Opinion Magazine
Number of visits: 9576321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એંગ્લો ઈન્ડિયનનું ખાસ પ્રતિનિધિત્વ ખતમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 January 2020

સંસદના શીતકાલીન સત્રમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની રાજકીય અનામતોને વધુ દસ વરસ લંબાવવાનો બંધારણ સુધારો પસાર કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણના આર્ટિકલ ૩૩૪(એ)માં દલિતો-આદિવાસીઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આર્ટિકલ ૩૩૪(બી)માં એંગ્લો ઈન્ડિયનનું વિધાનગૃહોમાં રાજકીય પ્રતિનિધિત્વ ન હોય તો લોકસભામાં બે અને તેર રાજ્યોની વિધાનસભામાં પ્રત્યેકમાં એકએક એંગ્લો ઈન્ડિયન સભ્યની નિયુક્તિની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈની દર દસ વરસે સમીક્ષા કરવાની હોય છે. આ ખાસ જોગવાઈની મુદ્દત ૨૫મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સમાપ્ત થતી હોઈ સંસદે ૧૨૬મા બંધારણ સુધારા દ્વારા તાજેતરમાં અનુસૂચિત જાતિ જનજાતિની અનામતોને જીવતદાન આપ્યું છે, પરંતુ એંગ્લો ઈન્ડિયન માટેની ખાસ જોગવાઈઓ લંબાવી નથી. એથી હવે એંગ્લો ઈન્ડિયનને ખાસ પ્રતિનિધિત્વ આપતી બંધારણીય બાંયધરી ખતમ થઈ ગઈ છે.

સત્તરમી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર અર્થે ભારતમાં આવી હતી. ત્યારબાદ એ સમયના નબળા રાજવટને કારણે બ્રિટિશ શાસન સ્થપાયું. તેણે ભારતમાં ખાસ્સાં બસો વરસ રાજ કર્યું હતું. અનેક બ્રિટિશ સૈન્ય અને વહીવટી અધિકારીઓ પણ ભારતમાં આવ્યા હતા. ભારતના દ્યોગિકીકરણ અને આધુનિકીકરણનો પાયો બ્રિટિશ અમલમાં નખાયો હતો. રેલવેલાઈન અને ટેલિફેન લાઈન નાખવા જે અનેક યુરોપિયનો ભારતમાં આવ્યા તેઓ અહીં લાંબો સમય રહ્યા. તેમનાં કુટુંબો યુરોપમાં હોઈ તેમણે અહીં જ ભારતીય સ્ત્રીઓ સાથે લગ્નો કર્યાં, બાળકો થયાં અને તેઓ ભારતમાં જ સ્થાયી થઈ ગયા. તત્કાલીન બ્રિટિશ સરકારે ભારતીય સ્ત્રીઓ સાથેનાં તેમનાં લગ્નોને પ્રોત્સાહન આપ્યું હતું (જો કે ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી તેના પર પ્રતિબંધ પણ મૂક્યો હતો). આવા યુરોપિયન પુરુષ અને ભારતીય સ્ત્રીનાં સંતાનો એંગ્લો ઈન્ડિયન તરીકે ઓળખાયા. યુરોપિયન પુરુષો બહુધા ભારતીય રેલવેમાં કાર્યરત હોઈ તેમને ‘રેલવે ચિલ્ડ્રન’ પણ કહેવામાં આવતાં હતાં.

૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારા અને બંધારણના અનુચ્છેદ ૩૬૬(૨)માં જણાવ્યા મુજબ એંગ્લો ઈન્ડિયન એટલે એવી વ્યક્તિ જે ભારતમાં રહે છે પણ તેના પિતા કે પુરુષ પૂર્વજ યુરોપિયન હતા. આંગ્લ ભારતીય ભારતમાં બ્રિટિશરાજની નિશાની છે. તેઓ રંગેરૂપે ભારતીય કરતાં યુરોપિયન વધુ લાગે છે. ભાષા, પહેરવેશ, રીતરિવાજ અને ધર્મ પણ વિદેશી છે. તેમણે ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લીધો નથી. સાઈમન કમિશને તેમને બ્રિટનમાં વસાવવાની માંગ સ્વીકારી નહોતી. એટલે તેઓ બ્રિટનના ઉપેક્ષિતો છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું તે પૂર્વે ઘણાં એંગ્લો ઈન્ડિયન લોકો બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને બીજા કોમનવેલ્થ દેશોમાં જઈ વસ્યા. છતાં આશરે ૫ લાખ એંગ્લો ઈન્ડિયન આઝાદી સમયે ભારતમાં હતા. ધીરેધીરે તેઓ ભારતની સ્થાનિક ભાષા, રીતરિવાજ, રહેણીકરણી અને ધંધા-રોજગાર અપનાવતા થયા હતા. ૧૮૭૬માં તેમણે ‘ધ ઓલ ઈન્ડિયા એંગ્લો ઈન્ડિયન એસોસિયેશન’ નામક સંગઠન બનાવ્યું હતું. મધ્યપ્રદેશના જબલપુરમાં પેદા થયેલા ફ્રેન્ક એન્થોની તેના સ્થાપક હતા. તેઓ બંધારણસભાના પણ સભ્ય હતા એટલે તેમણે બંધારણમાં એંગ્લો ઈન્ડિયનના અધિકારો સામેલ કરાવ્યા. સંવિધાનના અનુચ્છેદ ૩૩૧ મુજબ ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભામાં બે અને તેર રાજ્યોની વિધાનસભાઓમાં એકએક સભ્યની નિયુક્તિ કરશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ભારતની લોકસભામાં ૧૯૫૧થી જ એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ થતી રહી છે. સૌથી વધુ આઠ વખત (૧૯૫૧થી ૧૯૯૩માં અવસાન સુધી) ફ્રેન્ક એન્થોનીની લોકસભાના સભ્ય તરીકે નિયુક્તિ થઈ છે.

છેલ્લાં ૭૦ વરસોની સોળ લોકસભામાં ૩૩ એંગ્લો ઈન્ડિયન સભ્યો નિયુક્તિ પામ્યા છે, પરંતુ આ વિશેષ સુવિધા કે ખાસ રાજકીય પ્રતિનિધિત્વ હવે બે દિવસ પછી સમાપ્ત થઈ જશે.

એંગ્લો ઈન્ડિયનની નિયુક્તિની જોગવાઈ ન લંબાવવાના કારણમાં વર્તમાન સરકારે લોકસભામાં જણાવ્યું છે કે ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે દેશમાં માત્ર ૨૯૬ જ એંગ્લો ઈન્ડિયન છે. એટલે તેમને ખાસ પ્રતિનિધિત્વ આપવાની જરૂર નથી. જો કે લોકસભાના ઘણા સભ્યોએ ભારતમાં એંગ્લો ઈન્ડિયનની વસતી આટલી ઓછી હોવાની સરકારની વાત સ્વીકારી નથી. જૂન ૨૦૧૯થી લોકસભામાં કોઈ એંગ્લો ઈન્ડિયનની નિયુક્તિ થઈ નથી. હાલની સરકારે તેની પહેલી મુદ્દતમાં જોર્જ બેકર અને રિચર્ડ હે નામક બે આંગ્લ ભારતીયોની લોકસભાના સભ્ય તરીકે નિયુક્તિ કરી હતી. જે કદાચ લોકસભાના છેલ્લા નિયુક્ત આંગ્લ ભારતીય સદસ્ય બની રહેશે. નિયુક્ત એંગ્લો ઈન્ડિયન સભ્યને રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મતના અધિકાર સિવાયના તમામ અધિકારો અને લાભ મળે છે. અલ્પમતની સરકારો તેમની બહુમતી માટે એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરતી હોવાના પણ દાખલા નોંધાયા છે. કોંગ્રેસના વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ પાસે લોકસભામાં બહુમતી નહોતી ત્યારે તેમણે આંગ્લ ભારતીય સભ્યોની નિયુક્તિ કરીને આ ખોટ પૂરી કરી હતી. હજુ ગયા વરસે જ કર્ણાટકમાં બી.જે.પી.ની યેદિયુરપ્પા સરકાર પાસે વિશ્વાસ મત જીતવા જેટલા ધારાસભ્યો નહોતા ત્યારે તેણે પણ એક આંગ્લ ભારતીય સભ્યની નિયુક્તિ કરીને સંખ્યાબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે લગામ લગાવી હતી.

આંગ્લ ભારતીયોની વિધાનગૃહોમાં નિયુક્તિથી તેમના સવાલો સરકાર, વહીવટીતંત્ર અને સમાજ સમક્ષ તો ઉજાગર થયા જ છે. તેમણે જેમ ભારતની મુખ્ય ધારામાં ભળવાનો પ્રયત્ન કર્યો છે તેમ વ્યાપક ભારતીય હિતના પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. ફ્રેંક એન્થોનીને ઉપરાષ્ટ્ર પ્રમુખ કે પંજાબના રાજ્યપાલના પદની ઓફર થઈ હતી પરંતુ તેમણે આંગ્લ ભારતીય પ્રતિનિધિ બનીને તેમના શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને પ્રતિનિધિત્વના સવાલો પર પોતાને મર્યાદિત રાખવાનું યોગ્ય માન્યું હતું. તો ઘણાં રાજ્યોમાં નિયુક્ત થયેલા એંગ્લો ઈન્ડિયન વિધાનસભ્યોની નિષ્ક્રિયતા પણ નોંધાઈ છે. આઝાદીનાં બોંતેર વરસો પછી, આંગ્લ ભારતીય મતદારો એક જથ્થે દેશમાં ક્યાં વસતા ન હોવા છતાં તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે તે મહત્ત્વની સિદ્ધિ છે.

આંગ્લ ભારતીયોની વસતીગણતરીમાં કોઈ અલગ નોંધણી ૧૯૭૧ પછી થતી નથી. એટલે તેમની ખરેખર કેટલી વસતી દેશમાં છે તેનો તાગ મેળવવો અઘરો છે. જેમણે ધર્મ કે જાતિના ખાનામાં આંગ્લ ભારતીય લખાવ્યું હોય તે જ સરકારી ચોપડે બોલે છે અને તેને આધાર માની સરકારે તેમને મળતું વિશેષ પ્રતિનિધિત્વ ખતમ કર્યું છે. ધાર્મિક સતામણીનો ભોગ બનેલા ત્રણ ઈસ્લામિક દેશોના લઘુમતી નાગરિકોને ભારતની નાગરિકતા આપવાનો કાયદો ચર્ચા અને વિવાદમાં છે ત્યારે બંધારણના ઘડવૈયાઓએ ભારતીય નાગરિક એવા લઘુમતી આંગ્લ ભારતીયોને આપેલું સંસદીય પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ ગયું છે. તે ભારતીય લોકશાહીની બલિહારી છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 22 જાન્યુઆરી 2020 

Loading

Sycophancy in Action: Comparing Modi to Shivaji

Ram Puniyani|English Bazaar Patrika - OPED|22 January 2020

Shivaji is a great icon in Maharashtra. Different sections of society have given him very high status, though for diverse reasons. Folklores about him abound in the state. His statues, popular songs on him are very prevalent. These folk songs (Powadas) praise his multifarious actions. So it was no surprise that when Jayabhagwan Goyal, released his book, ‘Aaj ka Shivaji: Narendra Modi’, at religious-cultural meet organized by Delhi BJP, there was a strong resentment in Maharashtra. Various leaders from Maharashtra were furious. The Shiv Sena leader Sanjay Raut challenged the Shivaji’s descendent, Sambhaji Raje who is in BJP and is member of Rajya Sabha, to resign on the issue. Sambhaji Raje in turn stated that "We respect Narendra Modi, who was elected as the prime minister of the country for the second time. But neither (Narendra) Modi nor anybody else in the world can be compared with Chhatrapati Shivaji Maharaj,"

Not to be left behind Jitendra Awhad of NCP felt Modi-BJP are insulting the pride of Maharashtra. It is not the first time that controversy is erupting around the Maharashtra warrior of medieval period. Earlier we had seen Sambhaji Brigrade demanding the ban on James Laine book, Shivaji: ‘A Hindu King in an Islamic Kingdom’, for its objectionable content. Bhandarkar Institute in Pune, which had helped James Laine in his research, was also vandalized. At another level there was a talk that Babasaheb Purandare, a Brahmin, who has written some popular material on Shivaji will be made as the Chairman of the committee for statue of Shivaji. Maratha Mahasangh and Shiv Dharm officials objected to a Brahmin heading the committee for a statue for the Maratha warrior. The caste angel in Shivaji’s case is coming to the fore from quite some time.

While there is no dearth of controversies around Shivaji, it is also true that each political tendency has created Shivaji’s image from their political point of view. Who was the real Shivaji, is the question. One can see two clear streams of projection in this matter. On one hand there is an attempt to present Shivaji as the anti Muslim King, a king who was respecting Cows and Brahmins (Go Brahman pratipalak). This view was brought forward from the times of Lokmanya Tilak and picked up by Hindu nationalists, who have been looking for icons in history to suit their political agenda. Nathram Godse, while criticizing Gandhi says that Gandhi’s nationalism was dwarf in front of the one of Shivaji or Rana Pratap.

In tune with this the Hindu nationalists are promoting both these as icons of Hindu nationalism and giving anti-Muslim slant to the whole discourse. This discourse also hides in this the Brahmanical agenda of Hindu nationalism as Cows and Brahmins are presented as the central object of veneration by Shivaji. This image of Shivaji fits well into the current agenda of Hindu nationalists, being spearheaded by RSS Combine.

It is because of this that for seeking votes in Mumbai Narendra Modi on the eve of 2014 elections stated that Shivaji attacked Surat to plunder the treasury of Aurangzeb. This also presents Shivaji-Aurangzeb, Shivaji-Afzal Khan interactions as battle between Hindus and Muslims. The truth is that Surat was plundered for its wealth as it was a rich port city and Bal Samant’s book on the topic gives in depth description of the same. It is noteworthy that Shivaji began his real career of conquest in 1656 when he conquered Javli from the Maratha Chief Chandra Rao More. He took over the treasures of this kingdom. That it was not a Hindu Muslim battle becomes clear when we know that in confrontation with Aurangzeb it was Mirza Raja Jaisingh who was negotiating and engaging with Shivaji on behalf of Aurangzeb. And Shivaji had Muslim officers like Kazi Haider as confidential secretary and many Muslim Generals in his army.

Darya Sarang was chief of armor division, Daulat Khan was in-charge of his naval division; Ibrahim Khan was another general of significance in his army.  This mixed up administration just shows that the kings were not having Hindu or Muslim administration depending on their religion. In the confrontation between Shivaji and Afzal Khan, Rustam-e-Jaman was Shivaji’s side and Afzal Khan had Krisnaji Bhaskar Kulkarni on his side.

As far as Shivaji’s popularity is concerned it was due to his being a King with welfare of his subjects in his mind. He lightened the burden of taxation on the average peasants, and reduced the domination of landlords over the serfs. This picture of Shivaji is well documents in the booklets by Com. Govind Pansare (Who was Shivaji) and Jayant Gadkari (Shivaji: Ek Lok Kalyankari Raja- Shivaji: King doing People’s Welfare). He did not belong to the warrior caste so Brahmins had refused to coronate him, for which purpose Gaga Bhatt a Brahmin from Kashi was brought in with heavy fees. Teesta Setalvad’s hand book on History for teachers underlined this fact.

Today while BJP-Brahmanical forces want to present Shivaji as worshipper of Brahmins and cows, the non upper caste have seen through the game. As such it was Jotirao Phule who brought forward the caste angel of Shivaji as he wrote Powada (Poem) in his honor and today dalit Bahujan are not toeing Hindu Nationalist projection on the issue.

The likes of Jayabhagwan Goyal of BJP as such are trying to give two messages through such attempts. One hand they want to paint Shivaji in anti Muslim and Brahmanical color, they also want to give the subtle message of similarity of this presentation of Shivaji with what Modi is doing. Non BJP forces have seen this game and want to present the other picture of Shivaji, which was highlighted by the likes of Jotirao Phule and which today many of those standing for rights of dalit-Bahujan are trying to articulate. The criticism of the said, book, since withdrawn is on these twin aspects. One about the picture of Shivaji who was concerned about welfare of the farmers, and two his respect for people of all religions. 

Loading

સ્મૃતિકોષે કૉંગ્રેસ રેડિયો

ઉષા મહેતા|Opinion - Opinion|21 January 2020

[ડૉ. ઉષાબહેન મહેતાનું નામ ‘હિંદ છોડો’ આંદોલનનો અવિભાજ્ય હિસ્સો છે. તેમણે શરૂ કરેલો અને ચલાવેલો ‘કૉંગ્રેસ રેડિયો’ના સાહસિક સંભારણાં તેમના આ લેખમાં થોડાં ઝિલાયાં છે.]

1942ના 8 અને 9 ઑગસ્ટના એ યાદગાર દિનો, જ્યારે બાપુએ અંગ્રેજ સરકારને ‘ભારત છોડો’નો આદેશ આપ્યો અને દેશને ‘કરો યા મરો’નો અભય મંત્ર ! ગાંધીજી, જવાહરલાલજી, સરદાર પટેલ, મૌલાના આઝાદ આદિ નેતાઓની સિંહગર્જના સાંભળી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્રારા સંચાલિત હિંદીના વર્ગમાં ભણતા અમે થોડા વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો, કે આઝાદીના આ આખરી સંગ્રામનો સંદેશ ગમે તે ભોગે દેશના ઘરેઘર અને ગામેગામ ગુંજતો કરવો જોઈએ. આ માટે સભાસરઘસ વગેરે ઉપાયો તો ન જ અજમાવી શકાય, કારણ એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ભૂગર્ભ બુલેટિનનો વિચાર આવ્યો, કારણ આગળના આંદોલનમાં એનો સહારો લેવામાં આવ્યો હતો અને એ વખતના થોડા સાથીઓ પણ અમારી સાથે હતા, પણ બાબુભાઈને અને મને કંઈક નવો ઉપાય શોધવાની હોંશ હતી. સૌ સાથીઓ સાથે વિચારવિનિમય કરતાં અમને થયું કે એક ભૂગર્ભ રેડિયો ચલાવી શકાય તો લોકોમાં નવચેતનાનો સંચાર કરી શકાય. ‘શુભસ્ય શીઘ્રમ’ની વૃત્તિથી પ્રેરાઈ અમે તરત જ રેડિયોના વર્ગ ચલાવતા એક તંત્રવિદ્ (Technician) પ્રિંટરનો સંપર્ક સાધ્યો. એમણે તરત જ અમને સેટ બનાવી આપવાની તૈયારી બતાવી, પણ અમારે એમને દશ હજાર રૂપિયા આપવાના હતા. આથી અમે તો વિમાસણમાં પડ્યા : આટલા પૈસા લાવવા ક્યાંથી ? ઘરે જઈ આ અંગે બાબુભાઈ, ચંદ્રકાંતભાઈ, સુમન, મનુ, બિપિન વગેરે સૌ સાથીઓ ચર્ચા કરવા લાગ્યાં. અમારાં માસી, જેને સૌ ‘જયાબા’ કહેતાં, એ આ બધી ચર્ચા સાંભળતાં હતાં. એઓ બહાર આવ્યાં અને કહે કે ‘છોકરાંઓ, જરા ય ચિંતા ન કરો, મેં સાચવેલા મારા બધા દાગીના, હું તમને આપી દઈશ, પણ તમે આ કામ શરૂ કરો.’ અમે એ લેવાની આનાકાની કરી તો કહે મારા સ્ત્રીધનનો આથી સારો ઉપયોગ બીજો શો થઈ શકે ? માટે હવે તમે વધુ સમય ન બગાડતાં કરો કેસરિયાં. પછી અમારે એમનાં ઘરેણાં લેવાની જરૂર ન પડી, કારણ રવીન્દ્રભાઈ, નારણભાઈ, કાંતિભાઈ આદિ વેપારીઓએ અમને થોડાં નાણાં એકઠાં કરી આપ્યાં. અમે એ પ્રિંટરને આપ્યાં. બે-ચાર દિવસમાં અમારો સૅટ તૈયાર થઈ ગયો અને અમે વાલકેશ્વરમાં એક જગ્યા પણ મેળવી લીધી.

15મી ઑગસ્ટ, 1942ના શુભદિને અમારો રેડિયો કૉંગ્રેસ રેડિયો શરૂ થઈ ગયો. શરૂઆત વંદેમાતરમની અને ગાંધીજી તથા અન્ય નેતાઓનાં ભાષણોની રેકોર્ડથી કરી અને તે પછી આંદોલન અંગે જે કંઈ સમાચાર મળતા એ પ્રસારિત કરવા લાગ્યા.

ડૉ. રામમનોહર લોહિયા, જે તે વખતે મુંબઈમાં હતા. એમણે સમાચાર સાંભળ્યા અને તરત જ રેડિયોની દુકાનવાળાઓ તેમ જ કૉંગ્રેસમાં કામ કરતા રેડિયો એન્જિનિયરોનો સંપર્ક સાધી આ રેડિયો ક્યાંથી ચાલે છે એની તપાસ શરૂ કરી. એક દિવસ 17 કે 18મી ઑગસ્ટે એમણે મારા મામા અજિત દેસાઈ, જે રેડિયો એન્જિનિયર પણ હતા અને જેમણે 1930-32ની લડતમાં લાંબો જેલવાસ ભોગવ્યો હતો, એમને બોલાવ્યા. એમણે તરત જ કહ્યું કે ‘કાલે આ કાર્યકરો આપને મળશે.’ અમને આ સંદેશ પહોંચાડ્યો અને બીજે દિવસે એમની મારફત ડૉ. લોહિયા સાથે અમારી મુલાકાત ગોઠવાઈ. ડૉક્ટરે અમને અભિનંદન આપ્યા, અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તરત જ આજથી આ કામની જવાબદારી અમે, એટલે કે અચ્યુતરાવ પટવર્ધન, ડૉ. લોહિયા અને અન્ય સમાજવાદી નેતાઓ લઈએ છીએ. હવે તમારે બસ કામ કરવાનું : બાકી સમાચારો મેળવવા, વાર્તાલાપો તૈયાર કરવા તેમ જ આ કામ માટે પૈસા ભેગા કરવા વગેરે કામો માટે તમારે જરા પણ ચિંતા નહીં કરવાની.’ આમ અમારો ભાર હળવો કરતા અમારા નેતા પ્રત્યે અમે કૃતજ્ઞભાવે જોઈ રહ્યા.

એ પછી થોડા દિવસ અમે સવાર-સાંજ પ્રસારણ કરતાં શરૂઆત થતી ‘This Congrss Radio, speaking from somewhere in India from 12.34 meter …’ એ પછી ‘હિંદોસ્તાં હમારા’ની રેકૉર્ડ વાગતી .. તે વખતે સુચેતાદેવી કૃપાલાણી કૉંગ્રેસની કચેરીનો કાર્યભાર સંભાળતાં. એ અમને ગામેગામથી આવતા આંદોલનના સમાચારો પૂરા પાડતાં, એ સમાચારો પ્રસારિત કરાતા. એ પછી ડૉક્ટર લોહિયા, અચ્યુતરાવ પટવર્ધન, જયપ્રકાશજી આદિ ભૂગર્ભ નેતાઓના સંદેશાઓ કે ભાષણો પ્રસારિત થતાં અને છેવટે વંદેમાતરમ્ ગીતની રેકૉર્ડ વગાડાતી. જેલમાં મહાદેવભાઈ દેસાઈના દેહવિલયના સમાચાર સર્વ પ્રથમ કૉંગ્રેસ રેડિયો પરથી જ પ્રસારિત કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે મુંબઈ અને જમશેદપુરની મિલો અને કારખાનાંઓની હડતાળ, અષ્ટી અને ચિમૂરમાં મહિલાઓ પર થયેલા અત્યાચારો આદિના સમાચારો પણ કૉંગ્રેસ રેડિયો પરથી જ આપવામાં આવ્યા હતા. નેતાઓના સંદેશમાં લોકોને ગમે તે ભોગે સ્વરાજ મેળવવા માટે હાકલ કરવામાં આવતી. સૈનિકોને જાલીમ સરકાર સામે બળવો પોકારવાની સલાહ અપાતી. દરેક પ્રકારના શોષણનો અંત કરી શોષણવિહીન સમસમાજની સ્થાપન કારવાની પ્રેરણા આપવામાં આવતી. ડૉક્ટર લોહિયાએ લોકોને અહિંસક લડાઈ માટે સજ્જ થવાની સલાહ આપતાં કહ્યું હતું ‘દેશમાં રક્તની નદીઓ જરૂર વહેશે પણ એ રક્ત અંગ્રેજોનું નહીં પણ દેશ કાજે સ્વાર્પણ કરનારા સેવકો અને સૈનિકોનું હશે.’

આ કાર્યક્રમ ઑગસ્ટની 15મીથી નવેમ્બરની 13મી સુધી લગભગ ત્રણ મહિના સતત ચાલ્યો. રેડિયો દ્વારા દેશમાં જ નહીં પણ પરદેશમાં પણ આંદોલનના સમાચાર પહોંચતા હતા એની જાણ સુભાષબાબુએ ડૉક્ટર લોહિયા પર ઑગસ્ટ 1942માં લખેલા એક પત્ર પરથી અમને થઈ. એમણે લખ્યું હતું કે એઓ રોજ સાંજે 7.30 વાગ્યે આ રેડિયોના સમાચારની આતુરતાપૂર્વક રાહ જોતા. આ કામ કરનાર અમે સાત-આઠ જણ હતા. કામની તૈયારી બાબુભાઈની કોટની ઑફિસમાં બેસી એ અને હું કરતાં. નેતાઓની ધરપકડ ન થાય એ વાતની તકેદારી રાખવા માટે વિઠ્ઠલભાઈ ઝવેરીએ રેકૉડિગની વ્યવસ્થા કરી હતી. એ માટે અમને સુમતિબહેન, ઠાકરસી બંધુઓ, શિકાગો રેડિયોના જગન્નાથ વગેરેની મદદ મળી હતી. દરરોજ પોતે હાજર રહી નેતાઓને રેકૉડિગ માટે લઈ આવે, એમનાં ભાષણો રેકૉર્ડ કરી લે અને એમને પાછાં એમના ભૂગર્ભવાસમાં પહોંચાડી દે. સમાચાર વાંચવાનું કામ કુમી દસ્તુર (પાછળથી કમલ વુડ) મોઇનુદ્દીન હૅરિસ અને હું કરતાં. સમાચાર મેળવવાનું કામ ભાઈ બિપિન અને રવીન્દ્ર કરતાં અને પૈસાની મદદ વિઠ્ઠલભાઈ અને ચંદ્રકાંતભાઈ કરતા.

પોલીસ સતત અમારો પીછો કરતી. આ ઉપરાંત રેડિયોની બધી જ મોટી દુકાનો પર દરોડા પડ્યા હતા. તેમ જ પોલીસની એક ગાડી રેડિયો કઈ દિશામાંથી ચાલે છે એની શોધ કરવા અમારા કેન્દ્રની આજુબાજુ ફરતી રહેતી. આ ગાડી દિશાનો સંકેત આપી શકતી પણ ચોક્કસ જગ્યાનો નિદૈશ ન કરી શકતી આ ઉપરાંત અમે દર દસ-પંદર દિવસે અમારા કેન્દ્રનું સ્થાન બદલતા રહેતાં એટલે પોલીસોને નવેસરથી શરૂઆત કરવી પડતી. જ્યારે જગ્યા બદલીએ ત્યારે અમે નવી જગ્યા ભાડે મેળવવા માટે નવાનવા નુસખા અજમાવતાં. કોઈક વખત કહીએ કે અમારા બૂઢા કાકા ઑપરેશન કરાવવા મુંબઈ આવે છે એમને માટે જગ્યા જોઈએ છે, તો કોઈક વખત કહીએ કે દેશમાંથી જાન આવે છે, ના ઊતારા માટે જગ્યા જોઈએ છે. આમ જૂઠાં કારણો આપવા માટે અમારી ટીકા પણ થતી; પરંતુ લોકો એમ માનતા કે અમે નાની ઉંમરમાં પણ વૃદ્ધો અને સગાંવહાલાંઓની સેવા કરનારાં સમાજસેવકો હતાં અને ડૉક્ટર અમારા ટીકાકારોને સચોટ જવાબ આપતા કહેતા કે, ‘આ તો પોલીસ અને આપણા જુવાનિયાઓના બુદ્ધિબળની કસોટી છે’ એટલે આ જૂઠાણાઓને જૂઠાણું ન કહેવાય, અને જો જૂઠાણું હોય તો પણ એ ક્ષમ્ય છે, પ્રશસ્ય છે.’

રોજની જેમ નવેમ્બરની 12મી તારીખે અમે બાબુભાઈ, રવીન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, હું બધાં બાબુભાઈની ઑફિસમાં મળ્યાં હતાં. જગ્યા, પૈસા વગેરે માટે ચર્ચા કરી, પછી હું ડૉક્ટરના તે દિવસના ભાષણની નકલ કરવા આગળના ઓરડામાં બેઠી હતી. ત્યાં પ્રિંટર સહિત ચાર-પાંચ માણસો ઑફિસમાં ઘૂસી આવ્યા. અંદર બાબુભાઈ પાસે ગયા કે એમણે કૈંક કહ્યું અને બાબુભાઈએ મોટેથી કહ્યું, ‘અમને કંઈ ખબર નથી, તમારે મારી ઑફિસમાં જે કંઈ જોવું હોય એ જોઈ શકો છો, તલાશી લઈ શકો છો.’ આ સંકેત સમજી હું અંદર ગઈ અને બાબુભાઈને પૂછયું કે બાની તબિયત માટે આજે ડૉક્ટરે શું કહ્યું ? એટલે કે રેડિયો માટે ડૉક્ટર લોહિયાનો શો સંદેશો પહોંચાડવાનો છે ? એમણે જવાબ આપ્યો, ‘આજે મારાથી કદાચ નહીં આવી શકાય. ડૉક્ટરને ઠીક લાગે એ કરે. જો દવા બદલવાની જરૂર લાગે તો બદલે.’ પોલીસે આ અંગે એમને પૂછયું ત્યારે એમનો જવાબ હતો કે આ છોકરી મારા પાડોશમાં રહે છે. એના મા બીમાર છે. ઘરમાં બીજું કોઈ છે નહીં : એ કંઈ સમજતી નથી એટલે હંમેશાં મારી જ મદદ લે છે.’ હું તરત ઑફિસની બહાર નીકળી. અમારી બધી ફાઈલો ભટ્ટની કેન્ટીનમાં મૂકી અને ઠાકરશીના બંગલા પર પહોંચી, જ્યાં વિઠ્ઠલભાઈ ડૉ. લોહિયા અને હેરિસભાઈનું રેકૉડિંગ કરી રહ્યા હતા. મેં એમને ઑફિસ પર પડેલા દરોડાના સમાચાર આપ્યા અને પૂછયું કે ‘હવે શું કરવાનું ?’ ડૉક્ટરે કહ્યું, ‘તારી શી સલાહ છે ?‘ મેં કહ્યું ‘મારે સલાહ ન આપવાની હોય, તમારા આદેશનું પાલન જ કરવાનું હોય, પણ જો સલાહ માગતા જ હો તો એટલું કહેવાનું કે કોઈ પકડાય કે ન પકડાય, આપણું કામ અટકવું ન જોઈએ.’ ડૉક્ટરે કહ્યું, ‘બરાબર છે, એમ જ થવું જોઈએ.’ મેં કહ્યું ‘થશે,’ ‘કેવી રીતે !’ મેં કહ્યું, ‘એ સમજવા માટે આજે સમય નથી.’ અને સીધી પ્રિંટરના સહાયક મિરઝા પાસે જઈ એમને રાતોરાત બીજો સેટ બનાવવા કહ્યું. ત્યાંથી ઘરે ગઈ. બાને બધી વાત કરી સાડી બદલી અને ‘કદાચ આજે પાછી ન પણ આવું’ એમ કહી, એમને પ્રણામ કરી નીકળી. ત્યાં ચંદ્રકાંતભાઈ આવ્યા. કહે, ‘બહેન, આમ સામે ચડી વાઘના મોંમાં ન જાવ.’ મેં કહ્યું ‘ડૉક્ટરને વચન આપ્યું છે એટલે જવું તો જોઈશે જ.’ તો કહે ’તમને એકલાને નહીં જવા દઉં અને મારી સાથે ચાલ.’

અમે બંને પારેખવાડીમાં અમારા રેડિયો સ્ટેશન પર પહોંચ્યાં. ચંદ્રકાંતભાઈ બહાર પહેરો ભરે, મેં અંદર જઈને પ્રાસારણ શરૂ કર્યું. કાર્યક્રમ પૂરો થયો અને ‘વંદેમાતરમ્’ની રેકૉર્ડ વાગતી હતી ત્યાં ધડાધડ બારણાં તૂટવાના અવાજ સંભળાયા અને જોતજોતામાં અમારા Technician પ્રિંટર અને પોલીસની મોટી પલટણ મારી સમક્ષ આવીને ઊભી રહી ગઈ. આવતાંની સાથે ટુકડીના વડાએ કડક સ્વરમાં ફરમાન કર્યું, ‘રેકૉર્ડ બંધ નહીં થાય તેમ જ સાવધાન થઈ ઊભા રહો. Stand on attention અને એમણે એમ કર્યું. એ પછી તો પ્રિંટર સાહેબે કંઈ કરામત કરી, Fuse ઊડી ગયો. અંધારું થયું. ફાનસને દીવે પંચનામું થયું. નીચે પહેરો ભરતા ભૈયાજીને પંચ તરીકે બોલાવવામાં આવ્યા. એમણે પંચનામા પર સહી કરવાની ના પાડી. કારણ પૂછ્યું તો કહે આ લાકડાનું ખોખું રેડિયો સેટ બોલે છે એમ તમે કહો છો પણ હું એ માનતો જ નથી.. ચંદ્રકાંતભાઈએ અને મેં એમને ખૂબ સમજાવ્યા કે એમના બયાનથી અમને કોઈ નુકસાન નહીં થાય ત્યારે જ એમણે સહી આપી. અમારું કેન્દ્ર બીજે માળે હતું. અમે બહાર આવ્યા. પગથિયે પગથિયે બંદૂકધારી પોલીસ, આગળ ચંદ્રકાંતભાઈ અને હું, પાછળ પોલીસની પલટણ. મેં કહ્યું, ‘ભાઈ, જિંદગીમાં કોઈ આપણને સલામી – Guard of Honour – આપે કે નહીં પણ અત્યારે તો વણમાગી સલામી મળી રહી છે. એમણે સંમતિ આપતાં કહ્યું, ‘હા હો ! આ તો આપણી જિંદગીનો એક યાદગાર દિન – એક મહામૂલો અવસર બની રહેશે.’ એ પછી તો પૂરા છ મહિના બધી તપાસ ચાલી. ત્યાર બાદ સ્પેશ્યલ કોર્ટમાં સતત દોઢ મહિના સુધી કેસ ચાલ્યો. અમે પાંચ આરોપીઓ હતા : બાબુભાઈ, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાંતભાઈ, નાનક મોટવાની અને હું. અમારા પર આરોપો હતા સરકારને ઊથલાવવાનું કાવતરું કરવાના, સૈન્યમાં બળવો જગાડવાના, સરકાર પ્રત્યે અસંતોષ ફેલાવવાના અને એવા બીજા ઘણા. મોતીલાલ સેતલવડ, કનૈયાલાલ મુનશી, તેંડુલકર અને ઠક્કર જેવા નામાંકિત વકીલોએ અમારા બચાવમાં અનેક સદ્ધર દલીલો કરી. નાનાભાઈ અને વિઠ્ઠલભાઈ નિર્દોષ ઠર્યા. બાબુભાઈને પાંચ વર્ષની, મને ચાર વર્ષની અને ચંદ્રકાંતભાઈને એક વર્ષની સજા ફરમાવાવામાં આવી, જે અમે હસતે મોઢે સ્વીકારી અને પૂરી કરી.

અમને પૂનાની યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે લગભગ 250 મહિલા કેદીઓ હતી. અમને બધાને સાંજે છ વાગે બૅરેકમાં બંધ કરી દેતા. બીજે દિવસે સવારે 8 વાગ્યા સુધી બૅરેકમાં જ રહેવું પડતું. આથી અમને બહુ ગુસ્સો આવતો એટલે અમે એનો વિરોધ કરવાનું નક્કી કર્યું એક દિવસ અમે બધાં બહાર કમ્પાઉન્ડમાં બેસી ગયાં અને બૅરેકમાં જવાની ના પાડી. અમારાં સાથીદારોમાં પ્રેમાબહેન કંટક, કિસનતાઈ, લક્ષ્મીબાઈ ઠુસે, મૃણાલિની દેસાઈ વગેરેની સાથે ધુળેનાં કમલાબાઈ અષ્ટપુત્રને અને પૂનાનાં સાવિત્રીબહેન માદન પણ હતાં.

કમલાબાઈ અને સાવિત્રીબહેન મને બૅરેકની અંદર લઈ ગયાં અને એમને દૂધ દહીં મૂકવા માટે પાંજરું આપ્યું હતું એનું વચ્ચેનું પાટિયું કાઢી નાખ્યું, પછી મને કહે કે, ‘હવે તું આમાં બેસી જા અને અમે કહીએ નહીં ત્યાં સુધી બહાર ન આવતી.’ હું તો તરત એમના કહ્યાં પ્રમાણે પાંજરામાં ગોઠવાઈ ગઈ. ત્યારે તો એ લોકો બારણું બંધ કરીને ચાલ્યાં ગયાં પણ પછી થોડી થોડી વારે વારાફરતી આવે. થોડી. વારે બારણું ખોલીને થોડી હવા અંદર આવવા દે, એમ કરતાં રાતના બાર વાગ્યા. એક પછી એક અઢીસોએ અઢીસો કેદીઓને ટીંગાટોળી કરી બૅરેકમાં બેસાડ્યાં. એ પછી ગણતરી કરી તો એક કેદી ઓછો. થયો. મુકાદમે, વોર્ડને અને જેલરે પણ ગણતરી કરી તોયે કેદી ક્યાં ય ન મળે. ગણતરીમાં એક કમ જ આવ્યા કરે, એટલે છેવટે પગલી ઘંટી (Alaram Bell) વગાડી અને સુપરિન્ટેન્ડેન્ટને જગાડ્યા. અડધી રાતે સુપરિન્ટેન્ડેન્ટ અને સાહેબ ધુંઆપુંઆ થતા આવ્યા. બધી બૅરેકમાં ગણતરી લેવાઈ. છેવટે અમારી બૅરેકમાં આવ્યા. એ પહેલાં સાવિત્રીબહેને પાંજરું ખોલ્યું. કમલાબાઈએ પાસે જ મારે માટે જાજમ પાથરી. હું પાંજરામાંથી એમાં સરકી ગઈ. ચાદર ઓઢી લીધી અને અમે ત્રણે જણા ભરઊંઘમાં હોઈએ એમ સૂઈ ગયાં. ત્યાં સુપરિન્ટેન્ડેન્ટે સહિત ઑફિસરની પૂરી પલટણ બૅરેકમાં આવી. ગણતરી કરી અને કેદીની સંખ્યા બરોબર થઈ. ત્યાંને ત્યાં જ સુપરિન્ટેન્ડેન્ટે જેલર, વોર્ડન, મુકાદમ સૌને પાણીથી પાતાળા કરી નાખ્યા. એમ કહીને કે પાંચ વરસના બચ્ચાને આવડે એવી સીધી સાદી ગણતરી પણ કરતાં નથી આવડતી ! આવા મહામૂરખોની જમાત ભેગી થઈ છે. બધા બબડતા અને મૂર્ખ શિરોમણિ બનાવવા માટે ફફડતા, અમને ગાળો દેતા બે વાગે ત્યાંથી ગયાં. બીજે દિવસે સવારે ર્વાર્ડને મને ઑફિસમાં બોલાવી. બધાં ફફડી ઊઠ્યાં. કેટલાકે ન જવાની સલાહ આપી. બીજી કેટલીક બહેનપણીઓએ જાપ કરવાના શરૂ કર્યા. હું તો હિંમતથી ગઈ. વોર્ડન કહે, મારે તમને આકરી સજા કરવી પડશે. મેં કહ્યું કે એ માટે હું તૈયાર જ છું પણ પહેલાં મારો ગુનો શું છે એ તમારે કહેવું પડશે. એ કહે, કાલે તમે ક્યાં હતાં ? મેં કહ્યું, તમે મને જ્યાં જોઈ ત્યાં, એટલે ? એટલે કે બૅરેકની અંદર. મારે જ્યાં હોવું જોઈએ ત્યાં, આપ જેલમાં નિયામોનું ચુસ્તપણે પાલન કરવા માટે તમે ભલે મને શાબાશી ન આપો પણ સજા આપો તો કદાચ તમે જ સજાને પાત્ર ગણાવ. આ સામે કોઈ દલીલ ન મળતાં એમણે રુક્ષ સ્વરે કહ્યું You can go – તમે જઈ શકો છો. અંદર જતાં જ દરવાજા આગળ ઊભેલા સૌ હર્ષઘેલાં થઈ નાચવા લાગ્યાં. તરત જ એક સભા ભરી અને ઠરાવ કર્યો કે ભવિષ્યમાં હું જ્યારે લગ્ન કરું ત્યારે મને આ કેદીઓ તરફથી સોનાનું પાંજરું ભેટ આપવું. મેં કહ્યું તમારી લાગણી માટે હું ખૂબ આભારી છું. પણ તમારી ભેટનો સ્વીકાર નથી કરતી, કારણ કે મને પાંજરું તો ન જ ખપે. સોનાનું પણ નહીં.’

આવા હતા એ યાદગાર દિવસો. આજે આઝાદીનાં આટલાં વર્ષો થાય છે. આ સ્વપ્ન સાકાર થવાનાં તો બાજુએ રહ્યાં ! એનાં ખંડેર થઈ ચૂક્યાં છે. આવે સમયે એ અનુભવોમાંથી થોડોક પદાર્થપાઠ શીખીએ તો એ સૌ માટે હિતાવહ થાય એમ લાગ્યા કરે. એ છે :

(1) જે ધગશથી દેશના આબાલવૃદ્ધ દેશની મુક્તિ કાજે લડ્યા એ જ ધગશથી એનાં નવનિર્માણનાં કાર્યો માટે આજે લોકો આગળ આવે.

(2) ‘હિંદુ, મુસલમાન, પારસી, બનો એકતાની આરસી’ ગાતાં સ્વાતંત્ર્ય સૈનિકો એક બની અંગ્રેજ સરકાર સામે લડ્યા, એમ જ આજે બધી કોમોએ એક થઈ કોમવાદ, પ્રદેશવાદ આદિ દુશ્મનોનો સામનો કરવો

(3) સાધારણ સમયમાં તેમ જ કટોકટી કે કસોટીના કપરા કાળમાં પણ પોતાના અનુયાયીઓ કે યુવાન કાર્યકર્તાઓની સલાહ લઈને કામ કરવું એ ડૉક્ટર લોહિયાએ પાડેલી પ્રથા લોકશાહીને સંપૃષ્ટ કરવા માટે ખૂબ જરૂરી છે. કારણ, એમ થાય તો જ લોકશાહી સાચી લોકશાહી બને જેમાં સર્વનો સહભાવ અને સહયોગ હોય એવો સહકાર બની રહે.

(4) વખત આવ્યે લોકોએ દેશના કાયદાનું ઉલ્લંઘન કરી સત્યાગ્રહી બની બળવો પોકારવા સદા તૈયાર રહેવું જોઈએ. પણ એ સાથે જ કાયદો તોડવા માટે જ સજા હોય એનું પાલન કરવાની પણ પૂરી તૈયારી રાખવી જોઈએ, નહીં તો સત્યાગ્રહ દુરાગ્રહ અથવા સ્વાર્થાગ્રહ જ બની રહે.

સ્વાતંત્ર્યસંગ્રામ અને એના સંચાલનમાંથી આપણે થોડાક પાઠ શીખીએ તો એ સંગ્રામ એળે ગયો છે એવી ભાવના ન સેવતાં આપણે સ્વરાજ્યને સુરાજ્ય બનાવવાના રાષ્ટ્રપિતા અને અન્ય નેતાઓના સ્વપ્નને સાકાર કરી શકીશું.

સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક : 66; જાન્યુઆરી 2020; પૃ. 17 – 21

Loading

...102030...2,5622,5632,5642,565...2,5702,5802,590...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved