Opinion Magazine
Number of visits: 9576324
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકતા

મનીષી જાની|Opinion - Opinion|20 February 2020

અમે છીએ તો તમે છો
છતાં ય તમે જ અમને પૂછો છો : 'તમે કોણ ? સાબિતી આલો ..'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
અમે તમને માથે બેસાડ્યા
ને તમે જ અમારા માથે ટપલી મારી પૂછો છો : 'તમે કોણ ? પૂરાવા આપો !'
તારી ત્તો!
એક બે ને સાડાત્રણ !
આમ તો સાચેસાચ દુ:ખી છીએ,
વોટર કાર્ડ કહો કે મતદાર કાર્ડ કહો,
બધેય હસતાં મોઢા ચપોચપ ચોંટાડીને,
આગંળીએ ટીલાં ટપકાં તાણી ને,
તમોને મતો વરસોવરસ આલ્યા કર્યા
ને તમો તો મતોના પહાડ પર ઊંચે ઊંચે જઈ ને બેઠા,
ઠેઠમ ઠેઠ દિલ્લી જઈને બેઠા
ને હવે તમે અમને પૂછો છો:
'નાગરિક છો ? કાગળ કાઢો, સાબિતી આલો, પૂરાવા આપો ..'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
કબ્રસ્તાન હોય કે સમશાણ
જોતાં તો આંખે બોર જેવડાં આંસુ છલકે,
છલકતાં આંસુમાં, અમ્મી દેખાય, બાપા દેખાય,
દાદા દેખાય, નાની દેખાય ..!
આંસુ ના તે કંઈ ફોટા પડે ?
તો ય તમે તો મંડ્યા છો :
'મા-બાપ ક્યાં જન્મ્યાં? દાખલા લાવો, સાબિતી આલો'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
સમશાન કે કબ્રસ્તાન!
ચારેકોર માટી-માટી!
આ જ માટીમાં ઊગ્યાં,
આ જ માટીમાં મહેંક્યાં,
આ જ માટીમાં મહેનત વાવી
ને
તમે છેકમછેક દિલ્લીમાં બેઠા કરંટના બટન દબાવો:
'આ માટી તમારી છે, પૂરાવા લાવો, સાબિતી આલો ..!'
તારી ત્તો !
એક બે ને સાડાત્રણ !
આ માટીમાં ઊભા થયા, આ માટીમાં ખપી જવાનાં,
કાળ ચકરડું ચાલ્યા કરશે,
લાખો આંખો, ચમકતી આંખો, સહિયારી આંખો,
એક સાથે બોલી ઊઠશે,
ગાજી ઊઠશે :
"થાય તે એ કરી લેવાનું,
થાય ભડાકા એ કરી લેવાનાં !"
તારી ત્તો !
એક બે ને હાડા તઈણ !

(19 ફેબ્રુઆરી 2020; શાહીન બાગ મહિલા ધરણાં, અવિરત ચાલુ)

Loading

અજાણી પ્રણયભૂમિની રચનાઓ : 28 પ્રેમકાવ્યો

રઘુવીર ચૌધરી|Opinion - Literature|20 February 2020

ઉમેશ સોલંકીનો તાજેતરમાં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ‘28 પ્રેમકાવ્યો’ અજાણી પ્રણયભૂમિની ઓળખ આપે છે. મેળામાં, બાગમાં, હોટલમાં મળતાં પ્રેમીઓની અહીં વાત નથી. ઉમેશ સોલંકીના પ્રેમીજનો ઉજ્જડ વગડામાં દેખાય છે, નિર્જન વોંઘામાં દેખાય છે. ધોવાતી જમીન અને નદી વચ્ચે ઊંડા વહેળા રચાતા હોય છે. એનો ઉપયોગ કુદરતી હાજત તેમ જ મળવા માટે થતો હોય છે એ વિશે વધુ નિખાલસતાથી ઉમેશ સોલંકી નોંધ મૂકે છે. તળના માણસની વાત કરવી છે અને અગવડોથી દૂર રહેતા ભાવક સુધી એનો ભાવ પહોંચાડવો છે.

સાપને પણ લાગે થાક
એવા વળાંક …
વળાંક પર વાડ
દૂધથી ફાટ ફાટ
થોરનો ઠાઠ,
કાંટા પણ લાગે વણબોટાયેલા જંગલ વચ્ચે 
આદિવાસી સ્ત્રીઓનો જાણે હઠીલો શણગાર.

ઉમેશ સોલંકીએ વ્યક્ત કરવો છે ધરતીના સ્પર્શ સાથેનો અનુભવ પણ એમની કાવ્યકલા વિષયક જાણકારી એમને દૂરવર્તી કલ્પન રચવા પ્રેરે છે.

પ્રથમ રચના ‘વોંઘું’નો આરંભ વાંચતાં લાગે છે કે આ કંઈક નોખો અવાજ છે, અરૂઢ સર્જકતા છે. થોરની વાડને દૂધથી ફાટ ફાટ થતી કહેવા માટે આત્મીય નિરીક્ષણ જોઈએ. આદિવાસી સ્ત્રીઓ માટે કાંટા પણ હઠીલો શણગાર બની જાય એની જાણ છે, આ જાણકારીમાં કલ્પનાનો સંયોગ સધાયેલો છે. પછી સાથ-સંયોગનું વર્ણન છે. ત્યાં પણ એક કલ્પન ધ્યાન ખેંચે છે,

કોણીનો ટેકો લઈ
લટ તારી, આંગળ પર વીંટી
અને શરમાઈને મીઠું તેં
સહેજ ફેરવ્યું મોઢું તેં
તારી અનોખી આંખને મેં,
મોઢું દૂરથી દેખાય ખાલી,
સફેદ પહાડની ગુફામાં
શાંત બેઠેલી વાઘણ કહી.
ખખડીને તું હસી પડી …

ઉમેશ સોલંકીએ વ્યક્ત કરવો છે ધરતીના સ્પર્શ સાથેનો અનુભવ પણ એમની કાવ્યકલા વિષયક જાણકારી એમને દૂરવર્તી કલ્પન રચવા પ્રેરે છે. ‘સફેદ પહાડની ગુફામાં શાંત બેઠેલી વાઘણ’ કહેતા નાયકને કવિ દૂર લઈ જઈને નજીક લાવે છે. કવિએ અમર પ્રેમની વાત નથી કરવી, કાલિવાસ ‘ભાવસ્થિરાવલિ જન્માંતર સૌહાધનિ’ના કરુણ મૃદુ સ્મરણનો શ્લોક રચી દુષ્યંતની મન:સ્થિતિની ઓળખ આપે ત્યારે એ સાચા લાગે છે. અહીં તળ ભાવભૂમિનો કવિ મિલનની ક્ષણિકતાનો નિર્દેશ કરી આગળ વધે છે,

ટેરવાંને ટેરવાંની માયા છૂટી,
એનાં ટેરવે ટેરવાં ફૂટ્યાં.
ટેરવાં મારાં હથેળીમાં ઘૂસ્યાં
અને એ એના રસ્તે હું મારા રસ્તે.

(પૃ. 5, 28 પ્રેમકાવ્યો)

મિલનના ઉપર્યુક્ત સંકેત પછી ઠોકર, ઝરણું, નદીના નિર્દેશ રૂપે સર્‌રિયલ – અતિ વાસ્તવની દિશામાં રચના આગળ વધે છે. અંતે વળી ઠોકર સરખી થાય છે અને ‘એ એના રસ્તે હું મારા રસ્તે …’ ‘ફૂદું’ રચતા એના લાઘવ, લયાત્મકતા અને સંકેતને કારણે કવિતા-સમૃદ્ધિમાં ઉમેરો કરે છે.

ગીતની ગેયતા ઉપાડમાં અનુભવાય છે,

ધૂળિયા ગામનું લીંપેલું ઘર.
ઘરના બારણે અલ્લડ શી સાંકળનું મીઠુંમધ ખટખટ,
ખટખટમાં ભળતું લાલ-લીલી બંગડીનું ખનખન.
ખનખન પર છલકાતું હસવાનું કલકલ
અને આંગળથી ચાંદરણું પંપાળી પંપાળી,
ફાટેલી ચોપડીમાં ડૂબવાનો ખાલીખમ ડોળ.

(પૃ. 11)

અહીં સમજાવવા જઈએ તો આસ્વાદમાં અવરોધ બને એવી વિશદતા છે. પ્રેમનું આનંદ સ્વરૂપ અહીં ઊઘડે છે અને કાવ્યને અંતે કરુણ ઘટનાનો સંકેત છે : ‘જાળીમાં ફસાઈ મર્યું નાનકડું ફૂદું.’

કવિ ક્યાંક અવળવાણી પ્રયોજે છે તો ક્યાંક પોતાની સામાજિક નિસ્બત જાહેર કરે છે,

તને તો ખબર છે
પ્રેમમાં પીડા છે,
તો ચાલને
સાથે મળીને
પીડાને
આપણી કને રાખીને
વગર વાંકે પીડાતીને પ્રેમ આપીએ.

(પૃ. 16)

આપણી પીડા અને વગર વાંકે પીડાતાની સંવેદના એક થાય એ પ્રેમમાં પછી પીડા જેવું ન હોય. બાવળના રૂમાલથી

તડકાને ગાળીને
ગટગટ ગળા લગી એવો પીધો માણીને
કે આખોયે મગરો ઘેરાયો આંખમાં.

(પૃ. 32)

મગરો એટલે ડુંગર. એક વિશાળ દૃશ્ય થોડાક શબ્દોમાં પ્રત્યક્ષ થાય છે. ઉત્તર ગુજરાતના કવિને બાવળ-લીંબડા વહાલા હોવાના. પૂનાના મેહુલ માવજીભાઈએ આ સંગ્રહના પ્રકાશનમાં સાથ આપ્યો છે અને નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચે એનું પ્રકાશન કર્યું છે.

કવિનો ઈ-મેઇલ છે : umeshsol@gmail com

(પ્રકાશન તારીખ 19 August 2018, 'દિવ્ય ભાસ્કર')

Loading

સૂરનો કલરવ રોજ સવારે અંતરમાં પડઘાવે …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 February 2020

હૈયાને દરબાર

સૂરનો કલરવ રોજ સવારે
અંતરમાં પડઘાવે,
અતીતના અંધારા છેદે
કોણ કિરણ પ્રસરાવે,
મુજને સાદ દઈ એ જગાવે.

શીમળાનાં વૃક્ષોથી સરકે
આંગણ આવી અટકે,
આસપાસની કળીઓ માંહે
સૌરભ થઈને મહેકે,
તૃણ તૃણ સ્પંદ થઇ એ પધારે.

શબ્દોના સથવારે આવે,
મૌનમાં નાદ ભરે,
શ્વાસ બની સરગમમાં રણકે
લીલયા કોણ કરે ?
પળ આવે ને પળ જવડાવે.

•   ગીત : કનુ સૂચક ‘શીલ’    •   સંગીત : મોહન બલસારા    •   ગાયક : રવીન્દ્ર સાઠે

——————-

વિલેપાર્લેમાં થોડાં વર્ષો પહેલાં સાહિત્યરસિક સ્વજનને ઘરે સુગમ સંગીતની બેઠક હતી. એક સુરીલું ગીત પુરુષ ગાયકના કંઠમાં ગવાઈ રહ્યું હતું, સૂરનો કલરવ રોજ સવારે અંતરમાં પડઘાવે ….! ગીતના શબ્દો અને સ્વરાંકન સાંભળીને ગીત સાથે દ્રશ્ય આંખ સામે ફરવા માંડ્યું.

જાણે વહેલી સવારનો સમય છે. પ્રકૃતિ એની તાજગી ફેલાવી રહી છે. સૂર્યોદય સાથે ગાઢ વૃક્ષોમાંથી સરી આવતો પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને મનમાં પરમ શાંતિ છવાઈ જાય છે. સ્વચ્છ આકાશમાં ઊડતાં પંખીઓના ટહુકા માનવ મનમાં મીઠું સંગીત સર્જે છે અને કોઈક સાદ દઈને જગાડે છે ત્યારે વિચાર આવે છે કે એ કોણ છે જે આ બધી લીલા કરે છે! ફૂલ અને કળીઓમાં મહેક કોણ પ્રસરાવે છે? શ્વાસ બની સરગમમાં કોણ રણકે છે? સમગ્ર સંસારનો દોરી સંચાર કોણ કરી રહ્યું છે?

ગીત પૂરું થાય છે પણ મનમાં સૂરનો કલરવ ગુંજી રહ્યો છે. એ બેઠકમાં રાગ દરબારી પર આધારિત આ ગીતના ગાયક એ બીજું કોઈ નહીં, આપણા જાણીતા સાહિત્યકાર, લેખક કનુભાઈ સૂચક હતા અને ગીત સ્વરબદ્ધ કરનાર સુગમ સંગીતનું જૂનું અને જાણીતું નામ મોહન બલસારા. કનુભાઇ તન્મય થઈને જે રીતે ગાતા હતા એ જોઈને જ લાગે કે સૂરના કલરવમાં એ અંતરધ્યાન થઈ ગયા હતા.

કેટલીક વ્યક્તિઓની આભા એવી હોય કે જોતાં જ અંજાઈ જવાય. મુંબઈના કાશી કહેવાતા વિલેપાર્લેમાં વિદ્યા-વિનય-વિવેક નામની સોસાયટીનું નામ કદાચ કનુભાઇ-સુશીલાબહેન જેવાં સૌહાર્દપૂર્ણ યુગલના સૌજન્યપૂર્ણ વ્યવહાર પરથી જ પડ્યું હોવું જોઈએ. વિદ્યા-વિનય-વિવેકનો ત્રિવેણી સંગમ જેમનામાં છે એ લેખક-કવિ-સાહિત્યકાર કનુભાઈ સૂચકનું નામ સાહિત્ય પ્રેમી મુંબઇગરા માટે અજાણ્યું નથી. ગુજરાતી ભાષા બચાવોની બૂમરેંગ કરવાને બદલે મૂકપણે તેઓ સાહિત્યની ધૂણી ધખાવીને અલગારી ફકીરની જેમ વર્ષોથી સાહિત્યની સેવા કર્યે જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘સાહિત્ય સંસદ-સાંતાક્રુઝ’ નામની સંસ્થા દ્વારા સાહિત્ય સરવાણી જેમણે શરૂ કરી હતી, એ રામપ્રસાદ બક્ષીનો વારસો અત્યારે કનુભાઈ સંભાળી રહ્યા છે. દર ગુરુવારે ગુજરાતી સાહિત્યની બેઠક યોજીને, નવોદિત-વરિષ્ઠ સાહિત્યકારો-કવિઓને નિમંત્રીને શુદ્ધ સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. કનુભાઇ આમ તો વ્યવસાયે આર્કિટેક્ટ. ‘શિલ્પ સમીપે’ નામનું રસપ્રદ પુસ્તક તેમણે લખ્યું છે, પરંતુ જીવ કવિનો ય ખરો. એમની ઉત્તમ કવિતાઓના સંગ્રહ ‘ખોજ’ તથા ‘સૂરનો કલરવ’ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કનુભાઈ સરસ ગાઈ શકે છે એ કદાચ ઘણાને ખબર નહીં હોય! આ ગીત એમના જ કંઠે સાંભળવું એ લહાવો છે. કનુભાઇ એકાદ પંક્તિ ભૂલી જાય તો એમનાં સુસંસ્કૃત (કારણ કે એમણે ૬૫ વર્ષની વયે સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. કર્યું છે) પત્ની સુશીલાબહેન તરત યાદ કરાવે અને પછી બન્ને સજોડે સૂરના કલરવમાં ડૂબી જાય.

આ ગીત જેમણે સ્વરબદ્ધ કર્યું છે એ સંગીતકાર મોહન બલસારાનો પરિચય કનુભાઇ સૂચકને ઘરે જ થયો હતો. એમનું નિરાભિમાન અને સાદગી સ્પર્શી ગયેલાં. સાક્ષાત્‌ સંસ્કારમૂર્તિ લાગે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઘેલછા કે પૈસાની લાલસા વિના વર્ષો સુધી સુગમ સંગીતના વર્ગો લીધા હતા અને જિંદગીમાં ક્યારે ય ગાયું ન હોય એવી બહેનોને ગાતી કરી એ એમની સૌથી મોટી સિદ્ધિ. એમની ગેરહયાતિમાં આજે ય એ બહેનો મોહનભાઈનું ઋણ યાદ કરે છે. તેઓ વાયોલીન ખૂબ સારું વગાડતા. લતા મંગેશકરથી લઈને કેટલા ય કલાકારો સાથે એમણે વાયોલીન સંગત કરી હતી. એ વખતના રણજિત સ્ટુડિયોમાં મ્યુઝિશયન તરીકે એક માત્ર મોહનભાઈ હતા. મોહનભાઈએ મકરંદ દવે, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, મહેશ શાહ, મેઘબિન્દુ તથા કનુભાઈ સૂચક સહિત ઘણા કવિઓનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, પરંતુ સૂરનો કલરવ એમને પોતાને પણ અંગત રીતે ખૂબ ગમતું હતું કારણ કે પ્રકૃતિ અને પરમાત્માનું અજબ જોડાણ તેઓ આ ગીતમાં અનુભવતા હતા.

કનુભાઇ સૂચક આ ગીત વિશે કહે છે કે, "ગીત એક સવારે અચાનક પાંચ જ મિનિટમાં લખાઈ ગયું હતું. મારી દ્રષ્ટિએ પ્રકૃતિ અને પ્રભુ ભિન્ન નથી. એ જ વાત આમાં છે. નવમા ધોરણથી હું કવિતા લખતો. ગુલાબદાસ બ્રોકર તથા જશવંત મહેતાએ આગ્રહ અને યોગ્ય સૂચનો ન કર્યાં હોત તો કદાચ ક્યારે ય કાવ્યસંગ્રહ બહાર ન પાડ્યા હોત. હવે જો કે કવિતા સૂકાઈ ગઈ છે. ઉંમર થતા લોજિકલ વધારે થતાં જઈએ અને ઈમોશન્સ ઓછાં થતાં જાય એમ પણ બને. પણ, કવિતાનો પ્રકાર મને ખૂબ ગમે છે. આખા ગીતમાં ફિલોસોફી છે, છતાં એ પ્રકૃતિ ગીત લાગે છે. સુષુપ્તાવસ્થામાં હોઈએ ત્યારે આપણને કોઈ ઢંઢોળી નથી જગાડતું પણ હળવે હાથે જગાડે છે. આ જાગૃત કરવાનું કામ ઈશ્વર સિવાય કોણ કરે? માણસ ગમે તેટલો તાર્કિક હોય પણ એના મનમાં એ કુતૂહલ તો છે જ કે આખી દુનિયા કોણ ચલાવે છે. આ કુતૂહલ આ ગીતમાં વ્યક્ત થયું છે. અમારા હિમાલય પ્રવાસ દરમ્યાન આવી જ પંક્તિ મને સૂઝી હતી ;

પળની ઝાલર મધ્ય રણકતા કોના આ ધબકાર,
લીલી ચાદર ઓઢી પ્રહરી, ઊભા અંતરિયાળ,
અમે તો આવ્યા હરિને દ્વાર …!

સૂરનો કલરવ ગીત સાંભળવાની તક મેળવી લેજો. સીડીમાં રવીન્દ્ર સાઠેના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના સ્વરનો ગુંજારવ મન-હૃદયને જરૂર પરિતૃપ્ત કરશે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ફેબ્રુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=622367

————————
 

Loading

...102030...2,5352,5362,5372,538...2,5502,5602,570...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved