આપણે ગયા સપ્તાહે આ કોલમમાં વાંચ્યું હતું કે કોરોના વાઈરસની મહામારી કેવી રીતે દુનિયાની સરકારોને તેના નાગરિકોની જાસૂસી કરવાનો અવસર પૂરો પાડવાની છે. આ મહામારી માનવ જીવનના ઇતિહાસમાં એક પછી એક મોટા બદલાવ લાવવાની છે. મેડિકલ સાયન્સ સામે એક નવો જ પડકાર ઊભો થયો છે. અનેક અર્થવ્યવસ્થાઓ આજે બેવડ વળી ગઈ છે અને દુનિયા તેમાંથી ઉભરશે, ત્યારે નવા સરવાળા-ભાગાકાર થશે. અંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાઈ જશે. વૈશ્વિકીકરણની દિશા ફંટાઈ જશે. લોકો જે છૂટથી પરદેશોમાં ઊડાઊડ કરતા હતા, તેમાં બ્રેક વાગશે. એકબીજાને મળવાની, હાથ મિલાવવાની અને આલિંગનો આપવાની પરમ્પરા બદલાઈ જવાની છે. આપણે અહીં, અમુક હપ્તાઓ સુધી એ જોવાનો પ્રયાસ કરીશું કે આપણે જે દુનિયાને ઓળખીએ છીએ, તે કોરોના વાઇરસના કારણે કેટલી અને કેવી બદલાઈ ગઈ હશે. આજે એમાં ચીનની વાત.
એક બાબતમાં કોઈને ગૂંચવાડો નથી. કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરની દેન છે. વુહાન શહેરમાં, આ વાઈરસ જાનવરમાંથી મનુષ્યમાં આવ્યો ના હોત અને વુહાનના મનુષ્યોમાંથી તે અંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મારફતે દુનિયામાં પહોંચ્યો ન હોત, તો આજે દુનિયાનાં શટર પડેલાં ના હોત અને (આ લખાય છે ત્યારે) ૭૦,૦૦૦ મોત થયાં ના હોત અને ૧૨ લાખ લોકો સારવાર માટે ઝઝુમતા ના હોત.
આ કમબખ્તીને લઈને દુનિયામાં ચીન પ્રત્યે ભયંકર રોષ છે. એક મોટો વર્ગ આ મહામારીને ચીનનું કાવતરું માને છે. તેનું કારણ એ છે કે ચીન, બાકીની દુનિયાની જેમ, પારદર્શક નથી. તે તમામ પ્રકારની માહિતીઓ, સમાચારો, તથ્યો અને ત્યાં સુધી કે અભિપ્રાયોનું પણ નિયંત્રણ કરે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી એટલું જ દુનિયાને જાણવા દે છે, જે તે ઈચ્છતી હોય. કોરોના વાઇરસ માટે પણ એવું કહેવાય છે જે ચીને બાકીની દુનિયાને અંધારામાં રાખી હતી. શક્ય છે કે ચીન ખુદ વુહાનની અસલિયતમાં ધોખો ખાઈ ગયું હોય, પણ એ હકીકત ય આપણને જાણવા નહીં મળે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીભ બહુ લાંબી છે અને તેમના વિરોધીઓ, ટીકાખોર મીડિયા કે ઈસ્લામિક આતંકી સંગઠનો માટે તે મનમાં આવે તે બોલી નાખે છે, પરંતુ કોઈને એવી કલ્પના ન હતી કે તેઓ ચીનથી અકળાઈને કોરોના વાઈરસને ‘ચાઇનીઝ વાઈરસ’ કહેવાનું ચાલુ કરી દેશે. ચીનના લોકો ભળતું-સળતું ખાઈને બીમારીઓ ફેલાવે છે, તેવા સાધારણ લોકોના પૂર્વગ્રહનો જ આ પડઘો હતો, પરંતુ એક જવાબદાર વડા તરીકે તમે કોઈ બીમારીને કોઈ પ્રજા કે ધર્મનું નામ ના આપી શકો. એવી વાત હતી, જેમ હિટલરના નાઝીઓએ જર્મન પ્રજાની બીમારીઓ માટે યહૂદીઓ સાથેના તેમના રોટી-બેટીના વ્યવહારોને જવાબદાર ઠેરવ્યા હતા અને જર્મન પ્રજાનું લોહી ‘શુદ્ધ’ કરવા માટે ૬૦ લાખ યહૂદીઓને મારી નાખ્યા હતા.
એનાથી ચીન અકળાયું એટલુ જ નહીં, ટ્રમ્પે એવી રોતે ખીજવવાનું પડતું મૂકીને ચીનના પ્રેસીડેન્ટ ઝીનપિંગ સાથે ઓનલાઈન ચર્ચા કરી અને તેમનો ખભો થાબડતી ટિવટ પણ કરવી પડી. આ ચર્ચાના બે દિવસ પછી, શાંઘાઈથી એક વિમાન અમેરિકાના જે.એફ.કે. એરપોર્ટ પર ઊતર્યું. તેમાં ૧.૨ કરોડ હેન્ડ ગ્લોવ્ઝ, ૧,૩૦,૦૦૦ એન-95 માસ્ક, ૧૭ લાખ સર્જીકલ માસ્ક, ૫૦,૦૦૦ ઓપરેશન ગાઉન્સ, ૧,૩૦,૦૦૦ સેનિટાઇઝર્સ અને ૩૬,૦૦૦ થર્મોમીટર હતાં. અમરિકાના ઇતિહાસ કોઈ દેશે આટલી મદદ કરી હતી, અને તે દેશ બીજો કોઈ નહીં પણ ચીન હતો.
વિચાર કરો કે આખી દુનિયા, અને ખાસ કરીને મહાશક્તિ અમેરિકા, કોરોના વાઈરસના મારથી બેવડ વળી ગઈ હોય અને તેને ચીન ખુદ મદદ કરતું હોય, તે કેવી વક્રતા કહેવાય. એમાં ચીનની તાકાત પણ સાબિત થઇ છે. પોતે તો ઘરઆંગણે (૮૧,૦૦૦ પોઝીટીવ કેસ અને ૩,૦૦૦ મોત સાથે) કોરોના સામે લડતું જ હતું, પણ તે સાથે યુરોપ અને એશિયાના દેશોને ય કોરોના સામે લડવા માટે લાખોની સંખ્યામાં મેડિકલ વસ્તુઓ મોકલીને વૈશ્વિક સંબંધો મજબૂત કરી રહ્યું હતું. ચીનની સહાય મેળવનાર દેશોમાં અમેરિકા ઉપરાંત ઇટલી, મલેશિયા, ઝેકોસ્લોવાકિયા, ક્રોએશિયા, સરબિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે.
ઇટલીમાં ચીનનો મેડિકલ સમાન ખડકાતો હતો, તેના સમાચાર ફ્લેશ થઇ રહ્યા હતા, ત્યારે અમેરિકા ચૂપચાપ ઇટાલીમાં બનેલાં ૫૦,૦૦૦ ડાયોગ્નેટીક સ્વાબ મંગાવી રહ્યું હતું અને દક્ષિણ કોરિયા પાસેથી ટેસ્ટ કીટ્સ મેળવવા ટ્રમ્પ ફોન પર મંત્રણાઓ કરતા હતા. ૨૦૧૪માં ઇબોલાની મહામારી ફેલાઈ હતી, ત્યારે વેસ્ટ આફ્રિકામાં મેડિકલ સહાય, સૈનિકો અને અન્ય પુરવઠા મોકલીને અમેરિકા વિશ્વ નેતાના નાતે સૌથી મોખારે હતું. દુનિયામાં ક્યાં ય પણ કોઈ મોટી રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય અપદા આવી હોય, અમેરિકાની સૌની આંખે ઊડીને વળગે તેવી ભૂમિકા રહી છે.
કોરના વાઈરસમાં દુનિયાના નકશા પરથી અમેરિકા ગાયબ હતું, અને ચીન મદદ માટે હાથ લંબાવતું હતું. એ એક મોટો બદલવા દુનિયાએ જોયો અને આવનારા દિવસોમાં જોશે. યુરોપિયન યુનિયનના ભૂતપૂર્વ નીતિ-સલાહકાર અને ઇટાલિયન ઇન્સ્ટિટયુટ ફોર ઇન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર નથાલી ટોસીએ કહ્યું હતું, “મને જે આશ્ચર્ય થયું તે કોરોના વાઈરસની અંતરરાષ્ટ્રીય ચર્ચાઓમાં અમેરિકાની તદ્દન ગેરહાજરી હતી. જાણે નકશા પરથી અમેરિકા ઊડી ગયું છે અને ચીન બેસી ગયું છે.”
લંડનની રોયલ યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટયુટની ડિરેક્ટર એલિઝાબેથ બ્રાવ કહે છે, “દુનિયામાં અમેરિકાની નેતાગીરીને ૨૦૦૩માં ઈરાક પરના આક્રમણે જેટલું નુકશાન નોતું કર્યું, તેટલું નુકશાન કોરોના વાઈરસની કટોકટી કરવાની છે. ૨૦૦૩માં ચીન દૂર-દૂર સુધી ય દેખાતું ન હતું. વૈશ્વિક નેતાગીરીની જબબદારી લેવા તે તૈયાર ન હતું. આજે તેણે બતાવી દીધું છે કે અમેરિકા પગથિયાં ચૂકીને પડશે કે તરત કમાન હાથમાં લેવા ચીન તૈયાર છે. ચીનના મિત્ર દેશો હવે એ અપેક્ષાએ તેની તરફ જોશે.”
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીનો જે (ખરાબ) રીતે સામનો કર્યો છે, તેનાથી અમેરિકાની ક્ષમતા પર પણ સવાલો ઊભા થયા છે. અમેરિકા એક સમયે દુનિયાનું રોલ-મોડેલ હતું. આજે આ પહેલી એવી કટોકટી છે, જેમાં દુનિયા ચીને કેવી રીતે વુહાનમાં મહામારીને અટકાવી દીધી અને કેવી રીતે બીજા દેશોને મદદ કરી, તેના ગાણાં ગાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર સ્ટેફન વાલ્ટનો તર્ક છે કે દુનિયામાં અમેરિકાની જે વગ હતી, તેમાં તેની મુસીબતોને પહોંચી વળવાની ક્ષમતાની પણ એક ભૂમિકા હતી. આજે તાકાતનો એ થાંભલો નમી રહ્યો છે.
ફોરેન પોલિસી નામની પત્રિકામાં, ‘ધ ડેથ ઓફ અમેરિકન કોમ્પિટન્સ’ શીર્ષક હેઠળ એક લેખમાં વાલ્ટ લખે છે, “અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવાની વાત તો બાજુમાં રહી, આ કોરોના વાઇરસનો સામનો કરવાના તેના મહાન બ્લંડરથી એક કાર્યક્ષમ દેશ તરીકેની તેની છબી તુટવાની છે.”
કોરોના વાઈરસની બીમારી ‘ફેલાવવા’ માટે થઈને દુનિયા આખી ચીનને સદીઓ સુધી કોસતી રહેશે, પણ સાથે-સાથે ડાહ્યા લોકો એ વાતની નોંધ લેવાનું પણ નહીં ચૂકે કે ચીને અત્યંત અસરકારક અને સફળતાપૂર્વક નિશ્ચિત સમયની અંદર તેનું ઘર ઠીક કરી દીધું હતું અને એક નેતાને છાજે તેમ પડોશીઓના ઘરને ઠેકાણે પાડવા આગેવાની લીધી હતી. હિન્દીમાં કહે છે તેમ, ચિત ભી મેરી, પટ્ટ ભી મેરી.
(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 ઍપ્રિલ 2020)
![]()





નિ:શંકપણે, વર્ષ ૨૦૨૦ કોરોના વાઇરસનું છે. તેનો આશય માનવજાતનું નિકંદન કાઢી નાખવાનો હોવાનો સત્તાવાર સ્વીકાર થઈ ચૂક્યો છે. ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ ઔપચારિક રીતે ‘એન્થ્રોપોસેન’ યુગની, એટલે કે જેમાં માનવજાત કુદરતનું નિકંદન કાઢી રહી છે તેવા સમયની, શરૂઆતની જાહેરાત કરી. તેના એક વર્ષ પછીનું આ વર્ષ છે. આ બે અંતભણીનાં યુદ્ધોના મુખ્ય કથાનકમાં બીજાં અનેક નાનાં કથાનકો પણ છે. જેમ કે, અનેક દેશોમાં જમણેરીઓ અને લોકશાહી-તરફી પરિબળો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, નાગરિક એટલે એક તરફ ઘરબાર સાથે સ્થાપિત લોકો જ હોય અને બીજી તરફ વિચરતી અને સ્થળાંતરિત પ્રજાનો પણ સમાવેશ થાય એ બે વિચાર વિશેનું યુદ્ધ, રાજ્ય વિશેના ધર્મઆધારિત ખયાલ અને ધર્મ સિવાયના ખયાલ વચ્ચેનું યુદ્ધ. બીજી પણ પેટાકથાઓ છે, જે લિંગ, વર્ગ, ઓળખ, ભાષા અને ઇતિહાસની ફરતે ઘૂમી રહી છે. આપણી વચ્ચે અને આપણી આજુબાજી એટલું બધું બની રહ્યું છે કે કોઈ પણ ભાવિ ઇતિહાસકાર માટે ૨૦૨૦ના વર્ષનું સંપૂર્ણ વર્ણન કરવું એ બહુ મોટો પડકાર બની રહેશે. વર્તમાન ક્ષણના ખભે, એ જે ઇતિહાસ ઘડી રહી છે તેનો ભારે બોજો આવી પડ્યો છે, માટે તેની પાસે ભૂતકાળ યાદ કરવાનો સમય ના હોય તે સમજી શકાય. નવેસરથી મળેલી સ્મૃતિ ઘણી વાર વર્તમાનમાં ઘડવામાં આવતાં કથાનકોને વેરવિખેર કરી નાખતી હોય છે, અને કોરાણે કરવામાં આવેલી સ્મૃતિ આવાં કથાનકોની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરી શકે છે.
યાદ કરવા લાયક બે-એક સાહિત્યિક કૃતિઓ પણ છે – એ કારણે નહિ કે અન્યથા તે કદાચ ભૂલાઈ જશે, પણ એ કારણે કે અન્યથા આપણે કદાચ ભૂલી જઈશું કે આપણા સમયમાં આપણે ક્યાં ઊભા છીએ. તેમાંથી એક કૃતિ ફ્રેન્ચ નવલકથાકાર અને વિચારક આલ્બેર કામુની છે. 1947માં પેરિસની ગાઈમાર પ્રકાશન સંસ્થાએ ‘લા પેસ્ત’ તરીકે પ્રકાશિત કરી અને 1948માં સ્ટુઅર્ટ ગિલ્બર્ટે ‘ધ પ્લેગ’ નામે અંગ્રેજી અનુવાદમાં રજૂ કરી, તે આ નાની એવી નવલકથાની વિશ્વભરમાં ચર્ચા થઈ. કામુ 29 વર્ષની ઉંમરથી તેના પર કામ કરી રહ્યા હતા. તેમને ‘પ્લેગને રીડીમ કરવા’ (એટલે કે પ્લેગની બિહામણી બાજુની સામે કંઈક શુભ સર્જન કરી પરત આપવા, કહો કે પ્લેગનું શોધન કરવા) એક નવલકથા લખવાનો વિચાર હતો. આમ તો તેમણે નવલકથામાં તેમના વતન અલ્જિરિયામાં રોગચાળાના લાંબા ઇતિહાસને આશરો લીધો હતો, પણ તેમના સમયના વાચકોને અને પછીની પેઢીઓના વાચકોને એ સમજવામાં વાર ના લાગી કે કામુ જે પ્લેગ વિશે લખી રહ્યા હતા તે મરકી હતી ફાસીવાદની. નવલકથાને નાની સફળતા મળી તે 1957માં માત્ર 44 વર્ષના કામુને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું તેમાં જોવા મળી, અને વધુ ઝળહળતી સફળતા મળી તે એ કે પોતપોતાના સમયે અસ્તિત્વની કટોકટીમાં ફસાયેલી દુનિયાભરમાં એક પછી એક યુવા પેઢી દાર્શનિક પોષણ માટે તેના તરફ વળતી રહી. ‘ધ પ્લેગ’નું મુખ્ય પાત્ર છે ઓરોં શહેરનો બેર્નાર રિય, જે અવિસ્મરણીય અસ્તિત્વવાદી વલણ લે છે, “હું જ્યાં હોઉં ત્યાં અને જે થઈ શકે તે કરવું”. 75 વર્ષ પહેલાં યુરોપ પર બર્જન-બેલ્સેનની ગંધ છવાયેલી હશે, ત્યારે કામુ તેના વાચકોને કહેવા માગતા હતા : મહેરબાની કરીને પલાયન થવાની વાત કરશો નહિ, બસ, લડત ચાલુ રાખો.
બીજું પુસ્તક જે મને સાદ દે છે તે એરિક બ્લેરની રાજકીય દૃષ્ટાન્તકથા છે. ભલે બહુ થોડા અંશે, પણ તેઓ આપણા પોતાના બિહારીબાબુ હતા. બિહારના મોતિહારીમાં તેમનો જન્મ થયો. પિતા અંગ્રેજ અને માતા ફ્રેન્ચ-બર્મિઝ હતા. નાનપણમાં બ્લેરને ભણતર માટે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. જેમતેમ શાળાજીવન પૂરું થયું ત્યારે ૧૯ વર્ષની ઉંમરે તેમણે ઈન્ડિયન ઈમ્પિરિયલ પોલીસ સર્વિસમાં જોડાવાનું પસંદ કર્યું અને બર્મામાં નોકરી માગી. તેમણે પોલીસની નોકરી ચાલુ રાખી હોત, પણ વણસતી તબિયતના કારણે તેમણે બ્રિટિશ ઈન્ડિયા છોડીને બ્રિટન પરત થઈ પત્રકાર અને લેખક તરીકેની કારકિર્દી અજમાવી. તેમણે લેખક તરીકે તખલ્લુસ અપનાવ્યું, ‘જ્યોર્જ ઓર્વેલ’. પછી તો એ ઉપનામ તેમને જ નહિ, વિશ્વ સાહિત્યને પણ વળગેલું રહ્યું. તેમની લઘુનવલ ‘એનિમલ ફાર્મ’ 1945માં પ્રકાશિત થઈ હતી, આજથી 75 વર્ષ પહેલાં. તેનો ફ્રેન્ચ અનુવાદ પ્રસિદ્ધ થયો 1947માં, જે વર્ષે કામુની ‘ધ પ્લેગ’ પ્રકાશિત થઈ.
ફ્રેન્ચ કામુ અને અંગ્રેજ ઓર્વેલની પેઢીના વધુ એક વિશિષ્ટ લેખક હતા અમેરિકન હૅમિંગ્વે. તેમની લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ (1952) પણ ‘એનિમલ ફાર્મ’ અને ‘ધ પ્લેગ’ પછી ગણતરીનાં વર્ષોમાં પ્રકાશિત થઈ. અર્નેસ્ટ હૅમિંગ્વેને કામુ કરતાં થોડાં વર્ષો પહેલાં નોબેલ પારિતોષિક મળ્યું. ૨૦૨૦માં આપણે પારાવાર આર્થિક સંકડામણ અને ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા વાઇરસના ફેલાવાથી ત્રસ્ત છીએ, જ્યારે આપણે એવી દુનિયા જોઈ રહ્યા છીએ જેમાં રાષ્ટ્રીય સીમાઓ કારાવાસની દીવાલો જેવી બની રહી છે, જ્યારે આપણે દરેક ‘અન્ય’ને વાઇરસવાહક અને સંભવિત જોખમ તરીકે જોતા શીખી રહ્યા છીએ, ત્યારે આપણે બે ઘડી સમય કાઢીને યાદ કરવું જોઈએ કે ૩૦મી એપ્રિલ ૧૯૪૫ના રોજ હિટલરે આત્મહત્યા કરી ત્યારથી ૧૯૫૨ વચ્ચે ઓર્વેલ, કામુ અને હેમિંગ્વે જેવા લેખકોએ દુનિયાને નવી સંવેદનશીલતા, અસીમ આશા અને તેમના સમયના રોગચાળાઓનો સામનો કરવાના નવા રસ્તા બતાવ્યા હતા. એક વાર સુનિશ્ચય કરી લો, તો પછી બુઢ્ઢો માણસ, ધ ઓલ્ડ મૅન, પણ અશક્ય જણાતું કામ કરી શકે છે. એક વાર સુનિશ્ચય થઈ જાય, તો પછી ભલે થાકેલી હોય, પણ પ્રાચીન સંસ્કૃતિ અશક્યને શક્ય બનાવી શકશે, ભલે વાઇરસ ઘાતક રહ્યો તો રહ્યો!