Opinion Magazine
Number of visits: 9574954
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (25)

સુમન શાહ|Opinion - Opinion|21 June 2020

= = = = આજની આ ૨૧ જૂન એક બીજું સત્ય એ ચીંધી રહી છે કે મનુષ્યસરજિત આવા આવા સર્જનશીલ અને શોધ-સંશોધનને વરેલા તેમ જ એટલા જ વિચારચિન્તલશીલ આવિષ્કારો જ કોઈપણ અનર્થને ભગાડી શકે છે = = = =

કોરોના જાણે એક નાનકડા બીજમાંથી ઝડપ ઝડપમાં ફાલીને વિકસેલા બિહામણા મોટા ઝાડ સમું ધૂણે છે; બબડે છે, માણસ ગંધાય, માણસ ખાઉં … ૨૦૧૯ના ડિસેમ્બરથી આછોપાતળો શરૂ થયેલો અને ૨૦૨૦ના પ્રારમ્ભથી રીતસરનો મંડાયેલો એ આજે જૂનની ૨૧-મીએ કેટલો તો વકર્યો છે એ તો હવે આપણા સૌના અનુભવની વાત છે. આ મહામારી પોતે જ ઠરીઠામપણે જિવાતા જીવનમાં જનમેલી એક મહામોટી અસંગતિ છે, ઍબ્સર્ડિટી છે, અનર્થ છે.

પણ જુઓ, એ અસંગતિ, એ ઍબ્સર્ડિટી કે એ અનર્થની સામે કશોક માતબર સંગીન બલકે અપરાજેય અર્થ રચવાને દુનિયા આખી મચી પડી છે.

વિજ્ઞાનીઓ રસી કે દવાના સંશોધનમાં ગરકાવ છે. સાહિત્યકારો અવનવું સરજી રહ્યા છે. સંગીતકારો, ચિત્રકારો અને કલામાત્ર સાથે જોડાયેલા રસિયાઓ, સૌ, એ અસંગતિને નષ્ટ કરવા પોતાનાથી થાય એટલી કોશિશ કરી રહ્યા છે.

જુઓને, આજનો દિવસ ૨૧ જૂન કેટલી બધી સુસંગત અને અર્થપૂર્ણ વસ્તુઓ લઈને આવ્યો છે. દીકરીએ યાદ કરાવ્યું કે આજે ફાધર્સ ડે છે. કેટલી સારી વાત. આજે વિશ્વ-યોગ દિવસ છે. ભોગગ્રસ્ત પ્રવર્તમાન કે કશી પણ ગતકાલીન સભ્યતાને જીવન-સંતુલનનો રાહ દર્શાવતી યોગવિદ્યા પોતે જ એક મહિમાવન્ત અર્થ છે. આજે સૂર્યગ્રહણ થવાનું છે. રોજ સવારે બે-ત્રણ મિત્રો મને good morning-નું અભિવાદન સ-ચિત્ર મોકલે છે. હું એમને વળતું ‘સુપ્રભાતમ્’ લગભગ દરેક દિવસે લખી મોકલું છું. આજે એમાંના એક મિત્રે મને સૂર્યગ્રહણ વિશેની ઋગ્વેદની ઉક્તિ મોકલી : O Sun ! When you are blocked by the one whom you gifted your own light (moon), then earth gets scared by sudden darkness : ( Rig Veda : 5. 40. 5, 5, 40.9 ). હું ખુશ થઈ ગયો કેમ કે આ વીગતની મને ખબર ન્હૉતી. મને થયું, ઋગ્વેદકારની વાત સૂર્ય માટે સાચી છે એટલી જ માણસો માટે પણ સાચી છે. જેને પ્રકાશિત કર્યો હોય તે જ તમારું ગ્રહણ કરી દે ! એ પણ જીવનની ઓછી અસંગતતા છે? અરે, એથી સ્તો વૅરઝૅર અને જીવનના હર કોઈ ક્ષેત્રે રાજકારણ સરજાય છે, જે પછી વિષવેલની જેમ પાંગરે છે …

હું આજની આ ૨૧ જૂન કેટલી તો સુસંગત છે એની વાત કરતો’તો. આજે મારી પુત્રવધૂ પાયલ પૂર્વરાગે અમને ફૅમિલી ગ્રૂપને ગાંધીજીને પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો એને કહીએ …’ મોકલ્યું. એ ક્લિપની વિશેષતા એ છે કે એ ભજનને ૧૨૪ દેશના કલાકારોએ ગાયું છે ! એવા કલાકારો કે જેઓને ગુજરાતી ભાષાની સીધી જાણકારી નથી કે નથી તેઓ આના સર્જક આપણા સૌને વ્હાલા નરસૈંયાને જાણે છે. એટલું જ નહીં, કદાચ ન તો તેઓ હિન્દુ છે કે કદાચ ન તો તેઓ વૈષ્ણવધર્મને કે કોઈ વૈષ્ણવને ઓળખે છે. દેશ-વિદેશ, ધર્મ-પરધર્મ, કે નાતજાત કે કશાપણ ભેદનો આથી થયેલો ‘નાશ’ મને રોમાંચિત કરી ગયો, મારા મનને ગદ્ ગદ્ કરી ગયો. આનન્દભરી સજળ આંખે મેં આ ક્લિપને મારા મિત્રો પ્રતિ વ્હૅતી કરી દીધી. ત્યાં તો મને ‘અસ્તિત્વદર્શન’-ના કર્દમ આચાર્ય અને તેમના સાથી તેમ જ મારા મિત્ર વિશ્વમિત્ર દ્રુપદે યાદ દેવરાવી કે આજે સાર્ત્રનો જન્મદિવસ છે. એમણે ‘શબ્દ એવમ્ ચિન્તન કી કલાત્મક અભિવ્યક્તિ’ નામની એમની YuTube -સંલગ્ન ચૅનલ પર સાર્ત્રને વિશેનો એમનો વાર્તાલાપ આજે રી-રીલિઝ પણ કર્યો … સાર્ત્રે કરેલી વાત કે જીવનમાં બસ, સત છે અને શૂન્યતા છે. એથી અદકેરી શી હોઈ શકે જીવનવાસ્તવિકતા?

કોરોનાના પ્રતાપે એક સત્ય એ પુરવાર થઈ રહ્યું છે કે અનર્થોના પૂર્ણ સ્વરૂપના સાક્ષાત્કાર પછી જ અર્થને માટેની શોધ શરૂ થાય છે. પણ આજની આ ૨૧ જૂન એક બીજું સત્ય એ ચીંધી રહી છે કે મનુષ્યસરજિત આવા આવા સર્જનશીલ અને શોધ-સંશોધનને વરેલા તેમ જ એટલા જ વિચારચિન્તલશીલ આવિષ્કારો જ કોઈ પણ અનર્થને ભગાડી શકે છે. કોરોના જો મહામારી છે તો એની સામેનો આ વૈશ્વિક જંગ વિશ્વયુદ્ધો પછીનો મહા બલિષ્ઠ જંગ છે. જો કે એ જંગ નિ:શસ્ત્ર છે. આપણે ભલે બોલીએ કે ‘હું છું કોરોના-વૉરિયર’ પણ સાથોસાથ, આપણે એ યાદ રાખવું જોઈશે કે આપણી વૉર જુદા પ્રકારની છે. વૉર છે ખરી પણ તમામ અનર્થો સામે છે અને તેની ભૂમિકા હમેશાં માનવીય સર્જકતા છે, નહીં હોય તો હોવી જોઈશે … કેમ કે આ તો દેખીતાં શસ્ત્રો વિનાનું અને માત્ર આત્મબળે લડવાનું યુદ્ધ છે … એનાં ખરાં કારગત શસ્ત્રો તો આપણી અંદર પડેલાં છે … લડવાનું પણ, સમજીએ તો, જાત જોડે જ છે …

= = =

(June 21. 2020: Ahmedabad)

વિશ્વના ૧૨૪ કલાકરોએ ગાયેલા 'વૈષ્ણવજન તો…' માટે આ link પર જાઓ :

https://www.youtube.com/watch?v=nAbarXjmAwc&feature=youtu.be&fbclid=IwAR3jZhlVvXo3dP4jE6CgGQppxK0aDdBtUGZc3PsWT2jL97n1qv_zEHcKc-Q

Loading

રંકને ઘેર રાય !

મનુબહેન ગાંધી|Gandhiana|21 June 2020

ભંગીનિવાસનો આ ઓરડો પણ ઘડીએ ઘડીએ રૂપ બદલે છે. ક્યારેક બાપુજી પાસે નેતાઓની ચર્ચા ચાલતી હોય ત્યારે વાતાવરણ ગરમાગરમ થઈ જાય; ક્યારેક દુ:ખિયારાઓ આવ્યાં હોય ત્યારે જાણે વાતાવરણમાં ગંભીરતા સાથે સહાનુભૂતિની હવા ચાલે, તો ક્યારેક દવાખાનું બની જાય, તો વળી ક્યારેક શાંતિ પ્રસરી જાય; ક્યારેક શાળાનો ઓરડો હોય તેમ ભણવાની કે ભણાવવાની હવા ચાલે; ક્યારેક કોઈ કારખાનું ચાલતું હોય અને માલિક બધું સમજાવે તેમ બહારના પરદેશીઓ આવ્યા હોય અને બાપુજી પોતાના ચરખાને ખોલીને બધું સંભાળપૂર્વક અને ખૂબ રસભરી રીતે તેની આખી ક્રિયા સમજાવે; તો ક્યારેક નાનાં બાળકો આવે ને રમતગમતનું ક્રીડાંગણ બની રહે. આ જડ દીવાલોમાં આવું વિવિધતાપૂર્વકનું વાતાવરણ જામે છે.

[29-06-1947]

•••••••

અગિયાર વાગ્યે વાઇસરૉય સાહેબને ત્યાંથી ફોન મળ્યો કે, લેડી માઉન્ટબૅટન બપોરે ચાર વાગ્યે બાપુજીના આ ભંગીવાસની મુલાકાત લેશે. મને થયું કે, હું પણ મારી નોંધપોથીમાં આ ઓરડાનું વર્ણન લખી રાખું.

1945-46-47માં અમારી આ ભંગી કૉલોની ઠીક ઠીક મશહૂર બની ગઈ છે. અહીં અનેક ઐતિહાસિક મંત્રણાઓ થઈ ગઈ, અનેક ઘટનાઓ પણ બની ગઈ. આ સ્થળે ઘણી વાર મંત્રણાઓમાં મતભેદ થાય છે તો ઘણી વાર સમાધાનો થાય છે. દેશપરદેશના અનેક મહારથીઓ પૂજ્ય બાપુની સલાહસૂચના લેવા આવે છે. રાજકીય પ્રવૃત્તિથી ધમધમતું આ ઝૂંપડું અને છેલ્લે વચગાળાની સરકારની રચનાનો વિચાર પણ ભંગી કૉલોનીમાં થયો. અને છેવટ સંપૂર્ણ આઝાદીની નવરચનામાં પ્રાથમિક મંડાણ પણ અહીં થયાં.

આ વાલ્મીકિ મંદિરમાં પૂ. બાપુજી આ ઓરડામાં રહે છે, તેમાં હરિજન બાળકો ભણે છે. આ ઓરડો તો પાકો ચણેલો છે. અને પાસે જ એક નાહવાની નાનકડી ઓરડી બનાવેલી છે. ઓરડાના માપની એક શેતરંજી પાથરી છે. સ્વચ્છ ગાદી તકિયા છે. અને તે પર પૂ. બાપુજીની બેઠક છે.

ઓરડામાં એક તરફ ત્રણ ચાર ખુરશીઓ, પરદેશીઓ બાપુજીને મળવા આવે અને તેઓ નીચે ન બેસી શકે તેમના ઉપયોગને માટે જ રાખવામાં આવી છે, જો કે મોટે ભાગે પરદેશીઓ બાપુજીની સામે નીચે જ બેસી જાય છે.

બાપુજીની પાસે એકઢાળિયું ટેબલ (નાનકડું જૂના જમાનાની વેપારી પેઢીઓમાં રહે છે તેવું) છે અને તેની અંદર આખા હિંદુસ્તાનના વર્તમાન, ભૂત અને ભવિષ્ય, ત્રણેય જમાનાના બંધારણના મહત્ત્વના કાગળો પડ્યા છે. એ નાનકડા ટેબલના ખાનામાં જ હિન્દુસ્તાનની આઝાદીનું ચણતર ચણાઈ રહ્યું છે. દરેક ક્ષણે હિંદુસ્તાનની સ્થિતિનો ચિતાર તેમાંથી મળે એવા મહત્ત્વના કાગળો એમાં છે. એ ભાગ્યશાળી ટેબલ ઉપર એટલી જ મહત્ત્વની ચીજો રહે છે. ઘડિયાળ, ગીતાજી અને ત્રણ વાનર ગુરુઓ. આ ત્રણ વાનરનું એક ચીની રમકડું છે. એક વાંદરો પોતાના હાથે મોઢું બંધ રાખે છે.બીજો આંખો બંધ રાખે છે અને ત્રીજો સૂચવે છે કે ગંદુ જોવું નહીં. બાપુએ આ ચીની રમકડાને પોતાના ગુરુ માન્યા છે. અને એ વાનર ગુરુ આખા ઓરડાના વાતાવરણને પવિત્ર અને સ્વચ્છ રાખે છે. બહારના ભાગમાં ઘાસનાં પાંચેક ઝૂંપડાં બાંધેલાં છે. એક ઝૂંપડામાં ટેલિફોન રહે છે જ્યાંથી દસ દસ મિનિટે અનેક સારામાઠા સમાચારો મળે છે. બીજામાં ટાઇપિસ્ટ બેસે છે. જ્યાં બાપુનાં ખૂબ ઉપયોગી લખાણો તેમ જ પત્રો ટાઈપ થાય છે. ત્રીજું ઝૂંપડું મારું છે જેમાં બાપુજીનો સામાન રહે છે. અરે પૂ. ખાનસાહેબ (સરહદના ઘાંધી બાચ્ચા ખાન) અહીં આવે છે ત્યારે તેમની બેઠક અને સામાન રહે છે. બાકીનાં બેમાં બાપુજીનાં, અમીર કે ગરીબ, મોટા નેતાઓ કે સગા દીકરાઓ જેવા મહેમાનો હોય તેમનો ઉતારો રહે છે.

આવું સરસ રહેઠાણ જોવાની લેડી માઉન્ટબૅટને ઇચ્છા કરી. બાપુજીએ આવી ગરમીમાં એવી તકલીફ લેવાની ના તો કહી, પણ તેઓ માન્યાં નહીં.

બરાબર ચારના ટકોરે લેડી માઉન્ટબૅટને બાપુજીના ઓરડામાં ઘાસના પડદાને ઊંચક્યો અને ઊભાં રહ્યાં. બાપુજી એ જ ક્ષણે ઊભા થયા અને સ્મિતપૂર્વક સ્વાગત કરી ‘શેકહૅન્ડ’ કરતાં પૂછ્યું, ‘પણ તમારી દીકરી ક્યાં છે ? એને કેમ ન લાવ્યાં ?’ લેડી માઉન્ટબૅટને કહ્યું, ‘એ કામમાં હતી. બીજી વખત તમારી સાંજની પ્રાર્થનામાં તે આવશે.’ પછી બાપુજી કહે ‘બોલો તમે ક્યાં બેસશો ? ખુરસી પર કે હું નીચે બેસું છું તેમ ?’ કંઈ જવાબ આપતાં પહેલાં જ લેડી માઉન્ટબૅટન બાપુજીની ગાદીના ખૂણા પર બેસી ગયાં અને ચરખો જોવાની ઇચ્છા કરી.

બાપુજી 78 વર્ષની પાકી ઉંમરે ધ્રૂજતા હાથે તરત જ કાંતવા લાગ્યા. બાપુજીનો ચરખો જુદી જાતનો છે (એક સાથે બે ક્રિયા થાય છે − ઠરડવાની અને કાંતવાની) અને બીજા સાદા રેંટિયા ખૂબ બારીકાઈથી તપાસ્યા અને આખું વિજ્ઞાન જાણી લીધું. જે રેંટિયાદેવની કિંમત હિન્દુસ્તાનમાં નથી, તેની કિંમત પરદેશી પ્રજામાં ખૂબ છે. એવા અસંખ્ય દાખલા મેં તો જોયા છે કે કંઈક નવી ચીજ હોય તો તેઓ અભ્યાસની દૃષ્ટિએ જ તપાસે છે. એ જ રીતે લેડી માઉન્ટબૅટને આજે રેંટિયો જોયો.

આ પતી ગયા પછી બાપુજી કહે, ‘બોલો, તમારી મહેમાનગતિ શી કરું ?’ અને મને બાપુજીએ તેમના માટે ચાનો કપ તેમ જ ફળો લાવવાનો ઇશારો કર્યો. તેમણે ચાનો કપ હાથમાં લીધો અને જિજ્ઞાસાપૂર્વક બાપુજીનો દૈનિક કાર્યક્રમ જાણવા ઇચ્છા બતાવી.

આ બુઢ્ઢા સવારના 3.30 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કામ કરે છે એવું જાણી નવાઈ પામ્યાં. બાપુજીએ કહ્યું, પણ બપોરના થોડો આરામ લઉં છું,’ તો લેડી માઉન્ટબૅટન કહે, ‘એવો આરામ તો નવજુવાનો સવારના 8 વાગ્યે ઊઠે છે તો પણ લે છે. આટલું કામ આ ઉંમરે કરવું એ કાંઈ કાચાપોચાનું કામ નથી. આપના જેવા કોઈ વિરલા જ કરી શકે. હિંદની અત્યારની પરિસ્થિતિ ભલભલાને મૂંઝવી નાખે તેવી છે.’

બાપુજી અને લેડી માઉન્ટબૅટનનું આ દૃશ્ય વિરલ હતું. ‘રંકને ઘેર રાય !’ એ ભૂલી ગયેલાં કે પોતે એક મોટા હાકેમનાં પત્ની છે. ચહેરા પર લવલેશ અભિમાન ન હતું. એટલું જ નહીં પણ તેમણે જાણ્યું કે બાપુજીની બધી અંગત સેવા ઉપરાંત બાપુજીની હજામત પણ હું જ બનાવી આપું છું અને બાપુજીએ મને પોતાના ‘હજામ’ તરીકે ઓળખાવતાં વિનોદ જામ્યો અને મારી તરફ સ્મિતવદને જોઈ કહ્યું, ‘તું દુનિયામાં સહુથી ભાગ્યવાન બાલિકા છે કે ગાંધીજી જેવા મહાન પુરુષની સેવા કરવાની ઉમદા તક તને સાંપડી છે. અને હરહંમેશ તેઓશ્રીના પવિત્ર આશીર્વાદ તને સાંપડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.’

આટલું કહી પોતે ઊભાં થયાં. 4.30 વાગ્યા હતા. બાપુજીને કહે, ‘તમારો કીમતી સમય હવે વધારે નહીં લઉં. તમે આટલો સમય આપ્યો એથી તમારો અનહદ ઉપકાર માનું છું.’

બાપુજી પણ વિવેકમાં ક્યાં ઓછા ઊતરે તેવા હતા ? બાપુજીએ પણ અસહ્ય ગરમીમાં અને આ ઘાસના ઝૂંપડામાં આવીને જે તકલીફ લીધી તે બદલ એમનો આભાર માન્યો અને પાસે ભંગી કૉલોનીમાં ભંગીઓ રહે છે ત્યાં પણ જઈ આવવા સૂચના કરી. તેમણે આ સૂચના સહર્ષ વધાવી લીધી, અને મણિબહેન પટેલ સાથે તેઓ ત્યાં ગયાં.

[05-07-1947]

સૌજન્ય : મનુબહેન ગાંધીની ડાયરી (પુનર્મુદ્રણ – જૂન 2013) : ‘બિહાર પછી દિલ્હી’; પૃ. 233 તેમ જ 266-269

Loading

બાપાને –

રવીન્દ્ર પારેખ|Poetry|21 June 2020

આજે પલાંઠી વાળી તો
તમે આવી બેઠા મારામાં
હું બેસું છું તો 
મારું ખોળિયું તમે પહેરી લો છો
દાઢી કરું છું 
તો રેઝર તમારી દાઢી પર 
ફરતું હોય છે
આમ પરાણે મારા પર છવાઈ
રહેવાનો કોઈ અર્થ છે?
મારા ગળામાં આવીને
તમે ખાંસો તે સારું નથી
કારણ ડોકટર ગોળી
મને ગળાવે છે
મારા પગમાં પગ નાખીને 
બેસો તો
ક્યાં સુધી હું
તમને જ ચાલ્યા કરીશ તે કહેશો?
મારે બદલે તમે જ જીવવાના હો તો મારે ક્યાં જીવવું?
ત્યાં મારી ખાંસી 
મારા દીકરામાંથી ઊઠે છે…

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...2,2982,2992,3002,301...2,3102,3202,330...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved