Opinion Magazine
Number of visits: 9575987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ ડાહ્યો મુસલમાન હિંદુ બહુમતી દેશમાં નાગરિકત્વ માંગે નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|5 February 2020

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રહી રહીને હવે મોઢું ખોલ્યું છે અને સવાલ કર્યો છે કે સી.એ.એ. (સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ઍક્ટ), એન.પી.આર. (નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અને એન.આર.સી.(નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન)ની જરૂર જ શું છે? એ ત્રણ જોગવાઈઓના સ્વરૂપ વિશે તેમણે વાત કરી છે અને એ કઈ રીતે દેશમાં તિરાડ પેદા કરી શકે એમ છે અને સરવાળે હિંદુઓને જ કઈ રીતે નુકસાનકર્તા છે એમ તેમણે કહ્યું છે. અહીં આપણે અરવિંદ કેજરીવાલને સવાલ પૂછવો જોઈએ કે જો આટલું જ્ઞાન ધરાવો છો તો ગયા વરસના ડિસેમ્બરમાં સંસદમાં ખરડો આવ્યો ત્યારે તેને ટેકો શા માટે આપ્યો હતો? અરવિંદ કેજરીવાલે એન.ડી.ટી.વી.ને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે તેમને આ બધા કાયદાઓ સમજાતા જ નથી. તો પછી સંસદમાં ખરડાના પક્ષે વગર સમજ્યે મતદાન કર્યું હતું?

અરવિંદ કેજરીવાલને દિલ્હીની વિધાનસભામાં મતદાતાઓના મત નહોતા ગુમાવવા આ એક કારણ હતું. પણ એનાથી વધારે મોટું કારણ મારી સમજ મુજબ એવું છે કે કેજરીવાલ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પિતરાઈ છે. આવું મને ૨૦૧૦થી લાગી રહ્યું છે જ્યારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની બેઠકો સંઘ દ્વારા સ્થાપિત વિવેકાનંદ ફાઉન્ડેશનમાં થતી હતી. અણ્ણા હજારે, ડબલ ડેકર શ્રીધારી રવિશંકર, બાબા(હવે લાલા)રામદેવ, કિરણ બેદી, અરવિંદ કેજરીવાલ વગેરે ત્યાં મળતા હતા અને યોજનાઓ બનતી હતી. મંચ પર પૃષ્ઠભૂમિમાં સંઘ પ્રેરિત ભારતનો નકશો રાખવામાં આવતો હતો અને દેખાવોમાં સંઘના કાર્યકર્તાઓ અડધી ચડીની જગ્યાએ જીન્સ પહેરીને આવતા હતા. વિનોદ રાય નામનો માણસ ભ્રષ્ટાચારના આંકડાં ફૂગાવી ફૂગાવીને આપતો હતો.

આમ અરવિંદ કેજરીવાલ માનવતાવાદી છે કે પછી હિંદુ રાષ્ટ્રવાદી છે એ વિશે મારા મનમાં પહેલેથી જ શંકા છે. જો હિંદુ રાષ્ટ્રવાદી હોય તો એટલું કબૂલ કરવું રહ્યું કે તેઓ મોદી-શાહ કરતાં ઘણી સફાઈ સાથે રાજકારણ કરે છે અને અરવિંદ કેજરીવાલ જો ખરેખર પિતરાઈ હોય તો એટલું તો આપણે કબૂલ કરવું જોઈએ કે તે વધારે ચતૂર છે અને સભ્ય ચહેરો ધારણ કરતા તેમને આવડે છે. વિકાસ પ્લસ રાષ્ટ્રવાદનું વ્યવહારુ મોડેલ તેમણે વિકસાવ્યું છે. અરવિંદ કેજરીવાલ ખરેખર શું છે એ ઝાઝા દિવસ છૂપું રહેવાનું નથી.

કેજરીવાલે તો કાનૂન ત્રિપુટીની નિરર્થકતાનો ખૂલાસો કર્યો નથી, પણ અહીં વાચકોનું એક બાબતે ધ્યાન દોરવું છે. ખબર નહીં કેમ, પણ આ મુદ્દે જેટલી ચર્ચા થવી જોઈએ એટલી થઈ નથી. ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં આપેલી વિગતો મુજબ ભારતનું વિભાજન થયું ત્યારે અવિભાજિત પાકિસ્તાનમાં ગેર મુસલમાનોની વસ્તીનું પ્રમાણ ૨૩ ટકા હતું જે આજે ઘટીને ૩.૭ ટકા છે. પૂર્વ પાકિસ્તાનમાં એટલે કે આજના બંગલાદેશમાં ગેર મુસલમાનોની વસ્તીનું પ્રમાણ ૧૯૪૭માં ૨૨ ટકા હતું જે આજે ઘટીને ૭.૮ ટકા વધારે હતું. એ પછી અમિત શાહે સવાલ કર્યો હતો જે તેમના જ શબ્દોમાં : ‘કહાં ગયે યે લોગ? યા તો ઉનકા ધર્મ પરિવર્તન હુઆ, યા ઉનકો માર દિયે ગયે, યા ભગા દિયે ગયે યા ભારત આ ગયે.’

પહેલી વાત તો એ કે આ આંકડા ખોટા છે અને બીજી વાત એ કે વિભાજન વખતે બધા જ ગેર મુસલમાનોનું સાગમટે ભાવિ નક્કી નહોતું થયું. એ વાત ખરી છે કે વિભાજન વખતે કોમી હિંસા થતાં મોટા પ્રમાણમાં હિંદુઓ પાકિસ્તાન છોડીને ભારત આવતા રહ્યા, પણ એ છતાં ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સુધી અને ૧૯૭૦માં પેદા થયેલા બંગલાદેશના સંકટ સુધી અનુક્રમે પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનમાં ગેર મુસલમાનોની વસ્તી હજુ પણ ઠીકઠીક પ્રમાણમાં હતી. પશ્ચિમ પાકિસ્તાનમાં મુખ્યત્વે સિંધમાં. યુદ્ધ પછી અને બંગલાદેશના સંકટ પછી પાકિસ્તાનમાં સ્થિતિ એવી બની હતી કે ગેર મુસલમાનો, ખાસ કરીને હિંદુઓ પાકિસ્તાન છોડીને બહાર જવા લાગ્યા. આમ જે સ્થળાંતર થયું છે એ અંદાજે ૩૦ ટકા વિભાજન વખતનું છે અને બાકીનું ૧૯૬૫ પછીનું છે. વિભાજન વખતનો સ્થળાંતરનો આંકડો નાનો એટલા માટે છે કે પૂર્વ પાકિસ્તાનમાંથી વિભાજન વખતે સ્થળાંતર ઘણું ઓછું થયું હતું. ૧૯૬૧ની વસ્તી ગણતરી મુજબ પૂર્વ પાકિસ્તાનમાં ગેર મુસલમાનોની વસ્તીનું પ્રમાણ હજુ પણ ૧૯.૫૭ ટકા હતું. આજે પણ બંગલાદેશમાં ગેર મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ ૯.૬ ટકા છે.

જે લોકો વિભાજન વખતે ભારત આવી ગયા હતા તેમને તો ભારતનું નાગરિકત્વ અલગથી મેળવવાનો સવાલ જ નહોતો. એ હતું જ, માત્ર રહેણાક બદલાયું હતું. બંધારણ ઘડાયું, બંધારણીય રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, નાગરિક ધારો લાગુ થયો એ પછી પાકિસ્તાનમાંથી જે ગેર મુસલમાન લોકો ભારતમાં આવ્યા તેમણે ભારતનું નાગરિકત્વ મેળવવાનું હતું. હવે હમણાં કહ્યું એમ ૧૯૬૧માં એકલા પૂર્વ પાકિસ્તાનમાં ગેર મુસલમાનોની વસ્તી ૧૯.૫૭ ટકા એટલે કે પૂર્વ પાકિસ્તાનની કુલ ચાર કરોડ વીસ લાખની વસ્તીમાં ૮૪ લાખની હતી. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન એમ બન્ને મળીને ગેર મુસલમાનોની વસ્તી એક કરોડ કરતાં વધુ હતી.

હવે સવાલ એ છે કે અત્યારે ભારતમાં વસતો હોય અને પાકિસ્તાનમાં જન્મ્યો હોય એવો કોઈ ભૂતપૂર્વ પાકિસ્તાની ગેર મુસલમાન તમને મળ્યો જે ભારતનું નાગરિકત્વ મેળવવા દરવાજે દરવાજે ભટકતો હોય? તમે એવી ફરિયાદ કરતો કોઈ નિર્વાસિત જોયો છે જે કહેતો હોય કે પાકિસ્તાન કે બંગલાદેશમાં ઘરબાર છોડીને આવ્યા, છતાં પણ હજુ સુધી અમને ભારત સરકાર નાગરિકત્વ નથી આપતી? ભારતનું નાગરિકત્વ મેળવવા તડપતા હોય, તલસતા હોય એવા નિર્વાસિત ક્યાં ય જોવામાં આવ્યા છે? જો એમ હોત તો કાશ્મીરની ખીણના પંડિતો માદરે વતન માટે ઊહાપોહ કરે છે એમ ભૂતપૂર્વ પાકિસ્તાની ગેર મુસલમાનો ભારતનું નાગરિકત્વ મેળવવા શોર મચાવતા હોત. ક્યારે ય દિલ્હીમાં જન્તર મન્તર પર એક્સ પાકિસ્તાનીઓએ ભારતનું નાગરિકત્વ મેળવવા મોરચો કાઢ્યો હોય એવું સાંભળ્યું છે? ક્યારે ય? આય રિપીટ, આઝાદ ભારતના ઇતિહાસમાં ક્યારે ય? પાકિસ્તાન અને બંગલાદેશ છોડો, કોઈ મૂળ અફઘાનિસ્તાની ગેર મુસલમાનને નાગરિકત્વ નથી મળતું એવી ફરિયાદ કરતા કે માગણી કરતા સાંભળ્યા છે?

જો તેમને આવી માગણી કરતા નથી સાંભળ્યા તો એનો દેખીતો અર્થ એ જ થાય કે તે બધાને નાગરિકત્વ મળી ગયું છે. પાકિસ્તાન અને બંગલાદેશથી આવતા લગભગ તમામને અને અફઘાનિસ્તાનમાંથી આવતા મોટા ભાગના ગેર મુસલમાનોને ભારતમાં નાગરિકત્વ આપવામાં આવે તે માટેની જોગવાઈ છે અને મોટી સંખ્યામાં લોકોએ નાગરિકત્વ મેળવ્યું છે. જો એમ ન હોત તો અસંતોષ કાને પડ્યો હોત. આખરે વિભાજનને સાત દાયકા થઈ ગયા છે, એ કોઈ કાલની તાજી ઘટના નથી.

બીજી વાત, પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના કેટલા મુસલમાનોએ ભારતનું નાગરિકત્વ માગ્યું છે? કોઈ યુવતીએ ભારતીય મુસલમાન યુવક સાથે લગ્ન કર્યાં હોય અને લગ્નના સંબંધે નાગરિકત્વ માગ્યું હોય એ જુદી વાત છે, પરંતુ અમારા દેશ(પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાન)માં અમને સતાવવામાં આવે છે એટલે અમારે ભારતમાં આશ્રય જોઈએ છે એટલું જ નહીં નાગરિકત્વ પણ મેળવવું છે એવી સત્તવાર કેટલી અરજી આવી? મારી પાસે આનો આંકડો નથી, પણ એવી સંખ્યા સોની પણ નહીં હોય. પાકિસ્તાનમાં જેમને સતાવવામાં આવે છે એવા મુહાજીરો, અહમદિયા મુસલમાનો, સૂફીઓ, ગિલગીટ અને બાલ્તીસ્તાનના શિયા કબિલાઈઓ, બંગલાદેશના બિહારી મુસલમાનો વગેરેમાંથી ભાગ્યે જ કોઈએ ભારત સરકારને નાગરિકત્વ માટે અરજી કરી હશે. તસ્લીમા નસરીન કે તાલેબાનોથી ડરી ગયેલા અફઘાનીઓએ ભારતમાં આશ્રય લીધો છે, નાગરિકત્વ નથી માગ્યું.

આનું કારણ એ છે કે કોઈ ડાહ્યો મુસલમાન હિંદુ બહુમતી દેશમાં નાગરિકત્વ માગે નહીં અને માગે તો તેને મળે નહીં. ધારો કે ભારતમાં કોઈ સેક્યુલર હિંદુને કે હિંદુ દલિતોને સતાવવામાં આવે તો તે પાકિસ્તાનમાં જાય? અને જાય તો ત્યાંનો નાગરિક બને? અને માની લો કે તે નાગરિક થવા અરજી કરે તો પાકિસ્તાન આપે?

મુદ્દાનો સવાલ એ છે કે પાકિસ્તાન, બંગલાદેશ કે અફઘાનિસ્તાનથી આવેલ ગેર મુસલમાનો આજ સુધી નાગરિકત્વવિહોણા રહ્યા નથી તો પછી સી.એ.એ.ની અલગથી વ્યવસ્થા કરવાની શી જરૂર પડી? આ જોગવાઈ નાગરિકત્વ આપવા માટેની છે તો કોને? જેને (ગેર-મુસલમાનને) આપવું જોઈએ એને તો અપાય જ છે. આજ સુધી કોઈને વંચિત રાખવામાં નથી આવ્યા.

તો પછી સી.એ.એ. શા માટે અને કોના માટે? આ જ તો ગેઈમ છે. મુસલમાનોનું નાગરિકત્વ છીનવી લેવા માટેની આ રમત છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05  માર્ચ 2020

Loading

‘હેલ્લારો’ની કરોડરજ્જૂ છે, સર્જકવૃંદની સમાજનિષ્ઠા

એસ. ડી. દેસાઇ|Opinion - Opinion|4 February 2020

રંગભૂમિ અને ફિલ્મ જાદુઈ માધ્યમો છે. મોટી સંખ્યામાં લોકો સાથે આનંદપૂર્વક સંપર્કમાં રહો. ચાહો તો કોઈ એક કક્ષાએ માત્ર મનોરંજન કરતા રહો, ચાહો તો અનુકંપા ઊમેરી સમાજના એ ઘટકો સાથે જોડાઓ, જેમને એની જરૂર છે. સાથોસાથ સમાજના સુખી ઘટકોમાં એ માટે જાગૃતિ પેદા કરો. આ પ્રકારનું કામ કરવાની સજ્જતા અને પ્રતિબદ્ધતા અભિષેક શાહમાં દેખાય છે.

આ દસકા દરમિયાન અભિષેકે એકાંકી નાટકો દ્વારા રંગભૂમિમાં નામ કાઢ્યું. સ્ત્રીને અન્યાય સામે ઝૂકી જવાને બદલે લડત આપતા રહેવા જુસ્સો આપે, વંચિતોની સમસ્યા માટે સહાનૂભૂતિ ઊભી કરે, કોઈ એક ધર્મ બીજાથી ચડિયાતો નથી એવું બતાવે. આરંભનાં જ નાટકોમાં લેખન અને દિગ્દર્શન દ્વારા આવું કૌવત દાખવેલું, અભિષેકે. દરમિયાન ફિલ્મો માટે યોગ્ય અભિનેતાની પસંદગીની, કાસ્ટિંગની કામગીરી નોંધપાત્ર રીતે કરી. ફિલ્મો જોઈ, ફિલ્મ બનાવવા અંગે વાંચતા રહી એક સમાજલક્ષી ફિલ્મ બનાવવાની એને ચળ ઊપડી અને એક ફિલ્મ બનાવી ’હેલ્લારો’ નામે એવી કે એનું સર્જન થયું એમ કહેવું પડે. એ સર્જન રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયું. હિન્દી સહિતની દેશની બધી જ ભાષાઓની ૨૦૧૮ના વર્ષની ફિલ્મોમાં કોઈ ખ્યાતનામ કલાકાર વિનાની આ ગુજરાતી ફિલ્મ શ્રેષ્ઠ ગણાઈ અને એને સુવર્ણ કમળ મળ્યું.

અભિષેકના પહેલા જ, પારિતોષિક વિજેતા, નાટકની શહેરી નાયિકાને ઉદ્દેશીને શીર્ષક હતું : ’તું લડતી રહેજે’. છત્રીસ વર્ષના આ યુવાનની પહેલી જ ફિલ્મમાં કચ્છના ગ્રામ્યપ્રદેશની તેર પરિણીત યુવાન સ્ત્રીઓ, જેમાં એક જ શિક્ષિત, આનંદથી ઊછળતી ખુલ્લા અવાજે ગાય છે : ’ઠેલ્યા મેં ઉંબરા ને ઠેલી મેં પાળ …’  પુરુષપ્રધાન સમાજનાં જોહુકમી નિયંત્રણો વચ્ચે જેમનું સ્મિત કચ્છના રણની સૂક્કીભઠ્ઠ ધરાની જેમ સુકાઈ ગયેલું તે અડીખમ બની ઘરબહાર નીકળી પડતી આ વીરાંગનાઓ એક બનીને એમની મુક્તિનો ગરબો ગાય છે. અભિનેત્રીઓનું કામ અને એમનો સંદેશ એવો કે જ્યૂરીએ તેરેયને સહિયારું વિશેષ પારિતોષિક આપ્યું.

કાસ્ટિંગ-ડિરેક્ટર તરીકે અભિષેકની કાબેલિયતનો પરિચય આ ફિલ્મમાં પણ મળે છે. ફિલ્મનો ‘હીરો’ છે પેલી તેર સ્ત્રીઓ, જેની ભૂમિકામાં છે શ્રદ્ધા, નીલમ, તેજલ, ડેનિશા, રિદ્ધિ, તર્જની, એકતા, કૌશામ્બી, શચિ, બ્રિન્દા, કામિની, જાગૃતિ, પ્રાપ્તિ. દરેકનું અલગ વ્યક્તિત્વ, પણ સાથે પાણી ભરવા જાય, ત્યારે વેદનાના તાંતણે ગુંથાયેલું એક વૃંદ. કૂવે જતાં દબાયેલી વેદનાને વાચા મળે. આ જ સમય છે, જ્યારે તેઓ ભૂંગાની બહાર પગ મૂકી શકે, થોડી પણ વાત કરી શકે. બાકી તો જાળીવાળી નાની બારીમાંથી જોવાનું. ગરબા પણ પુરુષો રમે. ફિલ્મના આરંભે જ કરડા અવાજે સાંભળવા મળે છે : ’બહાર ન જવાય અને પુછાય પણ નહીં કે કેમ.’ એક હાલરડાના શબ્દો છે : ‘સપનાં વિનાની આખી રાત …’.

આ બહેનોને એક દિવસ કૂવે જતાં રસ્તામાં એક ઢોલી મળ્યો, તે મીઠાં પાણીના ઝરા જેવો. મૃતઃપ્રાય પડ્યો હતો, તેને પાણી પાઈને બેઠો કર્યો, તેમણે. નવરાતમાં પણ પુરુષો ગરબા કરે આ પંથકમાં. સ્ત્રીઓથી ભૂલેચૂકે ઘરબહાર પગ ન મેલાય. પરણીને હમણાં જ ગામમાં આવેલી મંજરી (શ્રદ્ધા) થોડું ભણેલી. તેણે વૃંદમાંથી બહાર નીકળી ઢોલીના તાલે પગ માંડ્યો અને બીજી બહેનો ધીરે ધીરે જોડાતી ગઈ. જેની ઇચ્છા આજ સુધી અંદર ધરબી રાખી હતી, તે કરવાની તક મળી ગઈ તેમને. ઢોલીના તાલે પગમાં, હાથમાં, આખા દેહમાં અને વિશેષે હૃદયમાં નવાં સ્પંદનો જાગ્યાં. રેઢિયાળ જીવનમાં પ્રાણસંચાર થયો. મુક્ત હવાના સ્પર્શે નવોન્મેષો પ્રગટ્યા અને તે અભિવ્યક્ત કરવાનું માધ્યમ પણ અનાયાસ મળી ગયું. સાથોસાથ ફિલ્મની કથાને આગળ ધપાવતું એક નવું પરિમાણ ઉમેરાયું. ત્રુટક શબ્દોથી ઇશારો મળતો ગયો કે ઢોલીના દિલમાં કોઈક વાત ઢબુરાઈને પડી છે. આ ઢોલીની ઢમકે તેમના મનની ઘૂઘરીઓ રણકી ઊઠી અને પગમાં વીજચમકાર થયા. જે થવાનું હોય તે થાય, સૌ મોકળા મને મુક્તિની ઉજવણી કરે છે. પાંખો ફૂટ્યાનો અહેસાસ થાય છે સૌને. એકે સૌના અંતરને વાચા આપી : ’મરવાની બીકે જીવવાનું નહીં છોડીએ.’ છેવટ સુધી જીભ સીવી રાખતા ઢોલીના પાત્રને જયેશ મોરે હૃદયદ્રાવક રીતે પ્રગટાવે છે. ઢોલી અને સ્ત્રીઓને જોતાં વારેવારે અંગ્રેજકવિ શેલીની પંક્તિ યાદ આવ્યા કરે : આપણાં સૌથી મધુર ગીતો એ છે જે આપણા દર્દને વ્યક્ત કરે છે (Our sweetest songs are those that tell of saddest thoughts).  

અભિષેકનું કાસ્ટિંગ દરેક વિભાગમાં ઝળકી ઊઠ્યું છે. સંવાદોના અસાધારણ સામર્થ્ય પર તેમ ગરબાનાં વેદનાભર્યાં ગીતોની નાજુક અભિવ્યક્તિ પર સૌમ્ય જોશીના હસ્તાક્ષર છે. પ્રતીક ગુપ્તાને સાથે રાખી અભિષેકે લખેલી પટકથા, કથાને પ્રવાહિતા આપતું એનું દિગ્દર્શન અને સૌમ્યના સંકેતસમૃદ્ધ શબ્દો ફિલ્મને એવી ઊંચાઈ પર લઈ જાય છે, જે ગુજરાતી સિનેમાએ જોઈ હોય એવું સ્મૃતિમાં નથી. ફિલ્મ માટે કચ્છના રણમાં ઊભું કરવામાં આવેલું ગામ પણ સાંકેતિકતા ધારણ કરે છે. એને બહારની દુનિયા સાથે ભાગ્યે જ કોઈ સંપર્ક હતો.

ફિલ્મના નાટ્યાત્મક અંશો દિગ્દર્શનની વિશિષ્ઠ શૈલીને મહેક આપે છે. ગામનાં પુરુષો અને સ્ત્રીઓ, મંજરી અને વૃંદની અન્ય યુવતીઓ ઉપરાંત અફાટ વિસ્તાર અને બંધિયારપણું, તેજ અને અંધકાર, શ્વેત અને શ્યામ રંગો, મુક્તિ અને ગૂંગળામણ, સ્થગિતતા અને વહન જેવાં વિરોધ દ્વંદ્વો સૂઝપૂર્વકના દિગ્દર્શન હેઠળ સિનમેટોગ્રાફર્સે સુંદર રીતે ઝડપ્યાં છે. આગળ વૃંદ દૃશ્ય, પાછળ અમાપ રણવિસ્તારની ઝલક અને તેમાં દૂર સામેના છેડાનું લઘુ દૃશ્ય જોઇને ’વાહ’ કહેવાનું મન થાય. ઍડિટિંગ પણ નાટ્યાત્મકતાને ઉઠાવ આપે.

મૌલિક સાઉન્ડટ્રૅક સહિતનું મેહુલ સુરતીનું સંગીત વિષયવસ્તુ પ્રમાણે જકડી રાખી બદલાતું  રહે. તેમાં ગીતો પ્રાણ પૂરે. ’વાગ્યો રે ઢોલ’ (ભૂમિ ત્રિવેદી) અને ’અસવાર’(ઐશ્વર્યા મજમુદાર – મુરા લાલા)ના પડઘા આવતા સમયમાં ગુજરાતભર અને મુંબઈમાં પડતા રહેશે. ફિલ્મ બહાર કેટલીક કલાકાર બહેનો ફેસબુક પર એ ગીતો પર અભિનય આપતી જોવા મળે છે. આરંભે એક નવતર પ્રકારનું હાલરડું છે : ’તારા પગનાં ઝાંઝર રોકજે … માવડી પાસે માંગજે ખાલી રાત.’ તે આદિત્ય ગઢવીએ ગાયું છે. શ્રુતિ પાઠકે ’હૈયા’ ગાયું છે. તેર યુવામાનુનીઓ ફિલ્મમાં છવાઈ જાય છે. બાકી અભિનયમાં બીજા કલાકારો ક્યાં પાછા પડે છે? તેરમાં નહીં એટલે સ્વાતિ દવે પોંખાઈ નહીં. પિતૃપ્રધાન સમાજનું ચિત્રણ, એટલે જોમભર્યા ભાયડાઓના અભિનયને દાદ ન અપાય તે ચાલે? મૌલિક, આર્જવ, શૈલેષ અને બીજા અનેક.  સામાન્ય રીતે કરકસર કરે તે પ્રોડ્યૂસર્સ પણ અહીં ઉદાર. દિગ્દર્શકે કલા અને સમાજલક્ષિતા પ્રત્યે આવો અનુકૂળ પ્રતિભાવ જન્માવ્યો. કદાચ પ્રેક્ષકોમાં જન્માવશે.

આ સર્જનની કરોડરજ્જુ છે, આખા વૃંદની સમાજનિષ્ઠા. ’હેલ્લારો’નાં છાંટણાં ગુજરાતી સિનેમાને ભીંજવે!

E-mail : sureshmrudula@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 15 તેમ જ 14

Loading

સાહિત્ય અને સ્વાયત્તતા

-------, -------, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|4 February 2020

સ્વાયત્તતાના સાચદિલ હિમાયતીને / સુમન શાહ

‘નિરીક્ષક’ તંત્રીશ્રી પ્રકાશભાઈ

કુશળ હશો.

‘નિરીક્ષક’ના ૧ જાન્યુઆરી ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત ચન્દ્રકાન્ત ટોપીવાળાની પત્રચર્ચા ‘ખુદની જોગવાઈને સરકાર જ્યારે ચાતરી ગઈ’-ના ઉત્તર રૂપે આ લખાણને પ્રકાશિત કરવા વિનંતિ છે.

ગુજરાતીભાષી કોઈ શિક્ષિત પણ કહેશે કે મારો એ આખો લેખ પરિષદને તેમજ સરકારને સમ્બોધે છે તે માત્ર અને માત્ર સ્વાયત્તતા બાબતે છે, સ્વાયત્તતાની પૂરેપૂરી તરફેણમાં છે. તે માટે તે લેખ લોકમતને મોટું સાધન લેખે છે અને દર્શાવે છે કે લોકમત પ્રગટાવી શકાયો નથી. તે લેખ મૂળે તો એમ કહે છે કે સાત્ત્વિક ચર્ચાને વરેલો આ એક સાહિત્યિક ઝઘડો છે અને તે માટે જાનફિશાનીપૂર્વક લડવું જરૂરી છે. તે લેખ સહાનુભૂતિપૂર્વક તારવે છે કે એ ઝઘડો સરખી રીતે લડી શકાયો નથી, વાતાવરણમાં જાનફિશાનીપૂર્વક લડી શકાય એવું જોમ નથી પ્રગટ્યું. અને તે લેખ એમ સૂચવે છે કે આ પ્રશ્ન સાથે જોડાયેલી પરિષદે ઠરાવોથી આગળ વધીને અને સરકારે ચુપકીદીભરી સ્થગિતતા છોડીને એક એવા ઍક્શનનો આશ્રય કરવો જરૂરી છે જેના પરિણામે સર્વસ્વીકાર્ય ઉકેલ હાથ આવે. લેખની આમાંની એકપણ વાત ચન્દ્રકાન્ત ટોપીવાળાને ધ્યાનપાત્ર નથી લાગી તે એવું કેમ હશે?

હું અકાદમીમાં ગયો ને નીકળી ગયો એ મારી ખુદની સ્વાયત્તતાને આભારી છે એ સમજવા તેઓ તૈયાર નથી. હું મન્તવ્ય અને પ્રતિ-મન્તવ્ય ધરાવવાને સ્વતન્ત્ર છું એ સાદી વાત એમના વિચારજગતમાં ઊતરતી નથી. તેઓ બોલે તે જ અને ત્યારે જ બીજાઓ બોલે તેને જ તેઓ અધિકારસંગત સમજે છે. હું એમને એ પૂછું છું કે સ્વાયત્તતા વિશે બોલવાના મારા અધિકાર વિશે પ્રશ્ન ઉઠાવનાર તમે છો કોણ? હું કોઇ કાળે અમુક માનતો હોઉં ને બીજા કાળે એથી ઊંધું, એ મારી મુક્તતાને ઉવેખીને તેઓ આવો સરમુખત્યારછાપ પ્રશ્ન પૂછે છે તે શા માટે? એમની છે એવી એ જડ-સજજ્ડ સમજમાં જ સ્વાયત્તતાની ભાવ-ભાવનાનો દ્રોહ છે. એમની છે એવી માનસિકતાએ જ આ પ્રશ્નના ઉકેલને રૂંધી રાખ્યો છે.

તર્કમાં બહુ સમજનારા એમને એ તર્ક સમજવાની જરૂરત છે કે સ્વાયત્તતામાં માનતા કે ન માનતા કોઈ સામાન્ય નાગરિકને પણ આ પ્રશ્ન અંગે બોલવાનો અધિકાર છે, અને એ માટે એણે પરિષદના સૂરમાં સૂર મિલાવવાની જરૂર નથી, બલકે અકાદમી સાથે જોડાવાની કે નીકળી જવાની પણ જરૂર નથી. જ્યારે, હું તો માતૃભાષા ગુજરાતીના અધ્યાપક અને લેખક તરીકે ૫૫-૫૬ વર્ષથી જાણીતો છું. ભાષા-સાહિત્ય માટેની મારી ખેવના જાણીતી છે. મારા સ્વાયત્તતા વિશેના એ વિચારોની સરાહનાભરી સ્વસ્થ ચર્ચા કરવાને સ્થાને તેઓ મારી પાત્રતાનો સવાલ કરી મને ટારગેટ બનાવી રહ્યા છે એ હકીકત પાછળનો એમનો આશય મને ચિન્ત્ય ભાસે છે.

એમણે ‘ફતવા’ – શબ્દનું વિવરણ કરેલું કે ‘સ્વમાની અને સંવેદનશીલ ગુજરાતી લેખકની સહજ પ્રતિક્રિયાનો સંભવિત આલેખ’. એમના એ ક્લિષ્ટ પણ રૂપાળા શબ્દોથી ‘ફતવો’-ના અર્થમાં વાસ્તવમાં કશો ફર્ક નથી પડતો; પણ તેઓ ‘સ્વમાની અને સંવેદનશીલ લેખકો’ જેવો ઘાતક ભેદકારી પ્રકાર પાડે છે તે તો વ્યક્ત થાય જ છે. આ સંદર્ભમાં મેં કહેલું કે ‘સ્વાયત્તતાતરફી એકદમનો ધૈર્યશાળી હોય ને પોતાના સત્ય પર ખડો રહી બસ ઝઝૂમે.’ સ્વાયત્તતાના સાચદિલ હિમાયતીને વિશેનું આ પણ મારું વર્ણનાત્મક મન્તવ્ય જ છે. એ જેટલું સ્પષ્ટ છે એટલું જ તત્ત્વદર્શી અને સમુચિત છે. હું ઉમેરું કે દુનિયાભરના વિદ્વન્મતિઓ સ્વાયત્તતા-વિભાવને એવા ઉચ્ચગ્રાહથી સેવે છે અને તેની હિફાજતનો આગ્રહ રાખે છે. એમાં ‘ફતવા’-નો અને રાજકીય પક્ષો આપે એ ‘આદેશ’નો ધરાર નકાર છે. પણ તેઓ તો આને ‘સૂફીયાણી સલાહ’ જેવું પોતાના તરફથી લેબલ ચૉંટાડે છે ! મને પ્રશ્ન થાય છે કે આટલી સ્પષ્ટ ભાષાને પણ તેઓ વાંચી નથી શકતા તે એવું કેમ?

બાકી મારે ફોડ પાડીને એ પણ દર્શાવવું છે કે મારી વાતમાં સ્વાયત્તતાના મુદ્દા જેટલો જ મહત્તાપૂર્ણ મુદ્દો એ પણ છે કે વર્તમાન ગુજરાતી સાહિત્યિક પરિદૃશ્ય સાવ જ રૂંધાઈ ગયું છે; અને તેના પુનઃઉઘાડ માટે સંલગ્ન સૌ વિચારણા પ્રયોજે એ અંગે મોડું થઇ રહ્યું છે. પણ મારી એ લાગણીની તો એમને કશી પરવા જ નથી! સ્વાયત્તતા વિશેની સમગ્ર ચર્ચામાં મેં કિંચિત્‌ જે ઍક્શનપરક આગેકદમ વાતો મૂકી છે, જે અનેક વિચારકોને સમુપકારક લાગી છે, તેમાં એમણે સહેજ પણ રસ નથી દાખવ્યો, તે કેમ?

મને એટલું જ સમજાય છે કે કશા પૂર્વગ્રહને કારણે તેઓ શરૂઆતથી જ મારી ‘ભૂમિકા’ શોધવાથી માંડીને ‘સ્વાયત્તતાને મેં હાંસીપાત્ર બનાવી છે’ જેવો મારી માનહાનિ કરતો અતિ વાંધાજનક આક્ષેપ પણ કરી ચૂક્યા છે. અને હવે એમાં આવી બધી ઉભડક ચીજો ચૉંટાડી રહ્યા છે. ટૂંકમાં, તેઓ એવું એવું લખી રહ્યા છે જેના સરવાળે મારી વગોવણી થાય.

લપાલપી કરવા નથી ઇચ્છતા તેને હું જાહેર હિત સંદર્ભે સ્વાસ્થ્યવર્ધક લેખું છું ને એમને એમ કરવું સૂઝ્યું તે બદલ શુભેચ્છાઓ પાઠવું છું.

૨૨ જાન્યુઆરી ૨૦૨૦

E-mail : suman.shah@icloud.com

••••••••••

સંસ્થાની સ્વાયત્તતા અને લેખકની સ્વાયત્તતા જુદાં? / રમણ સોની

વાર્તાકાર બિપીન પટેલે ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકનો અસ્વીકાર કર્યો એની પ્રતિક્રિયારૂપે વિષ્ણુ પંડ્યાએ વળી પાછું એમનું જાણીતું તર્કછળ ઉછાળ્યું કે, સ્વાયત્તતા ચૂંટણીદ્વારા જ સંપન્ન થાય તે ખ્યાલ જ ખોટો. લેખક સ્વાયત્ત હોય, સંસ્થા નહીં. (Ahmedabad Mirror, The Times of India: 20th January 2020.)

લેખકનાં સ્વમાન અને ગૌરવ, લેખકો થકી લોકશાહી પ્રણાલીપૂર્વક રચાતી સાહિત્યસંસ્થામાં જ જળવાય, એટલે સંસ્થાની સ્વાયત્તતા અને લેખકની સ્વાયત્તતાને જુદાં શી રીતે પાડી શકાય? – એ વાત લેખકમાન્ય નહીં પણ કેવળ સરકારમાન્ય અધ્યક્ષ ન સમજે એનું કોઈ આશ્ચર્ય ન હોય. પરંતુ, પીડા આપનારું આશ્ચર્ય તો એ છે કે આપણા કેટલાક લેખકજીવો પણ સ્વમાન-ગૌરવને ત્યાજ્ય લેખીને અસ્વાયત્તતા-દૂષિત આ સંસ્થા થકી લાભ મળતા લાભ (?) ભોગવાવ તરફી વળી ગયા છે (‘ત્યાગીને ભોગવી જાણો’!) લેખકમાત્ર જો આ ક્ષુલ્લક લાભ-લોભોમાંથી બહાર નીકળી આવે તો સ્વાયત્તતાના પુનઃસ્થાપનના આંદોલનને વધુ બળ મળે.

૨૦૧૮માં, મારા એક પુસ્તકને મળેલું પારિતોષિક મેં પાછું ઠેલેલું. અકાદમીને મેં ત્યારે લખેલો એ પત્ર આજે પુનઃઆંદોલનના પ્રાસંગિક ઔચિત્યને ટાણે અહીં મૂકું છું.

*    *    *

રમણ સોની

૧૮, હેમદીપ સોસાયટી, દીવાળીપુરા,

વડોદરા ૩૯૦ ૦૦૭

૨૫ જૂન ૨૦૧૮

પ્રતિ,

શ્રી મહામાત્ર,

ગુજરાત સાહિત્ય અકાદમી

ગાંધીનગર

પ્રિય ડૉ. અજયસિંહ ચૌહાણ

તમારો ૧૯ જૂનનો કાર્યાલય-પત્ર મળ્યો. સાહિત્ય અકાદમીએ ૨૦૧૬ના વર્ષનાં હમણાં જાહેર કરેલાં પારિતોષિકોમાં નિબંધ-સ્વરૂપ માટેનું પ્રથમ પારિતોષિક મારા પુસ્તક ‘સાત અંગ, આઠ નંગ, અને-’ માટે મને મળે છે. એ જણાવીને તમે અભિનંદન આપ્યાં છે અને આનંદ વ્યક્ત કર્યો છે. આ પત્રમાં તમે મારી સ્વીકાર-સંમતિ પણ ઇચ્છી છે.

તમારા આનંદ ને અભિનંદન સ્વીકારું છું. પણ અકાકમી અસ્વાયત્ત છે એ સ્થિતિમાં આ પારિતોષિક હું સ્વીકારતો નથી. ક્ષમસ્વ.

કોઈ સાહિત્યસંસ્થાના પ્રવૃત્તિઓ-પ્રકાશનો વગેરે સાથે જોડાવું. પારિતોષિકાદી મળે તો એનો સાદર સ્વીકાર કરવો – એ બધું સામાન્ય સ્થિતિમાં દરેક લેખક માટે ઇષ્ટ અને આનંદપ્રદ હોય, પણ અસ્વાયત્તતાની આ અનુચિત સ્થિતિમાં તો એ બધું ત્યાજ્ય બલકે અપ્રસ્તુત બની રહે એમ હું માનું છું અને એથી આ પારિતોષિકને અસ્વીકારું છું.

તમે વ્યક્ત કરેલાં પ્રેમ અને આનંદ માટે આભારી છું.

સસ્નેહ

રમણ સોની

••••••••

આ સન્માનનો સ્વીકાર કરવો જોઈએ? / નિરંજન ભગત

જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીનો આ સન્માન અર્પણ કરવાનો એમનો નિર્ણય અંગેનો પત્ર મળ્યો ત્યારે અન્ય સંદર્ભમાં આ સન્માનનો સ્વીકાર કરવો જોઈએ? એવો પ્રશ્ન થયો હતો. સૌ સાચા લોકશાહી સમાજમાં હોય છે તેમ સાહિત્ય અકાદમી જેવી સંસ્થા રાજ્યના માહિતીખાતાનો એક વિભાગ હોય એવી પરાધીન નહીં પણ સ્વાધીન, સ્વાયત્ત હોવી જોઈએ એવો આ અકાદમીના આરંભથી જ આ બોલનારનો આગ્રહ હતો. અકાદમીના સભ્યો એનાથી અજાણ નહીં હોય એથી પૂર્વોક્ત પત્રમાં આ અકાદમી હવે સ્વાયત્ત છે એવો અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હતો. એમાં પ્રમુખશ્રીએ લખ્યું હતું, ‘ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત થયા પછી આ પહેલું સન્માન છે તે તમે સ્વીકારશો એવી અંગત વિનંતી.’ એટલે સંપૂર્ણ વિગતો માટે અકાદમીનું બંધારણ વાંચ્યું અને અકાદમીની સ્વાયત્તતાની પ્રતીતિ થયા પછી આ સન્માનનો સ્વીકાર કરવો જોઈએ એવો નિર્ણય કર્યો. અને અકાદમીને સ્વીકારપત્રમાં જાણે કે વાક્યોની નીચે લાલ લીટી સાથે લખ્યું, ‘ગુજરાત સાહિત્ય અકાદમી જેવી એક સ્વાયત્ત સંસ્થાએ આ નિર્ણય કર્યો છે એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું. આ સંસ્થાના પ્રમુખ – ગુજરાતના એક મોટા ગજાના સર્જકને વરદ્‌ હસ્તે આ સન્માન અર્પણ થશે એનું નમ્રતાપૂર્વક ગૌરવ કરું છું. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સધ્ધર થાય અને એના સદ્‌વિચાર અને આચાર દ્વારા ગુજરાતની સાહિત્ય પ્રત્યેની સંવેદના સમૃદ્ધ થાય અને અંતે આ સન્માન સાર્થક થાય એવી આ અસ્વીકારની ક્ષણે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.’ આજે અહીં સ્વીકારની આ ઔપચારિક વિધિની ક્ષણે એ પ્રાર્થનાનું પુનરુચ્ચારણ કરું છું.

(ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે સન્માન પ્રસંગે વક્તવ્ય, ૨૫ માર્ચ ૧૯૯૪)

તંત્રી : હવે સંમેલન ભણી

ચંદ્રકાન્ત ટોપીવાળા અને સુમન શાહના ભાવ-પ્રતિભાવ પછી, સરવાળે, સારરૂપ કશુંક હસ્તામલકવત્‌ વરતાતું હોય તો તે એ છે કે સ્વાયત્તતાને મુદ્દે સૌ પોતપોતાની રીતેભાતે હાલ એક પેજ પર છે. આપણા આ બેઉ સજ્જ અગ્રજો જરૂર રાજી થશે કે સ્વાયત્તતાનો સાદ એમના પછીની પેઢીનાઓને તેમ વચલી પેઢીનાઓને સતત સંભળાતો રહ્યો છે. આપણે બિપિન પટેલનો પત્ર પ્રકાશિત કર્યો તે સંદર્ભમાં આગલા વરસનું સ્મરણ રમણ સોનીના પત્ર સાથે ઉત્કટપણે થઈ આવ્યું. રમણ સોનીએ જે યોગ્ય જણાયું તે યથાસમય કર્યું હતું અને તે વિશે કોઈ જાહેરાતની જરૂર જોઈ નહોતી. તંત્રીની વિનંતીથી બંને મિત્રોએ એમના પત્રો જાહેર કર્યા જેથી વ્યાપક વર્તુળોને એ સમજાય કે સ્વાયત્તતાની ચળવળ કોઈ બેત્રણ વ્યક્તિમાં સમેટાઈને રહી ગઈ છે એવું નથી. પાલનપુર પ્રસ્તાવને અનુસરીને સાહિત્ય પરિષદે ૨૩મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં સ્વાયત્તતા સંમેલન યોજવાનું જાહેર કર્યું છે. શિક્ષણ અને સાહિત્યની સંસ્થાઓમાં પ્રફુલ્લન પ્રવર્તે એવા ઉચ્ચાશયથી યોજાઈ રહેલા આ સંમેલનમાં સૌ સ્વાયત્તતા પ્રેમીઓ સંકલ્પપૂર્વક સહભાગી બનશે ને? પરિષદે પહેલ કરી છે – કોઈકે તો પહેલ કરવી જ જોઈએ – પણ આ પ્રશ્ન પરિષદ એકલાનો નથી, પરિષદ અને અકાદમી વચ્ચેનો જ માત્ર નથી; સૌ સ્વાયત્તતા ચાહકો અને સત્તાપ્રતિષ્ઠાન વચ્ચેનો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 16 – 17 

Loading

...102030...2,5482,5492,5502,551...2,5602,5702,580...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved