લીન થવાનો પ્રયત્ન કરી જુએ. તેને તુરત નિર્દોષ નિદ્રાનો અનુભવ થશે. આકાશમાં રહેલા ગણો કેમ જાણે ઈશ્વરનુ મૂકસ્તવન કરતા ન હોય, એમ આપણે જ્યારે એ મહાદર્શનમાં ઓતપ્રોત થઈએ ત્યારે (તે સ્તવન) આપણે સાંભળતા જણાઈએ છીએ. જેને આંખ હોય તે આ નિત્યનવો નાચ જુએ. જેને કાન છે તે આ અસંખ્ય ગાંધર્વોનું મૂકગાન સાંભળે.”

05 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 230, 231 તેમ જ 232

Loading

પાપ કોણે કર્યા છે, ઝાકિયા જાફરીએ કે બીજાએ?

રમેશ સવાણી|Opinion - Opinion|5 February 2025

ઝાકિયા જાફરી

પોતાના પતિ સહિત 69 લોકોની સામૂહિક હત્યાઓ માટે ન્યાય મેળવવા સંઘર્ષશીલ ઝાકિયા જાફરીનું અવસાન 1 ફેબ્રુઆરી 2025ના રોજ થયું, તેમની દફનવિધિ થઈ ન હતી ત્યાં ગોદી પત્રકાર / લેખકે કહ્યું કે ‘હાશ, પૃથ્વી પરથી પાપ ઓછું થયું !’

કોઈ પણ ગુનેગારે ગુનો કર્યો છે કે નહીં તે નક્કી કરવા ન્યાયશાસ્ત્ર મુજબ ત્રણ બાબતો જોવાય છે : [1] ગુનો કરતા પહેલાનું વર્તન / ગુનાની તૈયારી. [2] ગુના દરમિયાનનું વર્તન. [3] ગુના પછીનું વર્તન.

28 ફેબ્રુઆરી 2002ના રોજ, અમદાવાદમાં બનેલી કોમી હિંસાને આ રીતે જૂઓ : [1] ગુનો કરતા પહેલાનું વર્તન / ગુનાની તૈયારી : વિક્ટિમની લાશોનું અમદાવાદમાં સરઘસ કાઢી હિન્દુઓને ઉશ્કેર્યા. હિંસા નહીં કરવા મુખ્ય મંત્રીએ અપીલ કરવાનું ટાળ્યું. [2.] ગુના દરમિયાનનું વર્તન : અહેસાન જાફરીએ ફોન કરવા છતાં મદદ ન કરી. [3] ગુના પછીનું વર્તન : ગુનેગારોને છાવર્યા તેમને સજા કરવાને બદલે 2014 પછી મલાઈદાર પોસ્ટિંગ આપ્યા !

SIT-સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યો : [1] Y.C. મોદી. તત્કાલિન IPS અધિકારી, CBI સાથે કામ કર્યું (2002-10) બાદમાં NIA (2017-21) ના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા. [2] કે વેંકટેશમ્‌. તત્કાલિન IPS અધિકારીને નાગપુરમાં પોલીસ કમિશનર (2016-20) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. [3] આર.કે. રાઘવન. IPS અધિકારી કે જેમણે CBI(1999-01)ના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી, 2008માં SITના વડા તરીકે નિમણૂક કરવામાં આવી. તેમને 2017માં સાયપ્રસના ઉચ્ચ કમિશનર તરીકે નિમણૂક કરી. રાજદૂતની જગ્યાઓ સામાન્ય રીતે IFSના સભ્યો માટે આરક્ષિત હોય છે IPS માટે નહીં ! 

અન્ય અધિકારીઓ : 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાંજે હિંસાની શરૂઆત થઈ હતી ત્યારે મુખ્ય મંત્રી મોદીજીના નિવાસસ્થાને મિટિંગ મળી હતી અને મોદીજીએ ‘હિન્દુઓને આક્રોશ વ્યક્ત કરવા દેવો’ તે મતલબની સૂચના આપેલ. તેમાંના કેટલાંક અધિકારીઓને મલાઈદાર પોસ્ટિંગ આપવામાં આવ્યા. 

[1] અશોક નારાયણ  IAS. ગૃહ બાબતોના મુખ્ય સચિવ બાદમાં તેમને 2003માં રાજ્યના તકેદારી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ 2004માં નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા છતાં, 2008 સુધી તેમને 5 એક્સટેન્શન આપ્યા. 

[2] પી.સી. પાંડે IPS. પાંડેને 27 ફેબ્રુઆરી 2002ના રોજની મિટિંગ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે ‘હિંદુ ટોળાને આક્રોશ વ્યક્ત કરવા દેવો તેવું મોદીજીએ કહ્યું ન હતું.’ 2006માં, પાંડેને ગુજરાતના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમને ચૂંટણીપંચે DGPના હોદ્દા પરથી દૂર કર્યા હતા. પરંતુ મોદીજીએ જાન્યુઆરી 2008માં પાંડેને ફરી DGP તરીકે મૂકી દીધા ! તેમની નિવૃત્તિ પછી, 2012 સુધી GPHC-ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. તેમાંથી નિવૃત્ત થયા પછી, તેઓ અદાણી જૂથમાં સુરક્ષા અધિકારી તરીકે જોડાયા. 

[3] કે. નિત્યાનંદમ્‌ IPS. તત્કાલિન ગૃહ સચિવ. તેમણે મોદીની મિટિંગમાં મોદીજીના નિવેદન અંગેના આરોપોને નકારી કાઢ્યા હતા. 2005માં, તેઓ રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા. 2008માં, તેમની GPHCના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી. 

[4] પી.કે. મિશ્રા IAS. 2002માં મુખ્યમંત્રી મોદીના મુખ્ય સચિવ હતા.તેમને 2014માં મોદીના વધારાના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

[5] અનિલ મુકિમ IAS. જેમણે CMOમાં મોદી સાથે નજીકથી કામ કર્યું હતું. 2013માં, તેમને ગુજરાત સરકારના નાણાં વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2016માં, તેમને GSPL – રાજ્યની માલિકીની કુદરતી ગેસ ટ્રાન્સમિશન કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2018માં, તેમને ખાણ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બાદમાં ACS ફાઇનાન્સ તરીકે નિમણૂક કરવામાં આવી. 2020માં તેઓ નિવૃત્ત થવાના હતા પરંતુ તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું. તે પછી તેમને 2021માં 6 મહિનાના વિસ્તરણ સાથે ગુજરાતના મુખ્ય સચિવ બનાવ્યા. 

[6] જી. સુબ્બારાવ IAS. તત્કાલિન મુખ્ય સચિવ. તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને મે 2003થી 6 વર્ષ માટે નિયત કાર્યકાળ સાથે Gujarat Electricity Regulatory Commissionના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. તેમની નિવૃત્તિ પછી GSPCAના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. આક્ષેપ છે કે ‘સુબ્બારાવે નીચેના અધિકારીઓને મોદી સરકારની ગેરકાનૂની નીતિઓને સમર્થન આપવા દબાણ કર્યું હતું. નિર્ણાયક કેસોમાં પુરાવાને નષ્ટ કરવા સૂચનાઓ આપી.’ 

[7] G.C. Raiger IPS. રમખાણોના નિર્ણાયક સમયગાળા દરમિયાન 27મી ફેબ્રુઆરી 2002 થી 9મી એપ્રિલ, 2002 સુધી ADGP – ઇન્ટેલિજન્સ. 2009માં નિવૃત્તિ પછી તેમને લઠ્ઠાકાંડની તપાસપંચમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ADGP ક્રાઈમ તરીકે પણ તેમણે ફેઈક એન્કાઉન્ટરને ઢાંકવા મદદ કરી. તેઓ ADGP ઇન્ટેલિજન્સ હતા છતાં તેમણે નાણાવટી-મહેતા કમિશન સમક્ષ એફિડેવિટ ફાઇલ ન કરી. 

[8] રાકેશ અસ્થાના IPS. એપ્રિલ 2003માં વડોદરા રેન્જના IGPના પદ પર નિમણૂક કરવામાં આવી. ગોધરાની ઘટનામાં કાવતરું ઘૂસાડ્યું. તેથી તેમને વડોદરા શહેરના તથા સુરત શહેરના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા. તેમને CBIમાં મૂક્યા. ત્યાં વિવાદ કર્યો. 2021માં, તેમને નિવૃત્તિ મહિને જ દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા.

નાણાવટી-મહેતા કમિશન : જી.ટી. નાણાવટી નિવૃત્ત હાઈકોર્ટ જજ. હુલ્લડોની તપાસ માટેના કમિશનના અધ્યક્ષ તરીકે નિમ્યા. 3 વર્ષ પછી 2005માં, તેમના પુત્ર એડવોકેટ મૌલિક નાણાવટીને ગુજરાતના વધારાના સરકારી વકીલ (AAP) તરીકે નિયુક્ત કર્યા.

IPS ગીથા જોહરી. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની (2006) તપાસ CBIએ હાથમાં લીધી, તે પહેલાં આ કેસની દેખરેખ તેમણે રાખી હતી, રેકોર્ડ સાથે ચેડાં કર્યા. 2017માં  તેણીને ગુજરાતના DGP-પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. નિવૃત્તિ પછી, તે કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં જોડાયાં. કેડિલા કંપની રાજીવ આઈ. મોદીની છે. 

જ્યાં રાજ્યના IAS/ IPS અધિકારીઓ તથા કોર્ટના ન્યાયાધીશો જ પોતાની બંધારણીય ફરજ ન બજાવે તો ઝાકિયા જાફરીને ન્યાય મળે? SIT-સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા આર.કે. રાઘવને તપાસમાં ઢાંકોઢૂંબો કર્યો હોય ત્યાં મોદીજીને ક્લીન ચિટ જ મળે ને? ગુજરાતના પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર કહે છે કે SITએ ‘સત્ય પર ઢાંકપિછોડો કર્યો.’ એટલે જ આર.કે. રાઘવનને 2017માં સાયપ્રસના ઉચ્ચ કમિશનર તરીકે મૂક્યા હશે ને? ન્યાયાધીશોને ગુના પહેલાનું / ગુના દરમિયાનનું અને ગુના પછીનું વર્તન કેમ દેખાયું નહીં હોય? સૌથી મોટો સવાલ એ છે કે પાપ કોણે કર્યા છે, ઝાકિયા જાફરીએ કે બીજાએ?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...260261262263...270280290...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved