Opinion Magazine
Number of visits: 9576402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વો સુબહ કભી તો આયેગીઃ લોકશાહીને ધ્રુવીકરણનો અપચો થશે ત્યારે ઘૃણાના રાજકારણનો તખ્તો ફેરવાશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 February 2020

ગમે એટલું ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી થાય પણ ભણેલા-ગણેલા લોકો માટે અંતે તો વિકાસલક્ષી, બને એટલી પારદર્શી, ઉદારમતવાદી અને નક્કર પરિણામ લાવી આપે એવી જ સરકારમાં રસ છે.

લોકશાહીમાં ચૂંટણી એક બહુ મોટું હથિયાર છે, આમ તો આ હથિયારની ધાર કાઢવી કે તેનો યોગ્ય ઉપયોગ કરવો નાગરિકોના હાથમાં જ હોય છે પણ સત્તા ભૂખ્યા રાજકારણીઓને આ હથિયારનો દુરુપયોગ બહુ સારી પેઠે આવડે છે. પણ છતાં ય ચૂંટણી નામના આ હથિયારનો હાથો અંતે તો નાગરિકોના હાથમાં જ હોય છે. દિલ્લીની ચૂંટણી માથે છે ત્યારે ઓપિનિયન પૉલ્સમાં અરવિંદ કેજરીવાલની જીત સ્વાભાવિક હોઇ શકે છે તેવું દેખાઇ રહ્યું છે. જો અરવિંદ કેજરીવાલ જીતી જાય તો એ સાબિત થઇ જશે કે લોકોને સુશિક્ષિત, વિકાસલક્ષી અને સમાજનું ધ્રુવીકરણ ન કરે તેવી લોકશાહીમાં જ રસ છે. પાટનગરની ચૂંટણીના માહોલમાં એક નવો શબ્દપ્રયોગ પ્રચલિત થયો છે, ‘પૉલિટિક્સ ઑફ હેઇટ’ અને આવું રાજકારણ એ લોકશાહી માટે ઊધઇ સાબિત થાય છે. મૂળ તો એ મુદ્દાની વાત કરવાની છે કે સાત દાયકાથી આપણે જે લોકશાહી જીવી રહ્યા છીએ તે આમ તો ઉદારમતવાદી હોવી જોઇએ, ન કે જ્યાં માત્ર બહુમતીનું શાસન ચાલતું હોય અને ધ્રુવીકરણનું રાજકારણ ટોચ પર હોય. ઉદારમતવાદી લોકશાહી નાગરિકોના મૂળભૂત અધિકાર, લઘુમતી અને સામાજિક રીતે વંચિતોના રક્ષણ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જૂદા પડતાં જૂથોની વાજબી સ્વાયત્તતા આ તમામનું રક્ષણ કરી શકે તેવું સ્વતંત્ર ન્યાયતંત્ર અને આ આખા ય માળખા પર ચાંપતી નજર રાખી શકે, કોઇપણ દબાણ વિના પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે તેવો લોકશાહીનો ચોથો પાયો એટલે કે મીડિયા.

છેલ્લા સાત દાયકામાં વાણી અને વ્યક્તિ સ્વાતંત્ર્યથી માંડીને લોકોના અધિકારોની વાતને મામલે આપણી લોકશાહીને બેલનશીટમાં એક કરતાં વધારે વાર અસંતુલન જોવા મળ્યું છે. સિત્તેરના દાયકામાં ઇંદિરા ગાંધીની સરકારે કટોકટી જાહેર કરી અને નાગરિકોના અધિકાર છીનવી લીધા. રાજકીય ઇતિહાસકારોના મતે આ બંધારણીય રીતે શક્ય હતું જેને પગલે રાષ્ટ્ર અને નાગરિકોના અધિકારોને શક્તિશાળી-સત્તાધારી કેન્દ્ર ધારે તો પોતાના હાથમાં લઇ શકે. બંધારણનાં બ્રહ્માસ્ત્રનો સરકારે સરિયામ દુરૂપયોગ કર્યો. પણ નાગરિકોને ત્યારે જ યાદ આવ્યું કે તેમના હાથમાં ચૂંટણી નામના શસ્ત્રનો હાથો છે અને તેમણે તેનો ઉપયોગ કર્યો. ઇંદિરા ગાંધીની સરકાર પડી ભાંગી, એ વાત અલગ છે તે કૉન્ગ્રેસ ફરી સત્તા પર આવી પણ પછી ઘણું બધું બદલાયું પણ. લોકશાહીને અંદરથી ખોતરીને પાંગળી કરતા રાજકરાણીઓને આવડ્યું જ છે. નરેન્દ્ર મોદીની ભા.જ.પા. આ મામલે બધી હદ પાર કરી ચૂકે એ સ્તરે પહોંચી છે. લોકશાહીને સતત પોલી કરતા રહે એવાં શક્ય એટલા બધા બેફામ નિર્ણયો, આડેધડ જાહેરાતો અને વિધાનો ઉચ્ચારવામાં આ સરકાર આંખનું મટકું પણ નથી મારતી.

૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ફલક પર રાજકારણી તરીકે પગ મૂક્યો ત્યારે તેમની છબી એક એવા માણસ તરીકે ખડી કરાઇ જેણે ગુજરાતનો ચહેરો બદલ્યો હતો અને તે બાકી રાષ્ટ્રમાં પણ એવો વિકાસ લાવી શકશે. વળી તેમના સામાન્ય બેકગ્રાઉન્ડને, તેમની જાતને પણ વારંવાર નાગરિકો સામે મુકવામાં આવ્યું એટલે લોકોને લાગે કે આ તો આપણામાંનું જ કોઇ છે. મોદીની સરકાર સત્તા પર આવી અને આર્થિક સફળતાનાં બધાં વચનો પોકળ સાબિત થયાં, બેરોજગારી વધી, રોકાણને નામે બધું તળિયે બેસી ગયું. કમનસીબે આ મુદ્દાઓ બધા ગૌ રક્ષા, બીફ બાન, ટ્રીપલ તલાક એ બધી બુમરાણમાં ઊંચા અવાજે અને સ્પષ્ટ ચર્ચાયા જ નહીં. ૨૦૧૯માં જ્યારે બીજી ટર્મ માટે ચૂંટણી લડવાની આવી ત્યારે રાષ્ટ્રવાદ, સામાજિક કલ્યાણ અને મોદીવાદ આગળ ધરાયા જેને કારણે ધ્રુવીકરણ વધ્યું, મીડિયાનું પક્ષપાતી વલણ વધારે ધાટું બન્યું અને ભા.જ.પા.ના સદ્દનસીબે વિરોધપક્ષ કોઇ આદર્શ પડકાર ન મેળવી શકવાને કારણે ભા.જ.પા. ૨૦૧૪ની ચૂંટણીમાં મેળવી હતી તેના કરતા કંઇક ગણી મોટી જીત મેળવી.

ઉદારમતવાદી લોકશાહીની સ્થિતિ આખી દુનિયામાં ચકાસણી માગે તેવી હાલતમાં છે પણ આપણે તો ઘરભણી જ નજર કરવી રહી. દિલ્હીની ચૂંટણીમાં જો કેજરીવાલની સરકાર આવે તો એ સાબિત થઇ જશે કે ગમે એટલું ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી થાય પણ ભણેલા-ગણેલા લોકોને માટે અંતે તો વિકાસલક્ષી, બને એટલી પારદર્શી (રાજકારણમાં કશું ય પૂરેપૂરું પારદર્શી નથી હોતું), ઉદારમતવાદી અને નક્કર પરિણામ લાવી આપે એવી જ સરકારમાં રસ છે. દિલ્હીની આસાપાસના જ રાજ્યોમાં જોઇએ તો ત્યાં નાગરિકોને ધ્રુવીકરણનું રાજકારણ માફક આવે છે અને તેનું સૌથી મોટું કારણ છે ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. ભણેલા-ગણેલા, મેટ્રો સિટીઝમાં રહેતા લોકોને ધર્મ, જાતિ, ઊંચ-નીચના રાજકારણમાં રસ નથી જ એવું કહી દેવું યોગ્ય નથી, પણ તેમને માટે આ મુદ્દાઓ જીવન-મરણનો સવાલ નથી. તેમને રસ છે એવી સત્તામાં જે તેમને કામ કરવા દે, જેની કામગીરીને કારણે વિરોધ પ્રદર્શનોના આવેગમાં શક્તિ ન ખર્યાય, લાઇટ-પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે અધધધ પૈસા ચૂકવ્યા બાદ પણ કરવેરાના બોજમા ખાલી ન થઇ જવું પડે, એવી સરકાર જ્યાં તેમને પોતે અમુક ધર્મનાં હોય તો ભેદભાવનો ભોગ ન બનવું પડે. કમનસીબે આવો વર્ગ ભારતમાં હોવા છતાં ય નિરક્ષરતા અને ઝનૂન એક બહુ મોટા વર્ગ પર અસર કરતો રહે છે. બહુમતીની સરકાર ચલાવનારાઓ માટે આ વર્ગને મેનેજ કરવો બહુ અઘરો નથી કારણ કે અહીં તેમણે વિવાદી-જોશ ઉછાળતા વિધાનો કરવાના છે અને વૉટ્સઅપ એક્ટિવિસ્ટ્સને કામે લગાડવાના છે. બહુ મોટો વર્ગ જે હવે સેલફોન ધારી છે તેને માટે ફોન પર ફેલવવામાં આવેલી બધી જ માહિતી સાચી છે અને તેમને તેની ખરાઇ કરવાની જરૂર તો શું વિચાર સુદ્ધાં નથી આવતો. ભારતીય ઇતિહાસને લગતી ધડ-માથાં વગરની ચર્ચાઓ ચલાવવામાં આ સેલફોનધારી ભક્તો મચી પડે છે અને તેમને લાગે છે કે તેમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. રાજકારણીઓનાં ઠાલાં વચનો તેમનું પેટ ભરી દેશે, દેશને સાફ કરી દેશે (લઘુમતીથી પીછો છોડાવીને) તેવું વિચારનારા આ વર્ગને લોકશાહીનું સત્વ નથી સમજાતું. આ પાછું આખી દુનિયામાં લાગુ પડે છે, પછી આ મોદી ભક્તો હોય, બ્રેક્ઝીટને ટેકો આપનારા હોય, બ્રાઝીલિયન પ્રેસિડન્ટ જેર બોલ્સોનારોને ટેકો આપનારા હોય કે ટ્રમ્પ પ્રેમીઓ હોય.

CAA સામેના વિરોધે જ્યારે ગતિ પકડી ત્યારે ઘણાંને ઉત્કંઠા હતી કે સરકાર શું કરશે? સરકાર આ વિરોધો જેમ ચાલે છે તેમ ચાલવા દેશે કે પછી તેમને ડામી દેશે? પણ ભા.જ.પા. જેમાં માહેર છે એ જ કરી રહ્યો છે અને આ વિરોધોનો ઉપયોગ તેઓ કોમવાદ અને હિંસા ફેલાવવામાં જ કરશે, જે દિલ્હીના ચૂંટણી પ્રચારમાં દેખાઇ જ રહ્યું છે. ભારતીય લોકશાહી પરનો આ બહુ મોટો ધબ્બો છે કે સંજોગાવસાત હિંસાનો ઉપયોગ મત ભેગા કરવામાં હંમેશાં કરવામાં આવે છે. આપણે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ કે હિંસાનું રાજકારણ કે ધિક્કારનું રાજકારણ હવે કામ નથી કરતું. જેને આ ફાવે છે તેઓ તેનો બિંધાસ્ત ઉપયોગ કરે છે. કટ્ટરવાદને કાબૂમાં લેવા માટે માત્ર ચૂંટણી કામ ન આવી શકે, ભારતીય રાજકારણનું માળખું, લોકશાહીની રચના બદલાઇ રહી છે. પરંતુ તેની સામે એ પણ એટલું જ સાચું છે કે અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન સાથે જોડવા, તેમને આતંકવાદી કહેવા, શાહીનબાગની વાત કર્યા કરવા જેવા આંડબરી વિધાનો કેટલા પોકળ છે એ લોકોને ખબર પડે જ છે.

અમિત શાહ, યોગી આદિત્ય નાથ કે અનુરાગ ઠાકુર (બધાની રાશિ તો પાછી મેષ જ છે) આ બધા માત્ર દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ નથી કરી રહ્યા, તેઓ તેમના પક્ષની મર્દાનગીનું પ્રદર્શન કરવામાં એક્કા છે અને હજ્જારો યુવાનોને આવું બળવાન લાગતું સ્વમાન માફક આવે છે. હિંસાનો તર્ક બદલાઇ રહ્યો છે, લોકશાહી નહીં પણ બહુમતીના રાજકારણમાં આ તેનો પ્રભાવ વર્તાય જ છે. પણ છતાં ય દિલ્લી ચૂંટણીનું પરિણામ શિક્ષિત વર્ગની પસંદગી સ્પષ્ટ કરનારું સાબિત થશે, બસ, મત ગણતરીમાં બને એટલી પારદર્શિતા રહેવી જોઇએ. આ કહેવું જ પડે છે કારણ કે ઝનૂની રાજકારણનાં દાવપેચમાં કશું પણ અણધાર્યું બની જ શકે છે.

બાય ધી વેઃ

લોકશાહીની નક્કરતા જળવાય તે અંતે તો નાગરિકોના હાથમાં જ છે. આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા હોવા છતાં ય બહુ મોટા હિસ્સાને ધ્રુવીકરણનું રાજકારણ માફક આવવા માંડ્યું છે જે લોકશાહી માટે બહુ મોટું જોખમ છે. લોકશાહી માત્ર મોહરું રહી જાય તેવું ન બનવું જોઇએ કારણ કે અંતે તે આપણી ઓળખ છે. આપણે યાદ રાખવું પડશે કે આપણને ઝનૂનમાં નહીં પણ એક શાંત, સ્થિર, હળીમળીને રહેતા હોય એવા સમાજમાં રસ છે. સાત દાયકા સુધી લોકશાહી શ્વસેલું આપણું રાષ્ટ્ર, કટોકટી જેવા સંજોગોની સામે પણ જીતેલી આપણી લોકશાહી ‘વિવિધતામાં એકતા’વાળા સૂત્રને તાંતણે ટકી રહી છે, ગણ્યાગાંઠ્યા લોકોની સત્તા ભૂખને પગલે આપણે તેને પોકળ ન થવા દઇએ તે નાગરિક તરીકે આપણી જવાબદારી છે. દિલ્હીની ચૂંટણી ત્યાંના વહીવટને બહેતર બનાવવા માટે થઇ રહી છે તેમાં પાકિસ્તાન, કીચડ ઉછાળ માનસિકતા કે કટ્ટરવાદીઓને જ સાંભળવી ગમે એવી વાતો માટે નથી જ થઇ રહી. આ ચૂંટણીને CAA સાથે પણ લેવાદેવા નથી. રાજ્ય કક્ષાએ પક્ષે રસ્તા, પાણી, વાહન વ્યવહાર, પ્રદૂષણ, હેલ્થકેરની વાતો કરવાની છે અને લોકોને એ સમજાય છે. મજાની વાત એ છે કે લોકોની સમજણ અંગે અમુક રાજકારણીઓને ગતાગમ નથી અને તેઓ પોતાના ઘોંઘાટમાં મસ્ત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2020 

Loading

અંગ્રેજોની સમસ્યા હતી, ભારતીયપણાને બદલવું શી રીતે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|9 February 2020

મિશનરીઓને એમ લાગતું હતું કે ભારતનું કલ્યાણ ભારતીય પ્રજાને ખ્રિસ્તી બનાવવામાં છે. પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે ભારતનું હિત પૌર્વાત્ય ભારતના અસ્તમાં છે. એવું ભારત બનાવવામાં આવે જે ચામડીના રંગને છોડીને દરેક અર્થમાં પાશ્ચાત્ય કે બ્રિટિશ હોય. વિવેકીઓ, જવાબદાર લોકો, ઉદારમતવાદીઓ અને માનવતાવાદીઓને એમ લાગતું હતું કે ભારત પરત્વેનો અભિગમ ન્યાયી, સહાનુભૂતિવાળો અને એકંદરે માણસાઈવાળો હોવો જોઈએ.

હવે વિચારો કે કંપની સરકારને આ અભિગમોમાંથી કયો અભિગમ માફક આવે? ભારતના લોકોને વટલાવીને ખ્રિસ્તી બનાવવામાં આવે એ તો ઉત્તમ છે, પણ એમાં જોખમ છે. વટલાવવા જતાં સમૂળગા ઉચાળા ભરવાનો વારો આવે. બીજું ભારતમાં પ્રવર્તતા ધર્મોનું સ્વરૂપ એવું છે જેમાં કોઈની સત્તા નથી. ઇષ્ટદેવની પણ નહીં. બાપ અને દીકરાના ઇષ્ટદેવ નોખા હોય. ચીકણી માટીના લોંદાની જેમ તેનો આકાર ભલે બદલાયા કરે, પણ અસ્ત ન થાય. આશ્ચર્યો પરસ્પર હતાં. પશ્ચિમના લોકો ભારતીય ધર્મોનું સ્વરૂપ જોઈને આભા થઈ ગયા હતા અને ભારતના લોકો ઈસાઈ ધર્મનું સ્વરૂપ જોઇને આભા થઈ ગયા હતા. આમ મિશનરીઓની ધર્મપ્રચારની આક્રમકતા કંપનીને બહુ માફક આવે એવી નહોતી.

ઉદારમતવાદીઓ કે માનવતાવાદીઓનો અભિગમ તો જરા ય ન પોસાય. જેવો વહેવાર ઈંગ્લેંડમાં બ્રિટિશ પ્રજા સાથે કરવામાં આવે છે એવો જ જો ભારતમાં ભારતની પ્રજા સાથે કરવામાં આવે તો શોષણ કઈ રીતે કરવું? શોષણ કરવા માટે માણસાઈને તો કોરે મૂકવી જ પડે. બીજી સમસ્યા વ્યવહારુ હતી. ઉદારમતવાદી અભિગમ અપનાવવાનો અર્થ એ થાય કે ભારતીય સમાજવ્યવસ્થાના સ્વરૂપમાં; ભારતીય પ્રજા ઈચ્છે નહીં અને સ્વીકૃતિ આપે નહીં ત્યાં સુધી હાથ નહીં લગાડવાનો. બળજબરીનો તો સવાલ જ નથી.

એક હદથી વધુ બળજબરી કરવામાં તો અંગ્રેજોને પણ ડર લાગતો હતો, પરંતુ સાવ હાથ જ લગાડીએ તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવું કેવી રીતે અને રાજકાજ અને શોષણ કરવાં કેવી રીતે? અંગ્રેજોને એમ લાગ્યું હતું કે ભારતીય સામાજિક-રાજકીય વ્યવસ્થા ચોક્કસ આકાર વિનાની છે અથવા તો તેનો જેવો જે આકાર છે તે સંસ્થાનવાદી શોષણ માટે અને સામ્રાજ્ય વિસ્તારવા માટે અનુકૂળ નથી. આખો દેશ એક કેન્દ્રીય સત્તા દ્વારા અને વહીવટી તેમ જ ભૌતિક માળખા દ્વારા જોડાયેલો ન હોય તો સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ માટે અનુકૂળતા પેદા ન થઈ શકે. તેમની પ્રાથમિકતા સામ્રાજ્ય અને સંસ્થાન હતી અથવા કહો કે સત્તા અને સંપત્તિ હતી.

આ સ્થિતિમાં અંગ્રેજોને પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓનો અભિગમ માફક આવે એવો હતો. બંનેના અભિગમમાં શોષણને છોડીને બીજો કોઈ ફરક નહોતો. સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે અંગ્રેજ સામ્રાજ્યના ભાગ બનીને આજના ગુલામો આવતી કાલના સભ્ય બ્રિટિશ નાગરિકો બનશે. ગુલામી અને શોષણ તેમની મુક્તિ માટે જરૂરી છે અને તે કદાચ ઈશ્વરી યોજના છે. સામ્રાજ્યવાદીઓથી ઊલટું, પાશ્ચાત્યવાદીઓને સત્તા અને શોષણમાં રસ નહોતો. પાશ્ચાત્યવાદીઓ એક રીતે માનવતાવાદી હતા, પરંતુ પશ્ચિમના દર્પણથી. તેઓ કરુણાશીલ પણ હતા, પરંતુ પશ્ચિમના દર્પર્ણથી. ‘આવો, અમે જે સભ્યતા વિકસાવી છે તેને સ્વીકારો. એમાં જ જગત આખાની પ્રજાનું કલ્યાણ છે. અમે તમારા દુશ્મન નથી, પણ તમારું કલ્યાણ ઈચ્છીએ છીએ. વિચારી જુઓ, તમારી સભ્યતામાં જો સત્ત્વ હોત તો આમ બટકી પડી હોત! સમય સાથે ચાલો, વાસ્તવિકતા સ્વીકારો અને પરિવર્તન માટે તૈયાર થાઓ. અમે તમે ખ્રિસ્તી બનો એવો આગ્રહ નથી ધરાવતા, પરંતુ પશ્ચિમની સભ્યતાનો સ્વીકાર કરવાનું કહીએ છીએ.’ આ ભાષા મારી છે, પણ એકંદરે તેઓ લગભગ આ જ ભાષામાં ભારતીય પ્રજાને પશ્ચિમની સભ્યતા સ્વીકારવા કહેતા હતા.

અંગ્રેજ શાસકો સામ્રાજ્યવાદીઓની તો ખરી જ પણ પાશ્ચાત્યવાદીઓની ભૂમિકા પણ માફક આવે એવી હતી. ભારતની પ્રજા શક્ય એટલા પ્રમાણમાં પૂર્વના સંસ્કાર છોડે અને પશ્ચિમના સંસ્કારો અપનાવે એમાં લાભ હતો. ભારતની પ્રજાનો દૃષ્ટિકોણ બદલાય તો તે સહેલાઈથી બ્રિટિશ શાસનને સ્વીકારતી થઈ જાય. પ્રતિકારનું પ્રમાણ ઘટી જાય.

હવે હાથ લગાડવા માટેનાં કે નહીં લગાડવા માટેનાં ક્ષેત્રો ચાર હતાં. ધર્મ, ધર્મ અને પરંપરા આધારિત રીતિરિવાજ, ભાષા અને ન્યાયતંત્ર. આમાં પહેલાં બેમાં હાથ લગાડવામાં જોખમ હતું એટલે સંભાળીને ચાલવાનું હતું. મિશનરીઓ પહેલાને એટલે કે ધર્મને હાથ લગાડતા હતા અને અંગ્રેજ શાસકો સલામત પ્રમાણમાં હાથ લગાડવા પણ દેતા હતા. તેઓ હિંદુ અને ઇસ્લામ ધર્મની આલોચના કરતા હતા, મર્યાદા બતાવતા હતા, મનઘડંત અર્થઘટનો કરતા હતા, અને હાંસી પણ ઉડાડતા હતા. શાસકો મિશનરીઓને આવો પ્રચાર કરવા દેતા હતા એનું કારણ એ હતું કે એ રીતે હિંદુઓ અને મુસલમાનોનું મોરલ તૂટે. તેમની અંદર લઘુતાગ્રંથિ પેદા થવી જોઈએ અને શરમનો ભાવ પેદા થવો જોઈએ. જો મિશનરીઓ આટલું કામ કરી આપે તો પાશ્ચાત્યવાદીઓને પણ કોઈ વાંધો નહોતો.

ધર્મ અને પરંપરા આધારિત સામાજિક રીતિરિવાજોને જો હાથ લગાડવો હોય તો એ કામ શાસકો જ કરી શકે. આમાં જોખમ તો હતું, પણ એ જોખમ ઉઠાવવું જોઈએ?  ભારતીય પ્રજાને જો પશ્ચિમની સભ્યતાને અનુકૂળ બનાવવી હોય તો એ જરૂરી હતું. આ સિવાય તાજી જન્મેલી બાળકીને દૂધ પીતી કરવી કે સતી જેવી કમકમાં આવે એવી ક્રૂર પ્રથા સ્વીકારવી શક્ય નહોતી. કદાચ અંગ્રેજ તરીકેની લાજ તેઓ અનુભવતા હતા. અંગ્રેજ શાસકોએ ધીરે ધીરે ભારતીય પ્રજામાં સામાજિક સુધારા કરવા માંડ્યા હતા અને પ્રતિબંધો લાદવા માંડ્યા હતા. તેમણે આ કામ ભારતીય સુધારકોને પેદા કરીને અને તેમને સહાય કરીને કર્યું હતું કે જેથી ઓછામાં ઓછો અવરોધનો સામનો કરવો પડે. ભારતીય પ્રજાનો સુધારકવર્ગ લોકોમાં સુધારાનો પ્રચાર કરે અને પછી અંગ્રેજો જરૂર પડે તો કાયદો કરે. જેમ કે રાજા રામ મોહન રોયને આગળ કરીને અંગ્રેજોએ સતીપ્રથા પર પ્રતિબંધ મુક્યો હતો.

આનો પણ વિરોધ તો થયો જ હતો. રાજા રામ મોહન રાયનું કામ આસાન નહોતું. તેમણે ઘણાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. અનેક સુધારકોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા અને તેમની સાથે રોટીબેટી વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા હતા. અનેક સુધારકો સુધારાનો પ્રચાર તો કરતા હતા, પણ અંગત જીવનમાં કસોટીની પળ આવે ત્યારે પીછેહઠ કરતા હતા. આના પરથી કલ્પના કરો કે ત્યારનો યુગ કેવો હશે અને સુધારકોને કેવી વસમી સ્થિતિનો સામનો કરવો પડતો હશે. ૧૮૫૭નો બળવો થયો એના કેટલાંક મહત્ત્વનાં કારણોમાં એક કારણ સામાજિક રીતિરિવાજમાં અંગ્રેજોએ કરેલો હસ્તક્ષેપ હતો. ૧૮૫૭ પછી અંગ્રેજોએ સામાજિક સુધારાઓ કરવાનું બંધ કરી દીધું હતું.

ભાષા અને ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવામાં કોઈ મોટું જોખમ નહોતું. ઊલટું ભાષા દ્વારા તો ભારતીયોનું ભાવવિશ્વ બદલી શકાય એમ હતું. સામ્રાજ્યવાદીઓ અને પાશ્ચાત્યવાદીઓ જે પ્રકારનો ભારતીય ઘડવા માગતા હતા એવો ભારતીય ભાષા દ્વારા ઘડી શકાય એમ હતું. બસ એક જ કામ કરવાનું હતું. ભારતીય ભાષાઓની જગ્યાએ અંગ્રેજીને શિક્ષણ અને વહીવટીતંત્રની અને એ રીતે અંગત સુખાકારીની ભાષા બનાવવામાં આવે. એ પછી બધું આપોઆપ થઈ જશે. જે સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદને જેવો ભારતીય જોઈએ છે એ મળી જશે.

લેખ પૂરો કરતાં પહેલાં હું તમને કહું કે ભારતીય ભાષાઓ પર અંગ્રેજી ભાષા લાદનારા અંગ્રેજોએ ભારતીય ભાષાઓને સમૃદ્ધ કરવાનું કામ પણ કર્યું છે અને માત્ર તેમણે જ તેમાં પહેલ કરી છે અને સિંહફાળો આપ્યો છે તો એ જાણીને તમને આશ્ચર્ય થશે. પણ આ પણ સત્ય હકીકત છે. એ કઈ રીતે એ હવે પછી જોઈશું.     

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 ફેબ્રુઆરી 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 30

દીપક મહેતા|Opinion - Opinion|8 February 2020

‘હેમ જડેલા હીરા’ જેવી પારસી કોમના નબીરાની ભેટ

કાવસજી જહાંગીર કોનવોકેશન હોલ

આ વાત છે ૧૮મી સદીની પહેલી વીસીની. એ વખતે તો ક્યાં ખોબા જેવડું નવસારી, ક્યાં ખાબોચિયા જેવું મુંબઈ અને ક્યાં દરિયાપારનું દૂર દેશાવરનું ચીન. એ જમાનામાં આ ત્રણ વચ્ચે સીધો સંબંધ હતો એમ કોઈ કહે તો માનવામાં ન આવે. પણ હકીકત છે કે એવો સંબંધ હતો. ૧૭૧૩માં જન્મેલા હિરજી જીવણજી રેડીમની ફકત ચાર વરસની ઉંમરે કુટુંબ સાથે ૧૭૧૭માં નવસારીથી મુંબઈ આવ્યા. મુંબઈ આવીને નાનાંમોટાં કામ કર્યાં. પણ તેમને ભણકારા સંભળાતા હતા દરિયાપારના દેશના. ૧૭૫૬માં ઉપડ્યા ચીન. દરિયાઈ રસ્તે ચીન જનારા એવણ પહેલા પારસી, પહેલા ગુજરાતી, પહેલા હિન્દુસ્તાની. તેમણે જ શરૂ કર્યો હિન્દુસ્તાન અને ચીન વચ્ચેનો વેપાર. તેમાં મુખ્ય તો અફીણનો વેપાર. આ વેપાર માટે તેમણે ‘હોર્નબી’ અને ‘રોયલ શાર્લટ’ નામનાં બે વહાણ ખરીદેલાં. પછી તો એ વેપારને પરિણામે કેટલાયે પારસીઓ એ જમાનામાં લખપતિ થઈ ગયા. હિરજીભાઈ પાંચ વખત ચીન આવ્યા-ગયા. અને અઢળક કમાયા. મુંબઈમાં પુષ્કળ જમીન ખરીદી. ધીરધારનો ધંધો પણ શરૂ કર્યો અને ખૂબ વિકસાવ્યો. કોઈ અડધી રાતે પણ પૈસા લેવા આવે તો હિરજીભાઈ પાસે રોકડા તૈયાર જ હોય. એટલે લોકો તેમને ‘રેડીમની’ તરીકે ઓળખવા લાગ્યા. પછી તો તેમની અટક જ પડી ‘રેડીમની.’

સર કાવસજી જહાંગીર રેડીમની

આ હિરજીભાઈના એક વંશજ તે સર કાવસજી જહાંગીર રેડીમની. જન્મ ૧૮૧૨ના મે મહિનાની ૨૪મી તારીખે મુંબઈમાં કાવસજી પટેલના મહોલ્લામાં આવેલા એમના મમાવા દાદીશેઠના ઘરમાં થયો હતો. કોટ વિસ્તારમાં આવેલી સાર્જન્ટ સાઈકલ્સની સ્કૂલમાં થોડોઘણો અભ્યાસ. ૧૫ વરસની ઉંમરે ડંકન ગીબ એન્ડ કંપનીમાં ગોડાઉન કીપર તરીકે નોકરી શરૂ કરી. દસ વરસ પછી, ૧૮૩૭માં મુંબઈની બે યુરોપિયન કંપનીના ‘ગેરંટી બ્રોકર’ બન્યા. ૧૮૪૬થી તેમણે પોતાનો વેપાર-ધંધો શરૂ કર્યો. વેપારીઓ અને મુંબઈના લોકોની ખૂબ ચાહના મેળવી. ૧૮૬૦ના ફેબ્રુઆરીમાં બ્રિટિશ સરકારે આ દેશમાં પહેલી વાર ઇન્કમ ટેક્સ દાખલ કર્યો. પહેલા ફાઈનાન્સ મિનિસ્ટર જેમ્સ વિલ્સને આ માટેનો ખરડો રજૂ કર્યો. એ જ વરસના જુલાઈની ૨૪મી તારીખે ગવર્નર જનરલે તેને મંજૂરી આપી. આ નવા વેરાનો લોકોએ, ખાસ કરીને વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો. ૧૮૬૬માં મુંબઈ સરકારે કાવસજીની નિમણૂક મુંબઈના ઇન્કમ ટેક્સ કમિશનર તરીકે કરી. મુંબઈના વેપારીઓ સાથે કાવસજીના મીઠા સંબંધો. તેમણે વેપારીઓને સમજાવ્યા, પટાવ્યા. પરિણામે સરકારે ધારી નહોતી તેટલી આવક આ નવા ટેક્સમાંથી થઈ.

ચર્ચગેટ સ્ટ્રીટમાંનું કાવસજીનું મકાન

બીજી બાજુ, વધતી જતી સંપત્તિનો ઉપયોગ કાવસજી લોકોને ઉપયોગી થાય તેવાં કામો માટે કરવા લાગ્યા. સુરતમાં એક હોસ્પિટલ બાંધવા માટે ૧૮૫૭માં તેમણે ૩૦ હજાર રૂપિયા આપ્યા હતા. પણ તે બાંધવાનો ખર્ચ ૭૧૯૦૨ રૂપિયા જેટલો થયો હતો અને તે બધો જ કાવસજીએ ઉપાડી લીધો હતો. તેમણે મુંબઈ ઇલાકામાં હોસ્પિટલો બાંધી, અનાથાશ્રમો શરૂ કર્યા, મુંબઈમાં ઠેર ઠેર પીવાના પાણી માટેના ‘ફાઉન્ટન’ શરૂ કર્યા. અરે, છેક લંડનના રિજન્ટસ પાર્કમાં પણ એવો એક ફુવારો બંધાવ્યો. વળી તેમની સખાવતો જાતિ કે ધર્મના ભેદભાવ વગરની હતી. હિંદુઓ, પારસીઓની સંસ્થાઓને તો તેમણે દાન આપ્યાં જ, પણ કેથોલિક અને પ્રેસબિટેરિયન મિશનનાં કામો માટે પણ દાન આપ્યાં.

મલબાર હિલ પરનું રેડીમની હાઉસ

૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બે પાસે ૧૭ વર્ષ સુધી પોતાનું મકાન નહોતું. બીજા ઘણાની જેમ આ વાત કાવસજીને પણ ખૂંચતી હતી. એટલે તેમણે યુનિવર્સિટીનું મકાન બાંધવા માટે એક લાખ રૂપિયાનું દાન આપવાની સરકારને ઓફર કરી. પણ તેમણે એક શરત એવી મૂકી હતી કે આ મકાન બાંધવા માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહીં. મુંબઈના ગવર્નર અને યુનિવર્સિટીના ચાન્સેલર સર બાર્ટલ ફ્રેરેએ મહાબળેશ્વરથી ૧૮૬૩ના એપ્રિલની ૩૦મી તારીખે કાવસજીને એક પત્ર લખીને આ દરખાસ્ત માટે આભાર માન્યો, પણ સાથોસાથ જણાવ્યું કે આ કામ માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહિ એવી શરત સ્વીકારી શકાય તેમ નથી, કારણ ભવિષ્યમાં જેમ જેમ યુનિવર્સિટીનો વિકાસ થતો જશે તેમ તેમ નવાં મકાન બાંધવાં પડશે અને તે માટે નવાં દાન પણ લેવાં પડે. એટલે આ રીતે સરકાર પોતાના હાથ બાંધી આપી શકે નહિ. એટલે આવી શરત અંગે આગ્રહ ન રાખવા મારી સલાહ છે. અને કાવસજીએ ગવર્નરની વાત માનીને એ શરત રદ્દ કરી. ગવર્નરનું આ પગલું કેટલું ડહાપણ અને દૂરંદેશીભર્યું હતું તેની સાબિતી થોડા જ વખતમાં મળી ગઈ. કારણ પ્રેમચંદ રાયચંદે ૧૮૬૪ના ઓગસ્ટની ૨૭મી તારીખે લાઈબ્રેરીનું મકાન બાંધવા માટે બે લાખ રૂપિયાનું દાન આપવાની ઓફર કરતો પત્ર મુંબઈ સરકારના ચીફ સેક્રેટરીને લખ્યો. આ દરખાસ્ત તો સ્વીકારાઈ, પણ પોતે આપેલી રકમથી પ્રેમચંદભાઈને સંતોષ નહોતો એટલે લાઈબ્રેરીના મકાન સાથે એક ટાવર બાંધવા માટે બીજા બે લાખ રૂપિયાનું દાન પણ આપ્યું.

આપણી આજકાલની સરકારોનું કામ જ ગોકળ ગાયની ગતિએ ચાલે છે એવું નથી. ૧૯મી સદીની બ્રિટિશ સરકારનું કામ પણ ઘણી વખત એ રીતે ચાલતું. સર કાવસજી જહાંગીરે દાનની પૂરી રકમ આપી દીધી. સરકારે આભાર માની લીધો. એક પછી એક દિવસ, મહિના વીતવા લાગ્યા. પણ યુનિવર્સટીના મકાનનું બાંધકામ શરૂ થવાની કોઈ નિશાની દેખાતી નહોતી. હવે બાર્ટલ ફ્રેરે ગવર્નર પણ નહોતા રહ્યા. તેમની જગ્યાએ આવ્યા હતા સર વેસે ફિટઝિરાલ્ડ. એટલે કાવસજીએ નવા ગવર્નરને પત્ર લખ્યો. તેમાં લખ્યું કે આ વાત લખવા માટે મને માફ કરશો, પણ સરકારનું કામ એટલું તો ધીમેથી ચાલે છે કે મદગળ હાથીઓ તેને ધક્કો મારે તો પણ તે ચસકવાનું નામ લેતું નથી. સરકારને ઢંઢોળી શકો એવા આપ એક જ છો, અને આ પત્ર મેં દાન આપ્યું છે એટલે નથી લખતો, પણ યુનિવર્સિટીનું મકાન વહેલી તકે બંધાય એ લોકોના હિતમાં છે એટલે લખું છું. ગવર્નરની ઓફિસ તરફથી જવાબ તો મળ્યો, પણ તુમારશાહી, ગોળ-ગોળ. હવે કાવસજી છંછેડાયા. ૧૮૬૭ના જૂનની ત્રીજી તારીખે તેમણે યુનિવર્સિટીના એક્ટિંગ રજિસ્ટ્રારને પત્ર લખીને જણાવ્યું કે મેં ૧૮૬૩ના ઓગસ્ટની ૯મી તારીખે એક લાખ રૂપિયા યુનિવર્સિટીને આપ્યા છે, પણ ચાર વરસ પછી ય મકાનનું બાંધકામ શરૂ થયું નથી. એટલે આ પત્ર મળ્યેથી મેં આપેલી એક લાખ રૂપિયાની રકમ સરકારી ધોરણ પ્રમાણેના વાર્ષિક પાંચ ટકાના વ્યાજ સાથે મને વહેલામાં વહેલે તકે પાછી મોકલી દેવા વિનંતી. એટલે પછી સરકાર સફાળી જાગી. લંડન સાથે લખાપટ્ટી કરી.

કાવસજીના દાનમાંથી ઊભી થયેલી પાંચ સંસ્થાઓ : મુંબઈની આંખની હોસ્પિટલ, રીજન્ટ પાર્કનો ફુવારો, પૂનાની કોલેજ, બોમ્બે જિમખાના, સુરત સિવિલ હોસ્પીટલ

અને છેવટે ૧૮૬૮ના ડિસેમ્બરની ૨૯મી તારીખે ચાન્સેલર સર ફિટઝિરાલ્ડે યુનિવર્સિટીના મકાનનો શિલારોપણ વિધિ કર્યો. એ સમારંભ માટે બપોરના ત્રણ વાગ્યાથી વિદ્યાર્થીઓ અને લોકો સભાસ્થળે બાંધેલા માંડવામાં આવવા લાગ્યા. ચાર વાગે સેનેટના સભ્યો આવ્યા. બરાબર સાડા ચાર વાગ્યે મુખ્ય મહેમાનને લઈને ગવર્નર આવી પહોંચ્યા. મુખ્ય મહેમાન હતા ઓનરેબલ અર્લ ઓફ મેયો. એ વખતે હિન્દુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ તરીકે તેમની નિમણૂક થઈ ચૂકી હતી, પણ હજી તેમણે એ હોદ્દો સંભાળ્યો નહોતો. વાઈસ ચાન્સેલર રેવરંડ જોન વિલ્સને સ્વાગતનું ભાષણ કર્યું. સર કાવસજી જહાંગીર અને પ્રેમચંદ રાયચંદનો તથા બીજા દાતાઓનો તેમણે ખાસ આભાર માન્યો. મુખ્ય મહેમાને તેમના ભાષણમાં કહ્યું કે મને ખાતરી છે કે પશ્ચિમ ભારતના લોકો માટે આ યુનિવર્સિટી આધુનિક જ્ઞાનના દરવાજા ખોલી આપશે. અને એ સમારંભ રંગેચંગે પૂરો થયો. પણ આજની મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કેમ્પસના ખૂણેખૂણામાં તમે ફરી વળો તો પણ એ દિવસે જેનો ન્યાસ કરવામાં આવ્યો તે શિલા તમને ક્યાં ય જોવા નહિ મળે. કેમ? કારણ, ત્યાં હોય તો મળે ને? જે જગ્યાએ એ દિવસે શિલાન્યાસ થયો હતો એ જગ્યાએ પછીથી યુનિવર્સિટીનું મકાન બંધાયું જ નથી. સરકારી તંત્રની રીતિનીતિ હંમેશાં અકળ હોય છે. જે જગ્યાએ શિલાન્યાસ થયો એ જગ્યા પછીથી સરકારે બોમ્બે હાઈકોર્ટનું મકાન બાંધવા માટે ફાળવી દીધી, અને એ જગ્યાએ આજે પણ બોમ્બે હાઈકોર્ટનું મકાન ઊભું છે! એ જગ્યાએ ક્યાંક દટાઈને પેલો પથ્થર પડ્યો હશે. પછીથી મૂળ જગ્યાની બાજુનો એક વધુ મોટો પ્લોટ સરકારે યુનિવર્સિટીને ફાળવ્યો. શરૂઆતમાં સેનેટે આ સ્થળ-બદલીનો વિરોધ કર્યો, પણ સત્તા આગળ કોનું શાણપણ ચાલ્યું છે? છેવટે ૧૮૭૦ના જૂનની ૧૬મી તારીખે યુનિવર્સિટીએ નીચી મૂંડી કરી નવી જગ્યા સ્વીકારી લીધી. એ વખતે તેણે સરકાર સમક્ષ કેટલીક શરતો મૂકી હતી અને સરકારે તે સ્વીકારી પણ હતી. પણ વખત જતાં સરકાર એ શરતોને ઘોળીને પી ગઈ. આપેલાં વચન પાળે તો એ સરકાર શાની?

કાવસજી જહાંગીર કોન્વોકેશન હોલ

ફરી કેટલોક વખત લંડનના આર્ચિટેક્ટ સાથે લખાપટ્ટીમાં ગયો. પછી અંદાજિત ખર્ચ બહુ વધુ હોવાથી તે ઘટાડવા માટે સ્થાનિક જાણકારો સાથેની વાટાઘાટમાં સમય ગયો. પણ છેવટે ૧૮૭૪ના નવેમ્બરમાં સેનેટ હોલ(આજનો કોનવોકેશન હોલ)નું બાંધકામ પૂરું થયું. ૧૮૭૫ના માર્ચની ચોથી તારીખે મળેલી સેનેટની બેઠકમાં સર્વાનુમતે આ હોલનું નામ ‘સર કાવસજી જહાંગીર હોલ’ રાખવાનું ઠરાવાયું. પછીથી હોલના પ્રવેશ દ્વાર પાસે સર કાવસજી જહાંગીરનું આરસનું આદમકદ પૂતળું પણ મૂકવામાં આવ્યું. પણ રાજાબાઈ ટાવર અને આ હોલનું ઉદ્ઘાટન એક સાથે કરવાનું નક્કી થયું હતું, એટલે બંનેનું ઉદ્ઘાટન છેક ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે થયું હતું. પણ એ દિવસ જોવા માટે સર કાવસજી જહાંગીર હયાત નહોતા. કારણ ૧૮૭૮ના જુલાઈની ૧૯મી તારીખે તેઓ લાંબી માંદગી પછી બેહસ્તનશીન થયા હતા. એ વખતે આ હોલ અને રાજાબાઈ ટાવર મુંબઈ શહેરનાં ‘રત્નો’ તરીકે ઓળખાતા હતા. વચમાં કેટલાંક વર્ષો આ બંને ઇમારતોની હાલત કથળી ગઈ હતી. પણ પછીથી સારા એવા ખર્ચ અને પરિશ્રમથી તેને ફરીથી મૂળની ભવ્યતા અને સુંદરતા પાછી મળી છે.

ભાયખલામાં આવેલું એલ્ફિન્સ્ટન કોલેજનું જૂનું મકાન

એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત ટાઉન હોલમાં થઈ હતી. તેનું અલાયદું મકાન બાંધવા માટે પણ સર કાવસજી જહાંગીરે બે લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. પણ આ મકાન તે હાલનું કાળા ઘોડા નજીક આવેલું મકાન નહિ, પણ એ મકાન ભાયખલામાં બંધાયું હતું અને ૧૮૭૧ના ફેબ્રુઆરીની વીસમી તારીખથી કોલેજે તે વાપરવાનું શરૂ કર્યું હતું. ૧૮૮૮માં કાળા ઘોડા નજીક આવેલું હાલનું મકાન બંધાયું ત્યાં સુધી કોલેજ ત્યાં જ કામ કરતી હતી. આ ઉપરાંત પૂનામાં એન્જિનિયરીંગ કોલેજ બાંધવા માટે ૫૦ હજાર રૂપિયા અને હોસ્પિટલ બાંધવા માટે અને સુરતમાં કોલેજ બાંધવા માટે, અને બીજાં અનેક નાનાંમોટાં દાન કાવસજીએ કર્યાં હતાં. તેમની હયાતિ દરમ્યાન તેમણે કરેલી સખાવતોનો કુલ આંકડો સાડા સત્તર લાખ રૂપિયા જેટલો થાય છે જે એ વખતે અધધધ રકમ ગણાય.

હિન્દુસ્તાનની વસતિમાં પારસીઓની સંખ્યા ચપટી જેટલી. પણ આ કોમના નબીરાઓની સખાવત ઢગલા જેવડી, ત્યારે પણ, અને આજે પણ. કવીશ્વર દલપતરામે સાચું જ કહ્યું છે :

છે આગેવાન સખાવતમાં, વિખ્યાતી ચીન વિલાયતમાં,
સઘળે શુભ કામ સહાયતમાં, સુણ સાહેલી.
વળી ધર્મધુરંધર ધીરા છે, સર્વે વાતે તે શૂરા છે,
એ તો હેમ જડેલા હીરા છે, સુણ સાહેલી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 08 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,5462,5472,5482,549...2,5602,5702,580...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved