Opinion Magazine
Number of visits: 9682897
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિશાને સંવિધાનઃ ભ્રમ અને વાસ્તવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 February 2020

બંધારણની સફળતા-નિષ્ફળતાનો આધાર તેનો અમલ કરનાર કેવા છે તેના પરથી જ કરી શકાશે તેવી કસોટીએ જ બંધારણની સફળતા મૂલવી શકાશે.

ઓક્સર્ફ્ડ યુનિવર્સિટી પ્રેસે ૨૦૧૯ના વરસના સૌથી ચર્ચાસ્પદ શબ્દ તરીકે ‘સંવિધાન’ની પસંદગી કરી છે. સંવિધાન શબ્દે ગયા વરસે વ્યાપક સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ૩૭૦મી કલમની નાબૂદીથી જ સંવિધાન શબ્દ જનમાનસમાં વ્યાપી ગયો છે. સંવિધાનની કસોટીએ લોકતંત્ર, બિનસાંપ્રદાયિકતા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં મૂલ્યોની પરખ થઈ રહી છે. નાગરિકતા સંશોધન કાનૂન વિરોધી આંદોલનોમાં ભારતના બંધારણનો અને તેના કાવ્યમય આમુખનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. તેથી બંધારણ જડ કાયદાપોથી મટી લોકવિરોધ અને લોકમિજાજનું પ્રતીક બની ગયું છે. દેશમાં જમણેરી બળો બળવત્તર બની રહ્યાં છે ત્યારથી કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો અને નાગરિક ચળવળો સંવિધાન તેમના નિશાના પર હોવાનું કહે છે.

ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ બંધારણ સમીક્ષાના નામે બંધારણ બદલી નાંખવાનો ગુપ્ત એજન્ડાનો, પક્ષની રાજકીય-સાંસ્કૃતિક વિચારધારાને અનુરૂપ ફેરફરોનો અને વર્તમાન સંસદીય લોકશાહીને બદલે પ્રમુખ પદ્ધતિનું શાસન દાખલ કરવાનો પ્રચાર લાંબા સમયથી થતો રહ્યો છે. ‘બંધારણ બચાવો’ની આ બૂમરાણ કોઈ રાજકીય પ્રચારબાજી જ માત્ર છે કે તેમાં કોઈ તથ્ય પણ છે તે જાણવાનો એક પ્રયાસ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પક્ષના સિદ્ધાંતકોવિદ લાલકૃષ્ણ અડવાણીની આત્મકથાના વાચનની સાખે કરવા જેવો છે. એકાદ દાયકા પૂર્વે લખાયેલી દળદાર, વિગત અને સંદર્ભખચિત એવી અડવાણીની આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઈફ’નો ગુજરાતી અનુવાદ તાજેતરમાં જ સુલભ થયો છે. ૮૪૦ પૃષ્ઠોની આત્મકથાના ખંડ-૫ના ચોથા પ્રકરણ ‘ભારતીય બંધારણની કાર્ય સમીક્ષા’માં અડવાણીએ, ‘બંધારણ સમીક્ષા સમિતિની રચનાનો વિચાર મૂળભૂત રીતે મારો હતો’, એવા દાવા સાથે લખ્યું છે કે ‘શપથગ્રહણ(૧૩મી ઓક્ટોબર, ૧૯૯૯)ના પંદર દિવસની અંદર જ વાજપેયી સરકારે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કરાયેલું એક વચન પૂરું કર્યું. એ વચન હતું બંધારણની સમીક્ષા કરવા માટે એક રાષ્ટ્રીય પંચની રચના કરવી.’ (પૃષ્ઠ-૫૨૫) ભારતીય બંધારણના સુવર્ણજયંતી વરસે રચાયેલા આ પંચનો ઉદ્દેશ બંધારણના અમલના પચાસ વરસના અનુભવોની સમીક્ષા કરી ભવિષ્યના પડકારો મુજબના સંશોધનનો હતો. એ સમયે પ્રવર્તતી રાજકીય અસ્થિરતાને કારણે તેને રોકવાના ઉપાયો ચીંધવા, અવિશ્વાસ પ્રસ્તાવના સ્થાને રચનાત્મક વિશ્વાસ મતની વ્યવસ્થા વિચારવી અને સોનિયા ગાંધીના વિદેશી મૂળને ધ્યાનમાં લઈને વિદેશમાં જન્મેલી વ્યક્તિ ભારતના વડાપ્રધાન થઈ શકે કે કેમ તે અંગેની ભલામણનો પણ હેતુ હતો.

લગભગ બે દાયકા પૂર્વે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ વેંકટ ચૈલ્લેયાહના અધ્યક્ષસ્થાને રચાયેલા બંધારણ સમીક્ષા પંચના સભ્યોમાં ત્રણ નિવૃત્ત ન્યાયાધીશો (બી.જી. જીવન રેડ્ડી, કે. પુનૈયા અને આર.એસ. સરકારિયા,) બે કાયદાવિદ્ ( કે.પારાશરન અને સોલી સોરાબજી), બંધારણવિદ્ (સુભાષ કશ્યપ), પત્રકાર (સી.આર. ઈરાની), પૂર્વ રાજદૂત (આબિદ હુસૈન) પૂર્વ લોકસભા સ્પીકર (પી.એ. સંગમા) અને સાંસદ તથા મહાત્મા ગાંધીનાં પૌત્રી સુમિત્રા કુલકર્ણીની નિમણૂક કરવામાં આવી હતી. ૨૨ પરામર્શ પત્રો, દેશભરમાંથી મળેલાં ૨૬ હજાર સૂચનો અને ૧૦ નિષ્ણાત જૂથો દ્વારા પંચે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. પંચની રચના સામે વિરોધ વંટોળ ઊઠતાં સરકારને વિષયક્ષેત્ર સીમિત કરવાની ફરજ પડી હતી. સંસદીય લોકતંત્રની મર્યાદામાં રહીને, બંધારણના મૂળભૂત સ્વરૂપ કે વિશિષ્ટતાને હાનિ પહોંચાડ્યા વિના જ બે વરસ પછી ૧૧મી માર્ચ, ૨૦૦૨ના રોજ ૨૪૯ ભલામણો સાથેનો અહેવાલ પંચે સરકારને સુપરત કર્યો હતો.

કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળ માળખામાં ફેરફર કરવાનો સંસદને પણ અધિકાર નથી તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. અનુચ્છેદ ૩૬૮ હેઠળ સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે, સમીક્ષા નહીં તે હકીકતથી વાકેફ બંધારણ સમીક્ષા પંચના અધ્યક્ષ જસ્ટિસ વેંકટ ચૈલ્લેયાહે કાર્યવાહીના આરંભે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે “પંચનું કામ બંધારણના કામકાજની સમીક્ષા કરવાનું છે. તેના પુનર્લેખનનું નથી.” પંચે જે ભલામણો કરી હતી તેનાથી સરકારને પોતાનો ઈરાદો બર આવતો ન લાગતાં તેણે અહેવાલ અભરાઈએ ચડાવી દીધો. પંચે કરેલી ભલામણોનો જો અમલ કરવો હોય તો ૫૮ બંધારણ સુધારા, ૮૬ કાયદામાં સુધારા અને ૧૦૫ વહીવટી સુધારા કરવા પડે તેમ હતા, પરંતુ તે માટે, તત્કાલીન એન.ડી.એ. સરકાર પાસે ન તો બહુમતી હતી કે ન તો રાજકીય ઈચ્છાશક્તિ. વ્યાપક ચૂંટણી સુધારાની ભલામણો છતાં પંચે, ઉમેદવારોને ચૂંટણી માટે સરકારી ફ્ંડ આપવા કોઈ ભલામણ ન કરી, તેને ‘નિરાશાજનક’ લેખી, તો વિદેશી મૂળના નાગરિકોના મુદ્દે રાષ્ટ્રીય વિમર્શની આવશ્યકતાના પંચના વલણને ‘પલાયનવાદી’ ગણી આત્મકથામાં અડવાણી વખોડે છે.(પૃષ્ઠ-૫૩૦).

બંધારણ સમીક્ષાપંચની અનેક દુરોગામી ભલામણો અને કટુ આલોચનાનો બે દાયકે પણ અમલ થઈ શક્યો નથી. યુ.પી.એ. સરકારે માહિતીનો અધિકાર અને શિક્ષણના અધિકારના જે કાયદા ઘડ્યા તેની ભલામણ મૂળે તો પંચના રિપોર્ટમાં હતી. મૂળભૂત અધિકારોમાં નવા મૂળભૂત અધિકારો સામેલ કરવા સંદર્ભે પંચે જન્મ અને જાતિના આધારે રાજકીય અને અન્ય વિચારધારા તથા સંપત્તિના આધારે ભેદ કરી શકાશે નહીં તથા સ્વતંત્રતાના અધિકારમાં પ્રેસની આઝાદી અને માહિતીના અધિકારને સામેલ કરવાની ભલામણ કરી હતી. અદાલતી અવમાનના કેસમાં બચાવની તક, નિર્દયતાપૂર્વક, અમાનવીય અને હીન વ્યવહાર કરવામાં આવે તો જીવન કે દૈહિક સ્વતંત્રતાથી વંચિત વ્યક્તિને પ્રતિકારનો હક, પાંચ વરસમાં રોજગારના તમામ અવસર ઉપલબ્ધ કરાવવાની રાજ્યની બાંયધરી, મતદાન અને કર ચુકવણીની નાગરિકની ફરજ, કોઈપણ વિધેયકને રાજ્યપાલ ૬ મહિનામાં અને રાષ્ટ્રપ્રમુખનો પરામર્શ જરૂરી હોય તો વધારાના ૩ મહિનામાં મંજૂરી આપવી, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતીનાં સંતાનને શિક્ષણ અને નોકરીમાં અડધો ટકો અનામત, જ્ઞાતિમુક્ત થનાર વ્યક્તિને ખાસ સવલતોની પણ પંચની ભલામણ હતી.

બી.જે.પી.એ જ નહીં પૂર્વેની કૉન્ગ્રેસ સરકારોએ પણ બંધારણ સમીક્ષાના પ્રયાસો કર્યા હતા. ૧૯૫૧, ૧૯૫૪, ૧૯૬૭, ૧૯૭૬ અને ૧૯૮૦માં થયેલા બંધારણ સુધારા આ પ્રકારના જ હતા. કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધીએ કરેલો બેતાળીસમો બંધારણ સુધારો તો બંધારણના મૂળમાં ઘા કરનારો હતો. આ સુધારા દ્વારા જ આમુખમાં બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ અને અખંડતા જેવા શબ્દો ઉમેરાયા, મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી અને લોકસભા અને વિધાનગૃહોની મુદ્દત વધારાઈ હતી, તે પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ૪૩ અને ૪૪મા બંધારણ સુધારા મારફ્ત ૪૨મા સુધારાની ઘણી બાબતો રદ્દ કરી હતી. ભા.જ.પે. ૧૯૯૯ની ચૂંટણીઓ પછી તેના ચૂંટણીઢંઢેરાઓમાંથી બંધારણ સમીક્ષાનો મુદ્દો પડતો મૂક્યો અને વર્તમાન કેન્દ્ર સરકાર ‘બંધારણ દિવસ’ મનાવે છે છતાં તેની સામેનો બંધારણ વિરોધીનો પ્રચાર ઓસરતો નથી. બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે બંધારણની સફ્ળતાનો આધાર તેનો અમલ કરનાર પર રહેલો છે, તેમ કહ્યું હતું તે કસોટીએ જ બંધારણની સફ્ળતા મૂલવવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 26 ફેબ્રુઆરી 2020

Loading

શાંતિદૂત ભારતની શસ્ત્રોના વેપારમાં આગેકૂચ!

કિરણ કાપૂરે|Opinion - Opinion|26 February 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગન લઈને નિશાન તાકતી એક તસવીર હાલમાં વાઇરલ થઈ છે. આ તસવીર લખનઉમાં યોજાયેલા ‘ડિફેન્સ એક્સ્પો’ની છે. ભાગ્યે જ ભારતના કોઈ વડા પ્રધાનની આવી તસવીર જોવા મળી હશે. વડા પ્રધાનની જેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને ઉત્તર પ્રદેશના આદિત્યનાથ યોગીએ પણ હાથમાં ગન લઈને ફોટોશૂટ કરાવ્યું. શસ્ત્રો સાથે આટલું સહજ થવાનું ઊંચા પદે બિરાજેલા ભારતીય રાજકીય નેતાઓએ ટાળ્યું છે. પણ સમય સાથે આગેવાનો અને દેશની નીતિ બદલાઈ છે. ‘ડિફેન્સ એક્સ્પો’ દેશમાં 1981થી થાય છે, પણ ડિફેન્સ એક્સપર્ટના સ્થાને રાજકારણીઓ મોટા પ્રમાણમાં દેખાય તેવું પ્રથમવાર બન્યું છે. 

શસ્ત્રોના વેપારમાં દેશની આગેકૂચ સર્વસ્વીકાર્ય છે, કારણ કે સંરક્ષણની બાબતમાં ભારત નબળા દેશ તરીકે પેશ આવતું રહ્યું છે. આક્રમક મોડ પર આપણો દેશ દેખાયો નથી. વર્તમાન સરકાર દેશની છબિ તેવી રાખવા માંગતી નથી. હરહંમેશ દેશ સશક્ત અને સલામત રહે, તેવું સરકાર પુરવાર કરવા માગે છે. ‘ડિફેન્સ એક્સ્પો’માં વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં આ વાત દોહરાવી હતી અને કહ્યું હતું કે, “આપણી અગાઉની નીતિ અને રાજનીતિ વિદેશી શસ્ત્રો ખરીદવા માટેની હતી, જે કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરનારો દેશ બન્યો છે. હવે ઉદ્દેશ વૈશ્વિક સ્તરે શસ્ત્રો નિર્યાત કરીને રોજગારીની તકો સર્જવાની અને અર્થતંત્રને ઉપર લાવવાનું છે.”

શસ્ત્રોના નિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ડિફેન્સ સાધનોનો નિકાસનો આંકડો 2,000 કરોડથી 17,000 કરોડ સુધી પહોંચાડ્યો છે. આવનારાં પાંચ વર્ષમાં તેને 35,000 કરોડ સુધી લઈ જવાનો ઇરાદો વર્તમાન સરકાર ધરાવે છે.

સરકારે આ માટે ખાનગી રોકાણકારોનો માર્ગ મોકળો કરી આપ્યો છે. અગાઉની સરકારે લીધેલા નિર્ણયો પણ બદલ્યા છે. જેમ કે, ‘પી-75(1)’ પ્રોજેક્ટ અંતર્ગત 50,000 કરોડમાં છ સબમરીન વિદેશની અલગ-અલગ કંપનીઓ પાસેથી ખરીદવાનું યુ.પી.એ. સરકારે ઠરાવ્યું હતું. એન.ડી.એ. સરકારે આ નિર્ણયને ફેરવી કાઢ્યો છે. તેના સ્થાને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ અને ભારત સરકારની ‘મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ને આ કામ સોંપ્યું છે. સબમરીનનો આ કિસ્સો સંરક્ષણ ક્ષેત્રે સરકાર કેમ પ્રવેશવા માગે છે, તેનો આદર્શ દાખલો છે.

સરકારનો દાવો એક બાજુ સંરક્ષણ ક્ષેત્રે ઊંચાઈ પર પહોંચાડવાનો છે, ખાનગી રોકાણકારો માટે આ ક્ષેત્ર ખોલવાનો છે, અર્થતંત્રમાં તેનો સંરક્ષણ ક્ષેત્રનો હિસ્સો વધારવાનો છે, રોજગારી વધારીને મસમોટા ડિફેન્સ કોરીડોર સ્થાપવાનો છે. પણ જ્યારે આ પૂરી કસરતના લાભ તળના સૈનિકોને મળે છે કે નહીં તે તપાસીએ ત્યારે તેનો જવાબ શંકાના દાયરામાં આવે છે.

હાલમાં સંસદમાં મૂકવામાં આવેલા ‘ધ કમ્પ્રટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા’(કેગ)ના રિપોર્ટ અનુસાર સિયાચીનમાં તૈનાત જવાનો અપૂરતા સંસાધનો વચ્ચે કામ કરે છે. સિયાચીન અને લદાખ જેવાં ક્ષેત્રોમાં સૈનિકોએ વિષમ સ્થિતિમાં ફરજ બજાવે છે. અહીંયા સ્નો ગોગલ્સ અને વિશેષ પ્રકારના બૂટ જોઈએ. ‘કેગ’ના રિપોર્ટ મુજબ બૂટ, ગોગલ્સ સહિતની પ્રાથમિક સુવિધા સૈનિકોને મળી નથી! જે સ્લિપીંગ્સ બેગ્સ મળી છે તેની પણ ગુણવત્તા યોગ્ય જણાઈ નથી.

‘કેગ’ દ્વારા સૈન્ય ક્ષેત્રમાં થઈ રહેલાં અનેક ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધાઈ છે; જેમાં મરો અંતે સૈનિકોનો છે. કારગીલ યુદ્ધ પછી ‘ઇન્ડિયન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી’ની સ્થાપના કરવાનો ઉદ્દેશ હતો, જે અનુસંધાને દેશની સુરક્ષાની નબળી કડી પર કામ કરવાનું હતું, પણ તે પ્રોજેક્ટ અધ્ધરતાલ છે. સંરક્ષણ ક્ષેત્રના પાયાના કામો અને સૈનિકોને મળવી જોઈએ તેવી સુવિધામાં ધાંધિયા હોય ત્યારે નિકાસના દાવા પર સવાલ ખડા થાય છે.

શસ્ત્રોનો ધંધો ધિકતો છે. તેમાં નફો માતબર છે. ભારત અત્યાર સુધી શસ્ત્રોનું નિર્યાત કરતું રહ્યું છે, પણ તેમાં ક્યારે ય બિઝનેસ ઉદ્દેશ દેખાતો નથી. છેલ્લાં પચ્ચીસ વર્ષનો રેકોર્ડ જોઈએ તો 1995થી લઈને 2000 સુધી શસ્ત્રના વેપારમાં ભારત તરફથી જરાસરખો પણ વધારો થયો નથી. 2000થી 2005 સુધી પણ આ વેપારનો આંકડો વધ્યો નહોતો. પરંતુ ત્યાર બાદના પાંચ વર્ષ (2006-2010) સુધીમાં શસ્ત્રના વેપારમાં વધારો જોવા મળ્યો હતો. ફરી 2011થી લઈને 2014 સુધી આ વેપારમાં કોઈ વધારો નહોતો. 2014માં એન.ડી.એ. સરકાર આવ્યા બાદ વડા પ્રધાને જાતે આમાં રસ લઈને શસ્ત્રોનો બિઝનેસને વધાર્યો છે. છ વર્ષમાં વર્ષવાર શસ્ત્રોના બિઝનેસમાં ભારત આગળ વધી રહ્યું છે.

જો કે અહીંયા એ નોંધવું રહ્યું કે જે ઇરાદા-દાવા શસ્ત્ર વેપારમાં વડાપ્રધાન રાખે છે, તેની સત્યતા તપાસીએ ત્યારે આ ઇરાદા-દાવા પોકળ થવાની શક્યતા વધુ છે. વર્તમાન જમાનો અત્યાધુનિક શસ્ત્રોનો છે. તેમાં પણ અમેરિકા-ચીન-રશિયા જેવાં આ બિઝનેસના પાક્કા ખેલાડી તેમાં રોજબરોજ સંશોધન કરીને નવાં-નવા શસ્ત્રો લાવે છે. આની સામે સરકારી માળખાંની મદદ લઈને વિશ્વમાં વેપાર કરવાનું કામ પડકારભર્યું છે. એક હદ સુધી સફળતા મળે, પણ તેમાં આપણા દેશે સતત ટકી રહેવું નિષ્ણાતોને અશક્ય લાગે છે.

અશક્ય લાગવાનું એક મહત્ત્વનું કારણ દેશ માટે શસ્ત્ર બનાવનારી કંપની ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન’(ડી.આર.ડી.ઓ.)ની મર્યાદા છે. 2008માં તેની મર્યાદા શું છે તે જાણવા માટે એક એક્સર્ટનલ કમિટિ પણ રચવામાં આવી હતી. આ કમિટિ અંતર્ગત ‘ડી.આર.ડી.ઓ.’ના માળખાની ખામી શોધવાનું કામ થયું હતું. આ રિપોર્ટમાં બહાર આવેલી વિગત ગંભીર હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ડી.આર.ડી.ઓ.’નો મુખ્ય પ્રશ્ન એચ.આર. મેનેજમેન્ટનો છે. આ ઉપરાંત, ‘ડી.આર.ડી.ઓ.’માં ઇજનેર સંબંધિત ક્ષેત્રમાં પીએચ.ડી કર્યું હોય તેવાં વિજ્ઞાનીઓની ટકાવારી માત્ર ત્રણ ટકા છે! બાકીના સાઠ ટકા સ્ટાફ માત્ર સ્નાતક-અનુસ્નાતક થયેલો છે. ‘ડી.આર.ડી.ઓ.’માં સાધનોની પણ કમી છે.  રિપોર્ટમાં ‘ડી.આર.ડી.ઓ.’ની તમામ વિભાગમાં મર્યાદા દર્શાવવામાં આવી હતી અને વ્યાવસાયિક વલણ અંગે સૌથી વધુ નબળાઈ રિપોર્ટમાં આલેખવામાં આવી હતી. આ તમામ મર્યાદા આજે પણ લાગુ પડે છે. આ માળખાંમાં કોઈ ટારગેટ મૂકવામાં આવે તો તે સર થવો અશક્ય છે.

અંતે વાત શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં તે અંગેની. આપણો દેશ અત્યાર સુધી શાંતિદૂત બનીને વિશ્વમાં ઊભર્યો છે. વિશ્વશાંતિનો સંદેશ ભારતની ભૂમિ પરથી પ્રસર્યો છે તેવો દાવો આપણે કરીએ છીએ. સપ્ટેમ્બર, 2019માં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જે ભાષણ આપ્યું હતું તેમાં પણ ‘અમે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે’ તે વાત કરી હતી. આ ભાષણમાં વડાપ્રધાને ગાંધીજીની 150 જન્મ જયંતીના ઉજવણી ભારત જોરશોરથી કરી રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. સાથે અમે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે તે વાત મક્કમપણે રજૂ કરી હતી.

આખું ચિત્ર જોઈએ તો તેમાં ક્યાં ય શાંતિના સિદ્ધાંત કે શસ્ત્રોના વેપાર એ બંને બાબતોમાં સરકારની કોઈ પ્રતિબદ્ધતા દેખાતી નથી. જો આ રીતે શાંતિ અને વેપારના દાવા કરી નાંખવામાં આવે છે તો પ્રજા માટે તે ચેતવા જેવી સ્થિતિ છે.

e.mail : kirankapure@gmail.com

પ્રગટ : ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2020

Loading

ભલા, તેં આ શું કર્યું ?

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|26 February 2020

ગુજરાતીના એક અવ્વલ સાહિત્યકાર ઉમાશંકર જોશીની એક કવિતા હમણાં હમણાં સતત સાંભર્યા કરે છે :

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
                              તેં શું કર્યું ?

અમારે ત્યાં 31 જાન્યુઆરી 2020ના મધરાત પહેલાં, છેવટે, બ્રેક્સિટની અધિકૃતતા સ્થપાઈને રહી. એટલે જ પૂછવાનું મન થાય : ‘દેશ તો યુરોપીય સંઘ મુક્ત થઈ ગયો, … તેં શું કર્યું ?’ કવિ જનતાને, નાગરિકને સવાલે છે; એમ યુનાઇટેડ કિંગ્ડમની રૈયતની સામે ય અહીં સવાલ ખડો છે : ‘ભલા, તેં આ શું કર્યું ?’

courtesy : Paresh Nath, The Khaleej Times, UAE, October 2019

વખતની વક્રોક્તિ જોવા જેવી છે : બીજા વિશ્વયુદ્ધના છેવટના દિવસોમાં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન, કન્સર્વેટિવ પક્ષના વિન્સ્ટન ચર્ચિલ તેમ જ એમના નાયબ વડા પ્રધાન લેબર પક્ષના ક્લેમન્ટ એટલીએ યુરોપ પ્રવાસ વેળા જે કામગીરી કરેલી તેને પ્રતાપે યુરોપના દેશોનો સંઘ હળુ હળુ રચી શકાયો હતો. ફરી વાર નેપોલિયન બોનાપાર્ટ કે પછી એડોલ્ફ હિટલરનો સામનો કરવાનો સૌને ન થાય તે સારુ 1946 વેળા વિન્સ્ટન ચર્ચિલે ભારે અગત્યનું એક પ્રવચન યુરોપમાં આપેલું, તેની યાદ “ઇન્ડિપેન્ડન્ટ” દૈનિકના એક સહાયક તંત્રી, શૉન ઓ’ગ્રાડીએ એક લેખમાળામાં ય આપી છે. ચર્ચિલે આ પ્રવચનમાં યુરોપીય એકતાનો નકશો કંડારી આપેલો.

વારુ, સન 1951માં ‘ટૃીટી ઑવ્‌ રોમ’ થઈ. બીજા વિશ્વયુદ્ધ બાદ, અસ્તવ્યસ્ત થયેલા યુરોપના દેશોનું અર્થતંત્ર પાટે ચડે તે માટે તેની રચના કરવામાં આવી હતી. 1956માં ‘યુરોપીયન એકોનોમિક્સ કમ્યુનિટીનો આદર કરવાની શરૂઆતી થઈ. યુરોપના માંહેમાંહે લડતા ઝગડતા દેશો આમ એક પંગતે બેસેઊઠે, એનું પાકું એક મંડાણ થયું. ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ચાર્લ્સ દ’ગોલ જો કે વીટો વાપરતા રહી, યુનાઇટેડ કિંગ્ડમનો સાથોસાથ પાટલો પડે તે અટકાવતા રહેલા ! યુરોપના બીજા દેશો, દરમિયાન, સંઘમાં જોડાતા ગયા. પણ આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમનો વારો છેક 01 જાન્યુઆરી 1973ના, બાવીસ વરસને ઓવારે, આવ્યો. તે વખતે બ્રિટનમાં એડવર્ડ હીથના વડપણવાળી કન્સર્વેટિવ સરકાર હતી. સંસદમાં ઠરાવ મુકાયો તે વેળા લેબર પક્ષમાં તડા હતા. નેતા હેરલ્ડ વિલ્સને તેમ જ એમના નાયબ નેતા જિમ કેલેહાને ઠરાવની વિરુદ્ધ મતદાન કરેલું. ઑક્ટોબર 1974માં સાર્વત્રિક ચૂંટણી થઈ અને હેરલ્ડ વિલ્સનના વડપણમાં લેબર પક્ષ વિજયી થયો. પાતળી બહુમતી હોવા છતાં, 1975માં યુરોપીય મજિયારી બજારના ટેકામાં લોકમત લેવાનું ઠરાવાયું. હેરલ્ડ વિલ્સન, જિમ કેલેહાને પણ લોકમતની તરફેણે મન મૂકીને કામ કર્યું અને દેશે લેબર સરકારને યુરોપીય મજિયારી બજારમાં પ્રવેશ માટે 67 ટકાની બહુમતી આપી.

માર્ગરેટ થેચર, ફેબ્રુઆરી 1975 વેળા, બહુમતીએ કન્સર્વેટિવ પક્ષના નેતાપદે એડવર્ડ હીથને પરાસ્ત કરીને ચૂંટાયાં. હળુ હળુ પક્ષને ઉદારમત સામે જમણેરી વળાંક આપવાનો થેચરે આરંભ કર્યો. 1979માં ચૂંટણી આવી અને એ બહુમતીએ વડાપ્રધાન થયાં. એમણે પોતાના કાર્યકાળ દરમિયાન પક્ષને, દેશને નક્કરપણે જમણેરી વળાંક આપ્યો. લોકભોગ્ય ઉચ્ચારણો અને કાર્યપદ્ધતિથી શાસન ચલાવ્યું. પણ યુરોપ મુદ્દે તે યુરોપતરફી રહ્યાં. એમનાં પછી, જ્હોન મેજર વડાપ્રધાન થયા અને કન્સર્વેટિવ પક્ષનો સંસદમાં ટેકો યુરોપ તરફે જ રહ્યો. 1993 વેળા માસ્ટૃિક કરાર થયા. મજિયારી બજારને સંઘમાં પરિવર્તિત કરવામાં આવી. 1997 પછી ટૉની બ્લેરની આગેવાનીમાં લેબર સરકાર અસ્તિત્વમાં આવી. ટૉની બ્લેર પછી એમના નાણામંત્રી ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન થયા અને એમના જ વખત-ગાળામાં, 2009માં લિસબન કરાર કરવામાં આવતા, યુરોપીયન યુનિયનની રચના કરવાનું ઠેરવાયું.

વડા પ્રધાન બ્રાઉનના શાસનકાળમાં યુરોપીય સંઘ નામે અહીંતહીં ગોકીરો થયા કરતો. અને આવો ગોકીરો કન્સર્વેટિવ પક્ષમાં ઝાઝેરો અને લેબર પક્ષમાં નહીંવત દેખાતો. એની વચ્ચે ગોર્ડન બ્રાઉને ચૂંટણી માટેની જાહેરાત કરી. તેમના પક્ષને ધારી બહુમતી સાંપડી નહીં. આમ સભામાં ડેવિડ કેમરુનના વડપણ હેઠળના કન્સર્વેટિવ પક્ષને ગૂંજે બહુમતી સાંપડ્યા વિના ઝાઝેરાં સાંસદોનો જુમલો હતો. તેમ છતાં આમ સભામાં બહુમત ન હોઈ, લિબરલ ડેમોક્રેટ પક્ષ સાથે વાટાઘાટ કરી સંયુક્ત સરકારની રચના કરાઈ. બ્રિટન માટેના ફાયદારૂપ સુધારાઓ મેળવવા ડેવિડ કેમરુને યુરોપીય સંઘ સાથે વાટાઘાટ આદરી. બીજી પાસ, કન્સર્વેટિવ પક્ષમાં યુરોપમાંથી ફારતગી લેવાની તરફદારી વધતી ચાલી હતી. આમ સભામાં વરસો જૂનાં આવાં સાંસદો ઉપરાંત બીજાં અનેકોનું ઊમેરણ થયું હતું. આ કોયડાનો કાયમી ઊકેલ લાવવા માટે લોકમત લેવાનું આથી વડા પ્રધાન વિચારતા રહ્યા. તેમની નજર તેમના પક્ષનાં સાંસદોને સારુ ટાઢા પાડવાનો હોય તેમ લાગતું હતું. પ્રધાનમંડળમાંના તેમના બે વરિષ્ટ સાથીદારો કેમેરુનને વારતા રહ્યા. લિબરલ ડેમોક્રેટ તો પાયાગત આ વિચારની વિરુદ્ધમાં હતા. અને છતાં, વડા પ્રધાને 2016માં જુગાર ખેલવા ચોપાટ માંડી. ડેવિડ કેમેરુન ખુદ પોતે યુરોપમાં સામેલ રહેવાના મતમાં હતા અને તેમને ખાતરી હતી કે લોકમતમાં તે જીતશે. પણ, તેમ બન્યું નહીં. આશરે 52% લોકોએ ફારગત થવાને મત આપ્યા. સંબંધ જારી રાખવાની ટકાવારી સામી બાજુ ઝાઝી છેટી નહોતી, તેનો આંક આશરે 48% જેવડો રહેલો. ડેવિડ કેમેરુને વડાપ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું અને તેને સ્થાને ટરિઝા મે આવ્યાં.

યુરોપીય સંઘ સાથે અનેક જાતની, અનેક સ્તરે વાટાઘાટ બેઠકો યોજાતી રહી. ટરિઝા મે ‘બ્રેક્સિટ’ માટેની યોજના પણ મેળવી આવ્યાં. પરંતુ આમ સભામાં તેમની સરકારને બહુમતી ટેકો હતો નહીં. અઢી વરસ ઉપરાંતનો સમય વેડફાતો રહ્યો. તેમના કન્સર્વેટિવ પક્ષમાં ચરુ ઊકળતો રહ્યો. અને છેવટે પક્ષે તેમને દૂર કર્યાં અને તેને ઠેકાણે બોરિસ જોનસનને લાવ્યા. સાર્વત્રિક ચૂંટણી લેવાઈ અને મોટી બહુમતીએ તે અને તેમનો પક્ષ ચૂંટાયો. અને આમ સભાએ બ્રેક્સિટ અંગેની બોરિસ જોનસન મેળવી લાવેલી યોજનાને બહાલ રાખી અને હવે 01 ફેબ્રુઆરી 2020થી યુનાઇટેડ કિંગ્ડમ યુરોપીય સંઘથી ફારગત થયું. ફરી વાર તે ટાપુ દેશ તરીકે ‘આઝાદ’ થયું.

courtesy : CHAPPATTE, International New York Times

પણ હવે શું ?

આ દેશના એક વરિષ્ટ સમીક્ષક, વિશ્લેષક અને લેખક સ્ટીવ રિચર્ડ્‌સે હાલ એક મજેદાર પુસ્તક – ‘ધ પ્રાઈમ મિનિસ્ટર્સ’ આપ્યું છે. હેરલ્ડ વિલ્સનથી માંડીને ટેરિઝા મે લગીનાં દરેક વડા પ્રધાન અંગે વિગતે આલોચક સમીક્ષા આપી છે. ઉપસંહારમાં, સ્ટીવ રિચર્ડ્‌સ કહે છે : યુનાઇટેડ કિંગ્ડમમાં એક અરસાથી આગેવાનની સરિયામ ખોટ વર્તાય છે. ચોમેર લોકરંજનવાદી જમણેરી વિચારધારાની અસર વર્તાતી હોય, વૈષ્વિક બજારુ અર્થતંત્રને લીધે અસીમ અસલામતી અનુભવાતી હોય તેમ બ્રેક્સિટને કારણે ક્યારે ય અંત આવી ન શકે તેવી દેખીતી ધડાકાભડાકા કરતી માગણીઓ સતત વિંઝાતી રહેતી હોય, તેવે સમે લોક સાથે સંવાદ રચીને આગેવાની આપી શકાય તેમ વર્તાતું ન હોય, પક્ષોને કાબૂમાં રાખી શકાતા ન હોય, આમ જનતાને ફાયદામંદ બને તેવી નીતિરીતિ અમલમાં ન હોય, તેથી ભારે વિમાસણ પેદા થાય. એકાદી ટેલિવિઝન મુલાકાતમાં જરાતરા રંગ જમાવાયો હોય અને પછી જોડાજોડ ટ્વીટર, વૉટ્સએપ તેમ જ સોશિયમ મીડિયાના ઓજારોથી સંતોષના ઘૂંટડા લેવાતા રહ્યા હોય, તેવા, આવા આગેવાનને થાય છે કે, લાવ, હું ય વડા પ્રધાન થઉં. પણ વડા પ્રધાન પદ પાસે આજે ઝાઝેરી અપેક્ષા બંધાઈ છે, અને સામે માપને સારુ ગજ સતત ટૂંકો જ પડતો અનુભવીએ છીએ.

એક સમે રાજકારણને સમર્પિત રાજકારણીઓ ચોમેર હતા. આજે નિગમિક ક્ષેત્ર(કોરપોરેટ સેક્ટર)માં રચ્યાપચ્યા ખેલંદા ય આંટોફેરો કરી જાય છે, જેમને છેવાડાના માણસ જોડે કોઈ અનુસંધાન હોય તેમ લાગતું નથી. 1979 પછી જેમ માર્ગરેટ થેચરે રાજકારણની, તેમ દેશસમાજની કાયાપલટ કરી નાંખેલી, તેમ વડા પ્રઘાન પદે નહીં પહોંચવા છતાં 2015થી લેબર પક્ષમાં જે લોકશાહીનો પવન ફૂંકાતો થયો અને લેબર પક્ષને યુરોપનો સૌથી મોટો પક્ષ બનાવવાનો તેનો કાયમી યશ જેર્‌મી કોરબિનને ફાળે સતત બોલતો રહેવાનો છે.

આવી આવી પરિસ્થિતિઓની પછીતે યુરોપીય સંઘમાંથી બ્રિટનની ફારગતીની આ વેળાને જોવાતપાસવાની છે.

સાંપ્રત વડા પ્રધાન બોરિસ જોનસનની કાબેલિયત, તેમનું વ્યક્તિત્વ પણ સરાણે રહેવાનું છે. પહેલી નજરે તે મોઢે ચડાવેલું બાળક હોય અને તેનો ઉછેર તેની હાજી હાજીમાં થયો હોય તેમ વર્તાય છે. પત્રકાર બોરિસ જોનસને વિન્સટન ચર્ચિલની એક મજેદાર જીવનકથા, નામે – ‘ ધ ચર્ચિલ ફેક્ટર હાઉ વન મેન મેઇડ હિસ્ટૃી’ આપી છે. સપનાં તો ચર્ચિલને પગલે ચાલવાના તે જૂએ છે. પણ લોર્ડ નૉર્થે એક દા તેમના અખબાર “ડેયલી ટેલિગ્રાફ”માં પત્રકારુ કરતા બોરિસભાઈ વિશે કહેલું તે સાંભરે છે : તેનો સ્વભાવ શિયાળ શો છે ! તેની કામ કરવાની ઢબછબ પણ લહેરીલાલાને સારા કહેવડાવે તેવી છે. અને તેથી ધાર્યું કરાવવાની ધૂનમાં પ્રધાનમંડળમાં તાજેતરે જે ફેરફારો કર્યા, જે રસમોને કામ લગાડાઈ તેનાથી તે ખુદ વિરોધ, અલગ વિચારસરણીનો સ્વીકાર કરે તેમ લાગતું નથી.

ડેવિડ કેમરુન સામે કન્સર્વેટિવ પક્ષને સાંચવી લેવાનો સવાલ હતો અને તે વેળા યુનાઇટેડ કિંગ્ડમ ઇન્ડિપેન્ડન્ટ પક્ષને મલાઈલાભ મળી ન જાય તેની ચિંતા હતી. ચોમેર છવાયેલા, એક રોચક વક્તા તેમ જ ઉમરાઉ સમાજની ચાડી ખાતા હોય તેવા નાઇજલ ફરાજને દાબમાં રાખવાની કેમેરુનને ચિંતા હતી. બોરિસ જોનસન સામે નાઇજલ ફરાજ તો રહ્યા છે, પણ આ ફેરે તે ‘બ્રેક્સિટ પક્ષ’ને નામે ગરબે ઘૂમતા હતા. આ બન્ને પક્ષોનું વજન તો ભારે ઓસરી ગયું છે, પણ નાઇજલ ફરાજનો તોખાર તેવો જ તાજાતર અને હણહણતો દેખાય છે.

ટૉની બ્લેર વડાપ્રધાન હતા તે સમયે વેલ્સ તેમ જ સ્કૉટલૅન્ડને પ્રાંતીય સ્વરાજની જોગવાઈ અપાઈ. વેલ્સમાં લેબર શાસન ચાલુ છે, પણ સ્કૉટલૅન્ડમાં લેબરના મૂળિયાંનું ધોવાણ થયું છે અને ત્યાંની રાષ્ટૃવાદી પક્ષની બોલબાલા વધી છે. તે સ્કૉટિશ નેશનાલિસ્ટ પક્ષનું શાસન એક અરસાથી ત્યાં છે. અને તે પક્ષ, તેનાં સંચાલકો અને સ્કૉટલૅન્ડનો બહુ મોટો પ્રજાજન યુરોપ જોડે રહેવાનું જ માને છે. પરિણામે સ્કૉટલૅન્ડમાં આઝાદીની હવા ફૂંકાતી રહી છે. એક વખતના લોકમતમાં સ્કૉટિશ લોકો નહીંવત મતે જ આઝાદી મેળવી શક્યા નહોતા. ફરી વખત આ નાદ સતત વીંઝાતો રહ્યો છે. વારેપરબે સ્થાનિક શાસક પક્ષ તેની રજૂઆત સંસદમાં અને અન્યત્ર કરે જ છે.

બીજી પેરે, ઉત્તર આર્યલૅન્ડમાં છેક બે વરસે પ્રાંતીય શાસન લાવી શકાયું. મડાગાંઠ જે પડેલી તેનો ઉકેલ રાજકારણીઓને જડતો નથી, અને સતત નડતો રહ્યો છે. કેથલિકો અને પ્રૉટેસ્ટન્ટો વચ્ચેનું પરાપૂર્વનું વેરઝેર તો ઊભું જ છે. તેની વચ્ચે શિન ફિયેન પક્ષનું જોર વધવામાં છે. અત્યારના શાસકોમાં બંધારણ મુજબ પક્ષનો પગપેસારો તો છે જ. હવે સીમાની પહેલે પાર, પ્રજાસત્તાક આર્યલૅન્ડની તાજેતરની સાર્વત્રિક ચૂંટણીઓમાં પણ શિન ફિેયેન પક્ષે કલ્પનાતીત કાઠું કાઢ્યું છે. બની શકે કે ઉત્તર આર્યલૅન્ડને દક્ષિણ જોડે સાંકળવાનું જો કામયાબ બને, તો યુનાઇટેડ કિંગ્ડમનું ભાવિ કેટલે ?

ઘરઆંગણે રંગભેદ અને પૂર્વગ્રંથિઓ વારેપરબે માથું ઊંચકે છે. 1948 દરમિયાન ‘એમ્પાયર વિન્ડરસ’ નામે સ્ટીમર ટીલબરી બંદરે લાંગરી ત્યારથી આણેલાં આ લોકો માટે વચનોનું પાલન થયું નથી અને ભેદભાવનું આચરણ થતું આવ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓ તેમ જ કેરેબિયાથી અનેક લોકો જાહેર સંચાલનોમાં કામદાર તરીકે ભરતી કરાયાં હતાં. તેમને થાળે પાડવામાં ગૃહ ખાતું ગલ્લાંતલ્લાં કરતું રહ્યું છે અને કેટલાંકને દેશવટો ય અપાઈ રહ્યો છે. બીજી તરફ ઇસ્લામોફોબિયાએ પણ જોર પકડ્યું છે. જ્યારે બીજી તરફ, સેમાઇટ વિરોધી સૂર પણ ગાજતોફરતો સંભળાય.

courtesy : CHAPPATTE, Der Spiegel

‘ઇન્ટોલરન્ટ ઇન્ડિયા’વાળા ચકચાર મથાળા સાથેના 25 જાન્યુઆરી 2020ના ‘ધ એકોનોમિસ્ટ’માં, આ બધા કોયડાની રજૂઆત થઈ છે અને જોડાજોડ, બ્રિટનમાં વસતા યુરોપીય દેશોના નાગરિકોને સારુ આવી પડનારી મુશ્કેલીઓ તેમ જ યુરોપીય દેશોમાં જ્યાંત્યાં કામધંધાને સારુ લાગેલાં અને ઠરીઠામ થયેલાં, બ્રિટિશ નાગરિકોને માટે જે સવાલો ઊભા કરાયા છે તેનો વ્યવહારુ  ઊકેલ ઝડપે લાવ્યા વગર છૂટકો જ નથી. હજુ તો વેપાર વગેરેને સાંકળતા કરારો થયા નથી અને સઘળે લીલુંછમ્મ છે, એ સમયે જ આ જમાતને જે સહેવાનું થાય છે તેથી ભવાં ચડી જાય છે.

યુરોપીય સંઘને સારુ બાકી રહેલા 27 દેશોને સાંચવવાના છે. તેથી આ ફારગત થયેલા અગત્યના મુલક સાથે વાટાઘાટ કરવામાં, નિર્ણયો લેવામાં અંદાજે પારાવાર આલ્પસની પર્વતમાળા ચડતાં જે હાંફ ચડે તેવી પરિસ્થિતિ સર્જાય તો ય નવાઈ નહીં. અને એ પછી કોઈ પણ જાતના વેપાર વાણિજ્યના કરારો ન થાય અને યુનાઇટેડ કિંગ્ડમ એક સાર્વભૌમ આઝાદ ટાપુ વેપારીઓનો મુલક બનવા ફરીવાર સજ્જ બની બેસે તો લગીર નવાઈ નહીં.

ભારતના એક અવ્વલ વિચારક અને સમીક્ષક ભાનુ પ્રતાપ મહેતાએ અન્યત્ર લખ્યું છે તેમ જગતની સામે આજે નિગમીય ક્ષેત્રની દાદાગીરીવાળા પૂંજીવાદ સામે લોકશાહીનો ઝંડો સાંચવવાની આ ઘડી છે. … જોઈએ.

પાનબીડું :

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
                        તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
                  એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !’
                   -રોષથી સૌ દોષ ગોખ્યા,
                     ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો ! તેં શું કર્યું ?
– આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
               સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
               સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
               હર એક હિંદી હિંદ છે,
               હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

                                                                                        — ઉમાશંકર જોશી

હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 17/18.02.2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[1762 words]  

સૌજન્ય : "નિરીક્ષક", 01 માર્ચ 2020; પૃ. 08-10

Loading

...102030...2,5692,5702,5712,572...2,5802,5902,600...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved