Opinion Magazine
Number of visits: 9575849
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નફાનું ખાનગીકરણ અને ખોટનું સામાજિકીકરણ!

કેયૂર કોટક|Opinion - Opinion|16 March 2020

કોઈ પણ દેશની સરકારને એક સંસ્થા ગણવામાં આવે છે. એક આર્થિક પરિપ્રેક્ષ્યમાં એક કલ્યાણકારક સંસ્થા કે રાજ્યનો ઉદ્દેશ શો ? નફાનું સામાજિકીકરણ કરવું અને સમાજના વધુને વધુ લોકો સુધી નફાનો લાભ પહોંચાડવો. જો આ સાચું હોય તો સરકારે નફો કરતા હોય એવાં સાહસોને પ્રોત્સાહન આપવું જોઈએ. એમાંથી જે આવક થાય તેનો ઉપયોગ સરકારે સમાજ માટે કલ્યાણકારક યોજનાઓમાં કરવો જોઈએ. અંગ્રેજીમાં તેને Socialism of Profit કહે છે. હવે, અર્થતંત્રનો એક સામાન્ય નિયમ છે : જે કંપની ખોટ કરતી હોય અને નફો કરવાની શક્યતા ન હોય એને બંધ કરવી તથા નફો કરતી હોય એવી કંપનીઓને પ્રોત્સાહન આપવું. અહીં પ્રશ્ર એ થાય છે કે જો કોઈ જાહેર સાહસ નબળું પડી ગયું હોય અથવા ખોટ કરતું હોય તો શું કરવું? જવાબ સરળ છે. એમાંથી આવક થવાની સંભાવના હોય તો, સરકારે એના કેટલાક હિસ્સાનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવું અને એનું સંચાલન કરવાની જવાબદારી એ કંપનીને સોંપવી. હવે આ દૃષ્ટિએ સરકારની હાલની કામગીરીનો વિચાર કરીએ.

અત્યારે દેશમાં બે મુદ્દા ચર્ચાસ્પદ બન્યાં છે. એક, થાપણદારો માટે ‘નો બૅંક’ બની ગયેલી યસ બૅંકનો ગાળિયો સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયાનાં ગળામાં પહેરાવાયો તે. અને બીજો, વર્ષે દહાડે આશરે રૂ. ૭,૦૦૦ કરોડથી વધારે નફો કરતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બી.પી.સી.એલ.)ના હિસ્સાનું ખાનગી કંપનીને વેચાણ કરવું. એટલે ખોટ કરતી કંપનીનો સરકારી સાહસમાં વિલય કરવો અને નફો કરતી સરકારી કંપનીનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવું! (આને કલ્યાણ રાજ્ય સાથે કોઈ સંબંધ?)

પહેલા વાત યસ બૅંકની કરીએ. અત્યારે ‘ગોદી મીડિયા’માં ન્યૂઝ એન્કર્સ સરકારે યસ બૅંકના પ્રમોટર રાણા કપૂરને પકડીને જાણે અભૂતપૂર્વને ઐતિહાસિક કામગીરી કરી હોય એવી રીતે રજૂઆત કરે છે. આ એન્કરો સરકારે કડક કામગીરી કરી છે એવું દર્શકોનાં મનમાં ઠસાવવા માટે હાસ્યાસ્પદ લાગે એવી રીતે રજૂઆતો પણ કરી રહ્યાં છે. જાણે કે કેન્દ્ર સરકારે યોગ્ય સમયે ઉચિત કાર્યવાહી કરી હોવાના ઉધામા કરી રહ્યાં હોય એવું ચિત્ર ઉપસે છે. આ ‘ગોદી-બોદી-લોદી’ ચેનલોએ નાણાં મંત્રીની પત્રકાર પરિષદનું જીવંત પ્રસારણ કર્યું હતું. આ પરિષદમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જે જાહેરાતો કરી એના મુખ્ય મુદ્દા :

• યસ બૅંકમાં શું ખોટું થયું છે અને એમાં વ્યક્તિગત સ્તરે જવાબદારી નક્કી થવી જોઈએ.

• યસ બૅંકની કામગીરી પર વર્ષ ૨૦૧૭થી નિયમિતપણે નજર રાખવામાં આવતી હતી.

• યસ બૅંકે અનિલ અંબાણી, એસ્સેલ ગ્રૂપ, ડી.એચ.એફ.એલ., વોડાફોન જેવી કંપનીઓને લોન આપી હતી, જે ડિફોલ્ટ જાહેર થયા છે. પણ આ તમામ લોન યુ.પી.એ. સત્તામાં હતી ત્યારે આપવામાં આવી હતી.

• યસ બૅંક રોકાણ મેળવવા માટે પ્રયાસો કર્યા, પણ કોઈ રોકાણકાર સંસ્થા યસ બૅંકમાં રોકાણ કરવા તૈયાર નથી.

ટૂંકમાં, નાણાં મંત્રીએ યસ બૅંક બિનકાર્યક્ષમ અસ્કયામત (એન.પી.એ.) હેઠળ દબાઈ ગઈ એનાં દોષનો ટોપલો યુ.પી.એ. સરકાર પર ઢોળ્યો. જો કે કોમનસેન્સ ધરાવતા નાગરિકને નાણાં મંત્રીની વાતની નવાઈ ન  લાગવી જોઈએ. જ્યારથી એન.ડી.એ. સરકાર બની છે, ત્યારથી એણે દેશમાં કોઈ પણ પ્રકારની અરાજકતા અને અવ્યવસ્થા માટે યુ.પી.એ. સરકારને જ જવાબદાર ઠેરવી છે. પણ નાણાં મંત્રીના આ દાવાઓ પર એક સમજદાર નાગરિક તરીકે થોડાં પ્રશ્રો આપણે આપણી જાતને પૂછીએ અને એના જવાબો પણ આંકડા સાથે આપણે મેળવીએ.

• વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એન.ડી.એ. સરકાર સત્તામાં આવી હતી. એ સમયે યસ બૅંકની લોન બુક કેટલી હતી?

જવાબ છે – વર્ષ ૨૦૧૪માં યસ બૅંકે કુલ રૂ. ૫૫,૦૦૦ કરોડની લોન આપી હતી.

• વર્ષ ૨૦૧૪ પછી યસ બેંકની લોનમાં કેટલો વધારો થયો?

એનો જવાબ છે – યસ બૅંકની લોન વર્ષ ૨૦૧૫માં વધીને રૂ. ૭૫,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૬માં રૂ. ૯૮,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૭માં રૂ. ૧, ૩૨,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૮માં ૨,૦૩,૦૦૦ કરોડ અને વર્ષ ૨૦૧૯માં ૨,૧૪,૦૦૦ કરોડ.

• નાણાં મંત્રીએ દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૭થી રિઝર્વ બૅંક યસ બૅંકની કામગીરી પર નિયમિતપણે નજર રાખતી હતી.

તો વર્ષ ૨૦૧૭ પછી યસ બૅંકની લોન બુકમાં કેટલો વધારો થયો?

એનો જવાબ છે – માર્ચ, ૨૦૧૭થી ૩૧ માર્ચ, ૨૦૧૯ વચ્ચે યસ બૅંકનાં કુલ ઋણમાં ૮૦ ટકાનો વધારો થયો. એટલે વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૧૯ વચ્ચે યસ બૅંકે લોન સ્વરૂપે કરેલી લહાણી રૂ. ૧,૩૨,૦૦૦ કરોડથી વધીને રૂ. ૨,૪૧,૦૦૦ કરોડ થઈ ગઈ.

આ સમયગાળા દરમિયાન નોટબંધી જેવા તઘલખી નિર્ણય તથા જી.એસ.ટી.નાં ઉતાવળિયા અને ઢંગધડા વિનાનાં અમલને કારણે અર્થતંત્રની ગાડી પાટાં પરથી ઊતરી ગઈ હતી, લોનની માંગ અસાધારણ રીતે અતિશય ઓછી હતી અને ખાનગી રોકાણમાં વધારો થતો નહોતો. જ્યારે આ પ્રકારનાં વિપરીત સંજોગોમાં મોટા ભાગની બૅંકો માટે લોન આપવી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ હતું, ત્યારે યસ બૅંકની લોન બુકમાં ૧,૦૯,૦૦૦ કરોડ કે ૮૦ ટકાનો વધારો થયો હતો. ફક્ત બે વર્ષનાં ગાળામાં યસ બૅંકની લોન બુક બમણી થઈ ગઈ હતી! એટલું જ નહીં યસ બૅંકની સ્થાપના થયા પછી ૧૭ વર્ષમાં જેટલી લોન આપી હતી, એટલી લોન માત્ર બે વર્ષમાં આપી દીધી. અહીં અર્થતંત્રમાં સામાન્ય સમજણ ધરાવતા નાગરિકોને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રશ્રો થવા જોઈએ, જેમ કે :

• નોટબંધી અને જી.એસ.ટી.ના અમલ પછી બે વર્ષમાં કોઈ પણ સારી કંપની રોકાણ માટે લોન માંગતી નહોતી, ત્યારે આ ગાળામાં યસ બૅંક પાસેથી આટલી જંગી લોન લેનાર કોર્પોરેટ લોનધારકો કોણ હતા?

• વળી આ કંપનીઓએ નવું રોકાણ કર્યું હતું કે પછી યસ બૅંકનાં નાણાંનો ઉપયોગ બીજી બૅંકોનું અગાઉનું ઋણ ચુકવવા માટે કર્યો હતો?

• શું સરકાર અને રિઝર્વ બૅંકને જાણ નહોતી કે યસ બૅંક આટલી જંગી લોનોની લહાણી કરી રહી છે? શું સરકાર અને રિઝર્વ બૅંકને જાણ નહોતી કે યસ બૅંકનાં પ્રમોટર રાણા કપૂર એમની ઇક્વિટી વેચી રહ્યા છે? જો ખબર હતી, તો શું સરકાર કે રિઝર્વ બૅંકે ડૂબતી બચાવવા માટે રાણા કપૂરને એમનો હિસ્સો વેચીને બહાર નીકળવાનો ‘સેફ પેસેજ’ ઇરાદાપૂર્વક આપ્યો હતો?

• યસ બૅંકે જુલાઈથી સપ્ટેમ્બરનાં ત્રિમાસિક ગાળા પછી પરિણામો જાહેર કરવાનું શા માટે બંધ કરી દીધું હતું. જ્યારે યસ બેંકે પરિણામો જાહેર કરવાનું બંધ કર્યું હતું, ત્યારે રિઝર્વ બેંક શું કરતી હતી?

યસ બૅંકની કામગીરી બંધ કરવાનો અને સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયાને અમુક હિસ્સો ખરીદવા મજબૂર કરવાનો નિર્ણય લેવાયો. એ નિર્ણયની જાણ કેટલાંક કોર્પોરેટ ગૃહોને હતી એવો કેટલાંક અગ્રણી અખબારોએ દાવો કર્યો છે. તેમ છતાં એસ.બી.આઈ. કાર્ડનો આઇ.પી.ઓ. આવ્યો અને એનું ભરણું ૫૦થી ૫૫ ગણું વધારે થયું. ત્યારબાદ સરકારે એસ.બી.આઈ. યસ બૅંકમાં ઇક્વિટી ખરીદશે એવી જાહેરાત કરી. હવે એસ.બી.આઈ.નાં રોકાણકારો અને એસ.બી.આ.ઈ કાર્ડનાં આઇ.પી.ઓ.માં રોકાણ કરનાર રોકાણકારો પર એની નાણાકીય અસર શું થશે? જો સરકારે અગાઉથી જાહેરાત કરી હોત, તો એસ.બી.આ.ઈ કાર્ડનાં આઇ.પી.ઓ.માં રોકાણકારોએ આટલાં મોટા પાયે રોકાણ કર્યું હોત?

હકીકતમાં નાણાં મંત્રીએ યસ બૅંક કૌભાંડ માટે યુ.પી.એ. સરકારને જવાબદાર ઠેરવવાને બદલે આ સવાલોનાં જવાબો મેળવવાની જરૂર છે. તેમણે તપાસ સંસ્થાઓને આદેશ આપવો જોઈએ કે યસ બૅંકની કયા કોર્પોરેટને કેટલી લોનની લહાણી કરી હતી અને આ કોર્પોરેટ ગૃહોએ એ લોનનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો. આ ‘પોન્જી સ્કીમ’ જેવો ગોટાળો છે.

રિઝર્વ બૅંકના જણાવ્યા અનુસાર યસ બૅંકને બચાવવા માટે સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા એમાં હિસ્સો ખરીદશે. છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં જે યસ બૅંકમાં રોકાણ કરવા કોઈ સંસ્થા આગળ આવી નથી, ત્યારે શું સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા એનો બોજ ઉઠાવી શકશે? શું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ બોજ ઉઠાવવા સક્ષમ છે? યસ બૅંકે પોતાના નાનાં થાપણદારોની પરસેવાની કમાણીની લ્હાણી જે મોટા કોર્પોરેટ ગૃહોને કરી છે એ કોર્પોરેટ ગૃહો યસ બૅંકને ધિરાણ ચુકવવાની સ્થિતિમાં જ નથી. કહેવાનો અર્થ છે કે યસ બૅંકને એન.પી.એ. પરત મળવાની કોઈ શક્યતા નથી.

પી.એન.બી., પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બૅંક, બીજી કેટલીક નાની-મોટી બૅંકો અને હવે યસ બૅંકનાં કૌભાંડે બેંકિંગ ક્ષેત્રમાં સુધારો કરવાની તાતી જરૂરિયાત પર ફરી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોનો મત છે કે હવે, ખાસ કરીને બૅંકોનું ઓડિટ કરવાની રીત ઝડપથી બદલવી જોઈએ. સત્યમ કૌભાંડ પછી કેન્દ્ર સરકારે નિર્ણય  લીધો હતો કે કોઈ પણ ઓડિટર એક જ કંપનીનું સતત ઓડિટ નહીં કરી શકે, મહત્તમ બે વાર ઓડિટ કરી શકશે. પણ આ નિયમ બૅંકો પર લાગુ પડતો નથી, કારણ કે બૅંકનું સંચાલન આર.બી.આઈ. નિયમન ધારાથી થાય છે. હવે આ નિયમ બૅંક પર લાગુ કરવાનો સમય પાકી ગયો છે.

વળી બૅંકોની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય બૅંક બેસલ-૩ અને બેસલ-૪ નિયમોને અપનાવે છે. આ નિયમો બૅંક ઑફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્‌સ નામની સંસ્થા ઘડે છે. આ સંસ્થા અગાઉ આંતરરાષ્ટ્રીય બૅંકોનાં એકબીજા સાથેનાં વિવાદોનું સમાધાન કરતી હતી. પણ હવે બૅંકોની સ્થિતિ સુધારવા નિયમો અને કાયદા પણ બનાવી રહી છે. ભારતમાં બૅંકો બેસલ નિયમોનું પાલન કરતી નથી. જો તેઓ આ નિયમો અપનાવે, તો એમની રિઝર્વ બૅંકને જાણકારી આપવાની જવાબદારી વધી જશે. આર.બી.આઈ.એ માર્ચ, ૨૦૨૦ સુધી તમામ બૅંકોને બેસલ-૩ અપનાવવાનું ફરજિયાત બનાવ્યું હતું, પણ અત્યારે તો એની સંભાવના જણાતી નથી.

અન્ય એક ઉપાય ‘સ્ટ્રેસ ટેસ્ટ’ એટલે કે ક્રેમલ્સ ટેસ્ટિંગ તરફ આગળ વધવાનો છે. આ ટેસ્ટમાં મંદી કે બજારમાં કટોકટીની સ્થિતિમાં બૅંક પ્રતિકૂળ આર્થિક સ્થિતિની અસરનો સામનો કરવા પર્યાપ્ત મૂડી ધરાવે છે કે નહીં એ નક્કી થાય છે. આ ટેસ્ટ અંતર્ગત શેરબજારની જેમ બૅંકને પોતાની આર્થિક સ્થિતિની જાણકારી અખબારોનાં માધ્યમથી જનતાને જણાવવી જરૂરી બની જાય છે. જ્યારે રઘુરામ રાજન રિઝર્વ બૅંકનાં ગવર્નર હતા, ત્યારે તેમણે આ ઉપાય અજમાવવાની ભલામણ કરી હતી, પણ રાજન અમેરિકા જતા રહ્યા અને સરકારે એમની ભલામણો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા.

સરકારની નીતિ પરથી એવું લાગે છે કે એનો અભિગમ ખોટનું સામાજિકીકરણ કરવાનું છે. અગાઉ આઇ.ડી.બી.ઈ. બૅંકને એલ.આઇ.સી.માં વિલિન કરવામાં આવી હતી. બીજી તરફ, આ જ સરકાર નફાનું ખાનગીકરણ કરી છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બી.પી.સી.એલ.) દેશની મહારત્ન કંપની છે. આ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૭,૦૦૦ કરોડથી વધારેની ચોખ્ખી આવક કરી છે. હવે સરકારે આ કંપનીમાંથી હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. સરકારનાં આ પ્રકારનાં અભિગમ પર વિપક્ષોએ બાંયો ચઢાવી છે. વિપક્ષોને શંકા છે કે સરકાર નફો કરતી કંપનીઓને એક યા બીજા કોર્પોરેટને વેચી રહી છે અને ખોટી કરતી કંપનીઓમાં નફો કરતી સરકારી કંપનીઓનું રોકાણ કરાવીને એને નબળી પાડી રહી છે. અંગ્રેજીમાં આ પ્રકારનાં અભિગમને “Privatisation of Profit And Socialism of Loss” કહેવાય છે.

સામાન્ય રીતે દુનિયામાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ ઉદ્યોગ પર સરકાર પોતાનું નિયંત્રણ જાળવી રાખે છે. રશિયામાં સૌથી મોટી ઓઇલ કંપની રોસનેફ્ટ છે. રશિયામાં જ વિશ્વની સૌથી મોટી ગેસ ઉત્પાદક કંપની ગૅઝપ્રોમ છે. આ બંને કંપનીઓ પર રશિયાની સરકારનું નિયંત્રણ છે. એ જ રીતે સાઉદી અરેબિયાની પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ કંપની સાઉદી અરામ્કો વિશ્વમાં આવકની દૃષ્ટિએ સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે. વળી આ કંપની પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ ક્ષેત્રમાં દુનિયાની સૌથી નફાકારક કંપની છે. આ કંપની પર સાઉદી અરેબિયાની સરકારનું નિયંત્રણ છે. તાજેતરમાં આ કંપનીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ૨૦ ટકા હિસ્સો ખરીદ્યો છે. એટલું જ નહીં સાઉદી અરામ્કોએ બી.પી.સી.એલ.માં સરકારનો હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. ચીનમાં પેટ્રોલિયમ અને ગૅસ ક્ષેત્રમાં સૌથી મોટી કંપની ચાઇના નૅશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન છે. આ કંપની દુનિયામાં ઇરાન, ઇરાક, મલેશિયા, સીરિયા, કઝાખસ્તાન જેવા દેશોમાં કામગીરી ધરાવે છે. આ કંપની ચીનની સામ્યવાદી સરકારનાં નિયંત્રણ હેઠળ કામ કરે છે અને પેટ્રોચાઇન તરીકે પ્રસિદ્ધ છે.

હવે બ્રિટનની બ્રિટિશ પેટ્રોલિયમ (બી.પી.) કંપનીનો વિચાર કરીએ. આ કંપની પર બ્રિટનની સરકારનું નિયંત્રણ ૧૯૭૯ સુધી હતું. વર્ષ ૧૯૭૯ પછી બ્રિટનમાં થેચર યુગની શરૂઆત સાથે ખાનગીકરણની મોટા પાયે શરૂઆત થઈ હતી. એ સમયે પણ થેચરે પહેલાં તબક્કામાં બી.પી.નાં પાંચ ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. ખાનગીકરણની આ પ્રક્રિયા ક્રમશઃ આગળ વધીને અને ૧૯૮૭માં પૂર્ણ થઈ હતી. આ રીતે બ્રિટનની સરકારે પણ ઓઇલ કંપનીઓનું ખાનગીકરણ તબક્કાવાર રીતે કર્યું છે. એના હિસ્સાનું વેચાણ એ કસાથે કરવાનો અભિગમ દાખવ્યો નથી. નોર્વેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનાં ઉદ્યોગ પર સરકારનું નિયંત્રણ છે.

એટલે, ચીન હોય કે રશિયા, અમેરિકા હોય કે સાઉદી અરેબિયા, નોર્વે હોય કે મલેશિયા – આ તમામ દેશોમાં સરકારની મુખ્ય આવકનાં મુખ્ય સ્ત્રોતોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો સિંહ ફાળો છે. આ તમામ સરકારો પેટ્રોલિયમ અને કુદરતી ગૅસનાં ઉદ્યોગમાંથી થતી આવકનો ઉપયોગ સરકારની જનકલ્યાણકારક યોજનાઓ માટે કરે છે. વળી આ ઉદ્યોગ થકી સરકાર મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે. કહેવાનો અર્થ એ છે કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નફા કરતા ઉદ્યોગ પર સરકાર નિયંત્રણ જાળવી રાખવાનું પસંદ કરે છે. આ તમામ સરકારો આ ઉદ્યોગમાંથી થતા નફાનું સામાજિકીકરણ કરે છે. ત્યારે ભારત સરકાર દુનિયાભરનાં આ બધાં વિકસિત દેશોની વિરૂદ્ધ આર્થિક નીતિ અપનાવીને શું સાબિત કરવા મથી રહી છે?! જો ખાનગીકરણ કરવું જ હોય તો તબક્કાવાર ખાનગીકરણનો વિકલ્પ અપનાવવા કેમ નથી વિચારતું ? પણ આ સરકારને અત્યાર સુધી લીધાં એમ બધાં જ નિર્ણયો ઝડપથી અને રાતોરાત જ લેવા છે!

E-mail : keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 05-07

Loading

આજકાલ જે ચાલે છે તે અંગે તેમણે શું કહ્યું હતું (અને શું નહોતું કહ્યું)

સુધીર ચંદ્ર|Opinion - Opinion|16 March 2020

ગાંધી વિરુદ્ધ ગાંધીઃ

[સુધીર ચંદ્ર ઘણા પુસ્તકોમાંથી, છેલ્લે હિન્દીમાં ‘ગાંધી : એક અસંભવ સંભાવના’ માટે જાણીતા છે.]

નાગરિકતા સુધારા કાયદો લાવીને ગાંધીજીના વિચારોને અમલમાં મૂક્યા હોવાના મોદી સરકારના દાવાને સમર્થન આપવાની અવળચંડાઈ કરતા ગાંધી પરિવારના જ લોકોથી ગાંધીનો આપણે બચાવ કરવો પડે એ ભારે શરમની વાત છે. આ લોકો ગાંધીને કહેવા માગે છે કે, તેમણે શું વિચારવું જોઈતું હતું, કહેવું જોઈતું હતું અને કરવું જોઈતું હતું.

મહાત્મા ગાંધીના છેલ્લા ૧૫ મહિના કોમી દાવાનળ વચ્ચે શાંતિ અને સમજૂતી આણવા માટે એક જગ્યાએથી દોડીને બીજી જગ્યાએ દોડવામાં ગયા. સિત્યોતેર વર્ષના ગાંધીની દોડધામ નવેમ્બર ૧૯૪૬માં શરૂ થઈ જ્યારે તેઓ નોઆખલી ધસી ગયા, જ્યાં મુસ્લિમોનાં ટોળાંઓ હિન્દુઓ પર જુલમ ગુજારી રહ્યાં હતાં. તેઓ જ્યારે મુસ્લિમ બહુમતી વિસ્તાર નોઆખલીમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા – જેનો અર્થ તેમના માટે એમ હતો કે “હિન્દુ અને મુસ્લિમોનાં હૈયાં નજીક લાવવાં” – ત્યારે નોઆખલીનો બદલો લેવા બિહારમાં આગ ફાટી નીકળી.

તેનાથી ગાંધીના શાંતિલક્ષી પ્રયત્નોને ભારે ફટકો પડ્યો. તેઓ નોઆખલીમાં પ્રયત્ન કરી રહ્યા હતા આખા ભારત માટે દાખલો બેસાડવાનો. ઊલટું, તેમના પોતાના કૉંગ્રેસ પક્ષના શાસન હેઠળના પ્રાન્તમાં કોમી હિંસા થઈ હતી. આ સંજોગોમાં કૉંગ્રેસ કાર્યકરોની ભૂમિકા અંગે ગાંધીની ચિંતા બાજુ પર મૂકીએ, તો પણ બિહારના કારણે તેમના નોઆખલીના કામ પર અવળી અસર પડી રહી હતી. ત્યાં મુસ્લિમો તેમને મોંઢે કહેવા લાગ્યા કે તેઓ હિન્દુ હોવાથી, બિહાર જઈને મુસ્લિમો બચાવવાના બદલે, અહીં રહ્યા હતા.

ગાંધી એ વાક્પ્રહારો ગળી ગયા અને એમ દલીલ કરતા રહ્યા કે નોઆખલીમાં શાંતિ સ્થપાશે તો બીજા બધે પણ શાંતિ થશે. એટલું જ નહિ, પણ તેમને શ્રદ્ધા હતી કે બિહારની કૉંગ્રેસ સરકાર નિર્ણયાત્મક થઈને કામ કરશે અને પરિસ્થિતિ જલદી કાબૂમાં લાવશે.

પણ એવું બન્યું નહિ. ઊલટું, થોડાં કૉંગ્રેસીઓ પણ હિંસામાં સામેલ હતા. અંતે, કૉંગ્રેસના જ વિકાસ પ્રધાન ડૉ. સૈયદ મહમૂદે ગાંધીને તાકીદનો સંદેશો પાઠવ્યો અને જણાવ્યું કે માત્ર તેઓ જ મુસ્લિમોને બચાવી શકશે. ગાંધીએ હવે દોડીને બિહાર પહોંચવું પડ્યું, હવે એ આશાએ કે બિહારમાં શાંતિ થશે તો પછી બીજે બધે શાંતિ થશે. ૧૯૪૭નો લગભગ આખો માર્ચ – તેમની જિંદગીનો છેલ્લો માર્ચ – તેમણે હિંસાગ્રસ્ત ગામડાં અને નગરોમાં ગાળ્યો. દરેક જગ્યાએ તેઓ પોતાનું હ્રદય ઠાલવતા, અને પરસ્પર ઘૃણા દૂર કરવા પોતાની નૈતિક મૂડી વાપરતા.

નોઆખલી અને બિહારની ઘટનાઓ દેશના વિભાજન અને આઝાદીના થોડા મહિના પહેલાં બની. સ્વતંત્ર ભારતમાં તેમને જે સાડાપાંચ મહિના ગાળવા મળ્યા તેમાં ગાંધીની સ્થિતિ એવી જ રહી. તેઓ સ્વાતંત્ર્યપર્વની પૂર્વસંધ્યાએ જઈ રહ્યા હતા નોઆખલી (જે હવે પાકિસ્તાનનો ભાગ બની રહ્યું હતું), ત્યારે કલકત્તામાં થઈ રહેલી હિંસાના કારણે તેમણે ત્યાં જ રોકાવું પડ્યું. કલકત્તામાં શાંતિ સ્થપાઈ તો તેઓ (બીજી વિભાજિત પાંખ) પંજાબ તરફ આગળ વધ્યા, પણ દિલ્હીની હિંસાએ તેમને રોકી લીધા. કલકત્તા અને દિલ્હી, બંને શહેરોમાં તેમણે સત્યાગ્રહીના આખરી શસ્ત્ર – આમરણ ઉપવાસનો આશરો લેવો પડ્યો, કારણ કે બીજું કશું કારગત નીવડ્યું નહિ.

દિલ્હીમાં તેમના આમરણ ઉપવાસનું પણ ખોટું અર્થઘટન થયું. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતના મુસ્લિમો માટે થઈને તો ઉપવાસ પર બેઠા નથીને. આ સવાલ પાછળ જે આક્ષેપ હતો તે એક માનસિકતા બતાવતો હતો જે એ પછીના ગાળામાં ઊંડી અને બહોળી થતી ગઈ છે. ગાંધીએ સ્વીકાર્યું કે તેમનો ઉપવાસ ભારતમાંના પીડિત મુસ્લિમો માટે હતો. પરંતુ તેમણે ઉમેર્યું કે ઉપવાસ પાકિસ્તાનમાંના પીડિત હિન્દુઓ અને શીખો માટે પણ હતો.

એક બીજો પણ સવાલ હતો, જે દર્શાવતો હતો કે ગાંધીજીના બોધપાઠ જીવનમાં ઉતારવાના તો દૂર રહ્યા, તેને સમજવામાં પણ લોકો કેવા નિષ્ફળ ગયા હતા. તેમને પૂછવામાં આવ્યું :

“તમે સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન.) સુરક્ષા પરિષદની બેઠકની પૂર્વસંધ્યાએ અને કરાચીના હુલ્લડો તેમ જ પાકિસ્તાનના ગુજરાત પ્રદેશના જનસંહારની તરત પછી ઉપવાસ આદર્યા છે. કરાચી-ગુજરાતની ઘટનાઓને આંતરરાષ્ટ્રીય અખબારોમાં કેટલી પ્રસિદ્ધિ મળી તે તો ખબર નથી, પણ એમાં કોઈ શંકા નથી કે તમારા ઉપવાસે બીજી બધી ઘટનાઓને કોરાણે મૂકી દીધી છે. (યુ.એન.ની બેઠકમાં) પાકિસ્તાનના પ્રતિનિધિઓ પણ એ વાત ઉછાળશે કે હિન્દુઓ ભારતમાંના મુસ્લિમોનો જાન લેવા બેઠા છે અને મહાત્માએ તેમને સમજાવવા ઉપવાસ કરવા પડે છે. સાચી વાતની દુનિયાભરમાં જાણ થતાં વાર લાગે છે, પણ તે દરમિયાન તમારા ઉપવાસના કારણે યુ.એન. સમક્ષ આપણો કેસ નબળો પડી શકે છે.”

ગાંધીની જો કે એવી અપેક્ષા પણ નહોતી પણ પાકિસ્તાનના પહેલા વિદેશપ્રધાન સર મુહમ્મદ ઝફરુલ્લા ખાને સુરક્ષા પરિષદમાં કાશ્મીર વિશે બોલતાં કહેલું કે ગાંધીના “ઉપવાસના પ્રતિસાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીની ભાવના અને તમન્નાની નવી અને ભારે લહેર ઉપખંડમાં ફેલાઈ રહી છે.”

ગાંધીએ એક વાર તેમના પ્રિય મિત્ર ચાર્લી(‘દીનબન્ધુ’ એન્ડ્રુઝ)ને પૂછ્યું હતું, “શું માણસ જીવનથી વિશેષ કશાની કુરબાની કરી શકે?” આપણે પૂછવું જોઈએ કે એ પીડાજનક સાડાપાંચ મહિનામાં એવું શું હતું જેણે ગાંધીને તેમની જિંદગી દાવ પર લગાવવા મજબૂર કર્યા. એનો જવાબ આપણા વિશેની આ અત્યંત હતાશાભરી ટિપ્પણીમાં છે. તેમણે કહ્યું, “હમારે મેં શાયદ હ્રદય નહીં હૈ.”

રોજેરોજ ગાંધી લોકોને સમત્વથી અને માનવતાથી કામ લેવાનું સમજાવતા રહ્યા. તેની કોઈ અસર પડી નહિ, અને તેમણે તેમની જિંદગી દાવ પર મૂકી.

ઉપવાસ સફળ તો થયો, પણ તેમની સામે જે સવાલો ઊભા કરવામાં આવ્યા તેમાં ગાંધીની પ્રજા અને દેશ પરત્વેની અપેક્ષાઓ અંગે કેવી ઊંડી ના-સમજ પ્રવર્તતી હતી તે બહાર આવતું હતું. પણ આ વૃદ્ધ માનવીએ છેલ્લા પંદર મહિનામાં એનાથી ય કપરાં વીતકો સહન કરવાનાં હતાં. કદાચ માનવામાં ન આવે, પણ નોઆખલીમાં તેમણે એક જાહેર નિવેદન આપ્યું હતું તે બિહારમાં મુસ્લિમો સામે હિંસા ફેલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું.

ગાંધીને ગાંધીની વિરુદ્ધમાં મૂકવામાં આવ્યા.

ત્યારે જે બિહારમાં થયેલું તે આજે ભારતભરમાં કરવામાં આવી રહ્યું છે. આ વખતે એ કામ પાછળ કોઈ બેનામી તોફાની તત્ત્વો નથી, પણ દેશની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના સર્વોચ્ચ પદાધિકારીઓ, સહી સાથે લેખો લખતા લોકો અને પોતાની કોલમોમાં શાંતિ અને અહિંસાના દૂતને આઘાતજનક રીતે વેતરી નાખતાં દેશનાં અગ્રણી અખબારો છે.

રાજમોહન ગાંધી અને રામચંદ્ર ગુહા જેવા આપણા શ્રેષ્ઠ ગાંધી-અભ્યાસુઓએ નવા નાગરિક કાયદાથી ગાંધીનાં સપનાં સાકાર થવાના સરકારી દાવાની પોકળતા ખુલ્લી પાડેલી છે. સરકાર જાણે છે કે આવા દાવા કરવામાં કોઈ પુરાવા આપવાની જરૂર છે નહિ અને સરકારનું કહ્યું માનવા માટે તત્પર પ્રજાજનો તેને સરળતાથી ગળે ઉતારી લેતા હોય છે. છતાં અમુક ઉત્સાહી લોકો હિંમતભેર પુરાવા આપવા દોડે છે, ભલે પુરાવા હોય જ નહિ.

આવા એક ઉત્સાહી ભાઈએ ‘મિસરિડિંગ ધ મહાત્મા’ શીર્ષક હેઠળ લેખ લખ્યો છે, જેનું ઉપશીર્ષક છે, “જે લોકો સી.એ.એ.-એન.આર.સી.નો વિરોધ કરે છે તેઓ ગાંધીજીની વિશ્વવિચારણા પર અપકાર કરે છે”. ‘ઈન્ડિયન, એક્સપ્રેસમાં ૨૦મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયેલા આ લેખના લેખક છે શ્રીકૃષ્ણ કુલકર્ણી. (ગાંધીજીના પુત્ર રામદાસનાં પુત્રી સુમિત્રા કુલકર્ણીના પુત્ર.) તેઓ ગાંધી-અભ્યાસથી અપરિચિત છે. તેમને સંબંધિત સાહિત્યનો પણ પરિચય નથી. પણ તેમણે પોતાની વાતને પૂરા અધિકારથી રજૂ કરી છે. કદાચ પોતે જૈવિક અર્થમાં ગાંધીના પ્રપૌત્ર છે એટલે. એ રીતે તો તેઓ રાજમોહન ગાંધીના ભાણેજ પણ થાય.

આના પરથી મને મારો ભત્રીજો યાદ આવ્યો, જેણે મને એક વાર સંભળાવી દીધું હતું, “તાઉજી, તમને ઇતિહાસની સમજ જ નથી. આ મુસ્લિમો છે ને …”

પણ મારી કંપનીમાં બીજા પણ મહાપુરુષો છે. અમારા બધાની ઉપર તો છે ગાંધી. દોસ્તોયેવ્સ્કીની મહાનવલ ‘ધ બ્રધર્સ કારમાઝોવ’ના વિખ્યાત પ્રસંગમાં જેમ ગ્રાન્ડ ઇંક્વિઝિટર ઈસુ ખ્રિસ્તને જ ખ્રિસ્તી ધર્મ સમજાવે છે, તેમ આપણા ભત્રીજાઓ, આપણા શાસકના ચાળે, ગાંધીજીને પણ કહી શકે છે કે તેમણે ખરેખર શું વિચાર્યું હશે, શું કહ્યું હશે અને શું કર્યું હશે. તેઓ તેમને તે કહેશે, જે કુલકર્ણી આપણને કહી રહ્યા છેઃ

“વિભાજન પછી પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની યાતનાઓ વિશે અને પાકિસ્તાન પાસેથી ન્યાય મેળવવા વિશે ગાંધીજીએ ઘણું કહેવાનું હતું.”

તેઓ ગાંધીને ક્વૉટ કરશે, જેમ કુલકર્ણી પણ કરે છે. ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ ગાંધીજીએ કહ્યું હતું કે, “પાકિસ્તાનમાંના હિન્દુઓ અને શીખોની સલામતીની ખાતરી કરવી તે હિંદી સરકારની ફરજ છે. પરંતુ સરકાર એ ફરજ અદા કરી શકે તેટલા ખાતર તેને જે કંઈ કરવું ઘટે તે કરવાની પૂરી સ્વતંત્રતા આપવી જોઈએ અને તેને એકેએક હિન્દીનો સાચા દિલનો પૂરેપૂરો સહકાર મળવો જોઈએ.” વધુમાં, ૨૬મી સપ્ટેમ્બરે તેમણે કહ્યું હતું, “પાકિસ્તાન પોતાની સાબિત થયેલી ભૂલ સ્વીકારવાનો ઈનકાર કરવાનું ચાલુ રાખે ને તેને નજીવી દેખાડવાની કોશિશ કર્યા કરે તો હિન્દી રાજ્યસંઘની સરકારનો તેની સામે યુદ્ધ કર્યા વિના છૂટકો નહિ થાય.”

અવતરણ ચિહ્નો અને મૂળ સ્રોતના પાન ક્રમાંકનો દેખાડો ભલે કર્યો હોય, પણ કુલકર્ણીના દાવામાં કોઈ વજૂદ નથી, અને તેમનાં અવતરણો એવાં મારી મચડીને રજૂ કરાયાં છે કે તેની અસર ગાંધીની ભાવના અને અર્થ કરતાં – હકીકતમાં તેઓ જે સારુ જીવ્યા અને જે સારુ તેમણે કુરબાની આપી તેના કરતાં – બિલકુલ વિપરીત જ છે. જેમ કે, ૨૬મી સપ્ટેમ્બરનો દાખલો લઈએ. આ અવતરણ એ દિવસની સાંજના તેમના પ્રાર્થના પ્રવચનમાંથી છે.

પ્રવચનની શરૂઆતમાં જ ભારે વિષાદગ્રસ્ત નિવેદન છેઃ “આજે ચાલી રહેલી હેવાનિયત ભરેલી કતલ શીખ ધર્મથી વિરુદ્ધ છે બલકે કોઈ પણ ધર્મની સાથે એવી કરણીનો મેળ નથી.”

તેમાં તમામ સમુદાયો માટે અને ભારત-પાકિસ્તાન બંને માટે ચેતવણી પણ છે, અને વિનંતી પણ છે. ગાંધી ઉપર જે બોલ્યા તે આ સંદર્ભમાં, સૌથી ખરાબ સંજોગોની કાલ્પનિક પરિસ્થિતિ વિશે બોલ્યા.

“મેં કહ્યું કે જો આપણે માનીએ કે, જો એ વાત પૂરેપૂરી સાબિત કરી આપવામાં આવે કે, પાકિસ્તાન સરકાર પાસેથી આપણે ન્યાય મેળવી શકીશું જ નહિ – જો તેઓ સ્વીકારે જ નહિ કે તેમણે કશું ખોટું કર્યું છે – જો તમે તેમની સમક્ષ ખુલાસો ન કરી શકો, તો પછી તમારી કેબિનેટ છે, એ મોટી કેબિનેટ છે, તેમાં જવાહરલાલ છે, તેમાં સરદાર પટેલ છે, બીજા પણ સારા માણસો છે, જો તેઓ પણ પાકિસ્તાનને સમજાવી ના શકે, તો અંતે આપણે લડવું પડે. (પણ) આપણે મૈત્રીપૂર્ણ રીતે સમાધાન લાવવું જોઈએ. આપણે એમ કેમ ન કરી શકીએ?”

ગાંધીને ગાંધીના જ પોતાના માણસોની અવળચંડાઈથી – એ જ શબ્દ સાચો છે (વેન્ડલાઈઝ) – બચાવવામાં માથું શરમથી ઝૂકી જાય છે.

મૂળભૂત સત્ય એ છે કે ગાંધીએ કદી ભારત અને પાકિસ્તાન વચ્ચે ભેદ કર્યો નહોતોઃ “હું ભારત અને પાકિસ્તાનને બે જુદા દેશો તરીકે વિચારતો નથી.”

તેઓ બેમાંથી એકેને બીજાથી અલગ કે બીજાના ભોગે વિચારી શકતા નહોતા. તેમની ચેતવણી હતી કે, બેમાંથી એકેય સ્વર્ગ નહિ બની શકે જો બીજું નરક બનીને ઊભું રહેશે. જ્યાં સુધી પાકિસ્તાન પર યુદ્ધ કરવાનો સવાલ છે, તેઓ ભારપૂર્વક કહેતા રહ્યા કે ભારત-પાકિસ્તાનનું ભલું અવિભાજ્ય છે. પરસ્પર વેરભાવથી તો પરસ્પરનું નિકંદન વળી જશે. યુદ્ધમાં બંને ખુવાર થઈ જશે.

ગાંધીને પાકિસ્તાનમાંની હિન્દુ અને શીખ લઘુમતીની ચિંતા હતી. પણ તેમને ભારતમાંની મુસ્લિમ લઘુમતીની પણ ચિંતા હતી. તેમને ખબર હતી કે બંને દેશો પોતાની લઘુમતીને ત્રાસ આપવામાં એકબીજાથી આગળ જઈ રહ્યા હતા.

૧૯મી નવેમ્બર ૧૯૪૭ના રોજ તેમણે કહ્યું કે, “આજે આ આક્ષેપ તમામ હિન્દુ અને શીખ પર લાગુ પડે છે, એવી જ રીતે તમામ મુસ્લિમોને પણ લાગુ પડે છે.” જેનું હ્રદય જેટલું નોઆખલીમાં એટલું જ બિહારમાં ઘવાયું હતું, તે માણસ એવું જ જુએ, એવું જ વિચારે, એવું જ બોલે. કોમ – દેશનાં ડાબલાં પહેર્યાં વિના.

ગાંધીએ ૨૫-૨૬મી સપ્ટેમ્બરે જે કહ્યું હોવાનું કહેવાય છે, તેને થોડા દિવસ પહેલાંના, ૧૭મી સપ્ટેમ્બરના આ પ્રાર્થના પ્રવચન સાથે સરખાવી જુઓઃ

“પાકિસ્તાનમાં ત્યાંની લઘુમતીની વસ્તી એટલે કે હિંદુ ને શીખો સાથે ખરાબ વર્તન રાખવામાં આવ્યું છે એ વાત સાચી છે તો પૂર્વ પંજાબે પણ પોતાની લઘુમતી વસ્તી એટલે કે મુસલમાનોની સાથે એવું જ વર્તન રાખ્યું છે એ વાત પણ એટલી જ સાચી છે. ગુનાની જવાબદારી કોની કેટલી એ કાંઈ સોનાને કાંટે તોળવાનું ન હોય. બંને પક્ષે કોનો કેટલો વાંક છે તેની તુલના કરવાનો મારી પાસે કશો હકીકતોનો આધાર નથી. પરંતુ બંને પક્ષોના હાથે ગુનો થયો છે એટલું જાણી લઈએ તો આપણા માટે પૂરતું છે. આને અંગે યોગ્ય મેળ બેસાડવાનો રસ્તો એ છે કે બંને રાજ્યો બંને પક્ષોએ કરેલા ગુનાનો નિખાલસ એકરાર કરે, પછી સમજૂતીની શરતો મુકરર કરે અને સમજૂતી પર ન આવી શકાય તો સામાન્યપણે હંમેશ થાય છે તેમ લવાદી દ્વારા ફેંસલો મેળવવાનો રસ્તો લે. એ સિવાય બીજો અણઘડ ને જંગલી ઈલાજ યુદ્ધે ચડવાનો છે. એના વિચારમાત્રથી મને સૂગ ચડે છે.”

આ વૃદ્ધ માનવી શું સમજાવી રહ્યો છે? શું તે આપણને એવું કંઈક નથી કહી રહ્યો જે આપણે આજે લક્ષ પર લેવું જોઈએ?

અનુવાદકની પૂરક નોંધ

(૧) ગાંધીજી દસમી સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા અને બિરલા હાઉસ રોજ સાંજની પ્રાર્થનામાં તેમ જ ક્યારેક અન્યત્ર નવાસવા આઝાદ અને નવાસવા વિભાજિત દેશોની પ્રજાના હિંસક ઉન્માદ પર રોજ ટિપ્પણી કરતા રહ્યા. પ્રવચનો પહેલા દિવસથી જ આકાશવાણી પરથી પ્રસારિત થવા લાગ્યા. તે થોડા દિવસના અંતરે તેમનાં સામયિકોમાં શબ્દશઃ નહિ પણ અહેવાલ સ્વરૂપે પ્રસિદ્ધ થતા. તે સંગ્રહિત સ્વરૂપે ‘દિલ્હી ડાયરી’ (નવજીવન, ૧૯૪૮) નામે પ્રસિદ્ધ થયાં. પ્રથમ પુરુષ એકવચનમાં મૂળ પાઠ હિન્દીમાં ‘પ્રાર્થના પ્રવચન’ નામે સંગ્રહિત થયો. કુલકર્ણીએ તેમના લેખમાં ‘દિલ્હી ડાયરી’નો આધાર લીધો છે અને “ગાંધીજીના પોતાના શબ્દોમાં” એવો દાવો કર્યો છે, જે અવતરણની અંદર જ ખોટો પડી જાય છે. તેમણે આપેલો પાન ક્રમાંક પણ ખોટો છે, એવું કહેવું બાલિશ કહેવાય પણ તેમણે જે “ગાંધીજીએ પોતે કહ્યું છે, જુઓ મારી પાસે પુરાવો છે” એવો ભાવ રાખ્યો છે ત્યારે તેમની પુરાવાની ભૂલ ચીંધવી રહી. અહીં સુધીર ચંદ્રના લેખના ગુજરાતી અનુવાદમાં ગાંધી અવતરણોનો સ્રોત, એક અપવાદ સિવાય, ‘દિલ્હી ડાયરી’ છે.

(૨) ગાંધીજીએ પાકિસ્તાન પર યુદ્ધ કરવાની હાકલ કરી હોય તેવી છાપ ઊભી કરતાં અવતરણ રજૂ કરવામાં કુલકર્ણી જે ભૂલ કરી રહ્યા છે, તે નવી નથી. એ વખતે રોઈટર સમાચાર સંસ્થાએ એવો જ અહેવાલ લખેલો, જે ‘લંડનના ટાઈમ્સ’માં છપાયો, અને તે વાંચીને નોબેલ સમિતિએ ગાંધીને શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય રદ્દ કરેલો. એ વાત હવે ખુલ્લા મુકાયેલા નોબેલ આર્કાઈવ્ઝમાંથી બહાર આવી છે. ગાંધીજીએ જો કે ૩૦મી સપ્ટેમ્બરે યુદ્ધના સંદર્ભ અંગે લાંબો ખુલાસો આપેલો. જે આ અવતરણ બાબતે ગાંધીજી પોતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે, તેને અવગણીને પણ કુલકર્ણી તેમના મોઢામાં એ શબ્દો ફરી પાછા ઓરી રહ્યા છે.

(૩) નાગરિકતા અંગે ગાંધીના વિચારો બાબતે આટલી અર્થઘટનની કવાયતો કરવાના બદલે એમના પોતાના શબ્દોમાં ટિપ્પણી જોઈતી હોય તો, નવેમ્બર ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં વાઈસરૉય સાથે (ભારતનું બંધારણ ઘડવામાં જે ધ્યાન પર લેવાયો તે) મોતીલાલ નહેરુ રિપોર્ટની ચર્ચા કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે “નાગરિકત્વ બાબતે (ભારત, કૉંગ્રેસ અને તેઓ પોતે) સ્પષ્ટ છે કે તેમાં રેશિયલ ડિસ્ક્રિમિનેશન (વંશીય ભેદભાવ) હોવું જોઈએ જ નહિ.” વધુમાં, કુલકર્ણી જે ‘દિલ્હી ડાયરી’નો આધાર લે છે, તેમાં ૨૪મી ઑક્ટોબરના પ્રવચનમાં ગાંધીજી કહે છેઃ “હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી અને બીજા સૌ સરખી રીતે હિંદ માતાનાં સંતાન છે અને તે સૌને હિંદી રાજ્યના નાગરિકપણાનો સરખો અધિકાર છે. મારા બચપણથી હું આ આદર્શ મારી નજર આગળ રાખીને ચાલતો આવ્યો છું. પરંતુ સ્વતંત્રતાની સિદ્ધિ પછી એ આદર્શ જાણે કે ઓગળી જવા બેઠો છે!”

[સૌજન્યઃ “ધ વાયર વેબસાઈટ”,  અનુવાદઃ આશિષ ઉપેન્દ્ર મહેતા]

E-mail: ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 08-10

Loading

કોરોના વાઇરસઃ મેડિસિન ક્ષેત્રે લાખો ખર્ચાય છે પણ વાઇરસને નાથવો સરળ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 March 2020

આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું.

WHOએ કોરોના વાઇરસને પેન્ડેમિક એટલે કે વૈશ્વિક કટોકટીનાં સ્તરનો રોગ – મહામારી જાહેર કરી દીધો છે. જાહેર સ્થળોએ કાયમ કરતાં થોડી ઓછી ભીડ જોવા મળે છે જો કે જેને ચિંતા છે એ લોકો માસ્ક ચઢાવીને સેનિટાઇઝર વાપરતાં જાય છે અને સતત હાથ ધોતા જાય છે. દેશ હાથ ધોતાં શીખ્યો છે તો આખી દુનિયા નમસ્તે કરતા શીખી ગઇ છે. માળું છીંક, ખાંસી અને તાવ આટલા ડરામણા થઇ જશે એ તો ક્યારે ય નહોતું વિચાર્યું અને માટે જ અધધધ રૂપિયા જેમાં નખાય છે તેવા લાઇફ સાયન્સિઝ, ફાર્મા કંપનીઓનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં સંશોધનો આ વાઇરસની સામે અવાચક થઇ ગયા છે.  જો કે આજથી દસ વર્ષ પહેલાં હેલ્થકેર કે મેડિકલ સાયન્સિઝનાં સંશોધનોમાં જેટલો ખર્ચો થતો હતો તેના કરતાં કંઇ ગણો વધારે આજે થાય છે.

દેશમાં દુનિયામાં શું છે ફાર્માસ્યુટિકલ્સ અને ડ્રગ માર્કેટની સ્થિતિ?

ભારતમાં લાઇફ સાયન્સિઝ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા ત્રણ દાયકામાં આ ક્ષેત્રે સંશોધનો વધ્યાં છે અને નવાં ઉત્પાદનોથી માંડીને પેટન્ટ ફાઇલ કરવામાં પણ વધારો થયો છે. વિદેશમાં પણ આ ક્ષેત્રનો વિસ્તાર થયો છે, જેનું મૂળ કારણ મોટે ભાગે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જ હોય છે. વૈશ્વિક સ્તરે ભારત કુલ માગનાં ૫૦ ટકાથી વધુ વેક્સિન્સ સપ્લાય કરે છે. જનરિક ડ્રગની  વૈશ્વિક માગનાં ૪૦ ટકા યુ.એસ.એ.માં અને યુ.કે.માં ૨૫ ટકા તથા બાકી વિશ્વનો ૨૦ ટકા સપ્લાય ભારતમાંથી થાય છે. ફાઇનાન્શિયલ વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસનો આંકડો ૬.૭ બિલિયન યુ.એસ. ડૉલર્સ રહ્યો. ભારતમાં હેલ્થકેર સેક્ટર સૌથી વધુ ઝડપતી વધી રહેલું ક્ષેત્ર છે અને ૨૦૨૨ સુધીમાં તેનો આંકડો ૧૩૩ બિલિયન યુ.એસ. ડૉલર્સ સુધી પહોંચવાની વકી છે તથા નિકાસનો આંકડો ૨૦૨૦ દરમિયાન ૨૦ બિલિયન યુ.એસ. ડૉલર્સે પહોંચી શકે છે. વળી મેડિકલ ડિવાઇસિઝનું માર્કેટ પણ નાનું નથી અને તે પણ ૨૦૨૦ દરમિયાન ૫૫ બિલિયન યુ.એસ. ડૉલર્સ જેટલું થવાની શક્યતાઓ છે. ધી એસોસિયેશન ઑફ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અનુસાર ૨૦૦૭થી ૨૦૧૬ દરમિયાન ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં અંદાજે ૧.૩૬ ટ્રિલિયન ડૉલર્સનું રોકાણ થયું છે અને ૨૦૨૨ સુધીમાં આ રોકાણ ૧૮૧ બિલિયન ડૉલર્સ થઇ શકે છે. યુ.એસ.એ.માં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ રોકાણ-ખર્ચ કરાય છે અને યુરોપમાં યુ.કે. આમાં અગ્રણી છે. આ આંકડાઓ નેશનલ ટ્રેડને આધારે છે જેમાં અધિકૃત સ્ટેટેસ્ટિક્સ નથી દર્શાવાયા.

કેવા વાઇરસોએ આપણને ડરાવ્યા છે?

વાઇરસ સામે લડવા અનેક સંશોધનો થઇ રહ્યાં છે પણ નવી ડ્રગ બનાવવામાં વર્ષો લાગી શકે છે અને ત્યા સુધીમાં આ મહામારી પોતે જ મરી ગઇ હોય અને કોઇ નવું જોખમ માથે નાચતું હોય. આપણી લડાઇઓ કંઇક આવી રહી છે – ૨૦૦૧માં એન્થ્રેક્સ સામે, ૨૦૦૨માં વેસ્ટ નાઇલ વાઇરસ, ૨૦૦૩માં એસ.એ.આર.એસ., ૨૦૦૫માં બર્ડ ફ્લુ, ૨૦૦૬માં ઇકોલી, ૨૦૦૯માં સ્વાઇન ફ્લુ, ૨૦૧૪માં ઇબોલા, ૨૦૧૬માં ઝિકા, ૨૦૧૮માં નિપા વાઇરસ. દર વખતે દુનિયા હવે પૂરી થઇ જશેનો હાહાકાર હતો, પણ હું અને તમે બંન્ને સાબૂત છીએ અને રહીશું. કોરોના વાઇરસ વિષે તો ૨૦૧૭માં એસ્ટ્રીક કોમિક્સમાં ય વાત હતી જેમાં આ નામનો એક સારથી હતો. કોરોના વાઇરસ તો પહેલેથી હતો જ પણ વુહાનમાંથી આ વાઇરસે પોતાનું જોર બતાડવાની કોઇ નબળી કડી શોધીને પ્રકોપ ફેલાવ્યો. જો કે આ પેન્ડેમિક કરતાં વધુ ગંભીર છે ‘ઇન્ફોડેમિક’ – એટલે કે સદંતર ખોટી માહિતીઓથી ગભરાઇ જવું, એ ફેલાવવી અને સતત માહિતી મેળવીને પછી ડરથી ફફડતા રહેવું. વાઇરસ કરતાં વધુ ઝડપથી આ ખોટી માહિતીઓ અને ડર ફેલાય છે.

અમેરિકા જેવી મહાસત્તા, જ્યાં ફાર્મા તથા લાઇફ સાયન્સિઝમાં સૌથી વધુ રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય છે ત્યાં કોરોના વાઇરસનાં ૧,૨૬૭ કેસિઝ નોંધાઇ ચુક્યા છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં ૩૮ દર્દીઓ કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે. આખા વિશ્વનાં અત્યારના આંકડા પર વાત કરીએ તો કુલ ૧ લાખ ૨૬ હજાર અને ૧૦૦ લોકોમાં આ વાઇરસ જોવા મળ્યો છે અને લગભગ ૪,૬૦૦ જેટલા લોકો તેમાં મૃત્યુ પામ્યા છે. આ લેખ વંચાતો હોય ત્યાં સુધીમાં આ આંકડામાં વધારો ન થયો હોય તેની પ્રાર્થના જ અત્યારે તો કરવી પડે તેમ છે.

અઢળક રૂપિયા ખર્ચાતા હોવા છતાં છેલ્લા દસ વર્ષમાં આપણે જાતભાતનાં વાઇરસનાં જોખમો વેઠ્યાં છે. અત્યારે પણ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાઇરસ – કોવિડ-૧૯ની દવા શોધવા માટે જાત ભાતની ડ્રગ્ઝ પર પ્રયોગો વિશ્વભરમાં થઇ રહ્યાં છે. આ વાઇરસ સિઝનલ ફ્લુ કરતાં ૧૦ ગણો જોખમી છે તેવું વિધાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝનાં ડિરેક્ટરે તાજેતરમાં કર્યું હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ તો આ સુક્ષ્મ વાઇરસ આજે આધુનિકતાનાં નવા આયામો સર કરનારી માનવજાત સામેનાં સૌથી મોટાં જોખમો છે. અગણિત સંશોધન પછી પણ આધુનિક મેડિસિનની મદદથી આપણે હજી સુધી માત્ર એક જ વાઇરસને સંપૂર્ણપણે દૂર કરી ચૂક્યા છે અને તે છે સ્મોલપૉક્સ જેને માટે પણ દાયકા સુધીના વેક્સિનેશનની જરૂર પડી હતી.

અત્યારે જે વાઇરસ વિશ્વને ભરડામાં લઇ રહ્યો છે તે કઇ રીતે માણસનાં શરીર પર હુમલો કરે છે તે સંશોધકોએ સમજી લીધું છે અને તેને નજીક આવતો રોકવાના રસ્તા પણ તેઓ શોધી શક્યા છે. પરંતુ આ વાઇરસ અંગે થઇ રહેલા રિસર્ચની મદદથી તેના વિસ્તારને આપણે એકદમથી રોકી શકીશું કે કેમ?

વાઇરસ સામેની લડાઇ અઘરી કેમ?

વાઇરસ બહુ જ વિચિત્ર જીવાણુ હોય છે જે જરાક અમસ્તા અણુ-પરમાણુનો ઉપયોગ કરીને મનફાવે તેવા આકારમાં એક સાથે ગોઠવાઇ જાય છે અને સહેજ અમસ્તી હલન-ચલનની મોકળાશ મળે તો તે આખા તંત્રને – ઇકોસિસ્ટમને હચમચાવી શકે છે. હવા, પાણી, જમીન અને નાનકડાં છાંટામાં તે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી શકે છે, તેમનામાં ફેરફાર પણ બહુ જ ઝડપથી આવે છે. આ વાઇરસ આકાશથી માંડીને દરિયાના તળ સુધી ક્યાં ય પણ હોઇ શકે છે. વાઇરસિઝ તો બીજા જીવાણુઓને ય માંદા પાડી શકે છે પણ તે એટલા સરળતાથી બંધારણનું રૂપ લેતા હોય છે કે વૈજ્ઞાનિકો તેમને સજીવ તરીકે ગણવાનું ય જરૂરી નથી માનતા. તમે માનશો કે કોવિડ-૧૯ની પાછળ જે એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ વાઇરસ રહેલો છે તેનું કદ માત્ર ૧૨૦ નેનોમિટર્સ છે અને માનવ શરીરનાં રક્તકણ આનાથી ૬૪ ગણા મોટા હોય છે. માણસનાં શરીરને ૨૦,૦૦૦ પ્રકારનાં પ્રોટીનની જરૂર હોય છે, આ એસ.એ.આર.એસ.-સી.ઓ.વી.-૨ માત્ર ૩૩ પ્રકારનાં પ્રોટીન વાપરે છે પણ માણસનાં નાકમાં દમ કરી શકે છે અને જીવ સુદ્ધાં લઇ શકે છે.

બેક્ટેરિયા અને વાઇરસમાં શું ફેર?

બેક્ટેરિયા અને વાઇરસમાં એક બહુ મોટો તફાવત હોવાથી તેમની સામેનાં યુદ્ધ પણ અલગ હોય છે. જેમ કે, બેક્ટેરિયામાં જે અણુઓ હોય તે અંદર બનતા રહે અને તેને કારણે જ બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે ટકી નથી શકતા, આ અણુઓ બેક્ટેરિયાને નબળા બનાવે છે, માનવ કોષને નહીં. પરંતુ એન્ટિબાયોટિક્સ વાઇરસિઝ પર અસર નથી કરતી કારણ કે વાઇરસ પોતાના જેવા બીજા વાઇરસ ઉત્પન્ન નથી કરતાં બલકે તેઓ માનવીય કોષો પર હુમલો કરે છે અને પોતાના યજમાન કોષનો જ ઉપયોગ કરીને પોતાના જેવા બીજા ક્લૉન્સ પેદા કરે છે માનવ કોષમાં વાઇરસની નકલ પેદા થતી રહે છે અને એ કારણે તે માટેની દવા શોધવી મુશ્કેલ બને છે. પ્રાણીજન્ય વાઇરસની દવા શોધવી તો બહુ જ મુશ્કેલ છે, એક સમયે ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ, મેલેરિયામાં ગામો ઉજ્જડ થઇ જતાં પણ આ તમામ પણ સમયાંતરે નાબૂદ થયાં, ઓછા થયાં કે પછી તેમની દવાઓ શોધાઇ. આ અંગેની દવાઓ કે વેક્સિન શોધવામાં પણ વર્ષો પસાર થયા હતાં અને કેટલાકને જડથી નાબૂદ કરે તેવી દવાઓ આજે પણ ઉપલબ્ધ નથી.

હાલમાં વાઇરસ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે સંશોધકો બે જ રસ્તા અપનાવે છે. કાં તો તેઓ વાઇરસથી થતા નુકસાનને ધીમું પાડે છે અને શરીરની પ્રતિકારક શક્તિને ઝડપી તથા મજબૂત બનાવે છે. એન્ટિવાઇરલ ડ્રગ્ઝ પણ એક રસ્તો છે જેનાથી વાઇરસની પ્રજોત્પત્તિ માનવીય કોષોને નુકસાન ન થાય તે રીતે અટકાવી શકાય છે. 

જો કે વાઇરસને નાથવાનો સૌથી અસરકારક રસ્તો છે ઇન્ફેકશન્સ અટકાવવું અને તે ક્વૉરેન્ટાઇન્સ અને સામાજિક અંતરો વધારવાથી જ થઇ શકે છે, અને હા વીસ સેકન્ડ સુધી હાથ ધોતા રહેવાથી પણ!

બાય ધી વેઃ 

જેમ જેમ માણસો વધુ આધુનિક સંશોધનોમાં સિદ્ધિ મેળવતા જાય છે તેમ તેમ કુદરત વધુ સંકુલ સમસ્યાઓ ખડી કરીને જાણે આખા ચક્રને સંતુલિત કરવાનો પ્રયત્ન કરતી હોય એમ લાગે છે. લાંબા લેખમાં વિજ્ઞાનની વાત કર્યા પછી પણ મને એમ કહેવું યોગ્ય લાગે છે કે અંતે તો કુદરત માણસને વખત આવ્યે તેનું સ્થાન બતાડી જ દે છે, કે ભાઇ તારે જેટલા ફાંકા રાખવા હોય એ રાખ પણ એક નહીં દેખાતા વાઇરસથી હું તને ડરને માર્યે ધ્રુજાવી શકું છું. જો આપણે તો ભારતમાં રહીએ છીએ. ગંદકી અને ઉકરડાની આપણને ટેવ છે એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘણી મજબૂત છે. ૨૦૦૩માં એસ.એ.આર.એસ. ૨૯ દેશોમાં હતો અને ૧,૦૦૦ જણા મૃત્યુ પામ્યા હતા જ્યારે આપણે ત્યાં ૩ મૃત્યુ થયા હતા. વુહાનમાંથી ભારત લવાયેલા ૩૨૭ જણાને કોઇ ઇન્ફેક્શન નહોતું. અમેરિકામાં ૨૦૧૦થી ગયા વર્ષ સુધીમાં ફ્લુને કારણે વર્ષે લગભગ ૩,૭૪૪ લોકો મૃત્યુ પામ્યા છે અને આપણે ત્યાં દસ વર્ષમાં આ આંકડો ૧,૧૦૩ છે, આ સાબિતી છે કે આપણે અન્ય દેશોની સરખામણીએ મજબૂત છીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2020

Loading

...102030...2,5112,5122,5132,514...2,5202,5302,540...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved