Opinion Magazine
Number of visits: 9680952
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જોજો, ક્યાંક પીએચ.ડી.ના રવાડે ચડતા…

આશિષ મહેતા|Opinion - Opinion|4 August 2020

ભાષાવિજ્ઞાનની દુનિયા નાની છે. ભારતમાં ગણતરીનાં દસ-બાર વિશ્વવિદ્યાલયોમાં જ એનું અધ્યયન-સંશોધન થાય છે. વળી એની વિશેષ શાખા જુઓ તો, બે-ચાર સંશોધક જ કાંઈ નવું વિશ્લેષણ લઈ આવતા હોય છે. આ નાનીઅમથી દુનિયામાં સન 2000ની આસપાસમાં એક નવું નામ આગળ આવેલું. ચોમ્સ્કી-પ્રણિત વ્યાકરણ-સિદ્ધાંતના માળખામાં દ્રાવિડ કુળની ભાષાઓના સંશોધન માટે કે.એ. જયશીલને ખાસ્સું ખેડાણ કર્યું છે. તેમના માર્ગદર્શનમાં હૈદરાબાદની કેન્દ્રીય અંગ્રેજી અને વિદેશી ભાષા સંસ્થાન (‘સિફલ’, હવે વિશ્વવિદ્યાલય) ખાતેથી કોઈ એમ.ટી. હની બાબુના પીએચ.ડી. શોધનિબંધની ઘણી ચર્ચા થયેલી. ભાષાવૈજ્ઞાનિકોની હવેની પેઢીમાં એમના કામ પર સૌની નજર રહેશે એમ મનાતું. થોડાં વર્ષો પછી તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાયા, તે જાણવા મળ્યું. થોડાં વધુ વર્ષો પછી તેમનું નામ અખબારોમાં વાંચવા મળ્યું—ભાષાવિજ્ઞાન માટે નહિ, પણ માઓવાદી વિચારધારાના સમર્થક તરીકે.

જુલાઇ, ૨૦૨૦ના અંતમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા, એન.આઇ.એ., દ્વારા તેમની ધરપકડ થઈ. મિરાન્ડા હાઉસ કૉલેજમાં ભણાવતાં તેમનાં પત્નીએ પત્રકારોને કહ્યું કે તેમની સામે કોઈ પુરાવા નથી, પણ તેમના કમ્પ્યૂટરમાં છેડછાડ કરીને પુરાવા ઊભા કરવામાં આવ્યા છે. તેમણે રોના વિલ્સન નામના બીજા એક માઓવાદી સમર્થક સાથે પત્રવ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ છે. હની બાબુ મલયાલમ વાક્યરચનાનો અભ્યાસ કરતા હતા, ત્યારે આ બીજા કેરાળી ભાઈ વિજ્ઞાનકથાઓ પર શોધનિબંધ તૈયાર કરી રહ્યા હતા – જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાંથી.

સમાજ અને રાજકારણમાં ધરમૂળથી પરિવર્તન લાવવાની જરૂર છે, એમ કોઈ માને તેમાં કોઈને આપત્તિ ન હોય, પણ માઓવાદ આવી ક્રાન્તિ સર્જવા માટે હિંસાનું સાધન વાપરે છે, એ સામે ચોક્કસ વાંધો લેવો પડે. વાત આટલી સરળ હોત તો સારું હોત. અહિંસાના અધ્યયન માટે કેન્દ્રો સ્થપાયાં છે, પણ હિંસાનું વિશ્લેષણ નથી થયું. એના માટે થોડા બિનપ્રણાલિગત એટલે કે અવનવા સ્રોત તરફ વળવું પડે. દાખલા તરીકે, અશ્વિની ભટ્ટની નવલકથા ‘ફાંસલો’. કથાનકનો એક ભાગ એવો છે કે માઓવાદી નાયકે ક્રાન્તિકારી ચળવળ માટે ફાળો આપવાનો છે અને એ માટે તે મિત્રોની સાથે મળીને બૅન્ક લૂંટે છે. આ મુદ્દે તબીબીશાસ્ત્રનો વિદ્યાર્થી અને નક્સલવાદી ગોવિંદ તેના મિત્રો સાથે હિંસા-અહિંસાની ચર્ચા કરે છે. લેખક પણ તેમના પત્રકાર-મિત્ર સ્વર્ગસ્થ નિરંજન પરીખને પુસ્તક અર્પણ કરતાં ક્રાન્તિનાં સાધનો વિશેની તેમની અગાઉની ચર્ચાનો હવાલો આપે છે.

હિંસાઃ રાજ્યની ઇજારાશાહી સામેના સવાલ

મુદ્દે, હિંસા પર રાજ્ય(ઉર્ફે સ્ટેટ ઉર્ફે સરકાર)ની ઈજારાશાહી છે. સારા અર્થમાં જોઈએ તો રાજ્ય સૌને સલામતી પૂરી પાડે, તે જ હેતુસર શસ્ત્રોપયોગનો ઈજારો પોતાની પાસે રાખે છે. વહેવારુ અર્થમાં જોઈએ તો, રાજ્યના કર્તાહર્તા પોતાના અને પોતાની પરિયોજનાઓને તન-મન-ધનથી ટેકો આપનાર સૌકોઈના ભલામાં હિંસા આચરે છે—તેના દાખલા રોજના ધોરણે મળ્યા કરે છે—પણ બાકીના સૌ માટે હિંસા વર્જ્ય છે. આદિવાસીઓ, ગરીબ ખેડૂતો, મજૂરો અને અન્ય વંચિતોને આવા અત્યાચારથી બચાવવા માઓવાદીઓ હિંસા-પ્રતિહિંસા તરફ વળ્યા છે.

આટલું લખ્યું તે તેમનો દૃષ્ટિકોણ સમજવા માટે છે, તેને વાજબી ઠેરવવા નહીં. એ પણ નોંધીએ કે માઓવાદીઓનો એક હિસ્સો પણ ક્યાંક જાતિના ધોરણે, તો ક્યાંક હપતાના ધોરણે બીજા ધંધે વળગ્યો છે. આજના જમાનામાં બધા ગાંધીવાદીઓ દૂધે ધોયેલા નથી, ત્યારે બહુ થોડા માઓવાદી આદર્શ અનુસાર આચરણ કરતા હશે એમ માનીને ચાલીએ. પણ એમના આદર્શો નોંધી લઈએ. વળી, હિંસામાં શ્રદ્ધા રાખનારી આ એક જ વિચારધારા છે એવું પણ નથી. અલબત્ત, ગાંધીવાદ અને સાધનશુદ્ધિની સજ્જતા અને ધીરજનો અભાવ બધે છે. પણ જેના હાથમાં લોકવિચાર કહેતાં ડિસ્કોર્સની કળ હોય તે એકને હિંસક અને બીજાને અહિંસક ઠેરવી શકે છે. હુલ્લડ કરાવે, આખી કૅડર કામે લાગે, મોવડીઓ માર્ગદર્શન આપતા નજરે પડે, પણ એને હિંસક આંદોલન નહીં, ‘લોકભાવનાનો સ્વયંભૂ જુવાળ’ કહેવાય.

લોકલક્ષી-તેજસ્વી નામો અને સહાનુભૂતિનો ‘ગુનો’

માઓવાદી ચળવળની અંદર સક્રિય ન હોય, પણ તેમની નજીક હોય એવા સિમ્પેથાઈઝર કે સમર્થકોનો એક વર્ગ રહ્યો છે, જેને વિવિધ સમયે સરકારે મધ્યસ્થી તરીકે પણ આગળ કર્યો છે. હૈદરાબાદમાં રાજકીય વિજ્ઞાનના નિવૃત્ત અધ્યાપક અને કવિ વારવારા રાવ એક સમયે આન્ધ્ર સરકાર અને માઓવાદીઓ વચ્ચેની મંત્રણાઓમાં મધ્યસ્થી હતા. ‘ગદ્દર’ તખલ્લુસ ધરાવતા તેલુગુ કવિ પણ આવી ભૂમિકામાં રહ્યા હતા. તે બાબા નાગાર્જુન અને ગોરખ પાન્ડે જેવા વંચિતોના કવિઓની પરંપરામાં છે જે માર્ક્સ-લેનિનમાંથી પ્રેરણા લે છે. ડફલી લઈને મજૂર વસતિમાં જઈ નવી દુનિયાના શમણાની દુહાઈ પોકારે છે આ લોકો. એ તેમનો ગુનો. આ સમર્થક કે સમસંવેદનાશીલ વર્ગના કામનું બીજું પાસું કાનૂની લડાઈ છે. જેમને રાજકીય હિંસાના આરોપ હેઠળ જેલમાં બંધ કરાયા હોય તેમના હક માટે તે લડે છે. રોના વિલ્સન આ કામમાં આગળ પડતા હતા, એવી ધારણા છે. તેમને ગયા વર્ષે જેલ થઈ. તેમની સામે આક્ષેપ એ હતો કે તેમના કમ્પ્યૂટરમાંથી માઓવાદીઓ સાથેનો પત્રવ્યવહાર મળ્યો અને એમાં એક મોટા નેતાની હત્યાનું કાવતરું હતું. એન.આઇ.એ.એ. રોનાના કમ્પ્યૂટરમાંથી મળેલો જે એક પત્ર અખબારોને પહોંચાડ્યો તે વાંચતાંવેંત સો ટચનો બનાવટી લાગે છે, એવી ટિપ્પણીઓ અખબારોમાં આવી છે. હવે હની બાબુને એટલે પકડ્યા છે કે એ પત્રના લેખક હોવાનો જેના પર આક્ષેપ છે, તેની સાથે કાગળપત્તર કર્યાનો તેમની પર આક્ષેપ છે.

મૂળ કેસ એવો હતો કે મહારાષ્ટ્રમાં ભીમા-કોરેગાંવમાં 2018માં દલિતોના એક ઉજવણી પ્રસંગ સામે સંઘ પરિવારે વાંધો લીધો અને હિંસા થઈ. તેની તપાસ કરતાં એન.આઇ.એ. માને છે કે દલિત આગેવાનો માઓવાદીઓના સંપર્કમાં હતા, માટે માઓવાદીને પકડો, તે ના મળે તો તેમના સમર્થકોને. આ હરોળમાં સુધા ભારદ્વાજ અને આનંદ તેલતુમ્બ્ડે વગેરે જેમને જુઝારુ કહેવાય એવા કર્મશીલો છે. તેલતુમ્બ્ડે મૅનેજમેન્ટના અધ્યાપનમાં ઘણું હાંસલ કરી ચૂક્યા છે અને દલિતોના પ્રશ્ને નવી સમજથી લખે છે.

સુધા ભારદ્વાજ આઇ.આઇ.ટી.માં ભણ્યા પછી અમેરિકાની એમ.આઇ.ટી.માં પીએચ.ડી. કરી રહ્યાં હતાં. (પીએચ.ડી. કરવાનું કામ ખતરો-સે-ખાલી-નહીં એ ટાઇપનું લાગે છે.) તે ઝળહળતી કારકિર્દી પડતી મૂકીને શંકર ગુહા નિયોગીના મુક્તિ મોરચામાં ઝંપલાવ્યું, ત્યાંથી મજૂરોનાં વકીલ બન્યાં. 2018માં અર્નબ ગોસ્વામીએ સુધાએ એક માઓવાદી નેતાને લખેલો મનાતો પત્ર કાઢ્યો ત્યારથી એ જેલમાં છે. કોરોના લૉક ડાઉન પછીના દિવસોમાં તેમની તબિયત વણસતી હતી- પરિવારજનો પણ તેમને મળી શકતા ન હતાં. વારવારા રાવ અને આસામમાં બીજા સંદર્ભે પકડાયેલા ચળવળિયા અખિલ ગોગોઈ બંનેને કોરોનાનો ચેપ લાગ્યો છે.

— આ બધાં નામોને સ્થાપિત હિતો એક લેબલ આપે છે: અર્બન (શહેરી) નક્સલ. આ સંજ્ઞાનો અર્થ એમ છે કે જે સમાન હક, વંચિતોનું ભલું, નવા સમાજની રચના વગેરેની વાત કરે છે એટલે કે સરકારનો અને મૂડીવાદી વિકાસનો વિરોધ કરે છે, તે સૌને ડાબે કરો. હવે એ સૌ શંકાસ્પદ મનાતા પુરાવાને આધારે, કોઈ ખટલા વગર, વરસો સુધી જેલમાં સબડશે. ત્યાં તેમને સ્વાસ્થ્યની સારસંભાળ જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી. જે ગુનેગાર હોય તેમને ચોક્કસ સજા થવી ઘટે, પણ એ તો અદાલત નક્કી કરશે ત્યારે કરશે. ગુનો કોને કહેવાય, અદાલત ક્યા કાનૂનનું અર્થઘટન કરી શકે, એ કાનૂનની કલમો કઈ, એ કાનૂન ઘડવા બેઠેલા આપણા પ્રતિનિધિઓ કઈ રીતે ચૂંટાયા, તેમને ભંડોળ કોણે આપ્યું — આ બધા પ્રશ્નો ઊઠાવવા જેવા નથી. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જેવા છેલ્લા પ્રશ્નનો તો ઈલેક્ટોરલ બૉન્ડ આવ્યા પછી આર.ટી.આઇ.માં પણ જવાબ નહીં મળે. આ પ્રશ્નોની દિશામાં વિચારવામાં આગળ વધશો તો ક્યાં પહોંચી જશો એ તમને યાદ રહે, એ માટે તો આટલા દાખલા બેસાડવામાં આવી રહ્યા છે.

સહિયારી રાજકીય જવાબદારી

કમનસીબે, આ વલણો અને આ ઘટનાક્રમ 2014થી શરૂ નથી થયાં. કૉંગ્રેસની આગેવાની હેઠળની યુ.પી.એ.ના શાસન દરમિયાન ગાંધીવાદી પણ આદિવાસીઓના પ્રશ્ને સરકાર કરતાં માઓવાદીની વધુ નજીક મનાતા ડૉક્ટર વિનાયક સેનની આ જ દશા થઈ હતી. આ બધી ધરપકડો માટે જે કાનૂન ઈસ્તેમાલ થાય છે તે અને તે પ્રકારના બીજા કાનૂનો છેક એંસીના દાયકાથી કૉંગ્રેસે જ આગળ કરેલા છે. ઉદ્યોગપતિઓ માટે આદિવાસીઓની જમીનો છીનવવાનો કારસો કૉંગ્રેસકાળનો છે. જ્યારે કહીએ કે હિંસા કે શસ્ત્ર પર રાજ્યની મોનોપોલી છે, ત્યારે એ રાજ્ય ઘણો લાંબો વખત કૉંગ્રેસના હાથમાં પણ રહ્યું છે તે યાદ રાખવું પડે. માટે જ આજનો આપણો મુખ્ય વિપક્ષ ધરપકડોની આ શ્રેણી વિશે ટિપ્પણી કરી શકતો નથી.

બીજું કમનસીબ એ છે કે ગુજરાતી અખબારોમાં (અને રાષ્ટ્રીય સ્તરે ગણતરીના અખબાર સિવાય) આ ઘટનાઓની નોંધ પણ લેવાતી નથી. માટે ભીમા કોરેગાંવ એટલે નક્સલ, નક્સલ એટલે હિંસા, હિંસા એટલે રાજ્યવિરોધ ને રાજ્ય એટલે રાષ્ટ્ર—આ બધાં સમીકરણો ભયાવહ સરળતાથી ગળે ઉતરી જાય છે અને અપચો થવાની કોઈને ચિંતા નથી. નાગરિકસમાજ, કર્મશીલો, બુદ્ધિનો ઉપયોગ કરનારા એટલે કે બૌદ્ધિકો જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, તે બધા મુદ્દાઓ પર ધીમેધીમે માઓવાદી લેબલ લાગી રહ્યું છે. કોરોનાના આંકડા કે લૉક-ઠોક-ડાઉનની અક્ષમ્ય ભૂલોની વાત કરનાર પણ થોડા વખતમાં અર્બન નક્સલ કહેવાશે.

હિંસા કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં – કોઈ પણ સંજોગોમાં નહીં. એ વાત માને તો સૌ છે જ, પણ મોટા ભાગના માને છે કે એ વાત બહુ થોડાને જ લાગુ પડે છે.

e.mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 07-09

Loading

અંતર

સાહિલ પરમાર|Opinion - Opinion|4 August 2020

મને ખળભળતા જીવનનાં ઝરણથી દૂર રાખ્યો છે
અને શાંતિથી સ્વાભાવિક મરણથી દૂર રાખ્યો છે

મેં વાવ્યાં છે, ઉછેર્યાં છે વજીફા વાડી ને વૃક્ષો
મને એના જ છાંયાથી ને ફળથી દૂર રાખ્યો છે

મંદિર ઘડી મૂર્તિ ગર્ભગૃહ મેં શિખર ગુંબજ
મને એનાં પગથિયાંના શરણથી દૂર રાખ્યો છે

ગટરનાં નીતર્યા પાણી મેં પીધાં છે, પચાવ્યાં છે
હવે જળના ઠરણથી ને ઝમણથી દૂર રાખ્યો છે

મળેલા જીવને નોખા જનમની છાપથી કીધા
છૂટા પાડી જીસમથી ને જિગરથી દૂર રાખ્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 14

Loading

આર.ઓ. ફિલ્ટર : નિશ્ચિંત થવાનું નહીં, ચિંતા કરવાનું કારણ

બીરેન કોઠારી|Opinion - Opinion|4 August 2020

“અમે પાણીનો જરા ય વેડફાટ કરતા નથી. તેને એકદમ જાળવીને, આર.ઓ. ફિલ્ટર વડે શુદ્ધ કરીને જ વાપરીએ છીએ.” આમ કહેનાર, માનનાર અને અમલ કરનાર વર્ગ મોટો હશે. દરેક જણ ઈચ્છે કે તેમને શુદ્ધ પાણી પીવા મળે. અલબત્ત, આપણા દેશમાં ઘણો મોટો વર્ગ એવો છે કે જેને પાણી મળે એ જ બહુ મોટી વાત લાગે છે. નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સ્થાનિક સત્તાતંત્રની જવાબદારીમાં આવે છે. પણ સતત વિકસતી જતી આવાસયોજનાઓ અને તેની સાથે તાલ ન મિલાવી શકવાની તંત્રની મર્યાદાને કારણે પાણીની સુલભતા, શુદ્ધતા, દબાણ વગેરે સમસ્યાઓ સતત ચાલતી રહે છે. તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી આપણા ઘરના નળ સુધી પહોંચે એ જ મોટું આશ્વાસન હોય ત્યાં પાણીની ગુણવત્તા વિશે વિચાર કરવાનો ક્યાંથી આવે!

આર.ઓ. ફિલ્ટરઃ શુદ્ધતા કે મોભો?

પામતા-પહોંચતા વર્ગમાં છેલ્લા બેએક દાયકાઓમાં ઘરમાં પાણીનું ફિલ્ટર મૂકાવવાનું ચલણ શરૂ થયું. કંપનીના સેલ્સમેન તેમને ફિલ્ટર મૂકાવવાના લાભ ગણાવી દે એ પૂરતું નથી. આસપાસના મોટા ભાગના રહીશોએ ફિલ્ટર મુકાવી દીધું છે અને પોતાનાં કુટુંબીજનોનાં સ્વાસ્થ્ય માટે બેદરકાર હોય તે જ ફિલ્ટર ન મૂકાવે – આવા લાગણીસભર દબાણને કારણે પણ લોકો ફિલ્ટર મુકાવવા માટે પ્રેરાતા હોય છે. ઘણા કિસ્સામાં પાણીનું ફિલ્ટર મૂકાવવા પાછળ સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્ત્વનો મુદ્દો સ્ટેટસ – મોભાનો હોય છે. કેટલાક લોકો બહાર જાય ત્યારે પોતાના ઘરમાં લગાવેલા ફિલ્ટરના પાણીની શીશીઓ સાથે રાખતા જોવા મળે છે અને ‘સાદા’ પાણીને બદલે ‘પોતાનું’ પાણી જ પીવે છે. તેમની આ ચેષ્ટા જાગૃતિ બતાવે છે, સાવચેતી બતાવે છે કે ચડિયાતાપણાની ભાવના સૂચવે છે એ સમજવું ઘણી વાર મુશ્કેલ બની રહે છે.  

શુદ્ધતાનું વિજ્ઞાન

આવી સામાજિક પરિસ્થિતિમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.) દ્વારા ગયા વરસના મે મહિનામાં પર્યાવરણ મંત્રાલયને સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારોમાં પાણીના ટી.ડી.એસ.(ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ-કુલ દ્રાવ્ય ઘનપદાર્થો)નું પ્રમાણ પ્રતિ લિટરે 500 મિ.ગ્રા. કરતાં ઓછું હોય ત્યાં આર.ઓ. પદ્ધતિવાળાં પાણીનાં ફિલ્ટરને પ્રતિબંધિત કરવાં.

આવી સૂચના માટેનાં નક્કર કારણો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુ.એચ.ઓ.)ના એક અભ્યાસ અનુસાર પ્રતિ લિટરે 300 મિ.ગ્રા.થી ઓછા ટી.ડી.એસ. એકદમ યોગ્ય ગણાય, પ્રતિ લિટરે 900 મિ.ગ્રા. ટી.ડી.એસ. બરાબર ન કહેવાય, જ્યારે પ્રતિ લિટરે 1200 મિ.ગ્રા. ટી.ડી.એસ. અસ્વીકાર્ય ગણાય. આમ, જે વિસ્તારમાં પૂરા પાડવામાં આવતા પાણીમાં ટી.ડી.એસ. 500 મિ.ગ્રા. પ્રતિ લિટર કે તેથી ઓછા હોય ત્યાં આર.ઓ. ફિલ્ટર કામનાં નથી, એટલું જ નહીં, પાણીમાંના મહત્ત્વનાં ખનિજ દ્રવ્યોને તે ગાળીને દૂર કરી દે છે. આને કારણે વિવિધ પ્રકારની શારીરિક તકલીફો કે રોગો પેદા થઈ શકે છે, એ બાબત અનેક અભ્યાસ થકી પુરવાર થઈ ચૂકેલી છે. આટલું ઓછું હોય એમ, શુદ્ધ થતા પ્રતિ એક લિટર પાણીએ ત્રણ લિટર જેટલું પાણી તે વેડફી નાખે છે. પાણીની કાયમી અછત ધરાવતા આપણા દેશમાં એ શી રીતે પરવડે?

એન.જી.ટી.ની સૂચનાને પગલે ‘નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ અને આઈ.આઈ.ટી. (દિલ્હી) દ્વારા તૈયાર કરાયેલા એક સંયુક્ત અહેવાલ અનુસાર આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકોએ વેચાણ માટે ખોટી માહિતી અને ખોટો હાઉ ઊભો કરેલો છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ વિકસિત દેશોમાં આર.ઓ.નો ઉપયોગ વિલવણીકરણ (ડિસેલિનેશન) પૂરતો મર્યાદિત છે. ટી.ડી.એસ.નું અતિ ઉચ્ચ પ્રમાણ ધરાવતા ખારાશયુક્ત દરિયાઈ પાણીને પીવાલાયક બનાવવા માટે તે વપરાય છે. ભારતમાં આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકો ટી.ડી.એસ.ની સાથોસાથ બીજા અનેક પ્રદૂષકો પણ દૂર કરવાનો દાવો કરતા આવ્યા છે. આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકો ભારતમાં ઘણે ઠેકાણે પાણીમાં થતા આર્સેનિક અને ફ્લોરાઇડના મિશ્રણને લઈને આર.ઓ. ફિલ્ટરની હિમાયત કરી રહ્યા છે. આ બાબતને નકારતાં સમિતિએ સૂચવ્યું છે કે એવા કિસ્સામાં જે તે પ્રદૂષકને દૂર કરતી ખાસ ટેક્નોલોજી અજમાવવી જોઈએ, પણ આર.ઓ. તો નહીં જ.

બીક કે દેખાદેખીમાં આફતને નોતરું

દિલ્હીમાં પૂરા પાડવામાં આવતા પાણીના પુરવઠામાં ટી.ડી.એસ.નું પ્રમાણ 200 મિ.ગ્રા. પ્રતિ લિટરથી વધુ હોતું નથી. આથી દિલ્હીનાં ઘરોમાં આર.ઓ. ફિલ્ટરની આવશ્યકતા નથી. આવી સ્થિતિ અનેક શહેર, નગર કે ગામમાં હશે. પોતાના ઘરમાં આવતું નળનું પાણી કેટલા ટી.ડી.એસ. ધરાવે છે એ શી રીતે ખ્યાલ આવે? સમિતિ આનો ઉકેલ સૂચવતાં જણાવે છે કે પાણીનો પુરવઠો પૂરો પાડતી સ્થાનિક સંસ્થાએ સમયાંતરે ગ્રાહકોને મોકલાતા વપરાશના બિલમાં પાણીનો સ્રોત અને ટી.ડી.એસ. માત્રા સહિતની તેની ગુણવત્તા વિશે જણાવવું જોઈએ. દિલ્હીસ્થિત બિનસરકારી સંસ્થા ‘ફ્રેન્ડ્ઝર’ના જનરલ સેક્રેટરી શરદ તિવારી દ્વારા કરવામાં આવેલી અરજીને પગલે એન.જી.ટી.એ આગળ અભ્યાસ કરાવ્યો અને તેનાં પરિણામ પછી મંત્રાલયને આર.ઓ. ફિલ્ટરને પ્રતિબંધિત કરવા માટેનો આદેશ આપ્યો અને એ આદેશના અમલ માટે પૂરતી મુદ્દત આપી.

આનો અમલ થાય અને જે પગલાં લેવાય ત્યારે ખરાં, પણ સ્વાસ્થ્ય અંગેની ગેરસમજ કેવાં વિપરીત પરિણામ લાવી શકે તેનો આ નમૂનો છે. આ ગેરસમજમાં ભયને મિશ્રિત કરીને તેનું બજાર વિકસે, તે સામાજિક મોભાનું સાધન બને, સ્વાસ્થ્યસભાન વર્ગ તેને વસાવીને ગૌરવ અનુભવે અને હજી આર.ઓ. ફિલ્ટર પરના પ્રતિબંધનો વાસ્તવિક અમલ થાય ત્યાં સુધીમાં કેટલા ય પરિવારો આવું ‘શુદ્ધ’ પાણી પીતા રહેશે એ તો કોને ખબર! આવી બધી બાબતોમાં આમ પણ સરકાર અને મંત્રાલયોને ખાસ રસ પડતો નથી. આથી જ 2019ના મે મહિનામાં કરાયેલા આદેશને એક વરસ વીતવા છતાં હવે કોવિડ-19નું બહાનું કાઢીને પર્યાવરણ મંત્રાલયે 31 ડિસેમ્બર, 2020 સુધીની મુદ્દત માંગી છે અને ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળ નિમાયેલી બૅન્ચ દ્વારા તે મંજૂર કરવામાં આવી છે.

કોવિડ-19ના કપરા સમયમાં સરકારે એ સ્પષ્ટ સંદેશો નાગરિકોને પહોંચાડી દીધો છે કે પોતાના સ્વાસ્થ્યની સંભાળ પોતે જ રાખવાની છે. આ સંદેશા પરથી ધડો લઈને આર.ઓ. ફિલ્ટર પર સરકારી પ્રતિબંધ મૂકાય ત્યાં સુધી રાહ જોવી કે ‘જાગ્યા ત્યાંથી સવાર’ ગણીને યોગ્ય પગલાં લેવાં એ આપણે નક્કી કરવાનું છે.

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 13-14

Loading

...102030...2,2752,2762,2772,278...2,2902,3002,310...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved