Opinion Magazine
Number of visits: 9663878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિરાટદર્શન

જૈનેન્દ્રકુમાર [અનુવાદ: સુભદ્રા ગાંધી]|Gandhiana|20 June 2025

દિલ્હીની વાત છે.

જૈનેન્દ્રકુમાર

મેં કહ્યું, ‘બાપુ, સત્યનો આગ્રહ તો જીવનની સાથે જડાયેલો છે. કોઈ ક્ષણે અટકતો નથી કે અનાવશ્યક ઠરતો નથી. સત્યનું અનુગમન કરતાં કરતાં એક ક્ષણે આપની સમક્ષ અસહયોગ આવી ઊભો .. સંઘર્ષ આવી ખડો થઈ ગયો હતો. સત્યનો એ પડકાર તો આજે ય મોજૂદ જ છે ને ? વિદેશી હકૂમત માથા પર બેઠેલી જ છે. ને છતાં એવું શું બની ગયું કે એક વરસને માટે સંઘર્ષથી ને રાજકારણથી આપે પોતાની જાતને તારવી લીધી ? હું ધારું છું કે કાં તો એ ય સત્યાગ્રહનું જ એક રૂપ હશે પરંતુ …’

આંખ ઊંચી કરી મારી સામે નજર માંડી તેઓ બોલ્યા, ‘તું એવું માને છે ખરો કે, એ ય સત્યાગ્રહનું રૂપ હશે ?’

‘માનવું તો પડશે જ. કારણ એ વિના આપના આ શ્વાસપ્રાણ ટકે શાના ? પણ આપ એ કેવી રીતે ‘ડિટરમિન’ કરો છો કે, જે આગ્રહ આજે પ્રવૃત્તિ – સંઘર્ષમાં વ્યક્ત થઈ રહ્યો છે, તેનું જ સ્વરૂપ એવે વખતે નિવૃત્તિમય ને નિતાન્ત સેવામય હશે ?’

આ એ દિવસોની વાત છે, જ્યારે ગાંધીજીને એમની તબિયતને કારણે સરકારે જેલમાંથી છોડી મૂક્યા હતા. ને એમણે સ્વેચ્છાએ પોતાની સજાના એ સમગ્ર ગાળા દરમિયાન હરિજન સેવા સિવાયનાં તમામ રાજનૈતિક કાર્યોથી અળગા રહેવાનો નિર્ણય કરી લીધો હતો.

મારો પ્રશ્ન સાંભળી લઈ તત્ક્ષણ ગાંધીજી બોલી ઊઠેલા, ‘હું વળી ‘ડિટરમિન’ ક્યારે કરું છું … હું તો મારી જાતને ‘ડિટરમિન્ડ’ પામું છું.’

સુભદ્રાબહેન ગાંધી

એમનો જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગયો. આવો ઉદ્ગાર એક ગાંધીને મુખેથી જ ઉદ્ભવી શકે. મેં જોઈ લીધું કે, એને ક્યાં ય શુમાર નથી. કારણ કેવળ ‘સ્વયં’માં એ સીમિત નથી … નામના જ ‘સ્વયં’ છે. બસ એટલા પૂરતા કે સંસાર સાથેનો વ્યવહાર નભી રહે. બિંદુ તો એને જ કહીશું ને કે જે ઠાંય જ ન માગે? ગાંધી જાણે ભૂમિતિનું એક આદર્શ બિંદુ જ હતા. રજમાત્ર પણ અવકાશ એ ‘પોતાને’ કાજે યાચવા તૈયાર નથી. એમને મન બધું જ ‘એ’નું છે, જે સર્વમાં વ્યાપીને બેઠેલો છે. એમની પોતાની અસ્મિતા જે કંઈ છે, તે પણ એ ગુરુતમનો જ અંશ છે. અર્થાત્ પોતે સર્વમાં પ્રાણ પરોવી સર્વના બની રહે છે!

ત્યારે જ તો એમના મુખે આ શબ્દો આવ્યા : ‘ડિટરમિન’ કરતો નથી … પોતાને ‘ડિટરમિન્ડ’ પામું છું.’

એમણે સદાને માટે ‘હું’-ને પોતામાંથી દેશવટો દઈ દીધો હતો, પોતાના ‘અહમ્’ને નિઃશેષ બનાવી, શેષમાં મિલાવી દીધો હતો!

એમના એ ઉત્તરના સ્પર્શે મને દિગ્મૂઢ બનાવી દીધો. હું સંકોચાઈ ગયો. થોડી વાર લગી તો શું બોલું તેનીયે સૂઝ ન પડી. જાણે વ્યક્તિમાં સમાયેલ વિરાટ પ્રગટ થતાં એનાં આકસ્મિક દર્શને મારી સૂધબૂધ હરી લીધી! કશું બોલાયું નહિ. ક્યાં ય લગી અવસન્ન શો બેઠો રહ્યો. ને થોડા સમય બાદ બસ, ઊઠીને ચૂપચાપ ચાલ્યો આવ્યો. અવસન્નતાની એ તીવ્ર અનુભૂતિને આજે ય યાદ કરી શકું છું. એની ગાઢ છાયા ઘણા લાંબા સમય સુધી મારી સાથે જીવતી રહેલી.

19 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 338.

Loading

પ્લેન ક્રેશ માટે જવાબદાર કોણ? 

કોમલ ઠુંમર|Opinion - Opinion|20 June 2025

આપણે ખૂબ જ ભયંકર, હૃદયદ્રાવક, કાળજુ કંપાવે તેવી પરિસ્થિતિના સાક્ષી બન્યા છીએ. ક્યારે ય વિચાર્યું પણ ન હતું કે આવા આંખો પહોળી કરી દેતા દૃશ્યો પણ જોવાં પડશે. જિંદગી છે … એ જે નજારા બતાવે તે કોઈ પણ વિકલ્પ વગર જોવા પડે છે. માણસ પરિસ્થિતિનો ગુલામ છે. પરિસ્થિતિ પાસે બે હાથવાળો માનવી લાચાર છે. કશું જ ન કરી શકે. કુદરત થોડા થોડા સમયે સંકેત આપીને સમજાવે છે .. કે તમારી પાસે બધું જ હોય સત્તા, પૈસા, પદ, જ્ઞાન, વૈભવ, સૌંદર્ય પરંતુ એ આંખના પલકારામાં ભડથું કરવા સક્ષમ છે. જ્યારે પરિસ્થિતિ પ્રહાર કરે ત્યારે એમાં કોઈ પોતાનો બચાવ કરવા સક્ષમ નથી.

12 જુલાઈ 2025 બપોરના 1:38ની કારમી ઘડીએ એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા ઉડાન ભરે છે. અને ઉડાન ભરતાની સાથે જ માત્ર બે મિનિટમાં આગનો ગોળો બનીને ધડાકાભેર તૂટી પડે છે. 230 મુસાફરો અને બાર ક્રૂ મેમ્બરો આંખના પલકારામાં હવન થઈ જાય છે. માત્ર એક મુસાફરનો ચમત્કારીક રીતે બચાવ થઈ શક્યો. રામ રાખે તેને કોણ ચાખે. બાકી ચારે બાજુ ઉડતી અગન જ્વાળામાં લોખંડ પણ પીગળી ગયું હોય ત્યાં આ માણસ કઈ રીતે બચી શકે.

આંતરરાષ્ટ્રીય વિમાન ડ્રીમ લાઈનર 787 જે ખૂબ જ તાકાતવર અને વિશાળકાય હતું. અમેરિકન કંપની બોઈંગ દ્વારા બનાવેલું આ વિમાન પહેલી જ વાર ક્રેશ થયું છે. કેટલા ય મહાસત્તા દેશો આ કંપનીના વિમાનો વર્ષોથી ઉડાવે છે. આ વિમાન 16 વર્ષ જૂનુ હતું. અને એને લગભગ 7,400 જેટલી સફળ ઉડાન ભરી છે. ખૂબ જ આધુનિક તકનિક અને ડબલ એન્જિનવાળું વિમાન હતું. વિમાન ચલાવનાર પાયલોટ સુમિત સભરવાલ જેમને 8,200 કલાકની ઉડાન ભરવાનો અનુભવ હતો. આવા અનુભવી પાયલોટ અને ઉડાન માટેનું સુગમ્ય હવામાન હોવા છતાં એવું તો શું થયું હશે કે બધી રીતે સક્ષમ હોવા છતાં વિમાન ક્રેશ થયું.

વિમાનના માત્ર મુસાફરો નહીં હતા. કેટલાંએ સપનાઓ, કેટલાએ વાયદાઓ, કેટલીએ આશાઓ એ વિમાનમાં સફર કરી રહી હતી. કોઈનાં માતા પિતા, કોઈનાં સંતાનો, કોઈની પત્ની, કોઈના પતિ, કોઈ નવપરિણીત યુગલ એ વિમાનમાં કેટલાં ય સપનાઓ લઈને સવાર હતાં. હજુ તો સ્વજનો પોતાની વ્યક્તિને વિમાનમાં વળાવીને એરપોર્ટની બહાર જ નીકળ્યાં હતાં અને એમને આંખની સામે ભડથું થતાં જોયાં. એ લોકોને શું ખબર હશે કે આ આખરી વિદાય હતી. કેટલા ભયાનક દૃશ્યો! 241 લોકો સળગીને ભડથું થઈ ગયાં. જેમની લાશો ઓળખવી શક્ય ન હતી. ઘટના સ્થળે મુસાફરોના સળગીને કપાયેલા અંગો જ્યાં ત્યાં રખડતા હતા. માત્ર ટી.વી. અને મોબાઇલમાં જોઈને પણ રુવાડા ઊભા થઈ જાય, હૈયું કંપી જાય અને આંખે ઝળઝળિયાં આવે એવી પરિસ્થિતિમાં ત્યાં હાજર પ્રશાસનની શું હાલત હશે? સંપૂર્ણ રીતે સળગેલા લોહીથી લથબથ શરીરને સ્ટ્રેચર પણ નાખતા લોકો ખરેખર સલામને લાયક હતા. જે સ્નહીજનો પોતાના સ્વજનને વિમાનમાં બેસાડવા આવ્યાં હતાં તેને શું ખબર હશે કે બીજા દિવસે તેની લાશની ઓળખાણ કરવા બોલાવવામાં આવશે. ખૂબ જ હૃદયદ્રાવક … કવિ કવન આચાર્યની અમુક પંક્તિઓ જે આ બનાવને સચોટ રજૂ કરે છે અહીં ટાંકુ છું …

આખરી ઉડાન!

આ સફરને ઈશ્વરે પણ કેવી ઘડી છે,

પૅટમાં બાળક લઈને ઍક મા મરી છે;

ચિચિયારીઓ ચોમેર સંભળાવા લાગી કવન,

ઘડીના છઠ્ઠા ભાગમાં જિંદગી સળગી ઊઠી છે;

હૈયાફાટ રૂદનનાં દૃશ્યો જોઈને આજે,

આંતરડી તો અમારી પણ ખૂબ બળી છે;

નહોતું કોઈ સ્વજન અમારું આ સફરમાં,

છતાં આંખડી અમારી પણ ભીની થઈ છે;

વજ્રઘાત કહો કે ચોઘડિયા ફર્યાની ઘટના,

લાખો જનમેદની ફરીથી હીબકે ચડી છે.

                                                     — કવન આચાર્ય

નિર્દોષ મુસાફરોની શું ભૂલ હતી? એવો પ્રશ્ન થાય ત્યારે બીજો પ્રશ્ન એ થાય કે ખરેખર દોષનો ટોપલો કોની ઉપર ઢોળવો? આમાં ભૂલ કોની કહેવાય? આટલા મોટા મૃત્યુ આંક માટે જવાબદાર કોણ? ડોક્ટરની ટ્રેનિંગ લઈ રહેલા વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર વિમાન બ્લાસ્ટ થયું ત્યારે ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓનો શું વાંક? આખરે વાંક કોનો? નિયતિનો …..? આ તો એક અકસ્માત જ હતો ને ..? તો પછી નિયતિ જ જવાબદાર ગણાય ને …? એને ઢસડીને કોર્ટમાં લઈ જઈ શકાશે ..??

સૌથી સલામત મુસાફરી તરીકે હવાઈ માર્ગ કહી શકાય. ઉડાન ભરતા પહેલાં વિમાનની સમગ્ર તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવાની હોય ત્યારે નાની મોટી બધી જ તકનીકી તપાસ કરવામાં આવે છે. જ્યારે વિમાન સંપૂર્ણ રીતે સક્ષમ હોય ત્યારે જ ઉડાન ભરવાની પરવાનગી મળે છે. મળતી માહિતી મુજબ પ્લેન ટેક ઓફ કર્યા પછી તરત જ પાયલોટને જાણ થઈ ગઈ હતી કે પ્લેન ઉડવા માટે સક્ષમ નથી. તેણે રેડિયો પર મેબેક કોલ કરીને ઇમર્જન્સી જાહેર કરી, પરંતુ સંપર્ક તૂટી ગયો અને બચાવનો સમય જ ન રહેતા પ્લેન ક્રેશ થયું. શું આ ખરેખર અકસ્માત જ કહેવાય …?

એક અહેવાલ પ્રમાણે છેલ્લા છ મહિનાની અંદર વિમાનમાં ખામી સર્જાયા હોવાના સમાચાર છે. ગત 22 માર્ચે બનેલી ઘટનામાં લંડનથી આવતા વિમાનનું લેન્ડિંગ પહેલા જ એક એન્જિન બંધ પડી ગયું હતું. રનવે પરથી વિમાનને ટોઇન કરીને પાર્કિંગમાં લવાયેલું હતું. જ્યારે આ જ ફ્લાઈટ 1 મેના રોજ અમદાવાદથી લંડન માટે ટેકઓફ થાય તે પહેલા જ એન્જિનમાં ખામી સર્જાતા પેસેન્જરને બે કલાક સુધી ફ્લાઇટમાં બેસાડી રાખ્યા હતા. તેમ છતાં એરક્રાફ્ટ રીપેર ન થતા પેસેન્જરને હોટેલમાં રવાના કર્યા હતા. બંને વખત એન્જિનમાં ખામી સર્જાઇ હતી. છ મહિનામાં બે વાર આવું થયું હોવા છતાં, આટલી બેદરકારીને અકસ્માતનું નામ કેમ આપવું? આ વિમાન હતું … કોઈ રોડ પર ચાલતો ખટારો કે ભીડે ભાઈનું સ્કૂટર નહીં કે બંધ પડી જાય તો સ્કૂટર આડું કરીને કે ધક્કો મારીને ઘર સુધી પહોંચાડી શકાય.

અમેરિકન કંપની બોઈંગને આપણે નથી ઓળખતા. આપણે તો એર ઇન્ડિયાના ભરોસે આકાશમાં ઉડવાની હિંમત કરીએ છીએ. અને એ ભરોસાનાં નાણાં પણ ચૂકવીએ છીએ. ઇકોનોમિક ક્લાસમાં મુસાફરી કરનાર 60,000 જેવું અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરનાર લગભગ બે લાખની આસપાસ જેવું વળતર ચૂકવે છે. આટલું મોટું વળતર ચૂકવ્યા પછી પણ જો સલામતીની કોઈ ગેરંટી નથી તો માણસના જીવનું મૂલ્ય શું ? આટલી મશ મોટી રકમ વસૂલ્યા પછી પણ જો કંપની સલામતીનો વાયદો ના કરી શકે ત્યારે માણસ પાસે કયો વિકલ્પ બચે? ટાટા એન્ડ કંપનીએ દરેક મૃતકના પરિવારને એક કરોડનું વળતર આપવાનું જણાવ્યું છે. આ એક કરોડમાં ગુમાવેલા સ્વજનની ખોટ પુરાઈ જશે? પૈસાથી વિખાયેલા માળાની મરમ્મત શક્ય છે ખરી?

સુરત
e.mail : thummardwija9@gmail.com

Loading

વૃદ્ધોની લાગણી વધારે ને માગણી ઓછી હોય છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 June 2025

રવીન્દ્ર પારેખ

આજકાલ મીડિયામાં મધ્ય પ્રદેશની સોનમે કરાવેલ પતિની હત્યાની ચર્ચા વધારે છે. એ પહેલાં પણ પત્નીએ પતિની હત્યા કરી હોય કે કરાવી હોય એવાં ઘણાં ઉદાહરણો છે. આવી હત્યાઓમાં પતિનો એક સાધન તરીકે ઉપયોગ થતો હોય છે. કોઈ ઘરમાં પ્રેમી સાથે કુટુંબે લગ્ન ન કરવાં દીધાં એટલે રોષે ભરાયેલી દીકરી કુટુંબે શોધ્યો તે પતિને પરણે છે ને વહેલામાં વહેલી તકે પતિની હત્યા કરીને છુટકારો મેળવવા મથે છે. પરણાવે ત્યાં પરણી જાય એવી દીકરીઓ હવે ખાસ રહી નથી. તેનું કારણ પણ છે. સ્ત્રીઓ હવે શિક્ષિત અને આત્મનિર્ભર થઈ છે, નોકરી-વ્યવસાય કરતી થઈ છે, સ્વતંત્ર નિર્ણયો લેતી થઈ છે, પણ તેને લગ્નની બાબતે પૂરતી મોકળાશ હજી નથી. હજી ઘણાં કુટુંબો જ્ઞાતિમાં જ દીકરી પરણાવવાના આગ્રહી છે. અન્ય બાબતોમાં દીકરીના આર્થિક, સામાજિક નિર્ણયો સ્વીકારાય છે, પણ લગ્ન તો કુટુંબ ગોઠવે ત્યાં જ કરવાં પડે છે.

આ આગ્રહોને કારણે દીકરી પરણે તો છે, પણ પછી પતિની હત્યા કરીને કુટુંબના નિર્ણય પર ચોકડી મારી દે છે. પત્ની, પતિને ખીણમાં ફેંકાવી દે છે કે પતિને ડ્રમમાં ઠૂંસીને ઉપર સિમેન્ટ રેડી દે છે. એવું ઘણું બને છે. કમાલ તો એ છે કે જે કુટુંબે લગ્નની ફરજ પાડી તે કુટુંબને દીકરી આંગળીયે અડાડતી નથી, પણ જેને પરણે છે તે નિર્દોષ પતિનું નિર્મમતાથી કાસળ કાઢી કે કઢાવી નાખે છે. પ્રેમીનું મહત્ત્વ હવે એટલું છે કે પત્ની, પતિની હત્યા કરવા સુધી પહોંચે છે. હવે તો હત્યા કરવા પત્ની થવા સુધીની વાટ પણ નથી જોવાતી. બે’ક દિવસ પરના સમાચારમાં ઉત્તર પ્રદેશની રામપુરની ગુલફશાં, નિકાહના એક દિવસ પહેલાં જ મંગેતર નિહાલનું, પોતાના પ્રેમી સદામની મદદથી અપહરણ કરાવીને હત્યા કરાવી દે છે. લગ્ન પહેલાં જ ભાવિ પતિને મોતને ઘાટ ઉતારવાનો આ કદાચ પહેલો કિસ્સો છે. હત્યા કરીને, પત્નીના ટુકડા ફેંકી દેવાનું હવે પતિ જ કરે છે, એવું નથી. પત્ની પણ પતિના ટુકડા કરીને ફેંકી આવે છે. આવી ક્રૂરતા અગાઉના અશિક્ષિત સમાજમાં ન હતી. આધુનિક શિક્ષણે કદાચ વ્યક્તિને વધુ નિષ્ઠુર અને ઘાતકી બનાવી છે. તેને પતિ કે પત્નીની હત્યાથી સંતોષ નથી, તે રાક્ષસી નિર્દયતા અને ક્રૂરતાથી પતિ કે પત્નીના અસંખ્ય ટુકડા કરીને નિકાલ કરી નાખે છે.

એવું નથી કે પતિઓ સુધરી ગયા છે. જરા વાંકું પડતાં કે લગ્નેતર સંબંધને કારણે, પત્નીનું ગળું દબાવી દેવાની નવાઈ નથી. હવે પત્ની એની સાથે સ્પર્ધામાં ઊતરી હોય તેમ તે પણ પતિનો નિકાલ કરવા સુધી આવી છે. લગ્ન ન ટકે ને છૂટાછેડા થાય, પતિ-પત્ની અલગ થઈ જાય ને સંતાન મમ્મી પાસે રહે ને પતિને સંતાનને મળવાની છૂટ હોય ને પતિ મળવા માંગે, એ પણ પત્નીને ગમતું હોતું નથી. છૂટાછેડા લીધેલ પતિનું તો એ કૈં બગાડી શકે એમ નથી, એટલે સંતાનને જ તે પતાવી દે છે. બેંગલોરની એક CEOએ ગોવામાં 4 વર્ષના દીકરાનું એટલે જ ગળું દબાવીને મારી નાખેલો, જેથી પતિ દીકરાને મળવા ન પામે. CEO મૃત દીકરાને સૂટકેસમાં ભરીને કારમાં બેંગલોર આવવા નીકળી ત્યારે રસ્તામાં પોલીસે તેને પકડી પાડી હતી. આવું હત્યા પછી પોતે ન પકડાય એટલે અપરાધીઓ કરતા હોય છે. ને ઘણાં કાયદાને એટલો નમાલો ગણે છે કે તેમને લાગે છે કે હત્યા કરીને છટકી શકશે, પણ કાયદો હત્યાનું પગેરું શોધતો આવે જ છે ને વાત સજા સુધી પહોંચે જ છે. બધી પત્નીઓ કે બધા પતિઓ હત્યારા છે, એવું નથી, પણ, પત્નીઓ હત્યામાં પતિથી પણ આગળ નીકળી છે એ ચિંતાનો વિષય છે. આખું જગત હિંસક થઈ ઊઠ્યું હોય એવું વાતાવરણ છે. ક્યાં ય શાંતિ કે આંખ ઠરે એવું બહુ જોવા મળતું ન હોય એવામાં મહારાષ્ટ્રમાં એક ઘટના બને છે.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ઝવેરીની દુકાનમાં એક વૃદ્ધ પતિ-પત્ની પ્રવેશે છે. આમ તો એ બંને જાલના જિલ્લાના અંભોરા જહાંગીર ગામનાં છે. પતિનું નામ નિવૃત્તિ (93 વર્ષ પહેલાનું નામ પણ કેટલું સૂચક !) શિંદે અને પત્નીનું નામ શાંતાબાઈ ! બંને દેવશયની એકાદશીએ પંઢરપુર પહોંચવા પગપાળા નીકળ્યાં છે. સંભાજીનગરમાં એક ઝવેરાતની દુકાન જોઈને બંને એમાં પ્રવેશે છે. દુકાનનાં માલિક અને કારીગરોને લાગે છે કે તેઓ ભીખ માંગવા કે કોઈ મદદ માટે દુકાનમાં ઘૂસ્યાં છે. બંનેના દીદાર પણ એવા જ છે. વૃદ્ધે પરંપરાગત સફેદ ધોતિયું-ઝભ્ભો અને માથે ટોપી પહેર્યાં છે ને વૃદ્ધાએ લૂગડું-ચોળી પહેર્યાં છે ને માથે મરાઠી સ્ટાઇલનો મસમોટો લાલ ચાંદલો છે. ડગુમગુ વૃદ્ધ નાનીમોટી નોટોનો ઢગલો અને પરચુરણ કાઢીને કાઉન્ટર પર મૂકે છે, તો તેનો સરવાળો 1,120 રૂપિયા થાય છે. આટલા રૂપિયા વૃદ્ધે ભીખ માંગીને ઘણે વખતે ભેગા કર્યા છે. તેને લાંબા સમયથી અફસોસ રહ્યો છે કે પૈસા ન હોવાને કારણે તે પત્ની માટે કૈં કરી શક્યો નથી. દુકાનદારને, પત્નીને બતાવતાં વૃદ્ધ કહે છે મારે આને ભેટ આપવા મંગળસૂત્ર લેવું છે.

સોનાનું તો ક્યાંથી ખરીદે, પણ વૃદ્ધ, ગિલીટ કરેલું મંગળસૂત્ર ખરીદવા દુકાનમાં આવ્યો છે. 93 વર્ષના આ નિવૃત્તિ દાદાની શાંતાબાઈ માટેની લાગણી જોઈને દુકાનનો માલિક ગદગદ થઈ ઊઠ્યો. ભાવવિભોર થયેલા એ દુકાનદારે 20 રૂપિયા આશીર્વાદ તરીકે રાખ્યા ને બાકીના 1100 રૂપિયા પાછા આપ્યા ને મંગળસૂત્ર દાદીના હાથમાં સોંપીને, દાદાદાદીને ખુશ કરી દીધા. આથમતી સાંજનાં અજવાળાં જેવી આ વૃદ્ધ જ્યોતિઓનાં મનમાં કેવો પ્રકાશ ફેલાયો હશે એ તો એ બંને અને દુકાનદાર જાણે, પણ જે નથી જાણતા એમને ય બે ઘરડી જ્યોતિઓ ઝગમગતી-ડગમગતી દેખાશે.

ઉપર કેટલાં ય દંપતી એકબીજાની હત્યામાં સંડોવાયાં જોયાં છે. શિક્ષિતોની, સુધરેલા પ્રેમની આબોહવાનાં એ પ્રતીકો છે. એ તવંગર છે, પણ પ્રેમને મામલે ગરીબ છે. બીજી તરફ 93 વર્ષના આ ગરીબ વડીલને અફસોસ એ છે કે આટલી લાંબી જિંદગીમાં પત્ની માટે એક મંગળસૂત્ર ખરીદી નથી શકાયું. તે પૈસા ભેગા કરે છે ને 1,120 રૂપિયામાં જેવું આવે તેવું મંગળસૂત્ર ખરીદવા તે દુકાનમાં પ્રવેશે છે. વર્ષોનાં અખંડ સ્નેહતપનું ફળ એને મળે છે ને એ 20 રૂપિયામાં પત્ની માટે મંગળસૂત્ર ખરીદી શકે છે.

આ હૃદયસ્પર્શી ક્ષણોનો વીડિયો વાઇરલ થયો છે ને તેને લાખો લોકોએ જોયો છે ને ઢગલો કોમેન્ટ્સ કરી છે. જેમણે એ જોયો છે, તે સૌ 93 વર્ષના વડીલનો, તેની વૃદ્ધ પત્ની માટેનો સ્નેહ, ભીની આંખે જોઈને કોઈ તીરથનો અનુભવ કરતાં હોય, તેમ અભિભૂત છે. જરા એ વિચારવા જેવું છે કે 93 વર્ષની જિંદગીમાં દાદાએ કેટલી વખત દાદી માટે ઈચ્છા કરી હશે કૈં ખરીદવાની ને કેટલી વખત મન માર્યું હશે ને છેક 18 જૂન, 2025ને રોજ એ યોગ આવ્યો ને મંગળસૂત્ર પત્નીનાં ગળામાં પડ્યું ! આજે લાગણીનો આવો લાંબો સિલસિલો અપવાદરૂપેય જોવા મળે તો મળે. આનો આનંદ એટલે પણ બેવડાય છે કે પ્રેમની લાગણી ઘણી વાર આટલે સુધી પહોંચતી જ નથી ને પંઢરપુરની જાત્રા જેવું અભૂતપૂર્વ ઉદાહરણ સામે આવે છે, તો શબ્દો પાંપણે મોતી થઈ ઊઠે છે. આ એવો પ્રેમ છે જે વર્ષો સુધી શબ્દ બન્યો જ નથી. તેનો સ્વર બહાર પડ્યો જ નથી. તે સતત ક્યાંક ઘૂંટાયો છે ને પવિત્ર દર્શનની જેમ પ્રગટ થયો છે.

આ શક્ય બન્યું એક સંવેદનશીલ દુકાનદારની લાગણીશીલ ઉદારતાને પગલે. વીડિયોમાં દાદી, દીકરાની  જેમ દુકાનદારને વ્હાલ કરતી પણ દેખાય છે. દુકાનમાં દાખલ થયાં ત્યારે દંપતીને એવી કોઈ ખાતરી ન હતી કે મંગળસૂત્ર મળશે જ ! દુકાનદારે ભિખારી સમજીને આ વૃદ્ધોને હાંકી પણ કાઢ્યા હોત. કદાચ વૃદ્ધના પૈસા પણ પડાવી લીધા હોત, પણ યુવાન દુકાનદાર આ વૃદ્ધની લાગણી સમજી શક્યો. બાકી, યુવાન 93 વર્ષનું મેલુંઘેલું ઘડપણ જોઈને મોં મચકોડે એવી શક્યતા વધુ હતી. એવું કૈં ન થયું ને બધું જ સારું થયું તો કેસરી કંસાર જેવી મીઠાશ આંખે ચડી ! આવું આંખે ચડે છે ત્યારે પાંપણો મંદિરમાં ખૂલતી હોવાનો આનંદ થાય છે. ભડકા જેવી જિંદગીમાં કોઈ ચંદનનો લેપ લઈને આવે તેવું બને ખરું? બને ને એ જ તો બન્યું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જૂન 2025

Loading

...102030...240241242243...250260270...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved