Opinion Magazine
Number of visits: 9572330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હોલી ઇસ હોલીડે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 March 2021

ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લેવો હતો એટલે તેમણે હિરણ્યકશ્યપુનો જન્મ કરાવ્યો. નામ પણ કેવું? જીભના લોચા વળી જાય એવું. તેને પાછો અસુર બનાવ્યો. હવે આજે તો અસુર રહ્યા નથી એટલે શ્વસુરથી જ સંતોષ માનવો પડે એ સ્થિતિ છે. હવે એચ. કશ્યપુને રાક્ષસ બનાવો તો પ્રહ્લાદને ભક્ત જ બનાવવો પડે. તે બનાવ્યો. શું છે કે એ વખતમાં કોઈને બહુ કામ રહેતું જ નહીં. ભગવાને પણ શેષશૈયા પર પડી રહેવાનું હતું, ચાર ચાર હાથો સાથે. તે પણ બધા જ શંખ, ચક્ર, ગદા, પદ્મથી એંગેજ! સૂતાં સૂતાં હાથમાં આ બધું પકડી રાખવાનું ફાવે પણ કેમ, ભગવાન જાણે! સાલી, ખંજવાળ આવે તો ખંજવાળવા કોઈ હાથ પણ ફાજલ નહીં. માણસ બોર થાય ને પછી ઢોર થાય તો, આ તો ભગવાન વિષ્ણુ! એ બોર થાય ને આદમખોર થાય એમાં નવાઈ નથી. એમને મન થયું કે આ વખતે નર અને સિંહનું કોમ્બિનેશન કરી જોઈએ. અર્ધનારીશ્વર જો શક્ય હોય તો નર ને સિંહનું, નૃસિંહ કેમ ન થાય? ટૂંકમાં, ભગવાને તો નક્કી કરી જ લીધું હતું કે આ વખતે તો યુનિક અવતાર જ લેવો.

વેલ, હિરણ્યકશ્યપુને રાજા બનાવ્યો. હવે રાજા હોય ને જુલમ ન કરે એવું તો બને જ કેમ? આજે મંત્રીઓ મંતરે છે તેનાં મૂળ રાજામહારાજાઓમાં પડેલાં છે. વારુ, પ્રજા ત્રાસ ગુજારવા માટે જ હોય છે તે કંઈ આજનું નથી. એ તો પરાપૂર્વથી ચાલી આવે છે. આજની જેમ ત્યારે પણ પ્રજા કૈં કરી શકતી નો'તી ને ત્યારે તો ચૂંટણી પણ નો'તી કે પાંચ વર્ષે રાજાને ઉથલાવી દેવાય. એટલે ચુમાઈને બેસી રહેવા સિવાય પ્રજા પાસે કોઈ વિકલ્પ જ નો’તો.

બીજું શું હતું કે એચ. કશ્યપુને વરદાન હતું કે તેને કોઈ માણસ કે પશુ મારી નહીં શકે. એટલે જ નરમાં સિંહને પ્લસ કરી એચ. કશ્યપુને નરસિંહ ભગવાને માઈનસ કરવો પડ્યો. એચ. કશ્યપુને માઈનસ એટલે કરવો પડ્યો કારણ એ રાજા તરીકે ફાટીને ધૂમાડે  ગયો હતો.

જેમ આજે  બાળકો એક ચિત્તે મોબાઈલમાં વ્યસ્ત રહે છે તેમ પ્રહ્લાદ ભગવાનની ભક્તિમાં મસ્ત રહતો હતો. ફાધર એચ. ક્શ્યપુને એ પસંદ નો’તું. તે તો કહે, 'આયેમ યોર ફાધર! હું જ ઈશ્વર છું. કોઈ કામ ન કરવું હોય ને ભક્તિ જ કરવી હોય તો મારી કર!'

પણ આજની જેમ જ છોકરાં ત્યારે પણ અવળચંડાં હતાં જ, ફાધરનું બહુ માને નહીં! એટલે બધા ફાધરની જેમ એચ. કશ્યપુનું ભેજું પણ બહુ ફાટ્યું. છોકરાને સમજાવી જોયો, પણ માને તો છોકરો શાનો? છેવટે એચ. કશ્યપુએ પોત પ્રકાશ્યું. પ્રહલાદને પહાડ પરથી ગબડાવ્યો, પણ તેને કૈં થયું નહીં. છેને કમાલ! આપણા જેવા પહાડ પરથી ગબડે તો હાડકાં સલામત રહે કે? આપણાં હાડકાં જોડતાં જોડતાં હાડવૈદના હાડકાં છૂટા પડી જાય એવું બને.

પ્રહ્લાદ બચી ગયો કારણ કે તે ભગવાનનું નામ લેતો હતો ને બાપનું તો નામ પણ લેતો ન હતો. દેખીતું છે કે ફાધર આગબબુલા થઈ જ જાય. તે વિચાર્યા કરતો હતો કે પ્રહ્લાદને ભણાવ્યા વગર જ પાઠ કેમ ભણાવવો? ત્યાં તેને સ્ટ્રાઈક થયું કે હોલિકાની હેલ્પ લીધી હોય તો!

શું છે કે હોલિકાને એવો વહેમ હતો કે તેને અગ્નિ પણ બાળી નહીં શકે. એચ. કશ્યપુએ તેને કહ્યું, ’આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ભક્ત પ્રહ્લાદ! કુછ ભી કર કે ઇસ કુત્તેકી બોટી બોટી કરકે કુત્તેકો ખિલા દો!’

‘સોરી, ભૈયા. મેં વેજીટેરિયન હું. જો કે,તમારી મુશ્કેલીનો એક ઉપાય છે.’ હોલિકા બોલી.

‘બોલો, બહેના, જલદી બોલો!’

‘હું અગ્નિથી બળું તેમ નથી. પ્રહ્લાદને ખોળામાં લઈને બેસું ને ફરતે અગ્નિ પ્રગટાવવામાં આવે તો હું બચી જઈશ અને પ્રહ્લાદ …’

હોલિકા વેમ્પ જેવું લુચ્ચું હસી. એચ. કશ્યપુએ પણ મૂછે તાવ દીધો.

પ્રહ્લાદને પટાવીને હોલિકાએ પૂછ્યું,’તું મારા ખોળામાં બેસીશ ને, દીકરા?’

‘સોરી, ફોઈ! તમારો પ્લાન મારો ધૂમાડો કરવાનો છે તે હું જાણું છું, પણ છોટા બચ્ચા જાનકે હમકો ના સમઝાના રે …!’

હિરણ્યકશ્યપુને આ વાતની ખબર પડી તો એનું તો ફટકી જ ગયું, ’તેરી ઇતની હિંમત કે બાપ કો ના બોલે? મોટો ભગવાનનો ભગત છે તો ડરે છે કેમ?’

‘ફાધર, ઝેરનાં પારખાં ન હોય!’ પ્રહ્લાદે સંયમથી કહ્યું.

‘હાળા, પોચકીદાસ! ફાટે છે એમ કહેને!’

‘તો તમે બેસોને! છે હિંમત?’

એચ. કશ્યપુ થથરી ગયો. અગ્નિનો સ્વભાવ જ બાળવાનો છે તો કોઈ પણ બચે કઈ રીતે? તેને બહુ જ આશ્ચર્ય થયું કે એક ક્પૂતના ઘરમાં આ સપૂત પાક્યો કઈ રીતે? પ્રહ્લાદને ઘણી લાલચ અપાઈ. રાજપાટ આપવાનું પણ કહ્યું. તો એણે વિવેકથી કહ્યું, ’તમારા પછી તો એ બધું મારું જ છેને! આઈ વિલ વેઇટ!’

પ્રહ્લાદ ના માન્યો તે ના જ માન્યો. એચ. કશ્ય્પુને એટલી ખબર હતી કે પ્રહ્લાદ બહુ મસ્તીથી ઊંઘે છે એટલે તેણે નક્કી કર્યું કે છોકરો ઊંઘતો હોય ત્યારે હોલિકાએ તેને લઈને અગ્નિમાં બેસવું. એમ જ થયું. અગ્નિ પ્રગટ્યો ને હોલિકા ચીખવા માંડી, ’બચાવો, બચાવો.’ પણ તેનું સાંભળે કોણ? છોકરાંઓ તો ઢોલ નગારાં વગાડવામાં એટલા તલ્લીન હતાં કે હોલિકાની ચીસો કોઈને સંભળાઈ જ નહીં. તેની રાખ થઈ ગઈ ને પ્રહ્લાદ ફાયરપ્રૂફ શૂટ પહેરીને સૂઈ ગયેલો એટલે બચી ગયો.

એ દિવસથી હોળીની શરૂઆત થઈ. પ્રહ્લાદ બચી ગયો એટલે ભક્તોએ બીજે દિવસે રંગોત્સવ મનાવ્યો જયારે હોલિકા બળી મરી તેની પીડામાં અસુરોએ ધૂળ ઉરાડી એટલે તે ધૂળેટી ગણાઈ. આપણે અક્કલના ઇસ્કોતરાઓ તહેવારનું નામ રંગોત્સવ નથી રાખતા, પણ ધૂળેટી રાખીએ છીએ તે પણ સૂચક છે.

એક વાર હોલિકા સળગાવી એટલાથી પત્યું નહીં. પછી તો આપણે ગામેગામ ને નગરેનગર હોળી પ્રગટાવી. હવે તો આખા દેશમાં હોળી કરીએ છીએ. બહારથી હવે હોળી અંદર આવી છે. જો હોળી રોજ જ ઘરમાં થતી હોય તો બહાર કરવાની જરૂર ખરી? એક લલ્લુ બોલ્યો, ’મેં મન્કી બાત બોલું?’

‘મન્કી બાત? મતલબ વાંદરાની વાત?’

‘અરે! મન્કી બાત નહીં, મનકી બાત!’

‘બોલ!’ મેં કહ્યું.

‘મારા ઘરમાં તો ક્યારે ય હોળી થતી જ નથી.’

’તું પરણેલો છે?’

એ કહે,’ના.’

‘તો, તો હોળી ન જ થાયને!’મેં કહ્યું, ’એકવાર મારે ઘરે આવ તો બતાવું કે હોળી કેવી રીતે પ્રગટે છે ને હોળીનું નાળિયેર કોણ, કેવી રીતે બને છે?’

‘તમારા ઘરમાં હું જોવા નહીં આવું. હું જાતે જ જોઇશ કે ઘરમાં હોળી કેવી રીતે થાય છે!’ બોલતો એ ગયો.

હવે એને કેમ સમજાવું કે લગ્નમાં ને હોળીમાં અગ્નિ કોમન છે એટલે ભડકો તો થવાનો જ! ઠીક ત્યારે, સૌને હોળીની શુભેચ્છાઓ!

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

Loading

ભગતસિંહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 March 2021

તેવીસમી માર્ચે (મંગળવારે) બરાબર નેવું વરસ થયાં ભગતસિંહની શહાદતને. જેમ જેમ વરસો વીતતાં જાય છે, એમનાં બલિદાની જીવનની પૂંઠે રહેલી કાલજયી અપીલ ખીલતી આવે છે. માનવમુક્તિ માટે શાહીવાદ સામેના સંઘર્ષની એમની અપીલ વિભાજનગત સરહદોને લાંઘીને બરકરાર છે. લાહોરમાં રાશિદ કુરૈશીના વડપણ હેઠળ ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન કાર્યરત છે, અને કોરોનાના કેર વચ્ચે માર્ગદર્શક નિયમો પાળીને ઓણ પણ જાહેર ઉજવણી થવી જોઈએ એ માટે એમણે અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.

તાજેતરનાં વરસોમાં ભગતસિંહની ફાંસી બાબતે એક પાયાનો સવાલ પણ, કાનૂની છેડેથી ઉપસ્થિત કરાયો છે અને બ્રિટિશ સરકારે ફરમાવેલી સજા કાનૂનન હતી કે કેમ એ અંગે બહસ જારી છે. લંડનમાં કાયદાના અધ્યાપક તરીકે તેમ બૅરિસ્ટર તરીકે પણ સક્રિય સત્વિંદરસિંહે ‘ધ ઍક્ઝિક્યુશન ઑફ ભગતસિંહ’ એ કિતાબમાં આખા પ્રશ્નની પુરાવાબદ્ધ ને તર્કસભર તળેઉપર તપાસ કરી છે. હાર્પર કોલિન્સનું આ પ્રકાશન તેવીસમી માર્ચે જ ભારતમાં પણ શેખર ગુપ્તાના ‘ધ પ્રિન્ટ’એ વૈબિક વાટે સૉફ્ટકવરમાં સુલભ થયું છે.

દેશમાં જે સત્તાવાર સ્વરાજ પંચોતેરાં રાગ આલાપાઈ રહ્યો છે એમાં ભગતસિંહનું વિશેષ, સવિશેષ સ્થાન હોય તે સ્વાભાવિક છે; કેમ કે, એક તો એમાં ગાંધીના નેતૃત્વ હેઠળની સ્વરાજલડત સામે હિંસક ઉપાયોના મહિમાની સગવડ છે, અને બીજી વાત એ કે ભગતસિંહને ગાંધીએ ન બચાવ્યા એ વિવાદનીયે સગવડ છે. વડાપ્રધાને ૧૨મી માર્ચના આશ્રમ સંબોધનમાં નહેરુપટેલની સાથે એકશ્વાસે સાવરકરને સંભારી પરબારો પ્રવેશ કરાવી દીધો. જો કે આંદામાનોત્તર સાવરકરના જાહેરજીવનમાં સ્વાતંત્ર્યસંગ્રામથી સલામત અંતર સાફ દેખાતું રહ્યું છે. એથી ઊલટું, ભગતસિંહના ડાયરી-દસ્તાવેજો, અદાલતી તકરીર સ્વતંત્રતા માટેના ક્રાંતિકારી રાગાવેશથી અને કેવળ રાષ્ટ્રીય આઝાદીએ નહીં અટકતાં પીડિતશોષિત સૌની સ્વતંત્રતાના ખયાલથી રૂંવેરૂંવે ઉભરાય છે.

જ્યાં સુધી ગાંધીએ ભગતસિંહને બચાવ્યા નહીં બચાવ્યાનો મુદ્દો છે, મારતી કલમે એકબે નોંધલસરકા જ પૂરતા થઈ પડશે. લૉર્ડ ઈરવિનની ડાયરી બોલે છે કે આ ગાંધી, અહિંસામૂર્તિ ગાંધી, ભગતસિંહને ફાંસી નહીં આપવાનો આટલો બધો આગ્રહ કેમ કરે છે તે મને સમજાતું નથી. આંબેડકરે મરાઠી ‘જનતા’માં કરેલી એક ટિપ્પણી હમણાં થોડાં વરસ પર જ અંગ્રેજીમાં બહાર આવી છે. ઇંગ્લૅન્ડમાં સત્તારૂઢ સરકાર, દેશના રાષ્ટ્રવાદી લોકમતઉછાળને કારણે નવી ચૂંટણીમાં ભય અનુભવતી હતી. ગાંધીને છોડ્યા અને વધારામાં ભગતસિંહને ફાંસી ન આપી, આ બે વિગતો પોતાની સામે જશે એવું એનું આકલન બલકે ભીતિ હતી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપીને જ ઇંગ્લેંડની સરકાર પુનઃવિજયની આશા રાખી શકે તેમ હતી. એટલે ભગતસિંહને ફાંસી નહીં એવો નિર્ણય સરકારને આધીન વાઈસરૉય, ઇરવિન લઈ શકે તેમ હતા જ નહીં.

જ્યાં સુધી હિંસા-અહિંસાની વાત છે, ભગતસિંહની ભૂમિકા ઉત્તરોત્તર જે રીતે વિકસતી અને સ્કુટ થતી ગઈ તે આપણા ખયાલમાં આવવી જોઈશે. તે વખતની નૅશનલ એસેમ્બલીમાં એમણે જે બૉંબકાંડ સરજ્યો એ મૂલતઃ સંહારક વ્યાપ ધરાવતો નહોતો. એ એક હલકુંફૂલકું બૉમ્બડું હતું જેનો વિસ્ફોટ સરવાળે ધ્યાનાકર્ષક પ્રસ્તાવથી આગળ જતો નહોતો. હિંસક ચળવળના નિયમ પ્રમાણે સામાન્ય રીતે આવે પ્રસંગે બૉંબ ફેંકી પલાયન થઈ જવાનું હોય. ભગતસિંહે ભાગવાની તક નહીં ઝડપતાં પકડાવું પસંદ કર્યું; કેમ કે કોર્ટમાં કેસ ચાલે અને એના હેવાલો વાટે દેશ આખાને ખબર પડે કે આ ક્રાંતિકારીઓનું ધ્યેય શું છે, દેશ માટેનો એમનો વિચારનકશો શો છે. જેલવાસમાં સતત સ્વાધ્યાય ચાલતો રહ્યો અને એમાંથી મહત્ત્વના વિગતમુદ્દાઓ તેમ જ પોતીકી ટિપ્પણીઓ સાથે નોટબુકો ભરાતી રહી. ચમનલાલ અને બીજાઓએ આ બધી દસ્તાવેજી સામગ્રી એકત્ર કરવા માંડી એને પરિણામે જે ચિત્ર સ્પષ્ટ થયું તે એ કે હિંસાને ખાતર હિંસા કે છૂટપૂટ હિંસા અગર લેનિન જેને ‘ઇન્ફન્ટાઇલ ડિસ્‌ઑર્ડર’ કહેતા એવું કશું આ વીરોને અભીષ્ટ નહોતું. સમતા અને ન્યાયને અનુલક્ષીને ચોક્કસ આર્થિક-સામાજિક કાર્યક્રમનો, એ માટે બિનસાંપ્રદાયિક જદ્દોજહદનો એમનો ખયાલ હતો. હિંસા અનિવાર્ય લાગે તો અને ત્યારે થાય એ જુદી વાત છે, પણ આમ આંદોલન(માસ મુવમેન્ટ)નો રસ્તો દુરસ્ત છે.

રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળના અચ્છા વ્યાખ્યાકાર તરીકે ઉભરેલા માર્ક્‌સવાદી ઇતિહાસકાર બિપનચંદ્રનું કહેવું છે કે ભગતસિંહને વધુ વરસો મળ્યાં હોત તો એ એક અર્થમાં ગાંધીવાદી હોત. માર્ક્‌સીય વિચારમાંથી હટ્યા વગર એમણે ગાંધીની શાંતિમય પદ્ધતિએ લોકઆંદોલનના અભિગમને અગ્રતા આપી હોત. બિપનચંદ્ર નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન હતા ત્યારે આખર વરસોમાં ભગતસિંહની નવી જીવની પર કામ કરતાં એમણે આ નુક્તેચીની કરી હતી.

૧૮૫૭ના એક અંતરાલ પછી નવજાગૃતિનો એક મુકામ બંગાળના બૉંબયુગ અને વંદેમાતરમ્‌ના યુદ્ધઘોષ સાથે શરૂ થયો. એ પર્વે, આગળ ચાલતાં ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ન્યાય-અને-સમતા-લક્ષી પરિવર્તન(ક્રાંતિ)ની તવારીખી રેખાઓ ઉપસાવી અને ઘૂંટીઃ ભગતસિંહ નામની વીરઘટનાને આ રીતે જોવા સમજવાપણું છે.

ક્રાંતિની ભગતસિંહની વ્યાખ્યા અને સમજ કઈ રીતની હશે એનો એક અંદાજ એમણે ચળવળ દરમિયાન યુવાનોના બે ચહેતા નેતાઓ, જવાહર અને સુભાષની જે સરખામણી કરી છે એના પરથી આવે છે. એમણે કહ્યું છે કે સુભાષની વીરતા કે જવાહરની હિંમત બેઉ મને આકર્ષે છે. બંનેનો આદર્શવાદ પણ મને આકર્ષે છે. પણ બેમાંથી એક પસંદ કરવાના હોય તો હું જવાહરને કરું; કેમ કે સુભાષમાં ભાવનાનો રાગાવેશી ઉદ્રેક ખાસો છે, પણ જવાહરમાં આર્થિક-સામાજિક ન્યાય માટેની વિચારાધારકીય સજ્જતા વિશેષ છે. (જવાહરનો ઉલ્લેખ નીકળ્યો જ છે તો લગરીક ફંટાઈને એ પણ નોંધુ કે પોતે ભગતસિંહને જેલમાં મળવા ગયા ત્યારે છતે કષ્ટસહને એમના ચહેરા પર જોયેલી કાન્તિનો એમણે આત્મકથામાં વિશેષોલ્લેખ કર્યો છે.)

૧૨મી માર્ચના દાંડીદિનની ઇતિહાસ-ફલશ્રુતિ શું એમ કોઈ પૂછે તો એ ત્રણ ચાર વરસના ગાળાને સાથે મૂકીને એક જવાબ જરૂર જડે છે. અને તે એ કે ૧૯૪૬થી ૧૯૪૯ની ખાસાં ત્રણેક વરસની બંધારણ સભાની ચર્ચાઓ પછી ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મીથી જે પ્રજાસત્તાક બંધારણ અમલી બન્યું એની માર્ગદર્શક અને પક્વ એવી રેખાઓનું અંકન આ ગાળાની મહદ્‌ લબ્ધિ છે.

દાંડીકૂચે મીઠા સરખો મુદ્દો લઈ આમ આંદમીને કેન્દ્રમાં આણ્યો. મીઠાની પાછળ જે રોજિંદા સુખદુઃખના વાસ્તવિક સવાલો પડ્યા હતા એનું એક ચિત્ર ભગતસિંહની રજૂઆતમાં ઊઘડ્યું તો બીજું ચિત્ર ગાંધી-આંબેડકરના પુના કરારમાં ઊઘડ્યું. ભારતના સામાન્ય માણસનું આપોપું કેવળ વર્ગીય બોજ તળે જ ચંપાતું નથી, એ વર્ણબોજ તળે પણ ચંપાય છે. પરચક્ર જશે. સંસ્થાનવાદ જશે. પણ એટલા માત્રથી તો વાત પતતી નથી. સ્વરાજ ખરું જોતાં નિરંતર ચાલતી પ્રક્રિયા છે.

હમણાં જે ચારપાંચ વરસના ગાળાની જિકર કરી એ ૧૯૨૯માં લાહોરમાં પૂર્ણસ્વરાજના ઠરાવ સાથે શરૂ થઈ દાંડીકૂચ રૂપે આગળ વધી ભગતસિંહની શહાદતથી પ્લાવિત માહોલમાં, પુના કરાર સાથે તેમ કરાચી કૉંગ્રેસમાં વલ્લભભાઈના અધ્યક્ષપદે મૂળભૂત અધિકારના ઠરાવ સાથે કેમ જાણે એક વર્તુળ આલેખવા લાગે છે જે ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મીએ પૂરું થાય છે.

અલબત્ત, સ્વરાજ એ પૂરી થતી પ્રક્રિયા હોઈ જ ન શકે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એક નવપ્રસ્થાનનું બિંદુ છે જ્યાંથી આંબેડકરે કહ્યા પ્રમાણે રાજકીય સમાનતા અને સામાજિક (વર્ણગત) વિષમતા એવી વિસંવાદે ભરેલી ને ભારેલી પરિસ્થિતિમાં કામ પાડવું રહે છે. ઈવેન્ટાના અંદાજમાં હંમેશ પૂરબહારમાં ખીલતું નેતૃત્વ સ્વરાજ પંચોતેરાંની રટણા ને રમણામાં ઝાઝેરો જનાધાર બલકે વૈધવત્‌ સ્વીકૃતિ (લેજિટિમસી) શોધે છે, પણ સમગ્ર ચિત્રસૂઝ છે એની કને? થોભો અને રાહ જુઓ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 11-12

Loading

ભગતસિંહની ઉક્તિ

બારીન મહેતા|Poetry|28 March 2021

જેલની આ કોટડીમાં
પથરાયો છે અંધકાર
ને ભીતરમાં ઉભરાય છે
તેજ.

હું સ્પષ્ટ છું
મેં જે કર્યું એ વિશે
હું સ્વસ્થ છું
આવતી કાલે વહેલી સવારે
આવનારા અંતિમ પરિણામ વિશે.

આંખોમાં સ્વાતંત્ર્યનું સ્વપ્ન
ને હૈયામાં એની ધખના લઈ
ઘરમાંથી ચોકમાં
ને ચોકમાંથી લોકમાં
પ્રવેશતો ગયો ત્યારથી
જાણતો હતો
આગ છુપાવી નથી શકાતી
ડાયસન ઉપર ગોળી રૂપે છોડવી જ પડે
આગ દાબી નથી શકાતી
ભરી સંસદમાં
દુશ્મનો વચ્ચે
– ઈન્કિલાબ ઝિંદાબાદ -ના ફરફરિયા રૂપે
વરસાવવી જ પડે.
આમ જ ક્રિયાની નિશ્ચિતતા
હોવાની નિશ્ચિતતા બને છે.

યાદ છે મને
મારા ગામનું ભૂખ્યું પેટ,
ત્યાંની ધરતીનો વલવલાટ
– ગુલામીની ઓળખનો પર્યાય!
તે દિવસે મારી છાતીમાં
ભૂગાળનો અનર્થ ફાટ્યો,
ગાડાને ચીલે ચીલે
બોરડીના બોર તોડતો હું
એકાએક
ઘેરાઈ ગયેલો ધૂંધળી હવાથી.
પછી તો
જોવાના અર્થો ઊઘડતા ગયા
ને ગુલામ ધરતી પર ચાલતો હું
મુઠ્ઠી ભીડી ઘા કરી બેઠો
હવાને તો શું વાગે !
મારું એકાન્ત શરમાઈ ગયેલું, રાજદેવ !
માણસની ચામડીનું સત્ય
ઊતરડી નથી શકાતું,
જે ક્ષણે સમજાયું મને આ
એ જ ક્ષણે
એ સત્યને રૂંધતી દીવાલો
ઘેરી વળી મને,
મારે એ તોડવી પડી;
અત્યારે આ ક્ષણે,
મૃત્યુ પહેલાની આ રાતે પણ
એ જ પ્રક્રિયા –

ના, દીવાલો તોડ્યા વિના મુક્ત ના થવાય!
મુક્તિ માત્ર ગાવાની ચીજ નથી,
મુક્તિ એ તો લોહીનું બીજ છે.
લોહીમાં ઊથલપાથલ થાય,
લોહીની ઊથલપાથલ થાય,
ત્યારે જ મુક્તિ કળાય
રાજદેવ !

એક અવાજ હોય છે ધરતીને
જે ખેડે છે ધરતી
તે જ જાણે છે એ અવાજ.
– એ અવાજ
જ્યારે ઊતરે કોઈ માણસની છાતીમાં
ત્યારે જ એ બનતો હોય છે ક્રાંતિકારી.
એટલે જ એને દ્રોહી ગણે છે સત્તા!
સત્તાને સંબંધ નથી ધરતી સાથે
એના આવા નક્કર પુરાવાઓ
આ રીતે જ મુકાય છે લોક અદાલતમાં

સત્તાનું છોગું હોય એ અદાલત
લોકોને આપે જ નહીં ન્યાય.
એટલે જ ન્યાયાધીશે કહી દીધુઃ ફાંસી
હા, ફાંસી !
ગળામાં ગાળિયાનો કરકરો સ્પર્શ
ને ‘હેન્ગ હીમ ટીલ ડેથ !’
– મરી જાય ત્યાં સુધી લટકાવો!
અને અમર મૃત્યુ !

પણ આવા મૃત્યુના અનેક અરથો હોય છે.
એ જ
એ જ
આપણી ઉપલબ્ધિ છે, રાજદેવ !

જો,
આ બારી વાટે
સળિયા વીંધીને
આવ્યાં ચન્દ્રકિરણો
આમ જ આપણાં મૃત્યુ
પ્રવેશવાનાં લોકોમાં
ને પછી –

એ ન જોયું તો ય શું ?
એક ક્રાંતિકારી જિંદગીમાં માણસ
કેટલું જોઈ શકે ?
તણખો, તણખો છે,
ઘાસની ગંજીમાં પડે
તો જ આગ ભભૂકે.
ને આગ ભભૂકે
એ જ તણખાનું કર્તવ્ય !

દોસ્ત,
એ કર્તવ્યનો ઉરતોષ
આ મહારાત્રિએ ધબકવા દે
આપણાં હૈયાંમાં
ને વહેવા દે જીવનનો અંતિમ સંચાર
જેલની આ કોટડીમાં
જેથી ભીંતો ય બોલી ઊઠેઃ
ઈન્કિલાબ ઝિન્દાબાદ !
ઈન્કિલાબ ઝિન્દાબાદ !!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 12-13

Loading

...102030...1,9531,9541,9551,956...1,9601,9701,980...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved