Opinion Magazine
Number of visits: 9576324
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નમસ્તે ટ્રમ્પઃ કામઢા, ધનિક અને ટોચ પરનાં અમેરિકન ભારતીયોના ટેકા માટેની કવાયત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 March 2020

અમેરિકન ભારતીયો ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ પોલિસીઝથી નારાજ છે પણ મોદી સરકારનાં બધાં જ નિર્ણયો તેમને બહુ જ ગમે છે, જેની સાથે તેમને ખરેખર કંઇ જ લેવાદેવા નથી કારણ કે તેઓ ભારતમાં રહેતા નથી.

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતની આસપાસ ઢગલો વાતો અને વાર્તાઓ થઈ. વ્યાપારી સોદાથી માંડીને આતંકવાદને નાથવાની વાતો પણ કરાઈ. ટ્રમ્પે જ્યારે મોટેરા સ્ટેડિયમમાં ભાષણ આપ્યું ત્યારે તેણે કહ્યું કે ચાર મિલિયન ભારતીયો જે અમેરિકામાં વસે છે તેમણે અમેરિકાના વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે. ટ્રમ્પે ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ચાર એન.આર.આઇ.માંથી એકનાં મૂળિયાં ગુજરાતમાં હોય છે. એન.આ.રજી.ઝ એટલે કે નોન રેસિડન્ટ ગુજરાતીઓને વાત કરીએ તો અમેરિકામાં વસતા આ ગુજરાતીઓનો ઝુકાવ મોટે ભાગે ડેમોક્રેટ્સ તરફ હોય છે. પરંતુ ટ્રમ્પે જે રીતે ભારત તરફી વલણનું પ્રદર્શન કર્યું છે, તે જોતાં આ વર્ગનું મતદાન દિશા બદલે તેવું પ્રતીત થાય છે. ટ્રમ્પનો ભારત પ્રવાસ આમ તો બહુમુખી હેતુ ધરાવતો હતો, પરંતુ તેમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓને ટ્રમ્પની તરફેણમાં મત આપવામાં રસ પડે તે એક બહુ મોટો ઉદ્દેશ હતો.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહેલા એન.આર.જી.ઝને માટે આ આખી કસરત અમેરિકાના ટેક્સાસમાં થયેલા કાર્યક્રમ હાઉડી મોદીનાં પ્રતિભાવ તરીકે કરવામાં આવી હતી. અમેરિકામાં ‘રિપબ્લિક હિંદુ કોએલિશન’ જેવા જૂથ છે જેમાં જોડાયેલા ગુજરાતીઓના મતે અમેરિકન પ્રેસિડન્ટનું પોતાને ભારતના વડાપ્રધાનનાં મિત્ર કહેવડાવવું એ અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર ઘેરો પ્રભાવ પાડશે. વળી લગભગ પ૦ જેટલા એન.આર.જી.ઝ તો માત્ર આ કાર્યક્રમને ખાતર ભારત આવ્યા હતા, જે બતાડે છે કે અમેરિકામાં વસતા ગુજરાતીઓને ટ્રમ્પ અને મોદીનાં સમીકરણ સમજવામાં બહુ રસ છે.

ભારતીય અમેરિકન્સ એ અમેરિકાની સૌથી વધુ ધનવાન, વધુ ભણેલી લઘુમતી છે. અમેરિકામાં ભારતીયોની હાજરી બહુ મહત્ત્વનાં અને ટોચનાં સ્થાન પર છે. જેમ કે તાજેતરમાં જ અરવિંદ ક્રિષ્ણા ઇન્ટરનેશનલ બિઝનેસ મશિન્સ કોર્પનાં ચિફ એક્ઝિક્યુટીવ તરીકે નિમાયા તો આ પછીના સમાચાર અનુસાર વીવર્કે નવા ચિફ એક્ઝિક્યુટીવની પદવી પર સંદીપ મથરાનીને નિમ્યા. ઇન્ડિયન અમેરિકન્સ મોકાની પદવીએ છે, જેમ કે માઇક્રોસોફ્ટમાં સત્યા નડેલા, ગુગલમાં સુંદર પિછાઇ, અડોબમાં શાંતનુ નારાયેણ, ડેલોઇટમાં પુનિત રેન્જન તો પાલો આલ્ટો નેટવર્ક્સમાં  નિકેશ અરોરા. અમેરિકન કોર્પોરેશન્સમાં ઉચ્ચ પદવીએ સ્થાપિત દરેક ભારતીય એ વાતની સાબિતી છે કે અમેરિકાને ભારતીય ડાયાસ્પોરાથી સારો એવો લાભ થાય છે અને ભારતીયોની સોફ્ટ સ્કિલ તેમનો સોફ્ટ પાવર સાબિત થાય છે. પોતાના દેશમાં નાણાં મોકલવાને મામલે ભારતીયો અવ્વલ છે. તાજેતરમાં જ જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર ભારત એ વિશ્વનો ટોચનો દેશ છે જ્યાં તેનો ડાયસ્પોરા નાણાં મોકલે છે. વિદેશી ભારતીયોએ પોતાના વતનમાં ૨૦૧૮ની સાલમાં ૭૯ બિલિયન ડૉલર્સ મોકલ્યા છે, જેમાંથી ૪.૪ મિલિયન અમેરિકાથી ભારત પહોંચ્યા છે તો બાકી ૪ મિલિયન સાઉદી અરેબિયાથી, ૧.૮૨ મિલિયન યુનાઇટેડ કિંગ્ડમથી અને ૧.૫૪ મિલિયન કેનેડાથી આવ્યા છે. ગ્લોબલ ડાયસ્પોરાના આ પોતાના વતનમાં નાણા મોકલવાને મામલે ભારત પહેલા ક્રમાંકે ત્યાર બાદ ચીન અને પછી મેક્સિકોનો ક્રમાંક છે. વળી અમેરિકામાં જે રીતે મહત્ત્વની પદવીઓ પર ભારતીયો છે તે દર્શાવે છે કે અમેરિકાનાં જાહેર જીવનમાં, રાજકારણમાં તથા કોર્પોરેટ વિશ્વમાં ભારતીયોનો સિક્કો બહુ ચાલે છે. ટ્રમ્પે જ્યારે અમદાવાદ આવીને મોટેરામાં ભાષણ કરવાનું નક્કી કર્યું હશે, ત્યારે તેને પણ ભારતીયોની આ તાકાત જે તેના જ દેશમાં છે એ વિષે પાક્કી ખબર હશે. વળી અમેરિકન યુનિવર્સિટીઝમાં ઓછામાં ઓછાં બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે અને તે અમેરિકાના અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે. ૨૦૧૮-૧૯ના આંકડા અનુસાર ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયેલા ભારતીયોએ યુ.એસ.એ.ના અર્થતંત્રમાં ૮ બિલિયન ડોલર્સથી પણ વધુ નાણાંનું યોગદાન આપ્યું છે.

ભારતીય અમેરિકન તુલસી ગબ્બાર્ડ તો અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન માટેનાં એક મહત્ત્વાકાંક્ષી દાવેદાર છે તો મનીષા સિંઘ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઇકોનોમિક અને બિઝનેસ અફેર્સ સંભાળવા માટે નિમાયાં, નીલ ચેટર્જી ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશનનાં ચેરમેન તરીકે પસંદગી પામ્યા તો સીમા વર્મા સેન્ટર ફોર મેડિકેર અને મેડિકેઇડ સર્વિસનાં એડમિનિસ્ટ્રેટર તરીકે પસંદ કરાયાં. આવા તો ઘણાં ભારતીયો અગત્યની પદવીઓ પર છે પણ ગુજરાતીઓ કંઇ અમેરિકામાં જઇને માત્ર મોટેલ બિઝનેસ નથી સંભાળતા કે નથી માત્ર ખાખરા કે ટીફિન સર્વિસ ચલાવતા. ઘણાં ગુજરાતીઓ ટ્રમ્પ સરકારમાં અગત્યની પોઝિશન્સ પર કામ કરી રહ્યા છે. જેમ કે ઇન્ડિયન અમેરિકન વકીલ કશ્યપ પ્રમોદ પટેલ જે ટ્રમ્પના ટેકેદાર છે તેઓ વ્હાઇટ હાઉસમાં કાઉન્ટર ટેરરિઝમ ડિરેક્ટોરેટના સિનિયર ડિરેક્ટરની પોઝિશન પર કામ કરી ચૂક્યા છે. રાજ શાહ નામના ગુજરાતી ટ્રમ્પ સરકારમાં પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી બનાવાયા તો વિશાલ અમીન નામના ગુજરાતી ટ્રમ્પના ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી એનફોર્સમેન્ટ કો-ઓર્ડિનેટર રહ્યા છે. રો ખન્ના, પ્રમીલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ અને કમલા હરિસ ૨૦૧૬ની ચૂંટણીમાં યુ.એસ. કોંગ્રેસમાં ચૂંટાયાં અને પાંચમા પ્રતિનિધિ તરીકે અમી બેરા રિ-ઇલેક્શનમાં ત્રીજી વાર ચૂંટાયા. યુ.એસ. કોંગ્રેસની હિસ્ટ્રીમાં આટલાં ભારતીયોનું ચૂંટાવું પહેલીવાર બન્યું છે. જોવાનું તો એ છે કે ટ્રમ્પનાં કોન્ઝર્વેટિવ એજન્ડાનો પ્રચાર કરવામાં ઘણાં ભારતીય અમેરિકન્સ હોવા છતાં પણ મોટેભાગે આ સમુદાયનો ઝુકાવ ડાબેરી રહ્યો છે.

ટ્રમ્પે એક રીતે તો ભારતની આ મુલાકાત યુ.એસ.એ. તરફી હતી તેવું સ્પષ્ટ કરી જ દીધું.  તેણે કઇ રીતે રશિયા સેનેટર બર્ની સેન્ડર્સનાં ટેકાને મામલે ચંચુપાત કરે છે તેની વાત કરીને પોતે નવેમ્બરમાં ફરી ચૂંટાશે તો માર્કેટ્સ પણ બહેતર થશે તેવું વિધાન પણ કર્યું.  દિલ્હીમાં તે ભાષણ આપતા હતા ત્યારે ત્યાં ચાલી રહેલા રમખાણોમાં નવ જણા મોતને ભેટ્યા પણ તેમની વાતમાં માત્ર અમેરિકાલક્ષી સંબોધનો હતા.

ટ્રમ્પનો ભારત પ્રવાસ તેને ફળશે કે કેમ એ અત્યારે તો અસ્પષ્ટ છે. જે રીતે હાઉડી મોદીમાં રાજકીય રંગ હતો બિલકુલ તે જ રીતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ રાજકીય રંગમાં જ ઝબોળાયેલો હતો. આ આખી ઘટનાને વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ એ રીતે નથી જોઇ રહ્યા કે મોદી ટ્રમ્પને અમદાવાદ લાવ્યા, પરંતુ ટ્રમ્પનું ગુજરાતમાં આવવું જ તેમને માટે મહત્ત્વનું છે. જે રીતે આખા કાર્યક્રમને ગજવવામાં આવ્યો બહુ જ સ્પષ્ટ હતું કે આ ગુંજ માત્ર ભારત પૂરતી નહીં પણ અમેરિકામાં વસતા એકેએક ગુજરાતી સુધી પહોંચે તે રીતે પ્લાન કરવામાં આવી હતી. ઘણાં ધનિક ભારતીય અમેરિકો ટ્રમ્પ તરફી છે છતાં પણ એન્ટી ઇમિગ્રન્ટ્સ પોલિસીને કારણે યુ.એસ.માં રહેતા સાઉથ એશિયન કુટુંબો પર બહુ અસર પડી છે. ટ્રમ્પે ભારતીય મુસલમાનોને પણ જુદા તારવ્યા છે જે રીતે તેણે પોતાના દેશની બીજી લઘુમતીઓને અલગ ટાંકી છે. ટ્રમ્પ ભારતનાં મંચ પરથી દેશ માટે પોતાનો પ્રેમ જાહેર કરે તેનો અર્થ એમ નથી કે બધા જ ભારતીય અમેરિકનો તેને ચાહવા માંડશે.

બાય ધી વેઃ

વિચિત્ર તો એ છે કે ત્યાં વસનારા અમેરિકન ભારતીયો ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ પોલિસીઝથી નારાજ છે પણ મોદી સરકારનાં બધાં જ નિર્ણયો તેમને બહુ જ ગમે છે. આ વલણ તેમની વર્તમાન પેઢી, યુવાનોને ગળે નથી ઊતરતું. પોતે વડાપ્રધાન બન્યા તે પછી ૨૦૧૪થી લઇને અત્યાર સુધીમાં મોદીએ અમેરિકામાં વસતા ભારતીય ડાયસ્પોરા સાથે ન્યુયોર્કનાં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં, સાન હોઝેનાં SAP સેન્ટરમાં અને હ્યુસ્ટન ટેક્સાસમાં હાઉડી મોદી કાર્યક્રમ દ્વારા સંપર્ક ગજવ્યો. આમાં મૂળ તો અમેરિકન ભારતીયો તરફથી મળતું ભંડોળ મોદી અને પક્ષ માટે મહત્ત્વનું છે. ટ્રમ્પને મામલે તો એવો કેસ પણ નથી. ભલે અહીંથી જાતભાતનાં બણગા ફુંકાય અંતે ત્યાં વસતા ભારતીયો અમેરિકન સિટીઝન્સ છે, તેમને તો ટ્રમ્પ ત્યાં શું ઉકાળે છે જેમાં જ રસ હોય છે નહીં કે ભારતમાં તેનો શો કેટલો હિટ રહ્યો છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 માર્ચ 2020 

Loading

દેશની પ્રજા આગ્રહ વિનાની-લચીલી અને દુરાગ્રહી બંને હોય!?!

રમેશ ઓઝા|Opinion - Opinion|1 March 2020

યુરોપના સંસ્થાનવાદે માત્ર ભારતને ગુલામ નહોતું બનાવ્યું; એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના બીજા ઘણા દેશોને ગુલામ બનાવ્યા હતા. સૌથી મોટો ફરક એ હતો કે કોઈ દેશ ભારત જેવડો મોટો નહોતો. ૧૭૭૬માં અમેરિકા સ્વતંત્ર થઈ ગયું હતું. કોઈ દેશમાં ભારત જેટલી પ્રજાકીય વિવિધતા નહોતી, ભાષાની વિવિધતા નહોતી, સાંસ્કૃતિક વિવિધતા નહોતી, સેંકડોની સંખ્યામાં દેશી શાસકો નહોતા, કુદરત એટલી મહેરબાન હતી કે એમાં પણ વિવિધતા હતી. દરેક રીતે ભારત એક અદ્ભુત દેશ હતો. તેમને અનુભવે એ પણ સમજાયું કે આ દેશની પ્રજા સંસ્કૃતિશૂન્ય નથી અથવા આફ્રિકા અને લેટિન અમેરિકામાં જોવા મળ્યું હતું એમ આદિવાસીઓની હોય છે, એવી પ્રાથમિક સભ્યતા પણ નહોતી. આ દેશની સંસ્કૃતિને ભલે લૂણો લાગ્યો હોય; પણ એ છે પ્રાચીન, અંદરથી સમૃદ્ધ અને ટકાઉ.

બીજી વાત તેમના ધ્યાનમાં એ આવી કે આ દેશની પ્રજા વચ્ચે ઝઘડવાનો સંબંધ છે, સંપીને રહેવાનો સંબંધ છે, એકબીજા પ્રત્યે ઉદાસીનતાનો પણ સંબંધ છે અને પરસ્પરાવલંબનનો પણ સંબંધ છે. આ દેશની પ્રજા આગ્રહ વિનાની લચીલી પણ છે અને દુરાગ્રહી પણ છે. આવું તે કાંઈ હોતું હશે? ઝઘડો અને સંપ, ઉદાસીનતા અને પરસ્પરાવલંબન, લવચીકતા અને દુરાગ્રહ એક સાથે કઈ રીતે હોઈ શકે? તેમના માટે આ કોયડો હતો.

આને કારણે જે માર્ગ તેમણે બીજા ગુલામ દેશોમાં અજમાવ્યો હતો એ માર્ગ ભારતમાં ચાલે એમ નથી એ તેમને ધીરે ધીરે સમજાવા લાગ્યું. તમે આફ્રિકાનો નકશો જોશો તો ધ્યાનમાં આવશે કે તેના યુરોપિયન માલિકોએ એ રીતે ભૂમિની વહેંચણી કરી હતી કે જાણે ચાકીમાં મોહનથાળનાં ચોસલાં પાડ્યાં હોય. સીધી લાઈનો ખેંચીને ભૂમિના ભાગ પાડ્યા હતા જે આજે દેશ કે રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. ખેડૂતની જમીનના શેઢા પણ આવી રીતે સીધી લાઈનના હોતા નથી. કેટલાંક સંસ્થાનો તો તેના માલિકોની એસ્ટેટ જેવાં હતાં, જેમ કે રોડેશિયા જે સિસિલ રોહ્ડ્સની માલિકીનો હતો. કેટલીક જગ્યાએ મૂળ પ્રજાઓનું જાતિનિકંદન કાઢવામાં આવ્યું હતું તો કેટલીક જગ્યાએ તેને અક્ષરસ: ગુલામ બનાવી દેવામાં આવી હતી.

આમ અંગ્રેજોને ધ્યાનમાં આવી ગયું કે અન્ય સંસ્થાનોમાં અને ભારતમાં ફરક છે. અન્ય સંસ્થાનોમાં જે માર્ગ અપનાવવામાં આવ્યો હતો, એ ભારતમાં ચાલે એમ નથી. ભારત જેવા દેશને એસ્ટેટમાં ફેરવી શકાય એમ નથી, ભારતની પ્રજાનું જાતિનિકંદન શક્ય નથી અને તેને ગુલામ પણ બનાવી શકાય એમ નથી. આ સિવાય ભારતમાં પહેલો સાંસ્થાનિક પ્રયોગ કરનારા પોર્ટુગીઝોનો અનુભવ તેમની સામે હતો. પોર્ટુગીઝોએ લાંબો વિચાર કર્યા વિના ધર્મપ્રચાર સહિત દરેક રીતે આક્રમક વલણ અપનાવ્યું હતું જેને કારણે તેમને સમગ્ર ભારતને સંસ્થાન બનાવવામાં સફળતા મળી નહોતી.

તો પછી ભારત જેવા દેશમાં શાસન કરવામાં કયો માર્ગ અપનાવવો જોઈએ? એવું શું કરવું જોઈએ કે જેથી લાંબો સમય સુધી શાસન કરી શકાય અને ભારતનું શોષણ કરી શકાય? ભારતમાં પ્રસ્થાપિત સામાજિક-આર્થિક વ્યવસ્થાને કઈ રીતે સ્પર્શવી જોઈએ? આ એવી વ્યવસ્થા છે જે ગમે તેવી સડેલી કે સત્ત્વહીન હોય તો પણ સેંકડો વરસથી ટકેલી છે અને પ્રજાએ આપનાવેલી છે. જગતના બીજા કેટલાક ગુલામ દેશોની માફક પાટી ભૂંસીને કોરી પાટીએ શાસન શક્ય નથી. જૂનું ચિતરામણ ભૂંસી શકાય એમ નથી. વળી એ અત્યંત જટિલ છે, તેનાં પર બારીક નજર કરશો તો ચિત્ર પણ ઉપસતું નજરે પડશે અને ઊકલે નહીં એવા લીટોડા પણ નજરે પડશે. આમ નવેસરથી શ્રી ગણેશ શક્ય નથી અને જૂના ગણેશજીને હજારો સૂંઢો છે અને માપી ન શકાય એવું મોટું અને ઊંડું પેટ છે.

અહીં એક વાત નોંધવી જોઈએ કે અંગ્રેજોએ જેટલો ભારતને સમજવાનો પ્રયાસ કર્યો છે એટલો ભારતની પ્રજાએ ભારતને સમજવાનો ક્યારે ય પ્રયાસ કર્યો નથી. કારણ કે તેમને આ દેશનું શોષણ કરીને સમૃદ્ધ થવું હતું અને એ તેમને માટે પુરુષાર્થ હતો.

બે માર્ગ તેમને નજરે પડતા હતા. એક તો એ કે જે ટકાઉ ઢાંચો છે તેને એમને એમ જાળવી રાખવામાં આવે. અંગ્રેજ અમલદારોએ અનિવાર્ય હોય એટલા ફેરફાર કરીને એ ઢાંચો અપનાવી લેવો જોઈએ. બીજો એ કે ધીરે ધીરે કે પછી જોખમ ઊઠાવીને ઝડપથી જૂનો ઢાંચો તોડી નાખવામાં આવે અને તેની જગ્યાએ બ્રિટિશ પાશ્ચાત્ય ઢાંચો લાગુ કરવામાં આવે. આ બેમાંથી કયો માર્ગ અપનાવવો જોઈએ એ વિશે તેમની અંદર પ્રચંડ મનોમંથન ચાલ્યું હતું. અંગ્રેજો જે નિર્ણય લે એના પર ભારતનું ભાવિ અવલંબિત હતું. આ મનોમંથન, કહો કે સમુદ્રમંથન, છ દાયકા સુધી ચાલ્યું હતું, જેની ભારતની પ્રજાને બહુ ઓછી જાણ હતી. ભારતની પ્રજાનું ભાવિ પરાયા નક્કી કરવાના હતા. જૂનું, ખખડી ગયેલું પણ ટકાઉ ભારત? અથવા નવું ભારત? કે પછી બેના મિશ્રણવાળું ભારત? જો મિશ્રણ કરવું હોય તો પ્રમાણ કેવું હોવું જોઈએ? જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો. છે ને કમાલની વાત!

શરૂઆતમાં પ્રબળ મત તો એવો હતો કે આ સળ ન સૂઝે એવા જટિલ સમાજના ઢાંચાને ખાસ હાથ લગાડ્યા વિના અપનાવી લેવામાં આવે. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે હિંદુ સવર્ણો અને ભદ્ર મુસલમાનો અનુક્રમે પાઠશાળાઓમાં અને મદરસાઓમાં ગમે તેવું પણ શિક્ષણ તો મેળવે છે. એમાં જ થોડું ખપ પૂરતું ઉમેરણ કરવું જોઈએ. એના દ્વારા દેશી નોકરો પેદા કરી શકાશે; પણ શરત એ છે કે વહીવટ દેશી અને પર્શિયન ભાષામાં ચાલશે અને વહીવટીતંત્ર પર નજર રાખવા માટે અંગ્રેજ અમલદારોએ દેશી ભાષાઓ અને પર્શિયન શીખી લેવી પડશે.

૧૭૮૧માં વોરેન હેસ્ટિંગે કલકતામાં મદરસાની સ્થાપના કરી હતી. ૧૭૯૧માં બનારસના કંપની સરકારના રેસીડન્ટ જોનાથન ડંકનના કહેવાથી લૉર્ડ કાર્નવૉલીસે બનારસમાં હિંદુઓ માટે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી, જે અત્યારે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાય છે. આની પાછળનો ઉદ્દેશ ભારતીય મસ્તિષ્ક જેના દ્વારા ઘડાયું છે એ સમજવાનો હતો. આ ઉપરાંત પ્રબળ કુતૂહલવૃત્તિ પણ તેમનામાં હતી.

પણ એનો અર્થ એવો નથી કે અંગ્રેજીના પક્ષધર ચૂપ હતા. તેમને સતત એવું લાગતું હતું કે સરકારે થોડું થોડું જોખમ ઊઠાવતા જવું જોઈએ. ૧૭૯૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકો સમક્ષ અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાનો પહેલો પ્રસ્તાવ રાખનારા સર ચાર્લ્સ ગ્રાન્ટ હતા. કંપનીના સંચાલકોએ તે તરફ ધ્યાન આપ્યું નહોતું અને તેનું કારણ રસપ્રદ છે.

બન્યું એવું કે મિશનરીઓએ કલકત્તા નજીક સિરામપોરમાં છાપખાનાની સ્થાપના કરી અને ભારતીય ભાષાઓમાં બાયબલ છપાવ્યું એ પછી કેટલાક બ્રાહ્મણોએ ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. મિશનરીઓ ગેલમાં આવી ગયા હતા. હાંસિયામાં જીવતી ભારતની પછાત પ્રજા ખ્રિસ્તી થાય એનાથી હિંદુ ધર્મના પાયાને ખાસ કોઈ અસર નહોતી થતી. તેઓ નામ પૂરતા હિંદુ હતા અને હિંદુ સાંસ્કૃતિક પરિવેશમાં હાંસિયામાં હતા. જો બ્રાહ્મણો ખ્રિસ્તી બને તો હિંદુ ધર્મના પાયાને હચમચાવી શકાય. આમાં સિરામપોરમાં છપાયેલા બાયબલ પછી અચાનક તેમને અણધાર્યું પરિણામ હાથ લાગ્યું. હિંદુ સમાજના જે કેન્દ્રમાં છે એની જ શ્રદ્ધા જો ડગમગી જાય તો પછી પૂછવું જ શું? એ પછી બીજી પ્રજા બ્રાહ્મણોને જરૂર અનુસરશે, કારણ કે બીજી પ્રજાને તો ઉપરથી ખ્રિસ્તી ધર્મમાં સામાજિક સમાનતા પણ મળવાની હતી. એક બાજુ ભારતીય ભાષાઓને સમૃદ્ધ કરનારા મિશનરીઓ હવે નવું પરિણામ હાથ લાગતાં અંગ્રેજી ભાષાના આગ્રહી થઈ ગયા. તેમનો મૂળ ઉદ્દેશ તો ધર્મપ્રચારનો હતો અને હિંદુ ધર્મના મહેલને ઉધ્વસ્ત કરવાનો હતો. જો અંગ્રેજી ભાષા દ્વારા મોટી માછલીઓ જાળમાં ફસાતી હોય તો અંગ્રેજી ભાષા શા માટે નહીં?

આ તો હિંદુ સમાજ ને! ડાયનાસોર જેવા હિંદુ સમાજનાં વિરાટ પશુનાં છેવાડાનાં અંગો ખરી પડતાં હતાં તેની તેને જાણ જ નહોતી અને જો જાણ હતી તો કોઈ ફરક નહોતો પડતો. મિશનરીઓને પણ આ ઉદાસીનતા જોઈને આશ્ચર્ય થતું હતું. આવો તે કેવો સમાજ જેનાં છેવાડાનાં અંગો ખરી રહ્યા છે અને તેને કોઈ ફરક પડતો નથી! એની વચ્ચે અચાનક સીધો ડાયનાસોરના હ્રદય ઉપર ઘા પડ્યો. કેટલાક (આમ તો મુઠ્ઠીભર) બ્રાહ્મણો ખ્રિસ્તી થયા અને ડાયનાસોરે ક્રુદ્ધ નજરે પણ એ સાથે જ ડરીને કંપની તરફ જોવાનું શરૂ કર્યું. બે શબ્દો ખાસ ધ્યાનમાં લેજો. ‘ક્રુદ્ધ નજરે’ પણ ‘ડરીને’.

આ બાજુ કંપની પણ હિંદુ સવર્ણોની ક્રુદ્ધ નજર જોઈને ડરી ગઈ અને અંગ્રેજી દાખલ કરવાનું જોખમ ઊઠાવવાનું એ સમયે મુલતવી રાખ્યું. મુલતવી રાખ્યું હતું, માંડી નહોતું વાળ્યું; કારણ કે ડાયનાસોરની આંખમાં ડર પણ તેમણે ભાળ્યો હતો. હિંદુ સવર્ણોના મનમાં એક જ સમયે અને એક સાથે પાશ્ચાત્ય સભ્યતા માટે આકર્ષણ પણ હતું, ડર પણ હતો અને ક્રોધ પણ હતો એ અંગ્રેજોનાં ધ્યાનમાં આવી ગયું. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે તેઓ જે પકડી રાખવા માંગે છે એની પાછળ દ્રઢ શ્રદ્ધાનો અભાવ છે, માત્ર રુઢિગત અભિમાન છે. મિશનરીઓ જે છોડાવવા માગતા હતા એમાં દ્રઢ શ્રદ્ધાનો રણકો હતો અને બ્રાહ્મણો જે પકડી રાખવા માગતા હતા તેમાં ક્યાંક કોઈક જગ્યાએ શ્રદ્ધાનો અભાવ હતો. કંપનીના હાકેમો ઉતાવળ કર્યા વિના ઝીણી નજરે જે બની રહ્યું હતું એ જોતા હતા અને એક એક ડગલું માંડતા હતા. જરૂર પડ્યે મિશનરીઓને વારતા હતા અને જરૂર પડ્યે પ્રોત્સાહન આપતા હતા. આગળ કહ્યું એમ જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 માર્ચ 2020

Loading

ગ્રીન કવરનું રક્ષણ થવું જ જોઈએ, રસ્તો બનાવવા માટે ઝાડ કાપવા સિવાયનો વિકલ્પ હોવો જોઈએ : સર્વોચ્ચ અદાલત

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|1 March 2020

ન્યાયમૂર્તિએ કહ્યું : ‘જ્યારે તમે હેરિટેજ વૃક્ષ કાપો છો, ત્યારે એ વૃક્ષે એનાં બધાં વર્ષોમાં પેદા કરેલા ઑક્સિજનનાં મૂલ્યને ધ્યાનમાં લેજો. પછી સરખામણી કરજો કે જો તમારે એટલો ઑક્સિજન બીજી કોઈ જગ્યાએથી ખરીદવો પડે તો કેટલી કિંમત ચૂકવવી પડે.’

‘કોઈને ખબર પડે તે પહેલાં આપણે બધું ગુમાવી ચૂક્યાં હોઈશું. ગ્રીન કવરનું રક્ષણ થવું જ ઘટે … લોકોને વિકલ્પો શોધવા નથી. રસ્તો બનાવવા માટે ઝાડ કાપવા ઉપરાંતનો વિકલ્પ હોવો જોઈએ. એ કદાચ થોડો વધુ ખર્ચાળ હોય, પણ એ વધારે સારો પણ હોય …’ – આ મતલબની તાકીદ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ શરદ બોબડેએ 18 ફેબ્રુઆરીએ, પશ્ચિમ બંગાળમાં સૂચિત વૃક્ષછેદન અંગેના એક મુકદ્દમાની સુનાવણી દરમિયાન કરી.

તે પૂર્વે 10 જાન્યુઆરીએ ન્યાયમૂર્તિએ એ જ કેસની પહેલી સુનાવણી દરમિયાન કહ્યું હતું : ‘જ્યારે તમે હેરિટેજ વૃક્ષ કાપો છો ત્યારે એ વૃક્ષે એનાં બધાં વર્ષોમાં પેદા કરેલા ઑક્સિજનનાં મૂલ્યને ધ્યાનમાં લેજો. પછી સરખામણી કરજો કે જો તમારે એટલો ઑક્સિજન બીજી કોઈ જગ્યાએથી ખરીદવો પડે તો કેટલી કિંમત ચૂકવવી પડે.’

સર્વોચ્ચ ન્યાયમૂર્તિના આવાં બે નિરીક્ષણોની વચ્ચેના ગાળામાં, ખાસ તો 14 ફેબ્રુઆરીથી ચાર પાંચ દિવસ દરમિયાન ગુજરાતની રાજ્ય સરકાર અમદાવાદના એક વિસ્તારનાં ગ્રીન કવર સાથે ભર વસંતે ચેડાં કરી રહી હતી. છબિઓ અને અહેવાલો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમનની પૂર્વ તૈયારી માટે મોટેરા સ્ટેડિયમની નજીકના એક વડદાદાને ખતમ કરવામાં આવ્યા. લીમડાના બે  અને નીલગીરીનાં વીસેક જેટલાં ઝાડ કાપી નાખવામાં આવ્યાં.

એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફના રોડ પરના ડઝનેક લીમડાની એટલી હદે છટણી કરવામાં આવી કે પછી થડ પણ ન જતાં રહે તે ડરથી મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ખુદ ત્યાં દોડી ગયા. અન્યત્ર પણ મોટાં વૃક્ષોને બેફામ રીતે ટ્રિમ કરવામાં આવ્યાં. તો બીજી બાજુ લાખો રૂપિયાના ખરચે રાતોરાત હજારો શોભાનાં છોડ અને વેલા વાવવામાં આવ્યાં. ગુજરાત સરકારે બુધવારે જાહેર કરેલાં અંદાજપત્રમાં વનીકરણ માટે બસો પચાસ કરોડ  રૂપિયા ફાળવ્યા છે, ત્યારે આ ભંડોળ શોભાની હરિયાળી માટે નહીં વૃક્ષોવાળાં જંગલોને સાચવવા-વિસ્તારવા માટે ઉપયોગમાં લેવાય એવી અપેક્ષા અસ્થાને નથી.

ટ્રમ્પની તાજમહેલની મુલાકાત માટે આગ્રાનાં વૃક્ષોની પણ બેફામ છટણી કરવામાં આવી હતી. જો કે વૃક્ષોને છાટવા-કાપવામાં બધી વખતે સત્તાવાળાઓ સફળ થાય છે એવું બનતું નથી. પશ્ચિમ બંગાળની સરકારને એમ કરતાં સર્વોચ્ચ અદાલતે અટકાવી છે. ભારત-બાંગલાદેશ સરહદની પર આવેલ, બાંગલા દેશની આઝાદીની લડતમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો જેસોર રોડ તરીકે ઓળખાતો નૅશનલ હાઇવે 112 છે. ત્યાં વારંવાર થતાં જીવલેણ અકસ્માત નિવારવા રેલવે ઓવરબ્રિજ બનાવવાની તેમ જ રસ્તાને પહોળો કરવાની રાજ્ય સરકારની યોજનામાં સેંકડો મોટાં, ગીચ અને ઘટાદાર વૃક્ષોને કાપવાં પડે તેમ છે. અસોસિએશન ફૉર પ્રોટેક્શન ઑફ ડેમૉક્રેટિક રાઇટસ્ નામની એન.જી.ઓ. સૂચિત વૃક્ષછેદનનાં વિરોધમાં અદાલતમાં ગઈ. પણ રાજ્યની અદાલતે 354 વૃક્ષો કાપવાની મંજૂરી આપી અને કપાયેલાં એક વૃક્ષ દીઠ પાંચ છોડ વાવવાની શરત પણ મૂકી. વડી અદાલતના આ ચૂકાદાની સામે એન.જી.ઓ.એ સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી. તેની સુનાવણી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ શરદ બોબડે, જસ્ટીસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાન્તની બેન્ચ સામે ચાલી રહી છે. તેમાં દસમી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ નિષ્ણાતોની એક સમિતિની નિમણૂક કરી.

દસમી જાન્યુઆરીની સુનાવણી દરમિયાન થયેલી દલીલો નોંધપાત્ર છે. અરજદાર એન.જી.ઓ.ના વકીલ અને કર્મશીલ ધારાશાસ્ત્રી પ્રશાન્ત ભૂષણે કહ્યું કે કે વૃક્ષો કપાવાનાં છે તે 70 -80 વર્ષ જૂનાં એવાં હેરિટેજ ટ્રીઝ છે કે કોઈ વૃક્ષવાવણી એનો વિકલ્પ બની શકે નહીં. આગળ ઉપર સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ વૃક્ષો કરતાં માણસની જિંદગી વધુ મહત્ત્વની હોવાનું મંતવ્ય આપ્યું. તેના પ્રતિભાવમાં ભૂષણે જણાવ્યું કે દરેક પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં મૂકનાર ગ્લોબલ વૉર્મિન્ગ આવતાં પચાસ વર્ષમાં આખી ય માનવજાતિને ખતમ કરી શકે તેમ છે. ભૂષણે વિકાસની જરૂરિયાત સ્વીકારવાની સાથે ગ્લોબલ વૉર્મિન્ગના ઉકેલ તરીકે વૃક્ષવનસ્પતિનાં જતન અને વૃક્ષછેદનનાં વિકલ્પોની ખોજ પર ભાર મૂક્યો. આ વિકલ્પો અંગે ન્યાયમૂર્તિએ તેમને પૂછતાં ભૂષણે ઓવરબ્રિજને બદલે અન્ડરબ્રિજનું સૂચન કર્યું. ભૂષણે વધુમાં કહ્યું કે કલકત્તા અદાલતે સરકારને માત્ર 354 વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે. પણ સરકાર તો 4,000 જૂનાં વૃક્ષો કાપી નાખે એવી વકી છે. આ બાબતને ધ્યાનમાં લઈને ભૂષણે એન્વાયર્નમેન્ટ રેગ્યુલેટરની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ બંને સૂચનોનો પશ્ચિમ બંગાળની સરકારના ધારાશાસ્ત્રી અભિષેક સિંઘવીએ એમ કહીને વિરોધ કર્યો કે તે સૂચનોનો અમલ કરવામાં પ્રોજેક્ટ ખોરંભે ચડશે. જો કે ન્યાયમૂર્તિ બોબડેએ સરકારને અન્ડરગ્રાઉન્ડ રસ્તો બનાવવાનો અથવા ઝાડ બચે તે રીતે રસ્તાનું અલાઇનમેન્ટ બદલવાનો નિર્દેશ આપ્યો. અદાલતે આ મુકદ્દમાને ટકાઉ વિકાસનો વિષય ગણીને સમિતિને ત્રણ અઠવાડિયામાં વૃક્ષછેદનના વિકલ્પો જણાવવાનો  નિર્દેશ આપ્યો.

ન્યાયમૂર્તિએ પહેલી સુનાવણીમાં એમ પણ કહ્યું કે વસ્તીવિસ્ફોટને કારણે થઈ રહેલો માળખાકીય વિકાસ હરિત આવરણનો ભોગ લે છે. કપાયેલાં એક વૃક્ષની સામે વાવવામાં આવતાં પાંચ  છોડમાંથી માત્ર ત્રણ જ ટકે છે, અને વૃક્ષારોપણ ક્યારેક એક કૌભાંડ પણ હોય છે. જો કે વૃક્ષારોપણની મહત્તમ તકેદારી જેસોર રોડ પ્રોજેક્ટમાં પશ્ચિમ બંગાળની સરકાર રાખશે એમ કહીને સિંઘવીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે વૃક્ષોનું કસ્ટોડિયન એટલે રક્ષણહાર ગણાતું પર્યાવરણ અને વન મંત્રાલય પણ રાજ્ય સરકારની સાથે છે. એના પ્રતિભાવમાં ‘તમને ખબર નથી એ મંત્રાલય કેવી જાતની મંજૂરીઓ આપે છે’ એમ કહીને સર્વોચ્ચ ન્યાયાધીશે એ મંત્રાલયની મંજૂરીથી સંખ્યાબંધ ખૂબ જૂનાં વૃક્ષો સહિત ચાર હજાર વૃક્ષો કાપીને બનાવવામાં આવેલ નાગપુર-જબલપુર ધોરી માર્ગનો દાખલો આપ્યો.

આવો જ એક દાખલો તેમણે એકવીસમી તારીખની સુનાવણીમાં પણ આપ્યો. કુદરતી સંપત્તિને થઈ રહેલી હાનિની વાત કરતાં તેમણે નાગપુરનાં ત્રણ તળાવોની અવદશાનો ઉલ્લેખ કરીને કહ્યું : ‘નવાં ઊભા કરવાની અક્કલ તમારામાં ન હોય એ હું સમજું છું, પણ તમે તો જે છે તેનો પણ નાશ કરી રહ્યા છો.’ પર્યાવરણની હાનિને લગતો આ ત્રીજો કિસ્સો અદાલતની સામે આવ્યો છે એમ જણાવી ન્યાયમૂર્તિએ મુંબઈની મેટ્રો રેલ માટેના શેડનો અને  કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો. 

અહીં એ યાદ કરવું જોઈએ કે મુંબઈનાં ગોરેગાવની આરે કૉલોની વિસ્તારમાં મેટ્રો રેલવે માટે ઝાડ કાપવા પર સર્વોચ્ચ અદાલતે 8 ઑક્ટોબરે આપેલો મનાઈ હુકમ 16 ડિસેમ્બરે ફરીથી સુનાવણી થાય ત્યાં સુધી લંબાવ્યો છે. જો કે તે પહેલાં 4 ઑક્ટોબરની સાંજે મુંબઈની વડી અદાલતની મંજૂરીને પગલે સત્તાવાળાઓએ અસાધારણ ઝડપથી બે દિવસમાં બે હજારથી વધુ ઝાડનો ખાતમો બોલાવી દીધો. તે પછી સર્વોચ્ચ અદાલતનો વૃક્ષછેદન સામે મનાઈહુકમ આવ્યો. આ મનાઈહુકમ કાયદાની પદવીના વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ન્યાયાધીશ રંજન ગોગોઈને લખેલા પત્રને આધારે દશેરાની રજા હોવા છતાં ખાસ વેકેશન બેન્ચ રચીને આપવામાં આવ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયમૂર્તિની પર્યાવરણ માટેની સંવેદનશીલતા તેમણે દિલ્હીમાં ન્યાયાધીશોનાં બે દિવસનાં આંતરરાષ્ટ્રીય સંમેલનના સમાપન સમારંભમાં રવિવારે આપેલાં વક્તવ્યમાં પણ જોવા મળી. તેમાં જસ્ટીસ બોબડેએ પર્યાવરણને લગતી બાબતો માટે બધાં દેશોની વચ્ચે સમાન ધારાનું સૂચન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે: ‘પર્યાવરણના પ્રશ્નોના ઉકેલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરહદો ન નડવી જોઈએ. પાણી અને પવન આખી પૃથ્વી પર વહેતાં રહે છે …. આપણે પૃથ્વી પાસેથી જેટલું લઈએ છીએ તેના કરતાં ઘણું ઓછું તેને પાછું આપીએ છીએ.’ 

******

રિવાઇઝ્ડ 28 ફેબ્રુઆરી 2020

[“નવગુજરાત સમય”, શનિવાર, 29 ફેબ્રુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

...102030...2,5262,5272,5282,529...2,5402,5502,560...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved