Opinion Magazine
Number of visits: 9680363
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલ્હી હવે કેન્દ્રશાસિત

રમેશ સવાણી|Opinion - Opinion|30 March 2021

કેન્દ્ર સરકાર એટલે કે વડા પ્રધાન; દિલ્હીના સી.એમ. કેજરીવાલને ચૂંટણીમાં પરાસ્ત ન કરી શક્યા અને ભવિષ્યમાં પરાસ્ત કરી શકાશે નહીં એવી ગળા સુધી ખાતરી થવાથી વડા પ્રધાન હવે એલ.જી. મારફતે કેજરીવાલની પાંખો કાપી લેવા આતુર બની ગયા છે ! દિલ્હીના બોસ કોણ : સી.એમ. કે એલ.જી. ? દેશની રાજધાની દિલ્હીમાં હવે મુખ્ય મંત્રીને શહેરના ‘મેયર’ જેટલી જ સત્તા રહેશે; એટલે કે નામની જ સત્તા રહેશે ! હવે બધા આખરી નિર્ણયો સી.એમ. નહીં પણ એલ.જી. – લેફ્ટનન્ટ ગવર્નર – ઉપરાજ્યપાલ લેશે ! ૧૫ માર્ચ ૨૦૨૧ના રોજ સંસદમાં ‘દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર શાસન સંશોધન વિધેયક-૨૦૨૧’ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે! આ બિલ મંજૂર થતાં ‘નોમિનેટેડ’ એલ.જી. પાવરફૂલ બનશે; અને ઈલેકટેડ સી.એમ. સત્તાહીન બનશે !

સવાલ એ છે કે લોકશાહીમાં સર્વોચ્ચ કોણ; નોમિનેટેડ કે ઇલેકટેડ? કેજરીવાલને પોતાની ભૂલ નડી રહી છે. જ્યારે કેન્દ્ર સરકારે ૨૦૧૯માં, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-૩૭૦ હટાવી બે રાજ્યોનું સર્જન કર્યું ત્યારે કેન્દ્ર સરકારના તે નિર્ણયને કેજરીવાલે સમર્થન આપ્યું હતું. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે જે કર્યું હતું તે હવે કેજરીવાલ સાથે થઈ રહ્યું છે ! તેમની સત્તા નિયંત્રિત થઈ રહી છે ! બિલની જોગવાઈ મુજબ ‘સરકાર એટલે એલ.જી.’ ! કેજરીવાલ કહે છે કે તો પછી ચુંટાયેલી સરકારની જરૂર શું છે? વડા પ્રધાને દિલ્હી વિધાનસભાની ચૂંટણી વેળાએ પોતાના ઘોષણાપત્રમાં કહ્યું હતું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. પરંતુ વડા પ્રધાનને, દિલ્હી વિધાનસભામાં માત્ર ૮ બેઠકો મળી એટલે વડા પ્રધાનનું મન ખાટું થઈ ગયું છે !

આ બિલની મુખ્ય જોગવાઈઓ શું છે?

[1] મંત્રીમંડળ જે નિર્ણય કરે તે પૂર્વે / કોઈ નિર્ણય લાગુ પાડતા પૂર્વે એલ.જી.ની ‘સલાહ’ લેવી પડશે !

[2] એલ.જી. એ બાબતો નક્કી કરશે કે કઈ કઈ બાબતોમાં પોતાની સલાહ લેવી!

[3] દિલ્હી વિધાનસભાએ બનાવેલ કોઈ પણ કાયદામાં ‘સરકાર એટલે એલ.જી.’ માનવાનું રહેશે !

[4] દિલ્હી વિધાનસભા કે તેની કોઈ સમિતિ વહીવટી નિર્ણયોની તપાસ કરી શકશે નહીં; આવા નિયમો બનાવેલ હોય તે બધા રદ્દ થઈ જશે !

[5] દરેક ફાઈલ એલ.જી. પાસે જશે. દિલ્હી વિધાનસભા એલ.જી.ને પૂછ્યા વિના કોઈ કાયદો કે નિયમો બનાવી શકશે નહીં !

[6] દિલ્હી વિધાનસભાએ પસાર કરેલ બિલને એલ.જી. મંજૂરી નહી આપે જે વિધાનસભાના ક્ષેત્ર બહારનું હોય ! આવા બિલને એલ.જી. રાષ્ટ્રપતિની વિચારણા માટે રીઝર્વ રાખી શકશે !

[7] દિલ્હી વિધાનસભાનું કામકાજ લોકસભાના નિયમો મુજબ ચાલશે. વિધાનસભામાં જે વ્યક્તિ હાજર ન હોય; તેની આલોચના કરી શકાશે નહીં !

ટૂંકમાં, દિલ્હીમાં વિધાનસભા / મંત્રીમંડળ / સી.એમ. હોવા છતાં તે કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે ! કેજરીવાલને અપંગ બનાવવા માટેનું જ આ બિલ છે તેમ સ્પષ્ટ થાય છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૪ જુલાઈ ૨૦૧૮ના રોજ પોતાના ચુકાદામાં કહ્યું હતું :

[1] એલ.જી. મંત્રીમંડળની સલાહથી કામ કરશે. જો કોઈ અપવાદ હોય તો તે બાબત રાષ્ટ્રપતિને મોકલશે; અને જે નિર્ણય રાષ્ટ્રપતિ લે તેનો અમલ કરશે. એટલે કે એલ.જી. પોતે કોઈ નિર્ણય સ્વતંત્રપણે નહીં લે.

[2] બંધારણના આર્ટિકલ-૨૩૯  એએ મુજબ મંત્રીમંડળ પાસે એક્ઝિક્યુટિવ પાવર્સ છે.

[3] મંત્રીમંડળ ‘સ્ટેટ સૂચિ’ અને ‘સંયુક્ત સૂચિ’માં જે વિષય છે તેમાં ત્રણ અપવાદ છોડીને બાકીની બાબતોમાં સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકશે.

[4] કાયદો-વ્યવસ્થા / પોલીસ / જમીન આ ત્રણ બાબતો સિવાય ‘રાજ્ય સૂચિ’માં જે વિષયો છે તે અંગે રાજ્ય સરકાર કાયદો બનાવી શકે છે.

[5] રાજ્ય સરકાર જે કંઈ નિર્ણય કરે તે અંગે એલ.જી.ને માહિતગાર કરશે; પરંતુ એલ.જી.ની સહમતી જરૂરી નથી.

[6] અપવાદ તરીકે કોઈ બાબતને એલ.જી. રાષ્ટ્રપતિને મોકલી શકે; પરંતુ દરેક બાબતને નહીં ! આર્ટિકલ-૨૩૯ એએ ક્લોઝ-૪ માં અપવાદની વ્યાખ્યા આપેલ છે; તે મુજબ એલ.જી. કામ કરશે.

૧૯૯૧માં બંધારણમાં ૬૯મો સુધારો કરી આર્ટિકલ – ૨૩૯ એએની જોગવાઈ કરી હતી; જેમાં દિલ્હીને પોતાના એમ.એલ.એ. ચૂંટવાનો અધિકાર મળ્યો હતો. દિલ્હી માટે વિધાનસભાની વ્યવસ્થા કરવામાં આવી, અને જાહેર વ્યવસ્થા / પોલીસ /જમીન એ ત્રણ બાબતો સિવાય ‘રાજ્ય સૂચિ’માં જે વિષયો છે તે અંગે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે; સુપ્રીમકોર્ટની બંધારણીય બેંચના જજમેન્ટને રદ્દ કરવા આ બિલ રજૂ કર્યું છે. વડા પ્રધાનનું આ પગલું; સમવાયતંત્રની ભાવના / લોકશાહી વ્યવસ્થા / બંધારણ વિરુદ્ધનું છે. વડા પ્રધાન એલ.જી. મારફતે દિલ્હી સરકાર ચલાવવા ઈચ્છે છે; એટલે કે વાંકી આંગળીએ સત્તાનું ઘી કાઢવા ઈચ્છે છે ! વડા પ્રધાન પોતે સંસદના પગથિયે ભલે માથું ઝુકાવે; વાસ્તવમાં લોકશાહી મૂલ્યો અને બંધારણને કચડી નાખવાની એક પણ તક છોડતા નથી !

(લેખક નિવૃત્ત આઈ.જી.પી. છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 04

Loading

કોરોનાનું એક વર્ષ

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|30 March 2021

એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં, ગયા વર્ષે જ્યારે રસ્તાઓ પર કોઈ જ ચહેલપહેલ દેખાતી નહોતી, ત્યારે મજૂરોનાં ટોળેટોળાં, માથા પર કાખમાં સામાન સાથે જોવા મળતા હતા. રેલવે સ્ટેશનની બહાર બેઠા હોય, ખોરાક – પાણી વગર, ભૂખ્યા-તરસ્યા કલેકટર ઑફિસની બહાર, પોલીસના ડંડા ખાતા, લૂ લાગવાથી પરેશાન, નાનાં બાળકો, વૃદ્ધો સાથે, હજાર હજાર કિલોમીટર એમ જ પગપાળા જવા નીકળેલા આ મજૂરોની હિજરત કોરોનાના એક વર્ષે ભુલાતી નથી. એટલે જ આંખો બંધ કરીને જ્યારે એક વર્ષ પહેલાનું દ્રશ્ય વિચારીએ છીએ તો તપતા સૂરજની નીચે તંત્રની નીંભરતા અને બિનસંવેદનશીલતાથી વધુ તપી ગયેલા હતાશ નિરાશ ભૂખ્યા દર્શન ચહેરાઓ સામે તરવરી ઊઠે છે.

કોરોના મહામારીને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. ગયું આખું વર્ષ એક ’હોલોકોસ્ટ’ની જેમ પસાર થયું. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી શરૂ કરીને એક વર્ષે યોજાયેલી ક્રિકેટ મેચ પછી ફરી વધેલા સંક્રમણના કેસોએ આપણને એક વર્ષ બાદ  એ જ સ્થિતિએ લાવીને મૂકી દીધા છે.

લાખો લોકોના ધંધારોજગાર એવા પડી ભાંગ્યા છે કે હજુ આજે પણ ઊભા થઇ શકવાની સ્થિતિમાં નથી. જે કંપનીઓ – ફૅક્ટરીઓ જે પગાર સાથે કર્મચારીઓને નોકરીએ રાખતી હતી, આજે અડધા પગારે પણ વધુ સમય માટે ત્યાં કામ કરવું પડી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જૂનો ધંધો પડતો મુકીને માસ્ક અને સેનીટાઇઝરનો ધંધો ચાલુ કર્યો છે. એવા બનાવો પણ જોવા મળ્યા હતા કે ખાનગી શાળાના શિક્ષકોની નોકરી જવાથી તેમણે ચા નાસ્તાની લારી શરૂ કરી હોય. આ દ્રશ્યો આખા દેશમાં હતાં. એક તરફ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય છે, તેવું જણાવીને બધું ખોલવામાં આવ્યું. પરંતુ જાહેર પરિવહનનાં સાધનો તો અનેક મર્યાદા સાથે શરૂ કરાયાં. ટ્રેન નિયમિત શરૂ થઈ, પરંતુ તેને નિયમિત ગણવાના બદલે ’વિશેષ’ ટ્રેન ગણીને વધારે ભાડું હજુ આજની તારીખમાં પણ વસૂલવામાં આવી રહ્યું છે. સિનિયર સિટીઝન કે બાળકોને અપાતું કન્સેશન રેલવેમાં આજની તારીખે પણ બંધ છે. તો ટૂંકા અંતરમાં એક શહેરથી બીજા શહેર નોકરી કરતા લોકો માટે હજુ આજે પણ ટ્રેનની સુવિધાનો અભાવ છે.

સૌથી મોટી નિષ્ફળતા તો આપણા આરોગ્ય તંત્રની આપણી સામે આવી. શરૂઆતમાં જ્યારે આપણે આ મહામારી વિશે યોગ્ય રીતે પરિચિત કે માહિતગાર નહોતા, એ સમયે અનેક આરોગ્યકર્મીઓએ માસ્ક કે પી.પી.ઈ. કિટ વગર પણ લોકોના પડખે ઊભા રહીને પોતાની ફરજ અદા કરી હતી. મને યાદ છે શરૂઆતના દિવસો. મારી એક મિત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરે છે. તેણે કહ્યું હતું કે એમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાના શહેરી આરોગ્ય કેન્દ્ર માટે સાડા ચારસો જેટલી પી.પી.ઈ. કિટની માંગ કરી હતી. પરંતુ એમના આરોગ્ય કેન્દ્ર પર કોર્પોરેશને માત્ર બે કિટ પહોંચાડી હતી. મને એક બીજુ દૃશ્ય પણ યાદ આવે છે.આખો દેશ બંધ હતો. અમદાવાદનો આવો સૂનકાર મેં આજ પહેલાં ક્યારે ય જોયો નથી. પણ એક દિવસ મીઠાખળી ગામની બહાર ઢગલાબંધ ગાડીઓ પાર્ક થયેલી જોઈ. પછી જાણવા મળ્યું કે એ ગાડીઓ ડૉક્ટરોની હતી, જે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના હોલમાં થઈ રહેલા માસ્ક વિતરણના કાર્યક્રમમાં પોતાના માટે માસ્ક લેવા માટે આવ્યા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગ અને એ જ સ્થિતિ રાજકોટ, સુરત, જેવાં શહેરોની પણ થઈ. ધમણ વેન્ટિલેટરની વાત (જો કે તેને વેન્ટીલેટર કહેવું કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ નિશ્ચિતતા નથી), વેન્ટિલેટર થકી હોસ્પિટલોમાં આગ લાગવી, શ્રેય હોસ્પિટલનો ગોઝારો અકસ્માત, આ બધું એક પછી એક માનસપટ પર જાણે કે ચાલી રહ્યું છે.

સૌથી ખતરનાક તો લાગ્યું હતું, સરકારનું ડેટા મેનેજમેન્ટ. જરૂર પડી ત્યારે આંકડાઓ વધુ બતાવ્યા, જરૂર પડી ત્યારે આંકડાઓ ઓછા દર્શાવ્યા. સરકારી આંકડાઓમાં તો ક્યારે ય સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર માટે લાગેલી લાઈનોના આંકડા હતા જ નહિ. એ જ સ્થિતિ હજુ આજે પણ છે. સ્મશાનમાં કોરોના પ્રોટોકોલ મુજબ જેટલા લોકોના અંતિમ સંસ્કાર થાય છે, તેનાથી સાવ અડધો આંકડો અખબારોમાં પ્રસિદ્ધ થાય છે.

સામાજિક રીતે પણ અનેક કડવા-મીઠા અનુભવમાંથી પસાર થવાનું બન્યું. કોરોના સંક્રમિત લોકો પ્રત્યે એક નવા પ્રકારની અસ્પૃશ્યતા જોવા મળી, તો બીજી તરફ અનેક સંવેદનશીલ લોકોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર સંક્રમિત લોકોની વચ્ચે, હિજરત કરતા મજૂરોનાં ટોળાંઓની વચ્ચે પોતાની હૂંફ પ્રસરાવી હતી.

સૌથી વધુ ભોગવવાનું આવ્યું, વિદ્યાર્થીઓના ભાગે. શાળા-કૉલેજો બંધ, ’ડિજિટલ ઇન્ડિયા’ની વાસ્તવિકતાની વચ્ચે જબરદસ્તી ઑનલાઇન શિક્ષણ થોપવામાં આવ્યું. અને ઑનલાઈન શિક્ષણના નામે મહામારીથી પીડાતા લોકોની પાસેથી નિયમિત ફી પણ ઉઘરાવવામાં આવી. અનેક વાલીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠનોએ માંગણી કરી હતી કે આ શૈક્ષણિક સત્રને શૂન્ય વર્ષ જાહેર કરીને તમામને ફીમાંથી મુક્તિ આપવામાં આવે. પરંતુ ખાનગી સંચાલકોના ઇશારે લોકોની માંગણી ફગાવી દેવામાં આવી. વાસ્તવિકતામાં કોઈ પણ પ્રકારના શૈક્ષણિક કાર્ય વગર એટલી જ ફી ખંખેરવામાં આવી. સ્માર્ટ ફોન કે ઘરે ટી.વી. ના હોવાથી સાવ નાની ઉંમરના વિદ્યાર્થીઓની આત્મહત્યાના સાક્ષી પણ આપણે બનવું પડ્યું. અને કદાચ થોડાક સમય પછી મહામારીમાં સત્તાના ગેરવહીવટના કારણે થયેલ ડ્રૉપ આઉટનું વાસ્તવિક ચિત્ર પણ આપણને જોવા મળશે.

મહામારીથી જાણે લોકોને ઓછો ત્રાસ આપી શકાયો હોય, તેમ રોજેરોજ વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવ, રાંધણગેસના ભાવ, એમાં ખતમ થઇ ગયેલી સબસિડી, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો, આ તમામ પ્રશ્નો તો વિકરાળ મોઢે સામાન્ય લોકોની સામે ઊભા જ છે.

અલબત્ત, અનેક લોકો કોરોના મહામારીને સંપૂર્ણપણે રાજકીય પણ માને છે. કારણ કે સરકારની કાર્યવાહી પણ લોકોની આ માન્યતાને ટેકો આપે છે. એક તરફ પ્રધાન મંત્રી સહિત અનેક નેતાઓની જંગી સભાઓ પણ થાય છે, ચૂંટણીઓ પણ યોજાય છે, અને દંડ અને પોલિસના ડંડા માત્ર સામાન્ય લોકોના હિસ્સે આવે છે. એટલે અનેક લોકો હજુ રસી લેવાથી પણ ડરે છે.

લોકડાઉન લાગુ કરતા પહેલાં પ્રધાન મંત્રીએ કહ્યું હતું કે આપણે આ આફતને અવસરમાં પરિવર્તિત કરીએ. અને તંત્રએ ખરેખર આ વાતને તાત્કાલિક પકડી પાડી. એટલે જ આ મહામારી દરમિયાન મજૂર વિરોધી કાયદાઓ પસાર કરવા, કૃષિ કાયદાઓ પસાર કરવા, રેલવેનું – એરપોર્ટનું ખાનગીકરણ કરવું, નવી શિક્ષણ નીતિ જેનો સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ થયો હતો તેને લાગુ કરવી, એવા તો અનેક લોકવિરોધી પગલાંઓ લોકોનો મત ચૂપ કરીને લાગુ કરી દેવામાં આવ્યા.

પરંતુ કોરોના મહામારી અને પછી સરકારની બેદરકારીથી જન્મેલી નવી મહામારીની વચ્ચે સમગ્ર દુનિયામાં બે ચળવળે આપણા સૌમાં એક આશા જન્માવી છે. એક હતી, અમેરિકામાં ‘Black Lives Matter’. જે રીતે અમેરિકામાં પણ ગરીબ અશ્વેત લોકો સાથે મહામારી દરમિયાન ભેદભાવ થયો અને ગરીબ હોવાના કારણે તેમણે ભોગવવાનું આવ્યું એ અપમાન અને અવહેલનાની સામે ‘I can’t breath …’, જ્યોર્જ ફ્લોયડનાઆ શબ્દો આપણા સૌની વેદનાનું પ્રતીક બન્યા. તો આપણા દેશમાં પણ સો દિવસ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન એ આંદોલનના ઇતિહાસમાં એક નવું પ્રકરણ છે. આંદોલન એટલે માત્ર નારાબાજી નહીં, પરંતુ જીવનનાં તમામ પાસાંઓને આવરી લેતું એક નવા સમાજનું સપનું. દિલ્હીની બોર્ડર ઉપર દેશભરના ખેડૂતોએ નવા સમાજનું સપનું પોતાના આંદોલનમાં પ્રતિબિંબિત કરીને બતાવ્યું કે જે આંદોલનોમાં ગીતો અને નાટકો પણ હોય, લાઈબ્રેરી પણ હોય, મેડિકલ કેમ્પ પણ હોય, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સ્ટોલ પણ હોય, સરકાર વીજળી કાપી નાખે, પાણીનો પુરવઠો ખોરવી નાખે તો આંદોલનના સ્થળે બોર ખોદી નાખવાની તાકાત પણ હોય! અને એટલે જ આ બંને આંદોલનો કોરોના મહામારીની હતાશાની સામે દિશા ચીંધનાર  છે.

આમ, કોરોના મહામારીનું એક વર્ષ એટલે નિરાશા અને આશા વચ્ચેના સંઘર્ષનું વર્ષ. અને હંમેશની જેમ વિશ્વાસ છે કે આ વખતે પણ આશા જ નિરાશા પર ભારી પડશે.

(સેક્યુલર લોકશાહી આંદોલનની દર ગુરુવારની અઠવાડિક ચર્ચામાં ‘કોરોનાનું એક વર્ષ’ વિષય બાબતે પરેશભાઈ, દેવેન્દ્રભાઈ, ઈશ્વરકાકા, રિયા, પ્રશાંતભાઈ, નીરુકાકી, ઇન્દુબા, મન્મથભાઈ, કિરણબહેન, આશિષ, મહેન્દ્ર સચિનભાઈ, વગેરે સાથે થયેલી વાતચીતના આધારે)

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 03-04

Loading

ગરીબડી ગાયનું કામધેનુકરણ કોના લાભ માટે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 March 2021

ગવર્નર વજુભાઈ વાળાએ “કર્ણાટક પશુવધ અટકાવ અને સંરક્ષણ વિધેયક,૨૦૨૦”ને મંજૂરી આપતાં ગોહત્યા પ્રતિબંધનો કાયદો ઘડનારાં રાજ્યોમાં એક વધુનો ઉમેરો થયો છે. કર્ણાટક હવે દેશના ગો અને ગોવંશ હત્યા પર પૂર્ણ કે અંશતઃ પ્રતિબંધના કાયદા ઘડનારાં રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં થોડાં રાજ્યોમાં હજુ ગોહત્યા પ્રતિબંધિત નથી. ૨૦૧૯માં રચાયેલા “રાષ્ટ્રીય કામધેનુ આયોગ”નું મુખ્ય કાર્ય તો “ગાયોના સંરક્ષણ અને સંવર્ધન”નું છે. પરંતુ તેણે કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર માટે ઑનલાઈન પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ માટે દેશભરમાંથી આશરે પાંચ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આયોગે પરીક્ષા માટે  જાહેર કરેલ મટીરિયલ ગાય અંગે અવૈજ્ઞાનિક માહિતી અને અંધવિશ્વાસ ફેલાવનારું હોવાના જાહેર ઊહાપોહ પછી હવે તે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ગરીબડી ગણાતી ગાયના કામધેનુકરણ અને સંકીર્ણ રાજકીય ઉપયોગના આ તાજેતરનાં ઉદાહરણો છે.

ભારતીય બંધારણના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાન્તો અંતર્ગત અનુચ્છેદ ૪૮માં, “કૃષિ અને પશુપાલન સંગઠન”સંબંધી જોગવાઈઓ છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા મારફત તેમાં અનુચ્છેદ-૪૮-એ જોડી, “પર્યાવરણનું સંરક્ષણ તથા સંવર્ધન અને વન તથા વન્ય જીવોનું રક્ષણ”ની જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયાઓએ ભારતીય સમાજની, ખાસ તો હિંદુ સવર્ણ સમાજની, ગાયને પવિત્ર અને પૂજ્ય માનવાની લાગણી તથા કૃષિઅર્થતંત્રમાં ગાયની ઉપયોગિતા પ્રમાણીને ગાયો અને ગોવંશની કતલ પર પ્રતિબંધ ફરમાવતી જોગવાઈ કરી હતી. કેટલાંક રાજ્યોએ તે જોગવાઈઓને અનુલક્ષીને કાયદાઓ ઘડ્યા છે. ૨૦૦૫માં સર્વોચ્ચ અદાલતે ગોહત્યા સંબંધી કાયદાઓને બંધારણીય ઠેરવ્યા હતા.

પરંતુ ગોવંશહત્યા પ્રતિબંધ અંગેની બંધારણીય જોગવાઈઓનો આપણી કેન્દ્ર કે રાજ્યોની તમામ પક્ષોની સરકારો, સીમિત અને સંકુચિત ઉપયોગ કરે છે. સંવિધાનના અનુચ્છેદ ૪૮માં, “રાજ્ય કૃષિ અને પશુપાલનને આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતિઓથી એકત્ર કરશે“ અને “ગાય-વાછરડાં તથા દૂધાળાં અને પાલક પ્રાણીઓની જાતિમાં સુધારા માટે પ્રયાસ કરશે” તે જોગવાઈનો છેદ ઉડાડી સરકારો અનુચ્છેદના અંતિમ શબ્દો, “હત્યા પર પ્રતિબંધ”ને જ મહત્ત્વ આપી તેવા કાયદા ઘડી રહી છે. ગોવંશહત્યા પર પ્રતિબંધ અને તેની સુધારણા તરફના આંખમિચામણાંથી જે અસંતુલન ઊભું થશે તે અંગે ઝાઝું વિચારાતું નથી.

આઝાદી સમયે દેશની ૩૫ કરોડની વસ્તી સામે ૨૧ કરોડ ગોવંશ હતો. ૨૦૧૬માં ૧૨૪ કરોડની જનસંખ્યા સામે ગોવંશ ઘટીને ૧૦ કરોડ થઈ ગયો હતો. ગોવંશહત્યા પ્રતિબંધના કાયદા પૂર્વે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ગૌવંશના પ્રાણીઓ હતા જે હવે રહ્યા નથી. જ્યાં ગોવંશ હત્યા પ્રતિબંધનો કાયદો નથી અને મર્યાદિત અને જરૂરિયાત મુજબ ગોવંશની કતલ થાય છે તેવા પશ્ચિમ બંગાળમાં, ગોવંશનાં પ્રાણીઓ સૌથી વધુ છે. આમ થવાનું કારણ એ છે કે ગાયો લાંબો સમય દૂધ આપતી ન હોઈ પશુપાલકને તે કાયમ પરવડતી નથી. એને પાળી પણ ન શકાય અને મારી પણ ન શકાય એ સ્થિતિમાં લોકો ગાયો ઓછી પાળે છે કે બિનઉપયોગી બનતાં રઝળતી કરી દે છે. તેથી દેશમાં આવારા ગાયોની સંખ્યા વધી રહી હોવાના અને તે જાહેર રસ્તે રઝળતી હોવાના, કચરો કે પ્લાસ્ટિક ખાઈને મરવાના વાંકે જીવતી હોવાના, પણ દાખલા જોવા મળે છે.

યુ.પી.ના બુંદેલખંડ વિસ્તારના ચિત્રકુટમાં ૨૦૦૭માં ૨૮,૩૪૩ આવારા ગોવંશ હતું, તે ૨૦૧૨માં વધીને ૭૪,૭૧૩ અને ૨૦૧૭માં ૨,૧૩, ૬૫૮ થયું છે. બિનઉપયોગી અને ૧૩ વરસથી વધુ વયના ગોવંશની કતલની છૂટ ન હોય તે રાજ્યોમાં કેવું અસંતુલન ઊભું થઈ શકે છે તેની ઝલક આ આંકડાઓ દર્શાવે છે. પરંતુ ગાયનું રાજકારણ એવું હાવી છે કે તે વાસ્તવિકતાનો સામનો કરવા તૈયાર નથી. બંધારણમાં ગોવંશકતલ પ્રતિબંધની જોગવાઈ ખેતીમાં તેની ઉપયોગિતાને અનુલક્ષીને કરવામાં આવી છે. આજે ખેતીમાં ટ્રેકટર અને અન્ય યંત્રોનો ઉપયોગ વધતાં બળદની અલ્પ ઉપયોગિતા છે, પરંતુ ધાર્મિક લાગણીના જોરે મૂળ બંધારણીય ભાવનાને કોરાણે મૂકવામાં આવે છે. આવા કાયદા પર્યાવરણ અને આરોગ્યને નુકસાનકર્તા ન બની રહે તે વિષે પણ પૂરતી તકેદારી લેવાતી નથી.

મધ્ય પ્રદેશની બી.જે.પી. સરકારે રાજ્યના પશુપાલન, વન, પંચાયત, મહેસૂલ, ગ્રામીણ વિકાસ, ગૃહ અને કિસાન કલ્યાણ વિભાગોના મંત્રીની બનેલી ગો કેબિનેટ બોલાવી હતી અને આ તમામ વિભાગોને સાંકળીને અલગ ગો-મંત્રાલય બનાવ્યું છે. “પહેલો રોટલો ગાયને”ની ધાર્મિક માન્યતાની રોકડી કરીને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રીએ લોકોને ગોગ્રાસ રૂપે ગોકલ્યાણ કર માટે તૈયાર કરી દીધા છે. ગોઅભયારણ્ય પણ ખુલ્લું મૂક્યું છે. આ બધું કરતાં રાજકારણીઓ રાજ્યમાં અને દેશમાં ગોચર જમીનો કેમ ઘટી ગઈ તેવા સવાલના જવાબમાં મૌન ધરે છે. યુ.પી. સરકારે અગિયાર કુપોષિત પરિવારોને ગાયનું દાન કરી કુપોષણ નાબૂદીમાં ગાયનું મહત્ત્વ દર્શાવવા પ્રયત્ન કર્યો છે. તેઓ પણ કુપોષણ નાબૂદીનું સાધન એવી ગાયો જ સૌથી વધુ કુપોષિત છે તે વાત ગુપચાવી દે છે. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે પરંતુ પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતામાં આપણે બહુ પાછળ છીએ તે હકીકત સ્વીકારવી પડશે.

ભારતમાં ગોસંવર્ધનની જવાબદારી રાષ્ટ્રીય કામધેનુ આયોગ જેવી સરકારી સંસ્થાની છે. ભારતની ગાય રોજનું સરેરાશ આઠથી દસ લીટર દૂધ આપે છે તેના કરતાં દુનિયાની સરેરાશ  દસ ગણી વધારે છે. પરંતુ તે દિશામાં પ્રયત્નો કરવાને બદલે દેશી ગાય સંકર ગાય કરતાં વધુ સ્વચ્છ, પવિત્ર અને ઉત્તમ હોવાના ગાણાં ગવાય છે. દેશી ગાયના દૂધમાં સોનાના કણો હોવાની, ગાયનું દૂધ માનવીને પરમાણુ વિકિરણથી બચાવતું હોવાની અને ગાયના છાણથી લીંપેલા ઘરોને ભોપાલ ગેસ કાંડની અસર થઈ નહોતી તેવી વૈજ્ઞાનિક તથ્યોનો છેદ ઉડાડનારી વાતો ફેલાવાય છે.

ગૌવંશહત્યા પ્રતિબંધના કેન્દ્રીય કાનૂનની ગેરહાજરીમાં રાજ્યો તેમના રાજકીય લાભાલાભને ધ્યાનમાં રાખીને વિવિધ સજાની કાયદાકીય જોગવાઈઓ કરે છે. આખા દેશના કોઈ રાજ્યે ન કરી હોય તેવી આજીવન કારાવાસની સજા ગુજરાતના કાયદામાં છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કાયદાઓમાં દોષિતોને  ૭ વરસની, ઝારખંડમાં ૧થી ૧૦ વરસની, હરિયાણામાં ૩થી ૫ વરસની, ગોવા-પંજાબમાં બે-બે વરસની, તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં એક-એક વરસની ગોવંશની ગેરકાયદે હેરફેર, હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાની સજા ઠરાવી છે. તાજેતરના કર્ણાટકના કાયદામાં ૧૩ વરસથી વધુના ગોવંશની કતલની છૂટ અને આરોપીઓને સજા માટે વિશેષ અદાલતોની રચનાની જોગવાઈ છે. આ બધાં જ રાજ્યો ગાય અને ગોવંશની ઉચિત દેખભાળ, સંવર્ધન, અને સરકારી ગોશાળાઓની રચના કે ખાનગી ગોશાળાઓને પૂરતા અનુદાનની જોગવાઈ કરતા કાયદા કરવાને બદલે રાજકીય લાભને ધ્યાનમાં રાખીને ગોવંશહત્યા પ્રતિબંધના કાયદા જ વધુ કરે છે.

પ્રાચીનકાળમાં ગોમાંસ બ્રાહ્મણો સહિતની હિંદુસ્તાની પ્રજાનો સામાન્ય આહાર હતો. વેદો અને શાસ્ત્રોના અઠંગ અભ્યાસી વિવેકાનંદના ભાષણો અને પત્રોના પુસ્તકોમાંથી પણ આ બાબત જાણી શકાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથ “ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ”માં હિંદુ ધર્મ શાસ્ત્રોના આધારે સ્પષ્ટ જણાવાયું છે કે ગોમાંસ ખાવા ન ખાવા સાથે વર્ણવ્યવસ્થાજનિત આભડછેટ અને પવિત્રતાનો ખ્યાલ ઉમેરાતાં ગોમાંસ ખાતી પ્રજા શૂદ્ર કે અવર્ણ ગણાતી થઈ હતી. આજે પણ ભારતની બહુમતી વસ્તી માંસાહારી છે જેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ઉપરાંત હિંદુ દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાતોનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ દેશનો દર તેરમો નાગરિક બીફ કહેતાં ગાય-ભેંસનું માંસ ખાય છે. તો બીજી તરફ માંસાહારીને હલકા, નીચા અને ઊતરતા દરજ્જાના ગણવાની વ્યાપક માનસિકતા પ્રવર્તે છે.

ભારતના રાજકારણમાં ગાયનું રાજકીયકરણ કે કામધેનુકરણ કેટલાક રાજકીય પક્ષોને બરાબર ફળ્યું છે. ગાય અને ગોમાંસને હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો મુદ્દો બનાવવામાં આવ્યો છે. ગાયના મુદ્દે દેશમાં હિંસાના બનાવો પણ બન્યા છે. ૨૦૧૦થી ૨૦૧૮ સુધીમાં ગાયના મુદ્દે હિંસાના ૮૫ મોટા બનાવો નોંધાયા છે. ૨૦૧૨ અને ૨૦૧૩માં એક-એક બનાવ બન્યો હતો. પરંતુ કેન્દ્રમાં બી.જે.પી. સત્તાનશીન થયા પછી તેમાં મોટો ઉછાળો આવ્યો છે. ૨૦૧૪ પછી ગાયના નામે હિંસાના બનાવો અગાઉના વરસોની તુલનામાં ૯૮ ટકા વધ્યા છે. ગાયના નામે આચરાયેલી ભીડ હિંસાનો ભોગ બનનારાઓમાં મુસ્લિમોનું પ્રમાણ ૫૬ ટકા અને મરનારમાં ૮૮ ટકા છે. જો કે ગાયની હત્યા હવે માત્ર મુસ્લિમોની હત્યા કે કોમી હુલ્લડોનું કારણ રહી નથી. ઉના, ઝજ્જર અને ગોહાનાના બનાવોથી તેમાં દલિત ઉત્પીડનનું તત્ત્વ પણ ઉમેરાયું છે.

“પિંક રેવોલ્યુશન”ની વાતો કરીને મતોની ફસલ લણ્યા પછી સત્તા મળતાં બજેટમાં માંસ નિકાસ પરની સબસિડી ન માત્ર ચાલુ રાખવામાં આવે છે, વધારવામાં પણ આવે છે. આજે ભારત દુનિયામાં માંસની નિકાસમાં અવ્વલ સ્થાને છે. ગાયના નામે રાજકારણ રમવું એ એકલા ભારતીય જનતા પક્ષનો ઈજારો રહ્યો નથી. ગુજરાતના ૧૯૯૪ના ગોવંશ પ્રતિબંધ કાયદાને ૨૦૦૫માં સર્વોચ્ચ અદાલતે બંધારણીય ઠેરવ્યો ત્યારે બી.જે.પી. તેને પોતાનો હિંદુ વિજ્ય ગણાવી યશ ખાટી રહી હતી. તો કોંગ્રેસ પણ “આ કાયદો તો અમે ઘડ્યો છે ”, તેમ કહેવામાં અગ્રેસર હતી.

ગોરક્ષાને હિંદુ ધર્મનું સર્વોત્તમ અંગ માનતા મહાત્મા ગાંધી “ગો’નો અર્થ કેવળ ગાય જ ન કરતાં  નિરાધાર, દલિત અને ગરીબ સુધી વિસ્તારે છે. ગાંધીજી માણસનો જીવ બચાવવા ગાયની હિંસાને ધિક્કારે છે, તો ગાય માટે મનુષ્યહિંસા પણ નકારે છે. ઈ.સ. ૧૯૨૫માં ગાંધીજીએ કહ્યું હતું, “હિંદુમાત્ર ગોરક્ષાનું અર્થશાસ્ત્ર સમજી લે તો ગોહત્યા બંધ થઈ જાય.” ગાંધીજીની આ વાતને હવે સદી થવા આવશે.

ભારતના રાજકીય પક્ષો ગોરક્ષાના અર્થશાસ્ત્રની તમા રાખ્યા વિના તેનું રાજકારણ બરાબર રમે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 09-10

Loading

...102030...1,9861,9871,9881,989...2,0002,0102,020...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved