Opinion Magazine
Number of visits: 9575914
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“જાણે નકશા પરથી અમેરિકા ઊડી ગયું છે અને ચીન બેસી ગયું છે.”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 April 2020

આપણે ગયા સપ્તાહે આ કોલમમાં વાંચ્યું હતું કે કોરોના વાઈરસની મહામારી કેવી રીતે દુનિયાની સરકારોને તેના નાગરિકોની જાસૂસી કરવાનો અવસર પૂરો પાડવાની છે. આ મહામારી માનવ જીવનના ઇતિહાસમાં એક પછી એક મોટા બદલાવ લાવવાની છે. મેડિકલ સાયન્સ સામે એક નવો જ પડકાર ઊભો થયો છે. અનેક અર્થવ્યવસ્થાઓ આજે બેવડ વળી ગઈ છે અને દુનિયા તેમાંથી ઉભરશે, ત્યારે નવા સરવાળા-ભાગાકાર થશે. અંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાઈ જશે. વૈશ્વિકીકરણની દિશા ફંટાઈ જશે. લોકો જે છૂટથી પરદેશોમાં ઊડાઊડ કરતા હતા, તેમાં બ્રેક વાગશે. એકબીજાને મળવાની, હાથ મિલાવવાની અને આલિંગનો આપવાની પરમ્પરા બદલાઈ જવાની છે. આપણે અહીં, અમુક હપ્તાઓ સુધી એ જોવાનો પ્રયાસ કરીશું કે આપણે જે દુનિયાને ઓળખીએ છીએ, તે કોરોના વાઇરસના કારણે કેટલી અને કેવી બદલાઈ ગઈ હશે. આજે એમાં ચીનની વાત.

એક બાબતમાં કોઈને ગૂંચવાડો નથી. કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરની દેન છે. વુહાન શહેરમાં, આ વાઈરસ જાનવરમાંથી મનુષ્યમાં આવ્યો ના હોત અને વુહાનના મનુષ્યોમાંથી તે અંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મારફતે દુનિયામાં પહોંચ્યો ન હોત, તો આજે દુનિયાનાં શટર પડેલાં ના હોત અને (આ લખાય છે ત્યારે) ૭૦,૦૦૦ મોત થયાં ના હોત અને ૧૨ લાખ લોકો સારવાર માટે ઝઝુમતા ના હોત.

આ કમબખ્તીને લઈને દુનિયામાં ચીન પ્રત્યે ભયંકર રોષ છે. એક મોટો વર્ગ આ મહામારીને ચીનનું કાવતરું માને છે. તેનું કારણ એ છે કે ચીન, બાકીની દુનિયાની જેમ, પારદર્શક નથી. તે તમામ પ્રકારની માહિતીઓ, સમાચારો, તથ્યો અને ત્યાં સુધી કે અભિપ્રાયોનું પણ નિયંત્રણ કરે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી એટલું જ દુનિયાને જાણવા દે છે, જે તે ઈચ્છતી હોય. કોરોના વાઇરસ માટે પણ એવું કહેવાય છે જે ચીને બાકીની દુનિયાને અંધારામાં રાખી હતી. શક્ય છે કે ચીન ખુદ વુહાનની અસલિયતમાં ધોખો ખાઈ ગયું હોય, પણ એ હકીકત ય આપણને જાણવા નહીં મળે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીભ બહુ લાંબી છે અને તેમના વિરોધીઓ, ટીકાખોર મીડિયા કે ઈસ્લામિક આતંકી સંગઠનો માટે તે મનમાં આવે તે બોલી નાખે છે, પરંતુ કોઈને એવી કલ્પના ન હતી કે તેઓ ચીનથી અકળાઈને કોરોના વાઈરસને ‘ચાઇનીઝ વાઈરસ’ કહેવાનું ચાલુ કરી દેશે. ચીનના લોકો ભળતું-સળતું ખાઈને બીમારીઓ ફેલાવે છે, તેવા સાધારણ લોકોના પૂર્વગ્રહનો જ આ પડઘો હતો, પરંતુ એક જવાબદાર વડા તરીકે તમે કોઈ બીમારીને કોઈ પ્રજા કે ધર્મનું નામ ના આપી શકો. એવી વાત હતી, જેમ હિટલરના નાઝીઓએ જર્મન પ્રજાની બીમારીઓ માટે યહૂદીઓ સાથેના તેમના રોટી-બેટીના વ્યવહારોને જવાબદાર ઠેરવ્યા હતા અને જર્મન પ્રજાનું લોહી ‘શુદ્ધ’ કરવા માટે ૬૦ લાખ યહૂદીઓને મારી નાખ્યા હતા.

એનાથી ચીન અકળાયું એટલુ જ નહીં, ટ્રમ્પે એવી રોતે ખીજવવાનું પડતું મૂકીને ચીનના પ્રેસીડેન્ટ ઝીનપિંગ સાથે ઓનલાઈન ચર્ચા કરી અને તેમનો ખભો થાબડતી ટિવટ પણ કરવી પડી. આ ચર્ચાના બે દિવસ પછી, શાંઘાઈથી એક વિમાન અમેરિકાના જે.એફ.કે. એરપોર્ટ પર ઊતર્યું. તેમાં ૧.૨ કરોડ હેન્ડ ગ્લોવ્ઝ, ૧,૩૦,૦૦૦ એન-95 માસ્ક, ૧૭ લાખ સર્જીકલ માસ્ક, ૫૦,૦૦૦ ઓપરેશન ગાઉન્સ, ૧,૩૦,૦૦૦ સેનિટાઇઝર્સ અને ૩૬,૦૦૦ થર્મોમીટર હતાં. અમરિકાના ઇતિહાસ કોઈ દેશે આટલી મદદ કરી હતી, અને તે દેશ બીજો કોઈ નહીં પણ ચીન હતો.

વિચાર કરો કે આખી દુનિયા, અને ખાસ કરીને મહાશક્તિ અમેરિકા, કોરોના વાઈરસના મારથી બેવડ વળી ગઈ હોય અને તેને ચીન ખુદ મદદ કરતું હોય, તે કેવી વક્રતા કહેવાય. એમાં ચીનની તાકાત પણ સાબિત થઇ છે. પોતે તો ઘરઆંગણે (૮૧,૦૦૦ પોઝીટીવ કેસ અને ૩,૦૦૦ મોત સાથે) કોરોના સામે લડતું જ હતું, પણ તે સાથે યુરોપ અને એશિયાના દેશોને ય કોરોના સામે લડવા માટે લાખોની સંખ્યામાં મેડિકલ વસ્તુઓ મોકલીને વૈશ્વિક સંબંધો મજબૂત કરી રહ્યું હતું. ચીનની સહાય મેળવનાર દેશોમાં અમેરિકા ઉપરાંત ઇટલી, મલેશિયા, ઝેકોસ્લોવાકિયા, ક્રોએશિયા, સરબિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે.

ઇટલીમાં ચીનનો મેડિકલ સમાન ખડકાતો હતો, તેના સમાચાર ફ્લેશ થઇ રહ્યા હતા, ત્યારે અમેરિકા ચૂપચાપ ઇટાલીમાં બનેલાં ૫૦,૦૦૦ ડાયોગ્નેટીક સ્વાબ મંગાવી રહ્યું હતું અને દક્ષિણ કોરિયા પાસેથી ટેસ્ટ કીટ્સ મેળવવા ટ્રમ્પ ફોન પર મંત્રણાઓ કરતા હતા. ૨૦૧૪માં ઇબોલાની મહામારી ફેલાઈ હતી, ત્યારે વેસ્ટ આફ્રિકામાં મેડિકલ સહાય, સૈનિકો અને અન્ય પુરવઠા મોકલીને અમેરિકા વિશ્વ નેતાના નાતે સૌથી મોખારે હતું. દુનિયામાં ક્યાં ય પણ કોઈ મોટી રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય અપદા આવી હોય, અમેરિકાની સૌની આંખે ઊડીને વળગે તેવી ભૂમિકા રહી છે.

કોરના વાઈરસમાં દુનિયાના નકશા પરથી અમેરિકા ગાયબ હતું, અને ચીન મદદ માટે હાથ લંબાવતું હતું. એ એક મોટો બદલવા દુનિયાએ જોયો અને આવનારા દિવસોમાં જોશે. યુરોપિયન યુનિયનના ભૂતપૂર્વ નીતિ-સલાહકાર અને ઇટાલિયન ઇન્સ્ટિટયુટ ફોર ઇન્ટરનેશનલ અફેર્સના ડિરેક્ટર નથાલી ટોસીએ કહ્યું હતું, “મને જે આશ્ચર્ય થયું તે કોરોના વાઈરસની અંતરરાષ્ટ્રીય ચર્ચાઓમાં અમેરિકાની તદ્દન ગેરહાજરી હતી. જાણે નકશા પરથી અમેરિકા ઊડી ગયું છે અને ચીન બેસી ગયું છે.”

લંડનની રોયલ યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટયુટની ડિરેક્ટર એલિઝાબેથ બ્રાવ કહે છે, “દુનિયામાં અમેરિકાની નેતાગીરીને ૨૦૦૩માં ઈરાક પરના આક્રમણે જેટલું નુકશાન નોતું કર્યું, તેટલું નુકશાન કોરોના વાઈરસની કટોકટી કરવાની છે. ૨૦૦૩માં ચીન દૂર-દૂર સુધી ય દેખાતું ન હતું. વૈશ્વિક નેતાગીરીની જબબદારી લેવા તે તૈયાર ન હતું. આજે તેણે બતાવી દીધું છે કે અમેરિકા પગથિયાં ચૂકીને પડશે કે તરત કમાન હાથમાં લેવા ચીન તૈયાર છે. ચીનના મિત્ર દેશો હવે એ અપેક્ષાએ તેની તરફ જોશે.”

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીનો જે (ખરાબ) રીતે સામનો કર્યો છે, તેનાથી અમેરિકાની ક્ષમતા પર પણ સવાલો ઊભા થયા છે. અમેરિકા એક સમયે દુનિયાનું રોલ-મોડેલ હતું. આજે આ પહેલી એવી કટોકટી છે, જેમાં દુનિયા ચીને કેવી રીતે વુહાનમાં મહામારીને અટકાવી દીધી અને કેવી રીતે બીજા દેશોને મદદ કરી, તેના ગાણાં ગાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર સ્ટેફન વાલ્ટનો તર્ક છે કે દુનિયામાં અમેરિકાની જે વગ હતી, તેમાં તેની મુસીબતોને પહોંચી વળવાની ક્ષમતાની પણ એક ભૂમિકા હતી. આજે તાકાતનો એ થાંભલો નમી રહ્યો છે.

ફોરેન પોલિસી નામની પત્રિકામાં, ‘ધ ડેથ ઓફ અમેરિકન કોમ્પિટન્સ’ શીર્ષક હેઠળ એક લેખમાં વાલ્ટ લખે છે, “અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવાની વાત તો બાજુમાં રહી, આ કોરોના વાઇરસનો સામનો કરવાના તેના મહાન બ્લંડરથી એક કાર્યક્ષમ દેશ તરીકેની તેની છબી તુટવાની છે.”

કોરોના વાઈરસની બીમારી ‘ફેલાવવા’ માટે થઈને દુનિયા આખી ચીનને સદીઓ સુધી કોસતી રહેશે, પણ સાથે-સાથે ડાહ્યા લોકો એ વાતની નોંધ લેવાનું પણ નહીં ચૂકે કે ચીને અત્યંત અસરકારક અને સફળતાપૂર્વક નિશ્ચિત સમયની અંદર તેનું ઘર ઠીક કરી દીધું હતું અને એક નેતાને છાજે તેમ પડોશીઓના ઘરને ઠેકાણે પાડવા આગેવાની લીધી હતી. હિન્દીમાં કહે છે તેમ, ચિત ભી મેરી, પટ્ટ ભી મેરી.

(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 ઍપ્રિલ 2020)

Loading

કોરોનાસંકટમાં વિકેન્દ્રિત વ્યવસ્થાનું દર્શન

કિરણ કાપૂરે|Opinion - Opinion|13 April 2020

કોરોનાની એન્ટ્રી નહોતી થઈ ત્યારનું દેશનું રાજકીય ચિત્ર સંભારીએ તો ફ્રન્ટ પર કામ કરી રહેલા જે-તે રાજ્યોના મુખ્યમંત્રીઓનાં નામ યાદ રાખવામાં સુધ્ધા મશક્કત કરવી પડતી હતી. દેશમાં એક માત્ર આગેવાન સર્વોચ્ચ પદે બિરાજેલા વડા પ્રધાન હતા. કેરળ, દિલ્હી, ઓરિસ્સા અને અન્ય કેટલાંક રાજ્યોને છોડી દઈએ તો મહદંશે કેન્દ્રની આગેવાનીની અસર તમામ રાજ્યોમાં દેખાતી હતી.

ગુજરાતમાં તો તે અસર વિશેષ પ્રમાણમાં દેખાય તે સ્વાભાવિક છે. આ ચિત્ર હવે તદ્દન વિપરીત થઈ ચૂક્યું છે અને કેન્દ્રિય રાજનીતિના આગેવાન જાણે અદૃશ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા છ મહિનામાં બહુ ગાજેલા દેશના ગૃહમંત્રી ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. દેશના ન્યૂઝ ચેનલ પર હવે કેરળનાં મુખ્યમંત્રી પિનારયી વિજયન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પંજાબના અમરિંદર સિંઘ શું કહે-કરે છે તે ખબરો આવી રહી છે. મુખ્યમંત્રીઓ અત્યારે કટોકટીમાં કામ કરી રહ્યાં છે અને તેમનું નેતૃત્વ જ કોરોનાની લડતમાં જીત અપાવશે. લોકોની સીધી જવાબદારી હવે મુખ્યમંત્રીઓના શિરે છે.

અમદાવાદ શહેરના કમિશનર વિજય નેહરા

ગુજરાતના ડી.જી.પી. શિવાનંદ ઝા

મુખ્યમંત્રીઓ જેમ જે-તે રાજ્યોમાં કામ કરી રહ્યાં છે, તે રીતે ફિલ્ડ પર વહીવટી અધિકારીઓ પણ કામ કરી રહ્યાં છે. આ અધિકારીઓના હાથમાં કામની ખરી બાગડોર છે. જેમ અમદાવાદમાં અગ્રગણ્ય અધિકારી સૌથી એક્ટિવ દેખાઈ રહ્યાં છે તે છે શહેરના કમિશનર વિજય નેહરા. એ પ્રમાણે રાજ્યનાં હેલ્થ પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતી રવિ સજ્જતાથી કાર્ય કરી રહ્યાં છે. ગુજરાતના ડી.જી.પી. શિવાનંદ ઝા પણ એ રીતે કાયદો વ્યવસ્થા જાળવવાનું કાર્ય બૂ-ખૂબી નિભાવી રહ્યા છે. આ કટોકટીના સમયમાં આપણે સૌએ એ સમજવું જોઈએ કે ખરેખર લોકો માટે ગ્રાઉન્ડ પર કોણ કામ કરે છે.

રાજ્યનાં હેલ્થ પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતી રવિ

રાજકીય વિકેન્દ્રિકરણનું જે અમલી સ્વરૂપ આજે આપણે સૌ જોઈ રહ્યાં છે તેમાં કેન્દ્રિય આગેવાનીની જરા સરખી અવગણના નથી, પરંતુ અહીંયા એટલું સમજવું જરૂરી છે કે દેશની તમામ વ્યવસ્થા વિકેન્દ્રિત છે અને તેમાં સ્થાનિક અધિકારીઓની ભૂમિકા સૌથી અગત્યની છે. આ સમજી લઈશું તો આપણું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે, તે સરળતાથી નક્કી કરી શકાય.

e.mail : kirankapure@gmail.com

Loading

કોરોના વચ્ચે ‘ધ પ્લેગ’, ‘એનિમલ ફાર્મ’ અને ‘ઓલ્ડ મૅન એન્ડ ધ સી’નું સ્મરણ

ગણેશ દેવી|Opinion - Literature|12 April 2020

નિ:શંકપણે, વર્ષ ૨૦૨૦ કોરોના વાઇરસનું છે. તેનો આશય માનવજાતનું નિકંદન કાઢી નાખવાનો હોવાનો સત્તાવાર સ્વીકાર થઈ ચૂક્યો છે. ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ ઔપચારિક રીતે ‘એન્થ્રોપોસેન’ યુગની, એટલે કે જેમાં માનવજાત કુદરતનું નિકંદન કાઢી રહી છે તેવા સમયની, શરૂઆતની જાહેરાત કરી. તેના એક વર્ષ પછીનું આ વર્ષ છે. આ બે અંતભણીનાં યુદ્ધોના મુખ્ય કથાનકમાં બીજાં અનેક નાનાં કથાનકો પણ છે. જેમ કે, અનેક દેશોમાં જમણેરીઓ અને લોકશાહી-તરફી પરિબળો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, નાગરિક એટલે એક તરફ ઘરબાર સાથે સ્થાપિત લોકો જ હોય અને બીજી તરફ વિચરતી અને સ્થળાંતરિત પ્રજાનો પણ સમાવેશ થાય એ બે વિચાર વિશેનું યુદ્ધ, રાજ્ય વિશેના ધર્મઆધારિત ખયાલ અને ધર્મ સિવાયના ખયાલ વચ્ચેનું યુદ્ધ. બીજી પણ પેટાકથાઓ છે, જે લિંગ, વર્ગ, ઓળખ, ભાષા અને ઇતિહાસની ફરતે ઘૂમી રહી છે. આપણી વચ્ચે અને આપણી આજુબાજી એટલું બધું બની રહ્યું છે કે કોઈ પણ ભાવિ ઇતિહાસકાર માટે ૨૦૨૦ના વર્ષનું સંપૂર્ણ વર્ણન કરવું એ બહુ મોટો પડકાર બની રહેશે. વર્તમાન ક્ષણના ખભે, એ જે ઇતિહાસ ઘડી રહી છે તેનો ભારે બોજો આવી પડ્યો છે, માટે તેની પાસે ભૂતકાળ યાદ કરવાનો સમય ના હોય તે સમજી શકાય. નવેસરથી મળેલી સ્મૃતિ ઘણી વાર વર્તમાનમાં ઘડવામાં આવતાં કથાનકોને વેરવિખેર કરી નાખતી હોય છે, અને કોરાણે કરવામાં આવેલી સ્મૃતિ આવાં કથાનકોની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરી શકે છે.

દુનિયા પાસે અત્યારે કદાચ સમય નથી એ યાદ કરવાનો કે આજથી બરાબર 75 વર્ષ પહેલાં સાથી રાષ્ટ્રો દ્વિતીય વિશ્વ યુદ્ધમાં વિજયી થયાં હતાં અને 75 વર્ષ પહેલાં 30મી એપ્રિલે હિટલરે પોતાના જીવનનો અંત આણ્યો હતો. આપણે આપણા કામકાજમાં એટલા વ્યસ્ત છીએ કે આપણને એ યાદ ના આવે કે બ્રિટિશ સિપાહી પિટર કૂમ્બ્ઝે બર્જન-બેલ્સેનના કૉન્સન્ટ્રેશન કેમ્પમાં ગોંધી રાખવામાં આવેલા લોકોને મુક્ત કર્યા હતા, ત્યારે તેને ખબર પડી હતી કે ત્યાંના યહૂદીઓ અને બીજા કેદીઓ ટાઈફોઈડના મોટા રોગચાળાનો ભોગ બન્યા હતા. કૂમ્બ્ઝે નોંધેલું કે દરરોજ કમ-સે-કમ 300 લોકો મૃત્યુ પામતા હતા અને અંદર 10,000થી વધુ શબ એકઠાં થઈ ગયાં હતાં. જે સિપાહીઓએ શબને દફનાવ્યાં તેમની પાસે હાથમોજાંનું રક્ષણ પણ નહોતું. જે દિવસે ભારતને તાળું દેવાનાં ત્રણ અઠવાડિયાં ટેકનિકલી પૂરાં થાય છે, તેના બરાબર 75 વર્ષ પહેલાં એ બન્યું હતું.

યાદ કરવા લાયક બે-એક સાહિત્યિક કૃતિઓ પણ છે – એ કારણે નહિ કે અન્યથા તે કદાચ ભૂલાઈ જશે, પણ એ કારણે કે અન્યથા આપણે કદાચ ભૂલી જઈશું કે આપણા સમયમાં આપણે ક્યાં ઊભા છીએ. તેમાંથી એક કૃતિ ફ્રેન્ચ નવલકથાકાર અને વિચારક આલ્બેર કામુની છે. 1947માં પેરિસની ગાઈમાર પ્રકાશન સંસ્થાએ ‘લા પેસ્ત’ તરીકે પ્રકાશિત કરી અને 1948માં સ્ટુઅર્ટ ગિલ્બર્ટે ‘ધ પ્લેગ’ નામે અંગ્રેજી અનુવાદમાં રજૂ કરી, તે આ નાની એવી નવલકથાની વિશ્વભરમાં ચર્ચા થઈ. કામુ 29 વર્ષની ઉંમરથી તેના પર કામ કરી રહ્યા હતા. તેમને ‘પ્લેગને રીડીમ કરવા’ (એટલે કે પ્લેગની બિહામણી બાજુની સામે કંઈક શુભ સર્જન કરી પરત આપવા, કહો કે પ્લેગનું શોધન કરવા) એક નવલકથા લખવાનો વિચાર હતો. આમ તો તેમણે નવલકથામાં તેમના વતન અલ્જિરિયામાં રોગચાળાના લાંબા ઇતિહાસને આશરો લીધો હતો, પણ તેમના સમયના વાચકોને અને પછીની પેઢીઓના વાચકોને એ સમજવામાં વાર ના લાગી કે કામુ જે પ્લેગ વિશે લખી રહ્યા હતા તે મરકી હતી ફાસીવાદની. નવલકથાને નાની સફળતા મળી તે 1957માં માત્ર 44 વર્ષના કામુને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું તેમાં જોવા મળી, અને વધુ ઝળહળતી સફળતા મળી તે એ કે પોતપોતાના સમયે અસ્તિત્વની કટોકટીમાં ફસાયેલી દુનિયાભરમાં એક પછી એક યુવા પેઢી દાર્શનિક પોષણ માટે તેના તરફ વળતી રહી. ‘ધ પ્લેગ’નું મુખ્ય પાત્ર છે ઓરોં શહેરનો બેર્નાર રિય, જે અવિસ્મરણીય અસ્તિત્વવાદી વલણ લે છે, “હું જ્યાં હોઉં ત્યાં અને જે થઈ શકે તે કરવું”. 75 વર્ષ પહેલાં યુરોપ પર બર્જન-બેલ્સેનની ગંધ છવાયેલી હશે, ત્યારે કામુ તેના વાચકોને કહેવા માગતા હતા : મહેરબાની કરીને પલાયન થવાની વાત કરશો નહિ, બસ, લડત ચાલુ રાખો.

બીજું પુસ્તક જે મને સાદ દે છે તે એરિક બ્લેરની રાજકીય દૃષ્ટાન્તકથા છે. ભલે બહુ થોડા અંશે, પણ તેઓ આપણા પોતાના બિહારીબાબુ હતા. બિહારના મોતિહારીમાં તેમનો જન્મ થયો. પિતા અંગ્રેજ અને માતા ફ્રેન્ચ-બર્મિઝ હતા. નાનપણમાં બ્લેરને ભણતર માટે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. જેમતેમ શાળાજીવન પૂરું થયું ત્યારે ૧૯ વર્ષની ઉંમરે તેમણે ઈન્ડિયન ઈમ્પિરિયલ પોલીસ સર્વિસમાં જોડાવાનું પસંદ કર્યું અને બર્મામાં નોકરી માગી. તેમણે પોલીસની નોકરી ચાલુ રાખી હોત, પણ વણસતી તબિયતના કારણે તેમણે બ્રિટિશ ઈન્ડિયા છોડીને બ્રિટન પરત થઈ પત્રકાર અને લેખક તરીકેની કારકિર્દી અજમાવી. તેમણે લેખક તરીકે તખલ્લુસ અપનાવ્યું, ‘જ્યોર્જ ઓર્વેલ’. પછી તો એ ઉપનામ તેમને જ નહિ, વિશ્વ સાહિત્યને પણ વળગેલું રહ્યું. તેમની લઘુનવલ ‘એનિમલ ફાર્મ’ 1945માં પ્રકાશિત થઈ હતી, આજથી 75 વર્ષ પહેલાં. તેનો ફ્રેન્ચ અનુવાદ પ્રસિદ્ધ થયો 1947માં, જે વર્ષે કામુની ‘ધ પ્લેગ’ પ્રકાશિત થઈ.

કામુનો વિષય પશ્ચિમી યુરોપનો ફાસીવાદ હતો, તો ઓર્વેલનો વિષય હતો સોવિયેત સંઘનો એકહથ્થુ સત્તાધારી સામ્યવાદ. તેમની વાર્તામાં તેમણે હેતુપૂર્વક વિવિધ પશુ પાત્રોના સંઘને ‘યુનિયોં દ રિપ્યુબ્લિક સોસિયાલિસ્ત એનિમાલ’ નામ આપ્યું, જેને મિતાક્ષરીમાં યુ.આર.એસ.એ. એટલે કે ‘ઉર્સા’ કહેવાય. લેટિનમાં ‘ઉર્સા’ એટલે રીંછ, જે સાંસ્કૃતિક પરિભાષામાં રશિયાનું પ્રતીક છે. તેમણે તો આર્થર કોસ્લરને લખ્યું પણ હતું કે ફ્રેન્ચ અનુવાદ “રાજકીય કારણોસર” વિલંબ પડ્યો છે. (કોસ્લરને પણ ઓર્વેલની જેમ જ આપખુદ શાસનોમાં ઔચિત્ય અને માનવીય સન્માન પર થતા હુમલાઓ માટે ભારે ધિક્કાર હતો.) ઓર્વેલ 1903માં જન્મ્યા હતા અને 1950 સુધી જીવ્યા. કામુ બરાબર દસ વર્ષ પછી, 1913માં જન્મ્યા હતા, અને ઓર્વેલના ગયા પછી બીજાં દસ વર્ષ જીવ્યાં. માત્ર યોગાનુયોગ, બીજું શું! પણ એ યોગાનુયોગ નથી કે બંનેને સાથે મેળવીએ તો ફાસીવાદ અને કોઈ પણ પ્રકારના આપખુદ શાસનનો સામનો કરવાની એક સંપૂર્ણ કાર્યપદ્ધતિ મળે છે. કામુએ પ્રતિકાર માટેનો એક દાર્શનિક આધાર આપ્યો છે, જે તેમણે ‘ધ મિથ ઓફ સિસિફસ’ (1942) નામના નિબંધમાં ઘણી પ્રભાવશાળી રીતે રજૂ કર્યો છે. ઓર્વેલે આપણને આપખુદ શાસનોને ખુલ્લા પાડવા પૂરી શબ્દાવલિ આપી છે : બિગ બ્રધર, થૉટ પોલીસ, થૉટ ક્રાઈમ, મિનિસ્ટ્રી ઓફ ટ્રુથ-લવ-પીસ-પ્લેન્ટી, મૅમરી હોલ, ડબલ થિન્ક અને ન્યૂસ્પીક જેવા શબ્દો તેમણે જ પ્રયોગમાં લીધા અને હવે તે સૌ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયા છે.

આ વસંતે જ્યારે આપણો દેશ અને દુનિયા ‘પેન્ડેમિક’ સ્તરના વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યા છે, જ્યારે સાહિત્યે રાજકારણનું શ્રેષ્ઠ ફોરેન્સિક એનાલિસીસ (અપરાધવિજ્ઞાની પૃથક્કરણ!) રજૂ કર્યાને 75 વર્ષ થયાં છે, ત્યારે વિશ્વભરમાં લોકશાહીની મંજૂરી લઈને આવેલી સરમુખત્યારશાહીઓનાં વાદળ છવાયાં છે. આ વસંતે કદાચ આપણી પાસે એ યાદ કરવાનો સમય નહિ હોય કે માત્ર પોણી સદી પહેલાં દુનિયાએ આ બધું જોયેલું જ હતું. વર્ષ ૨૦૨૦ની આપણી દુનિયા જ્યારે વિચારના વિષાણુઓનો અને તેના ચેપમાંથી બહાર આવતી હિંસાનો સામનો કરી રહી છે, ત્યારે સમય છે એ યાદ કરવાનો કે કામુ અને ઓર્વેલની પેઢીને એ જ વસ્તુનો વધુ કઠોર સ્વરૂપમાં સામનો કરવો પડ્યો હતો અને છતાં તેમણે હિમ્મતપૂર્વક કલમ પકડીને માનવવિચારને વધુ સમૃદ્ધ કર્યો હતો.

ફ્રેન્ચ કામુ અને અંગ્રેજ ઓર્વેલની પેઢીના વધુ એક વિશિષ્ટ લેખક હતા અમેરિકન હૅમિંગ્વે. તેમની લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ (1952) પણ  ‘એનિમલ ફાર્મ’ અને ‘ધ પ્લેગ’ પછી ગણતરીનાં વર્ષોમાં પ્રકાશિત થઈ. અર્નેસ્ટ હૅમિંગ્વેને કામુ કરતાં થોડાં વર્ષો પહેલાં નોબેલ પારિતોષિક મળ્યું. ૨૦૨૦માં આપણે પારાવાર આર્થિક સંકડામણ અને ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા વાઇરસના ફેલાવાથી ત્રસ્ત છીએ, જ્યારે આપણે એવી દુનિયા જોઈ રહ્યા છીએ જેમાં રાષ્ટ્રીય સીમાઓ કારાવાસની દીવાલો જેવી બની રહી છે, જ્યારે આપણે દરેક ‘અન્ય’ને વાઇરસવાહક અને સંભવિત જોખમ તરીકે જોતા શીખી રહ્યા છીએ, ત્યારે આપણે બે ઘડી સમય કાઢીને યાદ કરવું જોઈએ કે ૩૦મી એપ્રિલ ૧૯૪૫ના રોજ હિટલરે આત્મહત્યા કરી ત્યારથી ૧૯૫૨ વચ્ચે ઓર્વેલ, કામુ અને હેમિંગ્વે જેવા લેખકોએ દુનિયાને નવી સંવેદનશીલતા, અસીમ આશા અને તેમના સમયના રોગચાળાઓનો સામનો કરવાના નવા રસ્તા બતાવ્યા હતા. એક વાર સુનિશ્ચય કરી લો, તો પછી બુઢ્ઢો માણસ, ધ ઓલ્ડ મૅન, પણ અશક્ય જણાતું કામ કરી શકે છે. એક વાર સુનિશ્ચય થઈ જાય, તો પછી ભલે થાકેલી હોય, પણ પ્રાચીન સંસ્કૃતિ અશક્યને શક્ય બનાવી શકશે, ભલે વાઇરસ ઘાતક રહ્યો તો રહ્યો!

(“ધ ટેલિગ્રાફ” 09 એપ્રિલ 2020)

https://www.telegraphindia.com/opinion/albert-camus-george-orwell-ernest-hemingway-and-the-novel-coronavirus/cid/1763286?ref=opinion_opinion-page

અનુવાદઃ આશિષ ઉપેન્દ્ર મહેતા 

e.mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 12 ઍપ્રિલ 2020

Loading

...102030...2,4742,4752,4762,477...2,4802,4902,500...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved