Opinion Magazine
Number of visits: 9575113
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ !

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|3 July 2020

હૈયાને દરબાર

સવા ત્રણ મહિનાના અંતરાલ પછી ‘મુંબઈ સમાચાર'ની પૂર્તિમાં ફરીથી આપણે ‘હૈયાને દરબાર’માં મળી રહ્યાં છીએ. ત્રણ મહિનામાં જગત આખું જાણે બદલાઈ ગયું હોય એવું લાગે છે. ૨૩મી માર્ચથી અમલમાં આવેલા લોકડાઉને દુનિયા આખીની માનસિકતા બદલી નાખી છે. વૈશ્વિક મહામારીના પ્રકોપમાંથી હજુ આપણે સંપૂર્ણપણે બહાર નથી આવ્યાં. ૨૨મી માર્ચનો કર્ફ્યુ અને ૨૩મી માર્ચનું લોકડાઉન ઇતિહાસના પાને અંકાઈ જવાનાં છે. પ્રી-કોરોના યુગ અને પોસ્ટ-કોરાના કાળમાં દુનિયા વહેંચાઈ જશે હવે. નવી વાસ્તવિકતાને સ્વીકારીને આપણે સૌએ જીવવાનું છે ત્યારે સમગ્ર માનવજાતના કલ્યાણ માટેની એક પ્રાર્થનાથી જ આરંભ કરીએ ને? એશિયાનું સૌપ્રથમ અખબાર ‘મુંબઈ સમાચાર’ ૧૯૯માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે એ નિમિત્તે પણ આ અખબારને અઢળક શુભેચ્છાઓ આપીને સર્વ કલ્યાણકારી પ્રાર્થનાથી ‘હૈયાને દરબાર’ના નવા લેખની શરૂઆત કરીએ.

શાળાજીવનમાં આપણે બધાએ ગાયેલી આ પ્રાર્થના છે, પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. મને બરાબર યાદ છે કે મારી મા આ પ્રાર્થના ખૂબ ગાતી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં માતા-પિતા બન્નેએ ભાગ લીધો હતો એટલે ગાંધીજીને પ્રિય ભજનો ઘરમાં પણ ગવાતાં. લોકડાઉન દરમ્યાન જ કોઈકે વોટ્સ એપ પર શેર કરેલી આ સુંદર પ્રાર્થના સાંભળીને બચપણના એ દિવસો યાદ આવી ગયા. અમારે ઘરે ધાર્મિક વાતાવરણ બિલકુલ નહીં પરંતુ, સવારમાં પપ્પા ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ શ્લોક હંમેશાં ગાય. મમ્મી સાંજે રસોઈ કરતાં આશ્રમ ભજનાવલિની પ્રાર્થના ગાય એ બધું બહુ સંતર્પક લાગતું.

ગાંધીજી હંમેશાં કહેતા કે, પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.

કવિ સુરેશ દલાલે પ્રાર્થના વિશે એક સ્થાને સરસ લખ્યું છે, "સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડદેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનું પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનું પ્રગટ સ્વરૂપ છે.

હતાશાભર્યા વાતાવરણમાં પ્રાર્થના માનસિક બળ પૂરું પાડે છે એટલે જ આજે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની આ પ્રાર્થના પ્રસ્તુત કરી છે. ઘણાને ખબર નહીં હોય કે આ પ્રાર્થના મૂળ અંગ્રેજીમાં હતી જેનો નરસિંહરાવે એવો સરળ અને સુંદર અનુવાદ કર્યો છે કે એ આપણી ભાષાની હોય એમ જ લાગે.

ફ્રાન્સના જોન હેન્રી ન્યુમેને ૩૩ વર્ષની વયે Lead, Kindly Light નામે બહુ સરસ કાવ્ય લખ્યું. કોઈક જીવલેણ બીમારીમાંથી સાજા થયા બાદ દરિયાઈ સફરમાં પોતાને વતન જતી વખતે એમણે આ કાવ્ય લખ્યું હતું.

Lead, Kindly Light

31243, Hymns, Lead, Kindly Light, no. 97

1. Lead, kindly Light, amid th’en circling gloom;
Lead thou me on!
The night is dark, and I am far from home;
Lead thou me on!
Keep thou my feet; I do not ask to see
The distant scene—one step enough for me.

2. I was not ever thus, nor pray'd that thou
Shouldst lead me on.
I loved to choose and see my path; but now,
Lead thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will. Remember not past years.

3. So long thy pow'r hath blest me, sure it still
Will lead me on
O'er moor and fen, o'er crag and torrent, till
The night is gone.
And with the morn those angel faces smile,
Which I have loved long since, and lost awhile!

ન્યુમેને જીવનમાં આર્થિક, માનસિક, શારીરિક એમ ઘણી વિપદાઓ જોઈ હતી. પરંતુ બધા પડકારોનો હિંમતપૂર્વક સામનો કરીને પછીથી ઈંગ્લેન્ડના બહુ મોટા ધાર્મિક નેતા બન્યા હતા.

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ પ્રાર્થના ન્યુમેનના અંગ્રેજી કાવ્ય Lead, Kindly Lightનો ગુજરાતી અનુવાદ છે. ગાંધીજી ન્યુમેનની આ પ્રાર્થનાથી ઘણા પ્રભાવિત થયા હતા. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં સામૂદાયિક જીવન જીવવાનો પ્રારંભ કર્યો ત્યારે ત્યાં રોજ સાંજે પ્રાર્થના થતી હતી. એમાં એમને ગમેલા અંગ્રેજી ભજનો પણ ગવાતાં. એમાંથી એમને જે ભજન અત્યંત પ્રિય હતું તેના ગુજરાતી અનુવાદો ભારત કાયમ માટે રહેવા આવ્યા ત્યારે ગાંધીજીએ અનેક કવિઓ પાસેથી મંગાવ્યાં. એમાં આ અનુવાદ એમને સૌથી વધારે ગમ્યો. અને ખરેખર ભાવ, ભાષા અને રાગ બધી દષ્ટિએ આ ભજન એટલું સુંદર થયું છે કે અનુવાદ જેવું તો લાગતું જ નથી.

ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલિમાં એ સચવાઈ રહ્યું છે.

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કાવ્ય-ગીત-પ્રાર્થનાઓની યાદી તૈયાર થાય તો ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી’ અચૂક ટોપ-ટેનમાં સ્થાન પામે.

આ પ્રાર્થનાના અનુવાદક તથા સુપ્રસિદ્ધ કવિ નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયાનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૮૫૯માં અમદાવાદમાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ પૂર્ણ થયું. ૧૯૧૫માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા તથા ૧૯૨૪માં રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો તરીકે ચૂંટાયા. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક પણ રહી ચૂક્યા હતા.

તેઓ ગુજરાતી સાહિત્યકાર ભોળાનાથ દીવેટિયાના પુત્ર અને લેખિકા વિદ્યાગૌરી નીલકંઠના મામા હતા. ૧૯૩૭ની ઉત્તરાયણના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ તેમનું અવસાન થયું હતું. દક્ષિણ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને ખાસું એવું પ્રભાવિત કર્યું હતું. આવી જ રીતે હૈદરાબાદ(સિંધ)ના વસવાટને કારણે તેમને બોલીઓનો ખ્યાલ આવ્યો હતો. મંગળ મંદિર ખોલો તેમની અન્ય અત્યંત જાણીતી કવિતા છે.

મૂળ અંગ્રેજી પ્રાર્થના લીડ કાઇન્ડલી લાઈટ સાથે તો કેટલાક કિસ્સાઓ પણ સંકળાયેલા છે. કહેવાય છે કે ૧૯૦૯ની સાલમાં ઈંગ્લેન્ડની કોલસાની ખાણમાં બહુ મોટો વિસ્ફોટ થયો હતો જેમાં લગભગ ૧૬૮ માણસોએ જીવ ગુમાવ્યો હતો. છતાં ભૂગર્ભમાં છુપાયેલા કેટલાક લોકો જીવિત હતા. ૩૪ જણના એક જૂથને એક નાનકડું બાકોરું દેખાયું જેમાંથી ચોખ્ખી હવા આવતી હતી. સંપૂર્ણ અંધકારની વચ્ચે એક જણે લીડ કાઇન્ડલી લાઈટ પ્રાર્થના ગણગણવાની શરૂ કરી. બીજા ખાણિયાઓ પણ એમાં જોડાયા. ૧૪ કલાકમાં જ એમને ખાણના ભૂગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યા. એમને લાગ્યું કે આ પ્રાર્થનાનો જ પ્રતાપ હતો.

રાગ માંડ પર આધારિત પ્રેમળ જ્યોતિ પ્રાર્થના દિપાલી ભટ્ટના સુંદર કંઠે રજૂ થઈ છે. દિપાલીબહેન ઘણાં વર્ષોથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. આ પ્રાર્થનાના રેકોર્ડિંગના દિવસો યાદ કરતાં દિપાલીબહેને જણાવ્યું કે, "૧૯૯૩માં ‘પ્રાર્થના પોથી’ નામે એક કેસેટ બહાર પડી હતી એમાં મેં આ ભક્તિરચના પહેલીવાર ગાઈ હતી. એના હ્રદયસ્પર્શી શબ્દો ત્યારે જ સ્પર્શી ગયા હતા. મ્યુઝિક અરેન્જમેન્ટ જાણીતા સ્વરકાર બ્રિજ જોશીએ કરી હતી. બ્રિજભાઈએ ભક્તિ સંગીતમાં ખૂબ કામ કર્યું છે. ગીત રેકોર્ડ કરતી વખતે એ નાની નાની બારીકીઓ સમજાવે. હું એ વખતે આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગરમાં રહેતી હતી. ત્યાંના અદ્યતન સ્ટુડિયો ‘મ્યુઝિક સેન્ટર’માં આ પ્રાર્થનાનું રેકોર્ડિંગ થયું હતું. સેન્ટરના ભૂપેન્દ્ર પટેલ, વીરેશ પટેલ સંગીતના જાણકાર અને સરસ બાંસુરી વાદક એટલે સ્ટુડિયોમાં તેઓ લાઈવ રેકોર્ડિંગનો જ આગ્રહ રાખતા અને મને પ્રોત્સાહન આપતા હતા. એની મઝા જ અલગ હતી. સ્ટુડિયો મારે માટે મંદિર સમાન હતો. આ પ્રાર્થના આપણા સૌને માટે કલ્યાણકારી છે. પ્રેમળ જ્યોતિ ખૂબ શ્રદ્ધાપૂર્વક, સંગીતમય સ્તુતિ સ્વરૂપે મેં ગાયું છે. અત્યાર સુધી જેમણે મને સંગીતમાં માર્ગદર્શન આપ્યું છે એ સૌને હું પ્રાર્થના સમર્પિત કરું છું.

વ્યવસાયે ડોક્ટર એવાં ડો. દિપાલી ભટ્ટે આરંભિક સ્વર જ્ઞાન વિદ્યાનગરમાં જગદીશભાઈ સોની પાસે લીધું અને ૧૯૯૪માં મુંબઈ સ્થાયી થયા બાદ શાસ્ત્રીય સંગીત શંપા પકરાશી પાસે શીખી રહ્યાં છે. એમણે કલ્યાણજીભાઈ પાસે પણ સંગીતની તાલીમ લીધી છે. ગુજરાતના બંસરી વૃંદ સાથે રાસ-ગરબાના ઘણા કાર્યક્રમો કર્યા છે, ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાય સહિત ભક્તિ સંગીતમાં એમની ઘણી કેસેટ બહાર પડી છે.

પ્રેમળ જ્યોતિ … પ્રાર્થનાના શબ્દો લોકોના હોઠે અને હૈયે એટલા ચઢી ગયા છે કે મોટા ભાગના કદાચ એ જ ભૂલી ગયા છે કે આ ગુજરાતી રચના ખરેખર તો અંગ્રેજી કૃતિનો અનુવાદ છે. આ ગીત કહો તો ગીત અને પ્રાર્થના કહો તો પ્રાર્થનાની દરેક પંક્તિના શબ્દે-શબ્દને સમજજો, મનમાં મમળાવજો. શક્ય હોય તો ગણગણજો અથવા મોટા અવાજે ગાજો. સમૂહ પ્રાર્થના તરીકે ઘરમાં સ્થાન આપજો. સુખ દુ:ખનું ચક્ર ચાલ્યા જ કરે. આપણા સહુના પણ સારા દિવસો આવશે જ. આ વાત નિર્વિવાદ છે. આ બાબત બાહ્ય પરિબળો પર નહીં, આપણા પર જ અવલંબે છે. એટલે પ્રાર્થનાની શક્તિને પિછાણી એક સમૂહ ચેતના સ્વરૂપે ગાઈને પ્રભુ સુધી આપણો સૂર પહોંચાડીએ જેથી અત્યારનો કપરો કાળ ઝડપથી પસાર થઈ જાય અને સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય એ જ હ્રદયપૂર્વક પ્રાર્થીએ.

—————————

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ,

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ ઉજાળ. …પ્રેમળ જ્યોતિ…

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય. …પ્રેમળ જ્યોતિ…

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઇને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર. …પ્રેમળ જ્યોતિ…

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વે,
મારે આજ થકી નવું પર્વ. …પ્રેમળ જ્યોતિ…

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભર,
નિશ્ચે મન તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર. …પ્રેમળ જ્યોતિ…

કંદર્પ ભૂમિ કળણ ભરેલી ને ગિરીવર કેરી કરાડ,
ધસમસતાં જળ કેરાં પ્રવાહો સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર. …પ્રેમળ જ્યોતિ…

રજની જશે ને પ્રભાત ઉજળશે ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોના વદન મનોહર (મારે) હ્રદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતા ક્ષણવાર. …પ્રેમળ જ્યોતિ…

કવિ : નરસિંહરાવ દિવેટિયા   •   ગાયિકા : દિપાલી ભટ્ટ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 02 જુલાઈ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=631060

Loading

સામાન્ય બુદ્ધિ સામાન્ય રીતે બધાંમાં સામાન્ય નથી હોતી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 July 2020

એક તરફ ચીન અને ભારત મંત્રણાઓ કરે છે ને બીજી તરફ ચીન ૨૦ હજાર સૈનિકો એલ.એ.સી. પર ગોઠવે છે. પાકિસ્તાન પણ આ તકનો લાભ ઉઠાવીને એલ.ઓ.સી. પર ૨૦.૦૦૦ સૈનિકો ગોઠવીને ભારતની વધુ કસોટી કરવાનો ખેલ પાડી રહ્યું છે. તે જન્મ્યું ત્યારથી મેન્ટલી રિટાર્ડેડ છે. ચીનની એકાએક ૫૯ એપ્લિકેશન્સ બંધ કરીને ભારત, અમેરિકા સહિત ઘણાં રાષ્ટ્રોને ચીનનો વિરોધ કરવાની પ્રેરણા આપે છે તો બીજી તરફ ભારતીય ચેનલો ચીની રેસિપી બનાવવાની જાહેરાત લગભગ દરેક બ્રેકમાં બતાવે છે. તે પાપી પેટને માટે જ હશે એમ મન મનાવવું પડે.

ગુજરાતમાં કોરોના ૩૩ હજારને પાર કરી ગયો છે ને મૃત્યુ આંક ૧૯૦૦ને સ્પર્શવા જઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ સૂરતમાં માર્ચમાં નોંધાયો હતો ને અત્યારે પણ કોરોનામાં સૂરત રાજ્યમાં ટોપ પર છે. ગુજરાત અનલોક થતાં બીજા ઉદ્યોગની જેમ સૂરતમાં હીરા ઉદ્યોગ પણ શરૂ થયો ને સંક્રમણ વધતાં તેને બંધ કરવો પડ્યો. જો સાચવવામાં નહીં આવે તો ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત પણ એવી જ થશે તેવી ચેતવણી તંત્રોએ આપી છે. સરકારને ઊંડે ઊંડે પણ એમ છે કે લોકો સુધરશે ને બધું પાળશે. સરકાર પણ સુધરે એવું લોકો પણ ઈચ્છે છે. રેલવેએ ટ્રેન ચાલુ કરવાનો પ્રયોગ કરી જોયો, પણ રોગ વકરી રહ્યો છે એવું લાગતાં સ્પેશિઅલ ટ્રેનો જ ચાલુ રાખવી તેવું નક્કી થયું. એ ખબર નથી પડતી કે સ્પેશિયલ ટ્રેનો રોગ નથી ફેલાવતી એટલે ચાલુ છે કે કમાણી એમાં જ વધારે છે એટલે ચાલુ છે? અનલોક-૨માં રાતના ૧૦થી સવારે ૫ સુધી બંધી રખાઈ છે, જે અગાઉ ૯થી શરૂ થતી હતી. રોગ એટલો ભલો છે કે એ રાતના જ ફેલાય છે એટલે રાતના બધું બંધ રાખીએ તો ચાલે, ખરુંને?

એક વાત સમજી લેવાની રહે કે સરકાર પ્રાયોગિક ધોરણે બધું ચાલુ કરી જુએ છે ને એમ લાગે કે એનાથી સ્થિતિ વધારે બગડે એમ છે તો ફરી બંધ કરે છે. ૧ જુલાઈએ ડોક્ટર્સ ડે ગયો. એ દિવસે ગુજરાતમાં કોરોનાને કારણે બે ડોક્ટરોના મૃત્યુ થયા. આ રોગે આ ઉપરાંત પણ ઘણા ડોક્ટરોના જીવ લીધા છે. બધી કાળજી લેવા છતાં ડોકટરો પોતે સલામત ન હોય તો સામાન્ય માણસ પર જોખમ વધુ રહે તે સૌને સમજાવું જોઈએ. આખી દુનિયામાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે એ આપણે જાણીએ છીએ. ભારતમાં, રાજ્યોમાં, શહેરોમાં રોગ વકરી રહ્યો છે તે પણ આપણે જાણીએ છીએ. એમાં સરકારો થઈ શકે એટલું કરે છે. એને કોરોનાની એક જ જવાબદારી નથી, બીજા અનેક મોરચે તે ટકવાના અને ટકાવવાના પ્રયત્નો કરે છે. આ બધામાં પાછું પેટા ચૂંટણીનું બખડજંતર તો ખરું જ. આવામાં તે સામાન્ય બુદ્ધિ પણ વાપરે એવી અપેક્ષા વધારે પડતી છે. એ આપણી ભૂલ છે કે આપણે એવું માનીએ છીએ કે સામાન્ય બુદ્ધિ બધામાં સામાન્ય હોય છે.

સરકારે આર્થિક બાજુનો વિચાર કરવાનો હોય જ છે. એ બધું ફરી બંધ કરે તો આર્થિક માર એટલો પડે કે ફરી ઊભા થવાનું ને ટકવાનું એકદમ મુશ્કેલ થઈ પડે. બધી જ બાજુએ સરકાર દોડે ને આપણે ફરિયાદ જ કર્યા કરીએ એ પણ રોગની જ નિશાની છે. સરકારની ટીકા જરૂર કરીએ, પણ આપણી જવાબદારીમાંથી છટકીને એ કામ કરવાનો આપણને અધિકાર નથી. એ સ્થિતિમાં પ્રજા તરીકે રોગ પર કાબૂ મેળવવા આપણે જ પ્રયત્ન કરવાનો રહે. રોગ સરકારને નહીં, આપણને થાય એમ છે. હવે આપણે જ જો રોગને આમંત્રણ આપીશું તો એનાથી નુકસાન આપણને જ છે. આપણે જ આપણને પૂછવા જેવું છે કે કામ અને કારણ વગર આપણે ખરેખર કેટલું બહાર રહીએ છીએ? એમાં બહાદુરી છે કે પછી આપણે પોતાને અને બીજાને માટે જોખમ વધારવા આવું કરી રહ્યાં છીએ?

આપણે જાણીએ છીએ કે તઘલખી ન હોય તો એ સરકાર નહીં. ગરબડો કરવી એ સરકારની કામગીરીનો જ એક ભાગ છે. એક સમાચાર જરા વિગતે જોઈએ. શિક્ષણમંત્રીએ ૧ જુલાઈની બુધવારે સવારે જાહેર કર્યું કે ૨ જુલાઈથી ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ લેવાશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી ને એ જ બુધવારે એ જ શિક્ષણમંત્રીએ ચાર વાગ્યે જાહેર કર્યું કે કોરોનાને કારણે અને કેન્દ્ર સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે જી.ટી.યુ.ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. છેને કમાલ, કોરોનાની ખબર બુધવાર સવાર સુધી નો’તી પડી. તે છેક ચાર વાગે જ પડી એટલે પરીક્ષાઓ મોકૂફ રહી. એ તો સારું છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધા પછી રદ્દ ન કરી. બાકી, તો એવું ય થઈ શકે. કમાલમાં ય મોટી કમાલ તો એ છે કે યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રહી એ જ દિવસે સરકારે ૧થી ૧૨ (કેટલાંક છાપાં પ્રમાણે ૩થી૧૨) ધોરણ સુધીની જુલાઈ ૨૯ અને ૩૦ને રોજ ૨૫ માર્કની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. બને કે એ દિવસો સુધીમાં કોરોના હેરાન કરવાની સ્થિતિમાં નહીં હોય, નહિતર પરીક્ષાનો વિચાર એકાએક તો ન આવે.

આ પરીક્ષાઓ સરકારી કે સ્વનિર્ભર તમામ શાળાઓએ લેવાની છે એવું ફરમાન છે. ૧થી ૮ ધોરણમાં જે કંઈ ઓનલાઈન ભણાવાયું તેની ગુજરાતી અને ગણિતની પરીક્ષાઓ લેવાશે. ૫, ૫ માર્કના પાંચ પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓએ વાલીઓની દેખરેખમાં આપવાના રહેશે. આ પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે. વર્ગખંડમાં ૧૦૦ માર્કની પરીક્ષા માટે ૩ કલાક સાધારણ રીતે અપાય છે, પણ ૨૫ માર્કની પરીક્ષા માટે ૧ કલાક અપાશે. આને કહેવાય ઉધાર, સોરી, ઉદાર શિક્ષણનીતિ. આમ તો ઓનલાઈન ભણાવાય તો પ્રશ્નપત્ર પણ ઓનલાઈન મૂકી શકાય, પણ એવું નથી. શિક્ષણ વિભાગ પ્રશ્નપત્ર જિલ્લા શિક્ષણાધિકારીને ઈ મેઈલ કરશે. તે સ્કૂલોને મોકલશે. સ્કૂલનો શિક્ષક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ૨૭ જુલાઈ સુધીમાં પ્રશ્નપત્ર ઘરે પહોંચાડશે. અહીં અક્કલવાળો પ્રશ્ન ન પૂછવો કે ઓનલાઈન ભણાવો જ છો તો ત્રણ તબક્કે પ્રશ્નપત્ર શિક્ષકને દોડાવીને વિદ્યાર્થી સુધી પહોંચાડવાની કસરત શું કામ કરાવો છો? એનો સાદો જવાબ એટલો જ કે સામાન્ય બુદ્ધિ બધાંમાં સામાન્ય નથી હોતી. વેલ, એ જ રીતે ૯થી ૧૨ની જુદા જુદા વિષયોની પરીક્ષાઓ ૨૯ અને ૩૦ દરમિયાન અનુકૂળતા પ્રમાણે વિદ્યાર્થી આપી શકશે. આમાં જવાબદારીઓ વહેંચી દેવામાં આવી છે. પ્રશ્નપત્રો શિક્ષક પહોંચાડે તો ઉત્તરવહી સ્કૂલ સુધી વાલીઓએ પહોંચાડવાની રહેશે. એ ઉત્તરવહીઓ જે તે વિષયના શિક્ષકો તપાસશે ને પરિણામ જાહેર કરશે. ક્યારે? તેની કોઈ જાહેરાત નથી.

આમાં કેટલુંક કરમુક્ત મનોરંજન પણ છે. જેમ કે વિદ્યાર્થીએ બે દિવસમાં પરીક્ષા આપવાની છે અને એ એક કલાકમાં આપવાની છે. એનો અર્થ એવો થાય કે બે દિવસ બરાબર એક કલાક. હવે જે એક કલાક પાળે તે એવો અર્થ કરી શકે કે બે દિવસની કુલ ૨,૮૮૦ મિનિટમાંથી કોઈ પણ ૬૦ મિનિટમાં વિદ્યાર્થી પરીક્ષા આપી શકે. ૨૭મીએ પેપર હાથમાં આવી જવાનું હોય તો વિદ્યાર્થી ૨૮મીએ પરીક્ષા આપી દે તો તેની ખાતરી કરવાનું અઘરું છે કે તેણે ૨૯ અને ૩૦ જુલાઈ દરમિયાન જ પરીક્ષા આપી છે. અહીં વર્ગખંડ નથી, સુપરવાઈઝર નથી. વિદ્યાર્થીએ વાલીની દેખરેખમાં પરીક્ષા આપવાનું અપેક્ષિત છે, એ પણ ફરજિયાત નથી. તો, વાલીએ સુપરવિઝન કરવાનું રહે. એણે જોવાનું રહે કે તેનું સંતાન નક્કી કરેલી સમય મર્યાદામાં પરીક્ષા આપે. વારુ, વિદ્યાર્થી પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે પણ વાલીએ જોવાનું રહે. જો કે એવું બન્યું છે કે મોટે ભાગે તો વાલીઓ જ ગેરરીતિ આચરવામાં વિદ્યાર્થીને મદદ કરતા હોય છે. એથી ઊલટું સંતાન ગેરરીતિ આચરે તો વાલી આંખ આડા કાન કરે છે કે કાન આડી આંખ કરે છે તે નક્કી કરવાનું પણ મુશ્કેલ છે.

આ બધું છતાં અંદરનાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં સાધનોને અભાવે શિક્ષણ જ થયું નથી, ત્યાં આવી પરીક્ષાઓ કયા આધારે લેવાશે તેનો ફોડ પડાયો નથી. અત્યાર સુધી તો જે સાધનસંપન્ન છે એવા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ શિક્ષણતંત્ર વિચારી રહ્યું હોવાનું લાગે છે. એને કારણે જે અસમાનતા ને લઘુતા વિદ્યાર્થીઓ ને વાલીઓ અનુભવી રહ્યા છે એનો જરા જેટલો પણ અંદાજ સરકારને હશે કે કેમ તે પ્રશ્ન જ છે. આગળ ઉપર કોઈ ગાઈડલાઈન સરકાર આપે ને કોઈ ચમત્કાર થાય તો વાત જુદી છે, બાકી, આવી પરીક્ષા લેવી અને આપવી એ મશ્કરીથી વિશેષ કંઈ નથી.

એનાં કરતાં તો બધી સ્કૂલો, કોલેજો શરૂ કરી દેવામાં ઓછું જોખમ છે. બધું જ બધાંના ખર્ચે ને જોખમે શરૂ કરી જ દીધું છે તો છો વિદ્યાર્થીઓ ભણી ખાતા. સ્કૂલો, કોલેજો બંધ છે એટલે વિદ્યાર્થીઓ બહાર જતા જ નથી એવું ક્યાં છે? જો એમ બહાર જવાનું થતું હોય તો સ્કૂલો, કોલેજો સુધી જવામાં શું આભ તૂટી પડવાનું હતું? ટૂંકમાં, ટૂચકા જેવી પરીક્ષાઓ લેવા કરતાં રેગ્યુલર શિક્ષણ શરૂ કરવામાં ઓછું જોખમ છે, એવું ખરું કે કેમ?

૦

પ્રગટ : ’આજકાલ’ નામે લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2020

e.mail : ravindra21111946@gmail.com

Loading

ગઝલ

મંથન ડીસાકર|Poetry|3 July 2020

કંઈક દિલમાં ચલાયમાન થયું, 
હાશ! તમને ય એનું જ્ઞાન થયું!

એ રીતે એમણે વખાણ કર્યા,
મારા પ્રત્યે મને જ માન થયું.

એક વેલી જરા નજીક સરી,
વૃક્ષ આખું જ સાવધાન થયું.

ઝૂંપડીને સવાર થાય નહીં,
એ તો અંધારું બસ જવાન થયું.

જણ જે છેલ્લી હરોળમાં બેઠું,
પડદા પાછળ રહી મહાન થયું.

એક ડોસીએ ઝાડ વાવ્યું છે,
કેવડું એનું ખાનદાન થયું! 

સૌના દિલમાં વસી ગયો 'મંથન'
ખુદનું ખાલી આ જ્યાં મકાન થયું. 

==

(સુરત)

e.mail : manthandisakar@gmail.com

Loading

...102030...2,2842,2852,2862,287...2,2902,3002,310...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved