Opinion Magazine
Number of visits: 9681137
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા

સુમન શાહ|Opinion - Literature|9 June 2020

સૌને નમસ્કાર.

પહેલી નજરે લાગે કે સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા એકબીજાંનાં વિરોધી છે, પણ ઊંડું વિચારતાં લાગશે કે એમ નથી. સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા બન્ને માનવમનના જ સુન્દર અને સમુપકારક આવિષ્કારો છે.

હા, બન્નેનાં સ્વરૂપ અને કાર્ય જુદાં છે. સાહિત્યકલા મુખ્યત્વે હૃદયસ્થ ભાવોની વાત કરે છે, આનન્દ આપે છે, જ્યારે અધ્યાત્મવિદ્યા મુખ્યત્વે ચિત્તમાં વસતા જ્ઞાનની વાત કરે છે, જ્ઞાનનું સંવર્ધન કરે છે. ‘મુખ્યત્વે’ એટલા માટે કહું છું કે જ્ઞાનની વાતમાં ભાવ નથી ભળ્યા એમ નથી અને એ જ રીતે ભાવની વાતમાં જ્ઞાન સમ્મિલિત નથી એમ પણ નથી. એટલે સુધી કહી શકાય કે હૃદય અને ચિત્ત એકબીજાને પૂછે છે, બન્ને વચ્ચે નિરન્તરનો સંવાદ ચાલતો હોય છે. ઘણીયે વાર લાગે કે બન્ને જુદાં નથી, એકાકાર છે.

અને એ જ ભૂમિકાએ મારે કહેવું છે કે સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા પણ એકાકાર થઈ ગયાં હોય છે. મારા આ કીનોટ ઍડ્રેસનો કેન્દ્રવર્તી સૂર પણ એ જ છે કે કલા અને વિદ્યા વચ્ચે કશો પ્રચણ્ડ વિરોધ કે ઘાતક ભેદ નથી, પણ આકર્ષક એવી અભિન્નતા છે, અભેદ છે. હું નામોલ્લેખ કરીને સમાપન કરીશ કે વિશ્વને એવા મનીષીઓ મળ્યા છે, મળતા રહે છે, મળવાના છે, જેમનાં સર્જનોમાં આ બન્ને માનવીય આવિષ્કારોનું રસપ્રદ સાયુજ્ય અને એકત્વ સિદ્ધ થયું હોય છે અને ઘણી સરળતાથી અનુભવાતું હોય છે.

જરા નિરાંતે સમજીએ.

મનુષ્યદેહ, આ શરીર, એક સાવ જ વાસ્તવિક વસ્તુ છે. દેહને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, જાણી-માણી શકાય છે. એ અર્થમાં દેહ સ્થૂળ છે, પાર્થિવ છે, ફિઝિકલ છે.

પણ એવા દેહમાં દસ ઇન્દ્રિયો છે, જેમાંની પાંચ જ્ઞાનેન્દ્રિયો છે -ચક્ષુ કર્ણ ઘ્રાણ જિહ્વા અને ત્વચા. બીજી પાંચ કર્મેન્દ્રિયો છે – હાથ પગ મુખ જનનેન્દ્રિય અને ગુદા.

ઉપરાન્ત, દેહમાં હૃદય અને મસ્તિષ્ક પણ છે. હૃદય અને રુધિરાભિસરણની ક્રિયાને પરિણામે મનુષ્યથી જીવતા રહેવાય છે. મસ્તિષ્કની ક્રિયા-પ્રક્રયાઓને પરિણામે આસપાસના વિશ્વ સાથે મનુષ્ય જોડાયેલો રહે છે. ઉપરાન્ત, માણસ પાસે ભાવો અને લાગણીઓ જન્માવનારું એક બીજું અનુભાવ્ય હૃદય પણ છે. નીતિ-અનીતિ આચારવિચાર અને સદાચારનો વિવેક કરી આપનારું માણસ પાસે અન્ત:કરણ પણ છે. એની પાસે એક ચેતના નામની વસ્તુ પણ છે. વળી, એની પાસે ચેતનાને વિશેની ચેતના પણ છે, જેને અન્તરાત્મા કહેવાય છે.

આ સઘળાને ધારણ કરે છે, દેહ. એટલે નવો અર્થ એ કરવો જોઈશે કે દેહ માત્રસ્થૂળ, પાર્થિવ કે ફિઝિકલ નથી, અને તેથી, સર્વથા ધ્યાનપાત્ર છે. દેહના ધર્મો પાળવા જોઈશે. દેહ માગે અને આપણી પાસે કરાવે જ કરાવે એ તમામ સહજ કર્મો કરવાં જોઈશે. હું આમ આ સમયે વ્યાખ્યાન આપી શકું છું પણ તે પહેલાં મારે ક્ષુધાતૃષાશાન્તિ જેવી પ્રવૃત્તિ કરવી જરૂરી હોય છે – ભૂખ્યોતરસ્યો માણસ શેની વાત કરી શકવાનો? અને તે પહેલાં મારે નિદ્રાધીન થવું પણ જરૂરી હતું, વગેરે. તાત્પર્ય, દેહને અને તેની જીવનપરક ભૂમિકાને કદીપણ નકારી શકાતી નથી.

આમ તો વાત અહીં પૂરી થઈ જાય છે. મોટા ભાગની માનવજાત દેહને વશ રહીને જીવે છે. આહાર નિદ્રા ભય મૈથુનમાં રત રહીને જીવનને બસ જીવ્યે જાય છે. તેમછતાં, માણસ ક્યારેક અથવા અવારનવાર આત્માનો સહજપણે ઉલ્લેખ પણ કરે છે. દાખલા તરીકે, એ કહે છે – આ સંસ્થાનો આત્મા મરી ગયો છે. એટલે જ ક્યારેક ક્યારેક દરેક વ્યક્તિને પ્રશ્નો થાય છે કે આ જીવનનો અર્થ શું છે; આ જગત શું છે; જગતમાં હું શા માટે છું; આ વિશ્વનો સર્જનહાર કોણ છે; આ બ્રહ્માણ્ડનું ચાલકનિયામક ઋત કયું છે. દેહ અને આત્માનું વૈચારિક નિ દર્શન – મૉડેલ – સ્વીકારીને માણસનું ચિત્ત આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા મથે છે. ત્યારે ચિત્ત સ્થૂળથી સૂક્ષ્મ તરફ, મૂર્તથી અમૂર્ત તરફ, કૉન્ક્રીટથી ઍબ્સ્ટ્રેક્ટ તરફ ગતિ કરતું હોય છે. માણસને એવા મનોવ્યાપારની યાત્રા ગમતી હોય છે. એને આવડે કે ન આવડે, એ એવી અવરજવરની કે એવી ચડઊતરની મજા લેતો હોય છે. માનવચિત્તની એ સહજ ગતિવિધિને પરિણામે સંસારમાં ફિલસૂફી દર્શનો શાસ્ત્રો સિદ્ધાન્તો અને જેને આપણે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ તેનો જન્મ થાય છે.

જુઓ, ’અધ્યાત્મ’ સંજ્ઞામાં બે શબ્દ જોડાયા છે -‘અધિ’ અને ‘આત્મા’. ‘અધિ’ એટલે ‘ઉપરાન્તનું’, ‘વધારે’, ‘કશાકમાંથી આવેલું’. ‘અધિ’ એટલે, ‘પછીથી’, ‘ને માટે’. આ બધા જ અર્થસંકેતો ‘આત્મા’ સાથે જોડાઈ ગયેલા છે. ટૂંકમાં એ સમજવાનું છે કે અધ્યાત્મ એટલે એવી વિદ્યા, એક એવું નૅરેટિવ, એવી વારતા, જે દેહ સાથે નહીં પણ આત્મા સાથે જોડાઈને વિકસી હોય છે. દેહને વિશેનું છે તે ઉપરાન્તનું આત્મા-સંલગ્ન જ્ઞાન તે અધ્યાત્મવિદ્યા – સ્પિરિચ્યુઅલ નૉલેજ. અંગ્રેજીમાં જેને મૅટાફિઝિક્સ કહેવાય છે તે પણ ફિઝિકલ પછીની કે તે ઉપરાન્તની વિદ્યા છે.

મૅટાફિઝિક્સની થોડી વાત અહીં ઉમેરવી મને જરૂરી લાગે છે. મૅટાફિઝિક્સ ફિલૉસૉફીની એક શાખા છે. એમાં ‘બીઈન્ગ’ કહેતાં ‘સત’-ની ચર્ચા હોય છે. અસ્તિત્વ અને અસ્તિત્વમાં હોય તે વસ્તુઓને વિશેની નિસબતથી એ વિકસ્યું હોય છે. ઉપરાન્ત એમાં ‘જ્ઞાન’ તેમ જ ‘ટાઇમ’ અને ‘સ્પેસ’-ની પણ ચર્ચાઓ હોય છે. અધ્યાત્મવિદ્યા ફિલસૂફીની શાખા છે એટલે એમાં રજૂ થતી સમગ્ર થીયરી ઍબ્સ્ટ્રેક્ટ હોય છે – અમૂર્ત વિભાવનાઓની સૃષ્ટિ. બીજું એ કે એ વિભાવનાઓ વ્યક્તિપરક નથી હોતી, સાર્વત્રિક હોય છે – યુનિવર્સલ હોય છે. એમાં થતી ચર્ચાઓને મારી કે તમારી નકરી વાસ્તવિક દુનિયા સાથે કે મારા કે તમારા અનુભવજગત સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે કે, એમાં ઍમ્પિરિકલ લૉઝની નહીં પણ વિશ્વનાં ઍસેન્શ્યલ સ્ટ્રકચર્સની – તાત્ત્વિક સંરચનાઓની – શોધ વિકસી હોય છે. એમાં તર્કની પરાકાષ્ઠા અને વિચાર તેમ જ વિભાવની પરિશુદ્ધિ જોવા મળે છે.

દાખલા તરીકે, કોઈ વેદાન્તી બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એમ કહે તો ના નથી પાડી શકાતી. દાખલા તરીકે, પ્લેટો ‘વર્લ્ડ ઑફ આઇડિયાઝ’-ને પરમ સત્ય ગણે, અને આપણા આ વસ્તુજગતને, ‘વર્લ્ડ ઑફ ઑબ્જેક્ટસ’-ને, તેની નકલ કહે, વળી, ‘વર્લ્ડ ઑફ પોએટ્રી’-ને એટલે કે આપણા કલાસંસારને નકલની પણ નકલ કહે, તો એ વિશે કશી વિશેષ ચર્ચાનો અવકાશ નથી બચતો. ફિલસૂફીમાં આમ સ્પષ્ટતાઓ થાય છે, સ્પષ્ટતાઓ પર નવી ફિલસૂફી રચાય છે, અને એમ સત્યાસત્યની ખોજ નિરન્તર ચાલ્યા કરતી હોય છે. પૂર્વકાલીન ફિલસૂફ ભાવિ ફિલસૂફને સરજે છે અને એ ભાવિ ફિલસૂફ એની પણ પછી આવનારા કોઈ ભાવિને સરજે છે. ફિલસૂફી સ-અન્ત નથી બલકે જીવ જગત અને તેના સર્જનહારને સમજવાની અન્તહીન મથામણ છે. એ પ્રસન્ન કરે છે પણ મનુષ્યને થકવે પણ છે.

કેમ થકવે છે તે સમજીએ. વાત એમ છે કે પરમ સત્યની નકલ કે તેની પણ નકલ, જે હોય તે, પણ હું કે તમે તો સત્ય જ છીએ ! બ્રહ્મ ભલે સત્ય છે અને ભલે જગત મિથ્યા છે, તમે અને હું જીવતી-જાગતી વ્યક્તિઓરૂપે સત્ય છીએ ! હરેક ક્ષણે આપણે પ્લેટોના નકલસ્વરૂપ જગતમાં જ હોઈએ છીએ. એ હકીકત સત્ય છે. અવારનાવર આપણે એમણે કહેલા નકલની નકલ એવા કવિતા અને સાહિત્યકલાના જગતમાં જઈએ છીએ. એ ઘટનાઓ સત્ય છે. વારંવાર આપણને આ જિવાતું જીવન સતાવે છે એ પરમ હકીકત છે, તેમ એ પરમ સત્ય પણ છે. આપણા આ હકીકતમય જીવનમાં ફિલસૂફીમય સત્યશોધને કશો અવકાશ જ નથી.

આપણને કેટલીયે વાર થાય છે કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે નિરન્તર રચાતો રહેતો માનવસમ્બન્ધ શી ચીજ છે. આપણને વારંવાર પ્રશ્ન થાય છે કે માનવસમ્બન્ધોમાં તિરાડ કેમ પડે છે, છેદ-વિચ્છેદ કેમ થાય છે. એમ પણ થાય છે કે આ જે તીવ્રપણે અનુભવાય છે તે પ્રેમ શું છે, મિલન શું છે, વિરહ શું છે. આ જે ભભૂકી ઊઠે છે તે ક્રોધ શું છે. આ જે રુદન અને વિલાપમાં વહ્યો જાય છે તે શોક શું છે. મૃત્યુ શું છે એમ નથી થતું પણ મૃત્યુ કેમ છે એમ જરૂર થાય છે. વિશ્વને જાણવામાં માણસને ઝાઝો રસ નથી. એને રસ છે, પોતાના ભાવજગતને જાણવામાં અને ઓળખવામાં. સમગ્ર વિશ્વનો અનુભવ એની પ્હૉંચની બહારની વસ્તુ છે, પણ એના વડે જિવાયે જતું જીવનવિશ્વ એની સન્નિકટે છે. એના એ બધા પ્રશ્નોની, એના એ ભાવજગતની, એના એ જીવનવિશ્વની વાત કરે છે, સાહિત્યકારો સંગીતકારો ચિત્રકારો શિલ્પીઓ વગેરે સૌ કલાસર્જકો.

કલા એમ દર્શાવે છે કે માનવીય સર્જકતા અને સર્જનશીલતા માનવીય તાર્કિકતા અને જ્ઞાનશીલતાથી વધારે ઊંચી વસ્તુ છે. હું મારી સર્જકતાની સન્નિકટે રહીને જીવું તો એથી વિલક્ષણપણે અંગત એવી એક ધાર્મિકતા પ્રગટે છે, એક અનવદ્ય અને આસ્વાદ્ય આધ્યાત્મિકતા જનમે છે. મને એક એવું ડહાપણ લાધે છે જે વડે હું કશાપણ બાહ્ય દર્શન કે ચિન્તન કે ફિલસૂફીના આધાર વિના સુખે જીવનવ્યાપન કરી શકું છું.

આ ક્ષણે મને જગવિખ્યાત ફિલસૂફ દેરિદા યાદ આવે છે. એમણે કહેલું કે ફિલસૂફી એટલે ડહાપણને માટેનો પ્રેમ – લવ ફૉર વિઝડમ. કેટલાક કુખ્યાત દાખલાઓ છે જેમાં ફિલસૂફી રવાડે ચડી ગઈ હોય અને ફિલસૂફ ગાંડિયા થઈ ગયા હોય. પણ કલામય ફિલસૂફીથી અવતરેલા સાચા પાગલપનનું અપ્રતિમ દૃષ્ટાન્ત તો નિત્શે છે. પરમ્પરાગતો એમને સ્ટાન્ડર્ડ ફિલૉસૉફર નથી ગણતા. કેમ ? કેમ કે એમણે પોતાના દર્શન-ચિન્તનમાં કાવ્યત્વ કથા નાટ્યાત્મકતા રૂપકો અને અલંકરણોનો આશ્રય કરેલો. હું એમને કલાપ્રપન્ન દાર્શનિક ગણું છું.

પ્રારમ્ભે મેં હૃદય અને ચિત્ત વચ્ચે નિરન્તર ચાલતા સંવાદની વાત કરી, કહ્યું કે સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા પણ એકાકાર થઈ ગયાં હોય છે, કલા અને વિદ્યા વચ્ચે કશો પ્રચણ્ડ વિરોધ કે ઘાતક ભેદ નથી, પણ આકર્ષક એવી અભિન્નતા છે, અભેદ છે. અને મેં ઉમેરેલુ કે હું નામોલ્લેખ કરીને સમાપન કરીશ કે વિશ્વને એવા મનીષીઓ મળ્યા છે, મળતા રહે છે, મળવાના છે, જેમનાં સર્જનોમાં આ બન્ને માનવીય આવિષ્કારોનું રસપ્રદ સાયુજ્ય અને એકત્વ સિદ્ધ થયું હોય છે અને ઘણી સરળતાથી અનુભવાતું હોય છે.

કબીર

જેમ કે, કબીરવાણી જેમાં શબ્દ ‘શબદ’ બની ગયો છે. એ સૃષ્ટિ માં અવળવાણીની રીતેભાતે અધ્યાત્મ ઊકલતું આવે છે. અને કબીરથી તો નર્યા સહજ ભાવે જ રૂપક આદિ અલંકારોનો વિનોયોગ થયો છે. જેમ કે, યાદ આવે છે આપણો નરસિંહ. એને તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગ્યું અને એણે પ્રેમરસની વાત કરી. આપણા અખાએ કવિતાની રીતે જીવનબોધક છપ્પા લખ્યા, ધીરાએ એવા ચાબખા લખ્યા. સમકાલીન ગુજરાતી કવિઓમાં રાજેન્દ્ર શુક્લ અને હરીશ મીનાશ્રુની કેટલીક કૃતિઓમાં આ સાયુજ્ય જોવા મળે છે.

નરસિંહ

લાઓ ત્સે

જેમ કે, બુદ્ધદર્શન. બુદ્ધે દુ:ખ જેવી કેન્દ્રસ્થ પીડા પર, એ નગદ માનભાવ પર, આંગળી મૂકી, નહીં કે કશા અમૂર્ત વિભાવ પર. અને એમણે ચાર આર્ય સત્ય વર્ણવ્યાં. લાઓ ત્સેએ દરેક જીવનવ્યાપારને ચાહવાની અને સન્માનવાની વાત કરી. એ પર વર્ચસ્ નિયમનો કે અંકુશો લાદવાની મનાઈ ફરમાવી. એટલું જ નહીં, એમને કહ્યું કે સૌ પહેલાં જાતને ચાહો ને એમ મનુષ્યમાત્રને ચાહો. એમણે વ્યક્તિ અને વિશ્વને એ રીતેભાતે જોડ્યાં. રવીન્દ્રનાથના ‘ગીતાંજલિ’-ને હું કવિતા અને અધ્યાત્મના અભેદનું ઉ્તમ દૃષ્ટાન્ત લેખું છું. સાથે યાદ આવે છે એવી જ એકરૂપતાને ગાતા બાઉલ ભજનિકો. આલ્વાર કે તુકારામ આદિ સન્તો. અને યાદ આવે છે મને અતિપ્રિય, રુમિ. પ્રેમ, ઈશ્વર અને રહસ્યને અનાયાસે રસી દેતું રુમિ નું આ કાવ્ય રજૂ કરીને વિરમું :

પ્રેમ / રુમિ

પ્રેમને પંચેન્દ્રિયો સાથે કે દિશાઓ સાથે કશી લેવાદેવા નથી :
એને તો બસ પ્રિયાએ પ્રગટાવેલી સુન્દરતા માણવી હોય છે.
પછીથી બને કે ઈશ્વર તરફથી પરવાનગી મળે :
અને એ બધા સંકુલ સંકેતો ને
ગૂંચવાડિયા ઈશારા પાછળનાં રહસ્યો
કહેવા જેવાં રહસ્યો
સરસ રીતે કહી બતાવાશે ને ત્યારે એમાં
ઠીક એવી સમજદારી પણ હશે
રહસ્યનો કોઈ ભાગીદાર નથી હોતો
હા, રહસ્યને જાણનાર અને રહસ્ય પોતે :
શંકાશીલના કાનમાં તો
રહસ્ય કદી રહસ્ય હોતું જ નથી …

* * *

સૌનો આભાર, આવજો.

= = =

(June 9, 2020 : Ahmedabad)

(શ્રી ગોવિન્દ ગુરુ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ મુમ્બઈના ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બે-દિવસીય વેબિનારમાં આપેલું કી-નોટ ઍડ્રેસ.)

Loading

અનલોક

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|8 June 2020

શત્રુ અદૃશ્ય હોય ત્યારે, છુપાઈને લડવું સારું કહેતા‘તા,
ને શત્રુ ભૂરાંટો થયો, ત્યારે જ ધકેલ્યો મેદાને મને ?

ભૂલી ગયા પેલું ? ‘જાન હૈ તો જહાન હૈ’, કહેતા‘તા તે !
હવે જાન અને જહાન બંને સાચવવાનું કહો છો મને ?

બહુ ખખડાવી, બહુ સળગાવી, કરી નૌટંકી કેવી ?
અઢાર દિ‘માં જીત્યા’તા, જીતશું યુદ્ધ, મારી’તી ફિશિયારી એવી !

‘ઘરમાં રહો સુરક્ષિત રહો’ કહેતા‘તા તે,
સઘળું ખોલી બેઠા? છોડી દીધા છુટ્ટા સૌને ફોડવા તમતમારું !

નથાયો નહિ  કાળીનાગ, ને તોયે નાચવા લાગ્યા ?
શું મારી’તી ધાડ? તે ખાલી વાદળાં જેવું ગાજવા લાગ્યા !

પીઠ થપથપાવી પોરસાવાનું, પાડી દીધો છાકો !
ઊઠ ઊંઘણશી, જાગીને તું જો જરા, રાડો પાડે રાંકો !  

મનની વાતમાં મેલ પૂળો, વડાં કરે તું વાતે,
આજીવન છે યુદ્ધ અહીં, લડવાનું બસ જાતે.

Loading

દાઉદભાઈ ઘાંચી એટલે મુઠ્ઠી ઊંચેરા મશાલચી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|8 June 2020

દાઉદભાઈને પહેલવહેલો, ભલા, ક્યારે મળ્યો હોઈશ ? સંભારું છું તો યાદ આવે છે રઘુવીરભાઈ ચૌધરી જોડે બાપુપુરાના પ્રવાસે અમે હતા. વળતાં મોડાસા ખાતે દાઉદભાઈ ઘાંચીની શિક્ષણસંસ્થામાં સરિક થવા અમે ગયેલા. રઘુવીર ચૌધરી એ અવસરના મુખ્ય મહેમાન હતા. ગયા સૈકાના આઠમા દાયકાની આ વાત હશે.

દરમિયાન, દાઉદભાઈ બ્રિટન અવારનવાર આવ્યા કરે. એમના ત્રીજા સંતાન ફારૂકભાઈ એ દિવસોમાં ગ્લાસગૉ ખાતે ઉચ્ચ અભ્યાસ કરે. દાઉદભાઈએ લાગલા પોતાના દીકરા, ફારૂકભાઈને જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાર્ષિક સભ્યપદે નોંધી દીધા. આ સભાસદ પોતે નહીં, બલકે એમના પિતા જ દર વખતે સભ્યપદ તાજું કરાવી લે !

એ દિવસોમાં ગુજરાતી સાહિત્ય અકાદમી પોતીકા પરીક્ષા તંત્ર હેઠળ ગુજરાતીની પાંચસ્તરીય પરીક્ષાઓ વાર્ષિક ધોરણે લેતી. દેશ ભરમાંથી સેંકડો વિદ્યાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાઓમાં બેસતાં. એક તબક્કે આ આંકડો બારસો-પંદરસો લગી પહોંચેલો તેમ સાંભરે છે. દેશની પાંત્રીસ-ચાળીસ ગુજરાતી ભણાવતી નિશાળો તેમ જ આનુષંગિક સંસ્થાઓ સાથે મળીને પહેલી મેની ચોપાસના રજાના દિવસે, અકાદમીના નેજા હેઠળ ‘આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ’ની, આખા દિવસની, ઉજવણી યોજતી. હજારબારસોની મેદની વચ્ચે બાળકો, ‘સંસ્કાર ગુર્જરી’ નામક ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં અને તે ટાંકણે આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલાં પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતાં. વળી, પહેલા-બીજા-ત્રીજા ક્રમાંકે આવતાં પરીક્ષાર્થીઓનું ઉચિત સન્માન કરવામાં આવતું. જાગતિક સ્તરે ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ ક્ષેત્રે નામી વ્યક્તિને અતિથિ વિશેષ તરીકે અકાદમી આદરભેર લઈ આવતી.

નેવુંના દાયકાના આરંભે, સન 1995માં, બર્મિંગમ શહેરના પેરી બાર વિસ્તારમાં, ‘ગુજરાતી હિન્દુ ઍસોસિયેશનના યજમાનપદે, સાતમો આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ મનાવાઈ રહ્યો હતો. દેશ ભરમાંથી પરીક્ષાર્થીઓ, તેમનાં માવતરો, તેમનાં શિક્ષકો, જે તે ગુજરાતી નિશાળના અન્ય સંચાલકો, બર્મીંગમ શહેરની વિધવિધ ગુજરાતી નિશાળોનાં પરીક્ષાર્થીઓ, તેમનાં માતાપિતાઓ, શિક્ષકો, સંચાલકો તેમ જ અનેક ગુજરાતી શહેરીઓ ઊમટી આવેલાં. હૈયેહૈયું દળાય એટલો માનવમહેરામણ હતો. સભાખંડ ખીચોખીચ હતો. આ અવસરે ગુજરાતે આપેલા એક ઉત્તમ કેળવણીકાર, શિક્ષક, વિચારક, લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી અતિથિ વિશેષ હતા. પોતાના દીકરા, ફારૂકભાઈ જોડે ગ્લાસગૉથી એ પધાર્યા હતા.

“ઓપિનિયન”ના મે 1995ના અંકમાં પ્રતિભાવ રૂપે એ લખતા હતા : ‘… તા. 30-04-1995ના દિવસે મેં બર્મીંગમ ખાતેના અકાદમીના કાર્યક્રમમાં ગાળેલા ત્રણ-ચાર કલાક મારે માટે સાંસ્કૃતિક ભાથું બની રહેશે. એવી એમાં ગરિમા હતી, ભાવિ માટેની શ્રદ્ધા હતી. શ્રમની સોડમ અનોખી હોય છે. એ કાર્યક્રમ તમારા સર્વદેશીય શ્રમનો પરિપાક હતો. એ એક સતત ચલાવાઈ રહેલા અભિયાનનો સફળતા આંક સૂચવતો પ્રસંગ હતો.’

દાઉદભાઈની કલમ આગળ વધે છે : ‘ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટકેટલાં વાનાં હાથ ધર્યાં છે ! એનો કાર્યપટ જીવન જેટલો વિશાળ લાગે છે ! કાશ, તળ ગુજરાતની અકાદમીએ એના આરંભકાળથી આવું કોઈક દર્શન કર્યું હોત ! “અસ્મિતા”નો 1993નો અંક માત્ર સિદ્ધિપત્ર નથી, દર્શનપત્ર પણ છે. જેનું દર્શન સુસ્પષ્ટ, એનું કર્તવ્ય ધારદાર. અકાદમીના સૂત્રધારોએ આ બાબતે ઘણી કાળજી રાખી છે એ માટે એમને આપો એટલાં અભિનંદન ઓછાં છે ! એ ખોબલે, ખોબલે અપાતાં રહેવાં જોઈએ. અહીં બ્રિટનમાં, અને ઘેર ગુજરાતમાં.’

‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ નામક મથાળા સાથે લખાયેલા આ પત્ર-લેખમાં, દાઉદભાઈએ કહ્યું છે: ‘તમારી સાથેના થોડીક જ પળોના સહવાસથી મને પણ થઈ જાય છે કે હું બ્રિટનમાં જ હોઉં તો વૈચારિક નવજન્મ પામું ! એટલો શક્તિપ્રપાત કરવાની તમારાં સ્વપ્નો, આયોજનો અને કાર્યક્રમોમાં સંભાવના ભરી પડી છે.’

દાઉદભાઈએ અતિશયોક્તિ અલંકાર અહીં ઉપયોગમાં લીધો હોય, ન ય લીધો હોય પણ આ પછી એમની જોડેનો સંપર્ક જીવંત તેમ જ ઘનિષ્ટ બનીને રહ્યો. જ્યારે જ્યારે એ આ મુલકે આવે ત્યારે ત્યારે અમારે મળવાનાહળવાના તેમ જ અંગત આદાનપ્રદાનના અવસરો બનતા રહ્યા. માન્ચેસ્ટરની મેટૃોપોલિટન યુનિવર્સિટીમાં એક પરિસંવાદનું આયોજન થયેલું. તેમાં એક અતિથિ વક્તા તરીકે મારી પસંદગી થયેલી અને બીજા અતિથિ વક્તા તરીકે દાઉદભાઈ પણ હાજર હતા. આદાનપ્રદાન તો થયું. અમે ખૂભ હળ્યા, મળ્યા, ને છૂટા પડ્યા. ત્યાં સુધીમાં ફારૂકભાઈ યૉર્કશરમાં, બ્રેડફર્ડ નગર પાસેના શિપલી ગામે કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા હતા.

અને પછી તો અમારો હળવાનો સિલસિલો શરૂ પણ થઈ ગયો. ઘાંચી દંપતી આ મુલકે આવ્યાં હોય અને હું શિપલી એકાદબે દિવસનો સમય ગાળવા ગયો જ હોઉં ! બીજી પાસ, ગુજરાતને પ્રવાસે હોઉં તો દાઉદભાઈ કને પાંચ હાટડી, કલોલ જવાનું થાય. દાઉદભાઈએ પારાવાર સ્નેહ વહેવા દીધો છે. એમાં સતત વહેતો રહી પાવન પણ થયો છું. આવી ભીની ભીની લાગણીઓ મને મહેન્દ્રભાઈ મેઘાણી, દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ નટુભાઈ સી. પટેલે પણ થોકબંધ બંધાવી આપી છે.

વર્ષ 2005માં “ઓપિનિયન”ની દશવાર્ષિકીનો ઉત્સવ યોજાયો હતો. ચોમેરથી પત્રકારો, લેખકો, વિચારકો, વાચકો મેળે હીલોળા લેતા હતા. ટાંકણે ‘ગુજરાતી પત્રકારત્વ એટલે ખાળે દાટા અને દરવાજા ઉઘાડા’ નામે લોકઅદાલત ભરાઈ હતી. ‘ગુજરાતી પત્રકારત્વની ખબર પૂછવા અને ખબર લેવાના આ કામને અસ્મિતા પર્વ સિંહાસને બેસાડાયું હતું, તેમ જાણીતાં ગુજરાતી કવયિત્રી અને લેખિકા લતાબહેન હીરાણીએ નોંધ્યું છે. આ લોકઅદાલતના ન્યાયમૂર્તિપદે દાઉદભાઈ ઘાંચી જ બિરાજમાન હતા. કેફિયત ને રજૂઆત માટે હાજર હતા પાકિસ્તાનના એક અગ્રગણ્ય પત્રકાર-લેખક-કવિ હયદરઅલી જીવાણી, બ્રિટનના વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, અમેરિકાથી આવેલા હરનિશભાઈ જાની, બ્રિટનના મનસુખભાઈ શાહ અને પછી આવ્યો વારો ગુજરાતીના એક શિરમોર પત્રકાર પ્રકાશભાઈ ન. શાહનો. દાઉદભાઈ સમાપન કરતાં કરતાં કહેતા હતા: ‘તળ ગુજરાતથી અલગ રહીને પણ અહીં ગુજરાતી પત્રકારત્વ વિશે આટલી ચર્ચા થઈ. તળ ગુજરાતમાં પણ આવી ચર્ચા થાય એવું ઈચ્છીએ.’ દાઉદભાઈએ ઠોસપૂર્વક લોકઅદાલતને આટોપતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક સ્તરે જ આપણે સંગમસ્થાન ઊભું કરી શકીએ, અન્યથા નહીં. 

પછીના સપ્તાહઅંતે, 30 ઍપ્રિલથી બે દિવસ સારુ, ગુજરાતી સાહિત્ય અકાદમીની સાતમી ભાષા-સાહિત્ય પરિષદ મળતી હતી. નારાયણ હેમચંદ્ર નગરની સ્થાપના કરાઈ હતી. આ પરિષદમાં ત્રીજી બેઠકનો વિષય હતો: ‘ગુજરાતી ડાયસ્પોરા અને તળ ગુજરાત : ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ.’ મુખ્ય વક્તા તરીકે, અલબત્ત, દાઉદભાઈ ઘાંચી હતા. લતાબહેન હીરાણી નોંધે છે તેમ, દાઉદભાઈનો વાણીપ્રવાહ પછી સતત વહેતો રહ્યો. એમાં અનુભવોનો નિચોડ હતો, જગતભરની અનેક મુલાકાતોનું નિરીક્ષણ હતું, કેળવણીના આરોહઅવરોહની સમજણ હતી. વળી જીવંત કેળવણીકારનું સક્ષમ તારણ પણ વણાયું હતું. દાઉદભાઈ, અંતે તારવતા હતા કે ‘તમે જે ભાષાની ચિંતા કરી રહ્યા છો, એમાં જ એના બચાવની બાબત પણ દેખાઈ રહી છે.’

આ બન્ને અવસરના દરેક ભાષણ “ઓપિનિયન” સામયિકના સન 2005ના વિધવિધ અંકોમાં પ્રગટ થયેલા જ છે. દાઉદભાઈનું સમૂળગું પ્રવચન ઑક્ટોબર 2005ના અંકમાં તો લેવાયું જ છે. રસિકજનો તેમ જ સંશોધકો સારુ આ મુઠ્ઠી ઊંચેરાં ઓજારો નીવડ્યાં છે.

“ઓપિનિયન”માં અનિયમિતપણે પરંતુ એક ચોક્કસ ઘાટીએ દાઉદભાઈએ લેખો આપ્યા છે. વિચારપત્રના વિવિધ અંકોમાં આ તમામ પ્રગટ થયા છે. એમાંથી પસાર થતા થતા એક મુદ્દો સ્પષ્ટ તરી આવે છે : ભાષા પરનો એમનો બેમિશાલ કાબૂ, અને વળી કેટકેટલા અંગ્રેજી શબ્દોને ગુજરાતી સંસ્કરણ આપવું. દાઉદભાઈને ગુજરાતીમાં સરળતાએ વહેતા અનુભવ્યા છે તેમ અંગ્રેજીમાં ય વાચનક્ષમ, વિચારક્ષમ રહ્યા છે. એમનું વાચન વિશાળ છે અને સંસ્કૃત સમેતની એમની જાણકારી સતત અનુભવાયા કરી છે. કેળવણીના આ પ્રકાંડ માણસે શિક્ષણ, કેળવણીના વિવિધ પાસાંઓ ખોલી સમજાવ્યા છે, તેમ એમનાં લખાણોમાં અંગ્રેજી શબ્દાવલિઓની છૂટેદોર બિછાત જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ આ અંગ્રેજી શબ્દોને, વળી, ગુજરાતીમાં શબ્દો રચી અવતાર્યા છે. આમ પરિણામે આપણા ગુજરાતીના વિધવિધ કોશો સમૃદ્ધ બનતા ગયા છે.

ગુજરાતી સાહિત્ય અકાદમીનો ત્રીસીનો અવસર તળ ગુજરાતે અમદાવાદમાં રંગેચંગે ઉજવવાનો અમે નિર્ણય કર્યો. એ 2009નું વરસ હતું. બે દિવસના આ અવસરના યજમાન દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ ‘ગુજરાતી લેક્સિકૉન’ હતાં. પહેલા દિવસે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં અવસર થયો. વિષય હતો : ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’. દાઉદભાઈનું વડપણ હતું. મકરન્દભાઈ મહેતા તથા શિરીનબહેન મહેતા સરીખાં ઇતિહાસકાર લેખકોએ બ્રિટનપ્રવાસને અંતે તૈયાર કરેલા અભ્યાસપુસ્તક – ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’નો લોકાર્પણ થવાનો હતો અને પુસ્તકે ઉઠાવેલા પ્રશ્નોને કેન્દ્રમાં રાખી જાહેર પરિસંવાદ પણ અવસરે યોજાયો હતો. લેખક દંપતી ઉપરાંત રઘુવીરભાઈ ચૌધરી, દિવંગત ઇલાબહેન પાઠક, કૃષ્ણકાન્તભાઈ વખારિયા, દિવંગત મંગુભાઈ પટેલ, સુદર્શનભાઈ આયંગાર પણ વક્તા તરીકે સામેલ હતાં.

દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી, એમ ક્ષમા કટારિયાએ “નિરીક્ષક”ના 16 જાન્યુઆરી 2009ના અંકમાં નોંધ્યું છે. આ નોંધ અનુસાર, દાઉદભાઈએ વિશેષે કહ્યું, પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.

ગુજરાતના આવા આવા પ્રવાસ ટાંકણે ‘ગુજરાતી વિશ્વકોશ ટૃસ્ટ’માં જવાનો યોગ થતો. દાઉદભાઈ ઘાંચીના વરિષ્ટ સાથીદાર દિવંગત ધીરુભાઈ ઠાકરનું એ સંતાન. ધીરુભાઈ સાથેનો વરસો જૂનો એક નાતો. આવી બેઠકોમાં જવાનું થાય તે વેળા દાઉદભાઈ પણ બહુધા હાજર હોય. ધીરુભાઈ ઠાકર મોટે ગામતરે સિધાવ્યા તે પછી કુમારપાળભાઈ દેસાઈએ મને મળવા સાંભળવાનો એક જાહેર કાર્યક્રમ યોજેલો. બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે રજૂઆત કરવાની હતી. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ “ઓપિનિયન”ની વિવિધ કામગીરીની મારે વાત કરવાની હતી. અને દાઉદભાઈ તેથી પૂરા માહિતગાર. એથી મને પોરસ ચડતો રહ્યો. 19 ડિસેમ્બર 2014ની એ વાત. દાઉદભાઈ એ સભાબેઠકના સભાપતિસ્થાને હતા. વળી આપણાં વરિષ્ટ સાહિત્કાર ધીરુબહેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. દાઉદભાઈને ઉમ્મર તેમ જ થાક બન્ને વર્તાતા હતા. અને તેમ છતાં હાજર હતા તેનું મને ગૌરવ હતું. તે દહાડે એમણે ય પોરસાવે તેવી વાતો કરીને બ્રિટનમાં થતાં આ કામોની વધામણી કરેલી.

“ઓપિનિયન” પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળાનો મંગળ આદર કરવાનો હતો. ઑક્ટોબર 2016નો સમગાળો હતો. પહેલા વક્તા તરીકે ડૉ. ભીખુભાઈ પારેખની પસંદગી થઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠનું સ્થળ હતું. અમને હતું કે સભાપતિપદે દાઉદભાઈ ઘાંચી જ હોય. અમે એમને અરજ કરી આગ્રહ કર્યો. વય, સ્વાસ્થ્યને કારણે અમારું આમંત્રણ એ સ્વીકારી શક્યા નહીં. પરંતુ દાઉદભાઈ સપત્ની અવસરે હાજર જરૂર રહ્યા હતા.

વચ્ચેના સમયગાળામાં, ફારૂકભાઈ ઘાંચીની દીકરીનું લગ્ન લેવાયું હતું. માતાપિતા તો સો ટકા હાજર, પણ દરેક ભાંડું પણ દેશપરદેશથી હાજરી આપવા શિપલી ઊલેટભર પધારેલાં. પંચમભાઈ શુક્લ જોડે પ્રસંગે જવાનું થયું હતું. પરિવાર સાથે, પરિવારના થઈને અમારે ય મહાલવાનું થયું હતું. તે દિવસે ય દાઉદભાઈએ અમારી જોડે આનંદે વાતચીત કરી અને વખત લઈને અમારાં કામોની લાગણીસભર પૂછતાછ કર્યા કરી.

સોમવાર, તારીખ 21 ઑગસ્ટ 2017ના દિવસે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં તથા અહમદ ‘ગુલ’ના જીવનકાર્યનું બ્રિટિશ ગુજરાતી સમાજ સંદર્ભે મૂલ્યાંકન કર્યું.

આરમ્ભે, સમારંભના પ્રયોજન વિશે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે મેં જણાવ્યું હતું કે, અકાદમી ચાળીસ વર્ષ પૂરાં કરે છે તે નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં જેમનું યોગદાન છે તેવી વિભૂતિઓનું બહુમાન કરવાનો પણ ઉપક્રમ છે. દાઉદભાઈએ ઠેઠ ગુજરાતમાં બેઠાં બેઠાં પણ બ્રિટનના ગુજરાતી સમાજની ગતિવિધિની ખેવના કરી છે. “ઓપિનિયન” સામયિકમાં પ્રગટ થયેલ એમનાં ચિંતનીય લખાણો આનું ઉદાહરણ છે. આપણા વસાહતી સમાજ પ્રત્યેની આ નિસબતની કદરરૂપે એમને આ શાલ અને સ્મૃતિલેખ સાદર કરીએ છીએ.

આ અવસરે અદમ ટંકારવી કહેતા હતા તેમ, ‘દાઉદભાઈ ધાંચીએ હમણાં જ આત્મદીપ્ત આવરદાનાં નેવું વર્ષ પૂરાં કર્યાં. વિદ્યાર્થી, શિક્ષક, વ્યાખ્યાતા, પ્રાદ્યાપક, આચાર્ય, ઉપકુલપતિ − આમ આખો જન્મારો શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા. શિક્ષણ એ જ એમનું જીવનકાર્ય. આ કાર્ય એમણે તપોનુષ્ઠાનના તાદાત્મ્યથી કર્યું તેથી એ તપસ્યા થઈ ગયું. દાઉદભાઈ નિષ્ઠા અને નિસબતનો પર્યાય. પોતાના શિષ્યો પ્રત્યેની નિસબત એવી કે એમના વિદ્યાર્થીઓને મન તો દાઉદસાહેબ ઋષિતુલ્ય.’

આ કવિમનીષી અદમભાઈએ તે દહાડે વ્યક્ત કરેલી લાગણીઓ ફેર દોહરાવી આપણે પણ મન મૂકીને કહીએ:

‘હાલમાં ખાનગીકરણ અને લાગવગશાહીને પગલે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે અધોગતિ અને અવદશા જોઈએ છીએ ત્યારે તો દાઉદભાઈના જીવનકાર્યનું અને પુરુષાર્થનું મૂલ્ય વધુ તીવ્રતાથી સમજાય છે. હરાયા ઢોર ભુરાંટ થઈ વિદ્યાધામોને ભેલાડી રહ્યાં છે ત્યારે ડચકારો કરી કે ડફણું લઈ એમને તગેડનાર કોઈ શિક્ષકના જીવની રાહ જોવાય છે. શૈક્ષણિક કટોકટીની આ ઘડીએ હૃદયમાં એવી એષણા જાગે છે કે, આપણા દુર્ભાગી દેશને યુગેયુગે દાઉદભાઈઓ મળતા રહે − May his tribe increase.’

પાનબીડું :


બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

                                                  — રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

હૅરો, 29 મે / 08 જૂન 2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

...102030...2,3482,3492,3502,351...2,3602,3702,380...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved