Opinion Magazine
Number of visits: 9575371
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું સ્થળાંતરિત શ્રમજીવીઓ અને તેમની સમસ્યાઓ જાહેર જીવનમાં હંમેશાં અણદીઠાં રહેશે ?

મનીષ કે ઝા અને એમ. ઇબ્રાહિમ વાણી, મનીષ કે ઝા અને એમ. ઇબ્રાહિમ વાણી|Opinion - Opinion|26 May 2020

આપણે જે સમાજમાં જીવીએ છીએ તેમાં મીડિયામાં જોવા મળતાં સનસનાટીભર્યાં દૃશ્યો બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રોગચાળાનો ફેલાવો, ચેપનો ડર અને સ્થળાંતરિત મજૂરોની દુર્દશા જ્યારે સનસનાટીપૂર્ણ દૃશ્યો બને છે, ત્યારે જ આ બનાવો તરફ આપણું ધ્યાન ખેંચાય છે. કોવિડ-૧૯ની આપત્તિમાં મજૂરોનું સ્થળાંતર અને હાલત મહત્ત્વનાં કલ્પનો અને પરિદૃશ્યો બન્યાં છે. પહેલાં આપણને શહેરમાંથી ચાલી નીકળેલાં, બસ સ્ટૉપ પર ભીડ કરતાં અને લાંબી જોખમભરી મુસાફરીઓ પગપાળા કરતાં શ્રમિકોનાં દૃશ્યો મળ્યાં. આ દૃશ્યો સ્થળાંતરિતોનાં ચિંતા, રઘવાટ અને મજબૂરી બતાવે છે. માઇલો ચાલનાર  સ્ત્રીઓ અને બાળકો, થાક અને ભૂખમરાથી થતાં મોતનાં હલબલાવી દેનારાં દૃશ્યો છે. પીડિત મજૂરો કન્ટેઇનર ટ્રક કે સિમેન્ટ મિક્સરમાં પ્રવાસ કરે કે તેમની પર જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે, એ દૃશ્યો અરેરાટી ઉપજાવે છે. તેના પખવાડિયા બાદ ફોકસ બદલાયું અને શહેરમાં ફસાયેલાં પરપ્રાંતીય મજૂરોની હાલત પર ગયું. આ બદલાયેલા ફોકસના દાખલા સુરતમાં કામદારોએ કરેલું તોફાન, મુંબઈનાં બાન્દ્રામાં હજારો મજૂરોને વિખેરવા માટે પોલીસે કરેલો લાઠીચાર્જ અને દિલ્હીમાં આશ્રયગૃહને લગાડવામાં આવેલી આગના બનાવોના કવરેજમાં મળે છે. આ દૃશ્યો જોનારનાં મનમાં ક્યારેક દયા જાગે છે અને તે મદદ માટે આગળ આવે છે. ક્યારેક આ દૃશ્યો જોનારાં લોકો શ્રમજીવીઓને ‘હંમેશના ત્રાસ’ અને ‘ચેપ ફેલાવનારા’ તરીકે ખતવે છે. જો કે આ કરુણા અને તિરસ્કાર એવા બે પરસ્પર વિરોધી ઘટકોની વાત નથી. આ દૃશ્યો સ્થળાંતરિતોની અદૃશ્યતા અને રાજ્ય-સમાજની અસંવેદનશીલતાનું સંકીર્ણ દ્વંદ્વ દર્શાવે છે.

શ્રમજીવીઓની હિજરત અટકાવવા માટે ‘વન ઇન્ડિયા’માંની સરહદો પરના અંકુશોનો બળપૂર્વક અમલ કરવામાં આવ્યો. છતાં સરહદો વટાવી ચૂકેલા સ્થળાંતરિતોને તેમનાં ગામોમાં પહોંચ્યા બાદ તરત જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા. આ બનાવો કરુણ હતા. મહેનતકશોની ઓળખ કરવી, તેમને અલગ પાડવા અને તેમને બંધક તરીકે રાખવા, આ પ્રક્રિયામાં વાઇરસના ફેલાવાને અટકાવવા માટે રાજ્ય નાગરિકોના શરીરને પણ પોતાનાં અંકુશ હેઠળ લઈ રહ્યું છે. લૉક ડાઉનને કારણે જે કટોકટી સર્જાઈ તેમાં શ્રમિકો માટેની નિસબતનો નીંભર અભાવ જોવા મળ્યો. ત્રણ અઠવાડિયાનો લૉક ડાઉન માત્ર ચાર જ કલાકની ચેતવણીથી જાહેર કરવામાં આવ્યો. તેનાથી દરેક રાજ્યના પરપ્રાંતીયોને પહેલાં ક્યારે ય ન પડી હોય તેવી તકલીફ પડી.

સ્થળાંતરિતો માટે જિંદગીના રોજબરોજના નિર્ણયોનો આધાર અનેક બાબતોની અનિશ્ચિતતા પર છેઃ પગાર, પાણી, ખાવાનું, ઘર વગેરે. મુંબઈની ઝૂંપડપટ્ટીના અભ્યાસ દરમિયાન અમે જોયું કે માંડ દસ બાય દસની ખોલીઓમાં છ થી આઠ શ્રમજીવીઓ રહેતા હોય છે. પીવાનું પાણી તેમને ખરીદવું પડે છે. તે જે જાજરુનો ઉપયોગ કરે છે, તે લગભગ 190 માણસોની વચ્ચે એક હોય છે. જિંદગીનો ઘણો સમય કતારોમાં વીતે છે. અનાજ કે ખોરાકનો સંગ્રહ કરવા માટે જગ્યા તેમ જ સગવડ હોતાં નથી. મહામારીને નાથવા માટે ડિસ્ટન્સિન્ગ, લૉક ડાઉન, ક્વૉરન્ટીન અને આરોગ્યલક્ષી સ્વચ્છતા એ ઉપાયયોજના હોય, ત્યારે પરપ્રાંતીય મજૂરોના સંદર્ભે તેના અમલીકરણ માટે ભાગ્યે જ કોઈ અવકાશ હોય છે. જ્યાં આઠ-દસ લોકો એક જ ઓરડામાં ભેગા રહેવા માટે મજબૂર હોય ત્યાં સેલ્ફ-આઇસોલેશન અને સોશિયલ ડિસ્ટન્સિન્ગને શી રીતે જોઇશું? રોજમદારો, બેઘર મજૂરો અને તેમનાં જેવા બીજાઓને માસ્ક અને સેનિટાઇઝરનો જથ્થો સંઘરી રાખવા માટે શી રીતે કહી શકાય? આવા લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિન્ગ એ એવો નુસખો છે કે જે સંપન્ન વર્ગો માટે અનામત હોય. ઝૂંપડપટ્ટીઓમાં રહેનાર પરપ્રાંતીય ગરીબ શ્રમજીવીઓ માટે ડિસ્ટન્સિન્ગ, વર્ક-ફ્રૉમ-હોમ અને આઇસોલેશન એ સાવ નોખા અને અમલમાં ન મૂકી શકાય તેવા ખ્યાલો છે. પાણીનું ટૅન્કર ન આવે તો શું કરવાનું? સામૂહિક જાજરુ આગળ સોશિયલ ડિસ્ટન્સિન્ગ કેવી રીતે પાળી શકાય? સ્થળાંતરિત શ્રમજીવીઓ પણ અનેક સરકારી માળખાંની અડફેટે ચડે છે — મ્યુનિસિપાલિટી, પોલીસ, રેશનિંગનાં અનાજની દુકાન અને અન્ય. આ બધાં માળખાંમાં તેમને તિરસ્કાર અને ભ્રષ્ટાચારનો અનુભવ થાય છે. સ્થળાંતરિતોને અનાજ વહેંચવામાં આવશે, એવી જાહેરાત એમને ખુદને કેમ શંકાસ્પદ લાગી એ સમજવું અઘરું નથી. રોજી, રોટી અને છાપરું સ્થળાંતરિતો માટે આમ પણ અનિશ્ચિત હતું, તે હવે અસંભવ બન્યું. એટલે તેમને સેંકડો માઇલ દૂર આવેલાં વતન પાછા જવાનો નિર્ણય લેવાની ફરજ પડી. તેમાં ય રેલવે અને વાહનવ્યવહારનાં અન્ય સાધનો બંધ કરી દેવામાં આવ્યાં. એટલે તેઓ ચાલતા નીકળ્યા અને તેમની મરણિયા મુસાફરીઓ મીડિયાના ફોકસમાં આવી.

જો કે મીડિયાનાં દૃશ્યોથી બધાંના મનમાં સહાનુભૂતિ જાગી એવું નથી. કેટલાક રાજકીય સમીક્ષકો, રાજકારણીઓ અને ખુદને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ગણાવતા મધ્યમ વર્ગના કેટલાક લોકોનો દૃષ્ટિકોણ અલગ હતો. તેમને સ્થળાંતર સામે વાંધો હતો. કારણ કે એનાથી રોગચાળો વધુ ફેલાવાની સંભાવના હતી. એટલે એમની માગણી હતી કે સ્થળાંતર અટકાવવું જોઈએ. એટલે એક તરફ સ્થળાંતરિતો તરફ દયા કે કરુણાનો ભાવ હતો, તો બીજી તરફ તેમને ચેપ ફેલાવનારા ગણીને તેમના પ્રત્યે તિરસ્કારનો ભાવ હતો. 

મીડિયાએ સ્થળાંતરિતો કેવા મરણિયા અને મજબૂર બની ગયા છે તે બતાવ્યું. પણ આ દૃશ્યો માત્ર એ સમય પૂરતાં જ હતાં. તેમાંથી મીડિયાની રાજકીય વાસ્તવિકતા અને મીડિયાનાં આચરણ બંને અંગે ઘણું જાણવા મળ્યું. મીડિયા માટે સરકારના આદેશો અને નિર્દેશો હતા. તેમાં દબાણ અને સેન્સરશીપનો પાસ પણ હતો. આ રાજકીય વાસ્તવિકતા અને ચેપ લાગવાનાં જોખમોની વચ્ચે મીડિયાએ જે કવરેજ આપ્યું તે ખરેખર પ્રશંસનીય છે. અલબત્ત, આ કવરેજમાં અખબાર કે ચૅનલની પોતાની સંપાદકીય નીતિ અને તેના સરકાર સાથેના સંબંધો પણ ભાગ ભજવતા હતાં. એક બાજુ સ્થળાંતરિતો માટે સહાનુભૂતિ હતી, પણ બીજી બાજુ સરકારનાં પગલાં અને ક્વૉરન્ટીનનો તેમણે જે રીતે પ્રતિકાર કર્યો તેની રજૂઆતમાં તેમને ગુનાઇત ગણવા તરફ ઝૂકાવ પણ હતો. એવું પણ છે કે મીડિયાએ સ્થળાંતરિતોને એક આપત્તિ ગણીને તેમના વિશે લખ્યું. સ્થળાંતરિતઓ ત્યારે જ સમાચાર બન્યા કે જ્યારે તેમને અકસ્માત થયો હોય કે તેમની પર હિંસાચાર થાય. જ્યારે મહામારી પર જીત મેળવી એમ જાહેર થશે ત્યારે વળી વિજયોન્માદનાંદૃશ્યો હશે. અને સ્થળાંતરિતો ફરીથી ફોકસની બહાર જતા રહેશે. મૂળભૂત જરૂરિયાતોના અભાવ સાથે તે એ જ ગીચ ઝૂંપડપટ્ટીઓમાં રહેવા લાગશે. મહામારી પછી બદલાયેલી આર્થિક પરિસ્થિતિમાં સ્થળાંતરિતોની સમસ્યાઓ કદાચ વધુ મુશ્કેલ બનશે. એટલે મુદ્દો એ છે કે મહામારી પછી પણ સ્થળાંતરિતો અને તેમની હાડમારીઓ આપણાં મીડિયા, ઍકેડેમિયા અને સિવિલ સોસાયટીના વિમર્શમાં હોવી જોઈએ. જો એમ થશે તો સ્થળાંતરિત શ્રમિકોની હાલતમાં સુધારો થવાની સંભાવના રહેશે. 

[“ધ વાયર”, અનુવાદઃ સંજય શ્રીપાદ ભાવે]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020

Loading

કોરોનાનો ભોગ બનેલા પદ્મશ્રી સન્માનિત રાગી નિર્મલસિંઘ ખાલસાના અંતિમ દિવસ અને અંતિમ સંસ્કારની કહાણી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 May 2020

“બેટા, હવે હું થોડી મિનિટોનો જ મહેમાન છું. જે વૉર્ડમાં મને રાખવામાં આવ્યો છે તેની હાલત બેહદ ખરાબ છે. મારી કોઈ સારવાર કરવામાં આવતી નથી. કોઈ ડૉક્ટર જોવા આવતા નથી. દવા પણ આપતા નથી.” ફોન પર આટલું બોલતાં બોલતાં તે રડી પડ્યા.

ફોન પર જ પુત્રે તેમને આશ્વાસન આપ્યું, “પાપા, તમે જલદી સાજા થઈ જશો. ગભરાશો નહીં. વાહેગુરુ બોલો.” પણ ફોન પર સામેથી રડવાનો અવાજ ચાલુ રહ્યો. “બેટા, થાય છે કે હું આપઘાત કરી લઉં અને છૂટકારો પામું.” આ સાંભળતા દીકરા પાસે બેઠેલાં તેનાં મમ્મીએ પતિને શાંત કરતાં કહ્યું, “હાય રે, તમે એવી વાત ન કરો.”

”પણ આ હૉસ્પિટલવાળા તમને મને મળવા કેમ આવવા નથી દેતા?”

“પાપા, અમે બધા અહીં બહાર જ બેઠાં છીએ. તમે જલદી સાજા થઈ જશો અને પછી ઘરે બધાંની સાથે હશો.”

“બેટા, જો તું મને જીવાડવા માંગતો હોય તો મને અહીંથી બીજી હૉસ્પિટલમાં લઈ જા. અહીં તો મને મારી નાખશે કે નહીં તો પછી હું જાતે જ મરી જઈશ.”

પંજાબના અમૃતસરની સરકારી ગુરુ નાનકદેવ હૉસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર લઈ રહેલા ૬૭ વરસના પદ્મશ્રી સન્માનિત રાગી નિર્મલસિંઘ ખાલસાના અંતિમ દિવસે કુટુંબ સાથેનો આ કરુણ સંવાદ હતો. ભા.જ.પા.શાસિત ગુજરાતના અમદાવાદની સરકારી સિવિલ હૉસ્પિટલ હોય કે કૉન્ગ્રેસશાસિત પંજાબના અમૃતસરની સરકારી હૉસ્પિટલ, કોવિડ-૧૯ સામે લડવામાં તે કઈ હદે ખાડે ગયાં છે, તેનો આ વધુ એક પુરાવો છે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુરુવાણી ગાયક નિર્મલસિંઘ ખાલસા મૂળે પંજાબના જાલંધર જિલ્લાના લોહિયા ગામના હતા. ૬૨ રાગોમાં ગુરુવાણીનું ગાયન કરતા નિર્મલસિંઘ મજહબી શીખ હતા. જન્મે હિંદુ દલિત એવા નિર્મલસિંઘે ધર્મપરિવર્તન કરીને શીખ ધર્મ અંગીકાર કર્યો હતો. વર્ષ ૧૯૭૯માં તેમની નિમણૂક અમૃતસરના સુવર્ણમંદિરના હરિમંદિરમાં હુજુરી રાગી તરીકે કરવામાં આવી હતી. તેમના ગુરુવાણી-ગાયનના કાર્યને દેશના વર્ષ ૨૦૦૯માં ચોથા ક્રમના નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યું હતું. તત્કાલીન પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંઘ રાગી નિર્મલસિંઘના ગુરુવાણી ગાયનથી પ્રભાવિત હતા. તેમણે ગુરુ નાનકના પ્રકાશપર્વે દિલ્હીના પ્રધાનમંત્રી આવાસમાં તેમનું ગાયન યોજ્યું હતું. નિર્મલસિંઘને રાષ્ટ્રપતિભવનમાં પણ ગુરુવાણીનો પાઠ અને ગાયન કરવાનો અવસર મળ્યો હતો. વર્ષ ૧૯૭૯થી ચારેક દાયકા સુધી સુવર્ણમંદિરમાં રાગી તરીકે કાર્ય કરનાર અને ત્યારથી અમૃતસરને કર્મભૂમિ બનાવનાર આ કલાકારને નિવૃત્તિ પછી પણ અવારનવાર સુવર્ણ મંદિરમાં મહાનુભાવોની મુલાકાત પ્રસંગે ગાયન માટે નિમંત્રવામાં આવતા હતા. પંજાબમાં, દેશમાં અને વિદેશમાં તેમના ગુરુવાણી ગાયનના ઘણા કાર્યક્રમો થતા હતા.

નવેમ્બર ૨૦૧૯માં તેઓ આઠેક મહિના અમેરિકા રહીને ભારત પાછા આવ્યા. ૧૯મી માર્ચે ચંદીગઢમાં તેમણે એક કાર્યક્રમમાં ગાયું હતું. તે પછી શરદી-તાવની ફરિયાદથી તેમણે પહેલાં અમૃતસરની શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ સંચાલિત ગુરુ રામદાસ ચૅરિટેબલ હૉસ્પિટલમાં સારવાર લીધી. તેમના રિપોર્ટ સામાન્ય આવ્યા, પણ ફરિયાદ દૂર ન થઈ. એટલે પછીથી તેમને સારવાર માટે સરકારી ગુરુ નાનકદેવ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તે હૉસ્પિટલના ડોકટરોએ તેમને ૧૦ દિવસની દવા આપી. ૨૯મી માર્ચે તેમને શરીરમાં વધુ તકલીફ જણાતાં ફરી અમૃતસરની સરકારી કોવિડ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા. ત્યાં ત્રણેક દિવસની સારવાર બાદ ૨જી એપ્રિલની પરોઢે સાડા ચાર વાગ્યે તેમનું અવસાન થયું. નિર્મલસિંઘના પુત્ર અમિતેશ્વરસિંઘ અને પરિવારે સારવારમાં બેદરકારીનો આરોપ મૂક્યો છે, પરંતુ સરકાર અને હૉસ્પિટલ તંત્ર તેનો ઈન્કાર કરે છે.

રાગી નિર્મલસિંઘનું મૃત્યુ પંજાબમાં કોરોનાના કારણે અને લૉક ડાઉનના પહેલા અઠવાડિયામાં થયેલું પાંચમું મોત હતું. દેશમાં કોરોનાના સંક્રમણનો અને ભયનો માહોલ બરાબર ઊભો થઈ ચૂક્યો હતો, તે રાગીના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો. પોલીસ અને વહીવટીતંત્ર તેમના જ્યાં જ્યાં અંતિમ સંસ્કાર કરવા માંગતા હતાં તે બધાં જ સ્થળોએ વિરોધ થયો. અમૃતસરથી પંદરેક કિલોમીટર દૂરના વેરકા ગામે જુદી જુદી જ્ઞાતિનાં આઠેક સ્મશાનઘરો હતાં, પણ તે સઘળાં રાગીના અંતિમ સંસ્કાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. વિરોધ માટે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની દલીલ હતી કે કોરોનાદરદીના અંતિમ સંસ્કાર પછી તેની જે રાખ ઊડે તેનાથી પણ ચેપ લાગે. એટલે કોઈ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર થઈ  શકે તેમ નહોતા. સોળ કલાકની જહેમત પછી વેરકા અને ફતેહગઢ ગામની સીમા પરના એક ખાનગી માલિકીના ખેતરની થોડી ભોંય મળી, જ્યાં રાત્રે દસેક વાગે રાગી નિર્મલસિંઘના શબના દાહસંસ્કાર કરવામાં આવ્યા. સરકાર એવો પ્રચાર કરે છે કે “આપણે બીમારી સામે લડવાનું છે, બીમાર સામે નહીં”. પરંતુ કોરોનાગ્રસ્તના અંતિમ સંસ્કાર વખતે ઊભા થનારા વિરોધ સામે કાં તો આંખમીંચામણાં કરે છે કે કાં ઘૂંટણિયે પડી જાય છે.

રાગી નિર્મલસિંઘનું દલિત કે મજહબી શીખ હોવું તેમના અંતિમ સંસ્કારની અડચણોમાં કેટલું જવાબદાર છે તે સવાલ પણ ઊઠવો સ્વાભાવિક છે. પરિવાર આવો આરોપ મૂકે છે. દલિત રાજકારણીઓએ પંજાબના અનુસૂચિત જાતિ કમિશન સમક્ષ ફરિયાદ કરી છે, તો નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. સરકારે અંતિમ સંસ્કારમાં પડેલી મુશ્કેલી અંગે દિલગીરી જાહેર કરી છે અને રાગીના વતનમાં નવા બંધાતા આઇ.ટી.આઇ.ના મકાન સાથે તેમનું નામ જોડવાની જાહેરાત કરી છે. રાગી નિર્મલસિંઘના પુત્રને સી.એમ. “અમરિંદર અંકલ”નો આશ્વાસનનો ફોન આવ્યો છે. અકાલ તખ્ત અને સુવર્ણ મંદિરના હોદ્દેદારો પણ રાગીને ઉચિત સન્માન સાથે અંતિમ વિદાય ન આપી શકાઈ તેથી દુ:ખી છે.

પણ આ બધામાં આકરો પ્રતિભાવ રાગી ઝુઝારસિંઘનો છે. આજે હરમંદિરમાં રાગી તરીકે કાર્યરત ઝુઝારસિંઘ વેરકા ગામના લોકોના વિરોધકૃત્યથી એટલા નારાજ છે કે તેમણે જીવનભર વેરકામાં પગ ન મૂકવાની અને તે ગામમાં ગુરુવાણીનો પાઠ કે ગાયન કરવા આજીવન ન જવાની પ્રતિજ્ઞા જાહેર કરી છે. સ્વજનના જવાના દુ:ખ સાથે એને ઉચિત અંતિમ વિદાય નહીં આપી શકવાનું દુ:ખ કોરોનાકાળની વરવી વાસ્તવિકતા છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020

Loading

કોરોનાનો ભોગ બનેલાં અમેરિકનોને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ની મૌલિક અને સંવેદનશીલ શ્રદ્ધાંજલિ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|25 May 2020

જાણીતી કહેણી છે કે એક વ્યક્તિનું મૃત્યુ કરુણતા છે અને વધુ લોકોનાં મૃત્યુ કેવળ આંકડા. અમેરિકામાં ટ્રમ્પ તંત્રની ઊડીને આંખમાં ખૂંચે એવી બેદરકારીને કારણે કોરોના-મૃતકોનો આંકડો એક લાખે પહોંચવામાં છે, ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ આ પ્રસંગની ગંભીરતા પારખીને, કંઈક અનોખું છતાં સંવેદનશીલ કરવાનું વિચાર્યું. તેનું પરિણામ છે રવિવાર, ૨૪ મે ૨૦૨૦ના ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’નું પહેલું પાનું. તેમાં કોરોનાથી મૃત્યુ પામેલી હજારેક વ્યક્તિઓનાં નામ, વય, સ્થળ અને માણસ તરીકે તેમની ખાસિયત વર્ણવતી એક-એક લીટી—આટલું ભારે જહેમતપૂર્વક સંકલિત કરીને મૂકાયું છે. સમાચારનું પેટામથાળું છેઃ ધે વેર નોટ સિમ્પલી નેમ્સ ઑન અ લિસ્ટ. ધે વૅર અસ. (મૃતકો કંઈ નકરી નામાવલિ ન હતાં. એ આપણા જેવાં જ માણસો હતાં).

મૃતકોનો આંકડો એક લાખે પહોંચે ત્યારે તેની રજૂઆત ચોટદાર રીતે થવી જોઈએ, એવું તો નક્કી હતું. પણ ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’નાં ગ્રાફિક્સ વિભાગનાં આસિસ્ટન્ટ એડિટર સિમોન લૅન્ડન અને તેમના સાથીદારોને લાગતું હતું કે લોકો કોરોના વિશેની માહિતીથી થાક્યા છે. તેમને આ આંકડાની કરુણતાનો અહેસાસ થાય એવું કંઈક કરવું જોઈએ. એ માટે પહેલા પાને એક લાખ ટપકાં કે એક લાખ લીટીઓ મૂકવાનો વિચાર તેમને આવ્યો હતો, પણ તેમાં મૃતકોની ઓળખ ને તેમની સાથે પોતીકાપણાનો ભાવ જોડાય નહીં. પછી લૅન્ડનને વિચાર આવ્યો કે આખા અમેરિકાનાં નાનાં-મોટાં છાપાંમાં પ્રગટ થયેલી શ્રદ્ધાંજલિઓ-મરણનોંધોનું સંકલન કરવું. એ કામ માટે એક સંશોધકને કામે લગાડાયા. તેમણે એકઠી કરેલી વિગતોમાંથી ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના સ્ટાફની એક ટીમે અને ત્રણ પત્રકારત્વના સ્નાતક વિદ્યાર્થીઓએ સાથે મળીને વિગતો ચૂંટી અને આ યાદી તેયાર થઈ. તેમાં મૃતકની નોંધ કેટલી સરસ રીતે લેવાઈ છે તેનાં ત્રણ-ચાર ઉદાહરણઃ

રોડા હૅચ, ૭૩, શિકાગો, તેમના કુટુંબમાંથી કૉલેજનાં પગથિયાં ચડનાર પ્રથમ વ્યક્તિ. બાર્બરા યઝબૅક વીથૅખ, ૭૪, સેઇન્ટ ક્લૅર શોર્સ, મિશિગન, તેમનાં ડઝન પોતરાંને ઉછેરવામાં મદદ કરતાં હતાં. કમાલ અહમદ, ૬૯, ન્યૂ યૉર્ક સિટી, હૉટેલ બૅન્ક્વેટ વર્કર અને બાંગલાદેશી આગેવાન. ફ્રેડરિક કાર્લ હૅરિસ, ૭૦, મેસેચુસેટ્સ, પ્રસન્ન હાસ્ય.

હજારેક મૃતકોનું આવું વર્ણન તેમનાં નામને માત્ર નામાવલિ બનતાં અટકાવે છે અને સાવ અજાણ્યા વાંચનારને પણ, કમ સે કમ થોડી વાર માટે, સ્પંદિત કરી શકે છે. શરૂઆતમાં એક વિચાર એવો પણ હતો કે આખું પહેલું પાનું તસવીરોથી ભરી દેવું. (જે પણ થાય તેમાં પહેલું પાનું આખેઆખું વાપરવાનું તો નક્કી હતું) છેવટે, નામ અને વ્યક્તિની એકાદ ખાસિયતના વર્ણનનો ભારે કડાકૂટવાળો આઇડિયા અમલ માટે પસંદગી પામ્યો. બાળબોધી ચબરાકીગ્રસ્ત મથાળાં, પ્રાથમિક કક્ષાની શબ્દરમતો અને ‘અપની અદા પે મૈં હું ફીદા’માં રાચતાં પ્રસાર માધ્યમો સામે ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ની સંવેદનસભર મૌલિકતાનું મૂલ્ય વધારે સમજાય એમ છે.

કાર્ટૂન સૌજન્ય : મરિઆન કમેનસ્કી

ભારતના સંદર્ભે આવું પાનું બનાવવાનું થાય તો તેમાં સરકારની ઘોર બેદરકારી, આયોજનના અભાવ અને તે બધાથી ચડે એવી અસંવેદનશીલતાને કારણે ભારતના બળબળતા ઉનાળામાં સેંકડો કિલોમીટર ચાલીને પગપાળા પોતાના વતન પહોંચેલા અને જીવતાં નહીં પહોંચી શકેલાં શ્રમિકોનાં નામ આ રીતે મૂકવાં પડે. જો કે, શ્રમિકો વિશેના પરિચયની એક લીટી પણ ક્યાંથી લાવવી, એ સવાલ રહે. કારણ કે ન તેમની શ્રદ્ધાંજલિ વાંચવા મળે કે ન તેમના મૃત્યુની નોંધ. તેમને માણસમાં ગણનારા – માણસ તરીકે જોનારા જ પ્રમાણમાં ઓછા હોય, ત્યાં બીજી વાત ક્યાં રહી? અને હા, ભારતની દશા અંગે ઉપરનું કાર્ટૂન બનાવવાનું થાય તો તેમાં ટી.વી.ના પડદે, માસ્ક બાજુ પર મૂકીને, સાબુને પાણીને ફૂંકો મારીને રંગબેરંગી પરપોટા ઉડાડતા અને તેનાથી હરખાતા વડાપ્રધાનનું કૅરિકેચર મૂકવાનું થાય. નીચે, વડાપ્રધાનની કાર્યક્ષમતાનાં વખાણ કરતું, તેમના આંખે પાટા બાંધેલા સમર્થકોનું ચહેરા વગરનું ટોળું પણ બતાવી શકાય.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020

Loading

...102030...2,3482,3492,3502,351...2,3602,3702,380...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved