Opinion Magazine
Number of visits: 9682889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના-કાળે (13)

સુમન શાહ|Opinion - Opinion|6 April 2020

= = = = જ્યારે પણ અસર અનુભવાય, ઍક્સિલરેટર અને બ્રેક પરથી પગ નથી ઉપાડવાનો બલકે એવો દાબ આપવાનો છે કે ઍક્સિલરેટર ડાઉન થાય = = = =

= = = પણ હકીકત એ છે કે કોઈ ફાવતું નથી – ન તો જ્ઞાની, ન વૈરાગી કે ન ભક્ત. કેમ? કેમ કે આખા પ્રશ્નમાં શાસન અને શાસને ઊભી કરેલી વ્યવસ્થાઓ મોટો ભાગ ભજવે છે = = = =

ભારતીય પરમ્પરમાં ઈશ્વરપ્રાપ્તિ માટેના ત્રણ માર્ગ દર્શાવાયા છે : જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ.

આ કોરોના-કાળે કેટલાક – બહુ જ ઓછા – ભારતીયોએ જ્ઞાનમાર્ગ અપનાવ્યો છે. એઓ તાકી રહ્યા છે કે વિજ્ઞાન વડે રસી શોધાશે ને ત્યાં લગી ઘરે બેસીને બધું સહી લેશું. એમણે એવા જ્ઞાનનો, એટલે કે સમજદારીનો સાથ કર્યો છે.

કેટલાક – બહુ જ ઓછા – વૈરાગી થઈ ગયા છે. તેઓ એક એવી વાતના સહારે જીવી રહ્યા છે – શું લઈને આવ્યા’તા, શું લઈને જવાના’તા … એમની વાત ગળે ઊતરી જાય એવી છે તેમ છતાં જાતે જવા માટે એમનામાંનું કોઈ તૈયાર નથી. એમનો વૈરાગ્યભાવ એમને જિવાડી રહ્યો છે ને એટલે તેઓ જાહેરમાં બેફામપણે ભટકી શકે છે.

ત્રીજા ભારતીયો – ઘણા જ ઘણા – ભક્તિમાર્ગી છે. તેઓ આ ભયાનક સમયમાં તાળી અને થાળીવાદનથી તેમ જ દીવા પ્રગટાવીને એક અને અખણ્ડ ભારતવાસી હોવાનો પરસ્પરને અહેસાસ કરાવી રહ્યા છે – સારી વાત છે. એથી કરીને, એટલે કે એવી એકતા જોઈને, બને કે કોરોના-દેવ રાજી થઈ જાય ને સુખાશીર્વાદ આપીને જતા રહે … થાય તો, સારું …

ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે : મગ જે પાણીએ ચડતા હોય ચડવી લેવા. એટલે ડાહ્યા માણસો એમ કહે છે કે જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ – જેનાથી પણ આ મહા મહામારી ટળે તો ટાળો. એ ડાહ્યાઓ ઠાવકા છે. એટલું કહીને બેસ્યા રહે છે.

પણ હકીકત એ છે કે કોઈ ફાવતું નથી – ન તો જ્ઞાની, ન વૈરાગી કે ન ભક્ત. કેમ? કેમ કે આખા પ્રશ્નમાં શાસન અને શાસને ઊભી કરેલી વ્યવસ્થાઓ મોટો ભાગ ભજવે છે. જો શાસન અને વ્યવસ્થાઓ બન્ને સુભગ સુન્દર હોય તો આવકાર્ય પરિણામોની હળવાશભરી દિશાઓ ખૂલી શકે છે. પણ કદાચ, એટલે જ, આવા હરેક મહાસંકટ ટાણે માનવજાત સામે એવી દિશાઓ નથી ખૂલી અથવા અરધીપરધી ખૂલીને બંધ થઈ ગઈ છે. યાદ કરો, વિશ્વયુદ્ધના સમયો. પહેલાએ બીજાને જનમાવ્યું અને બીજાએ ત્રીજાને – જે 'શીત યુદ્ધ'-ને નામે ઓળખાયું …

આ પ્રસ્તાવના સાથે કહું કે પશ્ચિમની પ્રજાઓ આવા સમયે મોટા ભાગે જ્ઞાન-વિજ્ઞાનનો માર્ગ પકડતી હોય છે ને તેથી સાંપડતા શાણપણને અપનાવતી હોય છે. પણ, ત્યાં પણ, દિશાઓ ખોલ-બંધ થવાની ઘટનાઓ ઘટતી હોય છે. એ સંદર્ભમાં, અમેરિકાના એક જ્ઞાનીનું આ દૃષ્ટાન્ત સમજવાલાયક છે :

કોરોના વાઇરસ અથવા COVID-19 બાબતે અમેરિકામાં આજકાલ એ જ્ઞાની વ્યક્તિ અત્યન્ત ચર્ચાસ્પદ બની છે. તે છે, ઍન્થની ઍસ. ફૉચિ.

૭૯ વર્ષના મિસ્ટર ફૉચિ સ્પષ્ટવક્તા છે, આખાબોલાયે ખરા. ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ઍલર્જી ઍન્ડ ઇન્ફૅક્શિયસ ડિસીઝિસ’ના ડિરેક્ટર છે. COVID -19 અંગેના અમેરિકન સરકારના પ્રયાસોમાં એમનો મોટો હિસ્સો છે. એટલું જ નહીં, તેઓ COVID-19 માટેની રસીના સંશોધન-કાર્યમાં પણ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.

ફૉચિ આ વિષયની એક સુજાણ વ્યક્તિમત્તા છે. પોતાની એ હેસિયતે એમણે કોરોના વાઇરસના ફેલાવા વિશે ખાતરીપૂર્વકની ચેતવણીઓ અવારનવાર ઉચ્ચારી છે. એમણે કહ્યું છે કે વાઇરસની અસરોને મન્દ કરવા જતાં આપણે કેટલાંયે બલિદાન આપવાં પડશે. વ્હાઇટ હાઉસના 'ટાસ્ક ફોર્સ' સાથેની મીટિન્ગમાં ફૉચિએ આ મતલબનું કહેલું કે : હવે એ સમય આવી લાગ્યો છે, જ્યારે પણ અસર અનુભવાય, ઍક્સિલરેટર અને બ્રેક પરથી પગ નથી ઉપાડવાનો બલકે એવો દાબ આપવાનો છે કે ઍક્સિલરેટર ડાઉન થાય : એમણે ભયંકર સંભાવના વ્યક્ત કરેલી કે ૧૦૦,૦૦૦-થી ૨૪૦,૦૦૦ અમેરિકાવાસીઓનાં મૃત્યુ થઈ શકે છે.

કથળી રહેલા જાહેર સ્વાસ્થ્ય બાબતે માર્ગદર્શનો આપવામાં તેઓ સૌ ઑફિસરોની મૉખરે રહ્યા છે. પ્રૅસિડેન્ટને સુધારવા બધા ડરતા હોય પણ ફૉચિએ ટ્રમ્પનાં અનેક ભ્રાન્ત વિધાનોને સુધાર્યા છે. દાખલા તરીકે, ટ્રમ્પને એમણે સોશ્યલ ડિસ્ટન્સિન્ગની ગાઇડલાઇન્સની ટાઇમલાઇન વધારવા કહ્યું છે – આ પૅન્ડામિકથી આંકડો કેટલે પ્હૉંચવાનો છે એ એમણે ગ્રિમ મૉડેલ્સ – ગમ્ભીર નિદર્શનો – રજૂ કરીને સમજાવેલું. દાખલા તરીકે, ટ્રમ્પે લલકારેલું કે રસી બે મહિનામાં મળી જશે, ત્યારે, ફૉચિએ જણાવેલું કે રસી હમણાં નથી મળવાની, વરસ-દોઢ વરસ લાગી શકે છે.

પણ વૈચિત્ર્ય જુઓ, ફૉચિના વરતારાની ટીકાઓ થવા લાગી છે. એમને ધમકીઓ અપાઈ રહી છે. એમની સુરક્ષા સામે જોખમો ઊભાં થયાં છે. શું કરવાનું? જ્ઞાન સામે અજ્ઞાનની લડાઈ ! સમજુને શૂળીએ ચડાવવાની વાત !

ધમકીઓ ખરેખર કેવી છે તે બહાર નથી આવ્યું પણ કેટલાક રાઇટ-વિન્ગ કમૅન્ટેટર્સ અને બ્લૉગર્સ માટે ફૉચિ હવે પબ્લિક ટાર્ગેટ છે. તેઓ ફૉચિને એમની નિપુણતા બાબતે આક્રમક ભાવે પ્રશ્નો કરી રહ્યા છે. ફૉચિને રીપોર્ટરોએ પૂછ્યું કે – તમને સિક્યૉરિટી પ્રોટેક્શન અપાયું છે? એમણે કહ્યું – એ માટે તમે HHS-ને પૂછો, મારે કમૅન્ટ નથી કરવી. આ બાબતે પ્રૅસિડેન્ટ ટ્રમ્પશ્રી શું બોલ્યા તે જાણવા જેવું છે. કહે – એમને (ફૉચિને) સિક્યૉરિટીની કોઈ જરૂર નથી. ઍવરિબડી લવ્ઝ હિમ – એમને તો હર કોઈ ચાહે છે.

નકરી હકીકત એ છે કે અમેરિકા પણ હાલ બે પાર્ટીઓમાં ચુસ્તતાથી વિભાજિત દેશ છે. ને એટલે જ ફૉચિને બીજે છેડે લઈ જઈને રંજાડવાની કોશિશ થઈ રહી છે. જો કે એ લોકશાહીય દેશમાં એમને સિક્યૉરિટી તો અપાઈ જ છે …

એવા જ બીજા જ્ઞાની બિલ ગેટ્સે પણ ઉપકારક સૂચનો કર્યાં છે. એ વાત હવે પછીના દિવસે.

= = =

(March 6, 2020 : Ahmedabad)

Loading

કોરોના પછીની દુનિયા : એકહથ્થુ જાપ્તો કે નાગરિક સશક્તિકરણ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 April 2020

કોરોના વાઈરસ માત્ર સ્વાસ્થ્યને લગતી જ બીમારી નથી, પરંતુ આપણે ભવિષ્યમાં કેવી રીતે જીવીશું અને આપણી સામાજિક અને રાજકીય વ્યવસ્થાઓ કેવી રીતે કામ કરશે, તે પણ આ મહામારી નક્કી કરશે. આપણે આ મહામારીનો સામનો કરી લઈશું, આપણે તેની સારવારને પણ શોધી લઈશું, પરંતુ આજથી એક દાયકા પછી, આપણી દુનિયા એ નહીં હોય, જે આજે છે. કોરોના વાઇરસે દુનિયાના મૂળભૂત માળખામાં બુનિયાદી પરિવર્તનો લાવી દીધાં હશે. વ્યક્તિગત સ્તરે આજે આપણી પ્રાથમિકતા આપણાં સ્વાસ્થ્ય માટેની છે, તે સમજી શકાય તેમ છે, પરંતુ સામૂહિક કે વૈશ્વિક સ્તરે તેની શું અસર પડશે, તે જાણવું પણ એટલું જ અગત્યનું છે.

બેસ્ટ સેલર પુસ્તક 'હોમો સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઈતિહાસ'ના લેખક અને ઇઝરાયેલી ઈતિહાસકાર યુવલ નોઆ હરારીએ, લંડનના ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ સમાચારપત્રમાં, કોરોના વાઈરસ પછીના ભવિષ્યની કલ્પના કરી છે. અહીં તેમના થોડા વિચારો રજૂ કર્યા છે, જે તમને કોરોના વાઈરસની બીમારીને વ્યાપક દ્રષ્ટિકોણ જોવામાં મદદ કરશે.

તેઓ કહે છે કે આ વૈશ્વિક કટોકટીમાં લોકો અને સરકારો નજીકના ભવિષ્યમાં કેવાં પગલાં ભરે છે, તેના પર આવતીકાલની અર્થવ્યવસ્થા, રાજકીય અને સામાજિક સ્થિતિ આધાર રાખે છે. આપણે ઝડપથી પગલાં ભરવાં પડશે, પરંતુ તેના લાંબાગાળાનાં પરિણામોની પણ ચિંતા કરવી પડશે. આપણે જે પગલાં ભરીશું, તેનાથી મહામારીમાંથી ઉભરવામાં મદદ મળશે, પરંતુ એમાં જમ ઘર ભાળી જાય, તેવી શકયતા પણ છે.

હરારી કહે છે કે કટોકટીમાં લેવામાં આવેલાં ટૂંકા ગાળાનાં પગલાં કાયમ માટે રહી જાય, તેનો એક ઇતિહાસ છે. કટોકટીની પરિસ્થિતિઓની લાક્ષણિકતા છે કે સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાગુ કરતાં વર્ષો લાગે, તે કટોકટીનાં નામે કલાકોમાં અમલી બની શકે છે. સામાન્ય સંજોગોમાં આઘી રાખવામાં આવેલી ખતરનાક ટેકનોલોજીઓ કટોકટીના સમયમાં બહુ સરળતાથી સક્રિય કરી શકાય છે, કારણ કે તેની સામે કોઈ વિરોધ થતો નથી અને લોકો પણ સહજ રીતે તેનું સમર્થન કરે છે. આખાને આખા દેશો મોટા પાયે સામાજિક-પ્રયોગો માટે બલીના બકરા બની જાય છે. લોકો ઘરેથી કામ કરતા થાય અને દૂરથી જ વાત કરતા થાય, તો શું થાય? તમામ સ્કૂલો અને યુનિવર્સિટીઓ ઓન-લાઈન કામ કરતી થાય, તો શું થાય? સામાન્ય સંજોગોમાં, સરકારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ આવો પ્રયોગ ના કરવા દે, પણ સંજોગો સામાન્ય નથી.

હરારી કહે છે કે વિશ્વ સામે બે નોંધપાત્ર વિકલ્પો મ્હોં ફાડીને ઊભા છે; એક વિકલ્પ એકહથ્થુ જાપ્તો (ટોટેલિટેરીઅન સર્વેલન્સ) અને નાગરિક સશક્તિકરણ (સિટિઝન એમ્પાવરમેન્ટ) વચ્ચે છે, અને બીજો વિકલ્પ રાષ્ટ્રવાદી અળગાપણું (નેશનાલિસ્ટિક આઈસોલેશન) અને વૈશ્વિક એકતા વચ્ચે છે. આપણે આમાંથી શું પસંદ કરીએ છીએ, તેના પર આપણા ભાવિનો આધાર છે.

કઠોર જાપ્તાવાળી વ્યવસ્થા :

મહામારીને રોકવા માટે થઈને, આખી વસ્તીએ અમુક પ્રકારના નિયમો પાળવા જરૂરી બની જાય છે. એ માટેના બે રસ્તા છે; એક રસ્તો એ છે કે સરકાર લોકો પર જાપ્તો રાખે અને જે લોકો નિયમ તોડે, તેને સજા કરે. આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે સરકારો દરેક લોક પર હર સમય નિગરાની રાખી શકે. હરારી સોવિયત સંઘનું ઉદાહરણ આપીને કહે છે કે પચાસ વર્ષ પહેલાં, (સોવિયત ગુપ્તચર સંસ્થા) કે.જી.બી. પાસે ના તો એવી તાકાત હતી કે ૨૪ કરોડ લોકોની પાછળ-પાછળ ફરી શકે કે ના તો એટલા બધા લોકોની માહિતીઓનું વિશ્લેષણ કરી શકે. ત્યારે કે.જી.બી. એજન્ટો અને વિશ્લેષકો પર આધાર રાખતું હતું. આજે સરકારો કોટ-પેન્ટ અને ચશ્માં પહેરેલા એજન્ટોને બદલે સાધારણ લાગતાં સેન્સર્સ અને શક્તિશાળી અલગોરિધમની મદદથી આ કામ કરી શકે છે.

હરારી લખે છે કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં ઘણી સરકારોએ નવા પ્રકારનાં જાસૂસી યંત્રો ગોઠવ્યાં છે. એમાં નોંધપાત્ર ચીન છે. લોકોના સ્માર્ટફોન પર નિગરાની રાખીને, ચહેરાઓ પહેચાનતા લાખો કેમેરાઓ ગોઠવીને તથા લોકોને તેમના બોડી ટેમ્પરેચર અને મેડિકલ પરિસ્થિતિની જાંચ કરાવવાની ફરજ પાડીને ચાઇનીઝ સત્તાવાળાઓ બહુ ઝડપથી કોરોના વાઇરસ ધરાવતા શંકાસ્પદ લોકોને ઓળખી કાઢે છે એટલું જ નહીં, તે લોકોની તમામ ગતિવિધિ પર નજર રાખીને તે કોના સંપર્કમાં આવ્યા હતા, તેની માહિતી પણ એકઠી કરે છે. ચીનમાં એવી અનેક મોબાઇલ એપ્લીકેશન્સ છે, જે નાગરિકોને શંકાસ્પદ રોગીઓથી દૂર રહેવાની ખબર આપે છે.

આ પ્રકારની ટેકનોલોજી ઇઝરાયેલમાં આતંકવાદી સામે લડવા માટે પણ છે, પરંતુ પ્રધાનમંત્રી નેતન્યાહુએ કોરોનાના દર્દીઓઓ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. કોઈ તેવી દલીલ કરી શકે કે આવી મહામારીથી બચવા માટે આકરાં પગલાં જરૂરી હોય છે, પરંતુ આ પ્રકારની નિગરાનીમાં એક મહત્ત્વનો ફર્ક એ આવ્યો છે કે અગાઉ તમે તમારા મોબાઇલના સ્ક્રીન પર કોઈ લીંક પર ક્લિક કરો, તો સરકારને એ જાણવામાં રસ હતો કે તમે શું ખોલીને વાંચ્યું છે. કોરોના વાઈરસમાં સરકારને જે તમારી આંગળીમાં કેટલું ટેમ્પરેચર અને કેટલું બ્લડ-પ્રેસર છે, તે જાણવામાં રસ છે. મતલબ કે અગાઉ શરીરની બહાર જાપ્તો રાખવામાં આવતો હતો, હવે શરીરની અંદર રાખવામાં આવે છે.

ટેકનોલોજીઓ અત્યંત તેજ ગતિએ વિકસી રહી છે. હું ક્યા સમાચાર વાંચું છું અને મારા રાજકીય વિચારો કેવા છે, હું કોઈ વીડિઓ જોઉં તો મારા બોડી ટેમ્પરેચરમાં, બ્લડ પ્રેસરમાં અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે, હું ક્યારે હસું છું, ક્યારે ગુસ્સો કરું છું અને ક્યારે દુઃખી થાઉં છું, તે જાણવામાં સરકારોને રસ છે. મને તાવ આવે કે ખાંસી આવે, તેવી જ રીતે મને સુખમાં હસવાનું અને દુઃખમાં રડવાનું પણ આવે. સરકારને માત્ર મારી ખાંસીમાં જ રસ હશે, એવું માનવું ભૂલ ભરેલું છે. મારા વ્યક્તિત્વને જાણવામાં સરકારો અને કોર્પોરેશનોને રસ પડે છે. આખા દેશની પ્રજાનો આવો ડેટા સરકારો માટે બહુ કામનો છે. તે વિરોધીઓને ઓળખી શકે અને તેમને ‘સીધા’ કરવા માટે પગલાં ભરી શકે. બાયોમેટ્રિક પદ્ધતિથી એ પણ જાણી શકાય કે પ્રેસિડેન્ટ-પ્રાઈમ મિનિસ્ટરનું ભાષણ સાંભળીને મને મજા પડી કે આક્રોશ આવ્યો. ગુસ્સો આવ્યો હોય તેવી સરકારને ખબર પડે, તો વાત ગઈ.

કોરોના વાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એકવાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધવેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોના વાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.

હરારી કહે છે કે આ ગલત ચોઈસ છે. આપણે પ્રાઈવસી અને સ્વાસ્થ્ય બંનેના આનંદ લઇ શકવા જોઈએ. તેના માટે નાગરિક સશક્તિકરણનો બીજો રસ્તો છે. દક્ષિણ કોરિયા, તાઈવાન અને સિંગાપોર જેવા દેશોએ લોકોની ઓછામાં ઓછી જાસૂસી કરીને અને કોરોના વાઈરસનું વધુને વધુ ટેસ્ટીંગ, રિપોર્ટીંગ અને લોક-જાગૃતિ કરીને મહામારીને કાબૂમાં રાખી છે.

ઉપર બેઠેલી સરકાર બધા લોકો પર જાપ્તો રાખે અને આકરો દંડ કરે, એ એક જ ઉપાય નથી. લોકોને વૈજ્ઞાનિક તથ્યો આપવામાં આવે અને લોકોને વિશ્વાસ હોય કે સત્તાધારીઓ તેમને સત્ય કહી રહ્યા છે, તો લોકો જોર-જબરદસ્તી વગર યોગ્ય રીતે જ વર્તે છે. જાપ્તા હેઠળની અજ્ઞાની પ્રજાની સરખામણીમાં જાતે જ સભાન અને જાણકાર પ્રજા વધુ સશક્ત અને અસરકારક હોય છે.

(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 ઍપ્રિલ 2010)

Loading

કોવિડ 19 વિષે આપણે શું કરી શકીએ

પી સાંઈનાથ [અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા]|Opinion - Opinion|5 April 2020

આ લેખ સૌ પ્રથમ ૨૬ માર્ચ ૨૦૨૦ના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કરેલા 'પેકેજ'ના થોડાક કલાકો બાદ પ્રકાશિત થયેલો છે. મૂળ લેખ માટે જુઓ https://ruralindiaonline.org/articles/what-we-should-do-about-covid-19/

કટોકટીને પહોંચી વળવા સરકાર દ્વારા જાહેર કરાયેલું 'પેકેજ' એ ઉદાસીનતા અને અજ્ઞાનતાનું મિશ્રણ છે.

કોરોના વાઇરસ વિષે પ્રધાનમંત્રીના પહેલા ભાષણે જ આપણને થાળી વાડકા ટીપી ટીપીને બધા દુષ્ટ આત્માઓને ભગાડતાં કરી મૂક્યા.

અને એમના બીજા ભાષણે આપણે બધાને ટીપી કાઢ્યા.

આવનારા દિવસોમાં જનતા, ખાસ કરીને ગરીબો કઈ રીતે ખાવા પામશે કે કેવી રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓ એમના સુધી પહોંચશે એ વિષે એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યા વગર એમણે લોકોના ટાંપીને બેઠેલા ભયને હવા આપી. મધ્યમવર્ગ દુકાનો ને બજારોમાં ઉમટી પડ્યો — જે ગરીબો માટે શક્ય નહોતું. નહોતું શક્ય શહેર છોડીને એમને ગામ જઈ રહેલા સ્થળાંતરિત લોકો માટે. નહોતું શક્ય નાના ફેરિયાઓ, કામવાળાઓ, ખેત મજૂરો માટે. નહોતું શક્ય રવિની ફસલ પૂરી ના કરી શકતા – કે ફસલ સાથે ફસાયેલા ખેડૂતો માટે. નહોતું શક્ય ભારતના હજારો લાખો છેવાડાના લોકો માટે.

નાણામંત્રીએ ગઈકાલ 26 માર્ચે જાહેર કરેલા પેકેજમાં જો કોઈ એક સારી વાત હોય તો એ છે : દરેક વ્યક્તિને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ (પી.ડી.ઍસ.) મળતા 5 કિલો અનાજ ઉપરાંત ત્રણ મહિના સુધી વધારાના 5 કિલો ઘઉં કે ચોખા મફત આપવાની વ્યવસ્થા. એમાં પણ એ સ્પષ્ટ નથી કે પહેલાની યોજના પ્રમાણે મળતા 5 કિલો પણ મફત મળશે કે પછી એના પૈસા આપવાના રહેશે. અને જો એના પૈસા આપવાના હોય તો એ નિરર્થક હશે. પેકેજમાં ઉલ્લેખાયેલા મોટા ભાગના પગલાંમાંની રકમ એ જ યોજનાઓની છે જે પહેલેથી અસ્તિત્વમાં છે. જેમ કે મનરેગાના વેતનમાં 20 રૂપિયાનો વધારો નિશ્ચિત જ હતો — અને આમાં ક્યાં ય કામના દિવસોના વધારાનો ઉલ્લેખ ક્યાં છે?  અને માનો કે તમે લાગી પણ જાઓ કામે; પણ કામ આવશે ક્યાંથી, અને એ કામના સમયે સામાજિક અંતર રાખવાનું શક્ય હશે? આ સ્તરનું કામ ઉપલબ્ધ કરવા માટે જે સમય જોઈશે એ બધા અઠવાડિયાઓમાં લોકો શું કરશે? શું તેમનું સ્વાસ્થ્ય એમનો સાથ આપશે? આપણે મનરેગાના દૈનિક વેતન દરેક મજૂર ને ખેડૂતને  જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી આપવા જ રહ્યા, પછી ભલે એમને માટે કામ હોય કે ના હોય.

2,000 રૂપિયાનો લાભ તો પી.એમ.-કિસાન હેઠળ હતો જ અને અપેક્ષિત હતો — તો એનાથી ઉમેરાયું શું?  જે લાભ ત્રણ માસના અંતે મળવાનો હતો તે હવે અગાઉથી મળવાનો થયો. મહામારી ને લૉકડાઉનની પરિસ્થિતિ સામે લેવાતાં પગલાં રૂપે જે 1.7 લાખ કરોડ ફાળવવામાં આવ્યા એનો સ્પષ્ટ વિભાજીત ખ્યાલ, કે એમાં આવરી લેવાયેલાં નવાં પગલાંનો ખ્યાલ નાણામંત્રીએ આપણને આપ્યો જ નહિ. જાહેર કરાયેલી કુલ રકમનો કેટલો હિસ્સો જૂની કે હાલમાં અસ્તિત્વમાં હોય એવી યોજનાઓમાંથી વાળીઝૂડીને ભેગા કરેલા આંકડાઓનો છે? એની ગણના તો કટોકટીનાં પગલાંમાં ભાગ્યે જ થઇ શકે. વધુમાં, સેવાનિવૃત્તો, વિધવાઓ, અને દિવ્યાંગોને એકવારની સહાયરૂપે આવનારા ત્રણ મહિના દરમ્યાન બે તબક્કામાં રૂપિયા 1,000 આપવામાં આવશે? તેમ જ જન ધન યોજનાના ખાતા ધરાવતી 20 કરોડ બહેનોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને રૂપિયા 500 આપવામાં આવશે? આ તો સૂચક પણ નહિ; આ શરમજનક કહેવાય.

સ્વ-સહાય જૂથો માટે લોનની મર્યાદા વધારવાથી પરિસ્થિતિ કેમની બદલાશે જ્યારે મંજૂર થયેલી લોનની રકમ મેળવાવમાં લોકોને નવ નેજાં પાણી ઉતરે છે? અને પેલા પોતાને ઘેર, ગામ જવા મથતાં અગણિત સ્થળાંતરિત મજ઼દૂરોને, જે રસ્તામાં અધવચ્ચે ફસાયેલા છે, એમને આ 'પેકેજ' કેવી રીતે મદદ કરશે? માત્ર એમ કહેવું કે એ સ્થળાંતરિત લોકોને મદદ કરશે એ તદ્દન અપૂરતું છે. તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવાના જાહેર કરાયેલાં પગલાંઓમાં રહેલી આ ખામીઓ ચિંતાજનક છે, એમ જ આ 'પેકેજ' તૈયાર કરનારનું વલણ અત્યંત ભય ઉપજાવનારું છે. તેમાં આંખ સામે ઊભી થઇ રહેલી પરિસ્થિતિઓ વિષે સંપૂર્ણ ઉદાસીનતા જોવા મળે છે.

ફોટો : લાબાની જંગી

આ લેખ સાથેના બંને ચિત્રો એક સર્જકની આંખે નિરૂપાયેલાં દિલ્હી અને નોઇડાથી ઉત્તરપ્રદેશ ને બીજે તેમના ગામો તરફ પાછા જતા સ્થળાંતરિત કામદારોની અવળી મુસાફરીનાં દ્રશ્યો છે.  કલાકાર લાબાની જંગી એક ચિત્રકાર છે. ચિત્રકાલાનું જ્ઞાન એમણે સ્વયં સાધનાથી પ્રાપ્ત કર્યું છે. તેઓ હાલમાં સેન્ટર ફોર સોશિયલ સાયન્સીસ, કલકત્તામાં મજૂરોના સ્થળાંતરના વિષયમાં પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે.

આપણે અત્યારે જે રીતના લૉકડાઉનમાં છીએ – નબળા વર્ગોને માટે કોઈ સામાજિક સહાયતાઓ કે પૂર્વતૈયારી વગરના — તેવા લૉકડાઉન આપણને આવા અવળા સ્થળાંતરો તરફ નક્કી દોરી જઈ શકે છે, દોરી જઈ રહ્યા છે. કોઈ ચોક્કસ આંકડો મેળવવો આમાં શક્ય નથી, પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી મળતા અહેવાલો પ્રમાણે લોકો જે નાનાં મોટાં શહેરોમાં કામ કરતાં હતાં એ બધા લૉકડાઉન હેઠળ આવતા મોટી સંખ્યામાં લોકો પોતાનાં ગામડાંઓ તરફ પાછા જઈ રહ્યા છે.

ઘણા એમની પાસે છે તે એક માત્ર પરિવહનનું સાધન વાપરીને જઈ રહ્યા છે — અને તે છે એમના પોતાના પગ. કોઈ સાયકલ પર જઈ રહ્યા છે. તો ઘણા અડધે રસ્તે અટવાયેલા છે કારણ ટ્રેન, બસ, વાન બધું ઠપ્પ થઇ ગયું છે. વિચારો જો પરિસ્થિતિ વધુ વિકટ થશે તો જે આભ તૂટી પડશે આપણે માટે એનો વિચાર માત્ર ડરાવી મૂકે તેવો છે. 

વિચારો, ગુજરાતથી રાજસ્થાન, હૈદરાબાદથી તેલંગાણાના અને આંધ્ર પ્રદેશના દૂરના ગામો તરફ, દિલ્હીથી ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ, મુંબઈથી કોણ જાણે કંઈ કેટલા ય રાજ્યોના કેટલાં ય ગામો તરફ મોટા જૂથમાં ઘર તરફ ચાલતાં લોકો વિષે. જો એમની વહારે કોઈ ના આવ્યું અને એમનો ઝડપથી ખાલી થતો અનાજ પાણીનો પૂરવઠો ખૂટી ગયો તો હોનારત સર્જાશે. એ સૌ ઝાડા, ઊલટી, કોલેરા, જેવા સદીઓ જૂના કંઈ કેટલા ય રોગના શિકાર બનશે.

ઉપરાંત, આર્થિક આપત્તિઓ વધતાં એવી સ્થિતિ સર્જાશે જેમાં આપણે કદાચ મોટી સંખ્યામાં કામદાર અને યુવાન લોકોને મોતનો શિકાર થતાં જોઈશું. પીપલ્સ હેલ્થ મૂવમેન્ટના વૈશ્વિક સંચાલક  ટી. સુંદરરામને PARIને જણાવ્યું કે, "તબીબી સારવારના અભાવ વચ્ચે આ આર્થિક આપત્તિને કારણે આપણે કોરોના વાયરસની જગ્યાએ બીજા અનેક રોગોથી થતાં મોત જોઈશું.

કુલ જનસંખ્યાના 8 ટકા લોકો જે 60 વર્ષ કે એથી ઉપરના છે તેમને કોરોના વાયરસથી સૌથી વધારે ખતરો છે. બીજા રોગોનો રાફડો ફાટતાં, અને આવશ્યક તબીબી સારવારની ગેરહાજરીમાં યુવાન કામદાર વર્ગની જનસંખ્યાને મોટો ફટકો પડશે.”

નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના ભૂતપૂર્વ કારોબારી સંચાલક, પ્રો. સુંદરરામન્‌, "અવળા સ્થળાંતરોની સમસ્યા અને આજીવિકાના નુકશાનના પ્રશ્નોની નોંધ લેવાની તેમજ એ ઉપર કામ કરવાની" જરૂર ઉપર ભાર મૂકે છે. "આમાં જો આપણે અસફળ રહ્યાં તો એ સૌ બીમારીઓ જે વર્ષોથી ગરીબોને સતાવે છે અને તેમના મોતનું કારણ બને છે તે બધી ય કોરોના વાયરસથી થતા મોતને આંબી જશે." ખાસ કરીને શહેરમાં રહેતા સ્થળાંતરિત કામદારોનું નજીવું વેતન બંધ થતા ભૂખમરાની પકડમાં આવશે અને જો અવળાં સ્થળાંતર વધશે તો સ્થિતિ વધુ વણસશે.

ફોટો. રાહુલ એમ

થાકેલા સ્થળાંતરિત કામદારો જે દર અઠવાડિયે આંધ્ર પ્રદેશમાં અનન્તપુર અને કેરાલામાં કોચીની વચમાં આવજા કરે છે.

ઘણા સ્થળાંતરિત લોકો એમના કામની જગ્યાએ જ રહે છે. એ જગ્યાઓ બંધ થતા એમને હવે ત્યાંથી જવાની સૂચના મળે છે — આ લોકો જાય ક્યાં? લાંબા લાંબા અંતરો પગપાળા કાપવા એ  દરેકના ગજાની વાત નથી. એમની પાસે રાશન કાર્ડ નથી — એમની પાસે ખાવાનું કેવી રીતે પહોંચડશો?

આર્થિક સંકટ ગતિ પકડી રહ્યું છે.

જે ઉભરીને આવે છે તે છે સ્થળાંતરિત મજૂરોનું, કામવાળાઓનું, અને ગરીબોનું મોટી હાઉસિંગ સોસાયટીઓ દ્વારા થઇ રહેલું વિમુદ્રીકરણ (ડીમોનિટાઇઝેશન), કારણ સોસાયટીઓના લોકોને ખાતરી છે કે આ લોકો સમસ્યાની જડ છે. હકીકત : કોવિડ 19ના વાહક, જેવા પહેલા સાર્સ(SARS)ના હતા,  હવામાં ઉડવાવાળા વર્ગના છે. આ સમજવાને બદલે આપણે જાણે આપણા શહેરોની ગંદકીને દૂર કરી રહ્યા હોઈએ એમ આ બધા અનિચ્છનીય તત્ત્વોને બહાર કાઢી રહ્યા છીએ. વિચાર કરો : આ ઉડતા વાહકોએ જો વાયરસ આ સ્થળાંતર કરી રહેલા લોકોમાંના એકાદને આપ્યો હોય અને એ ગામડે પહોંચે પછી એનું પરિણામ શું આવે?

થોડાઘણા સ્થળાંતરિત કારીગરો હંમેશાં પગપાળા એક ગામથી બીજે ગામ ગયા છે, ખાસ કરીને જ્યારે એ ગામો એક જ રાજ્યના કે આજુબાજુના રાજ્યોના હોય. પરંપરા એવી હતી કે જ્યારે આમ ચાલતા જતાં હોય ત્યારે રસ્તામાં આવતા ઠેલા ને ધાબાઓ પર રોકાઈ, થોડું કામ કરે અને એ બહાને એક સમયના ખાવાનાની અને રાતના સૂવાની વ્યવસ્થા થઇ જાય. પણ હવે તો એ બધાં બંધ થયા છે — શું થશે? 

ઉપલા અને મધ્યમ વર્ગના લોકોનું એમ માનવું છે કે જો આપણે ઘેર રહીશું ને આ સામાજિક અંતરનું બરાબર પાલન કરીશું તો બધું ઠીક થઇ જશે. કઈ નહિ તો આપણને વાઇરસનો ચેપ નહિ લાગે. ઘણાને મન આ સામાજિક અંતરના જુદા સંદર્ભો છે. આપણે જ લગભગ બે સહસ્રક પહેલાં આનું એક મજબૂત સ્વરૂપ શોધ્યું હતું – જ્ઞાતિ. જ્ઞાતિ અને વર્ગ એ આપણા લૉકડાઉનની રીત અને  પ્રતિભાવમાં પણ જાણે વણાઈ ગયેલા છે.

એક દેશ તરીકે આપણને એ વાત અડતી નથી કે 2.5 લાખ જેટલા ભારતીયો દર વર્ષે ટ્યુબરક્યુલોસિસની બીમારીથી મરે છે. કે પછી ઝાડાઊલટીથી મરતાં બાળકોની સંખ્યા વર્ષે 1,00,000 છે. એ આપણામાંના નથી. ભય ને આતંક ત્યારે ફેલાય છે જ્યારે રૂપાળાં લોકોને સમજાય છે કે કોઈ ઘાતક બીમારી સામે લડવા એમની પાસે કોઈ પ્રતિકારક શક્તિ નથી. SARSમાં પણ એમ હતું. 1994ના સુરતના પ્લેગમાં પણ એવું હતું.

ફોટો જ્યોતિ શિનોલી

મુંબઈના ચેમ્બુરના માહુલ ગામનાં સફાઈ કામદારો કોઈ જાતના રક્ષણાત્મક સાધનો વગર ઘણુંખરું ઝેરી કચરામાં કામ કરે છે.

આપણે અત્યારે કામે લાગવાની જરૂર છે.  આપણે માત્ર એક વાઇરસ સામે જંગ નથી લડી રહ્યા — મહામારીના પણ 'પેકેજ' હોય છે. આર્થિક સંકટ એમાંનું આપણે જાતે ઊભું કરેલું ને આપણે પોતે બગાડેલું એક પરિબળ છે જે આપણને વિપત્તિમાંથી વિનાશ તરફ લઇ જઈ રહ્યું છે.

એ ખ્યાલ કે આપણે માત્ર એક વાઇરસ સામે લડી રહ્યા છે અને એક વખત એની સામે જીતી ગયા તો બધું ઠીક થઇ જશે — એ બહુ જોખમી ખ્યાલ છે. આપણે કોવિડ 19 સામે અવશ્ય લડવું જોઈએ — "સ્પેનિશ ફલૂ"ના ખોટા નામે પ્રચલિત અને 1918માં ફેલાયેલી મહામારી પછીની આ સૌથી ખરાબ મહામારી હોઈ શકે છે. (જેમાં ભારતના 16થી 21 મિલિયન લોકોએ એમના જીવ ગુમાવ્યા હતાં અને 1921ની વસ્તીપત્રક એ એવું એમ માત્ર વસ્તીપત્રક હતું જેમાં ગ્રામીણ વસ્તીમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો હતો).

પરંતુ વિશાળ ફલકનો વિચાર કાર્ય વગર માત્ર કોવિડ-19 ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે ચકલી ચાલુ રાખી, પાણી ગળતું રાખી ને જમીન પર પોતું કરવા જેવી વાત છે.

આપણે એવા અભિગમની જરૂર છે જે જાહેર આરોગ્ય પ્રણાલીના, હક અને અધિકારોના વિચારો મજબૂત કરે

આરોગ્ય ક્ષેત્રના કેટલાક મહાન માથાંઓએ 1978માં ડેક્લેરેશન આલ્મા આટા તૈયાર કર્યું હતું — એ દિવસોની વાત છે જ્યારે પશ્ચિમની સરકારોએ કોર્પોરેટ હિતની સામે WHOને ઘૂટણ ટેકતું નહોતું કરી મૂકયું. એ નિવેદન (ડેક્લેરેશન) એ આ વાક્ય પ્રચલિત કરી મૂકેલું "હેલ્થ ફોર ઓલ બાય 2000" (2000 સુધીમાં સૌનું આયોગ્ય). એમાં એક એવી માન્યતા હતી કે આરોગ્ય એ દુનિયાના સૌ લોકો ભોગવી શકે છે "દુનિયાની પૂંજીનો વધારે અને સારો ઉપયોગ કરીને .."

અને 80થી શરૂ કરીને આરોગ્યના સામાજિક અને આર્થિક પાસાંઓને સમજવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરતું એની સાથે સાથે એક બીજો વિચાર પણ વેગ પકડી રહ્યો છે. ખૂબ ઝડપથી : ઉદારમતવાદ (નીઓ લિબરલીઝમ).

80ના દાયકાના પાછળના ભાગમાં અને 90ના દાયકાથી શરૂ કરીને આરોગ્ય, ભણતર, અને આજીવિકા એ બધાને માનવ અધિકારમાં ગણાતા જ જાણે બંધ થઇ ગયા છે.

1990માં આવ્યું બીમારીઓનું વૈશ્વિકરણ. પરતું આ ઘાતક પડકારને પહોંચી વળવા માટે વૈશ્વિક આરોગ્ય પ્રણાલીઓનું નિર્માણ કરવાને બદલે કેટલા ય રાષ્ટ્રો એ આરોગ્યના ક્ષેત્રમાં ખાનગીકરણનો રસ્તો અપનાવાયો. ભારતમાં પહેલેથી જ ખાનગી સંસ્થાઓનું વર્ચસ્વ રહ્યું છે. આપણે આરોગ્ય પર ખર્ચ કરવાની બાબતમાં વિશ્વમાં સૌથી પછાત છીએ. જી.ડી.પી.નો માત્ર 1.2 ટકા હિસ્સો આપણે આરોગ્ય સેવાઓ પાછળ ફાળવીએ છીએ. 1990થી શરૂ કરીને જે યોજનાઓ આપણે એક ઇરાદાપૂર્વક અમલમાં મૂકી એના ફળસ્વરૂપ આપણું જાહેર આરોગ્ય તંત્ર જે પહેલેથી જ કથળેલું હતું તે વધુ નબળું થયું. આપણી હાલની સરકાર હવે જિલ્લા સ્તરની હોસ્પિટલોના આયોજનનો દોર સંભાળવા પણ ખાનગી કંપનીઓને આમંત્રે છે.

સ્વાસ્થ્યને લઈને થતા ખર્ચાઓ એ આજની તારીખે ગ્રામીણ કુટુંબોમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે. 2018ના જૂન મહિનામાં સ્વાસ્થ્ય વિશેની માહિતીનું વિશ્લેષણ કરતા પબ્લિક હેલ્થ ફોઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ તારણ કાઢ્યું કે પોતાના સ્વાસ્થ્યને માટે કરવા પડતા ખરચાને કારણે 2011-12ના માત્ર એક વર્ષની અંદર 55 મિલિયન લોકો ગરીબી રેખા તળે ગયા હતા, અને એમાંના 38 મિલિયન માત્ર દવાઓના ખર્ચને કારણે ગરીબી રેખા નીચે ગયા.

ખેડૂતોએ આત્મહત્યા કરી હતી એવા હજારો ઘરો વચ્ચે જો કોઈ સામ્ય હોય તો એ હતું સ્વાથ્યને માટે કરવા પડતા અમર્યાદ ખર્ચ — અને તેને માટે કરવું પડતું શાહુકારનું દેવું  

ફોટો : એમ. પલની કુમાર

ચેન્નાઈના સફાઈ કામદારો, અને એમના પ્રતિરૂપી બીજા ઘણા ય, કોઈ જાતના રક્ષણાત્મક સાધનો વગર સફાઈનું કામ કરે છે. 

આપણી  પાસે સૌથી વધુ વસ્તી છે જે કોવિડ 19 જેવી મહામારીને સહેવા માટે બિલકુલ તૈયાર નથી. અને હવે કોઈ અત્યંત દુઃખની વાત હોય તો એ કે : બીજાં ઘણાં નામથી કોવિડ આવશે આવનારા દિવસોમાં. 1990થી લઈને આપણે SARS અને MERS (જે બંને કોરોના વાયરસથી જ આવેલા) અને બીજી અનેક બીમારીઓનો વૈશ્વિક વ્યાપ જોયો છે. ભારતમાં 1994માં સુરતમાં પ્લેગ આવેલો. જે તમામ સંકેતો છે આપણે જે પ્રકારની દુનિયા બનાવી છે તેના તેમ જ જેમાં આપણે પ્રવેશી રહ્યા છીએ એ દિવસોના.

ગ્લોબલ વીરોમ પ્રોજેક્ટના પ્રોફેસર ડેનિસ કૅરોલે હાલમાં કહ્યું એ પ્રમાણે : "આપણે સૌ પર્યાવરણની એ સૌ મેખલાઓમાં જેમાં પહેલા ક્યારે ય નહોતા વસ્યા ત્યાં બધે ખૂબ ઊંડા પહોંચી ગયા છીએ." એમનું કહેવું છે કે જે વિસ્તારોમાં પહેલા ખૂબ ઓછી માનવ વસ્તી હતી એ બધે ખોદકામ કરીને કાઢવામાં આવતા તેલ અને ખનીજ તત્ત્વો માટે આપણે ખાસ્સી મોટી રકમ ચૂકવીએ છીએ. પર્યાવરણની નાજુક મેખલાઓ પર આપણું વધતું જતું આક્રમણ માત્ર વાતાવરણને અસર નથી કરતું, પરંતુ એને કારણે વધતા જતા વન્યપ્રાણી સૃષ્ટિ અને માનવો વચ્ચેના સંપર્કથી અને તેથી ફેલાતા ચેપ અને વાયરસથી (જેના વિષે આપણે બહુ ઓછું કે કંઈ પણ જાણતા નથી) આપણે આપણાં સ્વાસ્થ્ય માટે  હોનારત નોતરીએ છીએ.

હા, નક્કી આપણે આવું બધું વધારે ને વધારે જોવાના છીએ

જ્યાં સુધી કોવિડ-19ની વાત છે, એ બે રીતે આગળ વધી શકે છે.

જો વાયરસનું પરિવર્તન થાય (આપણા ફાયદા માટે) અને એ થોડા અઠવાડિયામાં અદ્રશ્ય થઇ જાય.

એ પોતે પોતાના લાભ માટે પરિવર્તિત થાય અને તો એનું ચલણ વધારે ખરાબ થાય. જો એવું થાય તો માનો આભ તૂટી પડે.

આપણે શું કરી શકીએ? ભારતના ઉચ્ચ કક્ષાના વિચારકો, સમાજ સેવકો, અને બુદ્ધિજીવીઓ દ્વારા કરાયેલાં સૂચનોની સાથે, એના ઉપરાંત, તેમ જ એના સંદર્ભમાં, તેમ જ કેરાલાની સરકારના પગલાંઓથી પ્રેરાઈને હું આ થોડાં સૂચનો રજૂ કરું છું. (આ વિચારો દેવું, ખાનગીકરણ અને આર્થિક વ્યવસ્થાના પરાજયના વિશાળ વૈશ્વિક સંદર્ભને ધ્યાનમાં રાખીને ઉચ્ચારાયેલા છે).

• સૌથી પહેલાં જે કરવું જોઈએ : સંકટ સમયે 60 મિલિયન ટનના 'સરપ્લસ' અનાજના વિતરણની તૈયારી કરવી. આ સંકટમાં ઘેરાયેલા લાખો સ્થળાંતરિત મજૂરો ને ગરીબો સુધી તાત્કાલિક ધોરણે મદદ લઇ પહોંચવું. તમામ સામુદાયિક સ્થળો (જેવાં કે શાળાઓ, કોલેજો, સામુદાયિક હૉલ, અને મકાનો) જેમને હાલ પૂરતા બંધ કરાયાં છે તેને અટવાયેલા સ્થળાંતરિત લોકો તેમ જ ઘરબાર વિનાના લોકો માટે આશ્રયસ્થાનો જાહેર કરવા.

• બીજું, અને એટલું જ અગત્યનું, બધા ખેડૂતોને ખરીફ પાકની વાવણી માટે તૈયાર કરવા. જો હાલની પરિસ્થિતિ લાંબી ચાલશે તો ખાદ્ય પુરવઠાને લઈને એક ભયાનક સ્થિતિ આપણી ઉપર ઝળૂંબી રહી છે. ખેડૂતો આ મોસમની રોકડિયા પાકોની ફસલ વેચી શકશે નહિ. એવામાં વધુ રોકડિયા પાકો તરફ જવું ઘાતક નીવડશે. કોરોના વાયરસની રસી શોધતાં મહિનાઓ થશે. ત્યાં સુધીમાં અનાજના ભંડારો ખૂટી પડશે.

• સરકારે ખેડૂતોની ફસલ ખરીદવામાં મોટી મદદ કરવાની જરૂર છે. ઘણા સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સીન્ગ) અને લૉકડાઉનની વચમાં રવિની ફસલ પૂરી કરી શકે તેમ નથી.  જેમણે કરી છે એમને પરિવહનની ને વેચાણની કોઈ સુવિધા નથી. ખરીફના ખાદ્ય પાકોને માટે પણ ખેડૂતોને કોઈ નિવેશ, સહાય કામગીરી, વિતરણ બધામાં મદદ જોઈશે

• સરકાર દેશની તમામ ખાનગી હોસ્પિટલોનું રાષ્ટ્રીયકરણ કરવું રહ્યું. હોસ્પિટલોને માત્ર એક ખૂણો કોરોના માટે આરક્ષિત કરવાનું કહેવાથી કંઈ નહિ થાય. સ્પેઇનએ ગયા અઠવાડિયે એ વાત સમજી કે નફાની દ્રષ્ટિએ ચાલતી વ્યવસ્થા દ્વારા આ સંકટને પહોંચી વળવું અશક્ય છે અને એણે દેશની તમામ હોસ્પિટલો તેમ જ આરોગ્ય સેવા પૂરી પાડતી સંસ્થાઓનું રાષ્ટ્રીયકરણ કર્યું

• સફાઈ કામદારોને તાત્કાલિક ધોરણે સરકારના/મ્યુનિસિપાલિટીના પૂરા સમયના કામદાર તરીકે જાહેર કરી એમના માસિક વેતનમાં રૂપિયા 5,000નો વધારો કરવો, તેમ જ તેમને હંમેશાં જેનાથી વંચિત રાખ્યા છે એ તમામ આરોગ્ય સેવાઓના લાભ મળે તેની વ્યવસ્થા કરવી રહી. તેમને રક્ષણાત્મક પોશાક ને સાધનો પણ આપવા રહ્યા. છેલ્લા ત્રણ દાયકાઓથી આપણે પહેલેથી નબળા એવા લાખો સફાઈ કામદારોને જાહેર સેવાઓમાંથી બહાર કરીને, એમની નોકરીઓને ખાનગી કંપનીઓને આપીને — જે પાછળથી એ જ કામદારોને કરાર ઉપર અને પહેલાથી ઓછા વેતન અને કોઈ લાભ વગર એ જ કામમાં ફરી રોપે છે — વધુ રંજાડ્યા, ઊજડ્યા છે.

• ગરીબો માટે ત્રણ મહિનાની મફત ખાદ્ય સામગ્રી જાહેર કરવી અને પહોંચતી કરવી.

• આશા (ASHA) આંગણવાડી અને મધ્યાહન ભોજનના તમામ કાર્યકર્તાઓને જે સૌ આગળની હરોળમાં રહીને લડનારા છે તેમને તાત્કાલિક ધોરણે સરકારી કર્મચારીઓ તરીકે કાયમી કરવા. ભારતનાં બાળકોનું સ્વાસ્થ્ય અને જિંદગીઓ એમના હાથમાં છે. એમને પણ પૂરા સમયના વેતન મેળવતા પૂર્ણ સમયના કર્મચારીઓ જાહેર કરવાની તેમ જ રક્ષણાત્મક પોશાક અને સાધનો પૂરા પાડવાની જરૂર છે.

• ખેડૂતો અને મજ઼દૂરોને આ સંકટ દૂર ના થાય ત્યાં સુધી મનરેગા(MGNRGA)નું મહેનતાણું આપવું. શહેરી રોજના કારીગરોને પણ આ સમય પૂરતા 6,000 રૂપિયા મહિનાના આપવા.

આપણે આ પગલાં ભરવાની તાતી જરૂર છે. સરકારનું 'પેકેજ' ઉદાસીનતા અને અજ્ઞાનતાનું આશ્ચર્યજનક મિશ્રણ છે. આપણે માત્ર એક વાઇરસ સામે જંગ નથી લડી રહ્યા — મહામારીના પણ 'પેકેજ' હોય છે. આર્થિક સંકટ એમાનું આપણે જાતે ઊભું કરેલું ને આપણે પોતે બગાડેલું એક પરિબળ છે જે આપણને વિપત્તિમાંથી વિનાશ તરફ લઇ જઈ રહ્યું છે.

જો વાઇરસ આવનારા અઠવાડિયાઓમાં હટવાનું નામ નહિ લે તો ખેડૂતોને ખરીફની મોસમમાં ખાદ્ય પાકો ઉગાડવા સમજાવવા એ સૌથી વધુ અગત્યનું હશે.

આ સાથે શું આપણે કોવિડ-19ને, થોડી તટસ્થતાથી, ઇતિહાસની એક અદ્દભુત સાક્ષાત્કારની પળ તરીકે જોઈ શકીએ? એક એવો ચોરાહો જ્યાં ઊભા રહી આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ તરફ આગળ વધીશું. અસમાનતા અને આરોગ્ય ન્યાયની ચર્ચાઓને ફરી એક વાર જગાવવા અને સમજવા આપણેને પ્રેરતી ક્ષણ.

આ લેખની એક આવૃત્તિ પહેલાં ‘ધ વાયર’માં માર્ચ 26, 2020ના દિવસે પ્રકાશિત થઇ છે.

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવ્સ ઓફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક તંત્રી છે. તેઓ વર્ષો સુધી ગ્રામીણ પત્રકાર રહ્યા છે અને “એવરીબડી લવ્સ એ ગુડ ડ્રાઉટ”ના લેખક છે

અનુવાદક : પ્રતિષ્ઠા પંડ્યા અમદાવાદસ્થિત કવિ અને અનુવાદક છે જે અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં કામ કરે છે. તેઓ અમદાવાદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે અને ઉચ્ચતર શિક્ષણ, અંગ્રેજી સાહિત્ય અને કૉમ્યૂનિકેશન્સનના વિષયોનાં અધ્યયન અને અધ્યાપનમાં રસ ધરાવે છે.

https://ruralindiaonline.org/articles/કોવિડ-19-વિષે-આપણે-શું-કરી-શકીએ/

Loading

...102030...2,5282,5292,5302,531...2,5402,5502,560...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved