Opinion Magazine
Number of visits: 9575845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્કૃતિસંઘર્ષ : લેટ્‌સ યુનાઇટ ઍન્ડ ફાઇટ

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|17 March 2020

ઘણી વાર બહુ લાંબા સમયે કોઈ આંદોલનનાં સારાં-સાર્થક પરિણામ જોવા મળતાં હોય છે.  ગુજરાતી સાહિત્ય પરિષદે પહેલી માર્ચ, ૨૦૨૦ના દિવસે યોજેલું સ્વાયત્તતા-સંમેલન એ રીતે સ્વાયત્તતાની દિશાનું એક નવું પ્રસ્થાન છે. હારજિત, સફળતા-વિફળતા, આગેકૂચ-પીછેહઠ, સાથીદારોની ગઠજોડ : આ બધાં સત્તાની રાજનીતિનાં ગણિત છે. કલાની પ્રકૃતિ અલગ છે. અહીં સ્પષ્ટ પક્ષો, પક્ષોની અંદરનાં પેટા જૂથો, વિચારધારાઓ, વિચારધારાઓમાં છુપાયેલી વિચારધારાઓ, તક્કાવાર પંચાયતથી શરૂ કરી દિલ્લી સુધી કોઈ પણ રસ્તે સત્તા સુધી પહોંચવાની રણનીતિ કે કાર્યકર્તાઓનું પિરામિડતંત્ર નથી હોતું કે નથી હોતી ત્યાં હોય છે એવી ઉચ્ચાવચતા. અહીં એક નવો આવેલો કવિ મૂર્ધન્ય કવિને સવાલ પૂછી શકે કે વિવાદ કરી શકે એટલી સ્વતંત્રતા અને સ્વાયત્તતા હોય છે. એ બદલ એની પક્ષમાંથી થાય એવી સાહિત્યમાંથી હકાલપટ્ટી નથી થતી કે નથી એની વિરુદ્ધ શિસ્તભંગનાં પગલાં લેવાતાં. અહીં માત્ર બાહ્ય નહીં પણ આંતરિક લોકતંત્ર-સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતા પણ છે. આ પ્રકૃતિ છે સાહિત્યની.

મને વારે વારે સાહિત્યના ઇતિહાસમાં ડોકિયું કરવાની ટેવ હતી જે અકાદમીની સ્વાયત્તતાના આ આંદોલને વધુ દૃઢ બનાવી. વધુ દૂર નહીં જ્યાંથી અર્વાચીન કવિ નર્મદ આવે છે ત્યાં ઊભા રહીને જોઈએ તો નર્મદના અર્વાચીન નવા વિચારો દલપતરામના વિચારો સાથે સંઘર્ષમાં આવે છે, પણ એ એકમેકને નેસ્તનાબૂદ કરવાની નેમથી નહીં, નવી ક્ષિતિજો ખોલવા આવે છે. નર્મદ કંઈ દલપત મુક્ત ગુજરાતી સાહિત્યનો નારો નથી આપતા, કે ત્યાર પછી આ ગુજરાતી સાહિત્ય પરિષદને વધુ સ્વતંત્ર કે સ્વાયત્ત બનાવવા નવી પેઢીના ઉમાશંકર-નિરંજન જેવા કવિઓ કનૈયાલાલ માણેકલાલ મુનશીની સામે ઊભા થાય છે તો એ મિટાવવાની વૃત્તિ સાથે નહીં, નવું ઘડવાની જ અપેક્ષા સાથે. તમે જુઓ કે સુ.જો., ઉ.જો. જેવી બે વિરોધી દેખાતી સાહિત્ય-શાળાઓએ ગુજરાતી સાહિત્યને કેવું માતબર કર્યું છે? અમદાવાદથી લઈ વડોદરા-મુંબઈ અને દરિયાપાર સુધી ગુજરાતી ભાષા-સાહિત્યની ગરિમા પ્રસરાવવાનું કામ આ બંને પરંપરા કરી જાય છે.

મારે અહીં ૧૯૫૭માં મહાગુજરાત વખતે ઉમાશંકર અને જયન્તિ દલાલ વચ્ચે થયેલા વૈચારિક સંઘર્ષની વાત પણ કરવી જોઈએ. આપને થશે કે સ્વાયત્તતા, અને એમાં ય અકાદમીની સ્વાયત્તતાની ચર્ચામાં આ ઇતિહાસ કેમ ખોલું છું? એનું કારણ માત્ર એટલું જ કે મારે સત્તાની  વૃત્તિ અને સાહિત્યની પ્રકૃતિ વચ્ચેના અંતરને સમજવું-સમજાવવું છે. આપણે ‘સહિત’ની ભાવનામાં દૃઢ શ્રદ્ધા રાખતી પ્રજાતિ છીએ ને રાજસત્તાની વૃત્તિ જ વિખંડન-વિભાજનના ઘાતક વિચાર પર ચાલે છે. આજનાં સાહિત્યકાર ભાઈઓ-બહેનોએ આ સમજવું પડશે. પરિષદ સાથે જોડાયેલા સાહિત્યકારોએ પરિષદના ઇતિહાસ અને એની સ્થાપના પાછળની ભાવનાને ખાસ સમજવી પડશે. રણજિતરામ વાવાભાઈને સહેજેય પ્રાપ્ત નહોતું કરવું પણ ઘણું બધું આપવું હતું, એટલે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવો વિચાર સાકાર કર્યો. એ મહાપુરુષ તો યુવાવયે ચાલ્યા ગયા. એમણે અમર છાપ છોડી. એટલે જ તો આજે પણ રણજિતરામ ચંદ્રકનું તેજ ઝાંખું પડતું નથી.

આપણો સરકારે છીનવી લીધેલી અકાદમી પાછી સ્વાયત્ત સ્વરૂપે મેળવવાનો સંઘર્ષ એ કોઈ સત્તાસંઘર્ષ નથી, પણ સંસ્કૃતિસંઘર્ષ છે. સાહિત્યની સંસ્થાઓ પ્રજાનું અભયારણ્ય છે, સત્તાના કિલ્લા એને પોતાની આણ તળે લાવવા કે ત્યાં ઝંડા ફરકાવવા આગેકૂચ કરે, તો આપણે લડવું પડે. એમ નહીં કરીએ તો સાહિત્ય મનુષ્યનો સ્વર નહીં પણ સત્તાના પ્રચાર-પ્રસારની ડુગડુગી બની જશે. આ થયું સાહિત્ય અને સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માંગવાનું ઔચિત્ય.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રની અધ્યક્ષતામાં યોજાયેલ ૧ માર્ચના સ્વાયત્તતા-સંમેલનમાં ભલે કોઈ મોટો સાહિત્યકાર સમૂહ ન દેખાયો હોય, ભલે એમાં ઉત્સાહનું મોટું પૂર ઉમટેલું ન દેખાયું  હોય, ભલે એમાં કોઈ નક્કર ઠરાવ ન થયો હોય, પણ જે દેખાયું છે તે અલભ્ય, અમૂલ્ય અને દિશાસૂચક છે. આપણે જે સાહિત્યકારોએ અકાદમીની સ્વાયત્તતા માટે માંગ કરી, એની સૂચિ જોઈએ અને એને ટેકો આપનાર સાહિત્યકારોની સાહિત્યિક સ્વીકૃતિ જોઈએ, તો એનું મહત્ત્વ સમજાશે. સિતાંશુભાઈ, રઘુવીરભાઈ, ટોપીવાળા, કુમારપાળ, શિરીષ પંચાલ, હરિકૃષ્ણ પાઠક, અનિલા દલાલ, રમણ સોની, વિનાયક રાવલ, સંધ્યાબહેન ભટ્ટ, પરેશ નાયક, જયદેવ શુક્લ, ભરત મહેતા, સમીર ભટ્ટ, મુંબઈથી આવેલાં સેજલ શાહ અને હેમની શાહ બધાં નામ સ્થાનસંકોચને કારણે નથી નોંધતો. પણ જે મિત્રોએ સભા સંબોધી, એમાં અકાદમીની સ્વાયત્તતા માટે સીધાં સચોટ અને કારગત કદમ ભરવાની વાત હતી. ધીરુભાઈ પરીખ કે ધીરુબહેન પટેલના સંદેશાનું પણ આગવું મહત્ત્વ છે. રાજકોટ અને અન્ય સ્થાનેથી પણ  સાહિત્યકારો આવ્યા કે એમનાં સમર્થન – સંદેશ પરિષદ પ્રમુખ સિતાંશુભાઈને મળ્યા. આમ, ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ બધા છેડા જોડાઈ રહ્યા છે. ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ પણ એક સૂત્રે સંકળાઈ રહી છે.

ગૂજરાત વિદ્યાપીઠ તથા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હાજરી એક નવું વિસ્તરણ હતું. રઘુવીરભાઈ જો એમ કહે કે ‘આપણે ઉમાશંકરના જન્મદિવસની ઉજવણી સ્વાયત્તતા-દિન તરીકે કરીશું.’ તો એમના એ કથનમાં અકાદમીની સ્વાયત્તતા ઉપરાંત શિક્ષણની સ્વાયત્તતા માટેની પણ ઊંડી માંગ પડેલી છે, જેને સરકાર નજરઅંદાજ નહીં કરી શકે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અકાદમીની સ્વાયત્તતા માટે પોતાના તરફથી પ્રયાસ કરવા તત્પર થયા છે, તેનો સંદેશ મળ્યો. જો કે આપણે એ સ્પષ્ટતા સાથે આગળ વધ્યા છીએ કે સ્વાયત્તતા-આંદોલન પક્ષ-પંથ નિરપેક્ષ છે.

આમ, અકાદમીની સ્વાયત્તતા અંગે નાનામોટા કેટલાક સાહિત્યકારોમાં આરંભે જે થોડી અવઢવ હતી તે નથી અને જે થોડી છે તે દૂર થશે. હવે પરિષદમાં સ્વાયત્તતા-આંદોલન માટે એક વિધિવત્‌ પગલા સમિતિની  રચના પરિષદ પ્રમુખ સિતાંશુભાઈ કરશે. એનો અર્થ સરકાર પક્ષે જો સમજવો હોય તો એ થયો કે જેમ સરકાર કોઈ કટોકટીને નિવારવા વૉરરૂમ રચે છે, તેવો એક વૉરરૂમ કહો કે ‘સ્વાયત્તતા સેલ’ પરિષદમાં ખૂલશે. આ આંદોલન આરંભાયું ત્યારથી એમાં ગુજરાતભરના નાનાં-મોટાં સહુ સાહિત્યકારો-રસિકો તો જોડાયેલાં હતાં જ. પ્રકાશ ન.શાહ, બારીન મહેતા, મનીષી જાની, સરૂપ ધ્રુવ, સ્વાતિ જોશી, ભરત મહેતા, કિરીટ દુધાત, રમેશ દવે, ભારતી દવે, આ સહુ નિરંજન ભગત તથા અન્ય વડીલોની નિશ્રામાં કાર્યરત હતાં જ. અને એ પણ હકીકત છે કે સરકાર પક્ષે પાંચ વર્ષ મચક નથી આપી, અકાદમી પુરસ્કાર કે કાર્યક્રમોમાં ઘણા સાહિત્યકારો ગયાં જ છે. પણ અંગત રીતે એ સ્વાયત્તતામાં માનતા જ રહ્યા છે. આ સ્થિતિ અવઢવની છે જ એમ સ્વીકારી આપણે આગળ વધીએ. પણ સાથોસાથ એક જે તથ્ય સરકારે સમજવાનું છે તે એ છે કે હવે માત્ર બહારવટિયા જ નથી લડતા, એમાં સમાજનાં અગ્રણી અને નગરજનો પણ સામેલ થયાં છે. બીજી રીતે, આ સંમેલન એમ પણ કહે છે કે સરકારની ડિવાઇડ ઍન્ડ રૂલની કૂટનીતિ વિફળ રહી છે. માટે, લેટ્‌સ યુનાઇટ ઍન્ડ ફાઈટ.

ભોપાલ, 08 માર્ચ 2020

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 14-15

Loading

વિત્તીય પ્રથાનો પનોતીકાળ

રમેશ બી. શાહ|Opinion - Opinion|16 March 2020

જ્યોતિષશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો દેશની વિત્તીય પ્રથાનો પનોતીકાળ ચાલી રહ્યો છે. બૅંકોની મુખ્યત્વે સરકારી બૅંકોની નોન-પર્ફોમિંગ એસેટ્‌સ (NPAs) નામે ઓળખાતી ખરાબ લોનોની સમસ્યાથી તેનો આરંભ થયો. એ પછી પંજાબ નૅશનલ બૅંકનું કૌભાંડ બહાર આવ્યું એ પ્રશ્ન ચાલતો હતો એ દરમિયાન જેને નોન બૅંન્કિંગ ફાઈનાન્સિયલ સૅક્ટર તરીકે ઓળખવામાં આવે છે તે વિભાગની બે મોટી કંપનીઓએ નાદારી નોંધાવી. એ પ્રશ્ન નાદારી અંગેની કાનૂની પ્રોસિજરમાં ચાલી રહ્યો છે ત્યાં પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બૅંકે નિષ્ફળતા નોંધાવી અને ખાતેદારોના ઉપાડ પર મર્યાદા મૂકાઈ. પોતાની બધી બચત એ બૅંકમાં થાપણરૂપે મૂકનાર કેટલાક થાપણદારો એ આઘાત જીરવી ન શક્યા અને મૃત્યુ પામ્યા. હવે ખાનગી ક્ષેત્રની પાંચમા નંબરની યસ બૅંકનો વારો આવ્યો. અલબત્ત, તેને સ્ટેટ બૅંકના હવાલે કરીને ઉગારી લેવામાં આવી છે. તેની સ્ટેટ બૅંકને જે કિંમત ચુકવવાની થાય તે પ્રત્યક્ષ રીતે સ્ટેટ બૅંક ભોગવશે પણ સ્ટેટ બૅંક સરકારની માલિકીની હોઈ છેવટે નાગરિકો જ એ કિંમત ચુકવશે.

દેશની વિત્તીય પ્રથાનો આ પનોતીકાળ ૨૦૧૨થી શરૂ થયો છે એમ કહી શકાય. એ વર્ષના ડિસેમ્બરમાં સરકારી બૅંકોની ખરાબ લોનો રૂ. ૧.૫૭ લાખ કરોડની હતી જે તેમની કુલ લોનોના ચાર ટકા જેટલી હતી. ૨૦૧૬ના ડિસેમ્બરમાં એ આંકડો વધીને રૂ. ૬.૧૪ લાખ કરોડ પર પહોંચ્યો હતો. બૅંકોના કુલ ધિરાણોમાં ખરાબ લોનોનું પ્રમાણ ૧૧ ટકા પર પહોંચ્યું હતું. આ પ્રશ્નને વિત્તીય પ્રશ્નરૂપે જોવાને બદલે તેને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું. એની શરૂઆત યુ.પી.એ.ના શાસનમાં થઈ છે એમ કહીને મોદી સરકારે જવાબદારી કૉંગ્રેસના માથે નાખી અને એ હકીકત પરત્વે આંખ આડા કાન કરવામાં આવ્યા કે મોદી સરકારના શાસનમાં ખરાબ લોનોનું પ્રમાણ વધીને લગભગ ચાર ગણું થયું છે. વિત્તીય ક્ષેત્રની આ સમસ્યાને રાજકીય સ્વરૂપ આપવામાં આવે છે તેમાં એ અભિપ્રેત હોય છે કે તે રાજકારણીઓ પ્રેરિત કૌભાંડોનું પરિણામ છે અને લોકો પણ સહજ રીતે એ માની લે છે કે શાસકોને સાંકળતાં કૌભાંડો તેને માટે જવાબદારી છે.

એ ભૂલી જવામાં આવે છે કે બૅંકોનું સરકારીકરણ ખરાબ લોનોનો પ્રશ્ન ૨૦૧૨માં ઊભો થયો ત્યારે ચાર દસકા જૂની ઘટના હતી. ભારતમાં ૧૯૫૦ પહેલાંનો બૅંકોનો ઇતિહાસ અનેક બૅંકોની નિષ્ફળતાથી ભરેલો છે. દૂરના ભૂતકાળમાં જવાની પણ જરૂર નથી. અમેરિકાની ૨૦૦૮ની વિત્તીય કટોકટી નજીકના જ ભૂતકાળમાં ઘટેલી ઘટના છે. અમેરિકામાં બૅંકો ખાનગી માલિકીની જ છે. અને તે સરકારી નિયંત્રણોથી મુક્ત છે. તેથી શાસકો પ્રેરિત કૌભાંડોથી પણ સર્વથા મુક્ત છે, છતાં ત્યાં સરકારને સાતસો જેટલી બૅંકોને સરકારે મૂડીની સહાય પૂરી પાડીને કટોકટીમાંથી બહાર કાઢવી પડી હતી. (અમેરિકામાં આપણા દેશ જેવી શાખાઓ ધરાવતી બૅંકોની પ્રથા ન હોવાથી બૅંકોની સંખ્યા ઘણી મોટી છે.) એ પૂર્વે ૧૯૯૭-૯૮ના વર્ષમાં પૂર્વે એશિયાના કેટલાક દેશોમાં બૅંકોની કટોકટી સર્જાઈ હતી. મુદ્દો એ છે કે દેશની બૅંકો સહિતની વિત્તીય પ્રથામાં કટોકટી કે પ્રશ્નો ઊભા થવા માટે કૌભાંડ સિવાયનાં કારણો પણ હોઈ શકે. વળી, બૅંકો અને તે સિવાયની વિત્તીય સંસ્થાઓ ખાનગી માલિકીની હોય તો પણ કટોકટી સર્જાઈ શકે.

દેશમાં બૅંકો અને ઈત્તર વિત્તીય સંસ્થાઓમાં જે ખરાબ લોનો અને તેમાંથી ઉદ્‌ભવતા જે પ્રશ્નો ઊભા થયા છે તેનાં મૂળમાં ૨૦૦૩થી ૨૦૧૧ સુધીનાં વર્ષોમાં જે અસામાન્ય તેજીની સ્થિતિ સર્જાઈ હતી તે રહેલી છે. એ વર્ષોમાં, ખાસ કરીને ૨૦૦૪-૦૫થી ૨૦૦૮-૦૯નાં વર્ષોમાં જી.ડી.પી.નો વાર્ષિક વૃદ્ધિદર લગભગ નવ ટકા જેટલો હતો અને ૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪નાં વર્ષોમાં તે લગભગ સાડાસાત ટકા હતો. મૂડીરોકાણો ૩૫-૩૬ ટકા જેટલાં હતા અને દેશની નિકાસો ૧૮થી ૨૨ ટકાના દરે વધી હતી. આ અસામાન્ય તેજીના વાતાવરણમાં ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો આશાવાદી બનીને મોટા પ્રોજેક્ટ બૅંકો પાસેથી લોનો લઈને હાથ ધરે અને બૅંકોને તેમાં ઝાઝું જોખમ લાગે નહીં તેથી લોનો આપે તે સહજ છે પણ દેશના અર્થતંત્રમાં એ અસાધારણ તેજી પછી મંદી ન આવી હોવા છતાં સાપેક્ષ રીતે સ્લો ડાઉનની સ્થિતિ સર્જાઈ. હાથ ધરાયેલા કેટલાક પ્રોજેક્ટ એક યા બીજા કારણે પૂરા ન કરી શકાયા અને તેથી મૂડીરોકાણોમાં ઘટાડો થયો. કેટલાંક વર્ષોથી મૂડીરોકાણો ૩૦ ટકા કે તેનાથી ઓછાં થાય છે. ૨૦૧૩ પછી નિકાસો લગભગ સ્થગિત અવસ્થા આવી ગઈ છે. આમ છતાં, મોદી સરકારે ૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮નાં વર્ષોમાં જી.ડી.પી.ની વૃદ્ધિ સાડાસાત ટકાના દરે થઈ રહી હોવાના આંકડા પ્રગટ કર્યા. પણ પાઘડીનો વળ છેડે આવ્યો હોય તેમ છેલ્લા ત્રણેક ક્વાર્ટરથી જી.ડી.પી.નો વૃદ્ધિદર પાંચ ટકાથી નીચે ચાલ્યો ગયો છે. આ સ્થિતિમાં જે આશાવાદી ગણતરીઓથી લોનો અપાઈ હોય અને લેવાઈ હોય તે ફળીભૂત ન થાય અને લોનોની ચુકવણીનો પ્રશ્ન ઊભો થાય તે સહજ છે. આ એક સાર્વત્રિક અને સામાન્ય ઘટના છે.

સરકારી બૅંકોનું ખાનગીકરણ કરવાની હિમાયત બજારવાદી અર્થશાસ્ત્રીઓ કરતા રહે છે. આ સૂચનના ગુણદોષની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે. પણ મોટા ભાગની બૅંકો સરકારી છે તેમાંથી ઉદ્‌ભવેલા લાભનો ટૂંકમાં નિર્દેશ કરીને આ ચર્ચા પૂરી કરીશું. એક, બૅંકોની ખરાબ લોનોનો પ્રશ્ન હોવા છતાં બૅંકો સરકારી હોવાથી લોકોનો વિશ્વાસ ટકી રહ્યો. તેમાંની કેટલીક બૅંકોની ખરાબ લોનોનું પ્રમાણ ૧૮ ટકા જેટલું મોટું હોવા છતાં લોકોએ પોતાની થાપણો ઉપાડી લેવા માટે જે તે બૅંક પર દરોડા ન પાડ્યા. અલબત્ત, લોકોને સરકારી બૅંકો પર જે વિશ્વાસ છે તેનો કોઈ કાનૂની આધાર નથી. બીજું, સબસિડીના વિકલ્પે લાભાર્થીને એના ખાતામાં સીધી ચુકવણી કરવાની જે હિમાયત કરવામાં આવે છે અને કેટલાક દાખલાઓમાં એવી જે ચૂકવણી કરવામાં આવે છે તે બૅંકોના રાષ્ટ્રીયકરણ વિના શક્ય ન બન્યું હોત. બૅંકોનું રાષ્ટ્રીયકરણ થવાથી દેશના ગ્રામવિસ્તારોમાં બૅંકોની સવલત પ્રાપ્ય બની છે.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 04

Loading

નફાનું ખાનગીકરણ અને ખોટનું સામાજિકીકરણ!

કેયૂર કોટક|Opinion - Opinion|16 March 2020

કોઈ પણ દેશની સરકારને એક સંસ્થા ગણવામાં આવે છે. એક આર્થિક પરિપ્રેક્ષ્યમાં એક કલ્યાણકારક સંસ્થા કે રાજ્યનો ઉદ્દેશ શો ? નફાનું સામાજિકીકરણ કરવું અને સમાજના વધુને વધુ લોકો સુધી નફાનો લાભ પહોંચાડવો. જો આ સાચું હોય તો સરકારે નફો કરતા હોય એવાં સાહસોને પ્રોત્સાહન આપવું જોઈએ. એમાંથી જે આવક થાય તેનો ઉપયોગ સરકારે સમાજ માટે કલ્યાણકારક યોજનાઓમાં કરવો જોઈએ. અંગ્રેજીમાં તેને Socialism of Profit કહે છે. હવે, અર્થતંત્રનો એક સામાન્ય નિયમ છે : જે કંપની ખોટ કરતી હોય અને નફો કરવાની શક્યતા ન હોય એને બંધ કરવી તથા નફો કરતી હોય એવી કંપનીઓને પ્રોત્સાહન આપવું. અહીં પ્રશ્ર એ થાય છે કે જો કોઈ જાહેર સાહસ નબળું પડી ગયું હોય અથવા ખોટ કરતું હોય તો શું કરવું? જવાબ સરળ છે. એમાંથી આવક થવાની સંભાવના હોય તો, સરકારે એના કેટલાક હિસ્સાનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવું અને એનું સંચાલન કરવાની જવાબદારી એ કંપનીને સોંપવી. હવે આ દૃષ્ટિએ સરકારની હાલની કામગીરીનો વિચાર કરીએ.

અત્યારે દેશમાં બે મુદ્દા ચર્ચાસ્પદ બન્યાં છે. એક, થાપણદારો માટે ‘નો બૅંક’ બની ગયેલી યસ બૅંકનો ગાળિયો સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયાનાં ગળામાં પહેરાવાયો તે. અને બીજો, વર્ષે દહાડે આશરે રૂ. ૭,૦૦૦ કરોડથી વધારે નફો કરતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બી.પી.સી.એલ.)ના હિસ્સાનું ખાનગી કંપનીને વેચાણ કરવું. એટલે ખોટ કરતી કંપનીનો સરકારી સાહસમાં વિલય કરવો અને નફો કરતી સરકારી કંપનીનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવું! (આને કલ્યાણ રાજ્ય સાથે કોઈ સંબંધ?)

પહેલા વાત યસ બૅંકની કરીએ. અત્યારે ‘ગોદી મીડિયા’માં ન્યૂઝ એન્કર્સ સરકારે યસ બૅંકના પ્રમોટર રાણા કપૂરને પકડીને જાણે અભૂતપૂર્વને ઐતિહાસિક કામગીરી કરી હોય એવી રીતે રજૂઆત કરે છે. આ એન્કરો સરકારે કડક કામગીરી કરી છે એવું દર્શકોનાં મનમાં ઠસાવવા માટે હાસ્યાસ્પદ લાગે એવી રીતે રજૂઆતો પણ કરી રહ્યાં છે. જાણે કે કેન્દ્ર સરકારે યોગ્ય સમયે ઉચિત કાર્યવાહી કરી હોવાના ઉધામા કરી રહ્યાં હોય એવું ચિત્ર ઉપસે છે. આ ‘ગોદી-બોદી-લોદી’ ચેનલોએ નાણાં મંત્રીની પત્રકાર પરિષદનું જીવંત પ્રસારણ કર્યું હતું. આ પરિષદમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જે જાહેરાતો કરી એના મુખ્ય મુદ્દા :

• યસ બૅંકમાં શું ખોટું થયું છે અને એમાં વ્યક્તિગત સ્તરે જવાબદારી નક્કી થવી જોઈએ.

• યસ બૅંકની કામગીરી પર વર્ષ ૨૦૧૭થી નિયમિતપણે નજર રાખવામાં આવતી હતી.

• યસ બૅંકે અનિલ અંબાણી, એસ્સેલ ગ્રૂપ, ડી.એચ.એફ.એલ., વોડાફોન જેવી કંપનીઓને લોન આપી હતી, જે ડિફોલ્ટ જાહેર થયા છે. પણ આ તમામ લોન યુ.પી.એ. સત્તામાં હતી ત્યારે આપવામાં આવી હતી.

• યસ બૅંક રોકાણ મેળવવા માટે પ્રયાસો કર્યા, પણ કોઈ રોકાણકાર સંસ્થા યસ બૅંકમાં રોકાણ કરવા તૈયાર નથી.

ટૂંકમાં, નાણાં મંત્રીએ યસ બૅંક બિનકાર્યક્ષમ અસ્કયામત (એન.પી.એ.) હેઠળ દબાઈ ગઈ એનાં દોષનો ટોપલો યુ.પી.એ. સરકાર પર ઢોળ્યો. જો કે કોમનસેન્સ ધરાવતા નાગરિકને નાણાં મંત્રીની વાતની નવાઈ ન  લાગવી જોઈએ. જ્યારથી એન.ડી.એ. સરકાર બની છે, ત્યારથી એણે દેશમાં કોઈ પણ પ્રકારની અરાજકતા અને અવ્યવસ્થા માટે યુ.પી.એ. સરકારને જ જવાબદાર ઠેરવી છે. પણ નાણાં મંત્રીના આ દાવાઓ પર એક સમજદાર નાગરિક તરીકે થોડાં પ્રશ્રો આપણે આપણી જાતને પૂછીએ અને એના જવાબો પણ આંકડા સાથે આપણે મેળવીએ.

• વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એન.ડી.એ. સરકાર સત્તામાં આવી હતી. એ સમયે યસ બૅંકની લોન બુક કેટલી હતી?

જવાબ છે – વર્ષ ૨૦૧૪માં યસ બૅંકે કુલ રૂ. ૫૫,૦૦૦ કરોડની લોન આપી હતી.

• વર્ષ ૨૦૧૪ પછી યસ બેંકની લોનમાં કેટલો વધારો થયો?

એનો જવાબ છે – યસ બૅંકની લોન વર્ષ ૨૦૧૫માં વધીને રૂ. ૭૫,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૬માં રૂ. ૯૮,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૭માં રૂ. ૧, ૩૨,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૮માં ૨,૦૩,૦૦૦ કરોડ અને વર્ષ ૨૦૧૯માં ૨,૧૪,૦૦૦ કરોડ.

• નાણાં મંત્રીએ દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૭થી રિઝર્વ બૅંક યસ બૅંકની કામગીરી પર નિયમિતપણે નજર રાખતી હતી.

તો વર્ષ ૨૦૧૭ પછી યસ બૅંકની લોન બુકમાં કેટલો વધારો થયો?

એનો જવાબ છે – માર્ચ, ૨૦૧૭થી ૩૧ માર્ચ, ૨૦૧૯ વચ્ચે યસ બૅંકનાં કુલ ઋણમાં ૮૦ ટકાનો વધારો થયો. એટલે વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૧૯ વચ્ચે યસ બૅંકે લોન સ્વરૂપે કરેલી લહાણી રૂ. ૧,૩૨,૦૦૦ કરોડથી વધીને રૂ. ૨,૪૧,૦૦૦ કરોડ થઈ ગઈ.

આ સમયગાળા દરમિયાન નોટબંધી જેવા તઘલખી નિર્ણય તથા જી.એસ.ટી.નાં ઉતાવળિયા અને ઢંગધડા વિનાનાં અમલને કારણે અર્થતંત્રની ગાડી પાટાં પરથી ઊતરી ગઈ હતી, લોનની માંગ અસાધારણ રીતે અતિશય ઓછી હતી અને ખાનગી રોકાણમાં વધારો થતો નહોતો. જ્યારે આ પ્રકારનાં વિપરીત સંજોગોમાં મોટા ભાગની બૅંકો માટે લોન આપવી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ હતું, ત્યારે યસ બૅંકની લોન બુકમાં ૧,૦૯,૦૦૦ કરોડ કે ૮૦ ટકાનો વધારો થયો હતો. ફક્ત બે વર્ષનાં ગાળામાં યસ બૅંકની લોન બુક બમણી થઈ ગઈ હતી! એટલું જ નહીં યસ બૅંકની સ્થાપના થયા પછી ૧૭ વર્ષમાં જેટલી લોન આપી હતી, એટલી લોન માત્ર બે વર્ષમાં આપી દીધી. અહીં અર્થતંત્રમાં સામાન્ય સમજણ ધરાવતા નાગરિકોને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રશ્રો થવા જોઈએ, જેમ કે :

• નોટબંધી અને જી.એસ.ટી.ના અમલ પછી બે વર્ષમાં કોઈ પણ સારી કંપની રોકાણ માટે લોન માંગતી નહોતી, ત્યારે આ ગાળામાં યસ બૅંક પાસેથી આટલી જંગી લોન લેનાર કોર્પોરેટ લોનધારકો કોણ હતા?

• વળી આ કંપનીઓએ નવું રોકાણ કર્યું હતું કે પછી યસ બૅંકનાં નાણાંનો ઉપયોગ બીજી બૅંકોનું અગાઉનું ઋણ ચુકવવા માટે કર્યો હતો?

• શું સરકાર અને રિઝર્વ બૅંકને જાણ નહોતી કે યસ બૅંક આટલી જંગી લોનોની લહાણી કરી રહી છે? શું સરકાર અને રિઝર્વ બૅંકને જાણ નહોતી કે યસ બૅંકનાં પ્રમોટર રાણા કપૂર એમની ઇક્વિટી વેચી રહ્યા છે? જો ખબર હતી, તો શું સરકાર કે રિઝર્વ બૅંકે ડૂબતી બચાવવા માટે રાણા કપૂરને એમનો હિસ્સો વેચીને બહાર નીકળવાનો ‘સેફ પેસેજ’ ઇરાદાપૂર્વક આપ્યો હતો?

• યસ બૅંકે જુલાઈથી સપ્ટેમ્બરનાં ત્રિમાસિક ગાળા પછી પરિણામો જાહેર કરવાનું શા માટે બંધ કરી દીધું હતું. જ્યારે યસ બેંકે પરિણામો જાહેર કરવાનું બંધ કર્યું હતું, ત્યારે રિઝર્વ બેંક શું કરતી હતી?

યસ બૅંકની કામગીરી બંધ કરવાનો અને સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયાને અમુક હિસ્સો ખરીદવા મજબૂર કરવાનો નિર્ણય લેવાયો. એ નિર્ણયની જાણ કેટલાંક કોર્પોરેટ ગૃહોને હતી એવો કેટલાંક અગ્રણી અખબારોએ દાવો કર્યો છે. તેમ છતાં એસ.બી.આઈ. કાર્ડનો આઇ.પી.ઓ. આવ્યો અને એનું ભરણું ૫૦થી ૫૫ ગણું વધારે થયું. ત્યારબાદ સરકારે એસ.બી.આઈ. યસ બૅંકમાં ઇક્વિટી ખરીદશે એવી જાહેરાત કરી. હવે એસ.બી.આઈ.નાં રોકાણકારો અને એસ.બી.આ.ઈ કાર્ડનાં આઇ.પી.ઓ.માં રોકાણ કરનાર રોકાણકારો પર એની નાણાકીય અસર શું થશે? જો સરકારે અગાઉથી જાહેરાત કરી હોત, તો એસ.બી.આ.ઈ કાર્ડનાં આઇ.પી.ઓ.માં રોકાણકારોએ આટલાં મોટા પાયે રોકાણ કર્યું હોત?

હકીકતમાં નાણાં મંત્રીએ યસ બૅંક કૌભાંડ માટે યુ.પી.એ. સરકારને જવાબદાર ઠેરવવાને બદલે આ સવાલોનાં જવાબો મેળવવાની જરૂર છે. તેમણે તપાસ સંસ્થાઓને આદેશ આપવો જોઈએ કે યસ બૅંકની કયા કોર્પોરેટને કેટલી લોનની લહાણી કરી હતી અને આ કોર્પોરેટ ગૃહોએ એ લોનનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો. આ ‘પોન્જી સ્કીમ’ જેવો ગોટાળો છે.

રિઝર્વ બૅંકના જણાવ્યા અનુસાર યસ બૅંકને બચાવવા માટે સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા એમાં હિસ્સો ખરીદશે. છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં જે યસ બૅંકમાં રોકાણ કરવા કોઈ સંસ્થા આગળ આવી નથી, ત્યારે શું સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા એનો બોજ ઉઠાવી શકશે? શું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ બોજ ઉઠાવવા સક્ષમ છે? યસ બૅંકે પોતાના નાનાં થાપણદારોની પરસેવાની કમાણીની લ્હાણી જે મોટા કોર્પોરેટ ગૃહોને કરી છે એ કોર્પોરેટ ગૃહો યસ બૅંકને ધિરાણ ચુકવવાની સ્થિતિમાં જ નથી. કહેવાનો અર્થ છે કે યસ બૅંકને એન.પી.એ. પરત મળવાની કોઈ શક્યતા નથી.

પી.એન.બી., પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બૅંક, બીજી કેટલીક નાની-મોટી બૅંકો અને હવે યસ બૅંકનાં કૌભાંડે બેંકિંગ ક્ષેત્રમાં સુધારો કરવાની તાતી જરૂરિયાત પર ફરી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોનો મત છે કે હવે, ખાસ કરીને બૅંકોનું ઓડિટ કરવાની રીત ઝડપથી બદલવી જોઈએ. સત્યમ કૌભાંડ પછી કેન્દ્ર સરકારે નિર્ણય  લીધો હતો કે કોઈ પણ ઓડિટર એક જ કંપનીનું સતત ઓડિટ નહીં કરી શકે, મહત્તમ બે વાર ઓડિટ કરી શકશે. પણ આ નિયમ બૅંકો પર લાગુ પડતો નથી, કારણ કે બૅંકનું સંચાલન આર.બી.આઈ. નિયમન ધારાથી થાય છે. હવે આ નિયમ બૅંક પર લાગુ કરવાનો સમય પાકી ગયો છે.

વળી બૅંકોની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય બૅંક બેસલ-૩ અને બેસલ-૪ નિયમોને અપનાવે છે. આ નિયમો બૅંક ઑફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્‌સ નામની સંસ્થા ઘડે છે. આ સંસ્થા અગાઉ આંતરરાષ્ટ્રીય બૅંકોનાં એકબીજા સાથેનાં વિવાદોનું સમાધાન કરતી હતી. પણ હવે બૅંકોની સ્થિતિ સુધારવા નિયમો અને કાયદા પણ બનાવી રહી છે. ભારતમાં બૅંકો બેસલ નિયમોનું પાલન કરતી નથી. જો તેઓ આ નિયમો અપનાવે, તો એમની રિઝર્વ બૅંકને જાણકારી આપવાની જવાબદારી વધી જશે. આર.બી.આઈ.એ માર્ચ, ૨૦૨૦ સુધી તમામ બૅંકોને બેસલ-૩ અપનાવવાનું ફરજિયાત બનાવ્યું હતું, પણ અત્યારે તો એની સંભાવના જણાતી નથી.

અન્ય એક ઉપાય ‘સ્ટ્રેસ ટેસ્ટ’ એટલે કે ક્રેમલ્સ ટેસ્ટિંગ તરફ આગળ વધવાનો છે. આ ટેસ્ટમાં મંદી કે બજારમાં કટોકટીની સ્થિતિમાં બૅંક પ્રતિકૂળ આર્થિક સ્થિતિની અસરનો સામનો કરવા પર્યાપ્ત મૂડી ધરાવે છે કે નહીં એ નક્કી થાય છે. આ ટેસ્ટ અંતર્ગત શેરબજારની જેમ બૅંકને પોતાની આર્થિક સ્થિતિની જાણકારી અખબારોનાં માધ્યમથી જનતાને જણાવવી જરૂરી બની જાય છે. જ્યારે રઘુરામ રાજન રિઝર્વ બૅંકનાં ગવર્નર હતા, ત્યારે તેમણે આ ઉપાય અજમાવવાની ભલામણ કરી હતી, પણ રાજન અમેરિકા જતા રહ્યા અને સરકારે એમની ભલામણો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા.

સરકારની નીતિ પરથી એવું લાગે છે કે એનો અભિગમ ખોટનું સામાજિકીકરણ કરવાનું છે. અગાઉ આઇ.ડી.બી.ઈ. બૅંકને એલ.આઇ.સી.માં વિલિન કરવામાં આવી હતી. બીજી તરફ, આ જ સરકાર નફાનું ખાનગીકરણ કરી છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બી.પી.સી.એલ.) દેશની મહારત્ન કંપની છે. આ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૭,૦૦૦ કરોડથી વધારેની ચોખ્ખી આવક કરી છે. હવે સરકારે આ કંપનીમાંથી હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. સરકારનાં આ પ્રકારનાં અભિગમ પર વિપક્ષોએ બાંયો ચઢાવી છે. વિપક્ષોને શંકા છે કે સરકાર નફો કરતી કંપનીઓને એક યા બીજા કોર્પોરેટને વેચી રહી છે અને ખોટી કરતી કંપનીઓમાં નફો કરતી સરકારી કંપનીઓનું રોકાણ કરાવીને એને નબળી પાડી રહી છે. અંગ્રેજીમાં આ પ્રકારનાં અભિગમને “Privatisation of Profit And Socialism of Loss” કહેવાય છે.

સામાન્ય રીતે દુનિયામાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ ઉદ્યોગ પર સરકાર પોતાનું નિયંત્રણ જાળવી રાખે છે. રશિયામાં સૌથી મોટી ઓઇલ કંપની રોસનેફ્ટ છે. રશિયામાં જ વિશ્વની સૌથી મોટી ગેસ ઉત્પાદક કંપની ગૅઝપ્રોમ છે. આ બંને કંપનીઓ પર રશિયાની સરકારનું નિયંત્રણ છે. એ જ રીતે સાઉદી અરેબિયાની પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ કંપની સાઉદી અરામ્કો વિશ્વમાં આવકની દૃષ્ટિએ સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે. વળી આ કંપની પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ ક્ષેત્રમાં દુનિયાની સૌથી નફાકારક કંપની છે. આ કંપની પર સાઉદી અરેબિયાની સરકારનું નિયંત્રણ છે. તાજેતરમાં આ કંપનીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ૨૦ ટકા હિસ્સો ખરીદ્યો છે. એટલું જ નહીં સાઉદી અરામ્કોએ બી.પી.સી.એલ.માં સરકારનો હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. ચીનમાં પેટ્રોલિયમ અને ગૅસ ક્ષેત્રમાં સૌથી મોટી કંપની ચાઇના નૅશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન છે. આ કંપની દુનિયામાં ઇરાન, ઇરાક, મલેશિયા, સીરિયા, કઝાખસ્તાન જેવા દેશોમાં કામગીરી ધરાવે છે. આ કંપની ચીનની સામ્યવાદી સરકારનાં નિયંત્રણ હેઠળ કામ કરે છે અને પેટ્રોચાઇન તરીકે પ્રસિદ્ધ છે.

હવે બ્રિટનની બ્રિટિશ પેટ્રોલિયમ (બી.પી.) કંપનીનો વિચાર કરીએ. આ કંપની પર બ્રિટનની સરકારનું નિયંત્રણ ૧૯૭૯ સુધી હતું. વર્ષ ૧૯૭૯ પછી બ્રિટનમાં થેચર યુગની શરૂઆત સાથે ખાનગીકરણની મોટા પાયે શરૂઆત થઈ હતી. એ સમયે પણ થેચરે પહેલાં તબક્કામાં બી.પી.નાં પાંચ ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. ખાનગીકરણની આ પ્રક્રિયા ક્રમશઃ આગળ વધીને અને ૧૯૮૭માં પૂર્ણ થઈ હતી. આ રીતે બ્રિટનની સરકારે પણ ઓઇલ કંપનીઓનું ખાનગીકરણ તબક્કાવાર રીતે કર્યું છે. એના હિસ્સાનું વેચાણ એ કસાથે કરવાનો અભિગમ દાખવ્યો નથી. નોર્વેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનાં ઉદ્યોગ પર સરકારનું નિયંત્રણ છે.

એટલે, ચીન હોય કે રશિયા, અમેરિકા હોય કે સાઉદી અરેબિયા, નોર્વે હોય કે મલેશિયા – આ તમામ દેશોમાં સરકારની મુખ્ય આવકનાં મુખ્ય સ્ત્રોતોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો સિંહ ફાળો છે. આ તમામ સરકારો પેટ્રોલિયમ અને કુદરતી ગૅસનાં ઉદ્યોગમાંથી થતી આવકનો ઉપયોગ સરકારની જનકલ્યાણકારક યોજનાઓ માટે કરે છે. વળી આ ઉદ્યોગ થકી સરકાર મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડે છે. કહેવાનો અર્થ એ છે કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નફા કરતા ઉદ્યોગ પર સરકાર નિયંત્રણ જાળવી રાખવાનું પસંદ કરે છે. આ તમામ સરકારો આ ઉદ્યોગમાંથી થતા નફાનું સામાજિકીકરણ કરે છે. ત્યારે ભારત સરકાર દુનિયાભરનાં આ બધાં વિકસિત દેશોની વિરૂદ્ધ આર્થિક નીતિ અપનાવીને શું સાબિત કરવા મથી રહી છે?! જો ખાનગીકરણ કરવું જ હોય તો તબક્કાવાર ખાનગીકરણનો વિકલ્પ અપનાવવા કેમ નથી વિચારતું ? પણ આ સરકારને અત્યાર સુધી લીધાં એમ બધાં જ નિર્ણયો ઝડપથી અને રાતોરાત જ લેવા છે!

E-mail : keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 05-07

Loading

...102030...2,5102,5112,5122,513...2,5202,5302,540...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved