Opinion Magazine
Number of visits: 9575692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—50

દીપક મહેતા|Opinion - Opinion|28 June 2020

હરિશ્ચન્દ્ર નાટક : સંસ્કૃતથી તમિળથી અંગ્રેજીથી ગુજરાતીનો પ્રવાસ

રણછોડભાઈ અને કાબરાજીના નાટકના ૧૧૦૦ પ્રયોગ

કાબરાજી : શેઠ, અમે કાંઈ મદારી નથી કે કોઈને ઘરે જઈને ખેલ કરીએ

શું આપણા દેશમાં કે શું દુનિયાના બીજા દેશોમાં, નાટક, સાહિત્ય, ચિત્ર, શિલ્પ અને બીજી કલાઓ પર આજ સુધી જે-તે દેશની માઈથોલોજીની જબરી અસર રહી છે. આપણે ત્યાં રામાયણ-મહાભારત અને પુરાણોનાં પાત્રો અને પ્રસંગોને આધારે અનેક કૃતિઓ દરેક ભાષામાં રચાઈ છે. આવી એક કથા તે રાજા હરિશ્ચન્દ્રની વાત. નરસિંહ મહેતાથી કવિ દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન, કથા-વાર્તા વગેરેમાં આ કથા જોવા મળે છે. ભવાઈ ભજવાનારાઓ માટે પણ રાજા હરિશ્ચન્દ્રની કથા હાથવગી હતી. આનું એક કારણ એ કે સામાન્ય માણસ પોતાના જીવનમાં જે કરી ન શકે એવું કરનારાઓ પ્રત્યે તેને હંમેશાં અહોભાવ અને આકર્ષણ રહે છે. ગાંધીજીએ ભલે લખ્યું કે ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ પણ વ્યવહારમાં એ શક્ય નથી જ. અને એટલે આમ જનતાને હરિશ્ચન્દ્રની કથાનું આકર્ષણ રહે.

રણછોડભાઈ ઉદયરામ

આપણે ત્યાં અર્વાચીન ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓએ કરી અને શરૂઆતમાં પારસીઓમાં વધુ પ્રચલિત એવી કેટલીક કથાઓને લઈને નાટકો લખ્યાં અને ભજવ્યાં. પણ પછી ચતુર પારસીઓના ધ્યાનમાં એ વાત આવી ગઈ કે પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવું હોય તો હિંદુ ગુજરાતી પ્રેક્ષકોને આકર્ષ્યા વિના નહિ ચાલે. એટલે તેમણે હિંદુ પુરાણકથાઓ પર આધારિત નાટકો ભજવવાનું શરૂ કર્યું. આ દિશામાં પહેલ કરી કેખુશરૂ કાબરાજી અને તેમની નાટક ઉત્તેજક મંડળીએ. ૧૮૬૮ના મે મહિનાની ૧૬મી તારીખે બીજા ચાર મિત્રોને સાથે રાખીને કાબરાજીએ ‘વિક્ટોરિયા નાટક મંડળી‘ શરૂ કરી હતી. તેણે મુખ્યત્વે પારસી ગુજરાતી નાટકો સફળતાથી રજૂ કર્યાં હતાં. આ મંડળીએ પોતાનાં નાટકો રજૂ કરવા માટે ૧૮૭૦માં ‘વિક્ટોરિયા નાટક શાળા’ (થિયેટર) બંધાવી હતી. પણ પછી બીજા ભાગીદારો સાથે મતભેદ થતાં કાબરાજી આ મંડળીમાંથી છૂટા થયા અને પોતાની નવી ‘નાટક ઉત્તેજક મંડળી’ શરૂ કરી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. એ જમાનાના જાણીતા નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે કાબરાજીએ તેમની પાસે આવા એક નાટકની માગણી કરી. અને ૧૮૭૧માં પ્રગટ થયેલું પોતાનું ‘હરિશ્ચન્દ્ર નાટક’ રણછોડભાઈએ તેમને આપ્યું.

મુથ્થુ કુમારસ્વામી

રણછોડભાઈના આ નાટકનો પણ ભલે નાનકડો, તો ય ઇતિહાસ છે. દુનિયા માત્ર આજે જ નાની થઈ ગઈ છે, જુદાં જુદાં દેશો, લોકો, ભાષાઓ વચ્ચેની લેવડદેવડ ગૂગલ દેવના આગમન પછી જ વધી છે એવું નથી. ૧૯મી સદીમાં પણ એવી લેવડદેવડ થતી. માર્કંડેય પુરાણમાંની રાજા હરિશ્ચન્દ્રની કથા પરથી દક્ષિણ ભારતના એક મધ્યકાલીન લેખકે તમિળ ભાષામાં નાટક લખ્યું. સિલોન કહેતાં શ્રીલંકાના રહેવાસી તમિળભાષી મુથ્થુ કુમારસ્વામી(૧૮૩૪-૧૮૭૯)એ તેનો અંગ્રેજી અનુવાદ કર્યો. આ મુથ્થુ કુમારસ્વામી એટલે આખા એશિયા ખંડમાં પહેલવહેલો  ‘સર’નો ઈલ્કાબ મેળવનાર. તેઓ વિલાયત જઈ બેરિસ્ટર થયેલા અને શ્રીલંકાની લેજિસ્લેટીવ કાઉન્સીલના સભ્ય નિયુક્ત થયા હતા. ૧૮૬૨માં ગ્રેટ બ્રિટનની પ્રખ્યાત ‘લિકન્સ ઇન’ના તેમને સભ્ય બનાવવામાં આવ્યા હતા. કોઈ બિન-ખ્રિસ્તી અને બિન-જ્યુને આવું માન ત્યારે પહેલી જ વાર મળ્યું હતું.  તેમણે એ તમિળ નાટકનો અંગ્રેજી અનુવાદ કરી વિલાયતમાં જ ૧૮૬૩માં પ્રગટ કર્યો. આ જ વર્ષના ડિસેમ્બરની આઠમી તારીખે  આ નાટક રાણી વિક્ટોરિયા સમક્ષ ભજવાયું ત્યારે તેમાં રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા મુથ્થુ કુમારસ્વામીએ પોતે ભજવી હતી. આમ, હરિશ્ચંદ્રનું નાટક મુંબઈના પ્રેક્ષકો પહેલાં રાણી વિક્ટોરિયાએ જોયું હતું. મુથ્થુસ્વામી લેટિન, ગ્રીક, હિબ્રુ, પાલિ, અરબી, સંસ્કૃત સહિત કુલ ૧૨ ભાષા જાણતા હતા. પ્રખ્યાત કલામીમાંસક આનંદ કુમારસ્વામી તેમના દીકરા. પોતાના અનુવાદની એક નકલ તેમણે મુંબઈના કોઈ મિત્રને મોકલી. એ નકલ રણછોડભાઈના જોવામાં આવી. એ વખતે તેઓ હરિશ્ચન્દ્ર વિષે નાટક લખવાનો વિચાર કરતા જ હતા, પણ આ અંગ્રેજી અનુવાદ તેમને એટલો તો ગમી ગયો કે તેમણે મૌલિક નાટક લખવાને બદલે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. મૂળ તમિળ નાટકમાં ગદ્ય અને પદ્ય બંને હતાં, પણ અંગ્રેજી અનુવાદ કેવળ ગદ્યમાં હતો. પણ તેમાંના કેટલાક ભાગનો અનુવાદ રણછોડભાઈએ પદ્યમાં કર્યો.

કેખુશરો કાબરાજી

પોતાના આ અનુવાદની ૧૮૭૧માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની નકલ રણછોડભાઈએ કાબરાજીને આપી. કાબરાજીને નાટક તો ઘણું ગમ્યું પણ તે ભજવતાં પહેલાં કેટલાક ફેરફાર કરવાનું જરૂરી હતું. પહેલું તો એ કે ૧૦૮ છાપેલાં પાનાંનું આ નાટક લાંબાં નાટકોના એ જમાનામાં પણ ટૂંકાવ્યા વગર ભજવી શકાય નહિ. બીજું એ વખતે ભજવાતાં નાટકમાં નાચ-ગાયન તો હોવાં જ જોઈએ એવો ચાલ. રણછોડભાઈના અનુવાદમાં પદ્ય હતું, પણ ગીતો નહોતાં. આ ફેરફારો માટે રણછોડભાઈએ સંમતિ આપી એટલે કાબરાજીએ પહેલાં તો નાટકમાં કાપકૂપ કરી. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં, અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠુમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. ભજવણી માટે તૈયાર થયેલી આ સ્ક્રિપ્ટ તેમણે ૧૮૭૬ના એપ્રિલમાં પુસ્તકાકારે પણ પ્રગટ કરી. તેની એક નકલ આ લખનારના અંગત સંગ્રહમાં છે, પણ કમનસીબે તેના ટાઈટલ પેજનો નીચેનો ભાગ ફાટી ગયો છે. પણ કાબરાજીએ લખેલી પ્રસ્તાવનાની નીચે ‘એપ્રેલ ૧૮૭૬’ છાપ્યું છે. એટલે આ પુસ્તક ૧૮૭૬માં પ્રગટ થયું હતું.

આમ, નાટક તો તૈયાર થઈ ગયું, પણ શરૂઆતમાં નાટક ઉત્તેજક મંડળીના બીજા ભાગીદારોએ આવું નાટક ભજવવા સામે વિરોધ કર્યો. મુખ્ય કારણ એ કે પારસી નટો હિંદુ પાત્રો ભજવે તે ન તો પારસી પ્રેક્ષકો સ્વીકારશે, કે ન તો હિંદુ પ્રેક્ષકો સ્વીકારશે એવી તેમને બીક હતી. બીજું, પારસી એક્ટરોને ‘શુદ્ધ’ ગુજરાતી ભાષા બોલવાનું ફાવશે નહિ અને તેઓ હાંસીપાત્ર થશે એમ પણ લાગતું હતું. વિક્ટોરિયા અને નાટક ઉત્તેજક, બંને મંડળીઓમાં કાબરાજીના ખાસ સાથી એવા ફરામજી ગુસ્તાદજી દલાલ ‘ઇન મેમોરિયમ : કેખુશરો નવરોજી કાબરાજી’ (૧૯૦૪) નામના સ્મૃતિ ગ્રંથમાંના લેખમાં જણાવે છે કે એ વખતે કાબરાજીએ કહ્યું કે પહેલાં આ નાટક હું તમને વાંચી સંભળાવું. પછી નક્કી કરજો કે એ ભજવવું કે નહિ. તેમણે લગભગ અડધું નાટક વાંચ્યું ત્યાં જ બધા ભાગીદારોએ કહ્યું કે આ નાટક તો આપણે ભજવવું જ જોઈએ. અને કાબરાજીએ ‘હરિશ્ચન્દ્ર’નાં રિહર્લસર શરૂ કર્યાં. એક બાજુથી ‘શુદ્ધ’ ગુજરાતી ગાવા-બોલવાની તાલીમ આપતા જાય, બીજી બાજુથી વેશભૂષા, પડદા, સાધન-સામગ્રી એકઠી કરતા જાય. એટલું જ નહિ, એ બધાંનો ઉપયોગ કરવાની પારસી એક્ટરોને ટેવ પણ પાડતા જાય.

રણછોડભાઈ અને કાબરાજીનું હરિશ્ચન્દ્ર નાટક

કાબરાજી અને રણછોડભાઈએ નક્કી કર્યું હતું કે નાટકનો પહેલો પ્રયોગ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ કરવો. તેમની ‘હા’ હોય તો જ જાહેર પ્રયોગ કરવા. આવો ખાસ પ્રયોગ આમંત્રિત પ્રેક્ષકોને બેહદ પસંદ પડ્યો. પણ નાટક એવી જગ્યાએ રજૂ કરવું જોઈએ કે હિંદુ અને પારસી, બંને પ્રેક્ષકોને તે પાસે પડે. કાબરાજી અને રણછોડભાઈએ ઘણી મહેનત કરીને ધોબી તળાવ પરની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટની જગ્યા આખા એક વર્ષ માટે ભાડેથી મેળવી અને ૧૮૭૪માં ખેલ શરૂ કર્યા. ખેલ વખતે દર્શકોની એટલી ભીડ થતી કે એ ઈમારતના દરવાજા ખેલ શરૂ થતાં પહેલાં અડધા કલાકે બંધ કરી દેવા પડતા. અને એ જમાનામાં તેના કેટલા પ્રયોગ થયા હશે? પૂરા અગિયાર સો. આ નાટકમાંથી ‘નાટક ઉત્તેજક મંડળી’ને એટલી તો આવક થઈ કે તેમાંથી તેણે ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું.

તેમાં પહેલું નાટક ભજવાયું તે રણછોડભાઈ ઉદયરામનું ‘નળ-દમયન્તી નાટક.' આ નાટક જોવા માટે હિંદુ સ્ત્રીઓ બહુ મોટી સંખ્યામાં આવવા લાગી. પણ સાથે આવેલાં બાળકો રડતાં ત્યારે એક્ટરોને અને બીજા પ્રેક્ષકોને ખલેલ પડતી. એટલે કેટલાક ભાગીદારો કહે કે સાથે બાળકોને લાવવાની મનાઈ ફરમાવીએ. પણ કાબરાજીએ જુદો રસ્તો લીધો. પહેલું તો બપોરે ખાસ ‘જનાના ખેલ'’શરૂ કર્યો અને એ વખતે પણ થિયેટરની લોબીમાં ઘોડિયાં મૂકાવ્યાં અને તેમાં સૂતેલાં બાળકોનું ધ્યાન રાખવા ખાસ માણસો રાખ્યા. તે પછી તો આ નાટકની લોકપ્રિયતા બેહદ વધી ગઈ. એટલે ત્રણ મહિના સુધી રોજે રોજ આ નાટક ભજવવું પડ્યું. ત્યાર બાદ આ જ થિયેટરમાં કાબરાજીએ કવિ નર્મદનું ‘રામજાનકીદર્શન’ નામનું નાટક કેટલાક ફેરફાર અને ઉમેરા સાથે ‘સીતાહરણ’ નામથી ૧૮૭૮માં ભજવવાનું શરૂ કર્યું. એ ખેલ વખતે ઘણા હિંદુ પ્રેક્ષકો ઊભા થઈને રામ-સીતાનાં પાત્રો ભજવનાર નટોને નમન કરતા. નાટકોને સફળ બનાવવા કાબરાજી જાતજાતના નુસખા અજમાવતા. ક્યારેક જીવણજી મહારાજ કે પંડિત ગટ્ટુલાલ ધ્રુવને નાટકની શરૂઆતમાં ભાષણ કરવા આમંત્રણ આપતા. તો બીજી બાજુ પોતાનાં નાટકો જોવા તેમણે મુંબઈના ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ, ઓનરેબલ મિસ્ટર એશબર્નર, ઓનરેબલ મિસ્ટર ગિબ્સ, મ્યુનિસિપાલિટીના કાઉન્સીલરો, લશ્કરી અફસરો અને નામાંકિત વેપારીઓને પણ બોલાવ્યા હતા. ગ્રેટ બ્રિટનના રાષ્ટ્રગીતનો સમગેય તરજુમો કાબરાજીએ પોતે કર્યો હતો અને બધા નટોને મૂળ ચાલમાં તે ગાતાં શીખવાડ્યો હતો. જ્યારે ખેલમાં ગવર્નર કે બીજા કોઈ બ્રિટિશ મહેમાન આવે ત્યારે નાટકને અંતે બધા નટો સ્ટેજ પરથી બ્રિટિશ રાષ્ટ્રગીત ગાતા.

તો બીજી બાજુ પોતાના, નટોના, અને પોતાની નાટક કંપનીના સ્વમાનનો પણ તેઓ પૂરો ખ્યાલ રાખતા. એક વખત એક અમીરે પોતાના બંગલામાં નાટક ભજવવા આમંત્રણ આપ્યું. બધા ખર્ચ ઉપરાંત માત્ર એક ખેલ માટે એક હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ) આપવાની ઓફર કરી. બીજા ભાગીદારો તૈયાર હતા, પણ કાબરાજીએ કહ્યું કે આપણે કાંઈ મદારી નથી કે કોઈને ઘરે જઈને ખેલ કરીએ. આવું કરીએ તો ‘જેન્ટલમેન’ ખેલાડીઓની મંડળીને અને તેની મોભાદાર કમિટીને નીચાજોણું થાય. એટલે તેમણે વિનયપૂર્વક એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. થોડા વખત પછી વધુ મોટી મુશ્કેલી. નાટક ઉત્તેજક મંડળીની કમિટીના એક સભ્યને ઘરે લગ્નપ્રસંગે નાટક ભજવવા એ સભ્યે જણાવ્યું અને તે માટે ૫૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી. બીજા સભ્યોને થયું કે હવે કાબરાજી બરાબરના ફસાયા છે. પણ કાબરાજીએ દલીલો કરીને બીજા સભ્યોને પોતાની સાથે લઈ લીધા અને આ આમંત્રણ પણ સ્વીકાર્યું નહિ.

પોતાનાં નાટકો લઈ કાબરાજી મુંબઈ બહાર પણ અવારનવાર જતા. એ વખતના ઘણાખરા નાટક-લેખકોની જેમ રણછોડભાઈ ધંધાદારી નાટયકાર નહોતા. વ્યવસાયે તેઓ ગુજરાત-સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોના મુંબઈ ખાતેના એજન્ટ તરીકે કામ કરતા. એટલે તેમની ઓળખાણોનો લાભ લઈને કાબરાજી ‘હરિશ્ચન્દ્ર’ નાટક લઈને ૧૮૭૬-૧૮૭૭ના અરસામાં ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હોય તે શક્ય છે. અને એ પ્રવાસ દરમ્યાન આ નાટક રાજકોટમાં ભજવ્યું હોય. એટલે સાત-આઠ વરસની ઉંમરે ગાંધીજીએ જે નાટક જોયેલું તે રણછોડભાઈ અને કાબરાજીનું આ નાટક હોઈ શકે.

બે થિયેટર બતાવતો ૧૮૯૩માં છપાયેલો મુંબઈનો નકશો

૧૮૭૦માં વિક્ટોરિયા નાટક મંડળીએ વિક્ટોરિયા નામનું જે થિયેટર બંધાવેલું તે ક્યાં આવ્યું હતું? આ લખનારના અંગત સંગ્રહમાં ૧૮૯૩માં છપાયેલો મુંબઈ શહેરનો એક નકશો છે (કોન્સટેબલ્સ હેન્ડ એટલાસ ઓફ ઇન્ડિયા, પાનું ૪૦) તેમાં ખેતવાડી બેક રોડ અને ફોકલેન્ડ રોડની વચ્ચેની એક ગલીમાં આ થિયેટરનું લોકેશન બતાવ્યું છે. ૧૮૫૩ના અરસામાં જગન્નાથ શંકરશેટે બંધાવેલા ‘ગ્રાન્ટ રોડ થિયેટર’નું લોકેશન પણ તેમાં બતાવ્યું છે. વી.ટી. સ્ટેશનના ઉત્તર દિશાના છેડાની સામે (આજે જ્યાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની ઈમારત છે ત્યાં) પણ એક થિયેટરનું લોકેશન બતાવ્યું છે પણ તેનું નામ આપ્યું નથી. અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની ઓફિસનું લોકેશન એલ્ફિન્સ્ટન (આજનું હોર્નિમેન) સર્કલ પર આજે જ્યાં ‘મુંબઈ સમાચાર’નું મકાન છે ત્યાં બતાવ્યું છે.

રાજા હરિશ્ચન્દ્રના નાટક વિષેની આજની વાત એ જમાનાના નાટકોની જેમ લાંબી થઇ ગઈ. હવે આવતે શનિવારે તેમના પર બનેલી ફિલ્લમની વાત. અને હા, શહેનશાહ પાંચમા જ્યોર્જ અને રાજા હરિશ્ચન્દ્ર વચ્ચેના સંબંધની વાત પણ બાકી છે. પણ ગમે તેવો માંધાતા ભૂપ પણ અમરપટો લખાવીને સિંહાસન પર નથી બેસતો. ‘હરિશ્ચન્દ્ર’ નાટકની ગરબીની પહેલી પંક્તિઓ યાદ આવે છે:

થીર ઠરીને કોઈ આ ઠામ રે નથી રહેવાનું,
કરી લો કાંઈ રૂડું કામ, રહેશે કહેવાનું

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2020

Loading

કોરોનાની દેણગી

આશા બૂચ|Opinion - Opinion|28 June 2020

કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો, દુનિયાના મોટા ભાગના દેશોમાં લોક ડાઉન – તાળાબંધી થઇ, હજારોના જાન ગયા. ઘણી ખરી સરકારી કચેરીઓએ સાચા આંકડા છુપાવ્યા. સરકારી અધિકારીઓએ વૈજ્ઞાનિકોની અને મેડિકલ સાયન્સના ધુરંધરોની સલાહ એક કાને સંભાળી, પોતાના રાજકીય હેતુઓને પોષે તેવી માન્ય રાખીને બાકીની સલાહોને ‘અર્થકારણને પુનર્જીવિત કરવા’ના ઉમદા હેતુસર બીજા કાનેથી કાઢી નાખી. અને આવું આવું તો ઘણું છેલ્લા છએક મહિનામાં બની ગયું.

હવે જે દેશોએ ડહાપણ વાપરી લોક ડાઉન વહેલું અજમાવ્યું, ટેસ્ટટિંગ-ટ્રેસીંગ-ટ્રેકીંગની વ્યવસ્થાને પણ ચાલતી-દોડતી કરી અને તેને પરિણામે જાનહાનિનો માર ઓછો ખાધો, એ દેશોએ હરખભેર લોક ડાઉન હળવું કરીને જીવન રાબેતા મુજબ કરવા પગલાં ભર્યાં. પણ એમ આ કાળો દૈત્ય ગાંજ્યો જાય તેમ નથી. બિલાડી જોઈને જેમ ઉંદર દરમાં પાછો પેસી જાય તેમ એ દેશોમાં કોરોના સંક્રમિત કેસીસની સંખ્યા વધતાં લોકોને ફરીને પોતપોતાની ગુફાઓમાં પાછા ઢંકાઈ જવાની ફરજ પાડવામાં આવી રહી છે. ગોડ, અલ્લાહ, ભગવાન, વાહે ગુરુજી બધાને પૂછ્યું, આ ઉપાધિ ક્યારે ટળશે? બધાએ ખભ્ભા ઉલાળી, હાથ પહોળા કરીને એકબીજા સામે જોઈ, મૌન સેવ્યું.

એટલે હવે ઘરમાં બેઠા કોરોનાની દેણગી વિષે બમણા જોરથી વિચારો આવવા લાગ્યા. તેમાંના કેટલાક પ્રસ્તુત છે.

સુપર માર્કેટમાં કામ કરનારાઓને ‘હીરો’ ગણીને ખૂબ નવાજ્યા એ વ્યાજબી છે. ઘેર બેઠા નોંધાવેલી વસ્તુઓ આપી જાય, ક્લીક અને કલેકટથી આપણે પણ માર્કેટમાં પ્રવેશ કર્યા વિના કરિયાણું લાવી શકીએ અને હવે બે મીટરનું અંતર રાખી, મુખવટો પહેરીને લહેરથી ખરીદી કરી શકીએ એ કઇં ઓછા નસીબની વાત નથી. પરંતુ નાના વેપારીઓ, છૂટક કામ કરનારાઓ અને સ્વરોજગારીથી પેટ ભરનારાઓને દેવાળું કાઢવાનો, નોકરી ગુમાવવાનો અને ધંધા બંધ કરવાનો વારો આવ્યો એ હકીકત બતાવે છે કે કોર્પોરેટ ધંધાઓ આધારિત અર્થવ્યવસ્થાના ચક્રમાં ગોઠવાઈ ગયા હોય તેમને જ જીવવાની તક રહેશે.

બીજી એક હકીકત નજરે ચડી આવી તે એ કે શહેરો અને ગીચ વસતી ધરાવતા લત્તાઓમાં રોગ ઝડપથી ફેલાયા. ભૂતકાળમાં ખેલાયેલા મોટા યુદ્ધો અને આજની નાની લડાઈઓ ટાણે પણ એ જ હાલત થતી જોઈ છે. તો ઔદ્યોગિકરણ અને શહેરીકરણ કરવાની ઘેલછામાં ગામડાં ભાંગ્યાં ત્યારે ભવિષ્યમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય શહેરી ગીચ વિસ્તારમાં જાળવવાં મુશ્કેલ બનશે એ વિચાર નહોતો આવ્યો? અમસ્તું પણ ટૉલ્સ્ટૉયને જ્યારે તેઓ પોતાના વતનને છોડીને મોસ્કો જઈને વસ્યા ત્યારે ભાન થયેલું કે શહેરમાં વ્યાપેલી ગરીબી ઘણી ભૂંડી હોય છે.

હજુ એક વધુ સત્ય ઘણું દબાવવા છતાં છતું થયું. આર્થિક, સ્વાસ્થ્યને લગતી અને સામાજિક અસમાનતાઓ તથા જાતિ, જ્ઞાતિ અને ધર્મના આધારે રચેલા ભેદભાવોને કારણે બિન લાભાન્વિત પ્રજામાં મોતની સંખ્યા વધુ છે, એ હકીકત ઊડીને આંખે વળગી. આ વાત અન્યાયી આર્થિક અને સામાજિક વ્યવસ્થા રચતાં પહેલાં કેમ ન સમજાઈ? 

પર્યાવરણ અને પ્રદૂષણને આ રોગ સાથે જોડવામાં આવે છે. લોક ડાઉનના આદેશનું પાલન કરવાને કારણે વાહનોની ભાગંભાગ ઓછી થઇ અને રસ્તાઓ ધૂંધળા હતા તે સાફ દેખાવા લાગ્યા. પ્રાણી-પક્ષીઓ છૂટથી ફરતાં દેખાયાં. આજે  જીવન પદ્ધતિના સુધારા પર જોર મુકાય છે, તો શું એ વિષે આપણે પહેલાં અજાણ હતા?

એક સમાચાર સાંભળ્યા, યુનાઇટેડ કિંગ્ડમમાં 3 લાખ લોકોએ ધૂમ્રપાન છોડ્યું અને બીજા પણ કોશિશ કરે છે. શુભ સમાચાર. ઘણા લોકો વજન ઘટાડવા કૃતનિશ્ચયી બન્યા છે. એ એથી ય વધુ આવકાર્ય સમાચાર. જ્યારે પબ, ક્લબ, સિનેમા અને રેસ્ટોરન્ટના દ્વાર ખુલશે ત્યારે તેમની પ્રતિજ્ઞા જળવાશે? જે સમાજમાં આત્મસંયમ અને વ્રત પાલનનો ખ્યાલ જમાનાઓથી બારી બહાર ફેંકાયેલો છે એવા ભૌતિક સુખ પાછળ દોડનાર પ્રજાને લીધેલ નિર્ણયો પાળવામાં મુશ્કેલી નડશે. વધુને વધુ સરકારી નિયંત્રણોની જરૂર છે કે સારાસારનો વિવેક કેળવી શકે તેવી સ્વતંત્ર વિચાર ધરાવતી પ્રજાની?

આજકાલ ઘરની અંદર અને બહાર સફાઈ પર ખૂબ જોર અપાય છે. દરિયા, નદી, હવા, શેરીની સડકો, જાહેર રસ્તાઓ સાફ થયાં જણાય છે. આનું ભાન પહેલા કેમ નહોતું થયું?

ખોરાક આ વાયરસના ફેલાવાનું નિમિત્ત છે, એવી ધારણા છે. એક સિદ્ધાંત મુજબ ચામાચીડિયાને થયેલ રોગ બીજા પ્રાણીઓને થયો (કયા પ્રાણીઓમાં ફેલાયો તે વિષે ચોક્કસ માહિતી નથી) અને તેને આરોગવાથી માણસોને એ ચેપ લાગ્યો. જ્યાં ફરીને આ રોગે દેખા દીધી છે ત્યાં પણ કતલખાનાં અને નિરામિષ વાનગીઓનો વિક્ર્ય કરનારાઓ પર પાબંદી લગાવવી પડી છે. માનવ જાત ક્યારે બને તેટલા વધુ પ્રમાણમાં શાકાહારી બનવા તરફ વળશે? હજુ આનાથી વધુ કપરો કાળ આવે તેની રાહ જોવી પોસાય તેમ નથી.

આમ જુઓ તો સ્વાસ્થ્યને લગતી કટોકટી સર્જાઈ, પણ તેની અસર આર્થિકની માફક સામાજિક ક્ષેત્રે પણ પડી એક તરફ લોકો ઘરમાં રહીને કસરત કરે, ગાયન-વાદનથી એકબીજાને મનોરંજન કરાવે, જેને કદી પહેલાં જોયા પણ ન હોય તેવા પડોશીઓ મદદ કરવા દોડી આવે એવું અદ્દભુત માનવતાભર્યું વાતાવરણ ખડું થયું છે. તો બીજી બાજુ કેટલાક લોકો ડ્રગ્સ વધુ લેવા લાગ્યા, ઘરેલુ હિંસાની સંખ્યામાં વધારો થયો એવા સમાચાર પણ છે. જે લોકોને કોરોના વાયરસે કાળના ખપ્પરમાં હોમી દીધા તેમની ખોટ તો પુરાશે નહીં. બાકી રહેલ બે ત્રણ પેઢી સુધી આર્થિક સંકડામણનો અનુભવ કરશે તેમ બને. નાના ઉદ્યોગો અને વેપાર-ધંધા પડી ભાંગશે. એરલાઇનથી માંડીને કાર બનાવનારી ફેકટરીઓ બંધ પડશે (શસ્ત્રો બનવનાર કારખાનાઓનું શું થશે તે વિષે સરકાર મૌન છે તે નોંધવું રહ્યું) અને એવા તો કેટલા ય વ્યવસાયોમાં મંદીને કારણે બેકારી આવશે. હજુ એ ઓછું હોય તેમ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં વિકાસમાં પ્રગતિ થવાને કારણે ડ્રાઈવર વિનાની કાર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવશે એટલે દુનિયા બેકારોથી બેહદ બૂરી રીતે ઘેરાઈ જશે. તો એટલી મોટી સંખ્યાના શિક્ષિતોને સંસ્કૃત કરવા કોણ બીડું ઝડપશે?

જો કે કોરોના દેવીએ બધું જ બૂરું નથી કર્યું. ઘેર રહીને કામ કરવાના આદેશ અને શાળા-કોલેજો-ઓફિસો બંધ હોવાના ઘણા ફાયદાઓમાંનો એક, પતિ-પત્ની અને બાળકો એક બીજાંના કામના પ્રકાર, એ કરવાની રીત અને એ માટે જરૂરી લગન, ખંત અને મહેનતથી વાકેફ થશે. પરસ્પર માટે સમજણ કેળવાશે, આદર વધશે અને સંવાદિતા આવશે. પાડોશીઓ અને કુટુંબીઓની લાગણી અને સહવાસનું મૂલ્ય સમજાવા લાગ્યું છે. સબંધીઓ સમય કાઢીને એકબીજાનો સંપર્ક કરી હાલચાલ પૂછે એ હવે નવી ઘટના ગણાય, પણ ચાલુ રહે તેમ પ્રાર્થીએ. અરે, કેટલાકમાં રમૂજવૃત્તિ ખીલી, પ્રાણાયામ અને માઇન્ડફુલનેસનો પ્રચાર વધ્યો એ કંઈ જેવી તેવી સિદ્ધિ છે?

દુનિયાના ઇતિહાસમાં આજ સુધી ઘણા ચેપી રોગચાળાઓ ફેલાયા નોંધાયા છે. ઘણાં યુદ્ધો અને લડાઈઓ બાદ શરણાર્થીઓ અને હારેલી પ્રજાઓ અકથ્ય પીડા, ભૂખમરો અને બેકારી અનુભવી ચુક્યા છે. પરંતુ કોરોના થકી જેટલું આત્મપરીક્ષણ ક્યારે ય થયાનું જાણ્યું નથી. જ્યાં જુઓ ત્યાં ઉચ્ચ વિચારોની આપ-લે, જીવન રીતિ સુધારવાના સૂચનો, કુદરત અને ઈશ્વર-ભગવાન-રબ-ગોડને સમજવાના રસ્તાઓ, માણસની નૈતિક ફરજોની યાદી વગેરે વિષે અવિરત વાતો થાય છે. માનવ આટલો બધો આધ્યાત્મિક ક્યારે થઇ ગયો? શું આપણે કોરોના વાયરસનો આભાર માનવો પડશે? લોકોને એમ કહેતાં સાંભળ્યા છે કે ભગવન તો દિલમાં રહે છે, બહાર ભજવાની શી જરૂર?

હવે જ્યારે કોરોનાનો ઓથાર ઓછો થવાની શક્યતા વધે છે ત્યારે આટલું વિચારીએ. ખરું જુઓ તો જીવન જીવવા બહુ જ થોડી વસ્તુઓની જરૂર છે એ સમજાઈ ગયું, પરંતુ માણસ શું કાયમ માત્ર પાયાની જરૂરતો પર જીવશે? આનંદ-પ્રમોદ, તહેવાર-પ્રસંગોની ઉજવણી વિના જીવન નીરસ બની જાય. તો એ માટે મધ્યમ માર્ગ શોધવો રહ્યો. ફાસ્ટ ફૂડ, તૈયાર ભોજન અને બહુરાષ્ટ્રીય કંપનીના ખોરાક વિના જરૂર ચાલશે તે સ્વીકારવું જરૂરી થશે. એવી જ રીતે પોતપોતાના દેશમાં તેમ જ વિદેશોમાં ફરવા જવું જરૂર, પણ તે માત્ર પ્રકૃતિ દર્શન અને જ્ઞાન પ્રાપ્તિ માટે જવું વ્યાજબી થશે. દેશ-વિદેશ રહેતા કુટુંબીઓને મળવા વારંવાર દોડી જવું અને નોકરીને બહાને પ્લેનની મુસાફરી કરવાનું બંધ કરવું રહ્યું. રાજકારણીઓએ તો ચાર્ટર્ડ પ્લેન કરી બીજા દેશોની મુલાકાતોથી પોતાના દેશવાસીઓને ખાસ કઇં મેળવ્યા-દીધાનું જાણ્યું નથી, તો એ તો સદંતર અટકવું જોઈશે.

બીજી મહત્ત્વની વાત : કપડાં, ઘરેણાં અને બીજી અંગત વસ્તુઓ જરૂર પડ્યે જ ખરીદવી નહીં કે નવરા બેઠા છીએ, સમય પસાર કરવા શોપિંગ સેન્ટરમાં આંટા મારતાં સેલના પાટિયાં ઝૂલતાં જોઈ મન લોભાઈ જાય અને બિન જરૂરી વસ્તુઓ ખરીદીને કબાટો ભરી દઈએ. હવે જીવનમાં નૈતિકતાને સ્થાન આપવું પડશે.

સવાલ થાય કે પોસ્ટ કોરોના યુગમાં આપણી આદતો અને અભિગમ બદલશે? ઘણી મહામારીઓ આવી અને ગઈ, ઘણી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ વેઠી, હવે જો આપણે તેમાંથી કઇં ન શીખીએ તો આ હવે છેલ્લી તક છે આપણી જાતને સલામત અને જીવિત રાખવાની એ શું નહીં સમજાય?

ડેનિશ સંસ્કૃતિ HYGGE – ‘હૂંફાળી ક્ષણો’ ભોગવવા ગમતા લોકો સાથે ગમતી પ્રવૃત્તિઓ કરવાનું શીખવે છે એ આપણે અપનાવીશું? લાગે છે, કુદરત તરફથી આ તાકીદ છે. આપણે ખોટી દિશામાં બહુ ઝડપથી દોડી રહ્યા છીએ. વધુ પડતો ઝડપી વાહનવ્યવહાર અને દૂરસુદૂર આવેલ કામનાં સ્થળોએ કામ કરવાની સંસ્કૃતિએ શું લાભ અપાવ્યો? જરા વિચારીએ. 

નોકરી કરવા જતાં, મુક્ત વિહાર અને આનંદ કરવા જતાં ઉપલી બાબતો સતત ધ્યાનમાં લેતાં રહેશું તો દાયકાને અંતે ‘સબ સલામત’નો નાદ સંભળાશે. કે પછી એક બોર્ડ, જેમાં “ચેતીને ચાલો, નહિ તો હું પાછો આવીશ’ લિ. તમારો દુષ્મન કોરોના” લખેલ હોય તે મૂકવું પડશે?

e.mail : 71abuch@gmail.com

Loading

તાપી : મારે રૂંવે રૂંવે છે વ્યાપી

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 June 2020

તાપીના જન્મદિવસ નિમિત્તે

એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે કે ગંગાનું પુણ્ય તેમાં સ્નાન કરવાથી ને યમુનાનું પુણ્ય તેનું પાન કરવાથી મળે છે અને મઝાની વાત એ છે કે એટલું જ પુણ્ય નર્મદાનાં દર્શન માત્રથી મળે છે, પણ તાપીનો મહિમા અધિક છે, એનાં તો સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

આમ પણ સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી છે. નદી, સંસ્કૃતિની સદી છે. સદી જ નહીં, સદીઓ. તેમાં તાપી એટલે તો સંજીવની. આખી તાપ્તી રેલવે લાઈન નદીના ખીણ પ્રદેશને સૂચવે છે. સૂરત, સોનાની મૂરત તાપીને કારણે છે. નર્મદ, નંદશંકર, નવલરામ – ત્રણે તાપીનું વરદાન. અર્વાચીનોમાં આદ્ય નર્મદ તો હોડીમાં બેસીને સામે પાર ભણાવવા પણ જતો. તાપી કાંઠે જ બળેવનો ત્રણ દિવસનો મેળો ભરાતો. પછી એ તહેવાર બે દિવસનો થયો કારણ ૧૯૩૮માં હોડી ઊંધી વળી ગયેલી ને ઘણાનાં મરણ થયેલાં. નાનપરા બાગના કાંઠેથી હોડી હજી તો થોડે દૂર જ ગઈ હતી ને ૮૦ જીવોએ જળસમાધિ લઇ લીધી હતી. એ ગોઝારી ઘટના પછી ઉજવણી એક દિવસ ઘટી … પછી તો બે દિવસની ઉજવણી પણ ગઈ ને આજે તો એ ટ્રાફિકથી ધમધમતો ચોકનો વિસ્તાર છે, ગમ્મતમાં એમ પણ કહેવાય કે અહીંની ચહેલપહેલ બારે માસ ઉજવાતા તહેવાર જેવી હોય છે. સૂરતમાં તો તહેવાર એ જ વહેવાર છે.

એક કાળે અહીં ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. હજ યાત્રીઓ અહીંના મકાઈ પુલથી હજ પઢવા જતા ને એને જ કાંઠે ખુદાવંદ ખાને  કિલ્લો ૧૫૪૦-૪૧માં બનાવ્યો. કિલ્લાની ફરતે ૬૦ ફૂટ પહોળી ખાઈ હતી. બાંધકામ એવું મજબૂત કે ફિરંગીઓ પણ તેને ભેદી ન શક્યા. એમાં જે પથ્થરો હતા તેને લોખંડના પાટાથી જડેલા હતા ને તેની સાંધમાં સીસું પૂરેલું હતું. ને હવે નવા રૂપે રંગે તાપી કાંઠે એ જ કિલ્લો ફરી અડીખમ ઊભો છે.

તાપીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમ છે. આખું નગર તે દિવસે તાપીને ચૂંદડી ઓઢાડીને તેનું નારીત્વ પૂજે છે. તાપીનું મૂળ નામ તપતી છે. તે સૂર્યની પુત્રી છે. આ સૂર્યપુત્રી સૂર્યદેહા, પયોષ્ણા, સત્યા, શ્યામા, કપિલા, સાવિત્રી, અમૃતસ્યન્દીની, તિગ્મા જેવા બાવીસ નામે ઓળખાય છે. સૂર્યને બે પત્ની હતી, સંજ્ઞા અને છાયા. સંજ્ઞાના સંતાનો તે યમ અને યમુના, તો છાયાના સંતાનો તે સાવર્ણીમનુ, શનિશ્વર અને તપતી.

યમુના ને તપતી વચ્ચે એક વખત વિવાદ થયો ને બંને એ એકબીજાને પૃથ્વી પર પડવાનો શાપ દીધો બસ! ત્યારથી બંને ધરતી પર વહે છે. તાપીનું લગ્ન સંવરણ રાજા સાથે થયું, તે વારિતાપ્યમાં. ના સમજાયું? અરે ભઈ, આજનું વરિયાવ તે જ વારિતાપ્ય! કહેવાય છે કે તાપીના લગ્ન થયાં તે ચોરી પણ હજી છે. સંવરણનું મંદિર પણ છે, સંવરણના સમયનું સૂર્યપૂર તે સૂરત. સંજ્ઞાનું નામ રાંદલ પણ છે ને રન્નાદે પણ. આ રન્નાદે પરથી રાંદેર થયું. અણબનાવ પતિ પત્ની વચ્ચે ન થાય તો એ પતિ-પત્ની જ નહીં! સૂર્ય અને રન્નાદે વચ્ચે પણ અણબનાવ થયો. વાત એમ હતી કે રન્નાદેથી પતિનો તાપ જીરવાતો ન હતો. કઈ પત્નીથી જીરવાયો છે? જ્યારે આ તો સૂર્ય! જીરવાય? રન્નાએ પોતાને બદલે પોતાની પ્રતિકૃતિ મૂકી ને પછી પિયર ચાલી ગઈ. પણ છલના અલ્પજીવી હોય છે. સૂર્યનારાયણ તો પ્રચંડ પ્રકાશ! છળ પકડાઈ ગયું. રન્નાદેએ ક્ષમા માંગી. પણ સૂર્યને જ છાયા નથી, ત્યાં ‘છાયા’ ટકે તો પણ કેટલુંક? સૂર્યે શાપ દીધો – તારો જન્મ પશુ યોનિમાં થાવ! શાપ દેતા તો દેવાઈ ગયો, પછી સૂર્યને પસ્તાવો થયો. પણ રન્નાદે જન્મી ઘોડી તરીકે ને સૂર્યે પણ પ્રાયશ્ચિતરૂપે અશ્વ બનવાનું સ્વીકાર્યું. એના પુત્રો તે અશ્વિનીકુમારો. અશ્વિનીકુમાર તે આજનું તાપી તટનું પવિત્ર તીર્થ.

પુરાણમાં ડોકિયું કરીએ તો એમ કહેવાય છે કે તાપી હિમાલયના આક્રમણ કાળે પ્રગટી. એ સાચું હોય તો તાપી જન્મી તેના યુગો પછી ગંગા, સરસ્વતી પ્રગટ થઇ. એ હિસાબે તો તાપી ગંગા નર્મદા પહેલાંની નદી ગણાય. એ વાત સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ માલપ્રદેશની વાત સ્વીકારવી પડે એમ છે. મધ્યપ્રાન્તનાં બૈતલ પરગણામાં મુલતઈ એ તાપીનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાં એ ઝરણા રૂપે ઊછળે છે. મધ્યપ્રાંત ૧૫૦ માઈલનો છે. એમાં થઈને તાપી વહે છે. એની એક બાજુએ વરાડ છે ને બીજી બાજુએ છે બુરહાનપુર. ત્યાંથી નીચે એ પાન દેશમાં પ્રવેશે છે અહીં એને વાઘર ને બીજી નદી મળે છે. ત્યાંથી લગભગ ૨૩૦ માઈલ ડુંગરોમાંથી વહીને તાપી ગુજરાતમાં પ્રવેશે છે. તાપીની વિશેષતા એ છે કે તેના મૂળ પ્રદેશમાં નહીં, પણ મુખ પ્રદેશમાં સંસ્કૃતિ વિકસી છે. એનું કારણ પણ છે. મૂળ પ્રદેશમાં એટલી પર્વતમાળાઓ ને અરણ્યો છે કે ત્યાં માનવ વસવાટ મુશ્કેલ હતો. જો પ્રાગૈતિહાસિક કાળની વાત કરીએ તો મૂલતઈની ઉત્તરે ખાંડવવન હતું. એમાં હૈહેયનામની આક્રમક જાતિ હતી. હવે એનો સામનો કરવો ને અરણ્ય ને પર્વતો વચ્ચે વસવું સહેલું ન જ હોય … બન્યું એવું કે તાપીના મુખપ્રદેશમાં બંદરો વિકસ્યાંને બહારની આક્રમક જાતિએ અધિકાર જમાવવા આદિવાસી જાતિઓને મૂળ તરફ ધકેલી. હવે સમજાય છે કે આદિવાસીઓ અરણ્યોમાં જ કેમ વિકસ્યા?

તાપીના મૂળપ્રદેશમાં સૌથી આદિ સંસ્કૃતિ દસ્યુઓની હતી. આર્યો તો તે પછી આવ્યા. મૂળપ્રદેશમાં નાગપૂજા, લિંગપૂજા અને શક્તિપૂજા થતી રહી. ભૈરવ, કામાપુરી, માંડવી, બહુધન અને તથમ્બુર જેવાં ૧૦૮ જેટલાં તીર્થસ્થાનો તાપી ધરાવે છે. કામાપુરી એટલે કામરેજ ને તથમ્બુર એટલે આજનું બગુમરા.

તાપી ડુમસના દરિયામાં મળે છે. જો કે દરિયો તો ડુમસમાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઊંચો આવતો જાય છે. થોડાં વર્ષો પર દરિયો ઘરોમાં ને કબ્રસ્તાનમાંયે ઘૂસી આવેલો. એક સમય હતો કે ભરતી દરિયાથી ૩૨ માઈલ દૂર વાઘેચા સુધી જતી. ને ડુમસની તો વાત જ જવા દો, જૂના કાળમાં તો નદી વરિયાવમાં જ સમુદ્રને મળતી હતી. વરિયાવના પાણી તે વખતે ખારાં જ રહ્યાં હશે. વરિયાવ આગળ બહુ તાણ ન હોય તો લોકો પગે ચાલીને પણ તાપી પાર જતાં. પણ તાપી બંને કાંઠે વહી છે તે યાદ રાખવું ઘટે. એટલે તો હોપપુલ બંધાયો. એ ‘હોપ’નું પરિણામ છે. એની લંબાઈ ૧,૭૦૦ ફૂટ હતી ને એને જનતા માટે ૧૮૭૭માં ખુલ્લો મુકાયો ને આજે ય ‘ખુલ્લો’મૂકાયા જેવું જ છે.

તાપીની વાત કરીએ તો કંતારેશ્વર મહાદેવને ન ભૂલાય. એ બહુ પ્રાચીન મંદિર છે. ૧૯૭૬માં એનો જીર્ણોદ્ધાર થયો. એમાં સાત અશ્વોવાળા રથ પર પદ્માસનમાં આરૂઢ સૂર્યનું શિલ્પ પણ છે. પૌરાણિક કાળમાં આ સ્થળ ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતું. અહીં કપિલમુનિએ આકરું તપ કરીને સૂર્યને પ્રસન્ન કર્યા ને તેમની પાસેથી વરદાન માંગ્યું : આપ સહકુટુંબ આવી અહીં વસવાટ કરો. એને પરિણામે સૂર્ય ને તાપી અહીં છે. એમ કહેવાય છે કે તાપીનો પ્રવાહ એક કાળે મંદિરની બંને બાજુએથી વહેતો હતો. તાપીની ખાસિયત એ રહી છે કે તે કાંઠા બદલતી રહી છે. રાંદેર તરફની જમીન ડુબાણમાં ગઈ કારણ તેનો પશ્ચિમ તરફનો ઘસારો વધ્યો. એ જ કારણ છે કે ઉમરકાંઠાનું રામનાથ ઘેલાનું મંદિર પણ માંડ બચ્યું છે.

સૂરતની તવારીખ ૧૨મી સદીના ઉત્તરાર્ધથી. વિસ્તાર ત્યારે ૨૫ ચોરસ કિલોમીટર. એ તો કિલ્લો બંધાયો ને સૂરત વિકસ્યું. ૧૮૫૨માં સુધરાઈની સ્થાપના થઇ. રેલવે આવી તે પહેલાં મુંબઈ માટે જળમાર્ગ જ હતો. એ જમાનાના  સૂરતના ભાવ જાણવા છે? ૧૮૩૧માં ઘી ૧૬ રૂપિયે મણ હતું. આજે કોઈ ઘી બતાવવાના ૧૬ રૂપિયા લે તો નવાઈ નહીં. સૂરત રેલ, આગ ને લૂંટને કારણે પાયમાલ થયું. સૂરત સોનાની મૂરત મટીને રોતી સૂરત થયું. પણ એ લહેરી તો આજે ય છે. આજે તો સૂરત મિની ભારતની ગરજ સારે છે. સૂરત મોજીલું છે ને કોઈ પણ પ્રજાને આવકારતું આવ્યું છે. તે સિલ્કસિટી, ડાયમંડસિટી અને ટેક્સટાઈલસિટી તરીકે વિશ્વમાં જાણીતું છે. ૧ ઓક્ટોબર, ૧૯૬૬થી નગરપાલિકા, મહાનગરપાલિકા થઇ છે. તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળ્યું છે. આજે તેની હદ ૧૫૦ ચો.કિ.મી.થી વધી છે. જમણ તો સૂરતનું જ – એ વાત આજે ય જૂની નથી થઇ. આજે તો એટલા ઓવરબ્રિજ છે કે તે ઓવરબ્રિજનું મહાનગર પણ કહેવાય છે. વિયર કમ કોઝ વે, બંધ ને નહેરના લાભો સૂરતને મળ્યા છે, તો ગુનાખોરી પણ વધી છે. તાપીનું જળ પ્રદૂષિત થયું છે. કારખાનાઓનું ને ઉદ્યોગોનું ગંદુ પાણી તાપી પીએ છે ને આપણે ઈચ્છીએ છીએ કે તે આપણને શુદ્ધ પાણી આપે. છે ને કમાલ! તે અણુકચરા ને સાયનાઈડનું જોખમ વહોરીને જીવે છે. વિકાસને નામે વિનાશની દિશા પણ આપણે પકડી છે. ૨૦૦૬ની મહાવિનાશક રેલે સૂરતને ખતમ કરી નાખ્યું હતું. પણ સૂરતીઓ રાખમાંથી પાંખ બનાવીને ઉડવાનો મિજાજ ધરાવે છે.

તાપીને રેલની નવાઈ નથી. ૧૮૮૩, ૨૦૦૬ને એવી તો ઘણી સાલ તાપીએ સૂરતીઓને આંગણે આવીને ધમકાવ્યા છે. ૧૯૩૮માં હોડી ડૂબાડી શકે એટલું પાણી હતું ને આજે હોડી ફરી શકે એટલું પાણી ય જડતું નથી. આપણે સૂરતને શાંઘાઈ ને સિંગાપોર ને વર્લ્ડ ક્લાસ સિટી કરવા જઈ રહ્યા છીએ, બીજી તરફ તાપીના પટમાંથી રેતી ઉલેચવાનું બંધ થતું નથી. વિચારીએ કે તાપી વગરનું સૂરત ચાલવાનું છે?સાબરમતી કોરી હતી તેને છલકાતી કરી ને તાપી છલકાતી હતી તે કોરી થઇ રહી છે એની ચિંતા નથી. આ બરાબર નથી. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રકૃતિ મનુષ્ય માટે છે, મનુષ્ય પ્રકૃતિ માટે નથી. પ્રકૃતિનો દુરુપયોગ થશે તો મનુષ્યનો સદુપયોગ નહીં થાય. એટલું ધ્યાન રાખીએ કે પર્વતો પાસે એટલો બરફ તો છે જ કે … વિનાશ માટે અણુબોમ્બ સુધી જવાની ય જરૂર નહીં રહે. સુનામીને તેડીશું તો નનામીઓ જ વધશે. જળ જીવન છે, તો જળ મૃત્યુ પણ છે. તાપીને રૂંવે રૂંવેથી તોડવાં કરતાં તાપીને રૂંવે રૂંવે આત્મસાત કરીએ. અસ્તુ.   

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...2,2922,2932,2942,295...2,3002,3102,320...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved