Opinion Magazine
Number of visits: 9575599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના-કૃપા

પ્રવીણ ગઢવી|Poetry|6 May 2020

પ્રભુકૃપાથી
પ્રગટ્યો કોરોના કે
સ્વયં? ખબર નથી.
કિંતુ પ્રભુભકતોને હોય છે
દૃઢ વિશ્વાસ કે
જે કંઈ થાય તે પ્રભુકૃપાથી
સારા માટે જ થાય છે.
કોરોના પણ પ્રગટ્યો હશે
સારા માટે પાપીઓના સંહાર માટે પ્રભુકૃપાથી
ભલે એણે સંહાર્યા નિર્દોષોને !
કોરોનાએ
આટલી કૃપા તો કરી
અવશ્ય
મંદિર-મસ્જિદ-ચર્ચોનાં કરાવ્યાં બારણાં બંધ !
આરતી-બાંગ-પ્રેયરનો
કરાવ્યો ઘોંઘાટ બંધ !
કોરોનાએ
કરાવ્યો અહેસાસ
કે ભગવાન વગર પણ
ચાલશે દુનિયા !

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020

Loading

ટ્રેનભાડાની વસૂલાત અંગે સરકારની બેરહમી-બેશરમી

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|6 May 2020

સ્થળાંતરિત કામદાર ધારાની જોગવાઈનો સરેઆમ ભંગ

કેટલાક પત્રકારો અને વિદ્વાન ભાજપી લેખકો અત્યારે એવું જૂઠાણું ચલાવી રહ્યા છે કે રેલવેએ તો મફતમાં જ સ્થળાંતરિત મજૂરોને તેમના રાજ્યમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરેલી હતી. હકીકત એ છે કે રેલવે બોર્ડ દ્વારા જે પરિપત્ર બહાર પડાયેલો છે, તેમાં જ લખેલું છે કે રાજ્ય સરકારે ઉતારુઓ પાસેથી ભાડું લઈને રેલવેને આપવું. આ પરિપત્ર રેલવે બોર્ડની વેબસાઇટ પર તા. 04-05-2020ના રોજ રાતે ૯.૩૫ વાગ્યે ઉપલબ્ધ હતો. ખૂબ હોબાળો થયો પછી રેલવેએ કેન્દ્ર સરકાર ૮૫ ટકા અને રાજ્ય સરકાર ૧૫ ટકા ભાડું ભોગવશે એવું નક્કી થયું. આ સંદર્ભમાં હકીકત આ મુજબ છે :

રેલવે બોર્ડ દ્વારા તા. 02-05-2020ના રોજ બે પાનાંનો એક પરિપત્ર નં. ડી.ટી.પી./2020/05/17  જાહેર કરવામાં આવ્યો અને તેની નકલ રેલવેના જનરલ મેનેજરોને અને રાજ્યોના મુખ્ય સચિવોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવી. કુલ 19 મુદ્દાના આ અંગ્રેજી પરિપત્રમાં જે 11મો મુદ્દો છે તેનો ગુજરાતી અનુવાદ આ મુજબ છે :

(11) ટિકિટોનું વેચાણ : શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો રેલવે દ્વારા માત્ર એવી વ્યક્તિઓ માટે જ ચલાવવામાં આવી રહી છે કે, જેમને ટ્રેન જ્યાંથી ઉપાડવાની છે તે રાજ્યે જ્યાં ટ્રેન પહોંચવાની છે તે રાજ્ય સાથે મસલતો કરીને, મંજૂરી આપી છે, સામાન્ય લોકો માટે નહીં. તેમાં ટિકિટોના વેચાણ માટેની પદ્ધતિ નીચે મુજબ રહેશે :     

(a) જ્યાંથી ટ્રેન ઉપડવાની છે તે રાજ્ય ટ્રેનમાં પ્રવાસ કરનારા ઉતારુઓની સંખ્યા જણાવશે, જે લગભગ  1,200 રહેશે, અથવા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની ક્ષમતાના કમ સે કમ 90 ટકા રહેશે.

(b) ટ્રેન ઉપડવાની છે તે રાજ્ય દ્વારા જણાવવામાં આવેલા ઉતારુઓની સંખ્યા માટે રેલવે ગંતવ્ય સ્થાનો માટે ટિકિટો છાપશે અને તે ટિકિટો રેલવે રાજ્ય સરકારના સ્થાનિક સત્તાવાળાને આપશે.

(c) રાજ્ય સરકારના સ્થાનિક સત્તાવાળા એ ટિકિટ તેમણે મંજૂર કરેલા ઉતારુઓને આપશે અને તેમની પાસેથી ભાડું લઈને કુલ રકમ રેલવેને આપશે.”

વાસ્તવમાં, સ્થળાંતરિત મજૂરને પોતાના રાજ્યમાં જવા-આવવાનું ભાડું આપવાની જવાબદારી કાયદા મુજબ માલિક કે કૉન્ટ્રાક્ટરની છે. પણ તેવું કેમ થયું નહીં? કોરોના મહામારીના સંદર્ભમાં અત્યારે દેશમાં સ્થળાંતરિત મજૂરોની સમસ્યાઓ અને તેમના વતનના રાજ્યમાં રેલવે દ્વારા મફત લઈ જવા અંગે ભારે હોબાળો મચ્યો છે. આવા સ્થળાંતરિત મજૂરોના કલ્યાણ માટે ‘આંતરરાજ્ય સ્થળાંતરિત કામદાર ધારો’ 1979માં ઘડાયો છે. તેના અમલ માટે ગુજરાતમાં 1981માં નિયમો ઘડાયા છે. કાયદામાં અને નિયમોમાં કરાયેલી જોગવાઈઓનો અમલ થાય છે કે કેમ તે મહત્ત્વનો મુદ્દો છે.

યાદ રાખવાની જરૂર છે કે જે પ્રકારે કોરોના લૉક ડાઉન દરમ્યાન અને વતન જવા માટે આ મજૂરોને જે ભયંકર પરેશાનીનો ભોગ બનવું પડ્યું છે, તે જોતાં તેઓ જો વહેલી તકે પાછા ગુજરાતમાં નહીં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત એકદમ ધ્રૂજતું થઈ જશે! ભલે ને લૉક ડાઉન પતી જાય તો પણ તેમના વિના ઉત્પાદન થશે કેવી રીતે? હવે કારખાનાં, રેસ્ટોરાં, દુકાન કે ઓફિસના માલિકોને સમજણ પડવી જોઈએ કે તેઓ તુલનાત્મક રીતે જે સમૃદ્ધિમાં આળોટે છે તે આ ગરીબ મજૂરોનાં ખૂન-પસીનાને  આભારી છે.

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરોની સંખ્યા 2001માં 11.26 લાખ હતી. એટલે અત્યારે એ આશરે 15 લાખ તો હશે જ, કારણ કે પછી વાઇબ્રન્ટ, ગતિશીલ અને અડીખમ ગુજરાતનો વિકાસ બહુ થયો છે! ગુજરાતની કુલ વસ્તીના તે 2.46 ટકા થયા. આ મજૂરોના કલ્યાણની જવાબદારી હાલના કપરા કાળમાં કોણે કેટલી નિભાવવાની તે માટેની આ કાયદાની અને નિયમોની કેટલીક જોગવાઈઓ જોઈએ :

(1) કાયદાની કલમ-14 એમ કહે છે કે, “જે કામદાર બીજા રાજ્યમાંથી આવે તેને કારખાનાના માલિકે માસિક વેતનના 50 ટકા રકમ અથવા રૂ. 75 વિસ્થાપન ભથ્થું આપવાનું છે.” હવે રૂ.75ની રકમ તો 1981માં નક્કી કરવામાં આવી હતી. અત્યારે 40 વર્ષે આ રકમ ખરેખર કેટલી હોવી જોઈએ? કેટલા કૉન્ટ્રાક્ટર આ રકમ આપે છે? સરકારને એમાં સુધારો કરવાનું કેમ સૂઝતું નથી?

(2) કાયદાની કલમ-15 એમ કહે છે કે, “કામદારને પોતાના રાજ્યમાં જવા-આવવા માટેનું ભાડું કૉન્ટ્રાક્ટરે આપવાનું રહેશે. વળી, પ્રવાસના જે દિવસો થાય તે દિવસો માટેનું વેતન ચૂકવવાનું રહેશે.” કોરોના મહામારીના કિસ્સામાં જે મજૂરો બીજાં રાજ્યોમાં ગયા તેમાંના કેટલા મજૂરોને માલિકે કે કૉન્ટ્રાક્ટરે અત્યારે ટ્રેનભાડું આપ્યું? શું સરકારને ખબર નથી કે આવો કોઈ કાયદો છે? તો પછી રેલવે બોર્ડ શા માટે કારખાનાં કે દુકાનમાલિકો પાસેથી ભાડું વસૂલ કરવાનું રાજ્ય સરકારને કહેતી નથી? શા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટ્રેનભાડાની રકમનો બોજો ઉઠાવે છે? શું આ કારખાનાં અને દુકાન કે રેસ્ટોરાં વગેરેના માલિકોને આડકતરી રીતે આપવામાં આવેલી સરકારી સબસિડી ના કહેવાય? વળી, માની લો કે બિહાર જતાં મજૂરને બે દિવસ ટ્રેનમાં ગયા. તે બે દિવસનું વેતન માલિકે આપવાનું છે, એમ પણ કાયદો કહે છે. તે આપ્યું ખરું? ગુજરાત સરકારના મજૂર કમિશનરે તેની તપાસ કરી કે નહીં?

(3) કાયદાની કલમ-16 એમ કહે છે કે, “રોજગારીના સમય દરમ્યાન કૉન્ટ્રાક્ટરે તેમના રહેઠાણની વ્યવસ્થા કરવી અને તબીબી રાહત વિના મૂલ્યે આપવી.” આવી કોઈ વ્યવસ્થા ગુજરાતમાં સુરત કે અમદાવાદ કે રાજકોટમાં કે બીજે કોઈ સ્થળે કોન્ટ્રેક્ટરે કરી છે ખરી?   

(4) રાજ્ય સરકારનો નિયમ-37 એમ કહે છે કે, “કોન્ટ્રેક્ટરે વિના મૂલ્યે માંદગીની સારવાર માટે” તથા “રોગચાળો કે ચેપી રોગ સામે નિવારક પગલાંને પહોંચી વળવા માટે જોગવાઈ” કરવાની રહેશે અને “દવાનો ખર્ચ સાત દિવસમાં કૉન્ટ્રાક્ટરે ભરપાઈ કરી આપવાનો રહેશે.” જો કામદારને કે તેના પરિવારના કોઈ સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તે અંગનો બધો ખર્ચ માલિક કે કૉન્ટ્રાક્ટર ઉઠાવશે તેવી પણ જોગવાઈ છે. કેટલા માલિકોએ કે કૉન્ટ્રાક્ટરોએ આ વ્યવસ્થાઓ તેમના કામદારો માટે કરી?   

ગુજરાત સરકારે વિકાસ માટે મજૂરોનું આર્થિક શોષણ થાય તેવાં જે પગલાં ભર્યાં છે તેમાંના કેટલાક આ સાથે જોવા જેવાં છે :

(1) SEZમાં સરકારની મંજૂરી વિના કામદારની છટણી કરી શકાય છે.

(2) મજૂર કાયદાનો ભંગ કરવા બદલ માલિકો સામે ફોજદારી ગુનો દાખલ થતો હતો, પણ 2015માં આ જોગવાઈ કાઢી નખાઈ. આથી માલિકોને મજૂરોનું શોષણ કરવાનો લગભગ પરવાનો મળી ગયો. 

(3) ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે તા.31-03-2016ના રોજ એક ઠરાવ બહાર પાડીને એમ કહ્યું છે કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ માટે પાંચ મજૂર કાયદાની જુદી જુદી કલમોનો અમલ પોતે કરે છે, એવું કારખાના માલિકે જાતે પ્રમાણપત્ર આપવાનું છે. આવું પ્રમાણપત્ર આવી જાય પછી સરકાર વર્ષમાં ગમે ત્યારે એક વાર તપાસ કરશે, એમ પણ આ યોજનામાં કહેવાયું છે. ઈરાદો એ છે કે એક વાર એવું પ્રમાણપત્ર આવે પછી સરકારની ચિંતા પતી. વેપાર કરવાની સરળતા(ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ)માં ગુજરાત આગળ છે તેનું એક કારણ આ પણ છે. વિકાસ કરવા માટે મજૂરોએ આટલો ભોગ તો આપવો જ પડે!

ગુજરાતમાં 2015ના ફેબ્રુઆરીમાં કરાયેલી આ અને આવી બીજી કાનૂની જોગવાઈઓ મજૂરોનું શોષણ કરવા માટે માલિકોને લગભગ છૂટો દોર આપે છે. એટલે સરકાર અને ઉદ્યોગપતિઓ કે ઉદ્યોગસાહસિકો મજૂરોનું શોષણ કરવામાં સાથે મળીને કામ કરે છે તે દેખાઈ આવે છે. ટ્રેનનું ભાડું માલિકોએ કે કૉન્ટ્રાક્ટરોએ આપવાનું છે એવી આંતરરાજ્ય સ્થળાંતરિત કામદાર ધારાની જોગવાઈ એમ જ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર ન ભૂલી જાય ને! ટ્રેનનું ભાડું સ્થળાંતરિત મજૂરો પાસેથી વસૂલવાનો નિર્ણય ભારતીય રેલવે અને મોદી સરકારની બેહદ નિર્દયતા અને બેશરમીનો પુરાવો છે. યાદ રહે, જ્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે વડા પ્રધાન અટલબિહારી વાજપેયી હતા ને રેલવેપ્રધાન મમતા બેનરજી હતાં. તે સમયે મુંબઈથી કચ્છની ટ્રેન મુંબઈમાં રહેતા કચ્છવાસીઓ માટે દોડાવી હતી. આ અપેક્ષા મોદી સરકાર પાસે રાખવાનું જ મુશ્કેલ લાગે છે!     

e.mail : hema_nt58@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020

Loading

કોરોનાકાળમાં માનવતાની હૂંફ જગાડતી એક અનોખી પ્રાર્થનાસભા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|6 May 2020

અમદાવાદના સૅટેલાઈટ વિસ્તારની નરવી નાનકડી પારસકુંજ સોસાયટીનાં ત્રીજા વિભાગના ઘણાં ઘરોની અગાશીઓ પર ને ઓટલા પર  ગયા શનિવારે (બીજી મે, ૨૦૨૦) સાંજે સાડા સાત વાગ્યે એક એક વ્યક્તિ માસ્ક પહેરીને  સલામત અંતર રાખીને ઊભી રહી. પછી દરેક વ્યક્તિએ ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ..’ પ્રાર્થનાનું, મોબાઇલમાં વાગતી ઑડિયો ક્લિપ સાથે ગાન કર્યું. કેટલાંક  બહેનોએ ઘરના ઓટલે દીવા કર્યા. એક ઘરમાંથી સ્પીકર પણ ચાલુ કરવામાં આવ્યું. પ્રાર્થના બે મિનિટમાં પૂરી થઈ.

ઊંચી અગાશીએ ઊભેલાં મને સહુએ ‘જયશ્રી કૃષ્ણ’ કર્યાં. મેં સહુને સામે વંદન કરીને મોટા અવાજે કહ્યું, ‘આપ સહુએ મારાં સદ્દગત માતુશ્રી માટે પ્રાર્થના કરી, આપ સહુ આ કપરા કાળમાં મારી સાથે ઊભાં રહ્યાં, તે માટે આખા ય ભાવે પરિવાર વતી હું આપ સહુનો ખૂબ આભાર માનું છું.’

સંજય ભાવે અને મમ્મી સ્વાતીબહેન ભાવે સાથે, પાછળ સંજયભાઈના પત્ની મેઘશ્રી ભાવે

ભાવે પરિવારનાં અમે સહુ અમારી સોસાયટીનાં રહીશોનાં વિશેષ આભારી એટલા માટે હતાં કે એંશી વર્ષની ઊંમરનાં અમારાં માતુશ્રી સ્વાતિબહેન શ્રીપાદભાઈ ભાવેનાં મૃત્યુનું નિમિત્ત કોરોના બન્યો હતો. તેમને છેલ્લાં 36 કલાકમાં કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયો હતો અને તે પછી સાતેક કલાકમાં એમનું અવસાન થયું હતું. કોરોનાના દરદી કે તેના પરિવાર માટે કેટલીક જગ્યાએ ભયપ્રેરિત આભડછેટના સમાચાર આ દિવસોમાં  આવતા રહ્યા છે. તેની વચ્ચે અમારી સોસાયટીએ અમને સતત સદ્દભાવ અને મદદ પૂરાં પાડ્યાં છે અને મહામારી વચ્ચે માણસાઈનું મંગલતમ સ્વરૂપ ત્રીજી મેના શનિવારે સાંજે યોજાયેલી પ્રાર્થના હતી.

પ્રાર્થના-અવસરના બરાબર એક અઠવાડિયા પહેલાંના, એટલે કે 25 એપ્રિલના શનિવારે રાત્રે અગિયારના સુમારે મારાં મમ્મીને ડૉક્ટરની સલાહ મુજબ હું એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયો. આમ તો તેઓ એકાદ વર્ષથી લગભગ પથારીવશ હતાં. પણ આ વખતે તેમને પેશાબ અટકી ગયો અને એ બેભાન થઈ ગયાં. ખાનગી હૉસ્પિટલની પ્રાથમિક તપાસમાં તેમના એક્સ-રેમાં ન્યુમોનિયા દેખાયો. ન્યુમોનિયા ‘શંકાસ્પદ કોવિડ’ વર્ગમાં ગણાય છે, એટલે હૉસ્પિટલે નિયમ જણાવીને તેમને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સરદાર પટેલ હૉસ્પિટલમાં લઈ જવાનું કહ્યું. ત્યાં જગ્યા ન હોવાથી તેમને સિવિલ હૉસ્પિટલના પરિસરમાં ગુજરાત સરકારે નવી બનાવેલી કોવિડ હૉસ્પિટલમાં દાખલ કર્યાં. 26 એપ્રિલની રવિવારે પરોઢે ત્રણના સુમારે તેમની પર વૅન્ટિલેટર સહિતની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. સોમવારે અગિયાર વાગ્યે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જાહેર થયો અને સાંજે  સાત વાગ્યે તેમના અવસાનની મને ફોન પર જાણ કરવામાં આવી.

દરમિયાન કોવિડ પોઝિટિવ જાહેર થયેલ દરદીના નિકટના સંપર્કમાં આવેલી ત્રણ વ્યક્તિ તરીકે હું, મારાં પત્ની અને મારી દીકરી હતાં. એટલે અમે જ્યાં રહીએ છીએ તે પારસકુંજ સોસાયટીનાં અમારાં ઘરને કૉર્પોરેશને ક્વૉરન્ટીન કર્યું અને અમને તકેદારી રાખવા અંગેની સૂચનાઓ આપી. ક્વૉરન્ટીન લાલ રંગનું સ્ટિકર ઘર પર હોવા છતાં અમારી સોસાયટીનાં સહુ હંમેશાં ઘરથી દૂર ઊભાં રહીને અમારા માટે લાગણી બતાવતાં રહ્યાં છે. અમારા ઘરની સાથે કૉમન વૉલ ધરાવતાં પાડોશી પરિવારે તો ‘પહેલાં સગાં પાડોશી’ એ કહેવત ડગલે ને પગલે હંમેશાં ઘરની બહાર રહીને સાર્થક કરી છે. પ્રાર્થનાનું આયોજન કરવાનું ૨૯ ટેનામેન્ટવાળી અમારી સોસાયટીનો વહીવટ સંભાળનાર ઑર્ગનાઇઝિંગ કમિટીએ કર્યું. સમયસરના વૉટ્સઍપ મેસેજ દ્વારા, કોઈ પણ અહેસાન જતાવ્યા વિના સહજ માણસાઈથી તેમણે પ્રાર્થના પાર પાડી. આ જ માણસાઈને કારણે, અમારી સોસાયટી લીલીછમ છે. ઝાંસીની રાણીનાં પૂતળાં પાસેના ખાંચામાં આવેલી અમારી સોસાયટીના કૉમન પ્લૉટમાં પીપળો, વડ, પેલ્ટોફોરમ અને લીમડાનાં મોટાં વૃક્ષો છે, તે સોસાયટીએ સાચવ્યાં છે. અત્યારે લૉકડાઉનને કારણે થયેલાં પ્રદૂષણમુક્ત વાતાવરણમાં વૃક્ષો અને તેમનાં પરની આખી ય જીવસૃષ્ટિ પૂરબહારમાં છે, અને અમારાં સોસાયટીનાં સહુની અમારા પ્રત્યેની સંવેદના પણ ખીલી ઊઠી  છે.

કુદરતનો સંગાથ માણસને વધુ નરવા બનાવે છે. હમણાં એ મતલબના સમાચાર હતા કે મહામારીમાંથી ઉદ્દભવેલા તણાવને દૂર કરવા માટે આઇસલૅન્ડ દેશના લોકો જંગલોમાં જઈને વૃક્ષોને બાથ ભીડી રહ્યા છે કે જેના થકી એમને શાતા મળી રહી છે.

અમારી સોસાયટીના લોકો અમને આફતટાણે ખૂબ શાતા આપી રહ્યાં છે.

(સૌજન્યઃ બી.બી.સી. ગુજરાતી)

છબિસૌજન્ય : બી.બી.સી. ગુજરાતી

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020

Loading

...102030...2,4102,4112,4122,413...2,4202,4302,440...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved