Opinion Magazine
Number of visits: 9575876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એલ.આઈ.સી.’ : સુરક્ષા બક્ષનાર સુરક્ષિત છે?

કિરણ કાપૂરે|Opinion - Opinion|6 March 2020

આજ દિન સુધી ભારતીય જીવન વીમા નિગમ જેને આપણે ‘એલ.આઈ.સી.’ના નામે ઓળખીએ છીએ તેના આર્થિક પાસાંને લઈને ક્યારે ય શંકા ઊઠી નહોતી. પણ છેલ્લા મહિનાથી એવાં ન્યૂઝ આવી રહ્યાં છે કે ‘એલ.આઈ.સી.’નું તંત્ર જોખમમાં છે. ‘એલ.આઈ.સી.’ તેની મજબૂત આર્થિક સ્થિતિ માટે જાણીતી છે. અને તેની સ્થાપના કાળથી તેના મૂળ મંત્ર योगक्षेम वहाम्यहम्ને વળગી રહી છે, જેનો અર્થ થાય છે ‘પ્રાપ્ત સંપત્તિની સુરક્ષા કરવી.’ ‘એલ.આઈ.સી.’ની શાખ અત્યાર સુધી અકબંધ રહી છે, પણ છેલ્લા બે અઠવાડિયામાં તેને લઈને પ્રશ્ન થયા છે. તો શું ખરેખર ‘એલ.આઈ.સી.’ માટે જોખમ ઊભું થયું છે? કે પછી ધંધાકીય જે ખોટ કોઈને પણ ભોગવવાની હોય તે રીતે ‘એલ.આઈ.સી.’ને ખોટ ગઈ છે? ‘એલ.આઈ.સી.’નો વધી રહેલો ‘એન.પી.એ.’થી શું વીમાપોલીસી ધારક ચેતવું જોઈએ? આ પ્રશ્નોના જવાબો તટસ્થાથી મેળવવા પ્રયાસ કરીએ.

‘એલ.આઈ.સી.’ની 1956માં સ્થાપના થયા બાદ તેની શાખ અને સંપત્તિ વૃદ્ધિ પામતી રહી છે. આજે પણ તેની કુલ સંપત્તિનો આવકનો આંકડો 36 લાખ કરોડ જેટલો માતબર છે. અને તેના કાર્યોમાં માત્ર લાઇફ ઇન્સ્યોરન્સ નથી, બલકે ‘એલ.આઈ.સી.’ હેલ્થ ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બેન્કિગ અને મ્યૂચ્યુઅલ ફંડ સુધ્ધામાં કાર્યરત છે. સમય પ્રમાણે ‘એલ.આઈ.સી.’ પરિવર્તન પામતું રહ્યું છે, તેથી જ તેની સંપત્તિ વધતી રહી છે અને લોકોમાં પણ તેના પ્રત્યેનો વિશ્વાસ બરકરાર રહ્યો છે. આજે પણ ‘એલ.આઈ.સી.’ની વેબસાઈટ પર જઈને જોઈએ તો તેઓના છેલ્લા પંદર વર્ષના વાર્ષિક અહેવાલ મળે છે. સામાન્ય રીતે સરકારના અનેક ખાતાઓના હિસાબ મૂકવાનો દાવો કરવામાં આવે છે, પણ તે અહેવાલ મૂકાતા નથી. ખેર, ‘એલ.આઈ.સી.’ની પ્રક્રિયા પારદર્શી લાગે છે અને તેની આર્થિક સ્થિતિને લઈને જે પ્રશ્ન ઊઠ્યો છે તેમાં જે આંકડો દર્શાવવામાં આવ્યો છે તે 30,000 કરોડનો છે. આ રકમને ગ્રોસ નોન-પર્ફોમિંગ એસેટ્સ (એન.પી.એ.) તરીકે બતાવવામાં આવી છે.

સૌ પ્રથમ આ ‘એન.પી.એ.’ એટલે શું તે સમજી લઈએ. ‘એન.પી.એ.’ એટલે સમજો કે ‘એલ.આઈ.સી.’એ કોઈને લોન આપી છે, તેનાથી તેને આવક થાય છે. ‘એલ.આઈ.સી.’ માટે આ આવક સંપત્તિ છે. જેને લોન મળી છે તેના માટે તે જવાબદારી છે. સમયસર લોન ભરપાઈ કરવાની તેની ફરજ છે. આ લોન જ્યારે સમયસર ભરપાઈ થતી હોય ત્યારે તેને ’સ્ટાન્ડર્ડ એસેટ્સ’ ગણાય છે. પરંતુ જો કોઈ ત્રણ હપ્તા કે 90 દિવસ સુધી ભરપાઈ કરતા નથી તો તેને ‘એન.પી.એ.’માં ગણી લેવામાં આવે છે. તેનો સરળ અર્થ એટલો થાય છે કે ‘એલ.આઈ.સી.’ની તે કમાણી બંધ થઈ ગઈ છે અને હવે કંપની તેની વસૂલાત ગિરવી રાખવામાં આવેલી સંપત્તિ અથવા શેર્સ વેચીને કરશે. જો.કે નાણાંની રિકવરી સરળ નથી હોતી. તેમાં નાણાં મેળવવા કરતાં તેની પ્રક્રિયા લાંબી થઈ જાય છે. આ કિસ્સામાં ‘એન.પી.એ.’ વધે ત્યારે લોન આપનારી કંપની પર સવાલ ઊઠે છે, જે ‘એલ.આઈ.સી.’ સાથે થયું.

‘એલ.આઈ.સી.’ની સ્થિતિ ડામાડોળ થાય ત્યારે તેની અસર મોટા વર્ગને થાય. અને તેથી તેના પર રાજકીય ટીપ્પણી પણ આવે. એક અઠવાડિયા અગાઉ રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરીને લખ્યું હતું : “કરોડો પ્રામાણિક લોકો એલ.આઈ.સી.માં રોકાણ કરે છે. પરંતુ મોદી સરકાર ‘એલ.આઈ.સી.’ને નુકસાન પહોંચાડીને તેના ભવિષ્ય સાથે રમત રમી રહી છે અને લોકોના વિશ્વાસને ગુમાવી રહી છે.” રાહુલ ગાંધી આ સાથે બિઝનેસ ટુડે મેગેઝિનના અહેવાલની લિન્ક મૂકી હતી. આ અહેવાલના અંશ જોઈએ : “જો તમે એવું સમજતા હોય કે એલ.આઈ.સી. સરકારની સુરક્ષિત સિક્યૂરિટીઝ ખરીદી છે, તો તમે ખોટા છો. એલ.આઈ.સી.એ જ જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં તેના એન.પી.એ.ના આંકડા છ ટકાથી વધુ દરે વધ્યા છે, જે ઓલમોસ્ટ બેન્કના એન.પી.એ. જેટલાં જ છે. અત્યાર સુધી એલ.આઈ.સી. માટે એન.પી.એ.નો દર 1.5-2 ટકા જેટલો જ રહેતો, પણ છેલ્લા પાંચ વર્ષમાં તેની ટકાવારી સાત ટકા સુધી પહોંચી છે! એલ.આઈ.સી.ના નાણાં ચાઉ કરી જનારાઓમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ, અમત્રક ઓટો, યુનિટેક, જીવીકે પાવર એન્ડ જીટીએ, ગેમ્મોન, આઈએલ એન્ડ એફએસ, ભૂષણપાવર, એસ્સાર શિપિંગ અને ડેક્કન ક્રોનિકલ જેવી કંપનીઓ છે.”

‘એલ.આઈ.સી.’થી લોન આપમાં અને રોકાણ કરવામાં જે ભૂલો થઈ છે, તે ન થાય તેવું નથી. પણ ટૂંકાગાળામાં ‘એલ.આઈ.સી.’ આ રીતે ભૂલ કરે તો તે જોખમી છે. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલે તે વિશે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. આ પોર્ટલ મુજબ ‘એલ.આઈ.સી.’ દ્વારા ‘પબ્લિક સેક્ટર અન્ટરટેકિંગ ઑફ ઇન્ડિયા’(પી.એસ.યુ.)ની પાંચ શેર્સમાં રોકાણ કર્યું છે તેનું નુકસાન મસમોટું છે. જેમ કે ન્યૂઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં ‘એલ.આઈ.સી.’ દ્વારા નોવેમ્બર, 2017માં 5,713 કરોડનું રોકાણ કર્યું હતું, અત્યારે તેનું વર્તમાન મૂલ્ય માત્ર 757 કરોડ રૂપિયા જેટલું થઈ ગયું છે. મતલબ કે 86 ટકા તેની કિંમત નીચે ગગડી ચૂકી છે!

‘એલ.આઈ.સી.’ સુરક્ષિત રોકાણ કરવામાં પાવરધી ગણાય છે અને તેની સંપત્તિની વૃદ્ધિ સુરક્ષિત રોકાણથી જ થઈ છે, પણ જ્યારે બે વર્ષમાં કોઈ રોકાણ કરીને આટલું ધોવાણ થાય તો તે ચિંતાનો વિષય બને છે. આ રીતે જ ‘એલ.આઈ.સી.’ દ્વારા રૂપિયાનું ધોવાણ ‘નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિ.’(એન.ટી.પી.સી.) નામની કંપનીમાં પણ થયું છે. કેન્દ્ર સરકાર હસ્તકની આ કંપની વીજળીનું ઉત્પાદન કરે છે. ઑગસ્ટ, 2017માં 4,275 કરોડનું રોકાણ કરીને તેના શેર્સ ખરીદ્યા. આ કંપનીનો ગ્રાફ જોઈએ તો આ કંપનીના શેર્સના ભાવ ઉતાર-ચઢાવભર્યા રહ્યાં છે. બજારનું જે પ્રકારે ભાવ ઉપર-નીચે જાય તે ક્રમમાં તેનો ગ્રાફ દેખાય છે, પણ માત્ર ત્રણ વર્ષમાં તેમાં ‘એલ.આઈ.સી.’નું નુકસાન 1,272 કરોડ સુધી પહોંચ્યું છે. ‘પી.એસ.યુ.’ કંપનીમાં ‘એલ.આઈ.સી.’ દ્વારા રોકાણ કરવામાં આવેલા શેર્સનું સૌથી ઓછું ધોવાણ ‘એન.ટી.પી.સી.’નું થયું છે. પણ ‘એલ.આઈ.સી.’ જેવી સંસ્થાઓ આ નુકસાનથી બચી શકે એટલું ચોક્કસ.

‘એલ.આઈ.સી.’ પાસે જંગવાર સંપત્તિ છે અને તેથી જ તે અન્ય સેક્ટર અને ‘પી.એસ.યુ.’ કંપનીઓમાં રોકાણ કરે છે અને તેનાથી આવક ઊભી કરે છે. આ વર્ષે ‘એલ.આઈ.સી.’નો કુલ નફો 2017-18ના વર્ષમાં 26,147 હતો. આ નફો અને પ્રિમિયમરૂપે આવતી અન્ય નાણાંને રોકવા માટે ‘એલ.આઈ.સી.’ હવે નવા સેક્ટરમાં પ્રવેશવા ઇચ્છે છે. જેમ કે બેન્કિગ સેક્ટરમાં આવવાનું ‘એલ.આઈ.સી.’નું વલણ દેખાય છે અને તે માટે જ ‘આઈ.ડી.બી.આઈ.’ બેન્કમાં તેનું રોકાણ વધાર્યું છે. સરકાર હસ્તકની આ બેન્ક હવે ખાનગી બેન્ક થઈ ચૂકી છે અને તેમાં  ‘એલ.આઈ.સી.’નું રોકાણ વધતું જ રહ્યું છે. પણ આ બેન્ક સતત ખોટ કરતી રહી છે, જેમ કે સપ્ટેમ્બર-ડિસેમ્બર, 2018માં ‘એલ.આઈ.સી.’ દ્વારા ‘આઈ.ડી.બી.આઈ.’ બેન્કમાં 21,674 કરોડનું રોકાણ કર્યું હતું, આજે તેમાં ‘એલ.આઈ.સી.’એ કરેલા નુકસાનનો આંકડો ઓલમોસ્ટ 10,657 કરોડની આસપાસ છે. ‘એલ.આઈ.સી.’એ સૌથી વધુ નાણાં ‘આઈ.ડી.બી.આઈ.’ બેન્કમાં ગુમાવ્યા છે. આ બેન્ક પર હાલમાં હોલ્ડ ‘એલ.આઈ.સી.’નો છે, પણ માર્કેટની દૃષ્ટિએ આ સોદો લાભકારક દેખાતો નથી.

આ જ રીતે ‘જી.આઈ.સી.’ અને ‘હિન્દુસ્તાન એરોનોટીક્સ’માં પણ ‘એલ.આઈ.સી.’એ નુકસાન વેઠ્યું છે. માન્યું કે ‘એલ.આઈ.સી.’ પાસે જે સંપત્તિ છે, તેનાથી આટલાં નુકસાનમાં કોઈ ફરક પડવાનો નથી અને જેઓ ‘એલ.આઈ.સી.’માં વર્ષોથી નાણાંનું પ્રિમિયમ સ્વરૂપે રોકાણ કરે છે, તેઓ માટે પણ ચિંતાનો વિષય નથી. પણ આ રીતે ‘એલ.આઈ.સી.’ બેદરકરારીથી નુકસાનનો આંકડો વધતો રહે તો તે વિચારનો મુદ્દો જરૂર બને છે. સામાન્ય લોકોની નાની-નાની બચત ‘એલ.આઈ.સી.’માં પડી છે, અને તેનાથી જ તેઓને જીવન સુરક્ષિત છે તેવું અનુભવે છે. આ વિશ્વાસને ઠેંસ ન પહોંચવી જોઈએ.

અહીંયા એટલું નોંધવું રહ્યું કે વર્તમાન કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને લઈને ઘોંચમાં મૂકાઈ છે. અગાઉ આ સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભંડોળનો ઉપયોગ કરી ચૂકી છે, હવે ‘આઈ.ડી.બી.આઈ.’ જેવી નુકસાન ખાતી બેન્કોને પણ ‘એલ.આઈ.સી.’ને સુપરત કરવા માંગે છે. હવે જોવાનું છે કે ‘એલ.આઈ.સી.’ પર ઊભા થયેલા આ સવાલો ક્યારે નિર્મૂળ થાય છે અને ફરી આમ ન થાય તે માટે તે કયા પગલા લેવામાં આવે છે.

[“ગુજરાતમિત્ર”, 02 ફેબ્રુઆરી 2020]

Loading

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 March 2020

હૈયાને દરબાર

 

નયણાં

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ;

સાચાં તો યે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

સાત રે સમંદર એના પેટમાં –
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ:

સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ:

ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

•   કવિ : વેણીભાઈ પુરોહિત   •   સંગીત: અજિત મર્ચન્ટ

https://www.youtube.com/watch?v=x3O4p5scBFY

———————-

કવિ વેણીભાઈ પુરોહિતના નામ સાથે આંખનો અફીણી ગીત એવું જડબેસલાખ જોડાઈ ગયું છે કે એમનાં બીજાં કેટલાં ય સુંદર ગીતો સામાન્ય શ્રોતાઓ માટે નગણ્ય થઈ જાય છે. ફિલ્મ ગુણસુંદરીનો ઘરસંસારનાં લાજવાબ ગીતો : પંથવર પાછા આવો તો કહું કાનમાં, તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો તથા રાતી રાતી પારેવાની આંખ રે, માઝમ રાતે નિતરતી નભની ચાંદની, એવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘કંકુ’નાં યાદગાર ગીતો મુને અંધારાં બોલાવે, પગલું પગલામાં અટવાણું, લુચ્ચા રે લુચ્ચા લોચનિયાની લૂમ તથા ભીંત ફાડીને પીપળો ઊગ્યો, ઘનશ્યામ ગગનમાં તથા ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં જેવાં કેટલાં ય સરસ ગીતોના કવિ વેણીભાઈ છે, એ બહુ ઓછાને ખબર છે. અનેક ફિલ્મોનાં ગીતો એમણે લખ્યાં પરંતુ એ વખતે પુરસ્કાર તો સાવ નજીવા એટલે અઢળક કામ કર્યું હોવા છતાં આર્થિક સધ્ધરતા તો આવે જ નહીં.

જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈ માધ્યમિક શિક્ષણ સુધી જ ભણ્યા પણ કવિતાઓ એવી મજેદાર કરી કે ગુજરાતીઓના દિલ ડોલાવી મૂક્યા. વ્યવસાયે પત્રકાર. બેતાળીસના હિંદ છોડો આંદોલનના કારણે કારાવાસ પણ વેઠ્યો. મજબૂત લય અને ભાવની નજાકત એ એમની કવિતાની લાક્ષણિક્તા. એમણે ‘સિંજારવ’ (૧૯૫૫), ‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨), ‘દીપ્તિ’ (૧૯૬૬) અને ‘આચમન’ (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા હતા. કર્મભૂમિ મહદ્દઅંશે મુંબઈ રહી.

ઉમાશંકર જોશી એમને ‘બંદો બદામી’ કહેતા.

સંત ખુરશીદાસ ઉપનામથી એમણે પુષ્કળ લેખો લખ્યા હતા. અખા ભગતના ઉપનામે ‘જન્મભૂમિ’માં તેમની વ્યંગાત્મક કોલમ પણ પ્રસિદ્ધ થતી હતી.

કાવ્યની દૃષ્ટિએ વેણીભાઈનું યાદગાર ગીત પસંદ કરવું હોય તો ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં સિવાય કશું યાદ ન આવે, પણ એમનું લોકપ્રિય ગીત સિલેક્ટ કરવું હોય તો ગુજરાતી ગીતોના ટોપ ટેનમાં અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે? આંખનો અફીણી વિશે આ જ કોલમમાં લખાઈ ચૂક્યું છે અને ઊનાં રે પાણી ગીત વિશે ન લખીએ તો કવિને અન્યાય થયો કહેવાય.

આ ગીતનું શીર્ષક છે ‘નયણાં’. પહેલી નજરે વાંચીએ તો આખા ગીતમાં નયણાં શબ્દ ક્યાં ય આવતો નથી, પરંતુ જેમ જેમ વાંચતાં જઈએ એમ ગૂઢાર્થો ખૂલતાં જાય. આંખનું તેજ, આંખનો ભેજ અને આંખનાં સપનાંની વાત કેવી નોખી ભાત પાડે છે! ગીતની ચરમસીમાએ તો કવિએ કેવું ગજબ લખ્યું છે:

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ:


ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં …

જલનાં દીવા જલમાં ઝળહળે … કલ્પના લાજવાબ છે. જો કે, નિબંધકાર સુરેશ જોશીએ આ ગીતનો ઉત્કૃષ્ટ આસ્વાદ કરાવ્યો છે. એમનો આસ્વાદ વાંચ્યા પછી આપણે કંઈ કહેવાનું રહે નહીં.

સુરેશ જોશી લખે છે, "કાવ્ય માત્રને આસ્વાદ્ય બનાવવાને જે અદ્ભુત અનિવાર્ય બની રહે છે તે ‘અદ્ભુત’ જ આ કાવ્યનો પ્રાણ છે. એરિસ્ટોટલે કહ્યું છે કે પ્રકૃતિ વિરોધોમાંથી સંવાદ રચવામાં રાચે છે. એણે ‘મેટાફર’ રચવાની શક્તિને પ્રતિભાના વ્યાવર્તક લક્ષણ તરીકે ઓળખાવી છે. આ ‘મેટાફર’ને એ આ પ્રમાણે ઓળખાવે છે : A good metaphor implies an intuitive perception of the similarity in dissimilarity.

આ કાવ્યની આખી માંડણી જ વિરોધમૂલક સાદૃશ્યના પર થયેલી છે. ‘ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં -’ એ પ્રથમ પંક્તિથી જ વિરોધ તો શરૂ થઈ ચૂક્યો. સંસ્કૃતમાં ‘મીનાક્ષી’ની ખોટ નથી. એ રેઢિયાળ ઉપમાનો અહીં વિરોધના બળે કવિએ ઉદ્ધાર કર્યો. માછલી અને આંખ વચ્ચેના ચટુલતા, ચંચલતા વગેરે સમાન ધર્મોનો અહીં અણસાર નથી; જળમાં રહેવું એટલી જ સમાનતા પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચે છે. પણ આ સમાનતાને પણ કવિએ વિરોધના ગ્રાસમાંથી બચાવી નથી. માછલી પાણીમાં રહે એ વાત સાચી પણ એ ઊનાં પાણીમાં નહીં રહી શકે. આમ કરવાથી કવિએ વિરોધની ધાર કાઢી છે. પછીની બે પંક્તિમાં આ માછલાંની અદ્ભુતતા સમજાવતાં કવિ કહે છે :

એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ

આમ તો આપણે ભેજ અને તેજને વિરોધી ગણીએ છીએ, જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ અદૃશ્ય થઈ જાય. પણ આ આંખમાં તો ભેજ અને તેજ સદા સાથે વસે છે. આંખનું તેજ જેમ સજીવતાની નિશાની છે તેમ આંખમાંની આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે.

આંખનું તેજ તે પારકું ઝીલેલું તેજ નથી. એ તો પોતાનું, ‘આતમા’નું તેજ છે. એનો પ્રકાશ બહાર પડતો નથી પણ એના વડે જ પ્રકાશ દેખતો થાય છે. આથી જ તો આવડી શી આપણી કીકીમાં કેટલા ય સૂર્ય ડૂબી જાય છે; ને જો એ જ ન હોય તો લાખ સૂરજનું તેજ આપણને કશું દેખાડી શકતું નથી. માટે જ તો આત્મા હોય ત્યાં સુધી આંખનું તેજ હોલવાતું નથી. આંખ બંધ કરો તો એ તેજ અંદરની સૃષ્ટિને અજવાળે છે. બુદ્ધના અન્તરમાં ઊઘડેલાં ચક્ષુમાં આથી જ તો અસાધારણ સુન્દરતા પ્રગટી ઊઠી.

આ તેજ અને ભેજથી આંખની મહત્તા સ્થાપીને કવિ કહે છે:

"સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં!

છેલ્લે પંક્તિ છે, ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. બીજી રીતે કહીએ તો વિરોધને ગાળી નાંખવા જેટલી વિશાળતા એનામાં હોય છે. આથી આપણે તો ‘અમરત’ અને ‘ઝેર’ને પરસ્પરવિરોધી ગણીએ, પણ શિવ તત્ત્વમાં તો ઝેરનો ય અંગીકાર છે. આપણી આંખ ઝેર જીરવે છે ને અમી વરસાવે છે. આપણામાં રહેલું એ શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત એ ‘આગલાં’ ને ‘પાછલાં’ છે, એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, એ જુદી જુદી વસ્તુ નથી.

વેણીભાઈની કવિ તરીકેની મર્યાદાઓમાંથી આ કાવ્ય, મોટે ભાગે, મુક્ત રહી શક્યું છે. પાંખી લાગણીને બહેલાવીને ગાવી, ને એને માટે ઘેરા શબ્દો યોજવા, ગઝલના મિજાજને નામે, થોડા જાણીતા રદીફકાફિયા અને તદબીરોનાં સંકુચિત વર્તુળમાં કવિતાને અટવાવી મારવી એ વિકસેલી કાવ્યસૂઝવાળા સાધકને ન પરવડે. તળપદાપણું, સરળતા જાળવીને વ્યંજકતા અને સુઘટ્ટ પોત સિદ્ધ કરતાં કવિને ફાવ્યું છે. ભેજ અને તેજના વિરોધ દ્વારા ક્રમશ: સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે.

વેણીભાઈના અલગારી સ્વભાવ વિશે ઘણી વાતો સાંભળી છે. પ્રમાણમાં એ અંતર્મુખી. પણ જેમની સાથે ફાવી જાય એમની કંપનીમાં પૂરા ખીલે. આપણા જાણીતા અને માનીતા નાટ્યલેખક પ્રવીણ સોલંકી એમની સ્મૃતિઓ સંકોરતાં કહે છે, "અમે બન્ને ઘાટકોપરના. કક્કડ ચાલના એક રૂમ રસોડાના ઘરમાં એ રહે. ધોતિયું, બંડી અને મોઢામાં પાન એ એમની ઓળખ. સર્જન કરવાનું મન થાય કે કંઈક નવી કાવ્ય પંક્તિ સ્ફૂરે ત્યારે ઊભા થઈ જાય અને કહે, પ્રવીણ હું જાઉં છું. ગાભણો થયો છું. વેણ એવી ઊપડી છે કે ઘેર ગયે જ છૂટકો! એમણે મારી ‘ગજરામારુ’ નામની ફિલ્મનાં ગીતો પણ લખ્યાં હતાં. નાટકોના શોખીન એટલે નાટકોના રિવ્યુ ખૂબ સારા લખે. એમને જીવતાંજીવત જે માન-સન્માન મળવાં જોઈએ એ નહોતાં મળ્યાં.

એમનાં મૃત્યુ પછી સ્મારક બનાવવાની વાત છેવટે સાત-આઠ વર્ષ પહેલાં ફળીભૂત થઈ. મધુરીબહેન કોટક અને મારા હસ્તે રાજાવાડી વિસ્તારમાં વેણીભાઈ ચોકનું ઉદ્ઘાટન થયું હતું. બસ, એટલું જ થયું. આપણી પ્રજા સાહિત્યકારો, કલાકારોને માન આપવામાં વિદેશની સરખામણીએ ઊણી ઊતરે છે એ હકીકત છે. પણ, વેણીભાઈ પોતાની મસ્તીમાં મહાલનારા કવિ હતા. દૂલા ભગત જેવા. એમનું પ્રદાન સાહિત્યિક ક્ષેત્રે અમૂલ્ય છે.

અગ્રગણ્ય લેખિકા સોનલ શુક્લએ વેણીભાઈનું સ્મરણ તાજું કરતાં કહ્યું, "સંગીતકાર અજિત મર્ચન્ટ, રેડિયો-ટેલિવિઝનના ડી.જી. રહી ચૂકેલા ગિજુભાઈ વ્યાસ, ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયા તથા વેણીભાઈ મિત્રો. અજિતભાઇએ મને ઊનાં રે પાણી વિશે કિસ્સો કહ્યો હતો. એકવાર ચારે ભાઈબંધ અજિતભાઇને ઘરે ભેગા થયા હતા. ત્યાંથી નીકળીને શિવાજી પાર્કના બગીચામાં જઈને બેઠા. થોડીક વાર પછી વેણીભાઈ એકદમ ચૂપ થઈ ગયા. બધાએ પૂછ્યું કે એકાએક શું થયું? ગિજુભાઈ બોલ્યા કે કવિ ગાભણા થયા લાગે છે. તો વેણીભાઈ કહે, "હા, હા, જલદી કાગળ આપો. હવે બાગમાં કાગળ ક્યાં શોધવો? કોઈકની પાસે કેવેન્ડર્સ સિગારેટનું ખોખું હતું. એ આપીને કહે લખો આની ઉપર. અંદરની બાજુ કોરી હોવાથી વેણીભાઈએ શબ્દો ઉતાર્યા : ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં …! ગીતનું મુખડું અવતરી ચૂક્યું હતું એટલે કવિ હળવા થઈ ગયા. આ ગીત પછી મોટેભાગે અજિત મર્ચન્ટે જ કમ્પોઝ કર્યું હતું. મીઠો અને રણકાદાર અવાજ ધરાવતાં વીણા મહેતાએ સૌપ્રથમ ગાયું હતું. એ પછી વેણીભાઈનું અન્ય એક અદ્ભુત ગીત – મને ખૂબ ગમતું, અમારા મનમાં એવું હતું કે તમને ઓરતાં થશે, વીંઝણલા વાશે ને વાદળી ધીમું ધીમું ગાશે … મેં નાટ્યકાર મિત્ર પ્રવીણ જોશીને આપ્યું જે એમણે ‘મોતી વેરાણાં ચોકમાં’ નાટકમાં લીધું હતું. સરિતા જોશી એ ગીત ગાતાં હતાં. ગીતની પહેલી જ લાઈન કેવી સોલિડ છે કે પુરુષના મનમાં ઊર્મિ-ઓરતા આવે. સ્ત્રી તો લાગણીશીલ હોય જ છે પણ પુરુષને ઓરતા થાય એવી અભિવ્યક્તિ વેણીભાઈ જેવા સંવેદનશીલ કવિને જ સૂઝે.

વાત મૂળ એ છે કે માત્ર જાણીતાં ગીતો સાંભળવાની મથામણમાં આપણે આવાં અતિ સુંદર ગીતો ચૂકી જઈએ છીએ. જાહેર કાર્યક્રમોમાં આવાં ગીતો સંભળાતાં જ નથી. ઈન્ટરનેટ પર અમદાવાદના ગાયક અનિલ ધોળકિયાના અવાજમાં આ ગીત ઉપલબ્ધ છે. મૂળ ભુજના એ કલાકારે આ ગીત સરસ ગાયું છે પણ આજના કલાકારો પણ આ ગીત ગાય અને એનો આસ્વાદ થાય તો નવી પેઢી સુધી આપણાં ઉત્તમ કાવ્યો પહોંચી શકે.

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 માર્ચ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=623711

Loading

નમસ્કાર

સુમન શાહ|Opinion - Opinion|5 March 2020

મોદીજી અમેરિકા જઈને ટ્રમ્પશ્રીને મળી આવેલા અને તાજેતરમાં ટ્રમ્પશ્રી ભારત આવીને મોદીજીને મળી ગયા. બન્ને પ્રસંગોએ ખૂબ ખૂબનાં અભિવાદન થયેલાં. ખાસ તો, શેકહૅન્ડ કહેતાં, નમસ્કાર નામના માનવીય સંસ્કારની ઘણી જ ઘણી આપ-લે થયા પછી જ બધી શરૂઆતો થયેલી.

એ સંદર્ભમાં મને મારો એક વરસો પહેલાં લખાયેલો નિબન્ધ યાદ આવી ગયો. એને અહીં — a g a i n-માં, પુન:શ્ચ-માં, સહભાગીતાર્થે મૂકું છું :

સામાં મળે ત્યારે માણસ સિવાયનાં પ્રાણીઓ, પશુઓ કે પક્ષીઓ, એકમેકનાં ખબરઅંતર પૂછતાં હોય એવું કંઈ સ્પષ્ટ રૂપે જોવા નથી મળતું. માત્ર માણસોમાં જ, કેમ છો? મજામાં? હેલો, હાવાર્યુ? હાઉ ડુ-યુ-ડુ? વગેરે બોલવાનો રિવાજ છે.

આવી વખતે માણસો પાછાં પરસ્પરની સામે હસે છે પણ ખરાં, જે કંઈ બોલે તે સ-સ્મિત બોલે છે. ત્યારે ઝૂકે છે, નમે છે, હેતથી બે હાથ જોડે છે, પ્રેમથી એકબીજાના હાથ મેળવે છે. ઘણીવાર તો માણસો આવા પ્રસંગે પરસ્પરને ભેટે છે, કોટે વળગાડે છે, ગાલે કે કપાળે ચૂમે પણ છે. નર-નારીના પ્રિયમધુર દાખલાઓમાં આવી વખતે જેને આલિંગન કહેવાય તે રીતે ભેટવાનું તથા જેને ચુમ્બન કહેવાય તે જાતનું હોઠે ચૂમવાનું બને છે. વગેરે.

ઈશ્વર અને તેના ભક્તોના ભક્તિભરપૂર પ્રસંગોમાં નમવાનું ઉત્કટ બનતું હોય છે. નમનભાવ પ્રકર્ષે પ્હૉંચતો હોય છે અને તેથી તેને વન્દન કહેવાય છે, પ્રણામ કહેવાય છે. સાષ્ટાંગ દણ્ડવત પ્રણામ નામનો પ્રકાર ઉત્તમોત્તમ છે. માણસ એમાં પોતાનું સમગ્ર શરીર ભૂમિસાત કરીને દણ્ડ જેવો થઈ રહે છે. લંબાવેલા-જોડેલા હાથે એમ સૂતો-સૂતો વન્દે છે, પ્રાર્થે છે. ને ત્યાં પોતાનું શીર્ષ પણ ધરતીને સમર્પિત કરતો પૂરા હૃદયથી પ્ર-ણમે છે. નમ્રતાની એ પરિસીમા છે. મસ્તકથી કે કમરથી ઝૂકનારો પણ ભૉંયે પડીને પોતાની સમગ્ર કાયાનું જાણે થોડી ક્ષણો માટે વિલોપન વાંછે છે. એમાં પણ સમર્પણભાવની અવધિ છે. વન્દન કે પ્રણામ દેવતુલ્ય માતાપિતા માટે કે ગુરુજનો માટે પણ હોય છે. સાષ્ટાંગ દણ્ડવત પ્રણામ હવે જો કે, દેવ-દેવતાઓ માટે જ બચ્યાં છે.

આગળના જમાનામાં રાજા ઈશ્વરનો પ્રતિનિધિ કહેવાતો અને તેને પણ વન્દન, પ્રણામ કે સાષ્ટાંગ દણ્ડવત કરીને લોકો પોતાનું એ કર્તવ્ય બજાવતા. પશ્ચિમી દેશોમાં એને બાઉઈન્ગ કહેવાતું, મધ્યપૂર્વમાં એને કુરનિસ કહેતા, સલામ કહેતા, મુજરો કહેતા. આજે રાજાઓ રહ્યા નથી ત્યારે પણ બાઉઇન્ગિ તો રહ્યું જ છે, કુરનિસ, સલામ કે મુજરો પણ રહ્યાં જ છે.

સંસ્કૃતિ નામે માણસે જે કંઈ રચ્યું છે તેમાં આવા શિષ્ટાચારનો ખૂબ મહિમા છે. એમાં માણસ માણસને મળ્યાની સાહેદી અપાય છે, સાક્ષી પુરાય છે, ખાસ તો એથી માણસોને સારું લાગે છે. થાય છે કે સામાએ પોતાનું અભિવાદન કર્યું, સામાએ પોતાનો ભાવ પૂછ્યો, સામો પોતાને ચાહે છે, સામો પોતાને માન આપે છે.

હેલો-હાય કે પ્રણામ-નમસ્કાર કશાપણ માનવીય વ્યવહારની, પ્રસંગ કે સમ્બન્ધની, મીઠી આકર્ષક શુભ શરૂઆત છે. હકીકતે, એથી અહંકારનો એટલા પૂરતો તો વિલય થાય છે, હુંકારનો એ પૂરતો તો લોપ થાય છે. નમીને હું બીજા હું-ને આવકારું છું, એને નિમન્ત્રણ આપું છું કે એ મને મળે – માત્ર નજરથી નહીં, માત્ર હાથ મેળવીને નહીં, પણ પૂરા અન્ત:કરણથી મળે. મારી એવી સાચકલી ચેષ્ટાથી હું સામાના હૃદયને સ્પર્શું છું, તેને પ્રેરું છું અને એમ કરીને છેવટે તો તેના માનવ્યને ઢંઢોળું છું. આમ આ શિષ્ટાચાર ખરા માનવીય વ્યવહારનું સાધન પણ છે, એથી સંકોરણી થાય છે હૃદયભાવોની, અને એથી બેયને અજવાળતી પ્રેમજ્યોત પ્રગટે છે.

મૂળે, અહીં નમવાનું છે, શરીરથી તેમ મન-હૃદયથી. શરીરો ભેટે પરસ્પરને, ચૂમે એકમેકને, એથી એક કાયાની ઊર્જાનું બીજીમાં સંક્રમણ થાય છે. ચૈતન્યનું ચૈતન્ય સાથેનું સમ્મિલન રચાય છે. મન કે હૃદયમાં સ્ફુરેલો ભાવ શરીરના માધ્યમે સન્ક્રાન્ત થાય છે. એક માણસ બીજા માણસનું આથી વધારે સારી રીતનું અભિવાદન તો શું કરવાનો'તો? એ રીતે જોતાં, ભેટવું કે ચૂમવું જ ઉત્તમ ગણાય. પ્રેમ અને વાત્સલ્યના લગભગ બધા જ કિસ્સાઓમાં એ ઉત્તમ રીત જોવા મળે છે, તે બહુ સહજ છે. પરન્તુ પ્રેમમાં આદર ભળે, અથવા તો જ્યાં આદર વ્યક્ત કરવાનું વધારે જરૂરી જણાય, ત્યાં માણસો નમસ્કાર કરે છે, વન્દન કરે છે, પ્રણામ કરે છે, કે સલામ કરે છે.

આ શિષ્ટાચારમાં ભાષા પણ ભળી છે : માણસો ભેટે કે હાથ મેળવે ત્યારે, કે હાથ જોડીને નમસ્કાર કરે ત્યારે, નમસ્તે, પ્રણામ, વન્દન વગેરે શબ્દો પણ ઉચ્ચારે છે. ઘણી વાર, હાથ જોડ્યા વિના માત્ર ભાષાથી પણ ચલાવી લેવાય છે. એવા વાચિક નમસ્કાર આજના જમાનામાં વધવા માંડ્યા છે. તો ઘણીવાર હાથ જોડેલા રાખીને, મન-હૃદયના કશા ય ભાવ વિના, લોકો પોલાંપોલાં માત્ર કાયિક વન્દન પણ કરે છે. ટેવને કારણે કરાતો કે કહેવા ખાતર ચાલતો રહેતો આ શિષ્ટાચાર એ રીતે અમસ્તો શિષ્ટાચાર જ બની રહે છે. આપણા જમાનામાં લોકો એટલે તો નમસ્કાર, વન્દન કે પ્રણામ લખી મોકલી શકે છે ને એમ ભાવ પરોક્ષપણે પહોંચાડીને પ્રત્યક્ષપણે વ્યક્ત કર્યાનો સંતોષ ધારી શકે છે.

સામાવાળાનો હાથ આપણા હાથમાં આવી પડેલો લાગે; નામનો અડકી રહેલો લાગે, ત્યારે એવું ઠાલું અભિવાદન આપણને ચીડવે છે. નમે તે સૌને ગમે એ સાચું, પણ ખોટું-ખોટું નમે તે કોઈને ય ન ગમે એ પણ એટલું જ સાચું છે. એ સંજોગોમાં નમસ્કાર કાં તો છેતરપિંડી હોય છે, અથવા તો ખુશામતનો પ્રકાર. એવા વંચકો જ વારંવાર નમતા હોય છે.

હૃદયમાં સામા માટે કશો ભાવ જ ન હોય, તો ન-નમસ્કાર સારા; ભાવ હોય, તો સ-નમસ્કાર વધારે શોભે; બહુ-નમસ્કાર તો, હમેશાં ખોટા. મન-હૃદયને વ્યક્ત થવાને કેટલીક વાર તો નાનું શું નમન જ પૂરતું હોય છે … નમીએ તો એવું નમીએ, નહીં તો ન નમીએ …

= = =

(March 5, 2020: Ahmedabad)

Loading

...102030...2,5212,5222,5232,524...2,5302,5402,550...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved