Opinion Magazine
Number of visits: 9683243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના વાઇરસઃ મેડિસિન ક્ષેત્રે લાખો ખર્ચાય છે પણ વાઇરસને નાથવો સરળ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 March 2020

આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું.

WHOએ કોરોના વાઇરસને પેન્ડેમિક એટલે કે વૈશ્વિક કટોકટીનાં સ્તરનો રોગ – મહામારી જાહેર કરી દીધો છે. જાહેર સ્થળોએ કાયમ કરતાં થોડી ઓછી ભીડ જોવા મળે છે જો કે જેને ચિંતા છે એ લોકો માસ્ક ચઢાવીને સેનિટાઇઝર વાપરતાં જાય છે અને સતત હાથ ધોતા જાય છે. દેશ હાથ ધોતાં શીખ્યો છે તો આખી દુનિયા નમસ્તે કરતા શીખી ગઇ છે. માળું છીંક, ખાંસી અને તાવ આટલા ડરામણા થઇ જશે એ તો ક્યારે ય નહોતું વિચાર્યું અને માટે જ અધધધ રૂપિયા જેમાં નખાય છે તેવા લાઇફ સાયન્સિઝ, ફાર્મા કંપનીઓનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં સંશોધનો આ વાઇરસની સામે અવાચક થઇ ગયા છે.  જો કે આજથી દસ વર્ષ પહેલાં હેલ્થકેર કે મેડિકલ સાયન્સિઝનાં સંશોધનોમાં જેટલો ખર્ચો થતો હતો તેના કરતાં કંઇ ગણો વધારે આજે થાય છે.

દેશમાં દુનિયામાં શું છે ફાર્માસ્યુટિકલ્સ અને ડ્રગ માર્કેટની સ્થિતિ?

ભારતમાં લાઇફ સાયન્સિઝ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા ત્રણ દાયકામાં આ ક્ષેત્રે સંશોધનો વધ્યાં છે અને નવાં ઉત્પાદનોથી માંડીને પેટન્ટ ફાઇલ કરવામાં પણ વધારો થયો છે. વિદેશમાં પણ આ ક્ષેત્રનો વિસ્તાર થયો છે, જેનું મૂળ કારણ મોટે ભાગે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જ હોય છે. વૈશ્વિક સ્તરે ભારત કુલ માગનાં ૫૦ ટકાથી વધુ વેક્સિન્સ સપ્લાય કરે છે. જનરિક ડ્રગની  વૈશ્વિક માગનાં ૪૦ ટકા યુ.એસ.એ.માં અને યુ.કે.માં ૨૫ ટકા તથા બાકી વિશ્વનો ૨૦ ટકા સપ્લાય ભારતમાંથી થાય છે. ફાઇનાન્શિયલ વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસનો આંકડો ૬.૭ બિલિયન યુ.એસ. ડૉલર્સ રહ્યો. ભારતમાં હેલ્થકેર સેક્ટર સૌથી વધુ ઝડપતી વધી રહેલું ક્ષેત્ર છે અને ૨૦૨૨ સુધીમાં તેનો આંકડો ૧૩૩ બિલિયન યુ.એસ. ડૉલર્સ સુધી પહોંચવાની વકી છે તથા નિકાસનો આંકડો ૨૦૨૦ દરમિયાન ૨૦ બિલિયન યુ.એસ. ડૉલર્સે પહોંચી શકે છે. વળી મેડિકલ ડિવાઇસિઝનું માર્કેટ પણ નાનું નથી અને તે પણ ૨૦૨૦ દરમિયાન ૫૫ બિલિયન યુ.એસ. ડૉલર્સ જેટલું થવાની શક્યતાઓ છે. ધી એસોસિયેશન ઑફ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અનુસાર ૨૦૦૭થી ૨૦૧૬ દરમિયાન ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં અંદાજે ૧.૩૬ ટ્રિલિયન ડૉલર્સનું રોકાણ થયું છે અને ૨૦૨૨ સુધીમાં આ રોકાણ ૧૮૧ બિલિયન ડૉલર્સ થઇ શકે છે. યુ.એસ.એ.માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ રોકાણ-ખર્ચ કરાય છે અને યુરોપમાં યુ.કે. આમાં અગ્રણી છે. આ આંકડાઓ નેશનલ ટ્રેડને આધારે છે જેમાં અધિકૃત સ્ટેટેસ્ટિક્સ નથી દર્શાવાયા.

કેવા વાઇરસોએ આપણને ડરાવ્યા છે?

વાઇરસ સામે લડવા અનેક સંશોધનો થઇ રહ્યાં છે પણ નવી ડ્રગ બનાવવામાં વર્ષો લાગી શકે છે અને ત્યા સુધીમાં આ મહામારી પોતે જ મરી ગઇ હોય અને કોઇ નવું જોખમ માથે નાચતું હોય. આપણી લડાઇઓ કંઇક આવી રહી છે – ૨૦૦૧માં એન્થ્રેક્સ સામે, ૨૦૦૨માં વેસ્ટ નાઇલ વાઇરસ, ૨૦૦૩માં એસ.એ.આર.એસ., ૨૦૦૫માં બર્ડ ફ્લુ, ૨૦૦૬માં ઇકોલી, ૨૦૦૯માં સ્વાઇન ફ્લુ, ૨૦૧૪માં ઇબોલા, ૨૦૧૬માં ઝિકા, ૨૦૧૮માં નિપા વાઇરસ. દર વખતે દુનિયા હવે પૂરી થઇ જશેનો હાહાકાર હતો, પણ હું અને તમે બંન્ને સાબૂત છીએ અને રહીશું. કોરોના વાઇરસ વિષે તો ૨૦૧૭માં એસ્ટ્રીક કોમિક્સમાં ય વાત હતી જેમાં આ નામનો એક સારથી હતો. કોરોના વાઇરસ તો પહેલેથી હતો જ પણ વુહાનમાંથી આ વાઇરસે પોતાનું જોર બતાડવાની કોઇ નબળી કડી શોધીને પ્રકોપ ફેલાવ્યો. જો કે આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું. વાઇરસ કરતાં વધુ ઝડપથી આ ખોટી માહિતીઓ અને ડર ફેલાય છે.

અમેરિકા જેવી મહાસત્તા, જ્યાં ફાર્મા તથા લાઇફ સાયન્સિઝમાં સૌથી વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય છે ત્યાં કોરોના વાઇરસનાં ૧,૨૬૭ કેસિઝ નોંધાઇ ચુક્યા છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં ૩૮ દર્દીઓ કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે. આખા વિશ્વનાં અત્યારના આંકડા પર વાત કરીએ તો કુલ ૧ લાખ ૨૬ હજાર અને ૧૦૦ લોકોમાં આ વાઇરસ જોવા મળ્યો છે અને લગભગ ૪,૬૦૦ જેટલા લોકો તેમાં મૃત્યુ પામ્યા છે. આ લેખ વંચાતો હોય ત્યાં સુધીમાં આ આંકડામાં વધારો ન થયો હોય તેની પ્રાર્થના જ અત્યારે તો કરવી પડે તેમ છે.

અઢળક રૂપિયા ખર્ચાતા હોવા છતાં છેલ્લા દસ વર્ષમાં આપણે જાતભાતનાં વાઇરસનાં જોખમો વેઠ્યાં છે. અત્યારે પણ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસ – કોવિડ-૧૯ની દવા શોધવા માટે જાત ભાતની ડ્રગ્ઝ પર પ્રયોગો વિશ્વભરમાં થઇ રહ્યાં છે. આ વાઇરસ સિઝનલ ફ્લુ કરતાં ૧૦ ગણો જોખમી છે તેવું વિધાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝનાં ડિરેક્ટરે તાજેતરમાં કર્યું હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ તો આ સુક્ષ્મ વાઇરસ આજે આધુનિકતાનાં નવા આયામો સર કરનારી માનવજાત સામેનાં સૌથી મોટાં જોખમો છે. અગણિત સંશોધન પછી પણ આધુનિક મેડિસિનની મદદથી આપણે હજી સુધી માત્ર એક જ વાઇરસને સંપૂર્ણપણે દૂર કરી ચૂક્યા છે અને તે છે સ્મોલપૉક્સ જેને માટે પણ દાયકા સુધીના વેક્સિનેશનની જરૂર પડી હતી.

અત્યારે જે વાઇરસ વિશ્વને ભરડામાં લઇ રહ્યો છે તે કઇ રીતે માણસનાં શરીર પર હુમલો કરે છે તે સંશોધકોએ સમજી લીધું છે અને તેને નજીક આવતો રોકવાના રસ્તા પણ તેઓ શોધી શક્યા છે. પરંતુ આ વાઇરસ અંગે થઇ રહેલા રિસર્ચની મદદથી તેના વિસ્તારને આપણે એકદમથી રોકી શકીશું કે કેમ?

વાઇરસ સામેની લડાઇ અઘરી કેમ?

વાઇરસ બહુ જ વિચિત્ર જીવાણુ હોય છે જે જરાક અમસ્તા અણુ-પરમાણુનો ઉપયોગ કરીને મનફાવે તેવા આકારમાં એક સાથે ગોઠવાઇ જાય છે અને સહેજ અમસ્તી હલન-ચલનની મોકળાશ મળે તો તે આખા તંત્રને – ઇકોસિસ્ટમને હચમચાવી શકે છે. હવા, પાણી, જમીન અને નાનકડાં છાંટામાં તે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી શકે છે, તેમનામાં ફેરફાર પણ બહુ જ ઝડપથી આવે છે. આ વાઇરસ આકાશથી માંડીને દરિયાના તળ સુધી ક્યાં ય પણ હોઇ શકે છે. વાઇરસિઝ તો બીજા જીવાણુઓને ય માંદા પાડી શકે છે પણ તે એટલા સરળતાથી બંધારણનું રૂપ લેતા હોય છે કે વૈજ્ઞાનિકો તેમને સજીવ તરીકે ગણવાનું ય જરૂરી નથી માનતા. તમે માનશો કે કોવિડ-૧૯ની પાછળ જે એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ વાઇરસ રહેલો છે તેનું કદ માત્ર ૧૨૦ નેનોમિટર્સ છે અને માનવ શરીરનાં રક્તકણ આનાથી ૬૪ ગણા મોટા હોય છે. માણસનાં શરીરને ૨૦,૦૦૦ પ્રકારનાં પ્રોટીનની જરૂર હોય છે, આ એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ માત્ર ૩૩ પ્રકારનાં પ્રોટીન વાપરે છે પણ માણસનાં નાકમાં દમ કરી શકે છે અને જીવ સુદ્ધાં લઇ શકે છે.

બેક્ટેરિયા અને વાઇરસમાં શું ફેર?

બેક્ટેરિયા અને વાઇરસમાં એક બહુ મોટો તફાવત હોવાથી તેમની સામેનાં યુદ્ધ પણ અલગ હોય છે. જેમ કે, બેક્ટેરિયામાં જે અણુઓ હોય તે અંદર બનતા રહે અને તેને કારણે જ બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે ટકી નથી શકતા, આ અણુઓ બેક્ટેરિયાને નબળા બનાવે છે, માનવ કોષને નહીં. પરંતુ એન્ટિબાયોટિક્સ વાઇરસિઝ પર અસર નથી કરતી કારણ કે વાઇરસ પોતાના જેવા બીજા વાઇરસ ઉત્પન્ન નથી કરતાં બલકે તેઓ માનવીય કોષો પર હુમલો કરે છે અને પોતાના યજમાન કોષનો જ ઉપયોગ કરીને પોતાના જેવા બીજા ક્લૉન્સ પેદા કરે છે માનવ કોષમાં વાઇરસની નકલ પેદા થતી રહે છે અને એ કારણે તે માટેની દવા શોધવી મુશ્કેલ બને છે. પ્રાણીજન્ય વાઇરસની દવા શોધવી તો બહુ જ મુશ્કેલ છે, એક સમયે ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ, મેલેરિયામાં ગામો ઉજ્જડ થઇ જતાં પણ આ તમામ પણ સમયાંતરે નાબૂદ થયાં, ઓછા થયાં કે પછી તેમની દવાઓ શોધાઇ. આ અંગેની દવાઓ કે વેક્સિન શોધવામાં પણ વર્ષો પસાર થયા હતાં અને કેટલાકને જડથી નાબૂદ કરે તેવી દવાઓ આજે પણ ઉપલબ્ધ નથી.

હાલમાં વાઇરસ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે સંશોધકો બે જ રસ્તા અપનાવે છે. કાં તો તેઓ વાઇરસથી થતા નુકસાનને ધીમું પાડે છે અને શરીરની પ્રતિકારક શક્તિને ઝડપી તથા મજબૂત બનાવે છે. એન્ટિવાઇરલ ડ્રગ્ઝ પણ એક રસ્તો છે જેનાથી વાઇરસની પ્રજોત્પત્તિ માનવીય કોષોને નુકસાન ન થાય તે રીતે અટકાવી શકાય છે. 

જો કે વાઇરસને નાથવાનો સૌથી અસરકારક રસ્તો છે ઇન્ફેકશન્સ અટકાવવું અને તે ક્વૉરેન્ટાઇન્સ અને સામાજિક અંતરો વધારવાથી જ થઇ શકે છે, અને હા વીસ સેકન્ડ સુધી હાથ ધોતા રહેવાથી પણ!

બાય ધી વેઃ 

જેમ જેમ માણસો વધુ આધુનિક સંશોધનોમાં સિદ્ધિ મેળવતા જાય છે તેમ તેમ કુદરત વધુ સંકુલ સમસ્યાઓ ખડી કરીને જાણે આખા ચક્રને સંતુલિત કરવાનો પ્રયત્ન કરતી હોય એમ લાગે છે. લાંબા લેખમાં વિજ્ઞાનની વાત કર્યા પછી પણ મને એમ કહેવું યોગ્ય લાગે છે કે અંતે તો કુદરત માણસને વખત આવ્યે તેનું સ્થાન બતાડી જ દે છે, કે ભાઇ તારે જેટલા ફાંકા રાખવા હોય એ રાખ પણ એક નહીં દેખાતા વાઇરસથી હું તને ડરને માર્યે ધ્રુજાવી શકું છું. જો આપણે તો ભારતમાં રહીએ છીએ. ગંદકી અને ઉકરડાની આપણને ટેવ છે એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘણી મજબૂત છે. ૨૦૦૩માં એસ.એ.આર.એસ. ૨૯ દેશોમાં હતો અને ૧,૦૦૦ જણા મૃત્યુ પામ્યા હતા જ્યારે આપણે ત્યાં ૩ મૃત્યુ થયા હતા. વુહાનમાંથી ભારત લવાયેલા ૩૨૭ જણાને કોઇ ઇન્ફેક્શન નહોતું. અમેરિકામાં ૨૦૧૦થી ગયા વર્ષ સુધીમાં ફ્લુને કારણે વર્ષે લગભગ ૩,૭૪૪ લોકો મૃત્યુ પામ્યા છે અને આપણે ત્યાં દસ વર્ષમાં આ આંકડો ૧,૧૦૩ છે, આ સાબિતી છે કે આપણે અન્ય દેશોની સરખામણીએ મજબૂત છીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2020

Loading

ભારતના ભદ્રવર્ગનો ચડિયાતા દેખાવાનો મોહ અંગ્રેજોને શાસન કરવા ઉપયોગી બન્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|15 March 2020

વિડંબના જુઓ! છ હજાર માઈલ દૂર બેસીને અંગ્રેજો બસો-ત્રણસો નોકરો દ્વારા ભારતમાં સામ્રાજ્યની રચના કરી રહ્યા હતા, ત્યારે ભારતમાં પેશ્વાઓ ચોથાઈ લઈને તાગડધિન્ના કરતા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક પણ સંચાલકે ભારતમાં પગ નહોતો મુક્યો. કંપનીનો રાજ કરવાનો આ અજીબ પ્રકાર ભારતીયોને ધ્યાનમાં જ નહોતો આવ્યો. બીજું, સૈનિક કે સેનાપતિ લડીને, કોઈ પ્રદેશ જીતીને રાજા બનીને રાજ કરે એવા તો સેંકડો દાખલા મળી આવશે, પણ ધંધો કરતી કંપની રાજ કરે એવું તો પહેલીવાર જોવા મળ્યું. કોઈ ભારતીયે આ જોણું જોવામાં અને સમજવામાં રસ નહોતો દાખવ્યો.

બીજું, અપભ્રંશ ભાષામાંથી વિકસેલી અને વિકસી રહેલી પ્રાદેશિક ભારતીય ભાષાઓને હજુ વધુ વિકસાવવામાં અંગ્રેજોએ, ખાસ કરીને મિશનરીઓએ ખૂબ રસ લીધો હતો. આની પાછળનો ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મના પ્રચારનો હતો. જે તે પ્રાદેશિક ભાષામાં બાયબલ અને અન્ય સાહિત્ય ઉપલબ્ધ કરી આપવા માટે તેમણે દરેક ભાષાનું વ્યાકરણ, લિપિ અને છાપખાનાં માટે બીબાં વિકસાવ્યાં હતાં. શબ્દકોશ તૈયાર કર્યા હતા કે જેથી હવે પછી આવનારા મિશનરીઓ સહેલાઇથી ભારતીય પ્રાદેશિક ભાષા આત્મસાત કરી શકે. તેમણે ખ્રિસ્તી બાયબલ અને ઇસુની સ્તુતિ કરતું સાહિત્ય જે તે ભાષામાં લખ્યું હતું કે લખાવ્યું હતું. આને કારણે ભારતીય પ્રાદેશિક ભાષાઓ સમૃદ્ધ થઈ છે અને તેને માટે આપણે યુરોપિયનોના ઓશિંગણ છીએ એની ના પાડી શકાય એમ નથી.

પણ આ જ અંગ્રેજો હિંદુ અને મુસલમાનને, ઉત્તર અને દક્ષિણને, પૂર્વ અને પશ્ચિમને, વેપારી અને ફકીરને જોડતી હિંદુસ્તાની ભાષા વિકસવા દેતા નથી. ફોર્ટ વિલિયમ કોલેજમાં તેઓ પંડિત લલ્લુ લાલજી અને મૌલવીઓને એકબીજાને નકારતા ભાળી ગયા હતા. અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે હિંદુઓને ફારસી અને અરબી શબ્દોને નકારી સંસ્કૃતપ્રચૂર હિંદી ભાષા વિકસાવવામાં રસ છે અને મુસલમાનોને સંસ્કૃત શબ્દો નકારીને અરબી-ફારસીપ્રચૂર ઉર્દૂ વિકસાવવામાં રસ છે. અંગ્રેજોએ એ તક ઝડપી લીધી હતી.

આ તો બેવડો લાભ! સમૃદ્ધ પ્રાદેશિક ભાષાઓ દ્વારા પ્રાદેશિક અસ્મિતાઓ બળવત્તર બનશે અને આખા દેશને જોડતી હિંદુસ્તાનીનો છેદ ઉડાડવા માટે હિન્દી-ઉર્દૂની તિરાડ પાડીને રાષ્ટ્રીય અસ્મિતાને વિકસતી અટકાવી શકાશે. સરવાળે બનશે એવું કે એક દિવસ પ્રબળ પ્રાદેશિક અસ્મિતાઓ રાષ્ટ્રીય અસ્મિતાની આડે ઊભી રહી જશે. જ્યાં સુધી પ્રાદેશિક અસ્મિતાઓ પ્રબળ છે ત્યાં સુધી અંગ્રેજોને ડરવાની જરૂર નથી. જે દિવસે રાષ્ટ્રીય અસ્મિતા આકાર પામશે અને પ્રબળ બનશે એ દિવસે આપણે ઉચાળા ભરવા પડશે એ કંપની સરકારના હાકેમો અને બ્રિટિશ સરકારના શાસકો જાણતા હતા.

પંડિત લલ્લુ લાલજી અને બીજા હિંદુઓને અને બીજે છેડે મુસલમાન મૌલવીઓને એ ધ્યાનમાં નહોતું આવ્યું કે અનુક્રમે હિન્દી અને ઉર્દૂને વિકસાવવામાં અને હિંદુસ્તાનીને નકારવામાં એમ બંને દિશામાં અંગ્રેજો શા માટે બંનેને કેમ મદદ કરી રહ્યા છે? અત્યારે સામાન્ય લાગતા આ સવાલો ત્યારે કોઈના મનમાં પેદા જ નહોતા થયા. અંગ્રેજોએ એ પણ માપી લીધું હતું કે ભારતીય માનસને પ્રશ્નો કરવાની અને તેનાં મૂળ સુધી ઊંડા ઉતરવાની આદત નથી. તેઓ શંકા પણ કરતા નથી.

આમ દરેક રીતે સારાં વાનાં હતાં, પણ સાર્વત્રિક શિક્ષણ વિના રાજ કરવું શક્ય નહોતું. આવડા મોટા દેશમાં મોટી સંખ્યામાં નોકરો જોઈએ, કાયદાઓ જોઈએ, વહીવટી નીતિ-નિયમો જોઈએ, અદાલતો જોઈએ, વકીલો જોઈએ અને જે કોઈ ભાષામાં રાજ ચાલવાનું હોય એ ભાષા સમજનારી રૈયત જોઈએ. તો પછી એ ભાષા કઈ હોવી જોઈએ? અંગ્રેજી કે ભારતીય? અંગ્રેજી પ્લસ ભારતમાં બોલાતી પ્રાદેશિક કે પછી ભારતીય પ્લસ પ્રાદેશિક?

અંગ્રેજોએ ભારતમાં અને લંડનમાં આ વિશે ખૂબ ઊંડી મલ્લીનાથી કરી હતી. બન્ને વિકલ્પોમાં લાભ અને ગેરલાભ બંને હતા. એક દલીલ એવી હતી કે અંગ્રેજી ભાષા નવોથ્થાનની ભાષા છે. અંગ્રેજી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતમાં પહોંચશે અને અંગ્રેજી ભાષા દ્વારા નવજાગરણના પરિણામે જે આધુનિક વિચાર અને માનવીય મૂલ્યો વિકસ્યાં છે તે ભારતમાં પહોંચશે. આ સાથે ભારતીય પ્રજા શંકા કરતી થશે, પ્રશ્નો પૂછતી થશે, રસ્તાઓ શોધતી થશે એ જોખમ હતું. આને પરિણામે એક દિવસ અંગ્રેજોએ ઉચાળા ભરવા પડશે. બીજી બાજુ ભારતીય ભાષાઓ માત્ર વ્યવહારની અને પોતાની સામાજિક પરંપરાને ટકાવી રાખવાની ભાષા છે. લોકો એવાને એવા રહેશે અને આપણે યાવદ્ચન્દ્ર દીવાકરૌ રાજ કરી શકીશું.

જો અંગ્રેજી દાખલ કરીશું તો લોકોમાં જાગૃતિ આવશે અને તેઓ ગુલામી અને આઝાદીનો ફરક સમજતા થઈ જશે અને વહેલા ઉચાળા ભરવા પડશે; પણ જો ભારતીય ભાષાઓને યથાવત્ રહેવા દઈશું તો લાંબો સમય શોષણ કરી શકીશું. આ બાબતે મતભેદનો પાર નહોતો અને તેમની વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી. માનવતાવાદીઓને એમ લાગતું હતું કે વિજ્ઞાન, ટેકનોલોજી અને આધુનિક મૂલ્યોથી ભારતીય પ્રજાને પરિચિત કરવી એ શાસનધર્મ છે પછી એ ભારતીય ભાષામાં આપવામાં આવે કે અંગ્રેજીમાં. જો ભારતીય ભાષાઓ સમર્થ ન હોય તો અંગ્રેજીમાં આપવામાં આવે. આપવું એ મુખ્ય છે, ભાષા મુખ્ય નથી. પાશ્ચાત્ય અને ખ્રિસ્તી સભ્યતાની સર્વોપરિતામાં માનનારાઓ એમ કહેતા હતા કે બ્રિટિશ સરકારનું કામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હિતોનું રક્ષણ કરવાનું નથી, પણ ભારત અંગ્રેજોનાં કબજામાં આવ્યું એ દૈવી અકસ્માતનો ઉપયોગ કરીને અજ્ઞાની ભારતીય પ્રજાનો હાથ ઝાલવાનું છે. તેમને નવા યુગમાં પ્રવેશ આપવાનું છે. આ દૈવીકર્તવ્ય છે. બીજી બાજુ કેટલાક લોકોને એમ લાગતું હતું કે મૂલ્યો અને સભ્યતા ગઈ ભાડમાં, ભારતીય પ્રજાના અજ્ઞાનનો લાભ લઈને ભારતને લૂંટી શકાય એટલું લૂંટો.

એક વર્ગ વ્યવહારવાદીઓનો પણ હતો. તેમને એમ લાગતું હતું કે લૂંટવા માટે પણ ભારતીય ભાષા કરતાં અંગ્રેજી ભાષા વધારે કારગર નીવડી શકે એમ છે. આનું કારણ એ હતું કે આખા દેશને જોડતી હોય એવી વિકસિત ભારતીય ભાષા છે જ નહીં. હિંદુસ્તાની નામની જે ભાષા છે એ હજુ જોઈએ એટલી વિકસિત નથી અને તેને અપનાવામાં અને વિકસાવવામાં હિંદુઓને મુસલમાનોને એમ બેમાંથી કોઈને રસ નથી. તેઓ તો પોતપોતાની ભાષા વિકસાવવા માગે છે જે દેશ ભરના હિંદુઓને અને મુસલમાનોને જોડે. તેમને દેશને જોડવામાં રસ નથી, તેમને પોતપોતાની કોમને એટલે હિંદુઓને અને મુસલમાનો દ્વારા તેમની પોતીકી ભાષામાં જોડવામાં રસ છે. આવા શૂન્યાવકાશમાં અંગ્રેજી ભાષા પણ સ્વીકાર્ય બની શકે એમ છે.

બીજું ભારતનો ભદ્ર વર્ગ અંગ્રેજોની નજીક જવાનો, તેમના જેવા દેખાવાનો અને બીજાં કરતાં અનોખા કે ચડિયાતા દેખાવાનો મોહ ધરાવે છે. આવું ચડિયાતાપણું તેમને અંગ્રેજી ભાષા આપી શકે એમ છે. આનો એક અનુભવ તેમને બ્રાહ્મણોએ કરેલા ધર્માંતર પછી થઈ ગયો હતો. આ સિવાય મુખ્યત્વે કલકત્તામાં અને મદ્રાસમાં જે ભારતીયો અંગ્રેજોના સંપર્કમાં આવ્યા હતા અને થોડું ઘણું અંગ્રેજી બોલી લેતા હતા તેમના તેવર પરથી પણ ખ્યાલ આવવા લાગ્યો હતો.

આ તો ભલે ભદ્રવર્ગની પણ આમ જનતાની વાત થઈ. બંગાળમાં રાજા રામમોહન રાય જેવા ભારતીય નવજાગરણના પિતામહે અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાની માગણી કરી હતી. તેમનું કહેવું એમ હતું કે ભારતીય ભાષાઓ આધુનિક જ્ઞાન શાખાઓનું અને નવજાગરણનું વહન કરી શકે એવી સક્ષમ નથી અને ભારતને જરૂર નવજાગૃતિની છે. તેમણે અંગ્રેજી ભાષા માટે મજબૂત વકીલાત કરી હતી અને અંગ્રેજો ભાષાના માધ્યમ વિશે નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે તેની ટીકા પણ કરી હતી.

આખરે ઈ.સ. ૧૮૩૫માં લૉર્ડ મૅકોલેની સલાહથી કંપની સરકારના ભારત ખાતેના ગવર્નર લૉર્ડ વિલિયમ બૅન્ટિકે અંગ્રેજી ભાષા ભારતમાં આપનારા આધુનિક શિક્ષણનું માધ્યમ હશે એવી જાહેરાત કરી હતી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 માર્ચ 2020

Loading

સિંધિયા, ‘રાષ્ટ્રીય પ્રવાહ’માં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 March 2020

શું કહીશું, છોરો કે’દીનું પૈણું પૈણું કરતો’તો, એમ જ ને? કૉંગ્રેસના અગ્રણી યુવા નેતા, ટીમ રાહુલના સભ્ય તરીકે એક તબક્કે મધ્ય પ્રદેશના વરાયેલા મુખ્યમંત્રી લેખે પોતાની અને બીજા કેટલાકની નજરે જોવાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનું પક્ષ છોડવું અને ભા.જ.પ.માં પ્રવેશવું એ તો, માનો કે, એમણે કલમ ૩૭૦ની નાબૂદીને ધરાર ટેકો કીધો ત્યારથી સામી ભીંતે લખાયા બરોબર હતું. પણ જે સરળતાથી આ આખી ઘટનાને કેટલાંક વર્તુળોએ ‘ઘરવાપસી’માં ખતવી દીધી એ વાનું કેવી રીતે ઘટાવીશું એ એક સવાલ છે. ખરું જોતાં, બીજે છેડેથી જોઈએ તો છેલ્લાં અઢાર અઢાર વરસથી એમનું કૉંગ્રેસમાં હોવું પણ, એમ તો, કોઈક તબક્કે ‘ઘરવાપસી’ જ હતું ને? જનસંઘ-ભા.જ.પ.માં લાંબો સમય શીર્ષ નેતૃત્વમાં રહેલાં રાજમાતા સિંધિયા ક્યારેક કૉંગ્રેસવાસી હતાં, અને પછી જનસંઘભેગાં થયાં હતાં. પણ આજે રાજમાતા નથી અને ભા.જ.પ.માં યશોધરા તેમ જ વસુંધરા બેઉ પોતપોતાની રીતે ઓછાંવત્તાં તિલકાયત રહ્યાં છે એટલે એ ભત્રીજા જ્યોતિરાદિત્યને એક તિલકાયત પેઠે આવકારે એ સ્વાભાવિક છે.

અહીં તિલકાયત સરખો પ્રયોગ સાભિપ્રાય કર્યો છે. એમાંથી વંશાનુગત સામંતી રાજવટની બૂ આવે છે. આમ જુઓ તો, ક્યારેક ટીમ રાહુલના સન્માન્ય સહભાગી લેખે ઊંચક્યા નહીં ઊંચકાતા જ્યોતિરાદિત્યનો કૉંગ્રેસ માંહેલો દબદબો બીજા એક ‘ફર્સ્ટ ફેમિલી’ગત તિલકાયતને કારણે સ્તો હતો. પરબારું તિલકાયત હોવું અને ઊંચી પાયરીએ બેસવું (બાપની ગાદી પેઠે) એ લોકશાહી પ્રક્રિયાની અને મૂલ્યોની રીતે બેલાશક અણછાજતું છે.

જ્યોતિરાદિત્યે પક્ષ છોડતાં એકબે વિગતમુદ્દા ચોક્કસ જ સાચા કીધા છે કે ચૂંટણીઝુંબેશમાં આપેલાં વચનો – ખાસ કરીને ખેડૂતોની દેવાનાબૂદી – બાબતે સત્તારૂઢ થયા પછી મુખ્યમંત્રી કમલનાથે કરેલી જાહેરાતો ખાલી ખાલી ખખડે છે. પોતે આ મુદ્દે બેચેન છે અને પક્ષ છોડી રહ્યા છે એવી એક ખુદસચ્ચાઈની ભૂમિકા એમણે લીધી છે. પણ ચંદ્રશેખર કે કૃષ્ણકાન્ત અગર મોહન ધારિયાની જેમ કૉંગ્રેસની અંદર ‘યંગ ટર્ક’ની રીતે સક્રિય હોવાનું દૈવત આ તિલકાયત કને કદાચ નથી. સત્તા, જે જન્મગત હોવી જ જોઈએ, એના વગરના એક બેચેનબહાદુર હાલ તો જણાય છે.

એમની બેચેનીની એક સમજૂત, જોગાનુજોગ કૉંગ્રેસની હાલની અનવસ્થા (નેતૃત્વવિષયક અનિર્ણયવશ અમથા અમથા ‘ડ્રિફ્ટિંગ’ની પરિસ્થિતિ) રૂપે જરૂર આપી શકાય. પણ એનો ઉગાર એમણે પક્ષની હારણ (ડિફિટિસ્ટ) મનોદશાને પલટવા અને પડકારવાને બદલે કથિત ઘરવાપસીમાં શોધ્યો એમાંથી ઊઠતી બૂ કેવળ ને કેવળ સત્તાકાંક્ષી તકસાધુતાની છે. ભા.જ.પ. શ્રેષ્ઠીઓએ એમનામાં વિભીષણનાં દર્શન કર્યા તે આ પક્ષની પોતીકી તરેહની રામનિષ્ઠા દર્શાવે છે. ખરું જોતાં એમણે વ્યાસ કને જઈ આવે વખતે વિકર્ણ (અને કદાચ યુયુત્સુને પણ) ખોજવા જેવું હતું અને છે.

એક વાત રાહુલ ગાંધીએ ભોગજોગે ઠીક કહી કે જ્યોતિરાદિત્યને એમના નવા મુકામમાં સુકૂન નહીં મળે. ભાઈ, સુકૂન જો દિલનો બલકે અંતરાત્માનો મામલો હોય તો એમાં જરૂર તમે કઈ વિચારધારાને વરેલા છો અને કઈ વિચારધારાને વળગવા જઈ રહેલા છો એવી કોઈ કસોટી હોય. અહીં તો જે છે તે કેરિયરની શોધ છે.

ભા.જ.પે. દેશને કૉંગ્રેસમુક્ત કરવાનો અને પોતે કૉંગ્રેસયુક્ત થવાનો જે ધોરી ઉર્ફે ભેલાણકારી રાહ લીધો છે એ અને નાનામોટા કૉંગ્રેસમેનોની આઘાપાછી બેઉ વસ્તુતઃ એક જ તરજ પરની બીના છે, અને બંને પોતપોતાને છેડેથી ઉદાત્ત રાજકારણની ભૂમિકા કઈ હદે છોડી ચૂક્યા છે એનું નિદર્શન છે. ઉચ્ચાકાંક્ષી વિચારધારાનું રાજકારણ ક્યારેક હશે તો હશે, અત્યારે તો એ બહુધા સત્તાકાંક્ષી બજારવાદની મર્યાદામાં રમે છે એમ જ કહેવું રહ્યું.

તેમ છતાં, એક વસ્તુ અવશ્ય વિચારણીય છે કે જેવો છે તેવો વિચારધારાવાદનો એક ખરોખોટો પણ ખૂંટો હાલ ભા.જ.પે. ખોડેલ છે. જવાહરલાલ નેહરુએ લોકશાહી સમાજવાદને ધોરણે સ્વતંત્રતા-અને-સમાનતા-લક્ષી એવી એક માનવીય અપીલ ક્યારેક જરૂર જગવી હતી. પ્રકારાન્તરે, બંધારણના આમુખમાં એ પડેલી છે. બધું રાજ્ય હસ્તક નહીં તો બધું બજારહસ્તક નહીં એવું જે એક લચીલું ને વહેવારુ વ્યાકરણ (મિશ્ર અર્થતંત્ર) આપણે ત્યાં કંઈક વિકસી રહ્યું હતું એમાં રાષ્ટ્રવાદ / સામ્યવાદની મૂર્છામોહિની નહીં પણ એક ભાવનામય અપીલસરની વહેવારડાહી સમજ જરૂર હતી. ભા.જ.પ.ના રાષ્ટ્રવાદે જગવેલ અફીણી ખેંચાણમાં બધો વખત હોશકોશને અવકાશ નયે હોય.

આ પ્રકારના વિચારધારાવાદ સામે ટકી જતો એક વ્યૂહ હમણાં આપણે આપ અને અરવિંદ કેજરીવાલના રાજકારણમાં જોયો છે. રાજકારણીઓના સ્પોઈલ્સ અને પેટ્રોનેજને મુકાબલે પ્રજાની સુવિધાલ્હાણ જરૂર આવકાર્ય છે. પણ આવી સુવિધાના કરવૈયા અને લાભાર્થી બેઉને બાંધતી કોઈ ભાવનાત્મક એટલી જ વૈચારિક અપીલ તો હોવી જોઈશે ને ? અન્યથા, પાટનગરી દિલ્હીના સરેરાશ મતદારને સારુ ઉપર મોદી અને નીચે કેજરીવાલ જેવા સરળમુગ્ધ અભિગમનો દબદબો કાયમ રહેશે. જેમાં નથી રીનેસાંસ, નથી રેફર્મેશન.

ચર્ચા જરી લાંબી ખેંચાઈ ગઈ – જો કે એ પ્રસ્તુત હતી અને છે – પણ પાછા સિંધિયા પ્રકરણ તરફ જઈએ તો સચીન પાઈલટની એ ટિપ્પણીમાં કંઈક દમ જરૂર છે કે આ પ્રશ્ન અમે પક્ષમાં અરસપરસ મળીને ઉકેલી શક્યા હોત એ ઇચ્છવાજોગ થાત. આ પ્રશ્ન એકબીજાને યથાસંભવ એકોમોડેટ કરવાનો છે, અને કૉંગ્રેસ જ કેમ ભા.જ.પ. ને બીજા પક્ષોમાં પણ તે જરૂરી હોય છે. પણ સત્તાકાંક્ષા ને મહત્ત્વાકાંક્ષાનું રાજકારણ ઉચ્ચાકાંક્ષાઓને ધરબીને ક્યાં સુધી ચાલી શકે ? જવાહરલાલના વારામાં પક્ષને (એના સેન્ટરિસ્ટ અને કંઈક ધર્મશાળારૂપ છતાં) બાંધતી જે એક ભાવનાત્મક અપીલ હતી એ ન હોય તો રાજકારણ ને જાહેર જીવન નકરાં અલૂણાં બની રહે છે.

પાટલીબદલુઓની નવાઈ નથી. પક્ષાન્તર થકી સત્તાંતરનો રવૈયો થોડોક ગાળો બાદ કરતાં કેવળ રાબેતો બની રહેલ છે. ઑપરેશન રંગપંચમી અગર ઑપરેશન કમલ (કે કમલનાથ?) મધ્યપ્રદેશમાં આ દિવસોમાં મત્ત મહાલવામાં છે. આવો દરેક પ્રસંગ (જે લગભગ રોજિંદા જેવો છે) હરિયાણા-કર્ણાટક રિસોર્ટકારણ કે ભોપાલમાં ફ્લોરાફ્લોરી, બધું ચાલશે પણ અત્યંત તીવ્રપણે જયપ્રકાશનાં એ આર્ત અને આર્ષ વચનો ડસ્યાં કરશે કે સાપનાથના સ્થાને નાગનાથ આવે તોપણ શું અને નાગનાથને સ્થાને સાપનાથ આવે તોપણ શું.

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 03

Loading

...102030...2,5522,5532,5542,555...2,5602,5702,580...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved