Opinion Magazine
Number of visits: 9575937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેજરીવાલ ઇમ્પેક્ટ : ભાજપે ચૂંટણી લડવાની રીત, ભાષા ને મુદ્દા બદલવા પડશે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 February 2020

કેન્દ્રના ગૃહપ્રધાન, બી.જે.પી.ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પક્ષમાં સર્વેસર્વા અમિત શાહે કહ્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન પક્ષના કેટલાક નેતાઓએ ‘ગોળી મારો’ અને ‘હિંદુસ્તાન-પાકિસ્તાન’ જેવા અભદ્ર વચનો કહ્યાં તેણે બી.જે.પી.ના પરાજયમાં કંઈક અંશે ભાગ ભજવ્યો હોવો જોઈએ. તેઓ જો કે બચાવ કરવાનું પણ ચૂક્યા નહોતા. અમિત શાહે કહ્યું હતું કે પક્ષના હજારો કાર્યકરો ઉત્તેજિત થઈને કાંઈ બોલી દેતા હોય છે તેના તરફ ધ્યાન ન આપવું જોઈએ. અનેક વખતે અમે આવાં નિવેદનોની નિંદા કરીને પક્ષને તેનાથી અળગો કર્યો છે.

સૌ પહેલાં તો તેમને અભિનંદન આપવા જોઈએ. એટલા માટે કે તેમણે કબૂલ કર્યું છે કે ભારતની જનતા, ખાસ કરીને બહુમતી હિંદુઓ, એક હદ પછી મર્યાદાનું ઉલ્લંઘન પસંદ કરતા નથી. તેને પોતાને જ શરમ આવવા માંડે છે કે આ હું શું કરી રહ્યો છું? હકીકતમાં આ વાત જો સાચી હોય તો અભિનંદનની અધિકારી ભારતીય પ્રજા છે. વિવેક વિનાનું જીવન એ જીવન નથી. જો દિલ્હીના અને ભારતના બહુમતી હિંદુઓ આ જાણતા હોય તો તમારે હિંદુ તરીકે અને ભારતીય તરીકે પોરસાવું જોઈએ.

પણ અહીં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. બોલવામાં મર્યાદાનો લોપ શું સાવ નાના કાર્યકર્તાઓએ જ કર્યો હતો? કેન્દ્રના નાણા ખાતાના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે એક સૂત્રોચ્ચાર કરાવ્યો હતો અને તેમણે કાર્યકર્તાઓને ‘ગોલી મારો સાલોં કો’ એમ કહીને ઝીલવાની સલાહ આપી હતી. આ પ્રધાન સાધારણ રીતે ગમે તેમ બોલવા માટેની ખ્યાતિ નથી ધરાવતા. કેન્દ્રના બીજા અને ઘણા સીનિયર પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ત્રાસવાદી છે. તેઓ ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવે છે અને સરકાર પાસે પૂરાવા છે. પ્રકાશ જાવડેકર પણ બેફામ બોલવા માટેની ખ્યાતિ નથી ધરાવતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આંદોલનકારીઓ માટે કહ્યું હતું કે જો તેઓ સમજાવ્યા નહીં સમજે અર્થાત્ બોલીથી નહીં સમજે તો ગોળી મારવામાં આવશે. અને વડા પ્રધાન! વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રામલીલા મેદાનમાં સંબોધેલી તેમની પહેલી રેલીમાં કહ્યું હતું કે હિંસા કોણ કરે છે એ તેનાં કપડાં પરથી ઓળખી શકાય છે.

વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કોઈ નાના કાર્યકર્તાઓ નથી. યોગી આદિત્યનાથ તો પાછા ભગવાધારી સંન્યાસી છે. આવો સંન્યાસી? સાધુ ગુંડાની ભાષા બોલે? તો આ બધા મોખરાના નેતાઓ છે અને પક્ષના અધ્યક્ષે કે પ્રવક્તાઓએ તેમનાં આવાં નિવેદનોની નિંદા કરીને પક્ષને અળગો કર્યો નથી. આમ નાના કાર્યકરો ઉત્તેજિત થઈને ગમે તેમ બોલી જાય છે એ આંશિક સત્ય છે, પૂર્ણ સત્ય નથી. પૂર્ણ સત્ય એ છે કે સામાજિક વિભાજન થાય એ પ્રકારની અભદ્રતા ઉપરથી આરોપવામાં આવે છે જેને નાના કાર્યકર્તાઓ ઝીલી લે છે. વરિષ્ઠ નેતા વાડમાં છીંડું પાડે અને નાના કાર્યકર્તાઓ આખેઆખી વાડ જ ઊખેડી નાખે. બીજું દિલ્હીનો ચૂંટણીપ્રચાર સભ્યતાનાં દરેક ધારાધોરણને ઉલ્લંઘીને અભદ્રતાની ટોચે પહોંચી ગયો એની જાણ શું અમિત શાહને નહોતી? ત્યારે જ અભદ્ર વાતો કરનારાઓને ટપારવા જોઈતા હતા. કોઈ કરતાં કોઈએ અભદ્રતાની નિંદા કરી નહોતી.

બીજી એક વાત. વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીથી લઈને અદના કાર્યકર્તા સહિત કોઈએ, ફરી કહું છું કોઈ કહેતાં કોઈએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે કેમ મર્યાદા નહોતી ઓળંગી? ત્યારે કોઈએ વાડ ઠેકી નહોતી અને અત્યારે બધા વાડ ઠેકવા માંડ્યા છે? ત્યારે તો દરેક જણના મોઢેથી વિકાસના અમૃતવચનો ઝરતાં હતાં. વિધાનસભાની ચૂંટણી વખતે દિલ્હીમાં જે ભાષામાં અરવિંદ કેજરીવાલ બોલતા હતા એ ભાષામાં ૨૦૧૪ની સાલમાં ગુજરાતનો હવાલો આપીને નરેન્દ્ર મોદી બોલતા હતા. ડીટ્ટો.

આ બધું આયોજનના ભાગરૂપે કરવામાં આવતું હતું. ૨૦૧૪માં પણ અને અત્યારે દિલ્હીમાં પણ. હવે જાહેરમાં તો એમ કહેવાય નહીં કે દેશમાં હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ કરવાનું છે? જાહેરમાં તો કહેવાય નહીં કે આપણે હિંદુઓની અંદર વિધર્મીઓ સામે નફરત પેદા કરવાની છે. જાહેરમાં તો કહેવાય નહીં કે મનફાવે એવાં જૂઠાણાં ફેલાવવાનાં છે. આખરે માણસાઈ એટલી મહાન છે કે ઈચ્છા હોય કે ન હોય, તેનો જાહેરમાં જયઘોષ કરવો જ પડે છે અને માણસાઈનો અભાવ એટલો અપ્રતિષ્ઠિત છે કે તેનું આરોપણ છૂપી રીતે કરવું પડે છે. માટે ઉપરથી આ બધું કરવામાં આવે એટલે નીચે એ આપોઆપ પહોંચવા માંડે.

ઈરાદો પાણી માપવાનો હતો. જો હિંદુ આંગળી પકડીને ગંદકીના સાગરમાં ઊંડે ને ઊંડે ઊતરતો જાય, ઝેર પીતો જાય, ઝેર ઓકતો થાય, નફરતથી રાતોપીળો થતો જાય અને હિંદુ અને માત્ર હિંદુ બની જાય તો આમ આદમીની કામગીરીના પ્રભાવને દફનાવી શકાય. કામગીરીના મોરચે ટકી શકાય એમ હતું જ નહીં એટલે એક જ આશરો બચતો હતો દિલ્હીના મતદાતાને ઝેરીલો હિંદુ બનાવવાનો. આપણે પણ કાંઈ ઉકાળી ન શકીએ તો કોઈ વાંધો નહીં. ઝેર પાયેલો હિંદુ આપણી સાથે છે જે ભૂખ્યો મરી જશે, પણ મુસલમાનને ગાળ દેવાનું નહીં ચૂકે.

અમિતભાઈ, સાચી વાત તો એ છે કે ધર્મસંકટ દિલ્હીના હિંદુ મતદાતા સામે હતું. નમકહરામ બનવું કે નમકહલાલ. આમ આદમી પાર્ટીના છોકરાઓએ તેમના માર્ગમાં નાખવામાં આવતાં અનેક અવરોધોની સામે લડીને હાર્યા વિના કામ કરી બતાવ્યું છે. તેઓ સાદગીથી જીવે છે. ભ્રષ્ટાચારનું એક પણ પ્રકરણ બહાર આવ્યું નથી. તેમણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. જો વિઘ્નો નાખવામાં ન આવ્યાં હોત તો હજુ વધુ કામ કરી શક્યા હોત. તેઓ હવે પછી શું કરવાના છે એની વાત કરે છે અને કામ અને શાસન સિવાયની બીજી કોઈ વાત નથી. હા, તેઓ મુસ્લિમ વિરોધી ઉચ્ચારણો નથી કરતા, પણ રાષ્ટ્રવાદી ઉચ્ચારણો તો કરે જ છે. તો શું કરવું? તેમને હિંદુ વિરોધી કહીને કે પછી અધૂરા હિંદુ કહીને જાકારો આપવો? જો એમ કરીએ તો નગુણા ગણાઈએ. દિલ્હીના હિંદુઓની કસોટી થઈ હતી અને તેઓ કસોટીમાંથી પાર ઉતર્યા છે. ઉપકાર સાટે અપકાર કરવાનું હિંદુ ધર્મ નથી શીખવતો. અમિત શાહ અને બી.જે.પી.ના બીજા નેતાઓએ ભલે જાહેરમાં નહીં, પણ ખાનગીમાં આ વાતની નોંધ પણ લેવી જોઈએ.   

દિલ્હીનાં પરિણામો બીજા પક્ષો માટે અને બીજાં રાજ્યોના શાસકપક્ષો માટે ધડારૂપ છે. જો કોમી ધ્રુવીકરણ રોકવું હોય અને પોતાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવી હોય તો શાસનના મોરચે ધ્યાન કેન્દ્રિત કરે. એટલું કામ કરે, એટલું સ્વચ્છ શાસન આપે એટલી નમ્રતા અને જવાબદેહી કેળવે કે તેને ત્યાંના હિંદુ મતદાતા સામે દિલ્હીના હિંદુની માફક ધર્મસંકટ પેદા થાય કે નમકહરામ બનવું કે નમકહલાલ! બી.જે.પી. ઉપર પ્રહારો કરવાની જગ્યાએ વિરોધ પક્ષોને જ્યાં આદર્શ શાસન આપવાનો મોકો મળે ત્યાં દિલ્હીવાળો પ્રયોગ કરવો જોઈએ. બી.જે.પી.ના કોમવાદી-ફાસીવાદી રાજકારણને અપ્રાસંગિક કરવાનો આ જ એક ઉપાય છે.

દરમ્યાન અત્યારે તો બી.જે.પી.ના ટ્રોલ્સ કહે છે કે દિલ્હીના હિંદુ મતદાતાઓ નમકહરામ સાબિત થયા. નગુણા નીવડ્યા. એમ પણ કહે છે કે ભિખારી માનસ ધરાવતા હિંદુઓ મફતની લાલચમાં હિંદુ તરીકે ઊણા ઉતર્યા. કોઈ તો દિલ્હીના હિંદુ મતદાતાઓ માટે દેશદ્રોહી જેવો શબ્દ પણ વાપરે છે. અઢાર અઢાર કલાક કામ કરનારા બલિદાની નેતાની કદર કરવામાં અને સાથ આપવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા એ કેમ સાંખી લેવાય! જો સાથ છોડી દો તો તમારું લેબલ ગમે ત્યારે બદલાઈ શકે છે. જર્મનીમાં આમ જ બન્યું હતું. 

આનો અર્થ સમજાયો? સાથ નિભાવો તો જ સાચા રાષ્ટ્રભક્ત. અન્યથા … હવે વિચારશો તો સમજાશે કે મુસલમાનોના, અન્ય લઘુમતી કોમના, દલિતોના, આદિવાસીઓના, છેવાડાનાં રાજ્યોના વતનીઓના, સી.એ.એ.-એન.આર.સી. સામેના આંદોલનમાં બ્રાહ્મણ સહિત બુદ્ધિશાળી અને સમજદાર હિંદુ સવર્ણો કેમ જોડાય છે? તેમને સાથ આપવાની અને સાથ છોડવાની બંને પ્રકારની આઝાદી જોઈએ છે. તેઓ આઝાદીનું મૂલ્ય સમજે છે.

બાકી, ગમે ત્યારે લેબલ બદલાઈ શકે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2020

Loading

પ્રમુખ ટ્રમ્પ પરનો મહાભિયોગ અને પ્રમુખપદની ચૂંટણી

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|16 February 2020

કેમ જાણે ‘હાઉડી મોદી’ સબબ વાટકી વહેવાર હોય તેમ અમદાવાદને ધરાર તડેપેંગડે કરાઈ રહ્યું છે ત્યારે જરી અમેરિકી પૃષ્ઠભૂ પર એક લટાર મારી લઈએ. એકવીસ વર્ષ પહેલાં બિલ ક્લિન્ટન પરનો મહાભિયોગ પૂરો થયો ત્યારે તેમણે અમેરિકી પ્રજાજોગ બોલતા કહ્યું કે, ‘હવે જ્યારે સેનેટે પોતાની બંધારણીય જવાબદારી નિભાવીને મહાભિયોગની પ્રક્રિયા પૂરી કરી છે ત્યારે હું પુનઃ તમારા સૌની માફી માંગુ છું. મારા વર્તન માટે હું તમારા સૌની માફી માંગુ છું. અને મારા કારણે કૉંગ્રેસ અને અમેરિકી પ્રજાને જે સહન કરવું પડ્યું તે બદલ દિલગીર છું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે લાખો લોકોએ મને સહકાર આપ્યો અને મારા માટે પ્રાર્થના કરી તેમનો હું આભારી છું.’ અને છેલ્લે એમણે પ્રમુખપદને શોભે તેવી મહત્ત્વની વાત કરી કે, હું સર્વ અમેરિકી પ્રજાજનોને વિનંતી કરું છું કે હવે પુનઃ અહીં વોશિંગ્ટનમાં અને સમગ્ર દેશમાં આપણે પુનર્મેળ સાથે રાષ્ટ્રીય નિર્માણના કામમાં જોતરાઈ જઈએ. પ્રવચનના અંતે પત્રકારે પૂછ્યું કે શું ખરેખર તમે તમારા વિરોધીઓને માફ કરી દેશો ને સઘળું ભૂલી જશો? ક્લિન્ટને જવાબ આપ્યો, ‘જે વ્યક્તિ પોતે માફી માંગતી હોય તેણે માફી આપવા પણ તૈયાર રહેવું જોઈએ.’

યાદ કરો કે ક્લિન્ટન પર આરોપ શું હતો? આરોપ એ હતો કે જ્યારે આર્કાન્સાના ગવર્નર હતા ત્યારે જમીનનો એક ટુકડો ગેરકાયદેસર ખરીદેલો અને મહાભિયોગ દરમિયાન એક ઇન્ટર્ન સાથેના લગ્નેતર સંબંધો બહાર આવેલા. તેમાં ક્લિન્ટને પોતાના હોદ્દાનો કોઈ ગેરઉપયોગ કરેલો તેવો આક્ષેપ નહોતો. પ્રમુખ ટ્રમ્પના જ બે વકીલો તે સમયે ક્લિન્ટન પર મહાભિયોગ ચલાવતા  હતા ને તેમનો આક્ષેપ હતો કે પ્રમુખનું ચારિત્ર્ય મહાભિયોગ ચલાવવા પૂરતું કારણ છે તે માટે હોદ્દાનો દુરુપયોગ હોવો જરૂરી નથી!

પ્રમુખ ટ્રમ્પ પરના મહાભિયોગની વાત જુદી છે. સેનેટે તેમને દોષમુક્ત જાહેર કર્યા તેના બીજા દિવસે તેમણે વ્હાઇટ હાઉસમાં વિજયોત્સવ મનાવ્યો. પોતાના ગાળો સભર ભાષણમાં તેમણે ડેમોક્રેટિક પાર્ટીને, સ્પીકર નાન્સી પલોસીને અને તેમને દોષિત ગણાવનાર એક માત્ર રિપબ્લિકન સેનેટર અને પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર મિટ રોમનીને અંજલિઓ આપી. આટલું પૂરતું ના હોય તેમ બીજે દિવસે નૅશનલ પ્રેયર્સ મીટિંગમાં ફરીથી નાન્સી પલોસી અને રોમની વિશે બેફામ બોલ્યા. નૅશનલ પ્રેયર્સ મીટિંગ તો સર્વપક્ષીય અને સર્વધર્મ બેઠક હોય છે. જ્યાં સંવાદિતા ને સમભાવની વાતો થાય છે. પણ ટ્રમ્પ સાહેબને વળી સંવાદિતા ને સમભાવ કેવા?

પ્રમુખ ટ્રમ્પે સત્ય સાથે અબોલા લીધા છે અને તથ્ય સાથે તેમને હંમેશાં વાંધો હોય છે. તે દોષમુક્ત જાહેર થાય તે એટલા પૂરતું જ કે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના સંભવિતઃ ઉમેદવાર જો બાઇડનના પુત્ર પર તપાસ ચલાવવાનો આગ્રહ રાખ્યો ને તેની સાથે એક બિલિયન ડૉલરથી સહાય જોડી ને. સ્વયં રિપબ્લિકન પાર્ટીના સેનેટર્સ બોલ્યા કે આમ કરવું ખોટું છે. પરંતુ તે કૃત્ય તેમને સત્તા પરથી દૂર કરવા જેટલું ખરાબ નથી. ટ્રમ્પને આમાં પોતાનો વિજય દેખાય છે તે નવું નથી. તથ્યને મારી મચડવું તે તેમની આદત છે. રોબર્ટ મ્યુલરના અહેવાલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ હાલ સત્તા પર બેઠેલા પ્રમુખ છે માટે તેમના પર કામ ચલાવી શકાય નહિ તેવો જસ્ટીસ ડિપાર્ટમેન્ટનો આદેશ છે. તેઓ નિર્દોષ છે તેવું ક્યાં ય નથી દેખાયું. ઊલટાનું મ્યૂલરે કૉંગ્રેસને સામે આવીને કહેલું કે તેમણે ક્યાં ય ટ્રમ્પ નિર્દોષ છે તેવું નથી કહ્યું પણ આ અહેવાલ પછી ટ્રમ્પ હંમેશાં એવું બોલતા રહ્યા છે કે મ્યૂલર અહેવાલે તેમને રશિયન હૅકિંગ મામલે નિર્દોષ જાહેર કર્યા છે. વોશિંગ્ટન પોસ્ટે નોંધ્યું છે કે ૧૦-૧૧-૧૯ સુધીના ૧૦૫૫ દિવસના સતાકાળ દરમ્યાન ટ્રમ્પ ૧૫,૪૧૩ વાર અસત્ય બોલ્યા છે.

આમ તો ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ત્યારથી જ એક વાત નિશ્ચિત હતી કે સેનેટની રિપબ્લિકન બહુમતી તેમને દોષમુક્ત જાહેર કરશે. ટ્રમ્પે મહાભિયોગ માટે સરકાર નીચલા ગૃહને કોઈ જાતનો સહકાર નહીં આપે તેવી જાહેરાત કરી દીધેલી. આ કૃત્ય પોતે જ મહાભિયોગનું એક કારણ હતું. હાઉસ ઑફ રેપ્રેઝેન્ટેટિવ્સના કહેવા છતાં  ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સહકાર ના આપ્યો. બીજી તરફ સેનેટના બહુમતી રિપબ્લિકન પક્ષના વડા મીચ મેકડોનલે તો હજુ નીચલા ગૃહમાં મહાભિયોગની ચર્ચા ચાલુ હતી ને સેનેટ પાસે પ્રસ્તાવ આવ્યો પણ નહોતો તે પહેલાં જ જાહેરાત કરી દીધેલી કે અમે વ્હાઈટ હાઉસ સાથે મળીને મહાભિયોગની વ્યૂહરચના ઘડી રહ્યા છીએ. આ તો એવું થયું કે ન્યાયાધીશ ગુનેગાર સાથે મળીને ખટલો કેમ ચલાવવો તેની વ્યૂહરચના ઘડે!

મહાભિયોગ પછી અપેક્ષા હતી કે ટ્રમ્પમાં શાણપણ આવશે પણ આ તો ઊંઘુ થયું છે. થોડા દિવસ પહેલાં જે લશ્કરી સૈનિકે કૉંગ્રેસને અને પોતાના ઉપરીને યુક્રેનના પ્રમુખ સાથેના ફોનની માહિતી આપી તેને વ્હાઈટ હાઉસમાંથી ‘સબોર્ડિનેશન’ના આધાર પર દૂર કરવામાં આવ્યા. આ પૂર્વે આ વિશે ટ્રમ્પને સાથ ના આપનારા બે એમ્બેસેડર્સ મરી યેવેનોવિચ અને સોનલેન્ડને વિદાય કરવામાં આવેલાં. વોટરગેટ કૌભાંડ દરમિયાન ૧૯૭૩માં નિકસને જસ્ટીસ ડિપાર્ટમેન્ટના કેટલાક ઉચ્ચાધિકારીઓને કાઢી મૂકેલા તેને ‘સેટરડે નાઈટ મેસેકર’ નામ અપાયેલું. ટ્રમ્પે જે રીતે સાચા, નિષ્ઠાવાન, પ્રમાણિક અધિકારીઓને તેઓ વફાદાર નથી તેમ કહીને કાઢ્યા તેને ઘટનાને અખબારે એ ‘ફ્રાઈડે નાઈટ મેસેકર’ ગણાવી છે.

છેલ્લાં ત્રણેક દાયકાથી અમેરિકી લોકતાંત્રિક સંસ્થાઓ પક્ષાપક્ષી અને વૈચારિક ધ્રુવીકરણને કારણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. ૨૦૧૬માં ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી તો રાજકીય ધ્રુવીકરણ ચરમસીમાએ પહોંચ્યું છે. રાજકારણમાં જે ‘ડેકોરમ’ હોય તે સાવ ચાલ્યું ગયું છે. મહાભિયોગ દરમિયાન જ પ્રમુખ ટ્રમ્પ જ્યારે વાર્ષિક યુનિયન ભાષણ આપવા કૉંગ્રેસમાં ગયા ત્યારે તેમણે અધ્યક્ષ પલોસી સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કરી દીધો તો સામે અધ્યક્ષ પલોસીએ તેમનુ ભાષણની નકલ સૌની સામે ફાડી નાંખી. હવે રાજકારણમાં બાલિશતા આવી ગઈ છે.

ખેર, હવે મહાભિયોગનું પ્રકરણ હાલ પૂરતું તો પત્યું છે પણ નવ મહિનાથી ઓછા ગાળામાં આવી રહેલી ચૂંટણીમાં એ રિપબ્લિકન પાર્ટીને કે ડેમોક્રેટિક પાર્ટીને વિજય અપાવશે કે પરાજયને તે જોવાનું રહ્યું.

રિપબ્લિકન પાર્ટી માને છે કે મહાભિયોગને કારણે તેમના કાર્યકર્તાઓ ને ટેકેદારો ફરીથી સક્રિય બન્યા છે. તેની અસર જરૂર મતપેટી પર પડશે. સામે ડેમોક્રેટિક પાર્ટી માને છે કે મહાભિયોગને બહુમતીનું સમર્થન હતું, કુલ પ્રજાના ૫૨ ટકા લોકો માનતાં હતા કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. ૧૭ ટકા રિપલ્બિકન મતદારો માનતા’તા કે ટ્રમ્પે કાયદાભંગ કર્યો છે.

આ વર્ષના અંતે પ્રમુખપદની સાથે સાથે નીચલા ગૃહની અને સેનેટની ૩૫ બેઠકો પર પણ ચૂંટણી થશે. સેનેટની ૩૫ બેઠકોમાંથી ૨૩ બેઠકો હાલ રિપિબ્લકન પાર્ટીની છે. જ્યાં સેનેટરની ચૂંટણીઓ છે તેવાં રાજ્યોમાં મેઈન અને કોલારાડો રાજ્યને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ટ્રમ્પને બહુમતી મળેલી. છેલ્લા ત્રણ દાયકાઓથી જોવા મળ્યું છે કે જ્યારે જ્યારે પ્રમુખપદની અને સેનેટની ચૂંટણીઓ સાથે હોય છે ત્યારે સેનેટને જે તે પ્રમુખનો લાભ મળ્યો છે; જેમ કે ઓબામાને કારણે ઘણાં ડેમોક્રેટિક સેનેટર્સ ચૂંટાયેલા, ને ટ્રમ્પને કારણે રિપબ્લિકન.

એમ, સો ટકા કહેવું બરાબર નથી કે આવતી ચૂંટણી મહાભિયોગને કારણે જિતાશે કે હરાશે. તે સિવાય પણ અન્ય પરિબળો છે. તે માટે અત્યારની બંને પક્ષોની સ્થિતિ સમજવું જરૂરી છે.

પ્રમુખપદની ચૂંટણી માટે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના નિશ્ચિત ઉમેદવાર છે. તેમની સામે હરીફો છે, પણ નગણ્ય છે. ટ્રમ્પની નાણાંકીય સ્થિતિ પણ સંગીન છે. તેમની પાસે ૨૦૦ મિલિયન ડૉલરનું ચૂંટણી ભંડોળ છે અને રિપબ્લિકન પક્ષ પાસે ૯૦૦ મિલિયન ડૉલરથી વધુ છે. રિપબ્લિકન પાર્ટીના ૯૫ ટકા ટેકેદારો તેમનાથી પ્રસન્ન છે. તેમની કન્ઝર્વેટિવ નીતિઓ, સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયોમાં કન્ઝર્વેટિવ ન્યાયાધીશોની નિમણૂકો, કરરાહત, ઓબામાએ ઘડેલા પર્યાવરણના કાયદાઓને રદ્દબાતલ કરવા, કડક ઇમિગ્રેશન નીતિ, હથિયારબંધીના કાયદામાં છૂટછાટ આ આ બધું કન્ઝર્વેટિવ મતદારો માટે પૂરતું છે. સૌથી વિશેષ તો અર્થતંત્ર સબળ છે. ડાઉ જોન્સ, નાસ્દાક અને એસ.એન્ડ પી. ૫૦૦ સહિતના સઘળા બજારાંક ઊંચા છે. બેરોજગારી કેવળ ૩.૬ ટકા છે. આને કારણે પ્રમુખ બન્યા પછી સૌ પ્રથમવાર ટ્રમ્પની લોકપ્રિયતા ૪૯ ટકા થઈ છે.

ટ્રમ્પ જાણે છે કે ફરીથી ચુંટાવા માટે અન્ય રાજ્યોમાં પોતાનું સમર્થન વધારવું પડશે. આવનારા મહિનાઓમાં તેઓ અશ્વેત મતદારોને આકર્ષવા નવી નવી યોજનાઓ જાહેર કરશે. ૨૦૧૬માં શ્વેતઘાતને કારણે સત્તા પર આવેલા પરંતુ કેવળ તેના પર નિર્ભર રહી શકાય તેમ નથી. શહેરી મતદારોમાં તેમનું સમર્થન નબળું છે. એક અહેવાલ મુજબ ટ્રમ્પ હવે સોશિયલ મીડિયા દ્વારા તેમના ટેકેદારો સાથે સંપર્કમાં રહેશે અને પ્રચાર માધ્યમો દ્વારા અશ્વેત અને શહેરી મતદારોને આકર્ષશે.

ડેમોક્રેટિક પાર્ટીનું ચિત્ર જુદું છે. આ લખું છું ત્યારે હજુ ૧૧ ઉમેદવારો પ્રમુખપદ માટે છે. રાષ્ટ્રીય સ્તરે સમર્થનની ટકાવારીમાં આગળ હોવા છતાં પૂર્વ ઉપ-પ્રમુખ જોસેફ બાઈડન આયોવા કે ન્યૂ હેમ્પશાયરની પ્રાયમરીમાં જીતી શક્યા નથી. છેલ્લાં ચાર વર્ષોમાં પક્ષમાં ઉદારવાદી અને પ્રગતિશીલ બળો વચ્ચે ઘર્ષણ વધ્યું છે. સ્વઘોષિત સમાજવાદી બર્ની સેન્ડર્સ અને એલિઝાબેથ વૉરન પ્રગતિશીલ છે; અન્ય ઉમેદવારો ઉદારવાદી છે. ન્યૂ યોર્કના પૂર્વ મેયર માઇકલ બૂમબર્ગ અને ટોમ સ્ટેયર અબજોપતિ છે, અને પોતાના ખર્ચે ચૂંટણી લડી રહ્યા છે. આ લખી રહ્યો છું ત્યારે જ સમાચાર છે કે ઇન્ડિયાના રાજ્યના સાઉથ બેન્ડના પૂર્વ મેયર, સમલૈંગિક પીટ બુડ્ડીજ્જ ઓહાયો રાજ્યમાં ડેમોક્રેટિક પ્રાયમરીમાં સૌથી વધુ મત મેળવી ગયા છે. બુટ્ઠીજ્જ કેવળ ૩૮ વર્ષના છે. પૈસા ઉઘરાવવામાં બર્ની સેન્ડર્સ આગળ છે. તેમના સમર્થકો નાની નાની રકમ આપે છે અને તેમની પાસે સબળ સંગઠન છે. સેન્ડર્સની મુશ્કેલી એ છે કે તેમના સમર્થકો ડેમોક્રેટિક પાર્ટીને નહિ પરંતુ સેન્ડર્સને વફાદાર છે. એક અભ્યાસ પ્રમાણે ૨૦૧૬ની ચૂંટણીમાં સેન્ડર્સના ૫૫,૦૦૦ સમર્થકોએ પેન્સિલવેનિયામાં અને ૪૦,૦૦૦ સમર્થકોએ મિશિગનમાં હિલેરી ક્લિન્ટનને બદલે ટ્રમ્પને મત આપેલા. જો આમ ના થયું હોત તો આ બંને રાજ્યોમાં ટ્રમ્પ જે ૩૦-૪૦ હજારની બહુમતીથી જીતી ગયેલા તે ના બન્યું હોત અને ઇતિહાસ જૂદો હોત. સેન્ડર્સની ઉંમર અને સ્વાસ્થ્ય પણ તેમની નબળી બાજુ છે. બાઇડનની પણ ઉંમર છે અને શરૂઆતમાં બોલતા બોલતા લોચા મારવાને કારણે તેમની ક્ષમતા વિશે શંકા ઉઠેલી.

હવે જોવાનું એ રહે છે કે ડેમોક્રેટિક પ્રાયમરી પછી કોણ ડેમોક્રેટિક ઉમેદવાર બને છે અને તે ટ્રમ્પ સામે ઝીંક ઝીલી શકે છે કે નહિ. મોટાભાગની જનમોજણી પ્રમાણે ટ્રમ્પનું સમર્થન નીચું છે, પણ ૨૦૧૬ની જેમ જો તે ઇલેક્ટોરલ કૉલેજના મત પૂરતા મેળવી જાય તો જીતી જાય. છેલ્લાં ત્રણ વર્ષમાં ટ્રમ્પની સ્વમુગ્ધના અને બેફામ બોલવાની રીતિઓને કારણે શહેરી મધ્યમવર્ગમાં તેમનું સમર્થન ખાસ્સુ નીચું છે. સ્ત્રીઓમાં તેમનું સમર્થન કેવળ ૪૦ ટકા છે. જોઈએ કે આવતી ચૂંટણી અમેરિકી લોકતંત્રને ફરી નોર્મલ્સી ભણી લઈ જાય છે કે નહિ!

છેલ્લે, કે મરતાં પણ સત્ય ના છોડનાર વિશ્વવિભૂતિના ધામમાં સત્ય સાથે અબોલા લેનાર આવી રહ્યા છે. જોઈએ, તેઓ યાત્રાએ નીકળ્યા છે કે મૃગયાઓ.

E-mail : rajudave@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક” 16 ફેબ્રુઆરી 2020; પૃ. 03 – 04

Loading

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકોએ ભારતમાં કદી પગ ન મૂક્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|16 February 2020

સામ્રાજ્યમાં અને સંસ્થાનમાં શો ફરક છે? આ કૉલમનો સુજ્ઞ વાચક ફરક ન જાણતો હોય એવું હું માનતો નથી, છતાં થોડું ઝીણવટથી સમજી લેવું જોઈએ. સામ્રાજ્ય એટલે એક પછી એક પ્રદેશો જીતી લઈને રાજ્યનો વિસ્તાર કરવો. રાજા કે બાદશાહ જો પ્રતાપી હોય તો તેઓ સામ્રાજ્ય વિસ્તારતા. સિકંદર છેક ભારત સુધી આવ્યો હતો એમ ઇતિહાસ કહે છે. પણ જીતેલા પ્રદેશમાં રાજ કેવી રીતે કરવું એ એક પ્રશ્ન દરેક સામ્રાજ્ય વિસ્તારનારા સામે ઉપસ્થિત થતો હતો. જો પોતાના જ દેશના એક રાજાએ બીજા રાજાને હરાવ્યો હોય તો તેનો પ્રદેશ પોતાના પ્રદેશમાં ભેળવી શકાય. પણ જ્યાં પ્રજા, ભાષા, સંસ્કૃતિ એમ બધું જ અલગ હોય તો ત્યાં શાસન કેવી રીતે કરવું?

જૂના યુગમાં સમ્રાટો એવા પ્રદેશોમાં સૂબાઓ કે પ્રતિનિધિ નિયુક્ત કરતા જે તેમના વતી રાજ કરતા. એમાં માત્ર વિદેશમાં કે દૂર વસતા સમ્રાટની આણ પોકારવામાં આવતી, બાકી વ્યવહારમાં દરેક અર્થમાં સૂબાઓનું રાજ હતું. એ પછી સરંજામશાહીની વ્યવસ્થા વિકસી જેમાં સૂબાઓને કહી દેવામાં આવતું હતું કે તમારે સમ્રાટને મહેસૂલી આવકમાંથી આટલો ભાગ આપવો અથવા ઠરાવેલી આટલી રકમ આપવાની; પછી તમારે જે કરવું હોય તે કરો. ભારતમાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ ભારતને સંસ્થાન(કૉલોની)માં ફેરવવા માંડ્યું ત્યાં સુધી મરાઠાઓ સરંજામશાહીથી રાજ કરતા હતા.

બ્રાહ્મણ પેશ્વાઓને પોતાના દેશમાં સામ્રાજ્ય કેમ વિસ્તારાય એનું તો ભાન નહોતું, પણ તેમની નજર સામે અસ્તિત્વમાં આવી રહેલા અંગ્રેજોના રાજ્યનું સ્વરૂપ પણ તેમના ધ્યાનમાં નહોતું આવ્યું. તેમના મનમાં એવો પણ પ્રશ્ન નહોતો થયો કે છ હજાર માઈલ્સ દૂરથી આવેલા મુઠ્ઠીભર અંગ્રેજો શાસનની જે વ્યવસ્થા વિકસાવી રહ્યા છે એ તેમની સરંજામશાહી કે સૂબાશાહી કરતાં જુદી છે. એ સ્વરૂપને સમજવાનું કુતૂહલ પણ નહોતું થયું. શું આપણે એમ કહી શકીએ ભારતીય માનસ કુતૂહલશૂન્ય છે? હા, લગભગ એમ કહી શકાય. પરલોકનું હાથ લાગેલું જ્ઞાન આપણને એટલું બધું પ્રભાવિત કરે છે કે આ-લોકનું જ્ઞાન મેળવવાનું આપણે ‘મ્લેચ્છો’ પર છોડી દીધું હતું!

ભારતમાં અને અન્ય દેશોમાં અંગ્રેજો અને બીજા યુરોપિયન દેશો જે રાજ્ય વ્યવસ્થા વિકસાવી રહ્યા હતા એ સંસ્થાનની વ્યવસ્થા હતી. કોઈ સૂબો નહોતો કે કોઈ ચોથાઈ જેવી ભાગીદારીની વ્યવસ્થા નહોતી. શાસન સીધું હતું અને એ પગારદાર નોકરો દ્વારા કરવામાં આવતું હતું. ભારતમાં પોતાને સર્વશ્રેષ્ઠ સમજનારા કોઈ ચિત્પાવન બ્રાહ્મણે તેની નજર સામે ક્યારે ય જોયું નહોતું એવું અનોખું રાજ્ય આકાર લઈ રહ્યું હતું અને તે છતાં ય તેને સમજવાની તસદી લીધી નહોતી. આમ લખવાનો હેતુ બ્રાહ્મણોનું અપમાન કરવાનું નથી, પરંતુ એ બતાવવાનું છે કે એક નજર બહારની દુનિયા પર પણ કરવી જોઈએ અને મિથ્યાભિમાન ટાળવું જોઈએ. શ્રેષ્ઠત્વનો ભાવ દીવાલ બનીને આપણને જ કેદ કરે એ હદે તેને પોષવાનો ન હોય. આજના યુગમાં જ્યારે હિંદુ શ્રેષ્ઠતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે આ કથન ફરી પાછું પ્રાસંગિક થતું નજરે પડી રહ્યું છે. જો હિંદુ સવર્ણોએ અને મુસ્લિમ ભદ્રવર્ગે શ્રેષ્ઠત્વની દીવાલો બાંધીને પોતે જ પોતાને કેદ ન કર્યા હોત તો તેમની નજર સામે આકાર લઈ રહેલ રાજ્યનું અનોખું સ્વરૂપ સમજાયું હોત અને તેનાથી કેમ બચવું એનો પણ કોઈ માર્ગ સૂઝ્યો હોત.

શાસનનું એક અનોખું સ્વરૂપ યુરોપિયનોએ વિકસાવ્યું હતું જેને સંસ્થાન (કૉલોની) કહેવામાં આવે છે. લશ્કરી આક્રમણ કરીને એક પ્રદેશ જીતી લીધો પછી તેની બધી સંપત્તિ જીતનારની. આનો અર્થ એ થયો કે સંસ્થાનવાદી રાજ્યવ્યવસ્થામાં પ્રજાનું કોઈ મહત્ત્વ નહોતું, સંસાધનોનું મહત્ત્વ હતું અને પ્રજા પણ એક ઉત્પાદક અને ઉપભોક્તા તરીકે સાધન માત્ર હતી. આ એક એવી વ્યવસ્થા હતી જેમાં પ્રજા રૈયત તો નામ પૂરતી હતી, સાધન વિશેષ હતી. આ શોષણ કરનારી વ્યવસ્થા હતી એટલે તેને સંસ્થાનવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકોએ ભારતમાં પગ પણ નહોતો મુક્યો. તેઓ નોકરો દ્વારા રાજ્યવિસ્તાર કરતા હતા અને વિસ્તારિત રાજ્યને સંસ્થાન બનાવીને તેનું નોકરો દ્વારા શોષણ કરતા હતા. તેઓ જે સમૃદ્ધિ ભોગવી રહ્યા હતા એ સમૃદ્ધિ જ્યાંથી આવે છે એ પ્રદેશને જોવાની પણ તેમને જરૂર નહોતી લાગી.

નોકરો દ્વારા શાસિત અને પ્રજાને પણ સંપત્તિ-ઉત્પાદક એક સાધન માત્ર માનનારી શોષણકેન્દ્રી વ્યવસ્થા એટલે સંસ્થાનવાદ. ઈંગ્લેંડમાં નામ પૂરતી રાજાશાહી હતી અને આજે પણ છે, એટલે અંગ્રેજોને સંસ્થાનની જગ્યાએ સામ્રાજ્ય શબ્દ વધારે માફક આવતો હતો. બ્રિટિશ સામ્રાજ્ય શબ્દપ્રયોગ ગૌરવશાળી લાગતો હતો જ્યારે સંસ્થાન શબ્દ શોષણવાચક હતો એટલે તેમાં શરમનો અનુભવ થતો હતો. આમ પણ બાયબલમાં કિંગડમ ઑફ ગૉડની વાત આવે જ છે એટલે બ્રિટિશ સામ્રાજ્યને પણ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ કિંગડમ ઑફ ગૉડના વિસ્તાર તરીકે લેખાવતા હતા. ભારત નસીબદાર છે કે એ બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો છે જે દરેક અર્થમાં કિંગડમ ઑફ ગૉડ જેવું જ આદર્શ છે. આવી શબ્દછલનાનો પ્રતિવાદ કરતા કહેવામાં આવ્યું હતું કે જો એ સામ્રાજ્ય છે તો એ શોષણ કરનારો સામ્રાજ્યવાદ છે, પ્રજાને પોતાની માનનારું સામ્રાજ્ય નથી. આમ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ એ એક બીજાના પર્યાય તરીકે વપરાય પણ સંસ્થાનવાદ વધારે ઉપયુક્ત સંજ્ઞા છે.

આ એવું રાજ્ય હતું જે નોકરોથી ચાલતું હતું. અને નોકરો પણ કેવા? કૌવતની દ્રષ્ટીએ સામાન્ય અને પાછા ભ્રષ્ટ. તેજસ્વી લોકો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી કરવા આટલે દૂર આવવા તૈયાર નહોતા થતા એટલે કંપની જે મળે તેમને ભારત મોકલતી હતી. તેમને ભ્રષ્ટાચાર કરીને કમાઈ ખાવાની છૂટ હતી. આ ઉપરાંત લૈંગિક અને અન્ય શિથિલતાઓ સામે પણ આંખ આડા કાન કરવામાં આવતા હતા. કંપનીને હરામના નફામાં નુકસાન હતું અને અમલદારોને ફાંટ ભરીને ધન ઘેર લઈ જવા મળતું હતું. આમ શેઠ-નોકર બંને મળીને ભારતમાં શોષણ કરતા હતા. શેઠને ખબર હતી કે નોકર કેવો છે અને શું કરે છે.

સ્થિતિ એવી બની કે નોકરિયાતો સામાન્ય કૌવત ધરાવતા હતા અને મિશનરીઓ, ભારતમાં નસીબ અજમાવવા આવનારા ખાનગી અંગ્રજ નાગરિકો અને જિજ્ઞાસાથી પ્રેરાઈને પૂર્વનો અભ્યાસ કરવા આવતા અભ્યાસીઓ વધારે બુદ્ધિ ધરાવતા હતા અને એમ બનવું સ્વાભાવિક હતું. આ લોકો ભારત દેશ કેવો છે, તેનો સમાજ કેવો છે, ભારતમાં શું બની રહ્યું છે, કંપની શું કરે છે, અમલદારો કેવા છે વગેરેની જાણ પત્રો દ્વારા અથવા પ્રવાસવર્ણન કે સંસ્મરણો લખીને પોતાના વતનને કરતા હતા. બીજી બાજુ બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં ધંધો કરવાનો અને રાજ કરવાનો ઈજારો યાવદ્ચન્દ્ર દિવાકરૌ નહોતો આપ્યો. આમની સભામાં દર વીસ વર્ષે ઈજારાશાહીનો ચાર્ટર રિન્યુઅલ માટે આવતો હતો. રિન્યુઅલ વખતે કંપનીના અને કંપનીના અમલદારોના ગોરખધંધા ચર્ચાનો વિષય બનતા હતા. આનાથી બચવા માટે કંપનીએ એક ખાસ પ્રકારનું વહીવટીતંત્ર અને અમલદારશાહી વિકસાવ્યાં હતાં.

નોકર દ્વારા શોષણ કરવાનું હતું, ક્ષમતાની દૃષ્ટિએ સરેરાશ નોકરથી ચલાવી લેવાનું હતું, નોકરની દરેક પ્રકારની શિથિલતાની બાબતે સહિષ્ણુ રહેવાનું હતું અને છતાં ઘરઆંગણે લોકપ્રવાદથી બચી નીકળવાનું હતું. આ ચોક્કસ હેતુ માટે ખાસ વિકસાવવામાં આવેલા વહીવટીતંત્રે અને અમલદારશાહીએ આધુનિક ભારતનો ચહેરો કંડારવામાં અને તેની નિયતિ ઘડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ઉપર જે ચાર લક્ષણ કહ્યાં છે એ ચારેય લક્ષણ આઝાદી પછી આજે પણ જોવા મળે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે ઘર આંગણે એટલે બ્રિટન અને આમની સભા હતાં અને આપણા શાસકો માટે ઘર આંગણે એટલે દેશમાં અને સંસદ થાય છે.

ગૂંચ પડેલા દોરામાં સામો છેડો જ ન જડે એવું વહીવટીતંત્ર અને અસંવેદનશીલ નોકરશાહી એ અંગ્રેજો પાસેથી મળેલો વારસો છે. આ બધાં આધુનિક ભારતનાં ઘડતરના પદાર્થો (ઇન્ગ્રેડીયનટ્સ) છે એ નહીં ભૂલતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 16 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,5382,5392,5402,541...2,5502,5602,570...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved