Opinion Magazine
Number of visits: 9573576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલુપ્રસાદ યાદવ અને નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી વચ્ચે રહેલું સામ્ય

અસીમ અલી, અસીમ અલી|Opinion - Opinion|28 October 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તેમના ટીકાકારોને પણ અચરજમાં નાખી દે છે. તેમને વિસ્મય એ વાતનું છે કે આ છ વરસમાં મોદીએ એવું કર્યું છે શું? જો કે આ સવાલ ખોટો છે. તેમની લોકપ્રિયતા તેમણે જે કર્યું છે તેને નહીં, પણ તેમણે જે નથી કર્યું તેને આભારી છે. લોકોની નજરમાં નરેન્દ્ર મોદીની ઓળખ નિરાશાજનક વર્તમાન યથાસ્થિતિનો અંત આણનારની રહી છે.

પોતાના નામે ખાસ કશી સિદ્ધિ ન હોવા છતાં, મોદીની લોકપ્રિયતા એક સમયે લાલુપ્રસાદ યાદવની લોકપ્રિયતાની યાદ અપાવે એવી છે. લાલુએ બિહારમાં પ્રચંડ લોકપ્રિયતા સાથે પંદર વરસ સુધી રાજ કર્યું, તેનાથી પણ વિશ્લેષકો આશ્ચર્યમાં હતા. બંને નેતાઓનો આ દૃષ્ટિએ અભ્યાસ કરવાથી કદાચ મોદીને શી રીતે પડકારી શકાય તેનો ખ્યાલ પણ આવી શકશે.

છેલ્લાં છ વરસ દરમિયાન મોદીએ લીધેલાં કેટલાંક મોટાં પગલાં જુઓ: નોટબંધી, કલમ 370, જી.એસ.ટી., કૃષિ કાયદા અને શ્રમિક કાયદા. આ દરેકની પાછળ એક રાજકીય ગણિત દેખાઈ આવે છે. મોદી નવી આશાઓથી ઉભરાતા સમાજના સમર્થનના જોરે ચૂંટાયા અને વડા પ્રધાન બન્યા. આ આશાવાદી સમાજનો મોટો હિસ્સો નવ-મધ્યમ વર્ગનો બનેલો હતો, જે ઉદારીકરણનો લાભાર્થી હતો ખરો, પણ તેમની મહત્ત્વાકાંક્ષા એથીયે મોટી હતી. એમાં મોદીની ચબરાકી એ હતી કે તે મધ્યમ વર્ગની નિષ્ફળતાઓ માટે અંગત સ્થાપિત હિતો ધરાવતી વ્યક્તિઓના તાબા હેઠળના અને ભ્રષ્ટ તંત્રને જવાબદાર ઠેરવી શક્યા. આ રીતે જૂનું વ્યવસ્થા-તંત્ર 2014 સુધીમાં લોકોના મનમાં એટલું ત્રાસદાયક બની ગયું કે તેને તોડી પાડવું એ જ તેમને મન આવનારા શાસકની સૌથી મોટી લાયકાત બની ગયું.

જો કે, મોદી લોકોને હજુ એવું ઠસાવી રહ્યા છે કે જૂનું તંત્ર જીવિત જ છે: “સિત્તેર વરસનો ખાડો” પૂરતાં થોડો વખત લાગશે! આ જ તેમની મુખ્ય અપીલ રહી છે, અને તેમને મત મળતા પણ રહ્યા છે. જૂના ભારતના નાશ પછી જ ‘નવું ભારત’ બનશે એવું તે કહેતા હોય છે.

તેમના મોટા ભાગનાં રાજકીય પગલાં પાછળ આ દલીલ રહેલી હોય છે કે તે સ્થાપિત હિતોવાળી યથાસ્થિતિને નષ્ટ કરી રહ્યા છે. આમ, (તેમના દાવા પ્રમાણે) નોટબંધીએ દેશમાં કાળા નાણાંનો નાશ કર્યો, જી.એસ.ટી.એ દેશની ભ્રષ્ટ અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી. અબ્દુલ્લા અને મુફ્તીના (તેમ જ અલગતાવાદીઓના) ભ્રષ્ટ કબજામાંથી જમ્મુ-કાશ્મીરને છોડાવવા કલમ 370 દૂર કરવામાં આવી, જે રાજ્યને પછાત રાખતી હતી અને તેનું બાકીના ભારત સાથેનું સંપૂર્ણ એકીકરણ અટકાવતી હતી. હમણાં જ પસાર થયેલાં કૃષિ કાનૂનો ખેતીનું આધુનિકરણ અવરોધનારા વચેટિયાથી ખેડૂતોને આઝાદ કરશે. એ રીતે શ્રમિક સુધારાઓ પણ ઔદ્યોગીકરણને ઝડપ આપશે … આવાં કારણો અને દાવાનો પ્રચાર સતત થતો રહે છે.

જો કે આ સ્થાપિત તંત્ર તૂટ્યા પછી મોદીએ નવું માળખું ઊભું કરાવામાં રસ દાખવ્યો નથી. કાશ્મીર નીતિ સાવ નિષ્ફળ ગઈ છે, જી.એસ.ટી.નો અમલ ખૂબ નબળો રહ્યો છે, નોટબંધી પોતે એક મોટી આપદા હતી અને નવા કૃષિ કે શ્રમ સુધારાઓની જમીન પર શું અસર થશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. નહેરુની જેમ નવાં માળખાં કે સંસ્થાઓ ઊભાં કરવાના મામલે મોદીમાં ઇચ્છાશક્તિ અને ક્ષમતા બંનેનો અભાવ જોવા મળ્યો છે. તેમ છતાં આ મુદ્દાઓના સમર્થનમાં તેમની વધારે પડતી સરળ અને ગોળગોળ વાતો તેમની મર્યાદા છતી કરતી નથી. ઉપરથી તેને તેમનું જમા પાસું ગણવામાં આવે છે. લોકોને જલદી ગળે ઊતરી જાય એવી સરળ વાતો જ રાજકીય રીતે ફાયદો કરાવે, એ લાલુપ્રસાદ યાદવના કિસ્સામાં પણ જોવા મળ્યું હતું.

મોદીની જેમ લાલુની ચડતી પણ જૂનું માળખું ભાંગવાના પ્રતિકરૂપ હતી. 1960ના દાયકાથી બિહારના પછાત વર્ગમાં રાજકીય જાગૃતિ વધી રહી હતી, જેને લોહિયા, જેપી અને કર્પૂરી ઠાકુર જેવા નેતાઓ ઘડી રહ્યા હતા. હરિત ક્રાંતિને પરિણામે આ ખેડૂત વર્ગની આકાંક્ષાઓ પણ વધી હતી. ઉપલા વર્ગની જાતિના કબજા હેઠળનું જૂનું માળખું, એ જ વર્ગમાંથી આવતા લોકોની કૉંગ્રેસનું બનેલું હતું. 1990માં લાલુ મુખ્ય મંત્રી થયા, ત્યાં સુધીમાં તે માળખાને જાકારો મળી ચૂક્યો હતો.

મોદીની જેમ લાલુની પ્રાથમિકતા બિહારમાં આ માળખાનો વિકલ્પ ઊભો કરવાની ન હતી. નવું માળખું તેમના મુખ્ય મતદાર વર્ગને ફાયદો કરાવી શક્યું હોત, અને જૂના માળખાને પડકારી પણ શક્યું હોત. તેમની જનતા પાર્ટીનો નારો “વિકાસ નહિ, સન્માન જોઈએ”-નો હતો. રાજકીય વિશ્લેષક જેફ્રી વિટ્ઝોએ લખ્યું તેમ, લાલુએ પછાત વર્ગના મતોને ખેંચ્યા, તે કોઈ શાસકીય નીતિ-વ્યવસ્થાના જોરે નહીં, પણ આ વર્ગના સન્માનના નામે. તેમનું ધ્યાન રાજ્યને ઉપલી જાતિના લોકોની પકડથી છોડાવવા પર કેન્દ્રિત હતું. એ કારણે તેમને વારંવાર ઉપલી જાતિના લોકોથી બનેલી પોલીસ, વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર સાથે ઘર્ષણ થતું.

સમય સાથે આ ઘર્ષણ વધતું ગયું. વિશ્લેષક અતુલ કોહલીએ તેને ‘બિહારની શાસકીય કટોકટી’ એવું નામ આપ્યું. શિક્ષણ, આરોગ્ય અને નોકરીઓમાં રાજ્ય પછાત જ રહ્યું. એમાં ય ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન કૉંગ્રેસના શાસન સમયથી જ વિકરાળ હતો અને તે વધુ વકર્યો. તેમ છતાં લાલુ લોકપ્રિયતા ભોગવતા રહ્યા અને 1995માં વધુ મોટી બહુમતીથી સરકાર રચી શક્યા. લાલુ કે મોદી જેવા લોકપ્રિય નેતાઓ થોડા સમય માટે તેમની શાસકીય નીતિની ટીકાથી બચી શકતા હોય છે કે તેનાથી પર રહેતા હોય છે. હકીકતમાં તે ટીકાને પોતાના સમર્થનમાં ફેરવી શકે છે. કેમ કે, તે ટીકાકારોને જૂના માળખાના પ્રતિક તરીકે ચિતરે છે. એવો પ્રચાર કરવામાં આવે છે કે ટીકા કરનારા જૂનું માળખું તૂટવાથી તેમનો ગરાસ લૂંટાઈ જવાને કારણે દુઃખી છે અને ટીકા કરે છે. લાલુએ પોતાના શાસનકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને ઉપલી જાતિના પ્રભુત્વ હેઠળની તપાસ સંસ્થાઓના તથા ન્યાયતંત્રના કાવતરા તરીકે રજૂ કર્યો. સામે પક્ષે, ગરીબ વર્ગ લાલુને પોતાનામાંથી એક ગણતો હતો, જેમ મધ્યમ વર્ગના લોકો (‘ચાવાળાના દીકરા’) મોદીને પોતાની વચ્ચેથી ઊભરેલા નેતા તરીકે જુએ છે. લાલુરાજથી પછાત વર્ગને સામાજિક અને રાજકીય ફાયદો થયો હતો અને તે ઉપલી જાતિની પકડમાં હોય એવા જૂના વ્યવસ્થાતંત્રમાં પાછા ફરવા ઇચ્છતા ન હતા. લાલુને તે પોતાની (નીચલી) જાતિઓનાના ઉપલી જાતિ વિરુદ્ધ પ્રતિકારના પ્રતિક તરીકે જોતા.

જો કે 2000ની ચૂંટણીમાં લાલુએ બહુમતી ગુમાવી અને 2005ની ચૂંટણી તે હાર્યા. લાલુને એ પાઠ મળ્યો કે લોકોની મહત્ત્વાંકાંક્ષા પૂરી ન થાય તો લોકપ્રિયતા કાયમી નથી ટકતી. આર્થિક કટોકટી અને વ્યાપક બેરોજગારી જેવી સમસ્યાઓ છતાં મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે, પણ 2024ની ચૂંટણીને હજી ઘણી વાર છે. સમય ગમે ત્યારે બદલાઈ શકે છે.

જો કે બિહારના ઉદાહરણ પરથી એ સમજાય છે કે આ પરિવર્તન કોઈ વૈકલ્પિક રાજકીય માળખા વિના શક્ય બનતું નથી. માત્ર સરકારના વિરોધથી કશું સરતું નથી. નીતિશકુમારે “નવા બિહાર”ની વાત કરી હતી, જૂના માળખા તરફ પાછા ફરવાની નહીં. જેફ્રી વિટ્ઝો અને ફ્રેન્કાઇન ફ્રેન્કેલે નોંધ્યું તેમ, નીતિશ લાલુને ખસેડી શક્યા, કારણ કે તેમણે સામાજિક ન્યાય અને વિકાસ બંનેને સાંકળ્યા. લાલુ આ બંનેને મિશ્ર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વળી, નીતિશકુમારે માત્ર વાતો કરવાને બદલે પોતાની રાજનીતિ તેની આસપાસ ગોઠવી. અતિ પછાત વર્ગોને તેમણે પોતાની સાથે કર્યા, જે લાલુરાજ દરમ્યાન મુસ્લિમ-યાદવના પ્રભુત્વથી દુઃખી હતા અને પોતાને શોષિત ગણતા હતા. કૂર્મી અને કોરી જાતિના મતોની સાથે દલિત મુસ્મિમો પણ નીતિશની સાથે હતા. આમાં ભા.જ.પ.ના ઉપલી જાતિના મતો ભળવાથી વિજયી યુતિ રચાતી હતી. જો કે લાલુની જેમ પોતાને ફક્ત પછાત જાતિના નેતા તરીકે રજૂ કરવાને બદલે, નીતીશે નવાં સપનાં ધરાવતા અને સ્વચ્છ રાજનીતિની અપેક્ષા રાખતા મતદાર વર્ગના નેતા તરીકે પણ પોતાની જાતને રજૂ કરી.

મોદીની લોકપ્રિયતા ખટકતી હોય તેમણે પૂછવું જોઇએ કે વિપક્ષ કયો વિકલ્પ રજૂ કરી રહ્યો છે? કૉંગ્રેસ હજુ ભ્રષ્ટાચાર અને વંશવાદથી ગ્રસ્ત છે. તેના મોટા ભાગના નેતાઓ કોઇ રાજકીય નેતાના વંશજ છે. ખુદ કેન્દ્રીય નેતૃત્વ નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢીના હાથમાં છે. હવે તે પોતાને પછાતો, દલિતો અને મુસ્લિમોના પક્ષ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તેમને મોટી સફળતા મળી નથી અને તે પણ આ બાબતે ખાસ ગંભીર જણાતા નથી. તેના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે વિચારધારાના મામલે પણ કૉંગ્રેસમાં કોઈ સ્પષ્ટતા નથી.

ઉપરાંત, રાજ્યના સ્થાનિક પક્ષો એવી આશા સેવીને બેઠા છે કે કૉંગ્રેસથી નિરાશ મતદાર વર્ગ નછૂટકે તેમની પાસે જ આવશે. તે પોતાની 1980ના દાયકાની રાજનીતિને 2020ની વાસ્તવિકતાઓને અનુરૂપ બનાવી રહ્યા નથી. તાળાબંધી દરમિયાન શ્રમિકોની સમસ્યાને મોદી વટાવી શક્યા, પણ સવાલ એ છે કે વિપક્ષના કયા નેતાએ આ સમસ્યાને રાજકારણનો મુદ્દો બનાવી અને એ વર્ગને પોતાની સાથે લેવા ગંભીર પ્રયત્નો કર્યા?

જૂનું વ્યવસ્થાતંત્ર પોતાની વિશ્વસનીયતા ખોઈ બેઠેલું છે. આથી, મોદીનો રકાસ ત્યારે થશે, જ્યારે કોઈ રાજકીય પક્ષ નવું માળખું જ લાવશે. દુઃખદ વાત એ છે કે આ વિકલ્પ રચાતો હોય એવું અત્યારે તો ક્યાં ય દેખાઈ રહ્યું નથી. 

(સૌજન્યઃ ‘ધ ટેલીગ્રાફ’, અનુવાદઃ સુજાત)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 07-09

Loading

શું મહિલાઓનાં લગ્નની વયમર્યાદા વધારવી જોઈએ ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 October 2020

વરસ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં મહિલાઓ સંબંધી યોજનાઓ જાહેર કરતાં નાણાં મંત્રીએ મહિલાઓની લગ્નવય વધારવા ટાસ્કફોર્સની રચનાનું વચન આપ્યું હતું. જૂન મહિનામાં સામાજિક –રાજકીય આગેવાન જયા જેટલીના અધ્યક્ષસ્થાને કેન્દ્રના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે આ અંગે સમિતિની રચના કરી હતી. આ સમિતિ માતા-મૃત્યુ દર ઘટાડવા, માતા અને બાળકનાં પોષણસ્તર સુધારવા તેમ જ મહિલાઓની લગ્નવય વધારવા જેવી બાબતો ચકાસીને અહેવાલ આપશે. આ વરસની પંદરમી ઓગસ્ટે  ચુંમોતેરમા સ્વાતંત્ર્ય દિને  દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં અને હવે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની પંચોતેરમી જયંતીના ઉજવણી સંબોધનમાં વડા પ્રધાને મહિલાઓની લગ્નવય વધારવાની બાબતે સરકાર જલદીથી નિર્ણય લેનાર હોવાની ઘોષણા કરી છે.

સ્ત્રી-પુરુષની લગ્ન વય કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. બ્રિટિશ શાસનકાળના ૧૮૭૨ અને ૧૮૯૧ના કાયદામાં છોકરીઓની લગ્નની ઉંમર ૧૨ અને ૧૪ વરસની હતી. ૧૯૩૦ના શારદા એકટમાં તે વધારીને ૧૬ વરસની કરવામાં આવી હતી. ૧૯૭૮માં કાયદામાં સુધારા મારફત હાલમાં છોકરાઓની લગ્નવય ૨૧ વરસ અને છોકરીઓની ૧૮ વરસ છે. એક સદીમાં છોકરા-છોકરીઓની લગ્ન વયમાં માંડ છ-આઠ વરસનો જ વધારો કરી શકાયો છે ૧૯૭૮થી મહિલાઓની લગ્ન વય ૧૮ વરસની છે તેમાં સરકાર ત્રણેક વરસનો વધારો કરવા માંગે છે.

બાળલગ્નોને કારણે મહિલાઓ નાની ઉંમરે માતા બનતાં માતા અને બાળકના મૃત્યુ અને નબળાં સ્વાસ્થ્ય જેવાં કારણોનાં નિવારણ માટે મહિલાઓની લગ્નવયમાં વધારો કરવો જોઈએ એવી દલીલો થાય છે. પહેલી નજરે ઝટ ગળે ઉતરી જાય એવી આ દલીલને હકીકતોની સરાણે ચકાસવી જોઈએ. ફોર્થ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા જણાવે છે કે ૨૦૦૫-૦૬ના વરસમાં ૨૦થી ૨૪ વરસની ઉંમરની ૪૭ ટકા મહિલાઓનાં લગ્નો ૧૮ વરસ પહેલાં થઈ ગયાં હતાં. પરંતુ ૨૦૧૫-૧૬માં તે ટકાવારી ઘટીને ૨૬.૮ ટકા થઈ હતી. ભારતની વસ્તી ગણતરીના અહેવાલો પરથી પણ જણાય છે કે ૨૦૦૧ની તુલનાએ ૨૦૧૧માં ૧૫ વરસની વય પૂર્વે લગ્ન થયાં હોય તેવી સ્ત્રીઓ ૬.૬ ટકા જ છે. અર્થાત્‌ બાળ લગ્નોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જો કે તે સંપૂર્ણ નાબૂદ થયાં નથી. હવે બાળવયના બદલે કિશોરવયે થતાં લગ્નો વધ્યાં છે. એટલે છોકરીઓની લગ્નવય વધારવાથી બાળલગ્નો બંધ થઈ જશે તે દલીલ યોગ્ય નથી.

બાળલગ્નોમાં થયેલો મોટો ઘટાડો માતા-મૃત્યુ દરના મોટા ઘટાડારૂપે જોવા મળતો નથી. ૨૦૧૭ના વિશ્વ બેન્કના એક અભ્યાસમાં નોંધાયું હતું કે ૧૮૬ દેશોમાં માતા-મૃત્યુ દરમાં ભારત ૧૩૦મા નંબરે હતું. નીતિ આયોગના જણાવ્યા મુજબ ૨૦૧૪-૧૬માં દર એક લાખ જન્મદીઠ માતા-મૃત્યુ દર ૧૩૦ હતો. જે હવે ઘટીને ૧૨૨ થયો છે. માતા અને બાળકનાં મૃત્યુ કે નબળું આરોગ્ય અને ઓછા વજનનું કારણ નાની વયે લગ્ન જ માત્ર નથી. ગરીબી અને કુપોષણ પણ છે. જો ગરીબી નહીં હઠે, પેટ પૂરતું ખાવાનું જ નહીં મળે તો મોટી ઉંમરે થતાં લગ્નથી પણ આ સમસ્યા હલ થવાની નથી. એટલે મહિલાઓની લગ્નવય વધારવા સાથે તેમનું પોષણસ્તર સુધારવાનાં પગલાં પણ લેવાં જરૂરી છે.

સ્ત્રીઓનાં વહેલાં લગ્નનું કારણ પણ ગરીબી અને શિક્ષણનો અભાવ છે. ૨૦ થી ૨૪ વરસની ૨૧ વરસ પહેલાં લગ્ન કર્યા હોય તેવી તમામ આર્થિકસ્તરની સ્ત્રીઓ ૫૬ ટકા છે. પણ એ જ આયુની સૌથી ગરીબ વર્ગની મહિલાઓમાં તેની ટકાવારી ૭૫ ટકા જેટલી ઊંચી છે. માબાપ માટે દીકરી બોજ ગણાતી હોય અને તેની સુરક્ષા, શિક્ષણ, રોજગારની ચિંતા હોય તે કારણથી તેના વહેલાં લગ્નો કરી દેવામાં આવે છે. ગામમાં જ શિક્ષણની વ્યવસ્થા ન હોવાથી  ૧૫થી ૧૭ વરસની ઉંમરની છોકરીઓ મોટા પ્રમાણમાં ભણવાનું છોડે છે. એટલે પણ લગ્ન વયનો વધારો ગરીબી, બેરોજગારી, સ્ત્રી સુરક્ષા અને મહિલા શિક્ષણની પર્યાપ્ત વ્યવસ્થા વિના બેમતલબ બની શકે છે.

સ્ત્રી-પુરુષની લગ્ન વયમાં હાલમાં જે તફાવત જોવા મળે છે તે મહિલાઓની લગ્નવય વધારવાથી યથાવત રહેશે કે દૂર થશે તે પણ સવાલ છે. આખી દુનિયાએ મહિલાઓની ૧૮ વરસની ઉંમરને લગ્ન યોગ્ય માની છે. એ ઉંમરે સ્ત્રીનું શરીર પૂર્ણપણે વિકસી ગયાનું, પ્રસવ માટે સક્ષમ હોવાનું અને બાળકની દેખભાળ રાખી શકે તેવા મનો-શારીરિક વિકાસ થયાનું કહેવાય છે. પરંતુ હાલમાં સ્ત્રી-પુરુષની લગ્ન વયમાં જે ત્રણ વરસનો તફાવત છે તેનો તર્ક સમજાતો નથી. પત્ની પતિ કરતાં ઉંમરમાં નાની હોવી જોઈએ તેવી રૂઢિજડ પરંપરાનું તે દ્યોતક છે. સ્ત્રીના સમાનતા અને ગરિમામય જીવનના બંધારણદીધા વચનનો પણ તેમાં ભંગ થાય છે. તેથી સ્ત્રી-પુરુષની લગ્ન વય સમાન રાખવા વિચારવું રહ્યું.

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, તીન તલાક પર પ્રતિબંધ, નાગરિકતા કાનૂન અને કોમન સિવિલ કોડની જેમ વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ એ ભારતીય જનતા પક્ષનો રાજકીય એજેન્ડા અને ખરી રાજકીય ઓળખ મનાય છે. તમામ ધર્મની મહિલાઓની લગ્નવયમાં વધારો કરવાનો વર્તમાન પ્રયાસ સરકારનું મહિલા સમાનતાની દિશાનું પગલું છે કે તેનો વસ્તી નિયંત્રણનો એજેન્ડા છે, તેવો સવાલ પણ ઊઠવો સ્વાભાવિક છે. મહિલાઓની લગ્નવય વધતાં તેની પહેલી પ્રસૂતિની ઉંમર વધશે તેને કારણે વસ્તી નિયંત્રણ થઈ શકશે. આ ફાયદો  લગ્નવયના વધારાનો છે. જો કે ભારતમાં મહિલાઓનો પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે તે જોતાં સરકારનો ઈરાદો વસ્તી નિયંત્રણનો હોવાની આશંકા સાચી ઠરતી નથી.

જે કામ સમાજસુધારણા થકી કરવાનું હોય તે કાયદાના દંડૂકાથી કરવાનું કેટલું યોગ્ય મનાય ? સ્ત્રી-પુરુષ સમાનતા, બાળ લગ્ન નિષેધ, સ્ત્રી શિક્ષણ અને સુરક્ષા આ બધી બાબતો સરકારના જેટલી જ સમાજને લાગુ પડે છે. આપણાં દેશમાં સમાજ સુધારણાનું સ્થાન જાણે કે કાયદાએ લઈ લીધું છે. શિક્ષણનું પ્રમાણ વધતાં અને ગરીબી ઘટતાં બાળ લગ્નો જેમ ઘટી રહ્યાં છે તેમ વસ્તી વૃદ્ધિ પણ અટકી છે. રોજગાર, આરોગ્ય, શિક્ષણ, સલામતી, સામાજિક – આર્થિક અસમાનતાની નાબૂદી અને સંસાધનોની સમાન, ન્યાયી તથા યોગ્ય વહેંચણી માટે સરકારે પ્રયત્નશીલ બનવાનું છે. સાથે જ સમાજ સુધારણા અને જાગ્રતિ માટે સમાજે પ્રયાસો વધારવાના છે. તો જ સમાજનો સાચો વિકાસ થઈ શકે.

(તા.૨૮-૧૦-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

બંધારણમાં ઉમેરાયેલાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા વિશે વિવાદનો વધુ એક પ્રયાસ

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|27 October 2020

ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન 42માં સુધારાથી બંધારણના આમુખમાં ઉમેરાયેલા સમાજવાદ’ અને ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દો દૂર કરવા કોઈ નાગરિકે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. તેમાં કારણ એમ જણાવ્યું છે કે કટોકટીકાળ દરમિયાન ઉમેરાયેલા આ શબ્દો અંગે સંસદમાં ખાસ ચર્ચા થઈ ન હતી.

આ બે શબ્દો અંગેનો વિવાદ નવો નથી. બંધારણ સભામાં પ્રો. કે.ટી. શાહે આ બંને શબ્દો બંધારણમાં ઉમેરવા દરખાસ્ત કરી હતી. પરંતુ ડૉ. આંબેડકરે એમ જવાબ આપ્યો હતો કે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમાજવાદનું પ્રતિબિંબ છે અને અનુ. 25થી 28ની (ધર્મસ્વાતંત્ર્ય અંગેની) જોગવાઈઓ ધર્મનિરપેક્ષતાને લગતી જ છે. ડૉ. આંબેડકરના આ જવાબથી પ્રો. કે.ટી. શાહ અને અન્ય સભ્યોને સંતોષ થયો હતો અને શબ્દો ઉમેરવા કોઈ આગ્રહ રખાયો ન હતો.

સર્વોચ્ચ અદાલત તરફ પૂરા સન્માન સાથે અને સર્વોચ્ચ અદાલતની કામગીરીમાં સહેજ પણ દખલગીરી કરવાના ઇરાદા વિના, માત્ર બંધારણીય સ્થિતિ રજૂ કરવાનો આ લેખનો ઇરાદો છે. બંધારણના આમુખમાં ‘આર્થિક ન્યાય’નો સમાવેશ કરાયો છે. તેની સાથે આમુખમાં ‘લોકશાહી’ શબ્દ પણ સામેલ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો — ખાસ કરીને અનુચ્છેદ 39(b) અને અનુચ્છેદ 39(c)—માં ગાંધીજીના શબ્દોમાં, છેવાડાના માનવીના કલ્યાણની વાત કરવામાં આવી છે અને લોકોનું, ખાસ કરીને નબળા વર્ગના લોકોનું શોષણ ન થાય તે માટે રાજ્યની કેટલીક ફરજો સૂચવવામાં આવી છે. આ સમાજવાદ જ છે. આમ બંધારણમાં સમાજવાદ ગર્ભિત છે. તેનો ઉમેરો ભલે 1976માં બંધારણીય સુધારાથી આમેજ કરાયો, તો પણ તે અગાઉ બંધારણના આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ શબ્દ જીવંત છે. દા.ત. બેંકોનું રાષ્ટ્રીયકરણ અને રાજવીઓનાં સાલિયાણાંની નાબૂદી સમાજવાદ અમલી બનાવવાનાં પગલાં જ છે.

‘ધર્મનિરપેક્ષતા (બિનસાંપ્રદાયિકતા – Secularism) શબ્દ પણ પ્રારંભથી જ અનેક વિવાદોમાં કેન્દ્રસ્થાને રહેલો છે. તેનો સાદોસીધો અર્થ એ થાય છે કે રાજ્યે પોતાનો કોઈ ધર્મ સ્વીકારેલો નથી. તે કોઈ ધર્મની તરફેણ કરી શકે નહીં કે ધર્મની ઉન્નતિ માટે કર લાદી શકે નહીં. રાજ્યે જેમ વિદેશનીતિ, મહિલાનીતિ, બાળનીતિ, ખેલકૂદનીતિ, શિક્ષણનીતિ સ્વીકારેલી હોય છે, તેમ રાજ્ય ધર્મ પણ સ્વીકારી શકે. પરંતુ બંધારણ ઘડતર સમયે ભારત-પાકિસ્તાન સરહદો ખૂન-કાપાકાપીથી સળગી રહી હતી. ત્યારે બંધારણ સભામાં પણ ધર્મનિરપેક્ષ નીતિ ન સ્વીકારવા કેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી. જવાહરલાલ નેહરુ, કનૈયાલાલ મુનશી, રાજકુમારી અમૃતકૌર વગેરેની સમજાવટથી ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે જાહેર કરાયું. નેહરુએ સમજાવ્યું હતું કે બંધારણના આમુખમાં દરેકને માન્યતા, શ્રદ્ધા અને ઉપાસનાના સ્વાતંત્રની બાંહેધરી આપવામાં આવી છે. ઉપરાંત અનુ.14 હેઠળ દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાન અને કાયદાના સમાન રક્ષણની ખાતરી અપાઈ છે.

આ સુધારો 1976ના વર્ષમાં બંધારણમાં કરવામાં આવ્યો હતો. પરંતુ તે પૂર્વે સર્વોચ્ચ અદાલતે 1974માં જાહેર કરેલ સેંટ ઝેવિયર્સ કોલેજ વિ. સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં ચુકાદામાં નોંધ્યું છે કે બંધારણમાં ભલે સ્પષ્ટ શબ્દોમાં ‘ધર્મનિરપેક્ષ રાજ્ય’ શબ્દોનો ઉલ્લેખ ન હોય, તો પણ બંધારણના ઘડવૈયાઓએ ધર્મનિરપેક્ષ રાજ્ય સ્થાપવાનું જ વિચાર્યું હતું અને તે અનુસાર અનુ. 25થી 28ની ધર્મસ્વાતંત્ર્ય અંગેની જોગવાઈઓ મૂળભૂત અધિકાર તરીકે દાખલ કરવામાં આવી હતી. સેંટ ઝેવિયર્સ કોલેજના આ ચુકાદા અગાઉ સર્વોચ્ચ અદાલતે 1973માં કેશવાનંદ કેસમાં બંધારણમાં મૂળભૂત માળખા(Basic structure)નો સિદ્ધાંત ઘડી કાઢ્યો હતો, તેમ પણ તે કેસમાં ઠરાવ્યું હતું. વધુમાં તે કેસમાં ધર્મનિરપેક્ષતા મૂળભૂત માળખાના ભાગ તરીકે ગણાવાઈ હતી. પાછળથી 1994ના વર્ષમાં એસ.આર. બોમ્માઇ કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે ધર્મનિરપેક્ષતાને મૂળભૂત માળખાના ભાગ તરીકે જાહેર કરી હતી.

બંધારણીય સ્થિતિ આટલી સ્પષ્ટ હોવા છતાં કરાયેલ અરજીથી નવાઈ ઉપજે છે. બંધારણના સમગ્ર પાઠમાં ઉપર્યુક્ત બન્ને શબ્દો પહેલેથી જ ગર્ભિત રહેલા જ છે અને 1976માં માત્ર તેના શબ્દો મુકાયા છે. આ શબ્દોની ગેરહાજરીમાં પણ ભારતનું બંધારણ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક જ હતું અને રહ્યું છે. જો કે એ પણ ખરું છે કે સર્વોચ્ચ અદાલત પોતાનો અગાઉનો ચુકાદો રદ્દ કરવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. પરંતુ બંધારણમાં શબ્દો ઉમેરવા કે ઘટાડો કરવાની સત્તા માત્ર સંસદને છે. આ બંને શબ્દો 1976માં સંસદીય પ્રક્રિયા અનુસરીને ઉમેરાયેલા હોવાથી તેને દૂર કરવાની સત્તા પણ સંસદને જ છે, તેમ સર્વોચ્ચ અદાલત ઠરાવે તો તે અસ્થાને નહીં ગણાય.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 13-14

Loading

...102030...2,1072,1082,1092,110...2,1202,1302,140...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved