Opinion Magazine
Number of visits: 9575732
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધાર્મિક બહુમતી રાષ્ટૃવાદનું જીવતુંજાગતું ઉદાહરણ પાકિસ્તાન છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 April 2020

આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે પાકિસ્તાનમાં લોકશાહીનું કાસળ એકલા શાસકોએ, લશ્કરી જનરલોએ અને ધર્મઝનૂની મુલ્લાંઓએ નહોતું કાઢ્યું; એમાં કરોડરજ્જુ વિનાના બીકાઉ જજોનો મોટો ફાળો હતો અને તેમનો જ સૌથી વધુ ફાળો હતો. ૧૯૫૪માં પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિ મહમ્મદ મુનીરે કઈ રીતે દોસ્તી ખાતર પાકિસ્તાનની બંધારણસભાને વિખેરી નાખવાના પાકિસ્તાનના ગવર્નર જનરલ ગુલામ મહમ્મદના નિર્ણયને બહાલ રાખ્યો હતો, એ અહીં કહેવાઈ ગયું છે. તેમણે ‘ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી’ની દલીલનો આશરો લીધો હતો. ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી એટલે કે આમ તો ગેરકાયદે પણ જરૂર હોય તો કાયદેસર. જરૂર કોની? શાસકોની અને જો પ્રામાણિકતા ન હોય તો જજોની.

ન્યાયમૂર્તિ મુનીરે પાકિસ્તાનના લોકતંત્રનું કાસળ કાઢી નાખ્યું એને આજે ૬૬ વર્ષ વીતી ગયાં છે અને દેશ કેવી ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયો છે એ તમે જાણો છો. જો કે ગોગોઈ અને સથાસિવમથી ઊલટું, મુનીરને અનુકૂળ ચુકાદો આપવા છતાં ય નિવૃત્તિ પછી કોઈ લાભ મળ્યો નહોતો એ જુદી વાત છે. એનું એક કારણ એ હતું કે તેમણે જેને મદદ કરી હતી એ ગવર્નર જનરલ ગુલામ મહમ્મદની પોતાની જ સત્તા તરતમાં જ છીનવાઈ ગઈ અને બીજું મુનીર તોછડા અને અભિમાની માણસ હતા એટલે તેમને મિત્રો બહુ ઓછા હતા.

ખેર, આપણને મુનીરનું શું થયું તેની સાથે મતલબ નથી, પાકિસ્તાનનું શું થયું તેની સાથે મતલબ છે અને જો અક્કલ હોય તો કલ્પના કરી શકાય કે ભારતનું શું થશે! હવે બંધારણ તો રહ્યું નહોતું એટલે બંધારણીય કે ગેરબંધારણીયતા ઠરાવવાનો પ્રશ્ન જ નહોતો. ૭મી ઑકટોબર ૧૯૫૮ના રોજ પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અયુબ ખાને બળવો કરીને સત્તા કબજે કરી લીધી અને પાકિસ્તાનમાં માર્શલ લૉ જાહેર કર્યો. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે માત્ર વીસ દિવસમાં ૨૭મી ઑક્ટોબરે ચુકાદો આપીને લશ્કરી રાજને કાયદાકીય બહાલી આપી હતી. તર્ક? ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી.

પાંચમી જુલાઈ ૧૯૭૭ના રોજ પાકિસ્તાનના જનરલ ઝીયા ઉલ હકે લશ્કરી બળવો કર્યો હતો અને પાકિસ્તાનની ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરી નાખી હતી. પાકિસ્તાનમાં લશ્કરી કાયદો જાહેર કરવામાં આવ્યો હતો અને ભુટ્ટોને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી ભુટ્ટો પર હત્યાના અને બીજા આરોપ લગાવવામાં આવ્યા હતા અને છેવટે તેમને ફાંસીની સજા કરવામાં આવી હતી. ફાંસીની સજા વિશે પુનર્વિચાર કરવા રિવ્યુ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન પણ કરવામાં આવી હતી. આ દરેક વખતે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના જજોએ જનરલ ઝીયાને મદદ કરી હતી અને તેમની તરફેણમાં ચુકાદા આપ્યા હતા. એક વાર નહીં, બે વાર નહીં; પાંચ વાર. તર્ક? ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી. જજોની ‘ખુદ્દારી’ જોઇને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ તેમના પરિવારને સલાહ આપી હતી કે તેમનો જીવ બચાવવા માટે દયાની અરજી કરવામાં ન આવે અને તેઓ ફાંસીને માચડે ચડી ગયા હતા.

ભુટ્ટો કોઈ મહાન માણસ હતા એવું નથી, બહુ ચાલાક અને ધોખેબાજ રાજકારણી હતા, પરંતુ એટલું નક્કી કે ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી અને હત્યારા જજો હતા. ન્યાયતંત્ર ખુદ હતું. એ બધા જ જજોને તેમનું વળતર મળી ગયું હતું. લેખ લાંબો ન થાય એ સારુ અહીં તેમના નામ અને વળતરનું સ્વરૂપ વર્ણવતો નથી, પણ તેની માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

જજોની અળસિયાં કરતાં પણ લચીલી કરોડરજ્જુ જોઇને જનરલ ઝીયા ઉલ હક એક-બે નહીં, ચાર ડગલાં બીજાં ભરે છે. ઝીયા માર્શલ લૉ કૉર્ટની સ્થાપના કરે છે જે નાગરિક અદાલતો કરતાં સર્વોપરી ગણાય અને માર્શલ લૉ કૉર્ટના ચુકાદાઓને નાગરિક અદાલતોમાં પડકારી ન શકાય. બીજું? બીજું ઝીયા ફેડરલ શરિયત કોર્ટની સ્થાપના કરે છે અને ધાર્મિક બાબતોમાં અર્થઘટન કરવાનો અને ચુકાદો આપવાનો અધિકાર કેવળ શરિયત કૉર્ટને આપવામાં આવે છે. બીજી નાગરિક અદાલતોને ધર્મના મામલામાં ખટલા સાંભળવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. શરિયત કૉર્ટમાં જજ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવતી હતી એ કહેવાની જરૂર છે? ત્રીજું તેમણે લાહોરની વડી અદાલતની કાયમી બેંચ મુલતાન, રાવલપિંડી અને બહાવલપૂરમાં સ્થાપી હતી કે જેથી લાહોરની બાર કાઉન્સિલના માનવઅધિકારોનો બુંગિયો ફૂંકનારા વકીલોને લઘુમતીમાં મૂકીને મૂંગા કરી શકાય.

અને ચોથું અભૂતપૂર્વ પગલું પ્રોવિઝનલ કોન્સ્ટિટ્યુશનલ ઑર્ડર(પી.સી.ઓ.)નું હતું જેની જાહેરાત જનરલ ઝીયાએ ૨૪મી માર્ચ ૧૯૮૧ના રોજ કરી હતી. જે કામચલાઉ બંધારણીય આદેશ આપવામાં આવ્યો હતો એ પાકિસ્તાનનો કાયદો હતો અને એ જ બંધારણ હતું. હવે પછી પાકિસ્તાનની અદાલતોના જજોએ પી.સી.ઓ. હેઠળ હોદ્દાના સોગંદ લેવાના હતા. એ સમયે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એક પારસી દોરાબ પટેલ હતા. તેમણે પી.સી.ઓ. હેઠળ સોગંદ લેવાની ના પાડી દીધી અને રાજીનામું આપી દીધું હતું. કુલ મળીને સર્વોચ્ચ અદાલતના ૧૯ જજોએ સોગંદ લેવાની ના પાડી દીધી હતી. આપણે તેમની ખુમારીને અને ખુદ્દારીને સલામ કરવી જોઈએ. આને કોઈ ચોક્કસ ધર્મ અને લોહી સાથે સંબંધ નથી એની પણ નોંધ લેવી જોઈએ. દોરાબ પટેલ પારસી જરથોસ્તી હતા અને બાકીના જજો મુસલમાન હતા અને છતાં ગોગોઈ અને સથાસિવમથી ઊલટું ખુદાને વધારે વફાદાર હતા.

પણ એથી શું? જનરલ ઝીયાએ એક ઝાટકે વડી અદાલતોમાં અને સર્વોચ્ચ અદાલતમાં લાયકાત મેળવવાની ગળણી મૂકી દીધી. પી.સી.ઓ.ના નામે સોગંદ લઈને અંતરાત્માને ઘરે મૂકી આવો અને એ જો મંજૂર ન હોય તો ઘરે બેસો.

એક દાયકાના લોકતંત્ર પછી જનરલ પરવેઝ મુશર્રફે બળવો કર્યો અને વડા પ્રધાન નવાઝ શરીફને બરતરફ કરીને જેલમાં મોકલી દીધા. તેમણે પણ લશ્કરી કાયદો જાહેર કર્યો હતો. કહેવાની જરૂર નથી કે પાકિસ્તાનમાં સર્વોચ્ચ અદાલતે લોકતંત્રની હત્યાને અને લશ્કરી રાજને બહાલી આપી હતી. દલીલ એ જ હતી : ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી મુશર્રફે પણ પ્રોવિઝનલ કોન્સ્ટિટ્યુશનલ ઑર્ડર (પી.સી.ઓ.) જાહેર કરીને ગળણી મૂકી દીધી હતી.

આનું પરિણામ એ આવ્યું કે પ્રામાણિક અને તેજસ્વી વકીલો જજ બનતા નહોતા. અહીં ટકે શેર ભાજી, ટકે શેર ખાજાનો ન્યાય ચાલતો હતો. અંધેર હોવા છતાં નગરી કેવી ઝળહળી રહી છે એવું કહેનારા લોકો જજ બનવા માંડ્યા. હવે ગોગોઈ મહાશયોની દીવો લઈને શોધ કરવા જવાની જરૂર નહોતી, કારણ કે ગળણીમાં ગળાઈને ગોગોઈઓ જ આવતા હતા.

તમને કલ્પના નથી કે ફેડરલ શરિયત કોર્ટે અને આંગળિયાત અને મીડિયોકર જજોએ પાકિસ્તાનમાં કાયદાના રાજની કેવી પથારી ફેરવી નાખી હતી. માત્ર હિંદુ લઘુમતીને નહીં; મુસ્લિમ સ્ત્રીઓને, શિયાઓને, અહમદિયા મુસલમાનોને, સૂફી-દરગાહમાં માનનારા ઝિયારતી મુસલમાનોને, કબિલાઈ રિવાજો(ટ્રાઇબલ કસ્ટમ્સ)માં માનનારા સરહદી વિસ્તારના કબિલાઈ મુસલમાનોને પાકિસ્તાનમાં જીવવું કેટલું દુશ્વાર થઈ ગયું હતું. જેને સતાવવામાં આવતા હતા તેમાં દસમાંથી નવ ઉપર કહ્યા એવા કોઈને કોઈ વર્ગના મુસલમાન હતા. હિંદુ તો દસે એક માંડ હતો. આજે પણ તેનો અંત આવ્યો છે એવું નથી. તેમને કોઈને અદાલતમાં ન્યાય નહોતો મળતો.

પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર છે. ઈર્ષ્યા થાય છે? પાકિસ્તાનના મુસલમાનો લઈ ગયા અને આપણે (હિંદુઓ) રહી ગયા એવું લાગે છે? ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદનું જીવતુંજાગતું ઉદાહરણ પાકિસ્તાન છે. કોઈ પાકિસ્તાની મુસ્લિમ નાગરિકને પૂછો તો ખરા કે તેનું જીવન કેટલું ડર વિનાનું નિશ્ચિંત છે? ડરરહિત નિશ્ચિંત જીવન એ સુખનો માપદંડ છે. આમ છતાંય જો કોઈની આંખ ન ઊઘડતી હોય તો એવા લોકોને તો ભગવાન બચાવે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઍપ્રિલ 2020

Loading

કોરોનાવાઇરસને કારણે ખડો થયેલો યક્ષપ્રશ્નઃ ચીન સાથે હવે કિટ્ટા કે બુચ્ચા?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 April 2020

ચીન વિરોધી લાગણીઓ કોરોનાવાઇરસ કરતાં વધારે ઝડપથી આખી દુનિયામાં ફેલાઇ ચૂકી છે, એને તેનો ઘેરો પ્રત્યાઘાત ચીનનાં અર્થતંત્ર પર પડે તેવી શક્યતાઓ છે

બે અઠવાડિયા પહેલાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે વ્હાઇટ હાઉસમાં બ્રિફિંગ રૂમમાં પોડિયમ પર જગ્યા લીધી, ત્યારે તેમની ટિપ્પણીઓમાં કોરોના વાઇરસનો ઉલ્લેખ હતો અને તેમ થવાનું જ હતું. પરંતુ ટ્રમ્પ તો ટ્રમ્પ છે અને એટલે જ તેણે કોરોના શબ્દનો ઉપયોગ કરવાને બદલે ચાઇનિઝ વાઇરસ શબ્દ વાપર્યો. ટ્રમ્પે તો ચીનને આડે હાથે જ લીધું જાણે અને બેઇજિંગની ધૂળધાણી કાઢી નાખી કે તેમણે વુહાનમાં પહેલો કેસ ડિટેક્ટ થયો ત્યારે વાત છાની રાખી અને અંતે એક કેસ બની ગયો રોગચાળો જેને કારણે અમેરિકાને જાણે લકવા જ મારી ગયો. બીજા દિવસે જ્યારે બ્રિફિંગ શરૂ થયું ત્યારે ટ્રમ્પના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પેઓ પણ જોડાયા અને તેમણે ચીની સરકારને અગત્યનાં હેલ્થનાં ડેટાની માહિતી સગેવગે કરવા માટે “માસ્ક ડિપ્લોમસી”ને કારણે વખોડી અને આ કારણે જ આખી દુનિયાનાં લોકો જોખમમાં મૂકાયા છે તેમ પણ કહ્યું. આ તો એક યુ.એસ.એ.ની વાત છે પણ, જે રીતે ચીન પ્રત્યે લોકોને હવે સૂગ અને ચીઢ ચડ્યાં છે એ જોતાં લાગે છે કે ચીન વિરોધી લાગણીઓ કોરોના વાઇરસ કરતાં વધારે ઝડપથી આખી દુનિયામાં ફેલાઇ ચૂકી છે, એને તેનો ઘેરો પ્રત્યાઘાત ચીનનાં અર્થતંત્ર પર પડે તેવી શક્યતાઓ છે.

અમેરિકા અને ચીન બે વિશ્વ સત્તાઓ છે અને જે રીતે બધું વણસ્યું છે એ જોતા બન્ને મહાસત્તાઓ વચ્ચે શિત યુદ્ધનાં બ્યુગલ વાગી ચૂક્યા છે એવું વર્તાય છે. ચીનનો ડ્રીમ પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ જે 78 દેશોને જોડનાર હતો તેમાંથી હવે ઘણાં દેશોને રસ ઊડી ગયો છે. પાકિસ્તાનનાં ગિલગિટ બાલસ્ટિસ્તાન પાસે ઘણાં ચાઇનીઝ કામદારો કામ કરી રહ્યા હતા અને ત્યાં વાઇરસનો ફેલાવો પણ જોવા મળ્યો. એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનના આ પ્રોજેક્ટને બહુ ફટકો પડશે પણ ચીન અત્યારે ‘મિયાં પડે પણ ટંગડી ઊંચી'વાળા ખેલમાં આ સ્વીકારવા તૈયાર નથી. રોગચાળાના માહોલમાં પણ ચીને કમ્બોડિયામાં 8,00,000 ડૉલર્સનાં બંધનો પ્રોજેક્ટ સાઇન કર્યો છે, મ્યાનમારમાં 22.4 મિલિયન ડૉલર્સના બિઝનેસ પાર્કનો અને લાઓસમાં એનર્જી ફાર્મનો પોર્જેક્ટ સાઇન કર્યો છે. પણ પ્રોજેક્ટની જાહેરાત જેટલી સહેલી છે તેટલી તેની ડિલિવરી સરળ નથી હોતી. આમ પણ ચીનનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હતું ત્યાં વાઇરસનો ફટકો બહુ મોટી બ્રેક સાબિત થઇ શકે છે અને અર્થશાસ્ત્રીઓને મતે વન બેલ્ટ વન રોડનાં પ્રોજેક્ટને તો માઠી અસર થશે જ.

આ સ્થિતિમાં દુનિયાના જે બે દેશ આર્થિક સ્તરે મંદીને લડત આપવા માટે સક્ષમ છે તે જ એક સાથે કામ કરશે કે કેમ તે બહુ મોટો પ્રશ્ન થાય તે સ્વભાવિક છે. ચીનનો પગપેસારો એટલા બધા ક્ષેત્રમાં છે કે તેની અવગણના કેટલી હદે પોસાશે તે પણ એક પ્રશ્ન છે. જેમ કે ટ્રમ્પનાં યુ.એસ.એ.માં તેના સ્વાસ્થ્ય મંત્રાલયને ચિંતા છે કે આ પ્રકારનું વલણ હશે તો ચીન સાચો ડેટા આપશે જ નહીં. અત્યાર સુધીમાં ચાઇનિઝ વૈજ્ઞાનિકોએ વાઇરસની જિનોમ શૃંખલા આપી છે અને વાઇરસ અંગે અનેક પેપર્સ લખ્યા છે, જો કે અધિકારીઓએ પહેલાં તો તે જાહેર નહોતા થવા દીધા. ચીન પાસે યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડિકલ સપ્લાય ચેઇનમાં છેડછાડ કરવાની શક્તિ પણ છે અને ચીનની આર્થિક નીતિઓ વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરે તેવી પણ છે. ચીન અને યુ.એસ.એ., એ બન્ને દેશો વચ્ચે એવા સમયે સંબંધો તંગ થયા છે જ્યારે ખરેખર તેમણે એક સાથે સંપીને આ વાઇરસનાં કહેરને કારણે થયેલી તારાજી સામે લડવું જોઇએ.

આ તો આ બે દેશની વાત છે પણ જાપાનની વાત કરીએ તો જાપાનમાં તો ચાઇનિઝ ડોન્ટ કમ ટુ જાપાનનાં હેશ ટેગ્ઝ હવે ટ્રેન્ડિંગ છે અને સિંગાપોરમાં રહેનારા ઘણાં નાગરિકોએ ચીનનાં નાગરિકોને પોતાના દેશમાં ન આવવા દેવા જોઇએ તે માટે પિટિશન્સ સાઇન કર્યા છે. હોંગકોંગ, સાઉથ કોરિયા, વિએટનામમાં વિવિધ વ્યાપારીઓ તો ચીનનાં ગ્રાહકો અમારે ત્યાં વેલકમ નથી તેવા સાઇનબોર્ડ્ઝ મૂકી દીધા છે. ફ્રાન્સમાં એક અખબારમાં પહેલા પાનાંની હેડલાઇનમાં ‘યેલો એલર્ટ’ની ચેતવણી હતી, જો કે પછી અખબારે માફી માગી લીધી હતી તો ટોરન્ટોનાં સબર્બમાં વાલીઓએ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં પત્ર લખી માગણી કરી કે ત્યાં ચીનથી આવેલા એક પરિવારનાં બાળકોને ૧૭ દિવસ સુધી શાળાની બહાર રાખે.

કોરોના વાઇરસનાં પ્રસારને કારણે ચીન સામે આખી દુનિયામાં એક પ્રકારનો ઝેનોફોબિયા એટલે કે વિદેશી કે અજાણ્યાઓ પ્રત્યેનો ડર જે આ કેસમાં ચીન સામે પ્રસરી ચૂક્યો છે. હજી ગયા અઠવાડિયે જ બૉલીવુડ ગાયક અને એક્ટર મિયાંગ ચાંગે પોતાની વિતક જણાવી હતી જેમાં તેને જોઇને કોઇએ કોરોના કહીને બૂમ પાડી અને તે બહુ જ ડિસ્ટર્બ થઇ ગયો. ચીન વૈશ્વિક સ્તરે આર્થિક અને સેનાકિય બન્ને શક્તિઓમાં ખૂબ જ વિકસી રહ્યો હતો અને એશિયા તથા પશ્ચિમ બન્નેમાં તેના સ્પર્ધક દેશોને તે પોતાની ક્ષમતાઓથી હચમચાવી રહ્યો હતો ત્યારે, એવા સંજોગોમાં આ વાઇરસનું ત્યાંથી જ પ્રસરવું ચીન સામેની કટ્ટરતામાં વધારો જ કરનારો સાબિત થઇ રહ્યો છે. વિવિધ દેશોએ ચીન જતી ફ્લાઇટ્સ, પ્રતિનિધિમંડળની યોજનાઓ કેન્સલ કરી દીધી છે અને ઘણાં દેશે તો ચીનનાં મુલાકાતીઓ માટે પોતે પ્રવેશબંધી કરશે તે હદે વિચાર કર્યો છે. બેંગકોકના રહેવાસીઓ એવા મોલમાં જવાનું ટાળે છે જ્યાં ચાઇનિઝ સહેલાણીઓની સંખ્યા નોંધપાત્ર હોય છે. સાઉથ કોરિયાનો વીડિયો જેમાં ચીનનાં કોઇ બાયોકેમિકલ વેપનમાંથી આ વાઇરસ લિક થયો હોવાનો વીડિયો પણ બહુ જ પૉપ્યુલર થયો છે. જાપાનના ટ્વિટર પર ચીનને ઇન્સેન્સિટીવ, બાયોટેરરિસ્ટ જેવા શબ્દોથી નવાજવામાં આવ્યો છે. આ તરફ ભારતમાં પણ ચાઇનિઝ વસ્તુઓનો બોયકૉટ કરવાની માંગ થઇ રહી છે. એવી ચર્ચાઓ પણ સતત ચાલે છે કે ચીનમાંથી નાના અને મધ્યમ કદનાં ઉદ્યોગો પોતાનાં રોકાણો પાછા ખેંચવાનું વિચારી રહ્યા છે પણ અંતે જ્યારે બધું થાળે પડશે તે પછી જ વાસ્તવિકતા બહાર આવશે.

ચીન પોતાની ખરડાયેલી છાપને સુધારવા માટે ભારે માથાકૂટ કરી રહ્યું છે. ચીન પર આખી દુનિયા ફિટકાર વરસાવી રહી છે ત્યારે તેમના તરફથી વિશ્વને અપીલ છે કે તેમના પ્રત્યે સિમ્પથી દર્શાવવામાં આવે. કોરોનાવાઇરસ ફેલાવાનો શરૂ થયો ત્યારે જે દેશોએ ચીન સાથેની મુસાફરીની કડીઓ કેન્સલ કરી ત્યારે તો ચીનનાં ડિપ્લોમેટ્સે ઘણું આકરું વલણ દર્શાવ્યું પણ હવે તો ચીન પોતાના જ ડિપ્લોમેટિક પ્રયાસોને અંડરકટ કરી રહ્યું છે અને પ્રવાસનાં નિષેધને આવકારી રહ્યું છે. વળી ચાઇનિઝ ડ્રેગન છે એટલે આવી સ્થિતિમાં સાવ આગ ન ઝરે પણ તણખા કરવાનું તો ન ચૂકે એટલે ત્યાં વિદેશી પત્રકારોને નોકરીમાંથી કાઢી મૂકાયા છે, રેસિઝમ દર્શાવાયું તો તેનો વિરોધ કરાયો છે અને બીજી સરકાર ધીમી ગતીએ પ્રતિક્રિયા આપે છે એવો સંકેત પણ આપી દીધો છે. ચીનને તો ઘર આંગણે પણ વિરોધ વેઠવાનો છે અને અન્ય દેશો તો ચીનની સામે થયા જ છે. આ રોગચાળાને કારણે ચીન પાસે અમેરિકા અને અન્ય દેશો સાથે સંબંધો સુધારવાનો મોકો હતો એ પણ હાથથી ગયો છે. ચીનની સરકાર ત્યાંના લોકોને સમયસર ચેતવી ન શકી તે અંગે પણ તેમની પાસે કોઇ બચાવ નથી. માણસજાતને ખોતરો તો એ બધે સરખી જ હોય અને માટે જ એ હકીકત છે કે ગમે તે થાય ચીન પોતાના પર માહિતી છાની રાખવાનો જે આક્ષેપ છે તે ક્યારે ય સ્વીકારશે નહીં. પરંતુ ચીને રાખેલું મૌન આ રોગચાળાનું કારણ છે એ પણ એક હકીકત છે, પરંતુ ભારત માટે ચીનનો બહિષ્કાર કરવો કોઇ ઉપાય નહીં હોય. ભારત જ નહીં આમ તો આખી દુનિયા માટે એવું છે. ચીનમાં જે સ્તરે ઉત્પાદન થાય છે, લેબર અને માસ પ્રોડક્શન થાય છે તે વિશ્વને ઘણું બધું આપે છે. દુનિયાનાં બહુ બધા ઉદ્યોગો ચીન પર આધારિત છે. ભૌગોલિક રાજકારણને સ્તરે ચીનનો બહિષ્કાર લાંબે ગાળે કોઇને પણ ફાયદો નહીં કરાવે. ભારતની વાત કરીએ તો આપણી ૧૬ ટકા આયાત આપણી આસપાસનાં દેશો પર આધાર રાખે છે જેમાંથી ચીન પર ૨.૬ ટકાની આયાત થાય છે. ચીનનો બહિષ્કાર કરવાનો આવશે તો ભારતને બહુ મોટી ખોટ જશે એ ચોક્કસ છે.

વૈશ્વિક ઝેનોફોબિયાના ગાડરિયા પ્રવાહમાં જોડાવાને બદલે ભારતે તબીબી વ્યૂહરચના પર કામ કરવું જોઇએ જેનાથી ભવિષ્યમાં આવી કોઇ પણ જોખમી સ્થિતિ ખડી થાય તો તેની સામે લડવા માટે આપણે સક્ષમ હોઇએ. ચીન મેડિકલ અને રિસર્ચ ક્ષેત્રે આ રોગચાળા પછી કોઇ જ કચાશ નહીં છોડે એ આખી દુનિયા જાણે છે.

અમેરિકાને કદાચ અમૂક સમય સુધી ચીન સાથે શિંગડા ભેરવવાનું પોસાઇ શકે છે પણ આપણે હજી એટલા સદ્ધર નથી. મુત્સદ્દીપણાથી આપણા દેશને બચાવવાનો રસ્તો શોધવો એ જ સૌથી સારી વ્યૂહરચના હોઇ શકે. આમ પણ મહાસત્તાઓ પોતે સ્પર્ધક છે તેવું દર્શાવીને પોતાનું જોર કાયમ રાખવા અંદરખાને દોસ્તીની વાટાઘાટો ચાલુ જ રાખતી હોય છે, એ પણ એક હકીકત છે.

બાય ધી વેઃ

લોકો ચાઇનિઝ ફૂડનો બહિષ્કાર કરવાની વાતો કરે છે પણ આપણે ભારતીયો જે ચાઇનિઝ ખાઇએ છીએ એવું તો ચીનનાં એકેય નાગરિકે નહીં ખાધું હોય, એટલે એવી તર્કહિન વાતો કરવાને બદલે સાચા અર્થમાં સ્વદેશી અપનાવીએ અને ગાંધીજી કહેતા એમ આસપાસનાં ૧૦૦ મીટરનાં વિસ્તારમાં કે પોતાના દેશમાં બન્યું હોય તે જ વાપરીએ. લાલચ નહીં જરૂરિયાત પ્રમાણે જીવીએ. ચીન કેટલું પાપી છે તેની વાત કરવા કરતાં છેલ્લા કેટલાક મહિનામાં સુધરેલા ઓઝોન લેયર, પોતાના મૂળ સ્થળોએ પાછા ફરેલાં કાચબાઓ, માછલીઓ અને પંખીઓના વાવડ પર પણ નજર કરીએ. અત્યારના સંજોગોમાંથી માણસ કંઇ શીખે તો સારું બાકી તો માણસજાતની યાદશક્તિ બહુ જ ટૂંકી હોય છે. એક વાર પડી ભાંગેલા માર્કેટમાં કંઇક હરિયાળી દેખાશે અને માણસ ફરી પૈસા કમાવાની દોડમાં કમર કસીને મંડી પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઍપ્રિલ 2020

Loading

કોવિડ 19 વિષે આપણે શું કરી શકીએ

પી સાંઈનાથ [અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા]|Opinion - Opinion|5 April 2020

આ લેખ સૌ પ્રથમ ૨૬ માર્ચ ૨૦૨૦ના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કરેલા 'પેકેજ'ના થોડાક કલાકો બાદ પ્રકાશિત થયેલો છે. મૂળ લેખ માટે જુઓ https://ruralindiaonline.org/articles/what-we-should-do-about-covid-19/

કટોકટીને પહોંચી વળવા સરકાર દ્વારા જાહેર કરાયેલું 'પેકેજ' એ ઉદાસીનતા અને અજ્ઞાનતાનું મિશ્રણ છે.

કોરોના વાઇરસ વિષે પ્રધાનમંત્રીના પહેલા ભાષણે જ આપણને થાળી વાડકા ટીપી ટીપીને બધા દુષ્ટ આત્માઓને ભગાડતાં કરી મૂક્યા.

અને એમના બીજા ભાષણે આપણે બધાને ટીપી કાઢ્યા.

આવનારા દિવસોમાં જનતા, ખાસ કરીને ગરીબો કઈ રીતે ખાવા પામશે કે કેવી રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓ એમના સુધી પહોંચશે એ વિષે એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યા વગર એમણે લોકોના ટાંપીને બેઠેલા ભયને હવા આપી. મધ્યમવર્ગ દુકાનો ને બજારોમાં ઉમટી પડ્યો — જે ગરીબો માટે શક્ય નહોતું. નહોતું શક્ય શહેર છોડીને એમને ગામ જઈ રહેલા સ્થળાંતરિત લોકો માટે. નહોતું શક્ય નાના ફેરિયાઓ, કામવાળાઓ, ખેત મજૂરો માટે. નહોતું શક્ય રવિની ફસલ પૂરી ના કરી શકતા – કે ફસલ સાથે ફસાયેલા ખેડૂતો માટે. નહોતું શક્ય ભારતના હજારો લાખો છેવાડાના લોકો માટે.

નાણામંત્રીએ ગઈકાલ 26 માર્ચે જાહેર કરેલા પેકેજમાં જો કોઈ એક સારી વાત હોય તો એ છે : દરેક વ્યક્તિને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ (પી.ડી.ઍસ.) મળતા 5 કિલો અનાજ ઉપરાંત ત્રણ મહિના સુધી વધારાના 5 કિલો ઘઉં કે ચોખા મફત આપવાની વ્યવસ્થા. એમાં પણ એ સ્પષ્ટ નથી કે પહેલાની યોજના પ્રમાણે મળતા 5 કિલો પણ મફત મળશે કે પછી એના પૈસા આપવાના રહેશે. અને જો એના પૈસા આપવાના હોય તો એ નિરર્થક હશે. પેકેજમાં ઉલ્લેખાયેલા મોટા ભાગના પગલાંમાંની રકમ એ જ યોજનાઓની છે જે પહેલેથી અસ્તિત્વમાં છે. જેમ કે મનરેગાના વેતનમાં 20 રૂપિયાનો વધારો નિશ્ચિત જ હતો — અને આમાં ક્યાં ય કામના દિવસોના વધારાનો ઉલ્લેખ ક્યાં છે?  અને માનો કે તમે લાગી પણ જાઓ કામે; પણ કામ આવશે ક્યાંથી, અને એ કામના સમયે સામાજિક અંતર રાખવાનું શક્ય હશે? આ સ્તરનું કામ ઉપલબ્ધ કરવા માટે જે સમય જોઈશે એ બધા અઠવાડિયાઓમાં લોકો શું કરશે? શું તેમનું સ્વાસ્થ્ય એમનો સાથ આપશે? આપણે મનરેગાના દૈનિક વેતન દરેક મજૂર ને ખેડૂતને  જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી આપવા જ રહ્યા, પછી ભલે એમને માટે કામ હોય કે ના હોય.

2,000 રૂપિયાનો લાભ તો પી.એમ.-કિસાન હેઠળ હતો જ અને અપેક્ષિત હતો — તો એનાથી ઉમેરાયું શું?  જે લાભ ત્રણ માસના અંતે મળવાનો હતો તે હવે અગાઉથી મળવાનો થયો. મહામારી ને લૉકડાઉનની પરિસ્થિતિ સામે લેવાતાં પગલાં રૂપે જે 1.7 લાખ કરોડ ફાળવવામાં આવ્યા એનો સ્પષ્ટ વિભાજીત ખ્યાલ, કે એમાં આવરી લેવાયેલાં નવાં પગલાંનો ખ્યાલ નાણામંત્રીએ આપણને આપ્યો જ નહિ. જાહેર કરાયેલી કુલ રકમનો કેટલો હિસ્સો જૂની કે હાલમાં અસ્તિત્વમાં હોય એવી યોજનાઓમાંથી વાળીઝૂડીને ભેગા કરેલા આંકડાઓનો છે? એની ગણના તો કટોકટીનાં પગલાંમાં ભાગ્યે જ થઇ શકે. વધુમાં, સેવાનિવૃત્તો, વિધવાઓ, અને દિવ્યાંગોને એકવારની સહાયરૂપે આવનારા ત્રણ મહિના દરમ્યાન બે તબક્કામાં રૂપિયા 1,000 આપવામાં આવશે? તેમ જ જન ધન યોજનાના ખાતા ધરાવતી 20 કરોડ બહેનોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને રૂપિયા 500 આપવામાં આવશે? આ તો સૂચક પણ નહિ; આ શરમજનક કહેવાય.

સ્વ-સહાય જૂથો માટે લોનની મર્યાદા વધારવાથી પરિસ્થિતિ કેમની બદલાશે જ્યારે મંજૂર થયેલી લોનની રકમ મેળવાવમાં લોકોને નવ નેજાં પાણી ઉતરે છે? અને પેલા પોતાને ઘેર, ગામ જવા મથતાં અગણિત સ્થળાંતરિત મજ઼દૂરોને, જે રસ્તામાં અધવચ્ચે ફસાયેલા છે, એમને આ 'પેકેજ' કેવી રીતે મદદ કરશે? માત્ર એમ કહેવું કે એ સ્થળાંતરિત લોકોને મદદ કરશે એ તદ્દન અપૂરતું છે. તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવાના જાહેર કરાયેલાં પગલાંઓમાં રહેલી આ ખામીઓ ચિંતાજનક છે, એમ જ આ 'પેકેજ' તૈયાર કરનારનું વલણ અત્યંત ભય ઉપજાવનારું છે. તેમાં આંખ સામે ઊભી થઇ રહેલી પરિસ્થિતિઓ વિષે સંપૂર્ણ ઉદાસીનતા જોવા મળે છે.

ફોટો : લાબાની જંગી

આ લેખ સાથેના બંને ચિત્રો એક સર્જકની આંખે નિરૂપાયેલાં દિલ્હી અને નોઇડાથી ઉત્તરપ્રદેશ ને બીજે તેમના ગામો તરફ પાછા જતા સ્થળાંતરિત કામદારોની અવળી મુસાફરીનાં દ્રશ્યો છે.  કલાકાર લાબાની જંગી એક ચિત્રકાર છે. ચિત્રકાલાનું જ્ઞાન એમણે સ્વયં સાધનાથી પ્રાપ્ત કર્યું છે. તેઓ હાલમાં સેન્ટર ફોર સોશિયલ સાયન્સીસ, કલકત્તામાં મજૂરોના સ્થળાંતરના વિષયમાં પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે.

આપણે અત્યારે જે રીતના લૉકડાઉનમાં છીએ – નબળા વર્ગોને માટે કોઈ સામાજિક સહાયતાઓ કે પૂર્વતૈયારી વગરના — તેવા લૉકડાઉન આપણને આવા અવળા સ્થળાંતરો તરફ નક્કી દોરી જઈ શકે છે, દોરી જઈ રહ્યા છે. કોઈ ચોક્કસ આંકડો મેળવવો આમાં શક્ય નથી, પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી મળતા અહેવાલો પ્રમાણે લોકો જે નાનાં મોટાં શહેરોમાં કામ કરતાં હતાં એ બધા લૉકડાઉન હેઠળ આવતા મોટી સંખ્યામાં લોકો પોતાનાં ગામડાંઓ તરફ પાછા જઈ રહ્યા છે.

ઘણા એમની પાસે છે તે એક માત્ર પરિવહનનું સાધન વાપરીને જઈ રહ્યા છે — અને તે છે એમના પોતાના પગ. કોઈ સાયકલ પર જઈ રહ્યા છે. તો ઘણા અડધે રસ્તે અટવાયેલા છે કારણ ટ્રેન, બસ, વાન બધું ઠપ્પ થઇ ગયું છે. વિચારો જો પરિસ્થિતિ વધુ વિકટ થશે તો જે આભ તૂટી પડશે આપણે માટે એનો વિચાર માત્ર ડરાવી મૂકે તેવો છે. 

વિચારો, ગુજરાતથી રાજસ્થાન, હૈદરાબાદથી તેલંગાણાના અને આંધ્ર પ્રદેશના દૂરના ગામો તરફ, દિલ્હીથી ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ, મુંબઈથી કોણ જાણે કંઈ કેટલા ય રાજ્યોના કેટલાં ય ગામો તરફ મોટા જૂથમાં ઘર તરફ ચાલતાં લોકો વિષે. જો એમની વહારે કોઈ ના આવ્યું અને એમનો ઝડપથી ખાલી થતો અનાજ પાણીનો પૂરવઠો ખૂટી ગયો તો હોનારત સર્જાશે. એ સૌ ઝાડા, ઊલટી, કોલેરા, જેવા સદીઓ જૂના કંઈ કેટલા ય રોગના શિકાર બનશે.

ઉપરાંત, આર્થિક આપત્તિઓ વધતાં એવી સ્થિતિ સર્જાશે જેમાં આપણે કદાચ મોટી સંખ્યામાં કામદાર અને યુવાન લોકોને મોતનો શિકાર થતાં જોઈશું. પીપલ્સ હેલ્થ મૂવમેન્ટના વૈશ્વિક સંચાલક  ટી. સુંદરરામને PARIને જણાવ્યું કે, "તબીબી સારવારના અભાવ વચ્ચે આ આર્થિક આપત્તિને કારણે આપણે કોરોના વાયરસની જગ્યાએ બીજા અનેક રોગોથી થતાં મોત જોઈશું.

કુલ જનસંખ્યાના 8 ટકા લોકો જે 60 વર્ષ કે એથી ઉપરના છે તેમને કોરોના વાયરસથી સૌથી વધારે ખતરો છે. બીજા રોગોનો રાફડો ફાટતાં, અને આવશ્યક તબીબી સારવારની ગેરહાજરીમાં યુવાન કામદાર વર્ગની જનસંખ્યાને મોટો ફટકો પડશે.”

નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના ભૂતપૂર્વ કારોબારી સંચાલક, પ્રો. સુંદરરામન્‌, "અવળા સ્થળાંતરોની સમસ્યા અને આજીવિકાના નુકશાનના પ્રશ્નોની નોંધ લેવાની તેમજ એ ઉપર કામ કરવાની" જરૂર ઉપર ભાર મૂકે છે. "આમાં જો આપણે અસફળ રહ્યાં તો એ સૌ બીમારીઓ જે વર્ષોથી ગરીબોને સતાવે છે અને તેમના મોતનું કારણ બને છે તે બધી ય કોરોના વાયરસથી થતા મોતને આંબી જશે." ખાસ કરીને શહેરમાં રહેતા સ્થળાંતરિત કામદારોનું નજીવું વેતન બંધ થતા ભૂખમરાની પકડમાં આવશે અને જો અવળાં સ્થળાંતર વધશે તો સ્થિતિ વધુ વણસશે.

ફોટો. રાહુલ એમ

થાકેલા સ્થળાંતરિત કામદારો જે દર અઠવાડિયે આંધ્ર પ્રદેશમાં અનન્તપુર અને કેરાલામાં કોચીની વચમાં આવજા કરે છે.

ઘણા સ્થળાંતરિત લોકો એમના કામની જગ્યાએ જ રહે છે. એ જગ્યાઓ બંધ થતા એમને હવે ત્યાંથી જવાની સૂચના મળે છે — આ લોકો જાય ક્યાં? લાંબા લાંબા અંતરો પગપાળા કાપવા એ  દરેકના ગજાની વાત નથી. એમની પાસે રાશન કાર્ડ નથી — એમની પાસે ખાવાનું કેવી રીતે પહોંચડશો?

આર્થિક સંકટ ગતિ પકડી રહ્યું છે.

જે ઉભરીને આવે છે તે છે સ્થળાંતરિત મજૂરોનું, કામવાળાઓનું, અને ગરીબોનું મોટી હાઉસિંગ સોસાયટીઓ દ્વારા થઇ રહેલું વિમુદ્રીકરણ (ડીમોનિટાઇઝેશન), કારણ સોસાયટીઓના લોકોને ખાતરી છે કે આ લોકો સમસ્યાની જડ છે. હકીકત : કોવિડ 19ના વાહક, જેવા પહેલા સાર્સ(SARS)ના હતા,  હવામાં ઉડવાવાળા વર્ગના છે. આ સમજવાને બદલે આપણે જાણે આપણા શહેરોની ગંદકીને દૂર કરી રહ્યા હોઈએ એમ આ બધા અનિચ્છનીય તત્ત્વોને બહાર કાઢી રહ્યા છીએ. વિચાર કરો : આ ઉડતા વાહકોએ જો વાયરસ આ સ્થળાંતર કરી રહેલા લોકોમાંના એકાદને આપ્યો હોય અને એ ગામડે પહોંચે પછી એનું પરિણામ શું આવે?

થોડાઘણા સ્થળાંતરિત કારીગરો હંમેશાં પગપાળા એક ગામથી બીજે ગામ ગયા છે, ખાસ કરીને જ્યારે એ ગામો એક જ રાજ્યના કે આજુબાજુના રાજ્યોના હોય. પરંપરા એવી હતી કે જ્યારે આમ ચાલતા જતાં હોય ત્યારે રસ્તામાં આવતા ઠેલા ને ધાબાઓ પર રોકાઈ, થોડું કામ કરે અને એ બહાને એક સમયના ખાવાનાની અને રાતના સૂવાની વ્યવસ્થા થઇ જાય. પણ હવે તો એ બધાં બંધ થયા છે — શું થશે? 

ઉપલા અને મધ્યમ વર્ગના લોકોનું એમ માનવું છે કે જો આપણે ઘેર રહીશું ને આ સામાજિક અંતરનું બરાબર પાલન કરીશું તો બધું ઠીક થઇ જશે. કઈ નહિ તો આપણને વાઇરસનો ચેપ નહિ લાગે. ઘણાને મન આ સામાજિક અંતરના જુદા સંદર્ભો છે. આપણે જ લગભગ બે સહસ્રક પહેલાં આનું એક મજબૂત સ્વરૂપ શોધ્યું હતું – જ્ઞાતિ. જ્ઞાતિ અને વર્ગ એ આપણા લૉકડાઉનની રીત અને  પ્રતિભાવમાં પણ જાણે વણાઈ ગયેલા છે.

એક દેશ તરીકે આપણને એ વાત અડતી નથી કે 2.5 લાખ જેટલા ભારતીયો દર વર્ષે ટ્યુબરક્યુલોસિસની બીમારીથી મરે છે. કે પછી ઝાડાઊલટીથી મરતાં બાળકોની સંખ્યા વર્ષે 1,00,000 છે. એ આપણામાંના નથી. ભય ને આતંક ત્યારે ફેલાય છે જ્યારે રૂપાળાં લોકોને સમજાય છે કે કોઈ ઘાતક બીમારી સામે લડવા એમની પાસે કોઈ પ્રતિકારક શક્તિ નથી. SARSમાં પણ એમ હતું. 1994ના સુરતના પ્લેગમાં પણ એવું હતું.

ફોટો જ્યોતિ શિનોલી

મુંબઈના ચેમ્બુરના માહુલ ગામનાં સફાઈ કામદારો કોઈ જાતના રક્ષણાત્મક સાધનો વગર ઘણુંખરું ઝેરી કચરામાં કામ કરે છે.

આપણે અત્યારે કામે લાગવાની જરૂર છે.  આપણે માત્ર એક વાઇરસ સામે જંગ નથી લડી રહ્યા — મહામારીના પણ 'પેકેજ' હોય છે. આર્થિક સંકટ એમાંનું આપણે જાતે ઊભું કરેલું ને આપણે પોતે બગાડેલું એક પરિબળ છે જે આપણને વિપત્તિમાંથી વિનાશ તરફ લઇ જઈ રહ્યું છે.

એ ખ્યાલ કે આપણે માત્ર એક વાઇરસ સામે લડી રહ્યા છે અને એક વખત એની સામે જીતી ગયા તો બધું ઠીક થઇ જશે — એ બહુ જોખમી ખ્યાલ છે. આપણે કોવિડ 19 સામે અવશ્ય લડવું જોઈએ — "સ્પેનિશ ફલૂ"ના ખોટા નામે પ્રચલિત અને 1918માં ફેલાયેલી મહામારી પછીની આ સૌથી ખરાબ મહામારી હોઈ શકે છે. (જેમાં ભારતના 16થી 21 મિલિયન લોકોએ એમના જીવ ગુમાવ્યા હતાં અને 1921ની વસ્તીપત્રક એ એવું એમ માત્ર વસ્તીપત્રક હતું જેમાં ગ્રામીણ વસ્તીમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો હતો).

પરંતુ વિશાળ ફલકનો વિચાર કાર્ય વગર માત્ર કોવિડ-19 ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે ચકલી ચાલુ રાખી, પાણી ગળતું રાખી ને જમીન પર પોતું કરવા જેવી વાત છે.

આપણે એવા અભિગમની જરૂર છે જે જાહેર આરોગ્ય પ્રણાલીના, હક અને અધિકારોના વિચારો મજબૂત કરે

આરોગ્ય ક્ષેત્રના કેટલાક મહાન માથાંઓએ 1978માં ડેક્લેરેશન આલ્મા આટા તૈયાર કર્યું હતું — એ દિવસોની વાત છે જ્યારે પશ્ચિમની સરકારોએ કોર્પોરેટ હિતની સામે WHOને ઘૂટણ ટેકતું નહોતું કરી મૂકયું. એ નિવેદન (ડેક્લેરેશન) એ આ વાક્ય પ્રચલિત કરી મૂકેલું "હેલ્થ ફોર ઓલ બાય 2000" (2000 સુધીમાં સૌનું આયોગ્ય). એમાં એક એવી માન્યતા હતી કે આરોગ્ય એ દુનિયાના સૌ લોકો ભોગવી શકે છે "દુનિયાની પૂંજીનો વધારે અને સારો ઉપયોગ કરીને .."

અને 80થી શરૂ કરીને આરોગ્યના સામાજિક અને આર્થિક પાસાંઓને સમજવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરતું એની સાથે સાથે એક બીજો વિચાર પણ વેગ પકડી રહ્યો છે. ખૂબ ઝડપથી : ઉદારમતવાદ (નીઓ લિબરલીઝમ).

80ના દાયકાના પાછળના ભાગમાં અને 90ના દાયકાથી શરૂ કરીને આરોગ્ય, ભણતર, અને આજીવિકા એ બધાને માનવ અધિકારમાં ગણાતા જ જાણે બંધ થઇ ગયા છે.

1990માં આવ્યું બીમારીઓનું વૈશ્વિકરણ. પરતું આ ઘાતક પડકારને પહોંચી વળવા માટે વૈશ્વિક આરોગ્ય પ્રણાલીઓનું નિર્માણ કરવાને બદલે કેટલા ય રાષ્ટ્રો એ આરોગ્યના ક્ષેત્રમાં ખાનગીકરણનો રસ્તો અપનાવાયો. ભારતમાં પહેલેથી જ ખાનગી સંસ્થાઓનું વર્ચસ્વ રહ્યું છે. આપણે આરોગ્ય પર ખર્ચ કરવાની બાબતમાં વિશ્વમાં સૌથી પછાત છીએ. જી.ડી.પી.નો માત્ર 1.2 ટકા હિસ્સો આપણે આરોગ્ય સેવાઓ પાછળ ફાળવીએ છીએ. 1990થી શરૂ કરીને જે યોજનાઓ આપણે એક ઇરાદાપૂર્વક અમલમાં મૂકી એના ફળસ્વરૂપ આપણું જાહેર આરોગ્ય તંત્ર જે પહેલેથી જ કથળેલું હતું તે વધુ નબળું થયું. આપણી હાલની સરકાર હવે જિલ્લા સ્તરની હોસ્પિટલોના આયોજનનો દોર સંભાળવા પણ ખાનગી કંપનીઓને આમંત્રે છે.

સ્વાસ્થ્યને લઈને થતા ખર્ચાઓ એ આજની તારીખે ગ્રામીણ કુટુંબોમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે. 2018ના જૂન મહિનામાં સ્વાસ્થ્ય વિશેની માહિતીનું વિશ્લેષણ કરતા પબ્લિક હેલ્થ ફોઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ તારણ કાઢ્યું કે પોતાના સ્વાસ્થ્યને માટે કરવા પડતા ખરચાને કારણે 2011-12ના માત્ર એક વર્ષની અંદર 55 મિલિયન લોકો ગરીબી રેખા તળે ગયા હતા, અને એમાંના 38 મિલિયન માત્ર દવાઓના ખર્ચને કારણે ગરીબી રેખા નીચે ગયા.

ખેડૂતોએ આત્મહત્યા કરી હતી એવા હજારો ઘરો વચ્ચે જો કોઈ સામ્ય હોય તો એ હતું સ્વાથ્યને માટે કરવા પડતા અમર્યાદ ખર્ચ — અને તેને માટે કરવું પડતું શાહુકારનું દેવું  

ફોટો : એમ. પલની કુમાર

ચેન્નાઈના સફાઈ કામદારો, અને એમના પ્રતિરૂપી બીજા ઘણા ય, કોઈ જાતના રક્ષણાત્મક સાધનો વગર સફાઈનું કામ કરે છે. 

આપણી  પાસે સૌથી વધુ વસ્તી છે જે કોવિડ 19 જેવી મહામારીને સહેવા માટે બિલકુલ તૈયાર નથી. અને હવે કોઈ અત્યંત દુઃખની વાત હોય તો એ કે : બીજાં ઘણાં નામથી કોવિડ આવશે આવનારા દિવસોમાં. 1990થી લઈને આપણે SARS અને MERS (જે બંને કોરોના વાયરસથી જ આવેલા) અને બીજી અનેક બીમારીઓનો વૈશ્વિક વ્યાપ જોયો છે. ભારતમાં 1994માં સુરતમાં પ્લેગ આવેલો. જે તમામ સંકેતો છે આપણે જે પ્રકારની દુનિયા બનાવી છે તેના તેમ જ જેમાં આપણે પ્રવેશી રહ્યા છીએ એ દિવસોના.

ગ્લોબલ વીરોમ પ્રોજેક્ટના પ્રોફેસર ડેનિસ કૅરોલે હાલમાં કહ્યું એ પ્રમાણે : "આપણે સૌ પર્યાવરણની એ સૌ મેખલાઓમાં જેમાં પહેલા ક્યારે ય નહોતા વસ્યા ત્યાં બધે ખૂબ ઊંડા પહોંચી ગયા છીએ." એમનું કહેવું છે કે જે વિસ્તારોમાં પહેલા ખૂબ ઓછી માનવ વસ્તી હતી એ બધે ખોદકામ કરીને કાઢવામાં આવતા તેલ અને ખનીજ તત્ત્વો માટે આપણે ખાસ્સી મોટી રકમ ચૂકવીએ છીએ. પર્યાવરણની નાજુક મેખલાઓ પર આપણું વધતું જતું આક્રમણ માત્ર વાતાવરણને અસર નથી કરતું, પરંતુ એને કારણે વધતા જતા વન્યપ્રાણી સૃષ્ટિ અને માનવો વચ્ચેના સંપર્કથી અને તેથી ફેલાતા ચેપ અને વાયરસથી (જેના વિષે આપણે બહુ ઓછું કે કંઈ પણ જાણતા નથી) આપણે આપણાં સ્વાસ્થ્ય માટે  હોનારત નોતરીએ છીએ.

હા, નક્કી આપણે આવું બધું વધારે ને વધારે જોવાના છીએ

જ્યાં સુધી કોવિડ-19ની વાત છે, એ બે રીતે આગળ વધી શકે છે.

જો વાયરસનું પરિવર્તન થાય (આપણા ફાયદા માટે) અને એ થોડા અઠવાડિયામાં અદ્રશ્ય થઇ જાય.

એ પોતે પોતાના લાભ માટે પરિવર્તિત થાય અને તો એનું ચલણ વધારે ખરાબ થાય. જો એવું થાય તો માનો આભ તૂટી પડે.

આપણે શું કરી શકીએ? ભારતના ઉચ્ચ કક્ષાના વિચારકો, સમાજ સેવકો, અને બુદ્ધિજીવીઓ દ્વારા કરાયેલાં સૂચનોની સાથે, એના ઉપરાંત, તેમ જ એના સંદર્ભમાં, તેમ જ કેરાલાની સરકારના પગલાંઓથી પ્રેરાઈને હું આ થોડાં સૂચનો રજૂ કરું છું. (આ વિચારો દેવું, ખાનગીકરણ અને આર્થિક વ્યવસ્થાના પરાજયના વિશાળ વૈશ્વિક સંદર્ભને ધ્યાનમાં રાખીને ઉચ્ચારાયેલા છે).

• સૌથી પહેલાં જે કરવું જોઈએ : સંકટ સમયે 60 મિલિયન ટનના 'સરપ્લસ' અનાજના વિતરણની તૈયારી કરવી. આ સંકટમાં ઘેરાયેલા લાખો સ્થળાંતરિત મજૂરો ને ગરીબો સુધી તાત્કાલિક ધોરણે મદદ લઇ પહોંચવું. તમામ સામુદાયિક સ્થળો (જેવાં કે શાળાઓ, કોલેજો, સામુદાયિક હૉલ, અને મકાનો) જેમને હાલ પૂરતા બંધ કરાયાં છે તેને અટવાયેલા સ્થળાંતરિત લોકો તેમ જ ઘરબાર વિનાના લોકો માટે આશ્રયસ્થાનો જાહેર કરવા.

• બીજું, અને એટલું જ અગત્યનું, બધા ખેડૂતોને ખરીફ પાકની વાવણી માટે તૈયાર કરવા. જો હાલની પરિસ્થિતિ લાંબી ચાલશે તો ખાદ્ય પુરવઠાને લઈને એક ભયાનક સ્થિતિ આપણી ઉપર ઝળૂંબી રહી છે. ખેડૂતો આ મોસમની રોકડિયા પાકોની ફસલ વેચી શકશે નહિ. એવામાં વધુ રોકડિયા પાકો તરફ જવું ઘાતક નીવડશે. કોરોના વાયરસની રસી શોધતાં મહિનાઓ થશે. ત્યાં સુધીમાં અનાજના ભંડારો ખૂટી પડશે.

• સરકારે ખેડૂતોની ફસલ ખરીદવામાં મોટી મદદ કરવાની જરૂર છે. ઘણા સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સીન્ગ) અને લૉકડાઉનની વચમાં રવિની ફસલ પૂરી કરી શકે તેમ નથી.  જેમણે કરી છે એમને પરિવહનની ને વેચાણની કોઈ સુવિધા નથી. ખરીફના ખાદ્ય પાકોને માટે પણ ખેડૂતોને કોઈ નિવેશ, સહાય કામગીરી, વિતરણ બધામાં મદદ જોઈશે

• સરકાર દેશની તમામ ખાનગી હોસ્પિટલોનું રાષ્ટ્રીયકરણ કરવું રહ્યું. હોસ્પિટલોને માત્ર એક ખૂણો કોરોના માટે આરક્ષિત કરવાનું કહેવાથી કંઈ નહિ થાય. સ્પેઇનએ ગયા અઠવાડિયે એ વાત સમજી કે નફાની દ્રષ્ટિએ ચાલતી વ્યવસ્થા દ્વારા આ સંકટને પહોંચી વળવું અશક્ય છે અને એણે દેશની તમામ હોસ્પિટલો તેમ જ આરોગ્ય સેવા પૂરી પાડતી સંસ્થાઓનું રાષ્ટ્રીયકરણ કર્યું

• સફાઈ કામદારોને તાત્કાલિક ધોરણે સરકારના/મ્યુનિસિપાલિટીના પૂરા સમયના કામદાર તરીકે જાહેર કરી એમના માસિક વેતનમાં રૂપિયા 5,000નો વધારો કરવો, તેમ જ તેમને હંમેશાં જેનાથી વંચિત રાખ્યા છે એ તમામ આરોગ્ય સેવાઓના લાભ મળે તેની વ્યવસ્થા કરવી રહી. તેમને રક્ષણાત્મક પોશાક ને સાધનો પણ આપવા રહ્યા. છેલ્લા ત્રણ દાયકાઓથી આપણે પહેલેથી નબળા એવા લાખો સફાઈ કામદારોને જાહેર સેવાઓમાંથી બહાર કરીને, એમની નોકરીઓને ખાનગી કંપનીઓને આપીને — જે પાછળથી એ જ કામદારોને કરાર ઉપર અને પહેલાથી ઓછા વેતન અને કોઈ લાભ વગર એ જ કામમાં ફરી રોપે છે — વધુ રંજાડ્યા, ઊજડ્યા છે.

• ગરીબો માટે ત્રણ મહિનાની મફત ખાદ્ય સામગ્રી જાહેર કરવી અને પહોંચતી કરવી.

• આશા (ASHA) આંગણવાડી અને મધ્યાહન ભોજનના તમામ કાર્યકર્તાઓને જે સૌ આગળની હરોળમાં રહીને લડનારા છે તેમને તાત્કાલિક ધોરણે સરકારી કર્મચારીઓ તરીકે કાયમી કરવા. ભારતનાં બાળકોનું સ્વાસ્થ્ય અને જિંદગીઓ એમના હાથમાં છે. એમને પણ પૂરા સમયના વેતન મેળવતા પૂર્ણ સમયના કર્મચારીઓ જાહેર કરવાની તેમ જ રક્ષણાત્મક પોશાક અને સાધનો પૂરા પાડવાની જરૂર છે.

• ખેડૂતો અને મજ઼દૂરોને આ સંકટ દૂર ના થાય ત્યાં સુધી મનરેગા(MGNRGA)નું મહેનતાણું આપવું. શહેરી રોજના કારીગરોને પણ આ સમય પૂરતા 6,000 રૂપિયા મહિનાના આપવા.

આપણે આ પગલાં ભરવાની તાતી જરૂર છે. સરકારનું 'પેકેજ' ઉદાસીનતા અને અજ્ઞાનતાનું આશ્ચર્યજનક મિશ્રણ છે. આપણે માત્ર એક વાઇરસ સામે જંગ નથી લડી રહ્યા — મહામારીના પણ 'પેકેજ' હોય છે. આર્થિક સંકટ એમાનું આપણે જાતે ઊભું કરેલું ને આપણે પોતે બગાડેલું એક પરિબળ છે જે આપણને વિપત્તિમાંથી વિનાશ તરફ લઇ જઈ રહ્યું છે.

જો વાઇરસ આવનારા અઠવાડિયાઓમાં હટવાનું નામ નહિ લે તો ખેડૂતોને ખરીફની મોસમમાં ખાદ્ય પાકો ઉગાડવા સમજાવવા એ સૌથી વધુ અગત્યનું હશે.

આ સાથે શું આપણે કોવિડ-19ને, થોડી તટસ્થતાથી, ઇતિહાસની એક અદ્દભુત સાક્ષાત્કારની પળ તરીકે જોઈ શકીએ? એક એવો ચોરાહો જ્યાં ઊભા રહી આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ તરફ આગળ વધીશું. અસમાનતા અને આરોગ્ય ન્યાયની ચર્ચાઓને ફરી એક વાર જગાવવા અને સમજવા આપણેને પ્રેરતી ક્ષણ.

આ લેખની એક આવૃત્તિ પહેલાં ‘ધ વાયર’માં માર્ચ 26, 2020ના દિવસે પ્રકાશિત થઇ છે.

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવ્સ ઓફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક તંત્રી છે. તેઓ વર્ષો સુધી ગ્રામીણ પત્રકાર રહ્યા છે અને “એવરીબડી લવ્સ એ ગુડ ડ્રાઉટ”ના લેખક છે

અનુવાદક : પ્રતિષ્ઠા પંડ્યા અમદાવાદસ્થિત કવિ અને અનુવાદક છે જે અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં કામ કરે છે. તેઓ અમદાવાદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે અને ઉચ્ચતર શિક્ષણ, અંગ્રેજી સાહિત્ય અને કૉમ્યૂનિકેશન્સનના વિષયોનાં અધ્યયન અને અધ્યાપનમાં રસ ધરાવે છે.

https://ruralindiaonline.org/articles/કોવિડ-19-વિષે-આપણે-શું-કરી-શકીએ/

Loading

...102030...2,4892,4902,4912,492...2,5002,5102,520...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved