Opinion Magazine
Number of visits: 9683236
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહામારી અને ડાયરી લેખન : આંખેદેખ્યા દસ્તાવેજ

કિરણ કાપુરે|Opinion - Opinion|11 May 2020

ચીનના વુહાનનાં લેખિકા ફેન્ગ ફેન્ગે (Fang Fang) લૉક ડાઉન દરમિયાન રોજેરોજ ‘વુહાન ડાયરી’ લખીને વિશ્વને સાચી માહિતીથી અવગત કરાવ્યું. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની ડાયરી ચીની ભાષામાં લખાતી હતી અને તેનો ઝડપભેર અંગ્રેજીમાં અનુવાદ યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના પ્રૉફેસર માઇકલ બેરી દ્વારા થયો છે. આ ડાયરી વુહાનમાં લૉક ડાઉન દરમિયાન કેવી સ્થિતિ હતી તેનો ચિતાર આપે છે. ચીનના તંત્ર સામે પડીને લખવાનું હોવાથી તેમાં કેટલોક ભાગ સૅન્સર પણ થયો.

ડાયરીના એક પોસ્ટમાં ફેન્ગ લખે છે : “આજે ફરી વધુ ખરાબ સમાચાર આવ્યા. મારી દીકરીએ મને કહ્યું કે તેના મિત્રના પિતા લીવર કેન્સરથી પીડાતા હતા અને હવે તેઓ કોરોના-શંકાસ્પદ છે. તેમને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા, પણ ત્યાં તેમની સારવાર માટે કોઈ ન હતું અને માત્ર ત્રણ કલાકમાં તે મૃત્યુ પામ્યા.” આ રીતે ફેન્ગ વુહાનને સૌપ્રથમ કોરોના વિશે ચેતવનારા ડૉક્ટર લિ વેનલિઆન્ગના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે તે વિશે લખ્યું હતું : “આજે લિ વેનલિઆન્ગના મૃત્યુના સમાચાર આવ્યા. હું ખૂબ અસ્વસ્થ છું. મારા મિત્રવર્તુળમાં સૌએ કહ્યું કે સમગ્ર વુહાન લિના મૃત્યુના શોકમાં રડી રહ્યું છે. શબ્દરૂપી આંસુઓની ઇન્ટરનેટ પણ જાણે ભરતી આવી છે.”

ફેન્ગની ડાયરી હાર્પર કૉલિન્સ દ્વારા જૂન, 2020માં પ્રકાશિત થવાની છે. ડાયરીની સાઠ પોસ્ટમાં વુહાન મહામારી દરમિયાન કેવી સ્થિતિમાંથી પસાર થયું તેનું ચિત્ર મળે છે અને ચીન સરકારે જે સ્થિતિ રજૂ કરી હતી તેનાથી ફેન્ગ ફેન્ગે દર્શાવેલું વુહાન વેગળું દેખાઈ આવે છે. ચીનનું મીડિયા જ્યારે સરકારની જ આંખે જોતું ને બતાવતું હોય ત્યારે ફેન્ગની દૃષ્ટિ વાસ્તવિકતા જોવા માટે ખૂબ અગત્યની છે. ફેન્ગની જેમ હાલમાં જે ડાયરીની ચર્ચા થઈ રહી છે તે યુનાઇટેડ કિંગડમના બ્રેડફોર્ડ રોયલ ઇન્ફરમરી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. જ્હોન રાઇટની છે. 9 એપ્રિલના રોજ ડાયરીમાં ડૉ. જ્હોન રાઇટ નોંધે છે : “વિશ્વમાં હાલમાં કોરોનાના પાંચ લાખ કેસ છે અને યુનાઇટેડ કિંગ્ડમમાં 55,000. અહીં મૃત્યુઆંક 6,000 સુધી પહોંચી ચૂક્યો છે. તમે જ્યારે યુદ્ધના મેદાને હો ત્યારે શાંતિથી વિચારવું તમારા માટે અઘરું છે.”

ડૉ. રાઇટે આફ્રિકા અને અન્ય દેશોમાં પ્રસરેલી મહામારીમાં સીધું ફિલ્ડ પર કામ કર્યું છે અને તે અંગે સંશોધન પણ કર્યું છે. 18 એપ્રિલની પોસ્ટમાં તે લખે છે : “અહીં બે બાબત અગત્યની છે. પ્રથમ, કોરોના પ્રસરવાની ભીતિ અતિ ગીચ વસ્તીમાં છે અને બીજું જેઓ ડાયાબિટીસ, બ્લડપ્રેશરથી પીડાતા હોય તે. દક્ષિણ એશિયાના લોકોમાં સામાન્ય રીતે આ બીમારીઓ વધુ જોવા મળે છે.” ડૉ. જ્હોન રાઇટે ઓનલાઇન ડાયરીમાં એવું ઘણું લખ્યું છે જે ડૉક્ટરો અને સામાન્ય લોકો માટે ઉપયોગી છે.

આ સિવાય પણ વર્તમાનમાં કોરોના ડાયરી લખાઈ રહી છે. અગાઉ મહામારી વિશે લખાયેલી ડાયરીઓની વિગતનાં સંશોધનમાં સેમ્યુઅલ પેપીસનાં નામ સામે આવે છે. સેમ્યુઅલ પેપીસ ઇંગ્લેન્ડ નેવીના વહિવટી અધિકારી અને સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમણે ઇ.સ. 1660થી 1669 દરમિયાન લખેલી ડાયરીમાં લંડનના પ્લેગનું ચિત્રણ મળે છે. 1665માં લંડનમાં પ્લેગના મોતના આંકડા વિશે સેમ્યુઅલે ડાયરીમાં નોંધ્યું, “ઑગસ્ટના અંત સુધી પ્લેગનો મૃત્યુઆંક 6,102 સુધી પહોંચી ચૂક્યો છે, પણ સાચો આંકડો દસ હજાર જેટલો હોઈ શકે છે. જે શહેરી ગરીબ વર્ગમાં આવે છે તેમનાં મૃત્યુનો સમાવેશ આમાં થયો નથી. સપ્ટેમ્બર આવતાં પ્લેગને કાબૂ કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ક્યાં ય દેખાતું ન હતું.” આ પ્રકારનાં લખાણ અપ્રસ્તુત બનતાં નથી એ કરુણતા છે.

e.mail : kirankapure@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020

Loading

લૉક ડાઉનમાં હડધૂત થયેલા લાખો માઇગ્રન્ટ શ્રમિકો અને આપણું ‘ગુલાગ પ્રજાસત્તાક’

એમ.સી. ભટ્ટ|Opinion - Opinion|11 May 2020

દેશભરમાં અસંખ્ય ગરીબ શ્રમિકોનાં ધાડેધાડાં વતન પાછા ફરવાં અનેક કષ્ટ વેઠી પગપાળાં જ હાઇવે પર કૂચ કરી રહ્યાં હોવાનાં દૃશ્યો ટી.વી. સ્ક્રિન પર દેખાઈ રહ્યાં છે. રાફડામાંથી જેમ અચાનક ઉધઈ બહાર નીકળે તેમ શહેરોની ફાંટમાંથી આ હજારો શ્રમિકોનાં ટોળાં બહાર ઉભરાઈ આવ્યાં છે. આપણી સરકારી કાયદાપાલક એજન્સીઓ આ શ્રમિકો સાથે પેસ્ટ કન્ટ્રોલ એજન્ટ જેવો જ દુર્વ્યવહાર કરી તેમની વિપદામાં વધારો કરી રહી છે. કદાચ કરોડોની સંખ્યામાં બહાર નીકળેલા આ શ્રમિકો આપણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કામ કરતા માઇગ્રન્ટ (સ્થળાંતરિત) કામદારો છે. એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનની જુદો ચીલો ચાતરનારી ‘ધ ગુલાગ આર્કિપેલાગો’ થકી ‘ગુલાગ’ શબ્દ જાણીતો બન્યો છે. ગુલાગ એટલે જેમાં બળજબરીથી શ્રમિકોને રાખવામાં આવ્યા હોય એવા લેબર કેમ્પ. અત્યારે હાઇવે પર ચાલતા નીકળેલા આ માઇગ્રન્ટ શ્રમિકો જાણે ગુલાગના એ શ્રમિકોની જેમ જ હડધૂત થઇ રહ્યા છે. કેટલાક કેસોમાં તો તેમની વિપદા લગભગ પેલા વેઠિયા મજૂરો જેવી જ છે. હાલની મહામારી સમયે આ શ્રમિકો સાથે થઇ રહેલો ગેરવર્તાવ આપણો દેશ જાણે કે લોકશાહી પ્રજાસત્તાક નહીં, પરંતુ ‘ગુલાગ પ્રજાસત્તાક’ હોય તેવું લાગે છે. આપણે શહેરમાં જે એશોઆરામ ભોગવીએ છીએ તેનાં દરેક પાસાં પાછળ શ્રમિકોની આકરી અને બહુ જ સસ્તી મજૂરીનો પરસેવો રેડાયેલો છે.

આપણા એક વિશાળ ઉપખંડની સાઇઝના દેશમાં સર્વત્ર ઔદ્યોગિક કામદારો કે ખેતમજૂરો તરીકે આવા લાખો મજૂરો કામ કરે છે. કામની શોધમાં પોતાનું વતન છોડીને નીકળતા આ શ્રમિકોને મોટી ડેમ સાઇટ કે ઇન્ફ્રાસ્ટ્રચર પ્રોજેક્ટની સાઇટ ખાતે કૉન્ટ્રાક્ટર દ્વારા ટ્રકોમાં ભરી ભરીને લાવવામાં આવે છે. તેમને રોજેરોજના ખર્ચ પૂરતા પૈસા અપાય છે. નક્કી થયેલી રકમમાંથી બાકીનો મોટો ભાગ તત્કાળ ચૂકવાતો નથી. સાઇટ પર કામ ચાલે ત્યાં સુધી તે કોન્ટ્રાક્ટર પાસે જ જમા રહે છે. છ મહિના કે એક વર્ષ સુધી સાઇટ ચાલે, તો ત્યાં સુધી તેમના હાથમાં આ રકમ આવતી નથી. આવી સાઇટ પર છાશવારે થતા અકસ્માતોમાં અનેક શ્રમિકો મોતને ભેટે છે. તેમને ભાગે તો આ રકમ ક્યારે ય આવતી નથી. તે સિવાય તેમની જિંદગીનો કોઈ હિસાબ રાખતું નથી. આવી ભારે કફોડી હાલતમાં રહેતા શ્રમિકો પર અચાનક લૉક ડાઉનની વીજળી પડી હતી. આપણા લોકપ્રિય વડાપ્રધાને અચાનક કોઈ નોટિસ વિના લૉક ડાઉન જાહેર કરીને એક લક્ષ્મણરેખા આંકી દીધી. તેની બીજી સવારથી તમામ શહેરોના આ લાખો માઇગ્રન્ટ કામદારો ઘરવિહોણા બની ગયા. રાતોરાત તેમણે ભિખારીઓની જેમ ભોજન માટે લાઇનોમાં ઊભા રહી જવું પડ્યું.

1990ના દાયકામાં બંધારણની કલમ 19 અને 21ને સ્પર્શતી જાહેર હિતની એક અરજીના સંદર્ભમાં જસ્ટિસ અઝીઝ અહમદીએ બહુ દૂરોગામી અને ક્રાંતિકારી આદેશો આપ્યા હતા. જસ્ટિસ અહમદી બાદમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિવૃત્ત થયા હતા. તેમના એ આદેશોનો અમલ કરાવવા કોર્ટ કમિશનર તરીકે મારી નિયુક્તિ થઇ હતી. દક્ષિણ ગુજરાતની સાત સહકારી ખાંડ મંડળીઓનાં મેગા સાઇઝનાં શેરડીનાં ખેતરોમાં આશરે સવા લાખ જેટલા માઇગ્રન્ટ શ્રમિકો કામ કરતા હતા. તે શેરડી વાઢવા માટે ઓજાર તરીકે કોયતાનો ઉપયોગ કરતા હતા તેના પરથી તેમને કોયતા તરીકે જ ઓળખવામાં આવતા હતા. આ ખેતરોમાં તેમની પાસેથી કામ લેતી વખતે ઇન્ટર સ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ, 1979ની દરેક કલમનો ભગ થઇ રહ્યો હતો. મારી ફરજ લઘુતમ વેતન ધોરણોનો અમલ કરાવવા ઉપરાંત તે કાયદા પ્રમાણેના તેમના મૂળભૂત અધિકારોના જતનને સુનિશ્ચિત કરવાની હતી. તેમના નોકરીદાતા એટલે કે સહકારી ખાંડ મંડળીઓએ આ કોયતાઓને તેમનાં કામ કરવાનાં સ્થળે પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવાનું હતું. મેં પૂછપરછ કરી ત્યારે મને મોટા ભાગના શ્રમિકો તરફથી એકસરખો જવાબ મળ્યો હતો કે ‘અમે જે પીએ છીએ તેને જ ચોખ્ખું પીવાલાયક પાણી ગણી લેવામાં આવે છે’. પડોશી મહારાષ્ટ્રમાંથી હજારો પરિવારો કોયતા તરીકે કામ કરવા સ્થળાંતર કરીને આવ્યાં હતાં અને ખેતરોમાં તેમનાં બાળકોને જંગલી જનાવરો ફાડી ખાય તેવા અનેક બનાવો બનતા હતા.

માઇગ્રન્ટ કામદારો, તે પછી ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હોય કે પછી શહેરોમાં રહીને બાંધકામ સાઇટ્સ પર મજૂરી કરતા હોય કે પછી ગામડાંમાં ખેતરોમાં કે ડેમ જેવી કોઇ મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ પર કામ કરતા કામદારો હોય, તે તમામની સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં મને ભાગ્યે જ કોઇ ફરક જણાયો છે. ગુજરાતમાં ઇંટોના ભઠ્ઠા અંગે થયેલી જાહેર હિતની અન્ય એક અરજીમાં કોર્ટ કમિશનર તરીકે હું તેમની કામ કરવાની સ્થિતિ અને શ્રમ કાયદાઓના અમલ અંગે તપાસ કરી રહ્યો હતો. મેં ગુજરાતમાં ઇંટના ભઠ્ઠા પર કામ કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના એક જાટવ પરિવારને ત્યાં સર્વે કર્યો, તો જણાયું હતું કે માંડ 80 ચોરસ ફૂટના કાચા ઝૂપડામાં છ લોકો રહેતા હતા. તેમની પાસે બે-ચાર વાસણ અને ફાટેલી સાડીને બાદ કરતાં કોઈ ચીજવસ્તુ ન હતી. શું તેમની પાસે આટલું જ છે? તેવા સવાલના જવાબમાં એક બોલકી તરુણીએ કહ્યું હતું, ‘સાહેબ, અમે તો માણસનાં રૂપમાં જાનવરો છીએ’. જાનવર કહેવાનો તેનો મતલબ તે સમાજથી કેટલાં અળગાં હતાં તે દર્શાવવાનો પણ હતો.

હાલનું શાસક જોડાણ બહુ ઝીણવટપૂર્વકનાં આયોજન સાથે ધાર્મિક પદયાત્રાઓ યોજવામાં માહેર છે. તે આ પદયાત્રા દરમિયાન હાઇવે પર કેટલી ય ખાવાપીવાની ચીજો, પીવાનું પાણી, વિરામ સ્થળો અને પોલીસ એસ્કોર્ટ સહિતની સુવિધાઓ ગોઠવે જ છે. તો શું સરકાર લૉક ડાઉન જાહેર કરતાં પહેલાં આ માઇગ્રન્ટ કામદારો સાથે ગુનેગારો જેવું વર્તન કરવાને બદલે તે તેમના ઘરે સ્વમાનભેર પાછા ફરી શકે તેનું આયોજન અને વ્યવસ્થા ન ગોઠવી શકી હોત? કોઇએ વિચાર્યું જ નહીં કે આશ્રય સ્થળોમાં આડેધડ ખડકવામાં આવનારા આ કામદારોને તેમના કોઇ વાંક વગર પણ ક્યાંકથી ચેપ લાગી શકે છે. આ વાઇરસ દુનિયા ખૂંદતા લોકો દ્વારા દેશમાં આયાત કરવામાં આવ્યો છે. એક પ્રજાલક્ષી સરકાર આ વિસ્થાપિતોને તેમનાં વતન પાછા ફરવા માટે પરિવહન સહિતની સગવડો ગોઠવી શકી હોત. જો તેવું થયું હોત તો માંડ 14 વર્ષની એક આદિવાસી માઇગ્રન્ટ કામદાર જમાલો મકદામીનું પોતાના ગામથી માંડ 11 કિલોમીટર દૂર અતિશય થાક અને ઇલેક્ટ્રોલાઇટ એટલે કે સાદા મીઠાંના અભાવે મોત ન નીપજ્યું હોત. જમાલો અને બીજા આદિવાસી કામદારો છત્તીસગઢથી છેક તેલંગણા મરચાંની લણણી કરવા ગયા હતા. અચાનક લૉક ડાઉન જાહેર થયું એટલે પરિવહનની કોઇ વ્યવસ્થા વિના તેઓ વતન પરત ફરવા માટે પગપાળા જ ચાલી નીકળ્યા હતા. આપણે ધાર્મિક યાત્રાઓ માટે તમામ સગવડો ઊભી કરીએ છીએ, પરંતુ આપણાં રાષ્ટ્રની સંપત્તિનું સર્જન કરનારાઓ માટે નહીં અને તેમને સાદા મીઠાની ઉણપથી મરવા છોડી દઇએ છીએ. આપણું ગુલાગ પ્રજાસત્તાક મધ્ય યુગના યુરોપના અંધકાર યુગની યાદ અપાવી રહ્યું છે. કોઈને સવાલ થાય કે શું આપણો નવજાગરણનો કાળ આવશે ખરો?

શું તેમને અને તેમના પરિવારને બંધારણની કલમ 21 હેઠળ જીવવાના મૂળભૂત અધિકારની ગેરંટી નથી મળી કે તેમને આ રીતે આશ્રય સ્થાનોમાં ગુનેગારોની જેમ કેદ કરી રાખવામાં આવી રહ્યાં છે? શું પરિવાર સાથે રહેવું એ માનવ અધિકારનો ભાગ નથી, એવો સવાલ આપણે ઉઠાવશું? તેમને અમાનવીય સ્થિતિમાં કેદ કરીને રાખવામાં આવ્યાં છે, તેથી બંધારણની કલમ 19 હેઠળ અપાયેલા મૂળભૂત અધિકારની હાંસી ઊડી છે. આ અધિકાર હેઠળ તેઓ ભારતના કોઇ પણ ભાગમાં રહેવા અને ભારતભરમાં ક્યાં ય પણ અવરજવર માટે સ્વતંત્ર છે. એ સાચું કે સરકારે મહામારી જેવા સંજોગોમાં નિયંત્રણો લાદવાં પડે, પરંતુ કોઈ તૈયારી કે વિચાર વિના આવું પગલું ભરાય ખરું? શું તેમને આશ્રયસ્થાનોમાં ટેસ્ટિંગ કરીને નેગેટિવ જણાય તો વતન પાછા મોકલવાની વ્યવસ્થા ના થવી જોઇએ? જમાલોનું પોસ્ટમોર્ટમ કરાતાં ખબર પડી કે તે કોવિડ-19 નેગેટિવ હતી, પરંતુ સામાન્ય મીઠાની ઉણપના કારણે તેનું મોત નીપજ્યું હતું.

જો રાજસ્થાનના કોટાથી દસ હજાર વિદ્યાર્થીઓને બસમાં યુ.પી. લઇ જઇ શકાતા હોય, તો સરકાર વિસ્થાપિત કામદારોને પણ લઘુતમ સગવડો સાથે તબક્કાવાર તેમના મૂળ વતન પાછા મોકલવાની વ્યવસ્થા કરી જ શકે તેમ હતી. જો તેવું થયું હોત તો લૉક ડાઉન બાદ માંદી પડેલી ઇકોનૉમીમાં તત્કાળ પ્રાણ પુરવા તેમને પાછા બોલાવવાનું પણ વધારે સરળ બન્યું હોત. હવે આ કામદારોને પાછા બોલાવવાનું કેટલું અઘરું સાબિત થવાનું છે તેની સહેજે કલ્પના કરી શકાય. શું વિદ્યાર્થીઓ માટે બસોની વ્યવસ્થા ગોઠવવાનું અને આ કામદારોને એવી કોઈ સગવડ નહીં આપવાનું સરકારનું પગલું વર્ગભેદ અને વર્ગસંઘર્ષની સાબિતી નથી આપતું? શું તે બંધારણની કલમ 14 હેઠળ અપાયેલા સમાનતાના અધિકારનો ભંગ નથી?

મહામારીને કારણે ફસાયેલા માઇગ્રન્ટ શ્રમિકોને એકબાજુ સામાજિક આભડછેટ અને બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ એમ બંને બાજુએથી માર વેઠવો પડી રહ્યો છે. આપણે આ શ્રમિકોને તેમની ઝૂંપડાંની વસાહતોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સુફિયાણી સલાહો આપીએ તે કેટલું મૂર્ખાઈ ભરેલું છે. ટી.વી. ચેનલો પર આરોગ્ય નિષ્ણાતો રોગપ્રતિકારક શક્તિ વધારવાનાં ફીફાં ખાંડે છે પરંતુ લૉક ડાઉનમાં અપાતાં નજીવાં રાશન કે માત્ર 500 રૂપિયાની સહાયથી આ શ્રમિકો કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ જાળવી શકે તે એક સવાલ છે. આ મહામારી કોઈ વર્ગ વચ્ચે ભેદ કરતી નથી. તે પણ માણસો છે. આપણને તેમનાથી અને તેમને આપણાથી ચેપ લાગી શકે છે. આપણું સમગ્ર સામાજિક આર્થિક માળખું આ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કેટલા સમય માટે ટકી શકશે?

જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો રહે છે તેવા ધારાવી જેવા વિસ્તારમાં કોવિડ-19ના કેસો વધી રહ્યાનો કકળાટ આપણે કરીએ છીએ, પરંતુ શું આપણે સાબરમતી રિવરફ્રન્ટ કે વારાણસીના ઘાટને યુરોપિયન શૈલીથી સૌંદર્યમંડિત કરતી કે પછી નવી દિલ્હીમાં રૂપિયા વીસ કરોડના ખર્ચે સેન્ટ્રલ વિસ્ટાની મંજૂરી આપનારા આપણા નેતાઓને ક્યારે ય સવાલ કર્યા છે ખરા? શું આપણે આપણા નેતાઓને આ શ્રમિકો સાથે માનવીય વ્યવહાર કરવા અને ધારાવી જેવા સ્લમ વિસ્તારો નાબૂદ કરવાની ફરજ ન પાડી શકીએ? પરંતુ તેવા સવાલ ઉઠાવવાને બદલે આપણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના ચાળા પેશ કરવાની તક આપવા માટે, જંગી ખર્ચે મેગા ઇવેન્ટ યોજવા બદલ આ નેતાઓની પ્રશંસા કરીએ છીએ. એ ઇવેન્ટ જેમાં આપણી ગરીબીની શરમને ઢાંકવા માટે દિવાલો ખડી કરી દેવામાં આવી હતી આ ઇવેન્ટ પછી ટ્રમ્પ આપણી પાસેથી કરોડો ડોલરના શસ્ત્ર સોદા ગજવે લઇ રવાના થયા હતા.

જો આપણે ગુલાગ પ્રજાસત્તાકને છોડીને ખરા અર્થમાં લોકશાહી પ્રજાસત્તાક અપનાવવા માગતા હોઈએ તો ગુલાગ પ્રજાસત્તાક કેવી રીતે પેદા થયું તેનો અભ્યાસ કરાવવો જોઇએ. આપણને આઝાદીકાળથી જ એવું સમજાવાયું છે કે ઉચ્ચ વર્ગના અને ઉચ્ચ જ્ઞાતિઓના લોકો જ આપણા ભાગ્યવિધાતા છે. સ્વતંત્રતા આંદોલનમાં આપવામાં આવેલાં લોકશાહી સુધારાનાં તમામ વચનોને આ લોકોએ નિષ્ફળ બનાવી દીધાં. લાખો માઇગ્રન્ટ શ્રમિકો વાસ્તવમાં અધૂરા રહી ગયેલા જમીનસુધારાની નીપજ છે. તે ખેતીથી વિખૂટા પડી ગયા કારણ કે વેપારધંધાની શરતો એવી રીતે નક્કી થઇ કે કૃષિમાંથી પેદા થતી ઊપજનો મોટો હિસ્સો ઉદ્યોગોને મળી જાય. પછાત વર્ગોને અધિકારોથી વંચિત રખાયા અને લઘુમતીઓ પર દમનના કોરડા વિંઝાયા, તેમાંથી પણ આ શ્રમિકો પેદા થયા છે. આ સમયગાળામાં સર્જાયેલી રાજકીય ભ્રષ્ટાચારની ધારાઓ હવે મોટી નદીઓમાં ફેરવાઇ ગઇ છે. ઉચ્ચ વર્ગ અને જાતિના લોકો આ રાજકીય ભ્રષ્ટાચારની સિસ્ટમને પોષી રહ્યા છે અને તેમના આશ્રિતો હવે વધુ બોલકા અને આક્રમક બનીને, ઉઘાડેછોગ મોબ લિંન્ચિંગનું સમર્થન કરી રહ્યા છે. આપણે ગુલાગ પ્રજાસત્તાકમાંથી ખરા અર્થમાંથી લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્રમાં પરિવર્તત થવું હોય તો વર્તમાન સામાજિક આર્થિક માળખાંને તોડીફોડી નાખવું જોઈએ અને લોકશાહી સુધારા હાથ ધરવા જોઈએ. તેની શરૂઆત જમીનસુધારાથી થવી જોઈએ. કૃષિ તથા ઉદ્યોગો વચ્ચે થતા વેપારની શરતોને કૃષિની તરફેણમાં ફેરવવી જોઇએ. છેક 1960થી સોરાષ્ટ્ર જમીનસુધારા કાયદા હેઠળ પછાત વર્ગના લોકોને આપવાની થતી જમીન હજુ પણ તેમને વાસ્તવમાં ફાળવવામાં આવી નથી. તેને અડધી સદી કરતાં વધુ સમય પસાર થઇ ચૂક્યો છે અને આ જમીન લાખો એકરોમાં થવા જાય છે.

(સિનિયર ધારાશાસ્ત્રી, ગુજરાત હાઇકોર્ટ)

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020

Loading

મજૂર કાયદામાં ફેરફાર : આ સુધારા નહીં, કુધારા છે

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|10 May 2020

કાર્લ માર્ક્સે કહેલું કે, “દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી.” આ વાક્યમાં ફેરફાર કરીને આજે દેશની સરકારો જરા આ રીતે બોલી રહી હોય એમ લાગે છે, “હે દેશભક્ત મજૂરો, તમે એક થાવ, તમારે દેશનો વિકાસ કરીને તમારા લોહી સિવાય કશું જ ગુમાવવાનું નથી.” દેશની સંસદે ઘડેલા મજૂર કાયદાઓનો અમલ નહીં કરવાના કાયદા અત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં રાજ્ય સરકારો કરી રહી છે અને તે પણ વિકાસને નામે.

દેશભરમાં હવે કોરોના લૉક ડાઉન બાદ ઉદ્યોગો ખોલવામાં આવે તો મજૂરો જોઈએ. આ મજૂરો તો ગામડે જવા માગે છે, એમના પરિવારને મળવા માગે છે. એટલે એમને આકર્ષવા પડશે જ્યાં પણ ઉદ્યોગો છે ત્યાં. પરંતુ તેમને આકર્ષવા માટે કોઈ લાલચ આપવામાં આવતી નથી. ઉપરથી નવા ઉદ્યોગોને આકર્ષવા માટે તથા ઉદ્યોગો ફરી શરૂ કરવા માટે તેમને મજૂરોનું શોષણ કરવા મોટી લાલચ આપવામાં આવી રહી છે. આ લાલચ આ દલીલો સાથે આપવામાં આવી રહી છે : (1) જી.ડી.પી.નો વૃદ્ધિદર એકદમ ઘટી ગયો છે તે ઊંચો લાવવો છે. (2) તેનાથી રોજગારી વધશે.

જરા જુઓ તો ખરા કેવી રીતે જુદાં જુદાં રાજ્યો મજૂર કાયદાનો અમલ નહીં કરવા માટે જાહેરાતો કરે છે. મજૂરોનું શોષણ કરવાની કંપનીઓને છૂટ આપવા માટે જાણે કે રાજ્યો વચ્ચે હરીફાઈ જામી છે. કૉંગ્રેસ અને ભા.જ.પ.ની રાજ્ય સરકારો મજૂર કાયદામાં કહેવાતા સુધારા કરવા માટે અને Ease of Doing Business(ધંધાકીય સરળતા)માં આગળ આવવા માટે હવે હરીફાઈ કરી રહી છે. આ હરીફાઈ કોરોના લૉક ડાઉન પછી વધે તેવી સંપૂર્ણ સંભાવના છે. રાજસ્થાનમાં હાલ કૉંગ્રેસની સરકાર છે, પણ તે ભા.જ.પ.ની સરકારે મજૂર કાયદાઓમાં 2014-15માં કરેલા ફેરફારોને જ અનુસરી રહી છે. પંજાબની કૉંગ્રેસ સરકાર પણ એ જ કરવા તરફ જતી હોવાના સમાચાર છે. તેણે જાન્યુઆરીમાં મજૂર કાયદામાં સુધારા માટેના ત્રણ વટહુકમો બહાર પડવાની તૈયારી કરી હતી. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તો અત્યારે ભા.જ.પ.ની સરકારો છે. મધ્ય પ્રદેશમાં હમણાં મજૂર કાયદામાં સુધારા કરાયા છે. ત્યાં ઔદ્યોગિક વિવાદ ધારાની ઘણી કલમોમાંથી કારખાનાંને એક હજાર દિવસ સુધી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે પોતાની મરજી મુજબ માલિકો મજૂરોને કામે રાખી શકશે અને મજૂરો પાસે 12 કલાક કામ પણ કરાવી શકશે. રાજસ્થાન તો એક માર્ગદર્શક ઉદાહરણ બની ગયું છે અન્ય રાજ્યો માટે. કોરોના મહામારીએ રાજ્ય સરકારોને લપસવું હતું અને નિસરણી આપી છે. મજૂર કાયદામાં સુધારા ન જ થવા જોઈએ એવું નથી, પણ પ્રશ્ન એ છે કે તેથી મજૂરોનું શોષણ વધે છે કે ઘટે છે? તેમના માનવ હકો અને લોકશાહી અધિકારોનું રક્ષણ થાય છે કે નહીં? મજૂરોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરે છે કે ખરાબ થાય છે? 2019ના કેન્દ્ર સરકારના આર્થિક સર્વેમાં તો આ બાબતે રાજસ્થાનના સુધારાની પ્રશંસા કરવામાં આવી છે! કેટલાંક ઉદાહરણ જોઈએ : 

રાજસ્થાન

વર્ષ 2014-15માં ચાર મજૂર કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા. ત્યારે ભા.જ.પ.ની સરકાર હતી. અત્યારે ત્યાં કૉંગ્રેસની સરકાર છે અને તેણે મજૂરવિરોધી કેટલા ય સુધારા યથાવત્ રાખ્યા છે. જે ચાર કાયદામાં મોટા સુધારા કરવામાં આવ્યા તે આ મુજબ છે : ઔદ્યોગિક વિવાદ ધારો-1947, કરારી મજૂર ધારો-1970, કારખાનાં ધારો-1948 અને એપ્રેન્ટિસ ધારો-1961. કેટલાક મુખ્ય સુધારા આ મુજબ છે : [a] ત્રણસો મજૂરોને નોકરીમાંથી કાઢી મૂકવા હોય તો સરકારની પરવાનગીની જરૂર નથી. પહેલાં તે સંખ્યા સો હતી. [b] કામદારે માલિક સામે ફરિયાદ કરવાની મુદ્દત હવે ત્રણ વર્ષની કરવામાં આવી છે. પહેલાં આવી કોઈ સમયમર્યાદા નહોતી. [c] કુલ કામદારોના ૩૦ ટકા હોય તો જ મજૂર મંડળ રચી શકાય. તે અગાઉ 15 ટકા હતા. [d] કારખાનાં ધારા હેઠળ માલિક સામે તો જ અદાલતમાં કેસ કરી શકાય, જો સરકાર એ માટે મંજૂરી આપે. [e] કરારી મજૂર ધારો 50 લોકોને રોજગારી આપતાં કારખાનાંને જ લાગુ પડે. અગાઉ આ સંખ્યા 20 હતી. [f] એપ્રેન્ટિસ મજૂરને લઘુતમ વેતન કરતાં ઓછું વેતન ના મળવું જોઈએ. 

ગુજરાત

તા.08-05-2020ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાને ચીનમાંથી પોતાનું રોકાણ ખસેડવા માગતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં નિમંત્રણ આપતાં જાહેરાત કરી કે રાજ્ય સરકાર ત્રણ સિવાયના બધા મજૂર કાયદાનો અમલ કરવામાંથી નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મુક્તિ આપવા માટે એક વટહુકમ બહાર પાડશે. તેમણે કહ્યું કે જે નવો ઉદ્યોગ 1,200 દિવસ એટલે 3.29 વર્ષ માટે કામ કરે તેને આ યોજનામાં આવરી લેવાશે. ઉદ્યોગપતિએ મજૂરોને લઘુતમ વેતન આપવું પડશે, સુરક્ષાની બાબતમાં કોઈ મુક્તિ આપવામાં નહિ આવે અને અકસ્માતના કિસ્સામાં કંપનીએ વળતર તો કામદાર વળતર ધારા હેઠળ આપવું જ પડશે. ગુજરાત સરકાર આ નવા ઉદ્યોગોને સાણંદ, ધોલેરા સર અને દહેજમાં તથા GIDCની વસાહતોની ૩૩,000 હૅક્ટરની જમીનો આપશે. તેને માટે સરકાર ભાવમાં સબસિડી આપશે.

ઉત્તર પ્રદેશ

મજૂરોનાં હિતોના રક્ષણ માટે કુલ 38 કાયદા છે અને તેમાંથી માત્ર ત્રણ સિવાયના તમામ કાયદાનું પાલન ત્રણ વર્ષ માટે બંધ કરી દેતો એક વટહુકમ એક સપ્તાહ અગાઉ જ બહાર પાડવામાં આવ્યો છે. મકાન અને અન્ય બાંધકામ મજૂર ધારો-1996, કામદાર વળતર ધારો-1923 અને વેઠ મજૂરી પ્રતિબંધ ધારો-1976 એમ ત્રણ જ કાયદાનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. ઉપરાંત, વેતનચૂકવણી ધારાની કલમ-5નો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે કે જેમાં સમયસર વેતન આપવાની જોગવાઈ છે. આ સિવાય બધા 35 કાયદાના અમલની વિકાસ કરવા માટે કોઈ જરૂર નથી એમ માની લેવામાં આવ્યું છે. આ વટહુકમ કારખાનાં, દુકાનો, ધંધાઓ અને ઉદ્યોગો એમ બધાને લાગુ પડે છે. ઉત્તર પ્રદેશમાં તો લઘુતમ વેતન ધારા-1948નું પાલન પણ નહિ થાય.  

ઉદ્યોગ મંડળોની રજૂઆતો

દેશનાં CII, ફડકી, એસોચેમ અને FICCI જેવાં ઉદ્યોગ મંડળોએ પણ ભારત સરકારને એવી સત્તાવાર રજૂઆતો કરી છે કે માલિકોને મજૂરોનું શોષણ કરવા દો. તેમની રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ છે :

(1) મજૂરો પાસેથી રોજના આઠ કલાકને બદલે બાર કલાક કામ લેવામાં આવે.

(2) કોરોના લૉક ડાઉનના સમયગાળાને છટણીનો સમયગાળો ગણવો અને તે માટે ઔદ્યોગિક વિવાદ ધારામાં સુધારો કરવો.

(3) સરકારનું કહ્યું માનીને જેમણે લૉક ડાઉનના સમય માટે મજૂરોને વેતન આપ્યું છે એ તેમના તે ખર્ચને CSRના ખર્ચનો ભાગ ગણવો.   

(4) જે મજૂરો કામ પર પાછા ના આવે તેમની સામે ઔદ્યોગિક વિવાદ ધારા અને ઔદ્યોગિક રોજગાર સ્થાયી હુકમ ધારા અનુસાર પગલાં લેવાં.

ઉપરોક્ત તમામ મુદ્દાનો અર્થ કંઈક આવો જ થાય :

(1) મજૂરોને પરિવાર નથી એમ સમજી લેવામાં આવ્યું છે. તેમને સામાજિક આરામ અને આનંદ-પ્રમોદનો સમય ના મળવો જોઈએ? સરકારી કર્મચારીઓ તો અઠવાડિયામાં બે દિવસ રજા ભોગવે છે અને તેમના કામના કલાકો આઠ જ છે, તો પછી ઔદ્યોગિક મજૂરોને શા માટે બાર કલાક કામ કરવાનું? 

(2) 24 કલાકમાંથી આઠ જ કલાક કમાણી માટે હોવા જોઈએ, એ એક આંતરરષ્ટ્રીય ધોરણ છે. આંતરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા દાયકાઓ અગાઉ તે સ્વીકારવામાં આવ્યું છે. ILOની સ્થાપના 1919માં થઈ તે પછી પહેલો ઠરાવ આઠ કલાકના કામ માટે જ થયો હતો. ભારત સરકારે આ ઠરાવને માન્યતા પણ આપેલી છે. 1948ના કારખાનાં ધારાની કલમ-51 એમ જણાવે છે કે કોઈ મજૂર દિવસમાં આઠ કલાકથી વધુ એટલે કે અઠવાડિયાના 48 કલાકથી વધુ અને એક દિવસમાં નવ કલાકથી વધુ કામ નહીં કરે. હવે તે ધોરણ બાજુ પર મૂકવામાં આવી રહ્યું છે.

(3) જો CSR હેઠળ મજૂરોનો પગાર ગણી લેવામાં આવે તો કંપનીઓ CSR હેઠળ જે રકમ સામાજિક કલ્યાણ માટે ખર્ચતી હતી, તે રકમ તેમણે ખર્ચવાની રહે જ નહિ. આમ, તેઓ તેમની સામાજિક જવાબદારીમાંથી છટકવા માગે છે.  

(4) જો લૉક ડાઉનના સમયને છટણી ગણવામાં આવે તો પછી મજૂરોને એટલા સમયગાળા માટે 50 ટકા જ વેતન આપવાનું થાય.  

(5) મજૂરોએ કામ કરવું કે ન કરવું તેની પણ સ્વતંત્રતા નહિ? ભારતના બંધારણની કલમ-19 એમ કહે છે કે દરેક નાગરિકને તે ઈચ્છે તે કામધંધો કે વ્યવસાય કરવાનો અધિકાર છે. હવે જ્યારે એવી માગણી કરવામાં આવી રહી છે કે જે મજૂરો કામ પર પાછા ના આવે તેમની સામે પગલાં લેવાં, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેમને ઉદ્યોગોમાં કામ કરવું કે નહીં તેની પણ સ્વતંત્રતા રહેશે નહિ! આ તો રીતસરની ગુલામી જ થઈ. શ્રમ બજારમાં સુધારાને નામે હવે આપણે શું ગુલામી તરફ ધસી રહ્યા છીએ?  

કોરોના મહામારીને કારણે અસાધારણ પરિસ્થિતિ સર્જાઈ છે તેથી ઉદ્યોગોને શરૂ કરવા, ટકાવવા અને વિકસાવવા માટે અસાધારણ પગલાંની ઉદ્યોગ મંડળો માગણી કરે છે. આ માગણીઓનો સ્પષ્ટ અર્થ એ છે કે તેમને મજૂરોનું શોષણ કરવા માટે મંજૂરી આપવામાં આવે. તો જ તેઓ દેશનો વિકાસ કરી શકશે અને જી.ડી.પી. વધારી શકશે. વિકાસ મજૂરોનો પણ થવો જોઈએ એ વાત સ્વીકારવા માટે સરકારો કે ઉદ્યોગ મંડળો તૈયાર નથી. અત્યાર સુધીમાં મજૂરોનો કેવો વિકાસ થયો છે તેનો અંદાજ તો સ્થળાંતરિત મજૂરોની હાલની સ્થિતિથી જોઈ શકાય તેમ છે. કોરોના મહામારીને નામે મજૂરોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. મજૂરોને તો જીવવું છે, શ્વાસ ટકાવવા છે એટલે તે કામ પર આવશે જ. પણ તેનો અર્થ એવો કરવામાં આવશે કે કામદારોને તો આ બધું ગમે જ છે. “જુઓ ક્યાં કોઈ વિરોધ કરે છે?” એમ પણ પછી કહેવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારોના આ મજૂર કાયદાના સુધારાને ટેકો આપે છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષે આ કહેવાતા સુધારાને ટેકો આપ્યો છે.

ખરેખર તો આ સુધારાથી શ્રમ બજારમાં ભારે અંધાધૂંધી ફેલાશે અને મજૂરોની કફોડી હાલત થશે. આ સુધારા નથી, પણ કુધારા છે. અન્ય મજૂર સંગઠનોની સાથે સાથે આર.એસ.એસ.ના મજૂર સંગઠન ‘ભારતીય મજદૂર સંઘ’(BMS)ના પ્રમુખ સાજી નારાયણને પણ આ સુધારાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ સુધારાથી “જંગલરાજ” ઊભું થશે. ભા.જ.પ.ની મોદી સરકાર ઇન્ટુક, આઇટુક કે સીટુ જેવાં મજૂર સંગઠનોનું ના માને એ તો સંભવ છે જ, પણ આર.એસ.એસ.ના BMSનું પણ નહીં સાંભળે? મોદી સરકાર કોઈનું સાંભળવા માટેનો સ્વભાવ ધરાવતી નથી. જો BMSના નેતાઓ મોદી સરકારની મજૂરવિરોધી નીતિઓનો બહુ જ વિરોધ કરશે તો પછી તેમણે હોદ્દા ગુમાવવા પડશે એ નક્કી છે.

રાજસ્થાનમાં મજૂર કાયદામાં ફેરફાર પછી શું થયું તે જાણવા જેવું છે. ગયા વર્ષનો આંકડો એમ કહે છે કે આ સુધારા અગાઉ રાજ્યમાં 100થી વધુ કામદારો ધરાવતાં કારખાનાંની સંખ્યા 3.65 ટકા હતી અને તે હવે 9.૩૩ ટકા થઈ છે. દેશમાં તે પ્રમાણ 4.56 ટકાથી વધીને 5.52 ટકા થયું છે. આમ, કંપનીઓ મોટી થઈ રહી છે. પરંતુ આ સુધારાને પરિણામે મોટી કંપનીઓમાં પણ કરારી મજૂરો વધી ગયા, 2014-15માં તે 39.1 ટકા હતા અને 2016-17માં તે 42.5 ટકા થઈ ગયા. એટલે નોકરીની અસલામતી વધી. વળી, ત્યાં બેકારી વધી. સમગ્ર ભારતમાં જુલાઈ-2019માં બેકારીનો દર 7.25 ટકા હતો અને રાજસ્થાનમાં તે 10.2 ટકા હતો એમ CMIE કહે છે. ઉપરાંત, મજૂરને મળતા વેતનમાં વધારો થવાની ગતિ ધીમી પડી. 2011-14 દરમ્યાન વેતનમાં 16.56 ટકાનો સરેરાશ વધારો થયો હતો અને 2014-17 દરમ્યાન તે વધારો 7.૦૩ ટકાનો જ થયો. આમ, રાજસ્થાનમાં બેકારી વધી અને મજૂરોને મળતું વળતર ઓછું વધ્યું.   

રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર એમ સમજે છે કે મજૂર કાયદાનો અમલ જ ના કરવાથી મૂડીરોકાણ આકર્ષી શકાશે. આમ જુઓ તો મૂડીરોકાણ કંઈ રાતોરાત આવી જતું નથી. પણ આ પ્રકારની છૂટછાટોથી વિદેશી કંપનીઓ રોકાણ કરવા આવી શકે તે વાત સાચી. અને દેશની કંપનીઓને અને ઉદ્યોગપતિઓને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે તે વાત પણ સાચી. સવાલ એ છે કે શું માત્ર મૂડીરોકાણ, જી.ડી.પી.માં વધારો અને રોજગારી જ મહત્ત્વનાં છે કે મજૂરોની જિંદગી પણ મહત્ત્વની છે? કાર્લ માર્ક્સ ફરી યાદ આવે છે. તેમણે કહેલું કે, “મૂડી એ મરી ગયેલો શ્રમ છે કે જે રક્તપિપાસુ ભૂતની જેમ મજૂરોનું લોહી ચૂસીને જ જીવે છે, અને તે જેમ વધારે જીવે છે તેમ તે મજૂરોનું વધુ લોહી ચૂસે છે.” ભારતમાં અત્યારે કોરોના લૉક ડાઉન પછી અર્થતંત્રને બેઠું કરવાને નામે આ ખૂની ધંધો ચાલી રહ્યો છે.

e.mail :hema_nt58@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 10 મે 2020

Loading

...102030...2,4362,4372,4382,439...2,4502,4602,470...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved