Opinion Magazine
Number of visits: 9575518
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છાણના દેવ, કપાસિયાની આંખો : જેવી સરકાર, તેવા સૉલિસિટર જનરલ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|30 May 2020


મોડે મોડેથી સર્વોચ્ચ અદાલતે શ્રમિકોની અવદશા ભણી જોયું છે અને સામે ચાલીને, સુઓ-મોટો, કેસ દાખલ કર્યો છે. તેનું નામ છેઃ ‘પ્રૉબ્લેમ્સ એન્ડ મિઝરીઝ ઑફ માઇગ્રન્ટ વર્કર્સ’. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ.આર. શાહની બનેલી બૅન્ચે ૨૮ મે, ૨૦૨૦ના રોજ આ કેસની સુનાવણી દરમિયાન સરકારને ઘણા સવાલ કર્યા અને નિર્દેશો પણ આપ્યા.

તેમાંથી કેટલીક વિગતો પ્રસાર માધ્યમોનાં મથાળાંમાં આવી છે. પરંતુ સુનાવણી દરમિયાન સરકારનો પક્ષ રજૂ કરનાર સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતો ખાસ જાણવા જેવી છે. આટલી મોટી મહામારી અને શ્રમિકોની સરકારસર્જિત કારુણી પછી, સોલિસિટર જનરલ (હવે પછી SG) કઈ ભાષામાં વાત કરી રહ્યા છે અને શ્રમિકોની પીડા અંગે દાદ માગનાર સામે સહાનુભૂતિને બદલે સતત શેરીયુદ્ધછાપ વળતા પ્રહારની મુદ્રામાં જ પેશ આવે છે, એ જોવા જેવું છે. હોદ્દાને ભાગ્યે જ શોભે એવા તેમના આ મિજાજ પરથી તેમના સાહેબોની માનસિકતાનો પણ ઠીક અંદાજ મળી રહે એમ છે.

સૌથી પહેલાં તેમના કેટલાક સંવાદ જોઈએ, જે ‘લાઇવ લૉ’ વેબસાઇટના સૌજન્યથી અહીં ટાંક્યા છે. (મૂળ સંવાદમાંથી ધ્યાન ખેંચવા માટે આ લેખ પૂરતા કેટલાક શબ્દો અને શબ્દપ્રયોગોનો રંગ બદલ્યો છે)

SG : મારી એક ફરિયાદ છે. કેટલાક મીડિયા રિપોર્ટ અને કેટલાક લોકો વિશે — હું બે ફરિયાદ નોંધાવવા માગું છું. એવા કેટલાક લોકો છે — ‘પ્રૉફેટ ઓફ ડૂમ’ (કાળવાણી કાઢનારા) — જે ખોટી માહિતી ફેલાવે છે. દેશ માટે જરા ય વિવેક દર્શાવતા નથી. આ લોકો સોશિયલ મીડિયા પર લખ્યા કરે છે ને ઇન્ટરવ્યૂ આપતા ફરે છે. (સરકાર દ્વારા) જે થાય છે તેની સાદી પહોંચ સુદ્ધાં તે આપી શકતા નથી. રાજ્ય સરકારો અને મંત્રીઓ રાત જાગીને કામ કરી રહ્યા છે. તેની નોંધ લેવા જેટલો દેશપ્રેમ પણ તેમનામાં (ટીકાકારોમાં) નથી. માનવજાત સૌથી કઠણ પડકારનો સામનો કરી રહી છે. છે. કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ને અટકાવવા માટે ઘણું કરી રહી છે, પણ આપણા દેશમાં રહેલા પ્રોફેટ્સ ઓફ ડૂમ નકારાત્મકતા, નકારાત્મકતા અને નકારાત્મકતા જ ફેલાવી રહ્યા છે. આ આર્મ ચેર ઇન્ટલેક્ચુઅલ્સ રાષ્ટ્રના પ્રયાસોને જોઈ શકતા નથી.

એક ફોટોગ્રાફર ૧૯૮૩માં સુદાન ગયો. ત્યાં એક બાળક બેહાલ અવસ્થામાં પડ્યું હતું અને ગીધ બાળકના મૃત્યુની રાહ જોતું બેઠું હતું. ફોટોગ્રાફરે એ ફોટો પાડ્યો. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં એ ફોટો છપાયો અને ફોટોગ્રાફરને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું. ચાર મહિના પછી તેણે આત્મહત્યા કરી લીધી. એક પત્રકારે તેને પૂછ્યું હતું, ‘પછી બાળકનું શું થયું?’ ફોટોગ્રાફરે કહ્યું, ‘મને ખબર નથી. હું તો ઘરે આવી ગયો હતો’. એટલે પત્રકારે તેને પૂછ્યું, ‘ત્યાં કેટલાં ગીધ હતાં?’ ફોટોગ્રાફરે કહ્યું ‘એક’. પત્રકાર કહે, ‘ના, બે હતાં. એકના હાથમાં કૅમેરા હતો’.

આ આર્મચેર એક્ટિવિસ્ટોને ન્યાયાધીશો તો જ તટસ્થ લાગે, જો તે સરકારની ઝાટકણી કાઢે. મુઠ્ઠીભર લોકો જ આખી સંસ્થા પર કબજો કરવા માગશે તો એ.ડી.એમ. જબલપુરના કિસ્સા જેવું થશે. (શ્રમિકોના મામલામાં) દરમિયાન થવા માગતા બધા લોકોએ બાળક અને ગીધવાળી વાત યાદ રાખવા જેવી છે.

પૂછવા જેવો સવાલ તો એ છે કે તેમણે શું પ્રદાન કર્યું? અદાલતે તેમને તેમના પ્રદાન વિશે એફિડેવિટ ફાઇલ કરવા કહેવું જોઈએ? સોશિયલ મીડિયા પર લખવા સિવાય, લેખો લખવા સિવાય કે ઇન્ટરવ્યૂ આપવા સિવાય? સફાઈ કર્મચારીથી માંડીને વડાપ્રધાન સુધીના લોકો અણથક કામ કરી રહ્યા છે.

કોઈને આ પ્લેટફોર્મ રાજકીય ઉપયોગ માટે વાપરવા ન દેતા. (શ્રમિકોનો મુદ્દો લઈને) અદાલતમાં આવનારા લોકોને પહેલાં એમના પ્રદાનની એફિડેવિટ ફાઇલ કરવા દો.

જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલઃ સંસ્થાના હિસ્સારૂપ વ્યક્તિઓ જ માનતી હોય કે તેં સંસ્થાને ઉતારી પાડી શકે છે, તો તે કમનસીબ છે. આપણે આપણા અંતરાત્મા પ્રમાણે વર્તવું જોઈએ.

SG : કેટલીક હાઇ કોર્ટો સમાંતર સરકાર ચલાવી રહી છે.

***

આગળની વાતો સોલિસિટર જનરલે અદાલત સમક્ષ કરેલી આરંભિક રજૂઆતમાંથી લીધી છે. તેમાંથી ધ્યાન ખેંચે એવી કેટલીક બાબતોઃ

૧) સરકારના અણઘડ-અસંવેદનશીલ મૅનેજમૅન્ટની ટીકા કરનારા સામે SG પ્રાથમિક ધોરણે દેશ, દેશપ્રેમ, દેશ માટેનો વિવેક વચ્ચે લઈ આવે છે અને એવું સિદ્ધ કરવા માગે છે કે સરકારની ટીકા કરનારા બધા દેશવિરોધી છે અથવા તેમને દેશ માટે લાગણી નથી. આ તરકીબ જૂની ભલે થઈ, પણ સરકારને લાગે છે કે તે હજુ અસરકારક નીવડી શકે છે — ખાસ કરીને સરકારને વર્તમાન શરમજનક સ્થિતિમાંથી ઓછામાં ઓછા રાજકીય નુકસાન સાથે બહાર કાઢવામાં.

૨) બીજું શસ્ત્ર એટલે સચ્ચાઈને નકારાત્મકતા તરીકે ખપાવી દેવી અને પછી નકારાત્મકતાની ટીકા કરવી. આવી કહેવાતી, સગવડિયા અને કુશાસન પ્રત્યે આંખમીંચામણાંના પર્યાય જેવી હકારાત્મકતા વિશે આ પાનાં પર અગાઉ ઘણું આવી ચૂક્યું છે. તેના પુનરાવર્તનની જરૂર નથી.

૩) કરુણ સચ્ચાઈ બતાવતા પત્રકારો ને તસવીરકારો ખૂંચે છે. એટલે તેમને ગીધ તરીકે બદનામ કરી દેવાય તો નિરાંત થાય. જેમનાં પોતાનાં નાક કપાયેલાં હોય તેમને ખબર હોય છે કે પોતાનું નાક તો સાંધી શકાય તેમ નથી. એવા સંજોગોમાં શરમ કેમ છુપાવવી અને કેમ કરીને લાજવાને બદલે ગાજતા ફરવું? સિમ્પલઃ નાકવાળા લોકોનાં નાક પણ કાપવા માંડો. એટલે આપોઆપ બધા સરખા લાગશે, પછી રહેશે ફક્ત  નકટાઓ અને તેમાં તો આપણને કોણ પહોંચે એમ છે? બાકી, સરકાર રાતદિવસ જાગે છે તો પત્રકારો પણ રાતદિવસ એક કરીને પરિસ્થિતિ ઉજાગર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં કોરોનાગ્રસ્ત પણ બની રહ્યા છે. પણ પોતાનું કામ નિષ્ઠાથી કરવા બદલ તેમને દેશના SG તેમની સરખામણી ગીધ સાથે કરવી જોઈએ, એવો ઈશારો કરે છે — અને હા, કાશ્મીરના ફોટોગ્રાફરોને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું તેની બળતરા પણ કાબૂમાં રહી શકતી નથી અને આવા ઠેકાણે પણ ફૂટી નીકળે છે.

૪) શ્રમિકોની મુશ્કેલી માટે અદાલતમાં આવનારાને સરખા જવાબ આપવાને બદલે તમે શું કર્યું? એવું દેશનો સોલિસિટર જનરલ પૂછે તે ‘વૉટઅબાઉટરી’ એટલે કે ‘ત્યારે-તમે-ક્યાં-હતા’ માનસિકતાનો કનિષ્ઠ નમૂનો છે. આ સરકારને કોઈ સવાલ પૂછે તેની એટલી બધી ચીડ હોય એમ લાગે છે કે પોતે લોકોને ઉત્તરદાયી છે એ વાત તેના વર્તનમાં ક્યાં ય દેખાતી જ નથી. અદાલતો કાંઠલા પકડીને પૂછે નહીં, ત્યાં સુધી તો તે પ્રશ્ન પણ સાંભળતા નથી – સીધા વળતા પ્રહાર માટે મચી પડે છે અને અદાલત પૂછે ત્યારે સાચા જવાબ આપવાને બદલે બીજાં તિકડમ લડાવે છે.

૫) પાછા અદાલતને પણ યાદ અપાવી દે છે કે આ લોકો તો તમારા વિશે પણ ખરાબ બોલે છે. (મતલબ, તમે આવા લોકોની વાત ગણકારશો?) પરંતુ કેટલાંક રાજ્યોની હાઇ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા આદેશ આપ્યા એ તેમનાથી સહન થતા નથી અને બખાળાબાજીમાં બોલી જાય છે કે કેટલીક હાઇ કોર્ટો સમાંતર સરકાર ચલાવે છે. તેમની આ વાત પરથી તેમના મનમાં અદાલતો માટે કેવો ભાવ છે, તે પણ સ્પષ્ટ થઈ જાય છે.

***

હવે કેટલીક વ્યક્તિઓ સાથે આ દેશના સોલિસિટર જનરલનો દલીલ કરવાનો અંદાજ જુઓઃ

અદાલતઃ શ્રમિકોની નોંધણી, પરિવહન અને ભોજન-પાણીની વ્યવસ્થામાં ઘણાં ગાબડાં અમારા ધ્યાને આવ્યાં છે. નોંધણી પછી પણ પોતાના વારા માટે શ્રમિકોએ બહુ વખત સુધી રાહ જોવી પડે છે.

ધારાશાસ્ત્રી ઇન્દિરા જયસિંઘઃ ચાર કરોડ સ્થળાંતરિત શ્રમિકો પાછા જવાની રાહ જોઈને બેઠાં છે. SG કહે છે કે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે વપરાતી ટ્રેનો બીજે વાળી શકાય નહીં. પણ અત્યારે કુલ ૩ ટકા ટ્રેનો વપરાઈ રહી છે.

SG: તમે જેમને પાછા જવું નથી એવા બાકીના શ્રમિકોને પાછા જવા માટે ઉશ્કેરી રહ્યા છો?

ઇન્દિરા જયસિંઘઃ (ટ્રેનોનું પ્રમાણ) અમે રેલવેની અખબારી યાદીમાંથી સંખ્યા આપી છે અને સ્થળાંતરિત શ્રમિકોનો આંકડો કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રત કરાયેલા એક અહેવાલમાંથી ટાંક્યો છે.

ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલઃ વર્તમાન સ્થિતિમાં બધા શ્રમિકોને ઘરે પહોંચતાં ત્રણ મહિના લાગી જશે.

SG: એ લોકો ઘરે જવા માગતા નથી, એ સમજાય છે તમને?

સિબ્બલઃ એવું તમે શી રીતે કહી શકો?

SG: મેં કહ્યું ને કે લોકો સ્થાનિક ઉશ્કેરણીને કારણે પગપાળા નીકળી પડ્યા હતા.

સિબ્બલઃ આ હ્યુમેનિટેરિઅન (લોકહિતને લગતી) કટોકટી છે. તેને રાજકારણ સાથે કશી લેવાદેવા નથી ને તેને અંગત રીતે લેવાની જરૂર નથી.

SG: આ રાજકીય મંચ ન બનવો જોઈએ.

સિબ્બલઃ આ હ્યુમેનિટેરિઅન કટોકટી છે.

SG: આ કટોકટીમાં તમારું શું યોગદાન છે?

સિબ્બલઃ ચાર કરોડ રૂ. એ મારું યોગદાન છે.

અદાલતઃ (બિહારના સરકારના ધારાશાસ્ત્રીને) તમારું રાજ્ય એક માત્ર એવું રાજ્ય છે, જે ટિકિટના રૂપિયા પાછા આપે છે. પણ માણસ પાસે (ટિકિટ ખરીદવાના) રૂપિયા તો હોવા જોઈએ ને. કોઈ શ્રમિક પાસેથી ભાડું વસૂલવાનું નથી. એ ખર્ચ માટે રાજ્યો વચ્ચે ગોઠવણ થવી જોઈએ.

બિહાર સરકાર વતી ધારાશાસ્ત્રી મનીષ કે. સિંઘવીઃ મેં તો સાંભળ્યું છે કે ટિકિટના રૂપિયા કેન્દ્ર-રાજ્ય ૮૫ ટકા-૧૫ ટકાના ધોરણે ચૂકવવાનાં છે.

SG: દરેક રાજ્યનું જુદું આયોજન છે.

***

સુનાવણીની શરૂઆતમાં અદાલતે વતન પાછા ફરતા શ્રમિકોના રેલવેના ભાડા બાબતે શી સ્થિતિ છે તેની ચોખવટ પૂછી. SGનો જવાબ હતોઃ શ્રમિકો જ્યાંથી બેસે તે રાજ્ય ટિકિટનો ખર્ચ ભોગવે છે કે પછી શ્રમિકો જ્યાં પહોંચ તે રાજ્ય એ ખર્ચ ભોગવે છે. કેટલાક કિસ્સામાં, શ્રમિકો જ્યાં પહોંચે છે તે રાજ્યો તેમને ટિકિટના રૂપિયા ચૂકવી આપે છે … શ્રમિકોનું ટિકિટભાડું કેન્દ્રસ્તરેથી નક્કી કરી શકાય નહીં. માટે એ રાજ્યો પર છોડી દેવાયું છે. (આપણને સવાલ થાય કે શ્રમિકો પાસેથી ભાડું લેવું જ નહીં, એવું તો કેન્દ્ર નક્કી કરી શકે કે નહીં? રેલવે તો કેન્દ્રની માલિકીની છે.) અદાલતે કહ્યું કે ‘શ્રમિકોને ખબર ન હોય કે કયું રાજ્ય ભાડું ચૂકવશે કે તેમની પાસે પરિવહનની કોઈ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં. માટે આ બાબતે એકસરખી નીતિ હોવી જોઈએ. નહીંતર ગુંચવાડા થશે.’ ત્યાર પછી અદાલતે બધા સ્થળાંતરિતોને તેમના વતન પહોંચાડવા માટે કેટલો સમય લાગશે અને પ્રવાસ માટે નોંધણી કર્યા પછી તેમને કેટલો સમય રાહ જોવી પડે છે, તે પૂછ્યું. અદાલતના વધુ કેટલાક સવાલ હતાઃ ‘જેમને હજી લઈ જવાના બાકી છે, તેમની પાસેથી કોઈ પણ તબક્કે કોઈ પણ પ્રકારની રકમની માગણી કરવામાં આવી છે? ફુડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે અનાજનો પૂરતો જથ્થો છે, એવા સંજોગોમાં પાછા જવાની વાટ જોતા લોકોને અન્ન પૂરું પાડવામાં આવે છે? તેમને જ્યાં જવું છે ત્યાં પહોંચાડવામાં કેટલો સમય લાગશે? તેમની અન્ન અને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેની દેખરેખ માટે શી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે?’ અદાલતે કહ્યું કે કેન્દ્ર સરકાર કશું કરતી નથી એવું અમે કહેતા નથી. પણ હજુ ‘બીજાં પગલાં લેવાની જરૂર છે.’

SGએ જવાબ આપતાં કહ્યું કે આશરે ૧ કરોડ સ્થળાંતરિતોને અત્યાર લગીમાં તેમના સ્થાને પહોંચાડી દેવાયા છે. ઘણાં ઠેકાણે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થતાં શ્રમિકોએ પાછા જવાની ના પાડી છે. તેનો અંદાજ રાજ્યો વધુ સારી રીતે આપી શકશે.

અદાલતે ફરી પૂછ્યું, ‘સ્થળાંતરિતોને તેમના સ્થાને પહોંચાડવામાં કેટલો સમય લાગશે? તે માટે શી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે? તેમને ખબર છે કે તેમને પાંચમા કે સાતમા કે દસમા દિવસે લઈ જવામાં આવશે? એક માણસને કહેવામાં આવ્યું હોય કે તેને પાછો લઈ જવામાં આવશે તો કંઈક તો ઠેકાણું હોય ને કે તેને અઠવાડિયામાં કે દસ દહાડામાં લઈ જવાશે. એ સમયગાળો કેટલો છે?’

SGએ કહ્યું કે તેને લગતી ચોક્કસ માહિતી રાજ્યો પાસે હશે અને રાજ્યો તેને લગતો અહેવાલ સુપ્રત કરી શકે. ‘હું માહિતી એકત્ર કરીને પાછો આવીશ. એ વ્યવસ્થા રાજ્યસ્તરે ગોઠવાયેલી છે. એટલે તેમની પાસેથી માહિતી મેળવવી પડશે. હું જવાબદારી તેમના માથે નાખી રહ્યો નથી. રાજ્યો એકબીજા સાથે મળીને કામ કરી રહ્યાં છે.’

અગાઉ SGએ અદાલતને માહિતી આપતાં કહ્યું હતું કે ટ્રેનો થકી રોજના ૧.૮૫ લાખ શ્રમિકોને લઈ જવાયા છે. એ પ્રમાણે, ૫૦ લાખ શ્રમિકો ટ્રેનથી અને ૪૭ લાખ શ્રમિકોને સડકરસ્તે લઈ જવાયા છે. તેમણે કહ્યું કે ભારતીય રેલવે તરફથી ૮૪ લાખ ભોજન મફત આપવામાં આવ્યાં છે. ‘રેલવે દ્વારા ભોજન અને પાણી મફત અપાય છે. પહેલું ભોજન રાજ્ય સરકાર તરફથી હોય છે. એક વાર ટ્રેન ચાલુ થાય ત્યાર પછી રેલવે ભોજન આપે છે. મુસાફરી ટૂંકી હોય તો એક ભાણું ને લાંબી હોય તો બે ભાણાં.’

SGએ કહ્યું કે શ્રમિકોને પડેલી મુશ્કેલીઓના કેટલાક ‘છૂટાછવાયા બનાવો’ને મીડિયામાં વારંવાર બતાવવામાં આવે છે. ‘છૂટાછવાયા બનાવો વારંવાર બતાવવાને કારણે ઘેરી અસર પડે છે.’ તેમણે કહ્યું કે ‘ઘણા કિસ્સામાં સ્થાનિક ઉશ્કેરણીને કારણે શ્રમિકો ચાલતા જવા પ્રેરાયા. ચાલતા લોકો વિશે સરકારને (રાજ્યને) જેવી ખબર પડે કે તરત બસ તેમની પાસે પહોંચે છે અને તેમને નજીકના રેલવે સ્ટેશને લઈ જાય છે.’

***

ટૂંકમાં, સોલિસિટર જનરલની આક્રમક રજૂઆત પરથી એવું લાગે કે છૂટાછવાયા બનાવો સિવાય બધા શ્રમિકોનું સરકાર બરાબર ધ્યાન રાખી રહી છે, શ્રમિકોની પીડાને લગતા જે સમાચાર આવે છે તે નકારાત્મકતા કે પુનરાવર્તનનું પરિણામ છે. પીડિતોનાં વિરોધ પ્રદર્શન જ નહીં, દેશભરમાંથી લાખો લોકો સડક પર ચાલતા વતન જવા નીકળી પડે તેમાં સોલિસિટર જનરલને સ્થાનિક ઉશ્કેરણી જવાબદાર લાગે છે. શું અમદાવાદ કે શું દેશ, આ સરકારનું મિથ્યાભિમાન તેના કેટલાક અફસરોમાં એવું ઊતરી આવ્યું છે કે એ લોકો સચ્ચાઈનો ધરાર અને મક્કમતાપૂર્વક અસ્વીકાર કર્યે જ જાય છે.

સુનાવણી પછી અદાલતે કેટલાક વચગાળાના હુકમ આપ્યાઃ

૧) સ્થળાંતરિત શ્રમિકો પાસેથી બસ કે ટ્રેનનું ભાડું લેવું નહીં. રેલવે ભાડું રાજ્ય સરકારોએ ભોગવવું.

૨) સ્થળાંતરિત શ્રમિકોને સંબંધિત રાજ્યોએ કે કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમનો મુસાફરીનો વારો ન આવે ત્યાં સુધી ભોજન પૂરું પાડવું અને ભોજન ક્યાં પૂરું પાડવામાં આવશે, તે સ્થળની જાહેરાત કરવી.

૩) ટ્રેન મુસાફરી માટેનું પાણી અને ભોજન ટ્રેન જ્યાંથી ઉપડી હોય એ રાજ્યે પૂરું પાડવું. ભોજન અને પાણી બસોમાં પણ આપવું.

૪) શ્રમિકોની નોંધણી થાય અને તેમને વહેલી તકે પરિવહન મળે તેનું ધ્યાન રાજ્યે રાખવું.

૫) સડક પર ચાલતા દેખાય એ સૌ સ્થળાંતરિત શ્રમિકોને તત્કાળ આશ્રયગૃહમાં લઈ જવા અને તેમને ભોજન તથા બીજી બધી સુવિધા પૂરી પાડવી.

(SGએ કહ્યું, અમે એ કરી જ રહ્યા છીએ. યૉર લૉર્ડશીપ, આ નિર્દેશોથી વધુ લોકોને ચાલવાનું પ્રોત્સાહન મળશે.)

૬) રાજ્ય સરકારો જ્યારે ટ્રેનની માગણી કરે ત્યારે કેન્દ્ર સરકારે તે પૂરી પાડવી..

અદાલતે સરકારને પ જૂન,૨૦૨૦ સુધીની મુદ્દત આપી છે. પ જૂને સરકાર અદાલતમાં શ્રમિકોને લગતી માહિતી આપશે. ત્યારે પણ તેમનો અંદાજ બદલાશે કે નહીં, એ અત્યાર સુધીના વર્તન પરથી કલ્પી શકાય છે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020

Loading

ગઝલ

પારુલ ખખ્ખર|Poetry|30 May 2020

સનસનીખેજ થઈ ખબર સૂતી,
છીનવી બાળનું છતર સૂતી.

આભ ઓઢી ધરાના પાથરણે,
જીવતીજાગતી કબર સૂતી.

પીળ કાઢો ને ચીર ઓઢાડો,
એક નારી લઘર-વઘર સૂતી.

બાળ એનો જીવાડશે એને,
થઈને ઇતિહાસમાં અમર સૂતી.

આપસૌને શરમમાં ડુબાડી,
ભર બજારે શરમ વગર સૂતી.

લે હવે બાઈ, મોક્ષ પામી જા,
આમ ના જો ટગર-ટગર સૂતી.

કોણ તારા મરશિયા લખવાનું?
પેન બેહોશ, બેઅસર સૂતી.

ક્યાંય આઘે નથી બની આ બીના,
લ્યો કવિ, આપને નગર સૂતી.

Loading

મહામારી અને યુવાનોનો રાજનીતિ પ્રત્યેનો અભિગમ

ગૌરાંગ રાવલ, ગૌરાંગ રાવલ|Opinion - Opinion|30 May 2020

વિશ્વ આખું ય સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે યુવાનો પર નિર્ભર છે. યુવાનો જ વિશ્વની રાજનીતિ, આર્થિક પરિસ્થિતિ અને સામાજિક બદલાવ નક્કી કરે છે. ભારત દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે, કેમ કે વિશ્વમાં સૌથી વધુ યુવાનોની વસ્તી ભારત દેશમાં છે. કોવિડ મહામારીની અસર પણ સૌથી વધુ યુવાનો પર પડી છે અને આવનારા સમયમાં એ અસર ખૂબ જ નોંધપાત્ર રીતે જોવા મળશે. કોવિડ મહામારીની યુવાનો પર માનસિક, સામાજિક, આર્થિક અને રાજકીય અસર જોવા મળી રહી છે. માનસિક, સામાજિક અને આર્થિક અસર યુવાનોની રાજકીય સમજ નક્કી કરશે કે નહિ એ અત્યારે કહેવું મુશ્કેલ છે પણ મહામારીના સમયે બહુ જ નોંધપાત્ર સંખ્યામાં યુવાનો રાજકીય નીતિઓ અને કાર્યશૈલી વિષે પોતાનાં મંતવ્યો જણાવતા થયા છે. ઘણા યુવાનો જે મહામારી પહેલાં પોતાના રાજનૈતિક વિચારો ખૂલી રીતે વ્યક્ત કરતા ના હતા તેઓ પણ હવે ખૂલીને પોતાના મંતવ્યનો રજૂ કરતા થયા છે.

અગાઉની પેઢી મહામારી પહેલાં પણ રાજનૈતિક વિચારોમાં પોતાનો અવિશ્વાષ, નારાજગી, અને અસંતોષ વ્યક્ત કરતા હતા પણ છેલ્લા ત્રણ દાયકામાં, ખાસ કરી ને ભારત દેશમાં યુવાનોના માનસ પર  રાજકારણ એ 'એક ગંદો અખાડો' છે તેવું પ્રસ્થાપિત કરી તેમના વિચારો અને તેમના પ્રતિકારને દબાવી દેવામાં આવ્યા છે. પરંતુ કોવિડ મહામારી અને તાળાબંધીની અસર સમાજના દરેક વર્ગ પર થઇ છે ત્યારે યુવાનો પણ રાજકારણ પ્રત્યે પોતાનો અભિગમ બદલી રહ્યા છે.

આ મહામારીમાં સરકારે કેવું કાર્ય કર્યું, શું કરવું જોઈતું હતું, સરકારની ક્યાં ભૂલ થઇ, સરકારની કાર્યશૈલીને લીધે કેટલી અનિશ્તિચતાઓ આવી, હવે આગળ સરકાર શું કરશે, તેનું શું પરિણામ આવશે આવા દરેક મુદ્દા પર યુવાનો ચર્ચા કરતા થયા છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક ક્ષેત્રના નેતાઓનાં કાર્યો અને તેમણે આપેલાં નિવેદનો પર યુવાનો માર્મિક ટિપ્પણીઓ કરતા થયા છે. દરેક રાજકીય પક્ષના આઈ.ટી સેલ દરેક વખતની જેમ આ વખતે પણ ખૂબ સક્રિય છે અને યુવાનોના માનસને પોતાના તરફી વળાય તેવા પ્રચાર ચલાવી રહ્યા છે. પણ આ વખતે અલગ વાત એ છે કે યુવાનો આ પ્રચારથી પ્રભાવિત થયા વગર પોતાના વ્યક્તિગત રાજનૈતિક વિચારો પ્રગટ કરી રહ્યા છે જે મૉટે ભાગે રાજકીય પક્ષોના પ્રચાર કરતાં વિપરીત છે.

જો યુવાનો પોતાનો રાજનૈતિક અભિગમ અને તેને વ્યક્ત કરવાની શરૂઆત કરી રહ્યો છે તો ચોક્કસ સવાલ થાય કે આ બદલાવ શા માટે આવ્યો/આવી રહ્યો છે? તેનાં સચોટ કારણો શોધવા મુશ્કેલ છે પણ સામાન્ય સામાજિક સમજ અને અવલોકનથી અમુક કારણો નોંધી શકાય :

1) સરકારની યુવાનો માટેની નીતિ

વૈશ્વિક મહામારીની અસર ખાસ કરીને યુવાનો પર પડશે અને યુવાનો જ વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે તેવી સમજ દુનિયાની દરેક સરકારને છે. કેટલા ય દેશોમાં યુવાનોનાં માનસિક સ્વાસ્થ્ય અને મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન નંબર શરૂ થઈ છે. યુવાનો તાળાબંધીમાં એકલતા અનુભવી રહ્યા છે, ભવિષ્યની અનિશ્ચિતતા અને પ્રશ્નોનું સમાધાન પરિવારના સભ્યો કે ન્યુઝ ચેનલની ખબરો આપી શકતા નથી. આવા સમયે યુવાનની ઓળખની ગોપનીયતા જળવાઈ રહે અને તેને સલાહ આપી શકે તેવા કોઈ ખાસ પ્રયાસો યુવાનોએ અનુભવ્યા નથી. થોડી યુનિવર્સિટીઓએ સામે ચાલીને કાઉન્સિલિંગ સેલ ઊભા કર્યા છે પણ તે અત્યંત માર્યાદિત રીતે કાર્ય કરે છે. સરકાર દ્વારા યુવાનોનાં માનસિક સ્વાસ્થ્યને બિલકુલ મહત્ત્વ નથી અપાયું એ સ્પષ્ટ રીતે યુવાનો સમજી રહ્યા છે.

2) શ્રમિકોની સ્થિતિ

ભારત દેશે, આઝાદી વખતેના ભાગલા પછી, લગભગ પહેલી વાર આટલા મોટા પ્રમાણમાં શ્રમિકોનું આંતરિક સ્થાનાંતર જોયું છે. ખાસ કરીને યુવાનો માટે આવો અનુભવ અવિશ્વશનીય છે.  યુવાનો ટી.વી. અને સોશિયલ મીડિયાના માધ્યમોથી શ્રમિકોની કપરી હાલત જોઈ રહ્યા છે. કેટલા ય યુવાન શ્રમિકો, જેઓ વેદના અને મુશ્કેલીઓ વેઠી પોતાના વતન પરત ફર્યા છે તેઓ કદી ફરી મોટા શહેરોમાં મજૂરી કરવા નહિ જાય તેવા સોગંદ લઇ રહ્યા છે. યુવાન શ્રમિકો ખૂલીને પોતાને મદદ ન મળી હોવા માટે સરકારની નીતિ પર પ્રશ્નો પૂછી રહ્યા છે તો બીજી તરફ મધ્યમ વર્ગના યુવાનો પણ  શ્રમિકોની દયનીય હાલત માટે સરકાર સામે સવાલ કરી રહ્યા છે. એક નાનું બાળક તેની મૃત માંને રેલવે પ્લેટફોર્મ પર જગાડવાનો પ્રયાસ કરે છે તો બીજી તરફ એક સોળ વર્ષની દીકરી પોતાના પિતાને 1,600 કિલિમીટર સાયકલમાં પોતાને વતન લઇ જાય છે. આવાં અનેક દ્રશ્યોએ યુવાનોને વ્યથિત કરી દીધા છે. સરકારી ટ્રેન રસ્તો ભૂલી જાય અને મંત્રીઓ તેનો ગોળમોળ જવાબ આપે જ્યારે બીજી બાજુ સોનુ સૂદ જેવા બૉલીવુડ સ્ટાર એકલા હાથે હજારો શ્રમિકોને કોઈ પણ તકલીફ વિના સુરક્ષિત પોતાને વતન મોકલાવે ત્યારે યુવાનો ખૂલીને પ્રશ્નો કરતા થયા છે કે જો સોનુ સૂદ આ કાર્ય એકલે હાથે કરી શકતો હોય તો સરકાર ચાહે તો શું કરી શકી હોત ?

3) અવિશ્વાસ

24મી માર્ચે જ્યારે દેશમાં તાળાબંધી જાહેર થઇ ત્યારે દેશને મોટા ભાગના નાગરિકોએ આ નિર્ણયનું અભિવાદન કર્યું હતું. યુવાનોએ તો ઉમંગભેર બાલ્કનીઓમાં થાળીઓ પણ વગાડી અને દીવાઓ પણ પ્રગટાવ્યા. શરૂઆતના તબક્કામાં જે પણ માહિતી મળતી તે માહિતી યુવાનોએ માની લીધી પણ ધીમે ધીમે ખોટા સમાચારો(ફેક ન્યુઝ)ની શરૂઆત થઇ. કોવિડની રસી શોધાઈ ગઈ છે, કોઈ એક સમાજ ભારતમાં કોવિડ ફેલાવવા માટે જવાબદાર છે, માખી પણ કોવિડ વાઇરસ ફેલાવે છે, મે મહિનાના તડકાથી કોવિડનાં જીવાણુઓ નાશ પામશે, આ વાયરસ યુવાનોને ઓછો અસર કરશે, મેલેરિયા માટે વપરાતી હાઈડ્રોકસિકલોરોકવીન દવાથી વાયરસ મટાડી શકાય જેવા કેટલા ય ખોટા સંદેશાઓથી યુવાનો વધુ અને વધુ મૂંઝવણમાં મુકાયા.

અમિતાભ બચ્ચન એવું ટ્વીટ કરે કે માખી પણ વાયરસ ફેલાવી શકે છે તો મોટા ભાગના યુવાનો આ માહિતીને સાચી જ માનવાના. કોઈ એક નેતાએ તો ‘ગો … કોરોનો ગો ..' ગીત પણ રજૂ કર્યું જે કેટલા ય યુવાનોએ સાચું માની, થાળી વગાડતાં વગાડતાં ગયું પણ ખરું. પણ ન તો અમિતાભ બચ્ચનની માહિતી સાચી પડી કે ન 'ગો કોરોના ગો' ગીત ગાવાથી કોરોના દેશ છોડી જતો રહ્યો. સરકાર દ્વારા આવી ખોટી માહિતીને અટકાવવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાયા અને આવી માહિતીનો વ્યાપ વધતો જ ગયો. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ શરૂઆતમાં જાહેરાત કરી કે લોકોએ માસ્ક પહેરવો જરૂરી નથી, માત્ર જે લોકો કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવ્યા છે તેઓ જ માસ્ક પહેરે. બે મહિના પછી આખા ય ગુજરાતમાં માસ્ક પહેરવું સરકારે અનિવાર્ય કરી નાખ્યું. તાળાબંધીના શરૂઆતના તબ્બકાઓમાં આશ્વાશન આપવામાં આવ્યું હતું કે જીવન જરૂરી વસ્તુઓ ચોક્કસ મળી રહેશે અને અચાનક એક સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે જાહેર કર્યું કે એક અઠવાડિયા માટે દવા અને દૂધ સિવાય બીજું બધું જ બંધ રહેશે. લોકો એ દિવસે સાંજે એટલા ગભરાઈ ગયા કે કરિયાણાની દુકાને ભીડ ઊભી થઇ. સરકાર દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશ અને આશ્વાસન  પર જ સવાલ ઊભા થવા લાગ્યા.

અને સૌથી મહત્ત્વની ઘટના એ બની કે જ્યારે યુવાનો સાચી અને ખોટી માહિતી સમજવા ઝઝૂમી રહ્યા હતા ત્યારે ગુજરાત સરકારે આધિકારિક પ્રેસ કોન્ફરન્સ જ બંધ કરી દીધી. એટલે સરકાર તરફતથી મળતી આધિકારિક માહિતી જ બંધ થઇ ગઈ. યુવાનો સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે ચોક્કસ અને સ્પષ્ટ માહિતી તેમને મળે પરંતુ તેનાથી વિપરીત અભિગમને કારણે યુવાનોમાં વિશ્વાસ અને અનિશ્ચિતતાઓ ઊભી થઇ છે.

4) પ્રાથમિકતાઓની સમજ

યુવાનો ભલે સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજને ન સમજી શક્યા હોય પણ દેશની પ્રાથમિકતાઓને તો ચોક્કસ સમજી રહ્યા છે. યુવાનો પહેલેથી જ અર્થતંત્ર, નોકરી અને રોજગારને લઇને ચિંતિત હતા ત્યાં આ મહામારીએ તેમને આરોગ્ય, જીવનિર્વાહ માટેના વેતન, મૂળભૂત આવક, ભવિષ્યમાં મહામારી સામે લડવાની સજ્જતા માટેની નીતિઓ, સંશોધનો અને વૈજ્ઞાનિક પ્રગતિને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે. કેટલા ય યુવાનો સીધી રીતે પ્રશ્નો કરે છે કે સરકારે મહોત્સવો અને પ્રોગ્રામો કરવા કરતાં હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો પર ખર્ચ કરવાની જરૂર છે. યુવાનો આરોગ્ય માટેની આધારભૂત વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની શરૂ કરી રહ્યા છે. મોટા મોટા સ્ટેડિયમ કે બિલ્ડીંગો કરતાં તેઓ આરોગ્યના મૂળભૂત માળખાં વિકસાવવામાં ગૌરવ લેવાનું પસંદ કરી રહ્યા છે.

આ સિવાય પણ બીજાં કારણો હોઈ શકે જેથી યુવાનો હવે રાજનૈતિક વિચારો વ્યક્ત કરવા લાગ્યા છે. યુવાનોની બદલતી સમજ, પ્રાથમિકતાઓ અને પ્રશ્નો ચોક્કસ રીતે રાજકીય વિચારોમાં બહાર આવી રહ્યા છે પણ શું તે લાંબા સમય સુધી રહેશે? બની શકે કે લાંબા ગાળે આજના યુવાનો અગાઉની પેઢીની જેમ રાજકીય માળખા પ્રત્યે નિરસ થઇ જાય. એવું પણ બને કે યુવાનો જે કઈ પણ મહામારીમાં અનુભવી રહ્યા છે તે અનુભવો તેમને કોઈ એક ચોક્કસ રાજકીય વિચારસરણી તરફ લઇ જાય. હાલમાં દેશમાં કોઈ મોટી ચૂંટણી નથી જે દેશના મોટા ભાગના યુવાનોનો મિજાજ પારખી શકે. એટલે યુવાનોની રાજકીય વિચારસરણી કઈ રીતે ઊભી થાય છે એ કહેવું મુશ્કેલ છે પણ જે રીતે યુવાનો કોવિડ મહામારીને રાજનીતિક પરિપેક્ષમાં જોઈ રહ્યા છે તેથી ચોક્કસ રીતે કહી શકાય કે યુવાનોનો રાજકારણ માટેનો અભિગમ બદલી રહ્યો છે.

e.mail : raval.gaurang@gmail.com

Loading

...102030...2,3352,3362,3372,338...2,3502,3602,370...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved