Opinion Magazine
Number of visits: 9575522
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી વિચાર અને અહિંસાનો અમેરિકાને પરિચય કરવાનાર આફ્રિકન-અમેરિકન હસ્તીઓ

મેઘના ચંદ્રા|Opinion - Opinion|25 June 2020

એકદા ગાંધીજીએ કહેલું, “નીગ્રો પ્રજા તરફથી વિશુદ્ધ અહિંસાનો સંદેશ દુનિયાને મળે તેવી સંભાવના છે.” ગાંધીનું આ વિધાન 20મી સદી માટે જાણે પયગંબરની ભવિષ્યવાણી જેવું સાબિત થયું, કેમ કે આફ્રિકન અમેરિકનોએ 1950 અને ‘60ના દાયકામાં નાગરિક અધિકારોની માગ માટે ગાંધીદર્શનનું અનુસરણ કર્યું.

આફ્રિકન-અમેરિકન મહાનુભાવો ડબ્લ્યુ.ઈ.બી.ડુ બોઈ, હાવર્ડ થરમાન અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના જીવન અને કાર્ય દ્વારા ભારત અને આફ્રો-અમેરિકન વચ્ચે સેતુ બાંધવાનો પાયો નખાયેલો. આ ત્રણેય કર્મશીલો મહાત્મા ગાંધી તરફ આકર્ષાયા કેમ કે તેમણે પશ્ચિમી જગતને પડકાર્યુ અને દમિત તથા પીડિત લોકોના નૈતિક બળથી ઇતિહાસ કેમ રચી શકાય તે બતાવી આપ્યું. અશ્વેત અમેરિકનોએ આ વિચારોનું જે રીતે અર્થઘટન કર્યું તેને પરિણામે અમેરિકાનો ઇતિહાસ બદલાઈ ગયો.

ડબ્લ્યુ.ઈ.બી. ડુ બોઈ (W.E.B. Du Bois)

ડબ્લ્યુ.ઈ.બી. ડુ બોઈ કદાચ ગાંધીના સહુ પ્રથમ આફ્રિકન-અમેરિકન ચાહક હતા. તેઓ અમેરિકાના મોટા બુદ્ધિજીવીઓમાંના એક, નાગરિક અધિકારો માટેના લડવૈયા અને શાંતિ સ્થાપવા સતત કર્મશીલ રહેનાર હતા. ગાંધીજીના જન્મ પહેલાં, 1868માં તેમનો જન્મ. ડુ બોઈએ પાન અમેરિકન ચળવળ કે જે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત હતી તે માટે નેશનલ એસોસિયેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પિપ્લ્સની સ્થાપના કરી. તેઓએ ફિસ્ક અને હાવર્ડ યુનિવસિર્ટી અને બર્નની હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખાના વિરોધનો સામનો કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર સહુ પ્રથમ અશ્વેત વિદ્યાર્થી હતા. 

તેમના પુસ્તક ‘ફિલાડેલ્ફિયા નીગ્રો’માં તેમણે સમાજવિદ્યાના સિદ્ધાંતોને આધારે અશ્વેત લોકો ઉતરતી માનવ જાતના લોકો છે તે વાતને પાયા વિનાની સાબિત કરી બતાવી. એ માટે તેમણે સમાજશાસ્ત્રીય પદ્ધતિનો ખૂબ ઝીણવટથી ઉપયોગ કરીને દર્શાવ્યું કે અશ્વેત લોકો પર દમન કરવામાં આવે છે માટે તેઓ યાતના સહન કરે છે. અશ્વેત પ્રજા પરના અત્યાચારોનું કારણ એ નથી કે શ્વેત લોકો માને છે કે તેઓ ઊતરતી કક્ષાની માનવ જાત છે, પરંતુ તેનું કારણ એ છે કે શ્વેત લોકોનો સમાજ અશ્વેત લોકો પ્રત્યે ક્રૂર વર્તન કરે છે. ડુ બોઈએ પોતાની કારકિર્દી અને પુસ્તકો જેવાં કે ધ સોલ્સ ઓફ બ્લેક ફોક, બ્લેક રિકૂન્સટ્રકશન, ધ વર્લ્ડ એન્ડ આફ્રિકા અને ધ ડાર્ક પ્રિન્સેસ દ્વારા અંધારા ખંડના દેશો પર સંસ્થાનો સ્થાપીને ઊભી કરેલી વાસ્તવિક પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો, કે જે શ્વેત લોકોની સમાજવિદ્યા કે જે શ્વેત પ્રજા અશ્વેત પ્રજા કરતાં ઊંચી કક્ષાની છે, તેવી માન્યતા પર આધારિત હતી તેના વિરુદ્ધ હતી. ડુ બોઈનું આ વિધાન પ્રખ્યાત છે, “20મી સદીની સમસ્યા એ રંગની રેખાની છે – ચામડીના ઘેરા અને આછા રંગ ધરાવતા એશિયા, આફ્રિકા, અમેરિકા અને દરિયામાંના અનેક ટાપુઓ પર વસતા માણસો વચ્ચેના સંબંધોની છે.”

1929માં ડુ બોઈએ ગાંધીજીને આફ્રિકન-અમેરિકન લોકોને સંબોધીને એક પત્ર આપવા વિનંતી કરેલી. ગાંધીજી પોતાના દેશબાંધવોની મુક્તિ માટેના સંગ્રામમાં વ્યસ્ત હતા એ સ્વીકારવા છતાં તેમણે લખ્યું, “જાતિ અને રંગભેદની સમસ્યા વિશ્વવ્યાપી છે, અને અમને તમારી મદદની અહીં જરૂર છે.” તેના ઉત્તરમાં ગાંધીજીએ લખ્યું, “બાર મિલિયન જેટલી નીગ્રો પ્રજાએ પોતે ગુલામોના વંશજો છે તે માટે શરમ અનુભવવાની જરૂર નથી. ગુલામ હોવામાં લાંછન નથી. ગુલામોના માલિક હોવામાં બદનામી છે.”

ડુ બોઈને ગાંધીમાં રહેલ એ શક્તિનો પરિચય થયો જેણે રંગભેદની રેખા જે સમાજે અને સંસ્કૃતિએ અશ્વેત સમાજમાં વિક્ષેપ પાડવા, તેનું દમન કરવા અને હિંસા પેદા કરવા ઊભી કરવામાં આવી હતી તેને પડકાર ફેંક્યો. જો કે શ્વેત પ્રજાનો દાવો હતો કે રંગભેદની રેખા સભ્યતાની નિશાની છે. 1948માં લખેલ નિબંધ ‘ગાંધી’માં ડુ બોઈ લખે છે, ગાંધી આ દુનિયાના હયાત હોય તેવા નેતાઓમાં ‘સહુથી મહાન વ્યક્તિ.’ અને ‘શાંતિના રાજકુમાર’ હતા.

વધુમાં તેમણે કહ્યું, એ નોંધનીય છે કે જે વ્યક્તિ ખ્રિસ્તી ધર્મનો અનુયાયી નથી તે એ ધર્મે પ્રબોધેલા સિદ્ધાંતોનું પાલન કરનાર તરીકે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ગયા. જ્યારે ખ્રિસ્તી ધર્મ તેના બે હજાર વર્ષના અસ્તિત્વના ગાળા દરમ્યાન લડાઈઓ અને પદ્ધતિસરના ખૂન કરાવવાના કાવતારાઓમાં આગળ પડતો ભાગ ભજવતો આવ્યો છે, ત્યારે ગાંધી રાજકીય બાબતોની સમસ્યાઓને ઉકેલવા શાંતિનો વિનિયોગ કેમ કરવો તેનું દૃષ્ટાન્ત પૂરું પાડવામાં આગેવાની કરી ગયા.

ડુ બોઈ ગાંધીને ચાહતા હતા કેમ કે તેમણે પશ્ચિમી સભ્યતાની પાખંડી વૃત્તિને નિરાવૃત્ત કરી. શ્વેત રંગ ધરાવતા ખ્રિસ્તીઓ વાત તો ખ્રિસ્તી અને માનવીય મૂલ્યોની કરતા હતા, પરંતુ બીજી બાજુ અશ્વેત પ્રજા પર મનસ્વી રીતે હિંસા આચરતા હતા અને દુનિયા આખીમાં લડાઈઓ કરવા ઉશ્કેરતા હતા. તેમને ગાંધીમાં માનવ જાતના અસ્તિત્વ ઉપરના ખતરા રૂપ અણુ યુદ્ધની શક્યતાઓ સામે માનવ જાતે કઈ રીતે શાંતિની સ્થાપના માટે લડવું જોઈએ એની રીતનું ઉદાહરણ જોવા મળ્યું.

ગાંધીની માફક ડુ બોઈને પણ શાંતિની તરફદારી કરવા બદલ ખૂબ યાતનાઓ સહેવી પડેલી. તેમની 1951માં યુનાઇટેડ સ્ટેટ્સની સરકાર દ્વારા કોરિયા સામેની લડાઈના વિરોધમાં કરેલ દેખાવ માટે અને પી.આઈ.એસ. ઇન્ફોર્મેશન સેન્ટરમાં સક્રિય હોવા બદલ ધરપકડ કરવામાં આવેલી. તેમના લખાણો પર અમેરિકન યુનિવર્સિટીઝમાં 1950ના દાયકામાં મેકાર્થીના વિચારોના સમર્થન વાળા હોવાને કારણે નિયંત્રણ મુકવામાં આવેલું. તેઓ 1961માં કવામે નક્રૂમાહના (જેમના વિષે થોડા સમય પહેલાં ‘ઓપિનિયન’માં લેખ આવેલો) આમંત્રણથી ડુ બોઈ ઘાના ગયેલા. આફ્રિકાએ આધુનિક જગતને કઈ રીતે આકાર આપ્યો તે વિષે ભૂંસી નાખવામાં આવેલ ઇતિહાસ પર પ્રકાશ નાખવાના પ્રયત્ન રૂપે એન્સાઇક્લોપીડિયા ઓફ આફ્રિકા લખી રહ્યા હતા, ત્યારે ડુ બોઈનું ઘાનામાં જ અવસાન થયું.

હાવર્ડ થરમાન (Howard Thurman)

હાવર્ડ થરમાનનો જન્મ 1899માં ગુલામીથી મુક્ત થયેલ પરિવારમાં થયો હતો. થરમાન ગરીબીમાં ઉછર્યા. જીવનમાં આગળ જતાં તેઓ એ સમયના એક મહાન થિયોલોજિયન બન્યા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના મુક્તિની થિયોલોજીના વિચારોનો પાયો નાખવા માટે નિમિત્ત બન્યા. 

તેમને ધર્મ વિષે પ્રથમ પર્દાફાશ તેમની દાદીમા દ્વારા થયો જેમણે બાઇબલમાંના પૉલના ઉપદેશને નકાર્યો કેમ કે શ્વેત પાદરી ગુલામીને ન્યાયી ઠરાવવા એ પુસ્તકમાંથી વાંચન કરતા તેનું તેમને સ્મરણ હતું. ડુ બોઇની માફક થરમાને પણ હજારો આફ્રિકન અમેરિકન જેને અનુસરતા એ  ખ્રિસ્તી ધર્મનાં મૂલ્યોને અશ્વેત દેશોના નાગરિકોની દ્રષ્ટિથી સમજવા કોશિશ કરી.

1935માં હાવર્ડ થરમાન રેવરન્ડ ઑગસ્ટીન રાલ્લા રામના આમંત્રણને માન આપી ચાર સભ્યોના પ્રતિનિધિ મંડળના વડા તરીકે શ્રીલંકા, ભારત અને બર્મા ગયેલા. એ પ્રતિનિધિમંડળ અને થરમાન પોતાની ભારતની મુલાકાતના અંતિમ દિવસો દરમ્યાન ગાંધીજીને મળ્યા. મહાદેવ દેસાઈએ ગાંધીજી કેટલા ઉમળકાથી એ પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા એની નોંધ લખી છે. એ લોકો સાથે થિયોલોજી, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અને સમાજશાસ્ત્ર વિષે ઊંડાણથી ત્રણેક કલાક સંવાદ થયો. પ્રતિનિધિમંડળના સભ્યોએ અમેરિકામાં નીગ્રો લોકોને સહેવા પડતા અન્યાય અને અત્યાચારો વિષે અને તેને દૂર કરવાની લડતમાં અહિંસા કેટલી ઉપયુક્ત છે તેની ચર્ચા કરી. આ મિલન વખતે ગાંધીજીએ કહેલું કે અશ્વેત પ્રજા જ અહિંસાનો સંદેશ પહોંચાડનાર હશે.

વાતચીત દરમ્યાન ગાંધીજીએ થરમાનને પ્રશ્ન પૂછેલો કે શા માટે અમેરિકામાં વસતા અશ્વેત લોકો ખ્રિસ્તી ધર્મને હજુ અનુસરી રહ્યા છે? કેમ કે તેમનું દમન કરનારા ખ્રિસ્તી છે અને અશ્વેત ઉપરનું દમન તેઓ જ ન્યાયી ઠરાવે છે. તેમણે એમ પણ પૂછેલું, તેઓએ ઇસ્લામ શા માટે ના સ્વીકાર્યો? કેમ કે એ ધર્મ જ સહુથી વધુ ગુલામો અને તેના માલિકોને સમાનતાવાદી દ્રષ્ટિથી જોનારો છે.

આ સવાલના પ્રત્યુત્તર રૂપે થરમાને 1949માં પોતાની એક મહાન કૃતિ Jesus and the Disinheritedમાં ચર્ચનો ધર્મ અને જીસસના ધર્મને ચિત્રિત કર્યો. એ પુસ્તકમાં તેમણે જેમના પર દમન કરવામાં આવતું હોય તેમને કેવા નર્ક જેવા ભયાનક ત્રાસ જેવા કે ભય, છેતરપિંડી અને ધિક્કારનો અનુભવ કરવો પડતો હોય છે, અને તેમની એક એક અનુભૂતિઓ કેવી આત્મઘાતક હોય છે તે વિષે વાત કરી છે. અંતમાં તેઓ એક વિવરણ આપતાં કહે છે, માનવના અસ્તિત્વના એક ભાગ રૂપે પ્રેમ એક સનાતન અને વૈશ્વિક બળ છે કે જેમાં દમન કરનાર અને દમિતને તેમના આધ્યાત્મિક ચૈતન્યને ઊંચે લઇ જઈને અને નવા પ્રકારની માનવ જાત સર્જીને પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે.  

આ પુસ્તકમાં થરમાને ગાંધીજીએ મ્યુરિયલ લેસ્ટરને છેતરપિંડી વિષે લખેલ પત્રમાંથી અવતરણ ટાંક્યું છે: “સત્ય બોલો, ભય રાખ્યા વિના અને કોઈ પણ અપવાદ વિના, અને તમારા હેતુઓ સાથે બીજાના કાર્યો કેવા સંબંધિત હોય છે તે જુઓ. તમે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છો, માટે તમારે માનવીઓના ધિક્કાર કે ઉપેક્ષાથી ડરવાનું કોઈ કારણ નથી. જો તેઓ તમારી વિનંતીઓ સંભાળે અને સ્વીકારે તો તમે સંતુષ્ટ થશો. જો તેઓ તેને નકારે, તો તમારે તેમના અસ્વીકારથી બળ મેળવવું રહ્યું.”

થરમાનને ગાંધીના તત્ત્વદર્શનમાં જીસસના ધર્મના અર્થઘટનની ઝાંખી થઇ. Jesus and the Disinherited પુસ્તક ડૉ. માર્ટિન લ્યુથર કિંગે જ્યારે નાગરિક અધિકારો માટેની ચળવળ શરૂ કરી ત્યારે પોતાની પાસે રાખતા.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયર

માર્ટિન લ્યુથર કિંગ કદાચ ગાંધીજીના વિચારોને સહુથી વધુ નિકટથી સમજનાર અને તેનું યથાર્થ અર્ઘટન કરનાર તથા આફ્રિકન-અમેરિકનના મુક્તિ સંગ્રામના ખૂબ પ્રતિષ્ઠિત નેતા ગણાયા. 1929માં અટલાન્ટા જ્યોર્જિયામાં એમનો જન્મ. કિંગે 1955માં મોન્ટગોમરી બસ બહિષ્કારની આગેવાની લીધેલી, સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપને પણ નેતૃત્વ પૂરું પાડેલું, વોશિંગટન સુધીની કૂચ પણ તેમણે સંયોજી, વિયેતનામ લડાઈનો વિરોધ કર્યો અને ન્યાય અને શાંતિ સ્થાપવા હેતુ નિર્ધન પ્રજા માટેના અધિકારની ઝુંબેશ પણ ઉઠાવી. પોતાના વક્તવ્ય ‘મારી અહિંસાની યાત્રા’માં ડૉ. કિંગ પોતે પશ્ચિમના વિચારકો પ્લેટો, એરિસ્ટોટલ, રુસો, હોબ્સ અને Rauschenbausch વગેરેના વિચારો જાણ્યા બાદ તેઓ કરી રીતે ગાંધીની અહિંસક વિચારધારા અને તેના અમલ વિષે કઈ રીતે પરિચયમાં આવ્યા તેનું વર્ણન કરતા કહે છે,

“ગાંધી કદાચ વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વ્યક્તિ હતા જેમણે જીસસના પ્રેમના નીતિશાસ્ત્રને માત્ર વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા સુધી સીમિત ન રહેવા દઈને વિશાળ પાયા પર એક શક્તિશાળી સામાજિક બળ તરીકે પ્રસ્થાપિત કરી બતાવ્યું. ગાંધી માટે પ્રેમ એ સામાજિક પરિવર્તન માટેનું એક સમર્થ સાધન હતું. હું મહિનાઓથી સામાજિક સુધારાઓ માટેની પદ્ધતિની શોધ કરી રહ્યો હતો તે મને ગાંધીના આ અહિંસક માર્ગ અને પ્રેમના પ્રાધાન્યમાં મળી આવી. બેન્થમ અને મિલના ઉપયોગિતાવાદ, માર્ક્સ અને લેનિનની ક્રાંતિકારી પદ્ધતિ, હોબ્સનો સોશિયલ કોન્ટ્રાકટનો સિદ્ધાંત, રુસોનો ‘પ્રકૃતિ તરફ પાછા વળવા’નો આશાવાદ અને નિત્શેનું અતિમાનવનું તત્ત્વજ્ઞાન એ સર્વેમાં બૌદ્ધિક અને નૈતિક સંતોષ આપે તેવું તત્ત્વ શોધી કાઢવામાં હું નિષ્ફળ રહ્યો જે મને ગાંધીના અહિંસક પ્રતિકારના દર્શનમાં મળી આવ્યું. મને એ વાતની પૂરેપૂરી ખાતરી થઇ કે આ જ એક માત્ર નૈતિક અને વ્યવહારિક સિદ્ધ થયેલ પદ્ધતિ છે જે દમિત પ્રજાને મુક્તિ સંગ્રામ માટે ઉપલબ્ધ છે.”

કિંગને ગાંધીમાં વિશ્વને સમજવાની અને અમેરિકાની દમિત પ્રજાની યાતનાઓ સાથે સુસંગત વાસ્તવિકતાઓને સીધી રીતે બદલવા માટે જીવવાની પદ્ધતિનું દર્શન થયું. તેમણે Reinold Niebuhr ગાંધીનું દર્શન દુષ્ટતાને નિષ્ક્રિય રહીને સ્વીકારી લેવાનું સૂચવે છે તેવી ટીકા તરફ લક્ષ્ય આપેલું અને ‘અનિષ્ટનો પ્રતિકાર ન કરવો’ અને ‘અનિષ્ટનો અહિંસક રીતથી પ્રતિકાર કરવો’ એ બે ધારણાઓ વચ્ચે તફાવત સ્પષ્ટ કરીને કહ્યું કે અનિષ્ટનો અહિંસક રીતથી પ્રતિકાર કરનાર દુષ્ટતાનો હિંમતથી સામનો અને પ્રેમના વિધાયક બળનો ઉપયોગ કરે છે.

1959માં કિંગે ભારતની – ‘ગાંધીની ભૂમિ’ની પ્રખ્યાત યાત્રા કરી. એબોની સામયિકમાં તેમણે લખેલું કે તેઓ ભારતીય સમાજનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા, ભારતના લોકો આઝાદી બાદ ઘણી મહાન સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને સાથે સાથે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે તથા જીવનના મુખ્ય સિદ્ધાંત તરીકે શાંતિ જાળવવાની મહાન સભ્યતા અને વારસાની જાળવણી કરી રહ્યા છે તેની પણ નોંધ લીધેલી.

ડબ્લ્યુ.ઈ.બી. ડુ બોઈ, હાવર્ડ થરમાન અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ ત્રણેય અહિંસાના સત્વને ઉજાગર કરનારા મહાનુભાવો હજુ આજે પણ અમેરિકાના લોકોને ગાંધીના કાર્યનો અભ્યાસ કરી, તેનું મૂલ્ય સમજીને તેની સ્તુતિ કરવા પ્રેરણા આપી રહ્યા છે. 2019માં ફિલાડેલ્ફિયામાં આફ્રિકન-અમેરિકન્સ, શ્વેત અમેરિકનો, વિયેતનામી, ભારતીયો, પાકિસ્તાની લોકો અને અન્ય રસ ધરાવનારાઓએ ‘ગાંધીની સાલ’ ઉજવવાનું આયોજન કર્યું, જેથી શાંતિ, સ્વતંત્રતા અને ન્યાય માટે ભવિષ્યમાં પાયો નાખી શકાય તેવી રીતે ગાંધીનાં જીવન અને કાર્યને ફરીને લોકો સુધી પહોંચાડી શકાય તેવો પ્રયાસ કરે છે. ફિલાડેલ્ફિયાની કાઉન્સિલે ગાંધી અને ગાંધીના વિચારોને સાચા અર્થમાં સમજાવનારા આફ્રિકન-અમેરિકાનોનુ સન્માન કરવાનો ઠરાવ પણ પસાર કર્યો છે.

(આ લેખ સન 2019 દરમિયાન “ગાંધી માર્ગ”માં પ્રથમ પ્રકાશિત થયેલો. 6/1/20ના Mkgandhi.orgમાં પ્રગટ થયો. એમની પરવાનગીથી અનુવાદિત લેખ અહીં પ્રસ્તુત છે) 

અનુવાદક : આશા બુચ 

Loading

મનરેગા : વિફળતાનું સ્મારક કે જીવાદોરી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 June 2020

૨૦૧૪માં સત્તાનશીન થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ‘મનરેગા’ને કૉન્ગ્રેસની વિફળતાનું જીવંત સ્મારક અને ખાડા ખોદવાની યોજના ગણાવી હતી. કોરોના મહામારીના કાળમાં શહેરોમાંથી ગામડાંઓમાં પલાયન કરી આવેલા સ્થળાંતરિત શ્રમિકોની રોજી માટે એ જ મનરેગાનું શરણું સરકારે લેવું પડ્યું છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ તેના માટે રૂ.૪૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે

ભારતીય સંવિધાન નાગરિકોને દેશના કોઈ પણ ખૂણામાં ધંધો-વ્યવસાય-રોજગાર કરવા સ્વતંત્ર હોવાનો અધિકાર આપે છે. પરંતુ નાગરિકોને રોજગારનો અધિકાર આપતું નથી. કૉન્ગ્રેસના નેતૃત્વ હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારે ૨૦૦૫માં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ (નરેગા) ઘડ્યો હતો. લોકસભાએ પસાર કરેલો આ કાયદો, પહેલીવાર ગ્રામીણ ભારતના નાગરિકોને સરકાર પાસે રોજગાર માંગવાનો અને વિકલ્પે બેરોજગારી ભથ્થું આપવાનો અધિકાર આપે છે. અર્થશાસ્ત્રી જ્યાં દ્વેજના ભેજાની પેદાશ મનાતો આ કાયદો દેશમાં રોજગારની માંગ કરતાં દીર્ઘ આંદોલનો અને નાગરિક સમાજની માંગની નીપજ છે. બીજી ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ દેશના ૨૦૦ જિલ્લાથી નરેગાનો આરંભ થયો હતો. ૨૦૦૭-૦૮માં બીજા તબક્કામાં તેમાં ૧૩૦ જિલ્લા ઉમેરાયા હતા. એપ્રિલ ૨૦૦૮ના ત્રીજા તબક્કામાં તેનો વ્યાપ વધીને ૫૯૩ જિલ્લાનો થયો હતો. બીજી ઓકટોબર ૨૦૦૯ના રોજ આ કાયદા સાથે મહાત્મા ગાંધીનું નામ જોડવામાં આવ્યું હતું એટલે હવે તે ‘મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ’ (મનરેગા) તરીકે ઓળખાય છે. સરકારી આંકડાઓ મુજબ આજે મનરેગા યોજના દેશના ૬૯૩ જિલ્લાના ૬,૯૭૪ તાલુકાની ૨,૬૫,૦૦૭ ગ્રામ પંચાયતોમાં અમલી છે.

‘મનરેગા’ હેઠળ ગામડાંના અકુશળ બેરોજગારો ગ્રામ પંચાયત પાસે કામની માંગણી કરી શકે છે. સરકારે તેને ફરજિયાત ૧૦૦ દિવસની રોજી અથવા બેરોજગારી ભથ્થું આપવું પડે છે. મનરેગા કામદારોને જોબકાર્ડ આપવામાં આવે છે. આ જોબકાર્ડ પરિવાર દીઠ આપવામાં આવે છે. જેમાં પરિવારના ત્રણથી ચાર સભ્યો(પતિ, પત્ની અને અવિવાહિત પુખ્ત સંતાનો)નો સમાવેશ થાય છે. દેશમાં આજે ૧૪.૦૪ કરોડ જોબકાર્ડ ઈસ્યુ થયાનું સરકારનું કહેવું છે. એટલે કે ૨૭.૩૪ કરોડ કામદારો મનરેગામાં કામ કરે છે. સતત ત્રણ વરસથી મનરેગામાં કાર્યરત પરિવારને એકટિવ જોબકાર્ડધારક કહેવામાં આવે છે. દેશમાં એકટિવ જોબકાર્ડની સંખ્યા ૮.૦૩ કરોડ અને તે હેઠળ કાર્યરત શ્રમિકોની સંખ્યા ૧૨.૩૭ કરોડ છે. આ આંકડા મનરેગાને દુનિયાની સૌથી મોટી રોજગાર યોજના પૂરવાર કરે છે.

ગ્રામ્ય ભારતના લોકો અન્ય રોજગારના અભાવે મનરેગામાં કામ કરતા હોય છે. મનરેગા મજૂરોને લઘુતમ વેતન કરતાં પણ ઓછું વેતન મળે છે. અત્યાર સુધી મનરેગા શ્રમિકોને દૈનિક રૂ.૧૮૨  વેતન મળતું હતું. તાજેતરમાં જ સરકારે તેમાં રૂ.૨૦નો મામૂલી વધારો કર્યો છે. એટલે હવે મનરેગા મજૂરોનું રોજનું રૂ.૨૦૨નું વેતન નક્કી કરવામાં આવ્યું છે. જો કે દેશના તમામ રાજ્યોમાં એક સરખું વેતન મળતું નથી. દેશમાં મનરેગા મજૂરોને સૌથી વધુ વેતન કેરળમાં અને સૌથી ઓછું રાજસ્થાનમાં મળે છે. આ યોજનામાં શ્રમિકોના વેતનનો ૬૦ ટકા હિસ્સો અને કામ માટેના સાધનોના ખર્ચનો પોણો હિસ્સો કેન્દ્ર સરકાર ચૂકવે છે.વડાપ્રધાને મનરેગાની મજાક કરતાં તેને ખાડા ખોદવાની યોજના ગણાવી હતી પરંતુ મનરેગા હેઠળ ઘણાં મહત્ત્વનાં વિકાસ કામો થાય છે. સડક નિર્માણ, તળાવો ઊંડા કરવા, મકાન બાંધકામ, વનીકરણ, સિંચાઈ, નહેરસફાઈ પૂર નિયંત્રણ, જળ સંગ્રહ, અને સંવર્ધન તેમ જ અન્ય પર્યાવરણીય કામો તો થાય જ છે. બી.જે.પી. સરકારે તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત યોજનાને પણ જોડી છે. છેલ્લા પંદરેક વરસોમાં મનરેગા યોજનામાં સમગ્ર દેશમાં ૪૬૦ લાખ કામો થયાનો અંદાજ છે.

બેંગલુરુની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટના સર્વે મુજબ ૧૩મી એપ્રિલથી ૯મી મે ૨૦૨૦માં ૫૭ % ગ્રામીણ અને ૮૦% શહેરી શ્રમિકોએ રોજી ગુમાવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૦ની તુલનામાં તે પછીના મહિનાઓમાં તેમની આવક ૬૩ % ઘટી હતી. આ સ્થિતિમાં મનરેગા તેમના માટે મદદગાર, તારણહાર અને જીવાદોરી બની રહી છે. દેશના જે રાજ્યોમાં સ્થળાંતરિત શ્રમિકો મોટા પાયે પરત આવ્યા છે તેમને રાજ્ય સરકારોએ મનરેગામાં કામ આપ્યું છે. મે-૨૦૧૯માં મનરેગામાં ૩૬.૯ કરોડ કાર્ય દિવસો મે-૨૦૨૦માં વધીને ૪૧.૭૭ કરોડ થયા છે. એટલે કે ૪.૮ કરોડ કાર્યદિવસોનો વધારો થયો છે. ગયા વરસના મે મહિનામાં ૨.૧૨ કરોડ કુટુંબો લાભાર્થી હતા જે આ વરસે ૨.૮ કરોડ થયા છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ,, ઓડિસા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં મોટા પાયે મનરેગાના કામો આરંભાયાં છે.

મનરેગાની અનેક સકારાત્મક અસરો છતાં તે રોજગારનું મુખ્ય સાધન બની રહેલ નથી. તે જીવનધોરણ ટકાવી શકે છે પણ સુધારી શકતું નથી. સંકટ સમયની સાંકળ કે પૂરક રોજીનું તે સાધન છે. તેનાથી બહેતર જીવનની ખાતરી મળતી નથી. તેનાથી ગરીબી, કુપોષણ અને ભૂખમરો કંઈક અંશે ઘટે છે એટલું જ એથી વિશેષ કશું જ નહીં. મનરેગા મજૂરોમાં ૩૩ %ને બદલે મહિલાઓની ભાગીદારી ૫૦ % જેટલી ઊંચી છે. તો દલિત-આદિવાસી શ્રમિકો પણ ૪૮% જેટલો ઊંચો દર ધરાવે છે. પણ દેશના મોટા અને મોંઘા શ્રમ બજારમાં તેમની ઉપયોગિતા નથી એટલે તેમને અહીં રહેવું પડે છે કે કેમ તે જોવું રહ્યું. જો કે મનરેગાએ ગ્રામીણ શ્રમબજારના મજૂરીના દરમાં વૃદ્ધિની ફરજ પાડી છે, રોજગાર નિર્માણ થકી સમાવેશી વિકાસ સાધી, ગરીબી નાબૂદ કરી, શ્રમિકોની સોદાબાજીમાં વધારો કર્યો છે.

આ યોજનાની ખામીઓ પણ બહુ મોટી છે. ભ્રષ્ટાચાર, અપારદર્શિતા, વેતન ચૂકવણામાં વિલંબ અધૂરા કામો, મંજૂરી વગરના કે બિનઉપયોગી કામો પ્રમુખ ખામીઓ છે. આજે શ્રમિકને જીવન ટકાવવા તાત્કાલિક નાણાંની જરૂર છે ત્યારે અઠવાડિક મજૂરીની ચૂકવણી કે કુંટુંબ દીઠ જોબકાર્ડ અને કામ માંગવાની અને મંજૂરીની પ્રક્રિયા પણ કામદારને પરેશાન કરનારી છે. મનરેગાના વિરોધીઓ તેને શ્રમિકને એક રૂપિયો આપવા માટે પાંચ રૂપિયાનો ખર્ચ કરાવનારી યોજના ગણે છે તો સમર્થકો તેને ગ્રામીણ કામદારોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આણનાર ગણે છે. હાલની સરકાર આ યોજના માટે બહુ ઉત્સાહી લાગતી નહોતી. ૨૦૧૯-૨૦માં મનરેગામાં રૂ.૭૧,૦૦૨ કરોડનો ખર્ચ થયો હતો. સામાન્ય રીતે નવા બજેટમાં ખર્ચ જેટલી કે તેનાથી વધારે બજેટ જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ કેન્દ્રના ૨૦૨૦-૨૧ના બજેટમાં ખર્ચ કરતાં જોગવાઈ ઘટાડીને રૂ.૬૧,૫૦૦ કરોડ કરી હતી. જી.ડી.પી.ના માંડ ૦.૩ ટકા ખર્ચથી  ૭ કરોડ પરિવારોને રોજી મળતી હોય તે યોજનાને  બહેતર બનાવવી સરકારના લાભમાં છે. યુ.પી.એ. સરકારે ૨૦૦૮થી ૨૦૧૪ના વરસોમાં ૧.૯૧ લાખ કરોડ મનરેગા પાછળ ખર્ચ્યા હતા. બી.જે.પી. સરકારને ૨૦૧૪થી ૨૦૨૦માં ૨.૯૫ લાખ ખર્ચીને વિફળતાના સ્મારકને અકબંધ જ નહીં બહેતર બનાવવાની ફરજ પડી છે.

(તા.૨૪-૦૬-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 24 જૂન 2020

Loading

रंगभेदी गांधी ?

कुमार प्रशांत|Opinion - Opinion|24 June 2020

मोहनदास करमचंद गांधी एक ऐसे अंतरराष्ट्रीय अपराधी हैं जिसने अपने हर अपराध का साक्ष्य इकट्ठा कर हमें सौंप दिया है. हमें जब, जहां, जैसी जरूरत होती है तब, तहां, हम उसका इस्तेमाल कर उन्हें सजा दे लेते हैं. सजा सुना दी जाती है, कभी दे भी दी जाती है और फिर ऐसा होता है कि हम खुद ही पूछते रह जाते हैं कि हमने यह क्या किया ! गांधी हर बार किसी व्यक्ति या भीड़ के गुस्से के शिकार होते हैं; और वे ही हैं जो हमें बता गये हैं कि गुस्सा दूसरा कुछ नहीं, छोटी अवधि का पागलपन है.

पागलपन के ऐसे ही दौर में वे कभी दलितों को तो कभी नारीवादियों को अपने खिलाफ लगते हैं, जिन्होंने कभी स्वतंत्रता की लड़ाई नहीं लड़ी उन्हें वे साम्राज्यवादियों के दलाल लगते हैं, जिन्होंने देश- विभाजन रोकने के लिए कभी चूं तक नहीं की वे गांधी को देश-विभाजन का अपराधी बताते हैं, सांप्रदायिकता की बूटी खा-खा कर जिंदा रहने वाले उन्हें मुसलमानों का तुष्टिकरण करने वाला बताते हैं,  कभी उन्हें क्रूर पिता व अन्यायी पति बताया जाता है. वे जब तक जीवित रहे उन पर तीर चलाने वालों की कमी नहीं रही. जब वे नहीं हैं तब भी तीरंदाज बाज नहीं आ रहे.

अभी-अभी ऐसा ही हुआ.  अमरीकी अश्वेत नागरिक जॉर्ज फ्लायड की दिन-दहाड़े हत्या हुई. हत्यारा एक श्वेत अमरीकी पुलिस अधिकारी था. अमरीकी पुलिस के हाथों प्रतिवर्ष 100 अश्वेत अमरीकी मारे जाते हैं. न सरकार चेतती है, न अदालत ! लेकिन इस बार ऐसा नहीं हुआ, क्योंकि अमरीका चेत गया ! ‘कालों का जीवन भी मतलब रखता है’  जैसी चीख के साथ पूरा अमरीकी समाज खौल उठा – सभी प्रांतों के, सभी रंग के अमरीकी सड़कों पर उतरे. यह चीख यूरोप के दूसरे देशों में भी फैल गई. बहुत दिनों के बाद रंगभेद के खिलाफ सभी रंगों की मिली-जुली इतनी बड़ी ललकार सुनाई दी ! गांधी होते तो ऐसे प्रतिवादों में सबसे आगे दिखाई देते … लेकिन यहां तो वे भू-लुंठित दिखाई दिए. प्रदर्शनकारियों ने उन सारे प्रतीकों पर हमला किया जिनने कभी रंगभेद को चालना दी, गुलाम-प्रथा का व्यापार किया, कालों को कमतर माना . तो कई बुत तोड़े गये, कई पर कालिख पोती गई और सबको एक नाम दिया गया – रंगभेदी !!  वाशिंग्टन डीसी में लगाई गई गांधीजी की प्रतिमा भी निशाने पर आई. उसका भी विद्रूप कर, उसे भी रंगभेदी की उपाधि दे कर उसका ऐसा हाल किया गया कि अमरीकी प्रशासन ने अपनी शर्म छिपाने के लिए उसे ढक दिया और यह आश्वासन भी दिया कि इसे ठीक कर जल्दी ही पुनर्स्थापित कर दिया जाएगा. किसी के कैसे भी अपमान से गुरेज न करने वाले राष्ट्रपति ट्रंप ने इसे अपमानजनक कह कर मान कमाने की कोशिश की ! ऐसा ही इंग्लैंड में भी हुआ लेकिन थोड़े रहम के साथ ! लंदन के पार्लियामेंट स्क्वायर पर लगी गांधी-प्रतिमा पर प्रदर्शनकारियों ने ‘स्प्रे’ कर दिया अौर उसकी सीढ़ियों पर ‘रंगभेदी या रेसिस्ट’ लिख दिया.

गांधी होते तो क्या करते या क्या कहते ? वे कहते : यह आग जली है तो बुझनी नहीं चाहिए ! वे करते :  चलो, मैं भी चलता हूं; और वाशिंग्टन हो कि लंदन कि कहीं और, वे हर प्रदर्शन के आगे-आगे चल पड़ते लेकिन अनशन करते हुए ताकि इसके भीतर जो हिंसा व लूट और मनमानी हुई उससे अपनी असहमति भी जाहिर करें और उसके प्रति सबको सचेत भी करें. और जब वे ऐसा करते तब कोई अनजाना कह बैठता कि यह आदमी जन-संघर्ष विरोधी था ! फिर आप क्या करते ? इतिहास के पन्ने पलटते और उसमें गांधी को खोजते, जैसे मैं खोज रहा हूं कि गांधी रंगभेदी थे यह बात कहां से आई है ?

दक्षिण अफ्रीका पहुंचे बैरिस्टर गांधी ब्रिटिश साम्राज्य के प्रति मोहग्रस्त हैं. उन्हें लगता है कि यह न्यायप्रिय और उदार साम्राज्य है जिसकी हम भी प्रजा हैं तो साम्राज्य पर आया हर संकट हमारा अपना संकट है और हमें साम्राज्य की मदद करनी चाहिए. इसलिए बैरिस्टर साहब बोअर-युद्ध में घायलों की तिमारदारी के लिए उतरते हैं. जब बोअर अंग्रेजों की अपेक्षा से ज्यादा भारी पड़े तो अंग्रेजों के अनुरोध पर वे अपनी टोली ले कर युद्धभूमि में भी उतरे. जंगे-मैदान से घायलों को निकाल कर ले जाते रहे और कई मौकों पर 20-25 मील की दूरी पर स्थित चिकित्सा-केंद्र तक घायलों की डोली पहुंचाते रहे. इस प्रयास से उन्हें मिला क्या ? ‘आत्मकथा' में गांधी लिखते हैं : “मैं समझ पाया कि यह न्याय का नहीं, कालों को दबाने का युद्ध है.   हिंदुस्तानी कौम अधिक संगठित हो गई, मैं गिरमिटिया हिंदुस्तानियों के अधिक संपर्क में आया. गोरों के व्यवहार में भी स्पष्ट परिवर्तन दिखाई दिया।”

दूसरा मौका आया जुलू विद्रोह के वक्त. अब तक गांधी बहुत प्रौढ़ हो चुके थे. उन्होंने फिर इंडियन एंबुलेंस टोली का गठन किया. आरोप यह है कि यह गोरे इंग्लैंड के प्रति उनका पक्षपात था. लेकिन सच यह है कि इंडियन एंबुलेंस टोली को घायल जुलू विद्रोहियों की देख-भाल का ही काम मिला था क्योंकि श्वेत डॉक्टर व नर्सें उनका इलाज करने को तैयार नहीं थे. गांधी-टोली ने जिस तरह घायल जुलुओं की सेवा की उसकी सर्वत्र प्रशंसा हुई और एक-दूसरे की भाषा न जानने वाले जुलुओं ने भी अपनी कृतज्ञता प्रकट की. यह इतिहास सामने रखो तो वे आरोप लगाते हैं कि गांधी जुलुओं के साथ मिल कर लड़े क्यों नहीं ? अब आप दीवारों से बात तो नहीं कर सकते !

दक्षिण अफ्रीका की गांधी की लड़ाई रंगभेद के कारण नहीं थी. सवाल भारतीय नागरिकों के  अधिकार का था. रानी विक्टोरिया ने 1858 में अपने साम्राज्य की प्रजा के नागरिक अधिकारों की घोषणा की थी. गांधी चाहते थे कि उस घोषणा पर अमल हो. तब उनकी समझ थी कि रंगभेद तो रास्ते पर पड़ा एक रोड़ा है जो रानी विक्टोरिया की घोषणा पर अमल की आंधी में खुद-ब-खुद उड़ जाएगा. भारतीयों की समस्याएं अलहदा थी, इसलिए आंदोलन भी अलहदा था. कालों को साथ लेने का वहां बात थी ही नहीं.

बैरिस्टर साहब गिरफ्तार हो कर पहली बार जब जेल पहुंचे तो उन्हें यह बात नागवार गुजरी कि उन्हें जुलू लोगों के साथ एक ही वार्ड में रखा गया है. यह एतराज रंगभेद की वजह से नहीं था. जेल में दो वर्ग होते ही हैं : अपराधी कैदी और राजनीतिक कैदी ! जेल मैनुअल भी यह फर्क करता है, अदालत भी और सरकार भी. आपातकाल की 19 माह की अपनी जेल में हम भी यह मांग करते ही थे और प्रशासन भी चाहता था कि अपराधी व राजनीतिक बंदी अलग-अलग, अपने-अपने वार्डों में रहें. प्रशासन तो इसलिए भी हमारे बीच दूरी चाहता था कि कहीं हम अपराधियों का राजनीतिक शिक्षण न करने लगें. अलग वार्ड की गांधी की मांग इस कारण थी, न कि रंगभेद के कारण. और अपराधियों के साथ एक ही सेल में रहने का अपना कड़वा अनुभव भी गांधी ने लिखा ही है कि एक बार जब वे शौचालय में थे तभी एक विशालकाय जुलू भीतर घुस आया. उसने गांधी को उठा कर बाहर फेंक दिया और खुद फारिग होने लगा.  

गांधी का आज का विराट स्वरूप बनते-बनते बना है. गांधी का भी विकास हुआ है, होता रहा है.  लेकिन इस विकास-क्रम में वे  रंगभेदी कभी नहीं रहे. इसलिए वाशिंग्टन हो या लंदन या कहीं और ‘कालों का जीवन भी मतलब रखता है’ वाली मुहिम को याद रखना चाहिए कि गांधी की मूर्तियां भले वे तोड़ें या न तोड़ें लेकिन गांधी को कभी न छोड़ें, क्योंकि गांधी के बिना आत्मस्वाभिमान की लड़ाई में वे मार भी खाएंगे और हार भी. गांधी रास्ता भी हैं और उस राह पर चलने का संकल्प भी.

(23.06.2020)

http://kumarprashantg.blogspot.in/

Loading

...102030...2,2952,2962,2972,298...2,3102,3202,330...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved