Opinion Magazine
Number of visits: 9575920
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હે કોરોના ! (2)

સુમન શાહ|Opinion - Opinion|1 April 2020

= = = = મારા હું-નાં બદલાઈને અનેક રૂપો સરજાયાં છે. પહેલું રૂપ તો એ કે હું હવે ગૃહિણી છું. એ મારું અગ્રિમ સ્વરૂપાન્તર છે. = = = =

= = = = ક્યાં અમારા જીવનનો મૂળાધાર લવ – એટલે કે પ્રેમ – ને ક્યાં કૉલેરા ! મને તો એ બન્નેનું સાથે હોવું ખતરનાક જક્સ્ટાપોઝિશન લાગે છે. = = = =

હે કોરોના ! હું માણસમાંથી સાહિત્યકાર કેવી રીતે થઈ ગયો એ કથા બહુ લાંબી છે.

પણ ખંચકાઉં છું કે એ મારે તને શું કામ જણાવવી જોઈએ ને એમ પણ ખરું કે તારે પણ શું કામ જાણવી જોઈએ …

પણ આજકાલ હું તારા પ્રતાપે સાહિત્યકાર નથી રહ્યો. કેમ કે વાર્તા કાવ્ય કશું લખવાના હોશ જ નથી રહ્યા. મને થાય છે, એ બધાથી શું? હું નહીં હોઉં ત્યારે મારી બધી ચૉપડીઓ કોઈના ઘરે કે કોઈ લાઈબ્રેરીમાં મૂંગીમંતર બેઠી હશે – આવતા-જતાને કાચના કબાટમાંથી તાકીને જોતી … બાકી, ચૉપડી એને ક્હૅવાય જે કોઈએ વાંચી હોય ને જેને વિશે એ કોઈથી બે સાચા શબ્દ બોલાયા હોય. ચૉપડીનું છેલ્લું પાનું એ કોઈના અદૃશ્ય બોલથી ભરાયું હોય. લેખક, ચૉપડી અને એ કોઈ વાચકના એ બોલ, એમ થાય ત્યારે માની શકાય કે ચૉપડી અને ચૉપડી નામનું ઘટનાચક્ર પૂરું થયું. જો કે આ બધું પણ મારે તને શું લેવા કહેવું જોઈએ ને તારે પણ શું લેવા સાંભળવું જોઈએ …

હા, તારા જેવા જે છે પ્રાણઘાતક — પ્લેગ કૉલેરા વગેરે, મહામારીનું બિરુદ પામેલા — એમને વિશે અમારા કામૂ કે માર્ક્વેઝ વગેરેએ જે લખ્યું છે તેની હું વાતો કરી શકું છું. જેથી કરીને આ કપરો સમય થોડો કપાય.

તને કહું, માનવજાતના સુખને અવરોધનારી કે હરી લેનારી ઑચિન્તી ઘટનાને અમે મહામારી કહીએ છીએ – અંગ્રેજીમાં disaster એમ બોલીએ છીએ. સુનામી ચક્રવાત ઝંઝા કે અતિ / અલ્પ વર્ષા જેવી મહામારીઓ કુદરત તરફથી હોય છે. વનવિનાશ, જાનવરોના શિકાર, પ્રેમમાં કે સમ્બન્ધમાં બેવફાઈ, કે ખૂનામરકી જેવી મહામારીઓ અમારા તરફથી હોય છે – એટલે કે માણસો તરફથી. મહામારીને અમે ‘મરકી’ પણ કહીએ છીએ. આમાં તને માણસ-તરફી મહામારી તો કેવી રીતે ગણું? ને કુદરત તરફથી પણ શા માટે ન ગણું? જે હોય તે. તું ન સમજાય એવો છું ને સૌ મહામારીઓમાં શ્રેષ્ઠ છું એટલું નક્કી છે.

આ માર્ક્વેઝ નામ મેં ના લીધું? એ બિરાદરે ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’ નામની નવલકથા લખી છે. આ કૉલેરા પણ પ્રાણઘાતક તો ખરો જ ને? પરન્તુ ક્યાં અમારા જીવનનો મૂળાધાર લવ – એટલે કે પ્રેમ – ને ક્યાં કૉલેરા ! મને તો એ બન્નેનું સાથે હોવું ખતરનાક જક્સ્ટાપોઝિશન લાગે છે. પણ એમ બને છે, એમ જ બને છે. અમે પ્રેમમાં પડીને અમારા ટૂંકા જીવનમાં જરા જેટલી મજા લેતા હોઇએ ત્યાં જ તમે મહામારી-લોકો, ટપકી પડો છો – ભાલા તલવાર છરા બંદૂક ને રાયફલો સાથે નહીં, અપૂર્વ અકલ્પ્ય અચિન્ત્ય અદૃશ્ય હથિયારો લઈને ! જવા દે, આગળ કહીશ તે તને નહીં ગમે. જક્સ્ટાપોઝિશન માટે મેં અમારે ત્યાં ‘સન્નિધીકરણ’ શબ્દ વાપરેલો.

મને કેટલાંક કાવ્યો ગમતાં’તાં પણ હાલ એનો કશો સ્વાદ નથી આવતો. હું ઇન્ટર આર્ટ્સમાં હતો ત્યારે અમારા એક કવિ સુન્દરમ્-નું ‘સળંગ સળિયા પરે’ કાવ્ય હું હીંચકે ઝૂલતાં ઝૂલતાં પઠ્યા જ કરું તે એનો છન્દોલય મગજમાં રમતો થઈ ગયેલો ને હુંયે એ છન્દમાં એક કાવ્ય કરી બેઠેલો. પરન્તુ હાલ હું ‘છન્દ’ શબ્દ બોલતાં પણ ધ્રૂજી જઉં છું કેમ કે શરમ આવે છે. મારા ગુરુ હતા સુરેશ જોષી, એમના એક કાવ્યની પંક્તિ ‘હસી શકે તો હસજે જરા વધુ’ તે, તને કહું, આજકાલ બિલકુલ અખરે છે મને. હસવાનું ને તે ય વધુ? રોજ કેટલાં નિર્દોષ મનુષ્યો મરણને પામે છે. જો કે મરણની એ વાત તને કરવામાં હું કશો મહા તાર્કિક દોષ કરી રહ્યો છું. ‘સન્નિધીકરણ’ શબ્દ મેં એમની વાર્તાઓ માટે વાપરેલો.

એવા વાપરેલા કે ન વાપરેલા કે ચિત્તમાં સેવ્યા કરેલા શબ્દોની આખી વાત જ હાલ પત્તાનાં મહેલની જેમ ભૂમિસાત્ થઈ ગઈ છે. જવા દે. મારે મારા સ્વરૂપાન્તરની વાત વધારે કરવી જોઈતી’તી. પણ અમારા અધ્યાપકના વ્યવસાયમાં વિષયાન્તર પણ કો’ક વાર ગુણ ગણાય છે. સાંભળ, મારા હું-નાં બદલાઈને અનેક રૂપો સરજાયાં છે.

પહેલું રૂપ તો એ કે હું હવે ગૃહિણી છું.

ગુજરાતી ભાષામાં ‘ગૃહણ’ જેવું પુલ્લિંગ નામ નથી તો શું કરું? ગૃહિણી એટલે ઘર સમગ્રને વહેલી સવારથી રાતે પથારીમાં પડે ત્યાં લગી ભરપૂરે સંભાળનારી સ્ત્રી. અમારે ત્યાં ગૃહિણી સામાન્યપણે પત્ની હોય છે. અમારામાંના કેટલાક પુરુષો મીઠી મુસ્કાન સાથે પત્નીને ક્હૅતા હોય છે, ‘તું જ છું ઘરની માલિક’ ‘તું ગૃહપ્રધાન છું’ ‘હોમ-મિનિસ્ટર છું’ જેવાં વૅણ વેરતા હોય છે. વળી, એને ચાવીઓનો ઝૂડો અર્પી દેતા હોય છે. એ ય ભોળી કૅડે લટકાવીને ઢમક ઢમક મ્હાલતી હોય છે. પણ ખરેખર તો એ પુરુષો પત્નીઓને છેતરે છે. જવા દે, હું આડે પાટે ચડી જઈશ. હું એમ ક્હૅતો’તો કે હું હવે ગૃહિણી છું. ઉમેરું કે એ મારું અગ્રિમ સ્વરૂપાન્તર છે.

વધુ, હવે પછી. તું તો થાકે એમ છું જ નહીં, અપાર ને અગાધ છું, પણ મારે સમજવું પડે છે …

= = =

(March 31, 2020 : Ahmedabad)

Loading

ગુજરાતી ડાયસ્પોરિક જનજીવનના પીઢ પત્રકાર : રમણીકલાલ સોલંકી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|31 March 2020

રમણીકલાલ સોલંકીને 1972ના અરસે પહેલી વાર જોયાનું સ્મરણ છે. એ દિવસોમાં “જન્મભૂમિ”માં પત્રકારત્વ કરતો અને રમણીકભાઈ લંડન બેઠે “જન્મભૂમિ” જૂથનું પ્રતિનિધિત્વ કરતા. પણ મુંબઈ આવે ત્યારે રમણીકભાઈની બેઠકઊઠક તંત્રી જોડે કે તંત્રી ખાતાને બદલે સવિશેષ ‘સૌરાષ્ટૃ ટૃસ્ટ’ના તત્કાલીન વહીવટી સંચાલક રતિલાલભાઈ શેઠ જોડે રહેતી. બીજે માળે રતિભાઈની પણ કૅબિન હતી. રમણીકભાઈ બહુધા ત્યાં જ બેસતા. જ્યારે આજની જેમ તંત્રીખાતું પહેલે માળે. તંત્રીખાતાના દરવાજે આવી પટાવાળાને એ લખાણના કાગળિયા ભળાવી જાય; તે વેળાના તંત્રી મનુભાઈ મહેતાની કૅબિન લગી પહોંચવાનું એ ટાળતા. કેમ હશે ? મને ભારે અચરજ થતું. તેમ છતાં, મનમાં ને મનમાં, રમણીકલાલ સોલંકીને ક્યારેક મળવાનાં પલાખાં માંડતો રહેતો.

એ ત્યારે શક્ય થયું જ નહીં. … સન 1975ના ઉત્તર ભાગે વિલાયત જવાનો જોગ થયો. ગોઠવાઉં એની પળોજણ હતી. પાનખર બેઠી હતી, ને શિયાળાની ઝીંક સહન કરવાની હતી. સનંદી સેવામાં નોકરી સાંપડી હતી અને વળી, જોડાજોડ, પગભર થવાની કસરત થતી. પરિણામવસ, “ગરવી ગુજરાત”ના તંત્રી રમણીકલાલ સોલંકીને મળવાનો જોગ ન જ થયો. પરંતુ મારી કિશોરાવસ્થાના દોસ્ત વિનોદ એમ. પટેલ વાટે “ગુજરાત સમાચાર”નાં તંત્રી કુસુમબહેન શાહને મળવાનો જોગ જરૂર થયો. એ દિવસોમાં એમનું દફતર સાઉથહૉલમાં હતું અને મારો વાસો પડખેના હાન્સલોમાં. કુસુમબહેન કહે, બેત્રણ અઠવાડિયા પહેલાં જો તમે મળ્યા હોત ! … ખેર ! … એ દિવસોમાં કુસુમબહેન શાહ “ગુજરાત સમાચાર”ના કબજા હક અધિકાર વેંચવાની પળોજણમાં હતાં. વાટાઘાટો નિર્ણાયક સ્તરે પહોંચી ગયેલી.

આમ, “ગુજરાત સમાચાર”નો માલિકી હક ચન્દ્રકાન્ત બાબુભાઈ પટેલે મેળવી લીધો. એ પણ વિનોદ પટેલને જાણે. બન્ને વચ્ચે નિજી સંબંધ. વિનોદને કારણે સી.બી.ને નામે જાહેર ઓળખાતા આ ચન્દ્રકાન્તભાઈને મળવાનું થયું. બન્નેના આગ્રહે “ગુજરાત સમાચાર”માં તંત્રી તરીકે જોડાવાનું કબૂલ કર્યું. આ તંત્રીપદ નભ્યું તો માંડ 13 મહિના; પણ તેને પરિણામે રમણીકભાઈને મળવાનું દોહ્યલું થતું ગયું. પરિસ્થિતવસાત્‌ “ગરવી ગુજરાત” અને “ગુજરાત સમાચાર” વચ્ચે ઉગ્ર રસાકસી. જાણે કે એક જાતનો ગરાસ સાંચવવાની મથામણ !

“ગુજરાત સમાચાર”નું પ્રકરણ આટોપાયું; તો બીજી પાસ, વેમ્બલીના એક બડા વ્યાપારી હીરાભાઈ પટેલ “નવજીવન”નો આદર કરે. એમના આગ્રહે જોડાયો. બારેક મહિના આ સાપ્તાહિક ટક્યું હશે; તેમાંથી આરંભે છએક માસ મારે ફાળે હતા. અને પછી, કાયમી નોકરીની તલાશે પૉસ્ટ ઑફિસના કમઠાણમાં જોડાઈ ગયો. આટલું કમ હોય તેમ, 1977/8થી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક વરિષ્ઠ અધિકારીપદે નિયુક્ત થયો. અકાદમીના ઉછેરમાં, સંગોપનમાં તેમ જ તેના વિસ્તરણમાં ય ખૂંપી ગયો. બન્ને સાપ્તાહિકોથી અંતર જાળવીને અલિપ્તપણે કારભાર કરવાનો થતો. ઐતિહાસિક કારણોને લીધે “ગુજરાત સમાચાર”માંના સાથીસહોદરો અકાદમીની બેઠકોમાં સામેલ થયા કરતા. કેટલાક વળી કારોબારમાં ય સામેલ થયા.

આ સાડાચાર દાયકાઓની જાણકારી હોવા છતાં, માહિતીવિગતો છતાં, રમણીકલાલ સોલંકી જોડે ઈચ્છિત ઘનિષ્ટતા કેળવી ન જ શકાઈ. પરંતુ છતાં, એક પ્રકારના આદરમાનનું પલ્લું સતત નમતું જ અનુભવાયું છે. ઉભય પક્ષે પરિચિત હતા. ક્યારેક મળવાનું થાય તો વિવેકસભર હળવામળવાનો વ્યવહાર રહેતો. રમણીકભાઈનાં સંતાનોએ પણ આ કેડો જાળવી જાણ્યો છે.

°°°°°

વારુ, આપણા આ રમણીકલાલ સોલંકીનો જન્મ સુરત જિલ્લાના રાંદેરમાં 12 જુલાઈ 1931ના રોજ થયો. એમના પિતાનું નામ છોટાલાલ સોલંકી અને માતાનું નામ ઈચ્છાબહેન. ભાંડુઓમાં એ સૌથી મોટેરા. કિશોરાવસ્થાથી એમને વાંચનનો શોખ અને કહે છે કે શાળાના પુસ્તકાલયમાંનાં મોટાં ભાગનાં પુસ્તકો એમણે વાંચી કાઢેલાં. વળી એમને લેખનમાં ય રસ. અર્થશાસ્ત્રના વિષય સાથે રમણીકલાલે ઉપાધિ મેળવી અને પછી કાયદાનો ય અભ્યાસ કરેલો. નવસારી જિલ્લાના પેથાણનાં વતની મકનજીભાઈ ચાવડાનાં દીકરી પાર્વતીબહેન જોડે રમણીકલાલનું સન 1955માં લગ્ન થયું. અમદાવાદ ખાતે એ વેચાણવેરા વિભાગમાં, દરમિયાન, ઇન્સ્પેકટર તરીકે નોકરીએ લાગેલા. પાલણપુર, ભરૂચ અને વલસાડ ખાતે ય એમની બદલી થયા કરી. આ ગાળામાં દંપતીને ત્યાં સાધના, સ્મિતા અને કલ્પેશ નામે ત્રણ સંતાનો થયાં. આ ત્રિપુટીની પછીતે, છેલ્લે, શૈલેષનો જન્મ થયો.

પાર્વતીબહેનના મોટાભાઈ સુબોધભાઈ ચાવડા લંડન રહેતા હતા. મહિલાઓ માટે તૈયાર કપડાં બનાવવાનો સુબોધભાઈનો વ્યવસાય. જાહેર જીવનમાં આગળ પડતો ભાગ લેનારા સુબોધભાઈ સજ્જન તેમ જ આદરમાન વ્યક્તિ હતા. પાર્વતીબહેનના અતિ આગ્રહને કારણે રમણીકલાલ 1964માં માંડ વિલાયત જવાને તૈયાર થયા. ગુજરાન ચલાવવા નાનીમોટી નોકરી અહીં એ કરતા રહ્યા અને સાળા સુબોધભાઈની નિશ્રામાં ઠરીઠામ થવાનું ગોઠવતા ગયા. પાંચેક વરસે પાર્વતીબહેન અને સંતાનો પણ લંડન પહોંચ્યાં. રમણીકભાઈનાં માતા ઈચ્છાબહેન પણ તેમની સાથે લંડન આવ્યાં.

પાર્વતીબહેન અને સંતાનો આવવાની તૈયારીમાં હતાં તે દરમિયાન, રમણીકભાઈએ સગવડ સાંચવવા એક સાધારણ ઘરની ખરીદ કરી લીધી હતી. રમણીકભાઈની નોકરી પણ ચાલુ હતી. પાર્વતીબહેનને વળી એક લૉન્ડૃીમાં કામ મળી ગયું. આમ ગુજારો થતો ગયો.

રમણીકભાઈનો લેખનનો સળવળાટ ચાલુ હતો. સુરતથી પ્રગટ થતાં “ગુજરાતમિત્ર” માટે નિયમિત ‘લંડનનો પત્ર’ મોકલતા રહેતા. ગુજરાતના પહેલવહેલા મુખ્યપ્રધાન જીવરાજ મહેતા તે દિવસોમાં યુનાઇટેડ કિંગ્ડમ ખાતે ભારતના ઉચ્ચ આયુક્તપદે હતા. જીવરાજભાઈ મહેતા સાથે મુલાકાત થઈ તો જીવરાજભાઈએ એકાદ ગુજરાતી છાપું શરૂ કરવાનું સૂચન રમણીકભાઈને કર્યું, તેમ કહેવાય છે. ‘ઇન્ડિયા હાઉસ’માં અવારનવાર રમણીકભાઈ જતા. ત્યાંના જાહેર કાર્યક્રમોમાં ય હાજરી આપતા. જીવરાજભાઈ સાથેનો પરિચય પણ વધતો ગયો તેમ તેમનું સૂચન પણ દૃઢ થતું ગયું.

એક અહેવાલ મુજબ રમણીકભાઈ જીવરાજભાઈને સવાલતા હતા : ‘આ છાપું ચાલુ તો કરીએ પણ તેનો ખર્ચો કેવી રીતે કાઢવો ?’ આ સૂત્રો અનુસાર, જીવરાજભાઈએ જવાબ આપ્યો : ‘ખર્ચાની ચિંતા કર્યા વિના પહેલાં છાપું ચાલુ કરો.’ કહે છે કે જીવરાજભાઈએ કેટલાક ઉદ્યોગપતિઓ જોડે આ અંગે સહાયક થવાની વાત પણ કરી હોય. અને આમ, રમણીકલાલ સોલંકીએ 01 એપ્રિલ 1968ના આ સૂચિત છાપાનો ઉત્તર વેમ્બલીના પીલ રોડ પરના આવાસેથી આદર કર્યો. નામાભિકરણ પણ થયું : “ગરવી ગુજરાત”. રમણીકભાઈ તેમ જ “ગરવી ગુજરાત” વતી, વડીલ સહાયક, સલાહકાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ મૂળજીભાઈ નાગડાએ પહેલા અંકની નકલ તત્કાલીન ઉચ્ચ આયુક્ત એસ.એસ. ધવનને અર્પણ કરેલી. આજ પર્યન્ત પ્રગટ થતાં “ગરવી ગુજરાત”ને હવે 52 વર્ષ થયાં. આ ખુદ એક મોટી સિદ્ધિ છે.

આરંભના એ દિવસોમાં રમણીકલાલભાઈએ નોકરી પણ ચાલુ રાખી અને બાકીના સમયમાં આ આદરેલા સાહસને સંગોપવામાં સમયશક્તિ આપવાનું રાખ્યું. સપ્તાહઅંત દરમિયાન સામયિકના પ્રચાર પ્રસાર સારુ બ્રિટન ભરમાં ઘુમવાનું જરૂરી હતું. અને એમણે શક્ય દોડધામ કરીને લવાજમ ઉઘરાવવાનું રાખ્યું. આરંભે પખવાડિયે નીકળતા આ સામયિકનું વાર્ષિક લવાજમ માત્ર દોઢ પાઉન્ડ હતું. અથાગ પરિશ્રમને કારણે શરૂઆતમાં “ગરવી ગુજરાત” માટે 150 જેટલાં લવાજમો ઉઘરાવી શકાયા હતા. બે વરસની અવધિ બાદ, આ પખવાડિકને અઠવાડિક કરવામાં આવ્યું. લંડનમાં એમને માટે હરવાફરવાનું સરળ હતું, પરંતુ દેશ ભરમાં થોડુંક મુશ્કેલ હતું. કેમ કે એ ગાડી ચલાવતા નહીં. જાહેર પરિવહનનાં વિધવિધ સાધનોનો ઉપયોગ કરતા. પાછળથી પાર્વતીબહેન ગાડી હંકારતાં શીખ્યાં અને એ રમણીકભાઈના સારથિ જ બન્યાં, એમના સાથીસહોદર પણ થયાં. ચાર સંતાનોના ઉછેરમાં પરોવાતાં રહેવા ઉપરાંત લૉન્ડૃીમાંની નોકરી કરવાની તેમ જ રમણીકભાઈને “ગરવી ગુજરાત” માટે અસીમ સહાય કરવી, એ પાર્વતીબહેનનો રોજિંદો વ્યવહાર બની ચુક્યો.

આ સામયિકના પ્રસાર માટે રમણીકલાલ સોલંકી 1970માં નોકરી છોડે છે અને પૂરો સમય તેના વિકાસમાં મચી પડે છે. આ સાપ્તાહિકમાં સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક બાબતો તેમ જ અનેકવિધ કાર્યક્રમોને આવરી લેવાયા હોઈ, તેની લોકપ્રિયતા વધતી ગઈ. તો બીજી બાજુ, કોઈ પણ આપ્રવાસી અહીંતહીં સર્વત્ર સ્વાભવિકપણે કરતો આવ્યો છે, તેમ રમણીકભાઈએ પણ પરિવારને એક પછી એક પડખે તેડાવી લીધા કે જેથી વિસ્તૃત બનતી જવાબદારીઓ સરળતાએ, વિશ્વાસે નિભાવી શકાય. મોટાં દીકરી, સાધનાબહેન આરંભે જાહેરાત વિભાગનું સંચાલન કરતાં રહેતાં. હવે એ જવાબદારીઓ નાના ભાઈ જયંતીલાલ સોલંકી નિભાવે છે. વળી, બન્ને દીકરાઓ, કલ્પેશભાઈ તેમ જ સૈલેષભાઈ તંત્રી ખાતામાં જવાબદારીઓ સાંચવે છે.

મહારાણી ઇલિઝાબૅથ બીજાંએ 1999માં રમણીકલાલ સોલંકીને ‘ઑર્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’નું બિરુદ એનાયત કરેલું અને તે પછી 2007માં ‘કમાન્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’ની નવાજેશ કરી હતી.

આજે “ગરવી ગુજરાત” યુનાઇટેડ કિંગ્ડમનું એક અગ્રણી પ્રકાશનગૃહ બની ગયું છે. આ જ જૂથનું અંગ્રેજી અખબાર “ઇસ્ટર્ન આઇ” તો માત્ર એશિયનો જ નહિ, પણ યુનાઇટેડ કિંગ્ડમના રાજકીય, સામાજિક અગ્રણીઓનું પણ પ્રિય અખબાર બન્યું છે. “એશિયન રિચ લિસ્ટ” એશિયાઈ વ્યાપારી જગતની પારાશીશી સમાન બન્યું છે. “એશિયન ટ્રેડર”, “ફાર્મસી બિઝનેસ” અને “એશિયન હોસ્પિટાલિટી” જેવાં પ્રકાશનો જે તે ક્ષેત્રના વ્યાપારીઓ વચ્ચે સેતુરૂપ બન્યાં છે. “ઇસ્ટર્ન આઈ”ને એમણે “જ્યુઈસ ક્રોનિકલ”ની જેમ રાષ્ટૃીય અખબાર બની રહે તેની ચીવટ રાખી છે. તેને વંશવાદી છાપાનો પાનો ન ચડે તેની તેમણે કાળજી લીધી છે. આ પગલું તેથીસ્તો ભારે સરાહનીય બની રહ્યું છે.

ભારતની અવારનાવ મુલાકાત લેતા, રમણીકલાલ સોલંકીનું અમદાવાદ ખાતે ટૂંકી માંદગી બાદ 01 માર્ચ 2020ના અવસાન થયું.

°°°°°

આરંભના વરસો દરમિયાન, લાગે છે, સમાજના વિવિધ સ્તરે રહી, પહોંચી સાપ્તાહિકને મજબૂત કરવાનું રાખ્યું છે. અનેક વ્યક્તિઓ તથા સમાજના આગેવાનોનો શક્ય સાથ લીધા કરેલો. એક દા પ્રાણલાલ શેઠનું નામ પણ પહેલે પાને તંત્રી તરીકે પ્રકાશિત થયાનું સાંભરે છે. વળી, ગુજરાતી સમાજને એક સાંકળે બાંધી શકાય તે માટે ય રમણીકલાલ સોલંકીએ તનતોડ પ્રયાસ કરેલા છે. પાંચેક દાયકાઓ પહેલાં ‘ફેડરેશન ઑવ્‌ ગુજરાતી ઓર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં માત્ર પૂરેવચ્ચ નહોતા રહ્યા, તેની સક્રિયતા માટે ય યોગદાન એમણે આપેલું છે. મારી જન્મભૂમિમાં જેમનો અમને નિજી પરિચય હતો તેવા અરુશાના નામી શહેરી કાશીગર ગોસ્વામીના વડપણ સાથે ફેડરેશનની પ્રવૃત્તિઓમાં રમણીકભાઈ અને “ગરવી ગુજરાત” અગ્રેસર રહ્યાં હતાં. છેલ્લા દસકાઓમાં, જો કે, રમણીકલાલ સોલંકી વિશેષપણે ગુજરાતી સમાજના વિવિધ સ્તરેથી અલિપ્ત બનતા ગયા હતા, તેથી હેરત અનુભવતો હતો.

જીવરાજ મહેતા – હંસાબહેન મહેતાનો રમણીકભાઈએ જેમ સંપર્ક મજબૂત કરેલો, તેમ એ પછીના દરેક ભારતીય ઉચ્ચ આયુક્ત જોડે સંબંધ કેળવેલો. વળી, એમને ત્યાં આ સાપ્તાહિકને પ્રતાપે “કુમાર”ના બચુભાઈ રાવત, ‘પરિચય ટૃસ્ટ’ના એક ટૃસ્ટી તેમ જ “કોમર્સ”ના તંત્રી વાડીલાલ ડગલી, આપણા વરિષ્ઠ સાહિત્યકાર ઉમાશંકર જોશી તથા નિરંજન ભગત પણ મહેમાન તરીકે પધાર્યા હતા. તે રીતે કેટલા ય સાધુસંતોની તથા પારાયણીઓની પણ આવનજાવન થતી રહેતી. આમાંના ઘણા આગંતુકોનો જો કે સમાજને સ્તરે પરિચય કેળવવો શક્ય થતો નહોતો. આના કેટલા ય અનુભવો અકાદમીને સારુ મને થયા છે. ઉમાશંકર જોશી સિવાય એમાંના મોટા ભાગના લોકો અકાદમીને કે મને હળેમળે નહીં તેવી ગોઠવણ પણ સહજ થયા કરતી, તેમ સમજાયું છે.

(ડાબેથી) શૈલેષ સોલંકી, સાધના કારીઆ, પાર્વતીબહેન સોલંકી, રમણીકલાલભાઈ સોલંકી, જયંતીલાલ સોલંકી તેમ જ કલ્પેશ સોલંકી

આ દેશના જાણીતા પત્રકાર અમિત રોયે અંજલિ આપતા જે લેખ કર્યો છે, તેમાંથી આટોપતાં આટોપતાં આ અવતરણ લેવાનું રાખું છું :

‘એક દિવસ હું તેમની સાથે બેઠો હતો ત્યારે મેં તેમને રોકયા બીબીની વાર્તા અક્ષરસ: સંભળાવવા કહ્યું. 1971ના ઉનાળામાં થેમ્સ નદીમાંથી મળી આવેલા 22 વર્ષની સુંદર મુસ્લિમ મહિલાના મૃતદેહ અને તેની હત્યાના ઉકેલાયેલા તાણાવાણાની તાદૃશ્ય વાત તેમણે એટલી બારીકાઈ અને સ્પષ્ટતાથી કરી હતી. … પોતાના ઉપરના કેટલાક જોખમ છતાં તેમણે ‘સ્કૉટલૅન્ડ યાર્ડ’ને આ કેસ ઉકેલવામાં જે મદદ કરી હતી તે બદલ 2003માં મેટૃોપોલિટન પોલિસના તત્કાલીન નાયબ કમિશનર સર ઇઅન બ્લેરે તેમને જાહેરમાં બિરદાવ્યા હતા.

‘તેમણે કરેલી રોકયા બીબીની વાત મને ફિલ્મની સ્ક્રીપ્ટ જેવી લાગતા મેં રમૂજ પણ કરી હતી કે જો આના ઉપરથી ફિલ્મ બનાવાય તો તમારું પાત્ર કોણ ભજવશે ? આ ક્ષણે રમણીકભાઈ હસી પડ્યા હતા.

‘રોકયા બીબીની હત્યાના 50 વર્ષ પછી પણ મને લાગે છે કે આ હત્યા-કેસ બી.બી.સી. ડૃામાના છ ભાગમાં પરિવર્તિત કરી શકાય તેમ છે. 1964માં 33 વર્ષની વયે ગુજરાતથી યુનાઇટેડ કિંગ્ડમ આવેલા રમણીકભાઈ તેમની કારકિર્દીના પ્રારંભમાં જ આ વાતમાં એક સ્ટોરી નિહાળવાની દાખવેલી રિપોર્ટરની સૂઝ અને તેના તાણાવાણાને ભેગા કરવાની તથા વ્યક્ત કરવાની જે કુનેહ દર્શાવી હતી, તે અદ્દભુત હતી.’

રમણીકલાલ સોલંકી તેમ જ “ગરવી ગુજરાત”ને ઇતિહાસ, વારુ, કઈ રીતે મૂલવશે ? આજના સંદર્ભે, પશ્ચિમના વાતાવરણમાં, ગુજરાતીની ખિદમત કરતાં કરતાં એમણે આજ પર્યન્ત 52 વર્ષ આપ્યા, તે જ સૌથી મોટી મિરાત લેખાય. રમણીકભાઈએ સાપ્તાહિક ચલાવતા ચલાવતા તેની મજબૂતાઈ કરીને વિસ્તાર કર્યો છે; અને હવે તો તે પ્રકાશનગૃહ બની ય ગયું છે. બૃહદ્દ ગુજરાતી ડાયસ્પોરાના પત્રકારત્વમાં આ સાપ્તાહિક તેમ જ રમણીકલાલ સોલંકીનું પહેલી હરોળે નામ અંકિત રહેશે. આ દેશે જે નામી ગુજરાતી પત્રકારો આપ્યાં છે : પ્રાણલાલ શેઠ, કુસુમબહેન શાહ, શિવકુમાર અય્યર, જયંતીલાલ ઠાકર ‘જયમંગલ’, કિશોર કામદાર, વગેરે વગેરે તેમાં રમણીકલાલ સોલંકીનું નામ તેમ જ કામ નિ:શંક સતત સોહતું રહેશે.

પાનબીડું :

બીજી તરફ છે બધી વાતોમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

                                                         − ‘મરીઝ’

હૅરો, 20-24 માર્ચ 2020

[1,719 શબ્દો]

e.mail : vipoolkalyani.opinion@btinternet.com       

Loading

મહાદેવભાઈ हृदेशे प्रार्थना नम्रा

વિનોબા|Gandhiana|31 March 2020

મહાદેવભાઈ 1942માં ગયા ત્યારે મારી ઉંમર 47 વર્ષની હતી. મહાદેવભાઈ 50 વર્ષના હતા. મારાથી તેઓ 3 વર્ષ મોટા હતા.

42માં બાપુ વિચારતા હતા કે ઉપવાસની શૃંખલા ચાલે. એમણે કહ્યું હતું કે જ્યારે હું જેલમાં જઈશ, તો ઈશારો કરીશ, તો બધા લોકો પણ ઉપવાસ શરૂ કરી દે. લોકો ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે ઉપવાસ તો અધિકારી વ્યક્તિ જ કરી શકે. તે લોકોએ બાપુને કહ્યું કે તમારે ઉપવાસ કોઈ પણ પરિસ્થિતિમાં નહીં કરવા જોઈએ.

બાપુએ મને બોલાવ્યો અને છેલ્લા ઉપવાસની વાત કરીને મને પૂછ્યું, ‘શું આ થઈ શકે છે ? તું આ અંગે શું સલાહ આપે છે ?’ એમણે પોતાનો મત નક્કી કર્યા પછી મને બોલાવ્યો હતો અને પૂછી રહ્યા હતા.

મેં કહ્યું, ‘જે કામ જ્ઞાનપૂર્વક રામજી કરી શકે છે, તે કામ શ્રદ્ધાપૂર્વક હનુમાન કરી શકે છે. એટલે જો આપ ઉપવાસ કરશો, તો અમારા જેવા લોકો પણ આપણી સાથે ઉપવાસ કરીશું.’

આ આખી ચર્ચા મહાદેવભાઈએ સાંભળી. એમને લાગ્યું કે આ બન્ને તો હવે એકમત થઈ ગયા છે તો હવે બાપુના વિરોધમાં કોઈ પોતાનો મત કહેશે નહીં. આ એક જણ હતો જે બાપુના વિચારને ફેરવી શકે તેમ હતો અને તે તો સમ્મત થઈ ગયો. હવે તો ઉપવાસ થશે અને કદાચ મૃત્યુ પણ થશે. એમને ધક્કો લાગ્યો. અને મારો ખ્યાલ છે કે આ વેદનામાંથી જ તેઓ ચાલ્યા ગયા. તેઓ જ્યારે ગયા ત્યારે બાપુની આંખોમાં આંસુ આવ્યાં અને કહેવા લાગ્યા, ‘એમણે મારા પછી જવાનું હતું, મારા પહેલાં ચાલ્યા ગયા.’ કિશોરલાલભાઈએ કહ્યું, ‘જુવાન જુવાન લોકો લાઈન તોડીને આગળ ચાલી જાય છે. વૃદ્ધ લોકો પાછળ રહી જાય છે.’ મહાદેવભાઈ તે જ રીતે લાઈન તોડીને ગયા. જેમણે પહેલાં જવું જોઈએ નહીં તેવા પહેલાં જતા રહે તો સ્વાભાવિક જ સારું નથી લાગતું પરંતુ ભગવાનની જેવી મરજી હોય છે તેવું થાય છે.

એક વખત સાબરમતીને કિનારે હું ભજન ગાઈ રહ્યો હતો. એટલામાં ક્યાંકથી રડવાનો અવાજ સંભળાયો. મેં આમતેમ જોયું કે કોણ રડી રહ્યું છે ? તો ખબર પડી કે મહાદેવભાઈ ભજન સાંભળીને રડતા હતા. આટલી ભક્તિ, ભોળપણ, એમનામાં હતાં. એટલે મહાદેવભાઈનું સ્મરણ હું ક્યારે ય ભૂલતો નથી.

મહાદેવભાઈએ બાપુની ડાયરી લખી છે એના 25-30 ખંડ પ્રગટ થયા છે. એક-એક 400-500 પાનાંની હશે. કેટલાક ખંડો તો હજી પ્રકાશિત થવાના બાકી છે. આટલું બધું એમણે લખી રાખ્યું છે. ગુજરાતી, મરાઠી, હિંદી, સંસ્કૃત, બંગાળી અને અંગ્રેજી આટલી ભાષાઓ તે જાણતા હતા. અને બાપુના લેખોમાં સુધારો કરીને પ્રકાશકને આપતા હતા. આવું ઉત્તમ કામ તેઓ કરતા હતા. એમનામાં ઘણું જ્ઞાન હતું. છતાં તેઓ ભોળા હતા. તુકારામ મહારાજનું એક વચન છે.

भोळीवेचें तेणें विष्णुदासा साजे

‘ભોળપણ એક અલંકાર છે. એની સામે દ્વૈત ટકતું નથી. જે વિષ્ણુદાસ છે, વૈષ્ણવ છે, એમની આ શોભા છે.’ એમનો બધા લોકો અવિરોધ જ કરે છે. કોઈ વિરોધ કરતું નથી. એવા ભોળા મહાદેવભાઈ હતા.

જૂની વાત છે. એ દિવસોમાં મહાદેવભાઈનું માથું બહુ જ દુખતું હતું. મારા એક મિત્ર બાબાજી મોઘે ત્યાં હતા. એમણે કહ્યું કે મારી પાસે માથું દુ:ખે તેની દવા છે પણ તે એક મંત્રની સાથે આપી શકાય છે. મહાદેવભાઈને ત્યારે “યંગ ઇન્ડિયા”નું બહુ જ કામ રહેતું હતું. એથી બહુ જ વ્યથિત હતા. તેઓ દવા લેવા માટે તૈયાર થઈ ગયા. બાબાજીએ પાનના એક પત્તા પર થોડી રેખાઓ દોરી, પાન બનાવીને ખાવા આપ્યું. મહાદેવભાઈએ ખાધું. અને એમનું માથું દુખવાનું બંધ થઈ ગયું. તેઓ પછી જ કામ કરી શક્યા. આ પણ તેમની ભાવનાનું જ પરિણામ હતું.

જે લોકો આવા ભોળા હોય છે એમની સામે કોઈનો વિરોધ ટકતો જ નથી. હૃદય-પરિવર્તન થઈ જાય છે. તેઓ હૃદયમાં શ્રદ્ધા રાખવાવાળા હોય છે. અને સામેવાળા પર પણ શ્રદ્ધા રાખે છે. એટલે સામેવાળાને પણ એમની ઉપર શ્રદ્ધા રાખવાનું અનિવાર્ય બની જાય છે. વેદમાં એક શ્રદ્ધાસૂક્ત છે. મહાદેવભાઈને કંઠસ્થ હતું. તે સૂક્ત તેઓ હંમેશાં બોલતા હતા :

श्रद्धां प्रातर्हवामहे श्रद्धां मर्ध्यायनं परि
श्रद्धां सूर्यस्त निम्रुचि श्रद्धे श्रद्धाप्रयेह न:

અમે પ્રાત:કાળમાં શ્રદ્ધાનું આવાહ્ન કરીએ છીએ. બપોરના સમયે એ જ શ્રદ્ધાનું આવાહ્ન અમે કરી છીએ. સૂર્યાસ્તના સમયે એ જ શ્રદ્ધાનું આવાહ્ન અમે કરીએ છીએ. હે શ્રદ્ધા ! શ્રદ્ધાદેવી ! અમારી શ્રદ્ધા મજબૂત કર.

એક વાર મેં મહાદેવભાઈને પૂછ્યું, તમે તમારા દીકરાનું નામ નારાયણ કેમ રાખ્યું ? મહાદેવભાઈએ કહ્યું, ‘હું તો અજામિલ છું એટલે નારાયણ નામ રાખ્યું છે. અંત સમયે યાદ આવી જાય.’ આવી એમની નમ્રતા હતી.

[ગુણનિવેદન]

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જાન્યુઆરી 2020; પૃ. 16

Loading

...102030...2,4972,4982,4992,500...2,5102,5202,530...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved