Opinion Magazine
Number of visits: 9575518
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું જવાબ આપીશું જૂનની પાંચમીને—અને જેપીને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 June 2020

૧૯૭૫ના જૂનની પહેલી કે બીજી તારીખ હશે. જયપ્રકાશજી સાથે હું ગુજરાતના પ્રવાસમાં હતો. વિધાનસભાના વિસર્જન પછી નવી ચૂંટણી અંગેની ટાળંટાળીનું રાજકારણ ખેલતાં ઇંદિરાજીએ, છેવટે બુઝુર્ગ મોરારજી દેસાઈએ આમરણ અનશનનો રાહ લીધો ત્યારે કરેલી જાહેરાત મુજબ, ન છૂટકે ચૂંટણી આપી હતી. તે સાથે, તે વખતના તેમના કૅબિનેટ સાથી ઉમાશંકર દીક્ષિત મારફતે વચન પણ આપ્યું હતું કે ‘મિસા’નો રાજકીય ઉપયોગ નહીં કરવામાં આવે. (એપ્રિલમાં અપાયેલું આ વચન જૂનની ૨૫મીએ બાષ્પીભૂત થવાનું હતું.)

નડિયાદમાં સવારની સભા ઉકેલી બપોરે આરામ લઈ પરવાર્યા પછી વડોદરા માટે નીકળતાં પૂર્વે વિઠ્ઠલ કન્યા વિદ્યાલયના અતિથિ ગૃહમાં સ્થાનિક છાત્ર યુવા કાર્યકરો સાથે એમનો અનૌપચારિક વાર્તાલાપ ચાલતો હતો. જેપી આરામમાંથી ઊઠીને આવ્યા તે પૂર્વે મેં આ છાત્ર યુવા મંડળીને એમના પૂર્વજીવનની થોડી વાતો કરી હતી. જેપીને જોઈએ તો હાઇજેક કરી લઈ આવો, એવું નવનિર્માણી ઉદ્રેકમાં યુવા મુખે ઉમંગીપણે કહેવાતું જરૂર હતું. પણ એમને સન બયાલીસના યુવા હૃદયસમ્રાટનો પરિચય સ્વાભાવિક જ નહોતો. સર્વોદય આંદોલનની થોડી ખબર, ખાસ તો ચંબલના બાગીઓની શરણાગતિની દંતકથા એમના પૈકી કેટલાકે આછીપાતળી સાંભળી હશે, એવું સ્મરણ છે. પણ એ નમતે પહોરે યુવા મિત્રો સાથે વાત કરતા જેપી ખીલ્યા ને ખૂલ્યા : બોલી ગયા કે ડાકુઓ સાથે કામ પાડવું સહેલું હતું, પણ— જો કે, એમણે એ વાક્ય, એમની કુલીન પ્રકૃતિ પ્રમાણે અધવચ છોડી દીધું હતું.

વાર્તાલાપ સમેટતાં એમણે કહ્યું કે પાંચમી જૂન ઢૂંકડી છે. મારું ચિત્ત બિહારની જનતામાં ખેંચાયેલું છે. કેમ કે, હું ત્યાં હોવાનો નથી. ૧૯૭૪ના માર્ચના ત્રીજા અઠવાડિયામાં જેપીએ બિહારના છાત્રયુવા ઉદ્રેકનું નેતૃત્વ સંભાળ્યું. જોતજોતાંમાં તે બિહારવ્યાપી થઈ ગયું અને રાષ્ટ્રીય તખતે તેની નોંધ લેવાવા લાગી. પાંચમી જૂને પટણાના ગાંધી મેદાનમાં મળેલી વિરાટ સભામાં તેમણે કહ્યું કે આ માત્ર શાસનપલટાની, નાગનાથ ગયા ને સાપનાથ આવ્યા એની, લડાઈ નથી. આ તો સંપૂર્ણ ક્રાન્તિ માટેનો સંઘર્ષ છે. ત્યારથી પાંચમી જૂન સંપૂર્ણ ક્રાન્તિ દિવસ રૂપે દેશભરમાં ઉજવાવા લાગી હતી. જેપીએ એક દીર્ઘ નિઃશ્વાસ સાથે લગભગ સ્વગતોક્તિ પેઠે ઉમેર્યું : ઇન્દુને કહાં મુઝે ચુનાવી ઝંઝટમેં ડાલ દિયા !

સન સિત્તોતેરના જનતા રાજ્યારોહણ પછી વર્ષાનુવર્ષ જાહેર જીવનમાં જેપી કંઈક વિસરાતા માલૂમ પડ્યા હોય તો પણ પાંચમી જૂને જાણે છતે ટેભે અંદરના જખમને લગરીક ફેરદૂઝતો કરી મેલે છે. ૧૯૭૭ના માર્ચમાં જે બન્યું, ઠીક જ બન્યું. લોકશાહી રાજકારણની પુનઃપ્રતિષ્ઠા જરૂર થઈ. લોકશાહીની ગાડી પાટે પણ ચડી. સત્તાકારણના રણમાં તે પછીના દસકાઓમાં ટૂંકા વીરડીગાળાયે આવતા રહ્યા છે … પણ નાગનાથ ને સાપનાથની વારાફરતી ચાલતી સત્તાબદલીનો એ ખેલ, કેમ જાણે આપણી નિયતિ ન હોય.

કટોકટી નિરસ્ત કરી ધોરણસરની લોકશાહી રાજવટ જેપીને ઇષ્ટ હતી. પણ એ એક માંચીમુકામથી વિશેષ નહોતી. આમૂલ પરિવર્તન વાસ્તે ધ્રોપટ રન વે અને ટેક ઑફની એક પૂર્વશરતથી એ વિશેષ નહોતી ને નથી. ન રન વે, ન ટેક ઑફ. જુઓ સન ૨૦૨૦. ટ્વેન્ટી ટ્વેન્ટીની પડકારપળે લોકશાહી સંસ્થાઓ ક્યાં છે, કેવી છે … જરી તો જુઓ.

જતું અઠવાડિયું જ લઈએ તો ગુજરાત હાઇકોર્ટ અજબ જેવો પલટીદાવ રમી ગઈ ! આગલે અઠવાડિયે એણે ટિપ્પણી કરેલી કે ગુજરાત સરકાર અને એનો આરોગ્ય વહીવટ ડૂબતા જહાજ ટાઇટેનિકની યાદ અપાવે છે અને અહીં એકે કોરોનાગ્રસ્તને જાહેર હૉસ્પિટલના ભરોસે છોડી શકાય તેમ નથી. તરતના જ કલાકોમાં બૅન્ચ-બદલ જેવી છાપ ઊભી થઈ અને કંઈક અંશે નહીં બદલાયેલી છતાં બદલાઈ ગયેલી બૅન્ચે ટિપ્પણી કરી કે લોકો સમજતા કેમ નથી. સરકારને બરાબર સહકાર આપો. પરિસ્થિતિ સકારાત્મક રીતે જોતાં શીખો. જેમાં ને તેમાં સરકારનો વાંક? હા, ધિક્ !

ભાઈ, ઉપર સર્વોચ્ચ અદાલતમાં જે બન્યું—સોલિસિટર જનરલ તુષાર મહેતાએ લોકને અને હાઇકોર્ટોને જે રીતે લબડધક લીધા કે તમે કોરોના કામગીરી અંગે જાણે સમાંતર સરકાર હો એમ વરતો છો. ફ્રેન્ચ ક્રાન્તિ પૂર્વે રાજા લુઇના સત્તામાનસ પ્રગટ કરતા એ ઉદ્ગારો કે રાજ રાજ શું કૂટો છો, એ તો હું પોતે જ છું. (‘આઇ એમ ધ સ્ટેટ’) સોલિસિટર જનરલની વાગ્છટામાંથી સોડાતા હતા. સ્વનામધન્ય સોલિસિટર સાહેબે પૂછ્યું ને પછી જજમેન્ટ ઝોંકાવ્યું કે આ શું નેગેટિવિટી, નેગેટિવિટી ને નેગેટિવિટી ! છાપાંછપલાં ને નાગરિક સમાજના બોલંદાઓનો કસૂર માત્ર એટલો જ હતો કે એમણે મજદૂરોની જીવલેણ હાલાકીનું વાસ્તવચિત્ર બહાર પાડ્યું અને સર્વોચ્ચ અદાલત સ્વમેળે (સુઓ મોટો) પડમાં પધારી. એણે સરકારને ઘઘલાવી (ખરું જોતાં, પ્રજામતે પૂછવા જેવું તો એ પણ છે કે સર્વોચ્ચ અદાલતને સુઓ મોટો દરમિયાનગીરી છેક છેલ્લે, રહી રહીને જ સૂઝી એવું કેમ?

કટોકટીકાળે તત્કાલીન એટર્ની જનરલ નીરેન ડેએ સર્વોચ્ચ અદાલતમાં કહ્યું હતું કે અત્યારે મૂળભૂત અધિકારો સ્થગિત છે એટલે સરકારો માનો કે કોઈની હત્યામાં નિમિત્ત બને તો પણ એને તમે પડકારી ન શકો. એટર્ની જનરલ આમ તો બંધારણીય હોદ્દે છે તો પણ આ ઉદ્ગારની ટીકા થતી રહી છે, તો બંધારણીય નહીં પણ નકરી સ્ટેચ્યુટરી પાયરીએ બેઠેલ કાનૂની અફસર આમ પોલીસના પટ્ટાની ભાષામાં બોલે — તો નાગરિકનું રખવાળું કોની કને.

રેલવે મંત્રી પીયૂષ ગોયેલે ટાઢે કોઠે કહ્યું છે કે દેશમાં આ દિવસોમાં ભૂખથી કોઈ મૃત્યુ થયાં નથી. આડે દહાડે પણ ક્ષુધામૃત્યુની આપણે ત્યાં નવાઈ નથી અને કોરોના કટોકટીમાં ઉપર આભ-નીચે ધરતીની સ્થિતિમાં મુકાઈ ગયેલા સ્થળાંતરકારી મજદૂરો વગર કોરોનાએ મરતા, રેલવે મંત્રીને દેખાતા જ નથી. જેમ ‘રાજાનાં દિવ્ય વસ્ત્રો’, તેમ ‘રાજાનાં દિવ્ય ચક્ષુ’, બીજું શું.

આ લખી રહ્યો છું ને સમાચાર જોઉં છું કે ડૉ. શ્રીનિવાસ રાજકુમારે એન-૯૫ માસ્ક કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે સૂચવેલાં ધોરણો મુજબ નથી તે બાબતે ગાઈવજાડીને કહ્યું તો હાલ તે સસ્પેન્શનમાં તપાસ હેઠળ છે—મીડિયામાં ગયા કેમ. ભાઈ, શ્રીનિવાસ કહે છે, ઉપરાછાપરી લખાપટ્ટી કરી ને તમે ધ્યાન ન આપો, એનું શું. પણ હાલ તો, વ્હિસલ બ્લોઅર, તું લેતો જા.

આપણે લડ્યાં. ઝૂઝ્યાં. કટોકટી ન નાખી શકાય એવા સુધારા કર્યા. પણ સાપનાથ-નાગનાથનું દુષ્ચક્ર એનું એ જ. શું જવાબ આપીશું જૂનની પાંચમીને—અને જેપીને, પેલા દીર્ઘ નિઃશ્વાસની સાખે.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 જૂન 2020

Loading

પડકારદિવસોનો પાડ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 June 2020

તંત્રીસ્થાનેથી

પૂરા પાંસઠ દિવસ આ એક મજેનો યોગ ચાલ્યો … દૈનિક ડિજિટલ સંસ્કરણનો. માહિતી, ટીકાટિપ્પણ, મુક્તવિચાર-સહવિચાર, બધું તાળેબંધ જેવું હોઈ શકતું હતું એ દિવસોમાં મુખોમુખવત્ મળવાનું આપણું થતું રહ્યું. સામાન્યપણે પ્રિન્ટ મીડિયાના માહેર તંત્રી અને હેવાયા વાચકો માટે તો એક નવલબ્ધિ હતી જ. પણ ખરું તો, એથી, હજારો વાચકોની કદાચ નવી જ પેઢી સાથે સંવાદસંજોગ આ ડિજિટલ રાતદિવસમાં મળી રહ્યો એ બિલકુલ નવું બની આવ્યું.

ડિજિટલ પહેલ જે બે સન્માન્ય સુહૃદોને આભારી હતી અને છે — ચંદુ મહેરિયા અને ઉર્વીશ કોઠારી — એમણે અવારનવારમાંથી દૈનંદિન વલણ લીધું અને થોડા દિવસોના કાર્યાનુભવ પછી યુવા વાચકોની ભરતીને અનુલક્ષીને મોબાઇલ ફ્રૅન્ડલી લે આઉટ પર પણ વિશેષ લક્ષ આપ્યું. સોશિયલ મીડિયાની શક્તિ અને મર્યાદા બેઉ છેલ્લાં વરસોમાં આપણે ખાસાં જોયાં છે. પણ અત્યારે મહામારીગત મીડિયા દિવસોમાં મુક્તવિચાર અને સહવિચારની દૃષ્ટિએ દિલોદિમાગ બેઉ છેડેની ગૂફ્તગુ માટે મોટાં દઈત અને એ જ માપમાં કેટલીક બાબતોમાં મૂંગામંતર છાપાં વચ્ચે દૈનંદિન ડિજિટલ સંસ્કરણ ઉપયોગી જ નહીં, હૃદ્ય પણ થઈ પડ્યું. નવી દિલ્હીના એક પ્રતિષ્ઠિત પ્રકાશનગૃહના વેબિનારમાં આ ગુજરાત પહેલનો વિશેષોલ્લેખ સુધ્ધાં થયો, એ પ્રિન્ટ મીડિયાના હેવાયા તંત્રીને સારુ એક સાક્ષાત્કારક ઘટના બની રહી. રૂડા પ્રતાપ ઓરિજિનલ સિનર્સ શી બંધુબેલડીના.

હવે નાનાવિધ પત્રપત્રિકાઓનાં મુદ્રણ અને પ્રકાશન-પોસ્ટિંગની સુવિધા પુનઃસ્થાપિત થઈ રહી છે ત્યારે દૈનંદિન ડિજિટલ સંસ્કરણ સ્વાભાવિક રીતે જ વિરામ માગે છે. અલબત્ત, રોજેરોજનો નહીં પણ પંદર દિવસનો આ પ્રિન્ટાવતાર ગમશે, પણ તે સાથે એક ખાલીપો પણ અનુભવાશે. શકુન્તલા ગઈ તે પછી પ્રિયંવદા અને અનસૂયા પણ આશ્રમમાં કોઈ અણજાણ પગરવ કે અશ્વની હણહણાટી ઝંખતાં સૂનમૂન થઈ ગયાં હતાં દૈનંદિન ડિજિટલાવતારનો વિસારો તંત્રી અને વાચકોને સારુ પણ અકારો થઈ પડશે. વિપુલ કલ્યાણીની અનવરત ઑનલાઇન કુમક અને ડૉ. વણકરની બ્રેકફ્રી બ્લૉગ સેવા ઉપરાંત સેંકડો વાચકો તરફથી શતસહસ્ત્ર ફૉરવર્ડ સેવા (સદ્ભાગ્યે ફાસ્ટ ફૉરવર્ડ નહીં) આ સૌએ એક પ્રઘાત પાકો કર્યો છે. એથી પ્રિન્ટ અને ડિજિટલ વચ્ચે મેળ પાડતી આયોજના વિચારાધીન છે. એ વિશે વધુ આવનારા દિવસોમાં.

જૂન ૫, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 જૂન 2020

Loading

રૂ. વીસ લાખ કરોડના આર્થિક પૅકેજનો અસલી અર્થ જાણવો છે?

રમેશ સવાણી|Opinion - Opinion|4 June 2020

સરકારે રૂ. 20 લાખ કરોડ રૂપિયાનું પૅકેજ તો જાહેર કરી દીધું છે. કદાચ હજુ બીજાં પૅકેજ જાહેર થશે. આંકડા વાંચીને તમ્મર ચડી જાય છે; અધધ રૂપિયા ! પણ આ રૂપિયાની મદદ કોઈ બેરોજગાર શ્રમિકોને, હજારો કિલોમીટર પગે ચાલી રહેલા ગરીબોને, વિવશ ખેતમજૂરોને, ભાંગી પડેલ ખેડૂતોને મળવાની છે પૅકેજમાં કોઈ જગ્યાએ પ્રત્યક્ષ મદદ કે રાહતની વાત નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધાઓ) મજબૂત બનશે, જેનો આડકતરો લાભ મળશે !

ગણિત એ છે કે આ મદદ કે રાહત છેક નીચે સુધી ગરીબો, શ્રમિકો, ખેતમજૂરો, ખેડૂતો સુધી પર્કોલેટ થશે એટલે કે લાભો છેક નીચે સુધી ઝમશે! આ લોન આધારિત પૅકેજ છે; શ્રમિકો માટે તત્કાળ રાહતની વાત નથી ! લાંબે ગાળે ફાયદાની થિયરી છે. અત્યારે ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે, તેમને મદદ મળવાની નથી ! લૉક ડાઉનમાં સ્થળાંતરિત શ્રમિકો, લારી-ગલ્લાવાળા, ખેતમજૂર-ખેડૂતોએ સૌથી વધુ સહન કર્યું છે. તેમને આત્મનિર્ભરતાનો ઉપદેશ આપવાનો અર્થ ખરો?

2 એપ્રિલ, 2020ના રોજ વિશ્વ બેંક પાસેથી 100 કરોડ ડોલર તથા 15 મે, 2020ના રોજ 100 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. 13 મે, 2020ના રોજ ન્યૂ ડેવલપમૅન્ટ બૅન્ક-NDB પાસેથી 100 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. 8 મે, 2020ના રોજ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક-AIIBની 50 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. આ બેંકનું વડું મથક ચીનની રાજધાની બેજિંગમાં છે અને ચીનના ભારે નાણાકીય ટેકાથી ચાલતી આ બેંકે ભારતને લોન આપી છે. PMની પ્રશંસા કરનારા કહે છે કે ભારતે ચીનને મહાત કરી દીધું છે ! એક તરફ, વૈશ્વિક સંસ્થાઓ પાસેથી 350 કરોડ ડોલર એટલે કે રૂ. 26,950 કરોડની લોન લીધી છે, બીજી તરફ, આત્મનિર્ભરતાનો માત્ર ઉપદેશ ! હા, ભારતના શ્રમિકો બિલકુલ આત્મનિર્ભર છે; ત્યારે તો પગમાં છાલાં પડી ગયાં છે. તેમના માટે વાહનની વ્યવસ્થા કરવાનું ન સૂઝ્યું અને હવે લોન-પૅકેજ?

આ પહેલાં પણ કેટલાં ય પૅકેજ જાહેર કર્યાં હતાં, હજુ સુધી એના લાભો ઝમીને નીચે સુધી પહોંચ્યા નથી ! છેવાડાના માણસને સીધી મદદ મળે એવી વ્યવસ્થા ન ગોઠવી શકાય? પર્કોલેશનની થિયરી મુજબ ક્યારે રાહત મળે? ક્યારે અંત્યોદય થાય? જીવતો માણસ મરી જાય પછી યોજનાઓ-પૅકેજો શું કામનાં? ઘણા કહે છે, “20 લાખ કરોડનું પૅકેજ સમજવા કોશિશ કરું છું; કંઈ સમજાતું નથી !” હું કહું છું, ”પૅકેજ બહુ જ સરળ છે. એટલું સમજી લો કે તમને કોઈ રાહત મળવાની નથી!” કોરોના મહામારીને નાથવા લૉક ડાઉન કરવાથી દેશ આર્થિક રીતે તૂટી ગયો છે. શ્રમિકો ભૂખે મરી રહ્યા છે. પ્રધાનસેવકે 12 મે, 2020ના રોજ રૂ. 20 લાખ કરોડનું પૅકેજ જાહેર કર્યું. તેમાંથી ખેડૂતો, શ્રમિકો, લધુઉદ્યોગોને મદદ કરાશે. આખા દેશમાં એક આશાની લહેર ફરી વળી. પરંતુ વળતા દિવસોએ નાણામંત્રીએ ડુંગર ખોદી ઉંદર કાઢ્યો ત્યારે ખેડૂતો-શ્રમિકો નિરાશ થઈ ગયા ! પ્રત્યક્ષ મદદની વાત જ નથી. રાહત જ નથી. માત્ર લોન ગેરંટીની વાત છે. સૌથી આંચકારૂપ વાત એ છે કે રૂ. 20 લાખ કરોડના પૅકેજમાંથી અડધો ખર્ચ તો અગાઉ થઈ ગયેલો, એને ગણતરીમાં લઈ લીધો છે !

20 લાખ કરોડમાં RBIએ અગાઉ 8 લાખ કરોડની રાહતો આપી છે; તેનો સમાવેશ થઈ જાય છે; પરંતુ તેને પૅકેજ કહી શકાય નહીં, તે બેન્કો માટે નાણાનીતિ કહેવાય; રાજકોષીય નીતિ ન કહેવાય. પૅકેજ તો સરકાર ખર્ચ કરે તેને કહેવાય. આમ પ્રધાનસેવકે આંકડાની માયાજાળ ઊભી કરી દેશના ખેડૂતો-શ્રમિકોની મશ્કરી કરી છે — દાઝ્યા ઉપર ડામ અને પડતા ઉપર પાટુની નીતિ અપનાવી છે ! ખેડૂતોની લોન ઉપરનું વ્યાજ અગાઉ બે મહિના માટે માફ કરાયું હતું; હવે વધુ બે મહિના માટે માફ કરવામાં આવ્યું છે — તે પણ માત્ર 3 કરોડ ખેડૂતો માટે, જ્યારે દેશમાં ખેડૂતોની સંખ્યા 11.87 કરોડ છે. કોરોનાસંકટના કારણે ખેડૂતોની સ્થિતિ ભારે ખરાબ થઈ ગઈ છે; ત્યારે તેમનું દેવું માફ કરવાની જરૂર હતી. તેને બદલે માત્ર લોનની વાત છે; નવી લોન લઈ લો અને જૂની લોન ચૂકવો ! ખેડૂતોની હાલત ખરાબ થાય ત્યારે ખેતમજૂરોની દશા બેસી જાય છે. એમના માટે કોઈ રાહત નથી. દેશમાં દોઢ કરોડથી વધુ લારી-ગલ્લાવાળા છે. તે પૈકી માત્ર 50 લાખ લોકોને રૂ. 10,000ની લોન આપવામાં આવશે. મદદ નહી, રાહત નહીં, લોન. રેશનિંગની દુકાનેથી 8 કરોડ સ્થળાંતરિત શ્રમિકોને વધુ બે મહિના સુધી વિના મૂલ્યે અનાજ અપાશે; પરંતુ 2011ની વસતિ ગણતરી મુજબ દેશમાં સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા 13.9 કરોડની હતી; તો બાકીના શ્રમિકો શું કરશે?

નાણામંત્રીએ રૂ. 4.4 લાખ કરોડની ઘોષણા કરી તેમાં 3 લાખ કરોડનો હિસ્સો તો લઘુઉદ્યોગોને લોન આપવામાં વપરાશે. 90,000 કરોડ વીજકંપનીઓ માટે વપરાશે. બાકી 50,000 કરોડ TDSમાં 25 ટકા રાહતમાં વપરાશે. 20 લાખ કરોડમાંથી 70 ટકા ક્યાં વપરાશે તે દર્શાવી દીધું. પૅકેજનાં નાણાની જોગવાઈ કઈ રીતે થશે તે પ્રશ્ન નાણામંત્રીએ ટાળી દીધો ! કોરોનાસંકટમાં પોતાની આજીવિકા ગુમાવનાર અસંઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કોઈ રાહતની જોગવાઈ ન કરી ! પછી  ડૅમેજ કંટ્રોલ માટે ‘PM કેર્સ ફંડ’માંથી રૂ. 1,000 કરોડની જોગવાઈની જાહેરાત કરી. ટૂંકમાં, આ પૅકેજને સમજવું બહુ જ સરળ છેઃ ખેડૂતો, શ્રમિકો, ખેતમજૂરો, લારી-ગલ્લાવાળાને રૂ. 20 લાખ કરોડના પૅકેજમાંથી એક રૂપિયાની પણ રોકડ રાહત મળવાની નથી !

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020

Loading

...102030...2,3162,3172,3182,319...2,3302,3402,350...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved